Friday, November 21, 2014

નગર ચરખો: જમશેદપુર - ભારતનું પહેલું 'પ્રાઈવેટ' શહેર!


ભારતના શહેરોનું વર્ગીકરણ કરીએ તો તેમાં જમશેદપુરનું વિશિષ્ટ સ્થાન છે. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈ, કોલકતા, ચેન્નાઈ જેવા શહેરો બ્રિટીશરાજમાં ધમધમતા બંદરો હતાં. પુણે, કાનપુર, આગ્રા, બરેલી, મેરઠ, મથુરા, વારાણસી, દહેરાદૂન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવા ઉપરાંત અંગ્રેજો માટે મહત્વના લશ્કરી થાણા (cantonment) હતાં. તે સિવાય, અંગ્રેજોએ શિમલા, મનાલી, ઉટી, દાર્જીલિંગ, ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોનો વિકાસ ખાસ તો વેકેશન  માણવા માટે કર્યો. બ્રિટીશરાજને ભારતમાં ઔદ્યોગીકરણ કરવામાં બહુ રસ નહિ હતો પણ તેમને ભારતમાંથી કાચા માલ-સામાનમાં જરૂર રસ હતો. ત્યારે ભારતના મૂડીપતિઓ પોતપોતાની રીતે બ્રિટીશ સરકારની બિન-ઔદ્યોગીકરણની નીતિઓ સામે સામ અને દામથી લડીને પોતપોતાની રીતે નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થાપી રહેલા. તેમાં અગ્રક્રમે આવતા જમશેદજી તાતાએ વર્ષ ૧૯૦૮માં તાતાની સ્ટીલ ફેક્ટરીની સાથે સાથે 'તાતાનગર' નામના શહેરનો પાયો નાખ્યો, જેને પાછળથી જમશેદપુરના નામે ઓળખવામાં આવે છે. આ ખરા અર્થમાં ભારતનું પહેલું ઔદ્યોગિક શહેર હતું.

તાતાનગર માટે સુબર્ણરેખા અને ખારકાઈ નામની બે નદીના પટની વચ્ચેનો, સંથાલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા ગાઢ જંગલમાં, લગભગ સો ચોરસ કી.મી.નો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતના શહેરો ક્યારેક કોઈ સાંસ્કૃતિક-ધાર્મિક સિદ્ધાંતોમાં દર્શાવ્યા પ્રમાણે બન્યા તો પછી ક્યારેક રાજ્યશાસકોની સત્તાના પ્રતિક રૂપે કે પછી કોઈના ધન-વૈભવના દેખાડાના અખાડા તરીકે આકાર પામ્યા હતા. જમશેદપુર જ એક એવું શહેર છે કે જેની મધ્યમાં ધાર્મિક ઈમારતો કે કોઈનો મહેલ નથી પણ એક ફેક્ટરી છે. શહેરના રસ્તાઓ પર ફરતા આ શહેરની ઔદ્યોગીકતા મોટા-મોટા ભૂંગળા, લાઈટો, લોખંડી માળખાઓ સ્વરૂપે ડોકાઈ જાય છે. તેથી શાસ્ત્રીય અર્થમાં જમશેદપુર 'આધુનિક' શહેર છે કે જે આર્થિક તંત્ર પર ચાલે છે, અહી લોકો નાત-જાત પ્રમાણે નહિ પણ કંપનીએ ફાળવેલા મકાનોમાં રહે છે, સામાજિક મેળાવડાઓ નાત-વાડી કે મંદિર-મસ્જીદમાં નહિ પણ 'ક્લબ' વગેરેમાં મળે છે.

જમશેદજીએ માત્ર એક ફેક્ટરીની પાસે ટાઉનશીપ નહોતી બનાવવી. તેમને શહેર વસાવવું હતું. જમશેદપુરમાં આજે ઘણા બાગ-બગીચા, ઝૂ, મ્યુઝીયમ, ખ્યાતનામ હોસ્પિટલ અને બીજા દવાખાના, એરપોર્ટ, શાળાઓ, રમત-ગમતના વિશાલ સંકુલો - ક્રિકેટ, ફૂટબોલ, સ્વીમીંગ, એથલેટીક્સ અને હોકી માટે તો અંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડીયમ છે. એક કંપની તરીકે તાતા ગ્રુપને આમાંથી અમુક મૂળભૂત સુવિધાઓ સિવાય કશું જ કરવાની જરૂર નહતી. છતાં પણ તેમને એક આદર્શ શહેર વસાવવાની દ્રષ્ટિથી આ સુવિધાઓ ઉભી કરી હતી. તેના પરિણામે તેમને મોટા શહેરોમાંથી સારી પ્રતિભા કે જાણકારોને આ કહેવાતા પછાત વિસ્તારમાં લઇ આવવામાં ઓછી મહેનત પડી હશે.

જમશેદપુર પાસેથી બે બાબતો દરેક શહેરે શીખવા જેવી છે. એક, શહેરની મ્યુનીસીપલ સેવાઓનું પ્રોફેશનલ મેનેજમેન્ટ. જમશેદપુરના મૂળ વિસ્તારનું વ્યવસ્થાપન 'જુસકો (જમશેદપુર યુટીલીટીઝ એન્ડ સર્વિસીસ કંપની)' નામની ખાનગી કંપની કરે છે. 'જુસકો' સંચાલિત વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા, લાઈટો વગરેની તકલીફ લગભગ નહિવત છે અને કંઇક ખોટકાય તો તેની ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવે છે. 'જુસકો'ના વિસ્તારની બહારની વસાહતોનું વ્યવસ્થાપન આદિત્યપુર, જુગસલાઈ, માંગો જેવી વિવિધ નગર પંચાયતો કે નગરપાલિકા કરે છે. અહી બધું અસ્ત-વ્યસ્ત છે, પ્રાથમિક સુવિધાઓ નથી, કોઈ આયોજન નથી, નગર પંચાયતો પાસે પૈસા નથી. ટૂંકમાં, પાણી ભરવા માટે આ લોકોએ 'જુસકો'ના વિસ્તારમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે. શું દરેક શહેર મ્યુનીસીપલ સેવા માટે જમશેદપુર પાસેથી પ્રોફેશનલ મેનેજમેન્ટ ન શીખી શકે?

બીજું કે, જમશેદપુરમાં 'વિવિધતામાં એકતા' કે 'સર્વધર્મ સમભાવ' કે 'બિનસાંપ્રદાયિકતા' જેવા વિચારો ખરા અર્થમાં જીવે છે. જમશેદપુર મુખ્ય શહેરમાં મોટા થતા બાળકો બહુ જ પચરંગી (કે કોસ્મોપોલીટન) સંસ્કૃતિમાં ઉછેરાય છે. સ્કૂલમાં એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી વગેરેનું પ્રતિનિધિત્વ હોવું તે સામાન્ય બાબત છે. આજુબાજુમાં બધા જ જાતના ઉત્સવો ઉજવાતા હોય, જાત-ભાતના ગીત-સંગીત, પુસ્તકો, ફિલ્મો હોય તો યુવા પેઢીને દુનિયાની વિશાળતા બહુ આસાનીથી સમજાય અને દેશના કોઈ પણ ભાગમાં તેઓ આસાનીથી ગોઠવાઈ જાય. 'વિવિધતામાં એકતા' જેવા સૂત્રો આઝાદ ભારતમાં અમલમાં આવે તેના ચાલીસેક વર્ષ પહેલાંથી જમશેદપુર તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. 

આપણાં દરેક શહેરોમાં વિવિધ સંસ્કૃતિઓનું વધુને વધુ મિશ્રણ થાય અને મ્યુનીસીપલ સેવાઓ વધુ પ્રોફેશનલ બને તેવી નવા વર્ષની શુભેચ્છાઓ! 

નવગુજરાત સમય, પાન નં 9, 2 નવેમ્બર (રવિવાર) 2014. 

Jamshedpur (estd.1908) is India's first industrial-modern city, where instead of a temple/mosque/church or some palaces, an industrial plant marked the centre of the city. In spite of being a 'private' city, the public functions like gardens, zoo, lake front, sports complexes, market places and green streets are given prominence. Today, we can surely learn two things from Jamshepdur - one, the professional management of urban services and two, putting in practice 'unity in diversity' a few decades before the Independence. People from various regional and religious backgrounds (surely not the income classes) lived together - something that is un-thinkable in many existing cities - getting exposed to other cultures, festivals, literature, music and ways of living. The Jamshedpurians fit in any part of India much easily, they don't need to create their own ghettos.

1 comment:

  1. ગુજરાતમાં આવેલ 'પ્રાઇવેટ' ટાઉન કયું? વલસાડ જીલ્લામાં પાર નદીના કિનારે વસેલું "અતુલ"! અતુલ લીમિટેડે વસાવેલું આ ટાઉન ગુજરાતમાં સૌથી વધારે Habitable જગ્યા છે. પાર નદીના પાણીની ઉપલબ્ધતા તેને ગાંધીનગર કરતા પણ શ્રેષ્ઠ બનાવે છે. 'સમય'માં આપણા ગુજરાતી ગામનો લેખ વધારે ગમશે!

    ReplyDelete