Wednesday, December 29, 2010

સુપર હીરોના સંસ્થાનવાદ/રંગ-ભેદ/પૂર્વગ્રહો

આપણને હીરો કે સુપરહીરો કેમ ગમતા હોય છે? કારણકે તેઓ 'સુપર' હોય છે. સામાન્યથી વિશેષ - અસામાન્ય. તેમનામાં અપાર શક્તિઓ હોય છે, તે સામાન્ય માનવીથી વધુ તાકાતવર, બુદ્ધિશાળી, સાહસવીર હોય છે વળી, નાનપણ કે કુમાર અવસ્થાના હીરો લોગ તો આખી જીંદગી સાથે રહે છે. ટીનટીન, એસ્ટેરીક્સ જેવી કોમિક બુક અને ઇન્ડિઆના જોન્સ, જેમ્સ બોન્ડ જેવી હોલીવુડ ફિલ્મોના પાત્રોએ મજેદાર, રમૂજી કે ગંભીર વાર્તાઓ દ્વારા દુનિયાની સેર કરાવી છે. 

આ વાર્તાઓ અને ફિલ્મોમાં આ પશ્ચિમના દેશોમાંથી ઉદભવેલા પાત્રો બાકીની દુનિયાને કઈ રીતે જોવે છે, કઈ રીતે મૂલવે છે અને તેમના વિષે શું વિચારે છે તે બહુ રસપ્રદ વિષય છે. આપણે ભારતમાં અને બીજા વિકાસશીલ દેશોમાં આ 'સંસ્કૃતિ આયાત' અને તેની સાથે આવતા મૂલ્યો, દુનિયાને જોવાની દ્રષ્ટિને ઘણી વાર બહુ સવાલ પૂછ્યા અપનાવી લઈએ છીએ. એડવર્ડ સેઇડ નામના લેખકે વર્ષો પહેલા 'ઓરીએન્ટલીઝમ' નામનું પુસ્તક લખેલું જેમાં તે પૂર્વની સંસ્કૃતિઓ વિષે પશ્ચિમના લેખકો દ્વારા કરતા નિરૂપણ વિષે વાત કરે છે. આ નિરૂપણમાં વ્યક્ત થતા પૂર્વગ્રહો, બીબાઢાળ સમજ અને પક્ષપાતો પૂર્વની સંસ્કૃતિઓ કાં તો રોમાંચક મુગ્ધતાથી લેખે નહિ તો પછી જંગલી, બાર્બરિક કે પછાત સમાજ તરીકે. અહી પશ્ચિમને પણ બીબાઢાળ સમાજ પ્રમાણે જોવાનો આશય નથી. સમય જતા ઘણા જ પુસ્તકો, ફિલ્મો, ચિત્રો અને સામાજિક સંશોધનોએ પૂર્વના લોકો, તેમની રહેણી-કરણી, સંસ્કૃતિઓને બહુ આયામી રીતે પણ રજૂ કરી છે અને કરતા રહે છે.

માત્ર પશ્ચિમના સમાજ પાસે બીજા સમજો પ્રત્યે પૂર્વગ્રહો રાખવાનો 'કોપીરાઈટ' નથી. દરેક દેશ, દરેક સમાજમાં અંદર-અંદર અને બહારના તત્વો પ્રત્યે પૂર્વગ્રહો હોય જ છે. પણ વાત અહી વાત હીરો અને સુપર હીરોની કથાઓમાં આવતા બીબાઢાળ નિરૂપણની કરવી છે અમુક ઉદાહરણો સાથે. આ હીરો-સુપર હીરોની પ્રચલિત, લોકપ્રિય કથાઓ, ફિલ્મો, પુસ્તકો લોકમાનસ પર (અને ખાસ તો બાળમાનસ પર) ઊંડી છાપ પાડે છે અને પૂર્વગ્રહોને પ્રચલિત બનાવવાનું કે યોગ્યતા બક્ષવાનું કામ જાણે કે અજાણે કરતા રહે છે. તેથી જ આ ઉદાહરણોને ચોકસાઈથી સમજવા જરૂરી બને છે.

કોંગોમાં ટીનટીન
ટીનટીન કોમીક્સનું પહેલું પુસ્તક 'કોંગોમાં ટીનટીન' જયારે ૧૯૩૦ના દસકમાં લખાયું ત્યારે દુનિયાના સમીકરણો અલગ હતા. રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગોરી પ્રજાનું 'સ્વામીત્વ' આફ્રિકા અને બીજા દેશોમાં પ્રસરેલું હતું. આ કોમિક બુકમાં ટીનટીન નામનો યુવાન પત્રકાર કોન્ગો જેવા આફ્રિકાના દેશમાં માત્ર ગોરી ચામડીનો યુરોપિયન હોવાને લીધે આ 'સ્વામીત્વ' ભોગવે છે. મોટાભાગના આફ્રિકન પાત્રો ટીનટીનની સેવામાં હોય છે અને ટીનટીન તેમને સૂચનો આપતો કે પછી 'શિક્ષણ' આપતો જોઈ શકાય છે. આ કોમિક બુકના પાના ફેરવતા કોન્ગોના લોકો અને જંગલના પ્રાણીઓ વચ્ચે ઝાઝો ફરક લાગતો નથી. કોન્ગોના લોકોના દેખાવનું નિરૂપણ જાણે માણસ-જાત ન હોય અને કોઈ પ્રાગ-ઐતિહાસિક પ્રજાતિ હોય તે રીતે કરવામાં આવે છે. પહેલી બ્લેક-વ્હાઈટ આવૃત્તિમાં તો આ વાત બહુ સ્વાભાવિક રીતે ઉપસે છે પણ રંગબેરંગી આવૃત્તિમાં ઘણી ટીકાઓ થયા પછી પણ આ પૂર્વગ્રહ પરોક્ષ રીતે રહી જાય છે. આજે આ કોમિકબુક મેળવવી અઘરી છે અને તેના પર પ્રતિબંધ મૂકવા માટેના કેસ થવાના સમાચાર પણ છે. તે વિષે વધુ અહી. આ બ્લોગ લેખ પર વધુ માહિતી મળી શકશે. 
તે સિવાય, ટીનટીન કોમીક્સના બીજા પુસ્તકોમાં આરબ, લેટીન અમેરિકન, ભારતીય કે તિબેટીયન લોકોનું, તેમની સંસ્કૃતિના નિરૂપણ પર સવાલ થઇ શકે છે. ભારત દેશમાંથી જયારે-જયારે ટીનટીન પસાર થાય ત્યારે તે ગીચ બજારો, ગરીબ-લાચાર પાત્રો, ચોરીની ઘટનાઓ, જાદુ-ટોણા જ જોવે. વળી, ટીનટીન અને તેના બીજા યુરોપીય મિત્રોનું સ્વામીત્વ કે ગુરુતા કે માલિકી-ભાવ એક ય બીજા સ્વરૂપે પ્રગટ થતો રહે છે. ભારતીય કે બીજા કોઈ દેશનો ટીનટીનનો 'મિત્ર' વધુમાં વધુ તેનો 'ગાઈડ' હોઈ શકે પણ કોઈ રીતે સમકક્ષ મિત્ર ન હોઈ શકે. છેવટે યુરોપીય પાત્રો કોઈક રીતે દુનિયાને બચાવે કે પછી કોઈ કીમતી વિરાસતને, અલબત્ત સ્થાનિક લોકોની થોડી-ઘણી મદદથી. ભારતીય તરીકે આપણે પણ આ સ્ટીરીયોટાઈપ પોતાને માટે નહિ તો બીજી સંસ્કૃતિ માટે તો સ્વીકારી જ લઈએ છીએ.

ઇન્ડિઆના જોન્સ અને વિનાશનું મંદિર
પ્રચલિત દંતકથા પ્રમાણે સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસે ઇન્ડિઆના જોન્સની રચના એટલા માટે કરી કારણકે તેમને જેમ્સ બોન્ડ જેવો 'સુપર' માનવ, રંગરલીયા મનાવતો, જાત-જાતના ઉપકરણોથી દુશ્મનોને હંફાવતો બ્રિટીશ જાસૂસની જગ્યા એ સામાન્ય માણસ જેવો, દુનિયાના ગાઢ રહસ્ય ઉકેલતો, ઐતીહાસીક વારસાને બચાવવા નીકળેલો (અમેરિકન) હીરોનું સર્જન કરવું હતું. આ વિચારે દુનિયાને ઇન્ડિઆના જોન્સ જેવો વધુ નૈતિક અને હિંમતવાન હીરો આપ્યો. સ્પીલબર્ગના સૌથી 'ફેવરીટ' વિલન નાઝી જર્મનો હોવાથી ઇન્ડિઆના જોન્સની ફિલ્મોમાં પણ તે નાઝીઓને હંફાવતો જોઈ શકાય છે. પણ તેની પૂર્વ તરફની દર્ષ્ટિ લગભગ સરખી જ હતી. ખાસ તો 'ઇન્ડિઆના જોન્સ અને ટેમ્પલ ઓફ ડૂમ' નામની ફિલ્મમાં. કદાચ આ ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ છે. પરંતુ આ ફિલ્મ જો જોવા મળે તો તેમાં દર્શાવેલા ભારતના રાજા, તેનું ખાન-પાન, ધાર્મિક વિધિઓ અને વિચિત્રતાઓ વગેરે જોઇને આઘાત ચોક્કસ લાગશે. અમરીષ પુરી આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળે છે. જો કે સ્પીલબર્ગ આ ફિલ્મને ઇન્ડિઆના જોન્સ સિરીઝની સૌથી ખરાબ ફિલ્મ ગણે છે. 
તે સિવાય ઇન્ડિઆના જોન્સની બીજી ફિલ્મોમાં પણ આરબ સમાજનું નિરૂપણ વિષે પણ પ્રશ્નો થઇ શકે. આરબ સમાજનું બીબાઢાળ નિરૂપણ તો હોલીવુડની ઘણી ફિલ્મોએ વારંવાર કર્યું છે. તેમનું માનીએ આરબ વ્યક્તિ એટલે 'એલાબલા બુલૂઊઊ...' બોલીને તલવાર લઈને હુમલા કરતો જંગલી, પછાત વ્યક્તિ જે મોટેભાગે મૂર્ખ હોય અને વિદેશી હીરો તેને હરાવીને હિરોઈન કે ખજાનો લઈને ભાગી છૂટતો હોય. આ વિશેની એક ખાસ ફીલ્મ બની છે જેનું ટ્રેલર અહી જોઈ શકાશે. આવું જ નિરૂપણ આદિવાસીઓ અને બીજા કહેવાતા પછાત સમાજોનું થતું આવ્યું છે. 

દુનિયા-બચાવવાનો રોગ
હોલીવુડની ઘણી-ઘણી એક્શન ફિલ્મોમાં આ 'દુનિયા બચાવવાનો (અમેરિકન) રોગ' (saving-the-world-syndrome) જોવા મળે છે. જેમાં એક બહાદુર અમેરિકન હીરો કોઈ આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી, ભેજાગેપ વિજ્ઞાની, કમ્યુટર નિષ્ણાત, વિચિત્ર વાઈરસ, પરગ્રહવાસીઓ, ઉલ્કાઓ વગેરેથી છેલ્લી ક્ષણે આખી દુનિયાને બચાવી લે છે. આ પ્રકારની ભારતીય ફિલ્મ થોડું વાજબી રાખીને ભારતને બચાવવા સુધી જ પ્રયત્નો કરે છે. પરંતુ અમેરિકા હવે બિનહરીફ જગત-જમાદાર હોવાથી અમેરિકન હીરોને આખી દુનિયા બચાવવાથી ઓછું કઈ ન ખપે. વર્ષો સુધી આ એક્શન ફિલ્મો જોયા પછી હવે એવું લાગે છે કે દુનિયાને બચાવવાની વૃતિએ રોગનું સ્વરૂપ ધારણ કરેલું છે. કોઈ પણ ફિલ્મમાં છેવટે વાત દુનિયા બચાવવા સુધી પહોંચી જ જાય છે. જો ફિલ્મની કક્ષા સારી હોય તો આ વાત વધુ સારી રીતે, માની શકાય તેવી રીતે કરેલી હોય અને ફિલ્મની કક્ષા ખરાબ હોય તો ગમે તે અતાર્કિક રીતે પણ છેવટે દુનિયા બચાવી લેવામાં આવે છે. આજકાલ હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોને લીધે બાળકો અને કુમાંરોમાં આ પ્રકારની ફિલ્મો અને તેના હીરો ઘણા પ્રચલિત હોય છે. આર્નોલ્ડ, સિલ્વેસ્ટર સ્ટેલોન, બ્રુસ વીલીસ, ટોમ ક્રૂઝથી માંડીને ચક નોરીસ, વાન ડેમ, સ્ટીવન સીગલ વગેરે વર્ષો સુધી દુનિયાને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વળી, હોલીવુડ ફિલ્મોમાં વિલનોનો દેશ, ધર્મ, રંગ વગરે પણ સમય જતા બદલાવ આવ્યો છે. જૂની એક્શન ફિલ્મોમાં રશિયન કે પૂર્વ યુરોપના કોઈ ઓછા-જાણીતા દેશોના આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી અને ષડયંત્રકારોની બોલબાલા હતી. હવેના વિલન વધુ સર્વ-વ્યાપક બન્યા છે, જેમાં પૂર્વ-સરકારી કર્મચારીઓ, પૂર્વ-જાસુસ/સૈનિક (એટલેકે મૂળ અમેરિકી નાગરીકો પણ આવે છે). આરબ કે મુસ્લિમ આતંકી તત્વો તો 'ફેવરીટ' રહે જ છે. દુનિયાની બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ જોતા એવું બની શકે કે આવતી કાલની હોલીવુડ ફિલ્મોમાં વિલન ચાઇનીઝ હોય. 

છેલ્લે, ફિલ્મો, કોમિક બુક્સ અને બીજી સાંસ્કૃતિક પેદાશો પ્રચલિત સ્ટીરીયોટાઈપને વધુ સુદ્રઢ બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. સ્ટીરીયોટાઈપ કે પૂર્વગ્રહોનું પ્રચલિત હોવું એ દરેક દેશ, દરેક સમાજમાં સામાન્ય બાબત છે. જો કે આ પૂર્વગ્રહોનું નાનપણ કે કુમારાવસ્થાના સાહિત્ય કે બીજી સંસ્કૃતિક પેદાશો દ્વારા ઘરે-ઘરે પહોંચવું ઇચ્છનીય તો નથી જ. પણ પૂર્વગ્રહને પૂર્વગ્રહ તરીકે અને સ્ટીરીયોટાઈપને સ્ટીરીયોટાઈપ તરીકે જ જોવા જેટલી દ્રષ્ટિ કેળવાય તેવી કેળવણી જરૂરી છે.

Friday, December 17, 2010

બ્રિટનમાં સાઈકલ સંઘર્ષ

'સાઈકલમ્ શરણમ્ ગચ્છામિ!' નામે સાઈકલ વિશેનો લેખ મેં કંઈક અંશે મુગ્ધતા અને રોમાંચથી લખેલો. તેના પ્રતિધ્વનિ રૂપે આ લેખમાં બ્રિટનમાં સાઈકલીંગ વિષે જમીની હકીકતો આપી છે. વિહંગાવલોકન જેવું આ સાઈકલની સીટ પરથી કરેલું 'સાઈકલાવલોકન' છે. અહીં વાહન-વ્યવહારને લગતાં વિવિધ પાસાં અને યુરોપીય શહેરોમાં જોવા મળતા નવા પ્રવાહોને ધ્યાનમાં રાખીને સાઈકલ ચાલનની વાત કરી છે.
મોટરી-કરણ અને કાર-અવલંબિત શહેરો : બીજા વિશ્વયુદ્ધ પછીના સમયથી યુરોપ અને અમેરિકામાં 'મોટરી-કરણે' જબરું જોર પકડેલું છે. આજે યુનાઇટેડ કિંગ્ડમમાંનાં ૪૫% ઘરોમાં એક કાર અને 3૫% ઘરોમાં બેથી વધુ કાર છે. વીસેક વર્ષ પહેલાં કદાચ આને 'વિકાસ'ની નિશાની માની શકાય, પણ આજે પર્યાવરણ અને હવામાનના બદલાવના સંદર્ભમાં વધુ પડતું મોટરીકરણ ગંભીર સમસ્યા છે. કારણ, વધુ કાર્બન ધુમાડા અને પેટ્રોલ-ડીઝલ જેવાં બળતણ પર વધુ પડતું પરાવલંબન. શહેરના વાહન-વ્યવહારમાં જો કારનું આધિપત્ય હોય તો તેવા શહેરોમાં ઉપ-નગરોનો વિકાસ ઝડપથી થાય છે. કારવાળા લોકો એવું માને છે કે કાર હોવાને લીધે તેઓ શહેરથી દૂર સસ્તાં અને મોટાં મકાનોમાં રહી શકશે. તેના લીધે વસ્તીમાં વધારાના પ્રમાણથી ઘણો વધારે શહેરોનો ફેલાવો થતો જ રહે છે. કાર-અવલંબિત શહેરો એટલે વધુ ફેલાવો ધરાવતાં શહેરો. વધુ ફેલાવો ધરાવતાં શહેરો એટલે લાંબા અંતરો, વધુ ટ્રાફિક, વધુ ટ્રાફિક જામ અને વધુ કાર્બન ધુમાડા. જો આપણે બ્રિસ્ટલ અને અમદાવાદની સરખામણી કરીએ તો બંને શહેર લગભગ સરખો વિસ્તાર ધરાવે છે - ૪૫૦ ચોરસ કિલો મિટર. પરંતુ અમદાવાદની વસ્તી લગભગ પિસ્તાલીસ લાખ છે જ્યારે બ્રિસ્ટલમાં સાડા ચાર લાખ લોકો રહે છે, અમદાવાદથી લગભગ દસ ગણા વિસ્તારમાં. બ્રિસ્ટલમાં બે માળથી વધુનાં મકાનો બહુ જ જૂજ સંખ્યામાં છે અને શહેર ઘણા ઉપ-નગરો (સબર્બ) ધરાવે છે. મોટા ભાગના ઉપ-નગરો કારથી આવ-જા કરતાં લોકો માટે હાઈ-વેની આસપાસ બનાવેલા છે. અમેરિકાનાં શહેરો તો વળી સંપૂર્ણ કાર-અવલંબિત છે અને તેમની વસ્તીની ગીચતા યુરોપનાં શહેરો કરતાં પણ ઓછી છે. 
પશ્ચિમમાં મોટરીકરણ આજે ગંભીર સમસ્યા બની ચૂકી છે, કારણ કે એક વાર રચાઈ ગયેલાં શહેરો બદલી શકાતાં નથી. તે સિવાય કાર નામના ધાતુના ડબ્બા માટે બનાવવી પડતી માળખાકીય સુવિધાઓ 'અમાનવીય' હોય છે. કારની આસ-પાસ રચાતાં શહેરોમાં ભેંકાર, માણસ માત્રની હાજરી વિનાની જગ્યાઓ વધારે હોય છે - અમેરિકાનાં શહેરોમાં આ કાર-ભેંકાર જગ્યાઓ બહુ આસાનીથી જોઈ શકાય છે અને યુરોપનાં શહેરોમાં તેમનું પ્રમાણ ઓછું હોય છે, પણ કારનું આધિપત્ય ઓછું નથી.. કાર-અવલંબિત શહેરો બેધારી તલવાર છે - જે કાર ન ધરાવતા લોકો માટે શ્રાપરૂપ બની રહે છે અને તેમને સતત કાર ખરીદવા માટે છૂપી રીતે પ્રોત્સાહિત કરે છે. બ્રિટનનાં શહેરોમાં ભારતીય શહેરોની જેમ હાથ ઊંચો કરીને રિક્સા રોકી શકાતી નથી અને જાહેર બસ સેવાની ગુણવત્તા ઊંચી હોવા છતાં ખાનગી વાહનના ફાયદાની સતત સરખામણી જાહેર સેવાઓ સાથે થતી રહે છે. સામાજિક રીતે, બ્રિટનમાં વૃદ્ધોની સંખ્યા ઘણી મોટી છે અને તેમાંનાં મોટા ભાગના લોકો કાર જાતે ચલાવી શકે તેવી પરિસ્થિતિમાં હોતાં નથી. વળી, સ્થૂળતાનો પ્રશ્ન પણ ગંભીર છે. તેથી કાર-આધારિત જીવન બહુ ઓછી સંખ્યાના લોકો માટે ફાયદારૂપ છે. અહીંની સરકાર અને શૈક્ષણિક મંડળોમાં આ બહુ-સ્વીકૃત હકીકત છે, પણ કારનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો અંગે બહુ સહમતી નથી. 
મોટરીકરણ એટલે આધુનીકરણ નહીં : કાર-અવલંબન વિશેના આ વિચારો એ મોટા ભાગના પર્યાવરણ, વાહન-વ્યવહાર નિષ્ણાતોના મતમાં શહેરી વાહન-વ્યવહારના વિષયમાં આવેલા મૂળભૂત પરિવર્તનનો સંકેત છે. મોટરીકરણ અને આધુનીકરણનો સંબંધ વિચ્છેદ બે-ત્રણ દાયકા પહેલાં થઈ ચુક્યો છે. આધુનિક હોવું કે વિકસિત હોવું એટલે મોટર-કારની આસપાસ જીવન રચવું તે માન્યતા ખોટી પડતી નીતિઓ યુરોપના ઘણા દેશોમાં છે. શહેરી ઇતિહાસમાં વાહન-વ્યવહારના પ્રશ્નોનો પ્રણાલીગત ઉકેલ સામાન્ય રીતે વધુ ફ્લાય ઓવર, વધુ પહોળા રસ્તા, વધુ પાર્કિંગની જગ્યા અને વધુને વધુ આપી આપીને કરવાના ઉપાયો ખરેખર તો વધુ મોટા પ્રશ્નો સર્જે છે. કારણ કે તે માત્ર કાર-અવલંબિત વિકાસને જ ઉત્તેજન આપે છે. ખરેખર જરૂર છે બને તેટલા વધુ લોકોને સાઈકલનો ઉપયોગ કરતા કરવાની, કારને ઓછી પ્રાથમિકતા આપીને જાહેર બસ કે ટ્રામ સેવાને સુદ્રઢ બનાવવાની અને જાહેર રસ્તાઓને રાહદારીઓ અને સાઈકલબાજો માટે વધુ સુરક્ષિત બનાવવાની. કારને જરૂરી પૂરવઠો (રસ્તા, બળતણ, પાર્કિંગ વગેરે) આપ-આપ કરવાની જગ્યાએ તેની માંગ ઓછી કરવાની કે ઉપયોગ ઘટાડવાની તો જરૂર વર્ષો પહેલાં બધી જ યુરોપીય સરકારોને મહેસૂસ થઇ ચુકી છે. 
સમગ્ર યુરોપમાં વૈકલ્પિક ઉપાયો જેવા કે કન્જેશન ચાર્જીંગ, સાઈકલીંગનો પ્રચાર, જાહેર સાઈકલ સેવા, કારને વધુ મોંઘી અને લાઈસન્સ મેળવવું વધુ અઘરું બનાવવું વગેરે પ્રચલિત છે. કોપન હેગન, એમ્સ્તરડામ, પારિસ જેવા શહેરો વાહન-વ્યવહારના વૈકલ્પિક ઉપાયોમાં ઘણાં આગળ છે. કોપેન હેગન અને એમ્સ્તરડામમાં તો લગભગ ૪૦%  ટ્રાફિક સાઈકલોનો હોય છે, તેઓ યુરોપની સાઈકલીંગ રાજધાની છે. હોલેન્ડ તો શાનથી પોતાને સાઈકલ-પ્રેમી દેશ કહેવડાવે છે. અને આ સાઈકલ-પ્રેમ તે કોઈ જૈનીનિક જાદુ નથી પણ ૧૯૭૦ના દાયકામાં હોલેન્ડની સરકારે લીધેલાં ચોક્કસ પગલાં અને નીતિઓનું પરિણામ છે. આજથી વર્ષો પહેલાં હોલેન્ડ જેવા દેશોએ નક્કી કરેલું કે શું આપણે કાર-અવલંબનના રસ્તે જવું છે કે બીજા કોઈ પ્રદૂષણ રહિત વિકલ્પ શોધવા છે. જર્મનીએ વર્ષ ૨૦૦૨માં તેનો 'નેશનલ સાઈકલ પ્લાન' બહાર પાડેલો, જેમાં વિવિધ શહેરોમાં સાઈકલની સુવિધાઓ જેવી કે નવા રસ્તા, અલગ સિગ્નલ, પાર્કિંગ અને જાહેર બસ/ટ્રામમાં સાઈકલ લઈ જવાની સુવિધાઓ વગેરે બનાવવાનું આયોજન છે. વૈકલ્પિક અને પ્રદૂષણ રહિત વાહન-વ્યવહારની રેસમાં યુરોપમાં બ્રિટન ઘણું પાછળ છે અને કાર્બન ધુમાડાની રેસમાં ઘણું આગળ. બ્રિટનમાં લંડન સિવાય બીજા શહેરો તદ્દન કાર-આધારિત છે, જાહેર બસ કે ટ્રામ સેવા પૂરતી નથી, સાઈકલો રસ્તા પર ઓછી દેખાય છે, દરરોજ સવાર-સાંજ ટ્રાફિક જામ સામાન્ય ઘટના છે અને કાર તે દેખીતી રીતે સૌથી સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવતું સાધન છે. કોઈ વૃદ્ધ વ્યક્તિને કાર વગર જીવવું ભારે પડી શકે છે. વસ્તી વધારાથી કંઈક ગણી વધારે કારની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.
સાઈકલ : રોજ-બ-રોજનું ઉપયોગી સાધન ? :સાઈકલના ઘણા ફાયદા છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે તો તે ફાયદારૂપ છે જ, પણ શહેરી ઉપયોગ માટે તે આદર્શ સાધન છે. બ્રિટનનાં શહેરોમાં લોકો ત્રણ-ચાર કે વધુમાં પાંચ-છ માઈલ જેવું અંતર કાપતા અને કામ પર જતા હોય છે. ઘણીવાર ઓફીસ ટાઈમમાં લાગેલી ભીડમાં સાઈકલ સૌથી ઝડપી વાહન સાબિત થાય છે કારણ કે રસ્તાઅો પર કારોએ સર્જેલો ટ્રાફિક જામ હોય છે જે જાહેર બસોને તો સૌથી ધીમી પાડી દે છે. વળી, સાઈકલ તો સસ્તું સાધન છે. અને યુરોપના દેશોમાં સાઈકલ પર જવું તે સામાજિક રીતે નીચું પણ મનાતું નથી. વાત અહીં કારના આંધળા વિરોધની નથી. કાર તે કુટુંબ માટે એક ઉત્તમ, ઉપયોગી સાધન છે. પરંતુ જો એક જ માણસને ક્યાં ય પહોંચવું હોય, તો જાહેર રસ્તા પર ત્રણ મિટર ગુણ્યા પાંચ મિટર વાળો ધાતુનો ડબ્બો લઈને ધુમાડા કાઢતા નીકળવાની જરૂર નથી. ગાંધીજી કહે છે તેમ માત્ર લક્ષ્ય જ નહિ પણ લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન પણ આદર્શ પ્રમાણે હોય તે મહત્ત્વનું છે. મોટા ભાગે શહેરોમાં અંદર-અંદર નાનાં-મોટાં કામ માટે નીકળવા માટે કારની જરૂર નથી. સાઈકલ એક અંગત વાહન તરીકે પૂરતી સુવિધા આપે છે. બ્રિટનનાં શહેરોમાં ભારતીય શહેરોની જેમ વાહનના પ્રકારમાં બહુ વિવિધતા નથી. બસ, સાઈકલ અને કાર આ ત્રણ સૌથી વધુ જોવાં મળતાં સાધન છે. તેથી ખાનગી વાહન તરીકે સાઈકલ વિરુદ્ધ કારનો મુદ્દો ઊડીને આંખે વળગે છે.
બ્રિટન સરકારની માહિતી મુજબ, અહીં રહેતાં ભારતીય કુટુંબો આર્થિક રીતે પ્રમાણમાં સદ્ધર છે અને અહીંની બહુમતી પ્રજામાં જે પ્રમાણે કારની માલિકી જોવા મળે છે તેવા જ આંકડા ભારતીય કુટુંબોમાં પણ જોવા મળે છે. જયારે પાકિસ્તાની, બાંગ્લાદેશી, આફ્રિકન કે જમૈકન સમૂહોમાં આર્થિક સદ્ધરતા પ્રમાણમાં ઓછી છે અને તેથી કાર માલિકી પણ ઓછી છે. પરંતુ ભારતીય અને બીજા બધા જ લઘુમતી સમૂહોમાં સાઈકલીંગનું પ્રમાણ નહિવત્ છે. સાઈકલને સામાજિક રીતે નીચો દરજ્જો મળે છે અને આ  સમાજોમાં સાઈકલને ગરીબના સાધન તરીકે જોવાય છે કે પછી 'ધોળિયાઓના ગાંડપણ' તરીકે. એક મિત્રએ તો મને કહ્યું પણ ખરું કે ‘હું બ્રિટનમાં આવીને કારને બદલે સાઈકલ ચલાવું તો દેશમાં લોકો મારા વિષે કેવું ધારી લે? કે નક્કી આ કોઈ નાનાં-મોટાં કામ કરતો હશે અને સુખી નહીં હોય.’ તે સિવાય, નેશનલ હેલ્થ સર્વે મુજબ, ભારતીય મૂળના લોકોમાં સ્વાસ્થ્ય પરત્વે બેદરકારી પણ પ્રમાણમાં વધુ હોય છે. પરંતુ બહુમતી સમૂહમાં સાઈકલીંગનું પ્રમાણ ઓછું હોવાનું કારણ સામાજિક દરજ્જો નહીં પણ કાર પ્રત્યેનો પ્રેમ; અને એવી ધારણા છે કે કાર તે વધુ સારું વાહન છે.
બ્રિટનમાં રોજ-બ-રોજનું સાઈકલ ચાલન : એક સાઈકલબાજ તરીકે બ્રિટનના રસ્તાઓ પર સાઈકલ ચલાવવું ભારતના પ્રમાણમાં અઘરું છે. કારણ કે અહીં વાહનોની સરેરાશ ઝડપ વધુ હોય છે, રસ્તા પ્રમાણમાં સાંકડા હોય છે અને કારોની સંખ્યા વધુ હોય છે. કોઈ પણ રસ્તા પર સાઈકલ તે બીજાં દરજ્જાનું સાધન છે અને સાઈકલબાજ તે બીજા દરજ્જાનો નાગરિક છે. કાર ચલાવનાર એવું માને છે કે રસ્તા પર પહેલો અને આખરી હક તેમનો જ છે. સાઈકલબાજ તરીકે તમે કારની ઝડપ 'ઓછી' કરવાનું પાપ કરો છો. તમે બ્રિટન કે ઈંગ્લેન્ડના કોઈ શહેરોમાં સાઈકલબાજ જો હો, તો “ડેઈલી મેઈલ” જેવા ટેબ્લોઈડ તમને નિયમિત રૂપે 'અસામાજિક', 'અનૈતિક', 'સ્વાર્થી' જેવા વિશેષણોથી નવાજશે. રૂઢીચુસ્ત મત પ્રમાણે સાઈકલ સવારો રસ્તે ચાલતા કાર-સવારો માટે દૂષણ રૂપ છે. આવું ખુલ્લે આમ નહીં તો રોજ-બ-રોજની વાતોમાં છૂપી રીતે સંભળાઈ જાય છે.
જો કે આ સાઈકલબાજો વિશેના પ્રચલિત મતની સામે રાજકારણીઓ અને બીજા જાણીતા ચહેરા સાઈકલનો મહિમા કરતા રહે છે. ડેવિડ કેમરૂન પ્રધાનમંત્રી બન્યા પહેલાં નિયમિત સાઈકલ ચલાવતા, એવું કહેવાય છે. અને લંડનના મેયર બોરિસ જોન્સન આજે પણ સાઈકલનો સતત ઉપયોગ કરે છે. લંડનના પૂર્વ મેયર કેન લિવીંગસ્ટનના પ્રયત્નોથી 'કન્જેશન ચાર્જીંગ' એવા અટપટા વિકલ્પને લોકપ્રિયતા સાંપડેલી કે જેમાં કાર લઈને મધ્ય લંડનમાં પ્રવેશવા માટે ફી ભરવી પડે. જયારે બોરિસ જોન્સન 'જાહેર સાઈકલ સેવા' કે જેમાં લંડનમાં વિવિધ સ્થળોએથી સાઈકલ ભાડે લઈ શકાય અને પોતાના ગંતવ્ય સ્થાને નિર્ધારિત જગ્યાએ મૂકી શકાય તેવા, નવો જ અભિગમ લઈને આવ્યા છે, જેને 'બોરિસ બાઈક'ના હુલામણા નામે ઓળખવામાં અાવે છે. તે સિવાય વિવિધ શહેર સુધરાઈઓ પોતાના રસ મુજબ, સાઈકલના પ્રચાર-પ્રસાર માટે કામ કરે છે. એકંદરે સાઈકલના પ્રચાર-પ્રસારનું કામ ઘણું થાય છે. છતાં પણ બ્રિટનનાં શહેરોમાં સાઈકલનો ટ્રાફિક સરેરાશ ૨%થી પણ ઓછો છે. કારની સંખ્યા અને સુવિધાઓ વધતી જાય છે.
બ્રિટનના શહેરોમાં એક સાઈકલબાજ હોવાના રોજના અનુભવ પણ બહુ અલગ છે. કાર ચલાવનાર તમને વ્યવસ્થિત 'જોઈ શકે' તે માટે સાઈકલબાજો ચમકતાં કપડાં પહેરે, લાઈટ લગાવે, જાત-જાતના લટકણિયા અને 'નમૂના' જેવો દેખાવ ધારણ કર્યા પછી જ રસ્તા પર નીકળે છે. આ આખી 'હું અહીં છું. મને મહેરબાની કરીને જુઅો' વાળી હાલતી-ચાલતી વિનંતી પછી પણ સાઈકલ સેર તે બીજા વાહનોના પ્રમાણમાં અઘરું છે, ખતરનાક છે. આ કાર-સાઈકલ વચ્ચેનો સંઘર્ષ વર્ગ-સંઘર્ષથી ઓછો નથી.  વળી, આ તો રોજ-બ-રોજની ભજવાતી ઘટના છે. સાઈકલબાજોના મેળાવડા યોજાય છે, સાઈકલ સેરના કાર્યક્રમો બને છે અને અકસ્ત્માત જેવી ઘટનાઅો વખતે સાઈકલબાજોને કાયદાકીય સહાય પણ મળે છે. આ બધું હોવા છતાં  સાઈકલ-સંસ્કૃિત ગૌણ સંસ્કૃિત છે. સાઈકલસવાર બીજાં દરજ્જાનાં વાહન પર બીજા દરજ્જાનો નાગરિક છે તે વાત અડધો કિલોમિટર સાઈકલ ચલાવવાથી સમજાઈ જાય છે. પણ એક વાત નક્કી છે, આવતીકાલની આવનારી વાહન-વ્યવહારની ક્રાંતિમાં સાઈકલનું સ્થાન મોખરે રહેવાનું છે.
આખરી ખ્યાલ :આ લોકો સ્વર્ગને લીંપીને પાર્કિંગની જગ્યા બનાવે છે, કંઈક ગુમાવ્યા પછી જ તેનું સાચું મૂલ્ય સમજાય છે ... (અમેરિકન સંગીતકાર જોની મીચેલનાં એક ગીત 'બીગ યલો ટેક્સી'નું મુખડું).

Saturday, November 27, 2010

એ વેઈવેઈના સૂરજમુખીના કરોડો બીજ

 (તસવીર સૌજન્ય: બીબીસી)
ફોટોગ્રાફર, મૂર્તિકાર, ચિત્રકાર, સ્થપતિ, સિરેમિકના જાણકાર, એન્ટીકના જાણકાર, કલાકૃતિ સંગ્રાહક, લેખક, બ્લોગર, લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના ચળવળકાર જેવી અનેક ઓળખ ધરાવનાર ચાઇનીઝ કલાકાર એ વેઈવેઈ આજના સમયની એક અનોખી પ્રતિભા છે. વેઈવેઈની કળા જલદ છે, અણીયારી છે અને બહુ જ વિચાર પ્રેરક છે. ચીનમાં લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના હક માટે સંઘર્ષ કરતા લોકોમાં વેઇવેઇનુ સ્થાન અનન્ય છે. કારણ, તે વિરોધ મૌલિકતા અને સર્જનાત્મકતાથી કરે છે, પોતાની કળા દ્વારા. વેઇવેઇના કળા જીવનને જોડતી કડીઓ તેમની વેબ સાઈટ પરની આ કડી પર જોઈ શકાશે.

મારો એક આર્કીટેક્ટ  મિત્ર એઈ વેઈવેઈ સાથે કામ કરી ચુક્યો છે. નવેમ્બર, ૨૦૦૭માં બીજીંગમાં હું તેને મળવા એની ઓફિસ/સ્ટુડીઓમાં ગયો. મારી જાણકારી ત્યારે વેઇવેઇના સ્થપતિ હોવા સુધી સીમિત હતી. આ મુલાકાતમાં મને ખબર પડી કે વેઈવેઈ ૨૦૦૮ના ઓલિમ્પિક માટે 'બર્ડ્સ નેસ્ટ' નામનું વિશાળ અને મુખ્ય સ્ટેડીયમ હર્ત્ઝોગ અને દી મ્યુરોન નામના વિશ્વપ્રખ્યાત સ્થપતિઓ સાથે ડીઝાઈન કરી રહ્યો છે. ધીરે ધીરે ખબર પડતી ગઈ કે એઈ વેઈવેઈ નામનો વ્યક્તિ તે તાલીમ પામેલ સ્થપતિ નથી પણ કળાકાર છે અને કળા જગતમાં તેનું કામ અલગ જ સ્થાન ધરાવે છે. ત્યાર બાદ જુદા-જુદા સમાચાર માધ્યમો દ્વારા એઈ વેઇવેઇના  કામ સાથે પરિચય થતો રહ્યો. મારી પેલી નાની મુલાકાત વિશે મને પાછળથી ભાન થયું કે આપણે જેમાં ડૂબકી મારેલી તે પવિત્ર પાણી હતા!
તાજેતરમાં લંડન પ્રખ્યાત ટેટ મોડર્નમાં વેઈવેઈના નવા જ કામનું અનોખું પ્રદર્શન લાગેલું છે - સૂરજમુખીના કરોડો બીજ. સૂરજમુખીના લગભગ દસ કરોડ સિરામિકના બનેલા બીજ તે ચીનના એક આખા ગામની, ૧૫૦૦ વ્યક્તિઓની બે વર્ષની મહેનત છે. સિરામિકના આ બીજ સૂરજમુખીના સાચા બીજ હોવાનો આભાસ ઉભો કરે છે અને વેઇવેઇએ ટેટ મોડર્નના આખા ટર્બાઈન હૉલમાં આ બીજ પાથરી મૂક્યા છે. પ્રદર્શન જોવા આવનાર લોકો આ બીજ પર બેસે છે, તેમને ધ્યાનથી જોવે છે, તેમના ફોટા પડે છે, બાળકો તેની સાથે રમે છે, કોઈ ચર્ચા કરે છે તો કોઈ નાક ચઢાવીને ચાલી જાય છે. ટૂંકમાં, કળાનું એવું સ્વરૂપ કે જેને અડી શકાય, પકડી શકાય, તેની સાથે રમી શકાય અને પછી તરત જ એવો પ્રશ્ન થાય કે આવું કેમ? આ માણસ શું આપણને શું બતાવવા માંગે છે? આ બીજની પાછળ શું છુપાયું છે? કોઈ મજાક તો નથી ને? કેમ સૂરજમુખીના બીજ અને તે પણ આટલા બધા? સીરામીકનો ઉપયોગ કેમ? આવા ઘણા સાહજીક પ્રશ્નો થાય. 

જવાબો જો કે શોધી શકાય તેમ છે. માઓની કીર્તિ જયારે સૂરજની જેમ પ્રવર્તમાન હતી ત્યારે ચીનના નાગરીકો સૂરજમુખીની જેમ તેમ સૂર્ય ઢળે તેમ ઢળતા. આ દર્શાવતા જુના પોસ્ટર પણ છે. આ પ્રદર્શિત સૂરજમુખીના બીજ હજી સૂરજમુખી થયા નથી. અત્યારે તો તે બીજ છે અને તેમની આવતીકાલ આવવાની બાકી છે. આ બીજમાં શક્યતા છે, સ્વપ્ન છે. તેમની સંખ્યા ઘણી મોટી છે, જેમ માનવજાતમાં દરેક પાંચમી વ્યક્તિ ચીનની છે તેમ. ચીનને મોટી સંખ્યા સાથે પણ સંબંધ છે અને સિરામિક સાથે પણ. હજારો વર્ષ જુનો સિરામિક ઉદ્યોગ ચીનની પરંપરાગત કળામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે અને આ કળા ચીનની કલાની આંતર-રાષ્ટ્રીય પ્રતિનિધિ ગણાય છે. આપણે સીરામીકને 'ચીનાઈ માટી' જ તો કહીએ છીએ. બીજું કે આ સૂરજમુખીના બીજના પ્રોજેક્ટે અનેક લોકોને રોજગાર પણ આપ્યો છે તે વળી વેઈવેઈની કળાનો માનવીય ચહેરો છે. આ કરોડો બીજનું પ્રદર્શન, તેમની સંખ્યા, સીરામીકનો ઉપયોગ, તેમની એકરૂપતા અને આખરે તો તેમનું મૌન ઘણું કહી જાય છે. વેઈવેઈની કલાને બીજી અનેક રીતે મૂલવી શકાય છે અને સમજી શકાય તેમ છે. દુનિયાની મહાન કળાઓ હમેશા એકથી વધુ અર્થઘટનો જગાડતી હોય છે. બીજી કોઈ વ્યક્તિના મારાથી જુદા અર્થઘટન હોઈ શકે છે. એક અર્થઘટન એવું પણ છે કે પશ્ચિમના દેશોમાં ચીનની કળા તરીકે વેચાતા સિરામિકના વાસણો અને મૂર્તિઓનો અને તેમના થોકબંધ ઉત્પાદનનો આ એક ઉપહાસ છે, પ્રતિધ્વની છે.

૨૦૦૮નાં વર્ષમાં ચીનના સેઝુઆન પ્રાંતમાં ભયાનક ભૂકંપ આવે છે તેમાં સરકારી આંકડા પ્રમાણે લગભગ સિત્તેર હજાર લોકો મૃત્યુ પામે છે, સાડા ત્રણ લાખ લોકો ઘાયલ થાય છે અને દસેક લાખ લોકો ઘર ગુમાવે છે. સૌથી દર્દનાક વાત એ છે કે સરકારી સ્કૂલો કે જેમના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયેલો, તેમાં દટાઈને હજારો બાળકો મૃત્યુ પામે છે. વેઈવેઈ મૃત્યુ પામેલા બાળકોની સાચી સંખ્યા અંગે અને બાંધકામમાં થયેલી ગોબાચારી અંગે તપાસ કરે છે અને તે અંગે એક બ્લોગ શરુ કરે છે. આ બ્લોગ દ્વારા સ્થાનિક લોકો પોતે જાણતા હોય તેવી મૃત વ્યક્તિઓ વિષે માહિતી આપી શકે તેવી વ્યવસ્થા છે. પાંચેક હજાર લોકોનું લીસ્ટ થાય ત્યાં સુધીમાં તેનો બ્લોગ બંધ કરી દેવામાં આવે છે. સેઝુઆનમાં પોલીસ વેઈવેઈ પર હુમલો કરીને તેને બેરહેમીથી મારે છે. આખરે, સારવાર લીધા બાદ વેઈવેઈ જર્મનીના મ્યુનિક શહેરમાં કળા કેન્દ્રના મકાનના સામેના ભાગ પર તેની નવી કળાકૃતિ રજૂ કરે છે. જે બાળકોના નવ હજાર દફતરોથી બનેલી હોય છે અને તે ચીનની લીપીમાં એક વાક્ય રજૂ કરે છે  - 'તે સાત વર્ષ સુધી આ દુનિયામાં બહુ ખુશીથી જીવી હતી.'

જયારે કલાકારનો મુકાબલો એવી વિશાળ સત્તા અને સામ્રાજ્ય સાથે થાય જ્યાં નગારખાનામાં થતા અવાજ વચ્ચે જીવવું અઘરું થઇ પડ્યું હોય અને પીપૂડી વગાડનાર માત્રને સજા થતી હોય ત્યાં કલાકાર શું કરે? કલાકાર 'ચોટદાર' કળા જ કરી શકે કે જે અવાજ કરે તેના પડઘા પડતા જ રહે. વેઈવેઇના કિસ્સામાં પણ કઈ એવું જ બન્યું છે. તેનો બ્લોગ બંધ થયો તો ટ્વીટર શરુ થયું. તે બંધ થયું તો બીજું કંઈ, નવું કંઈ. માધ્યમો બદલાતા ગયા પણ અવાજ અને મિજાજ બદલાયો નહિ. આ માણસે ફોટોગ્રાફીથી મૂર્તીકામ અને ભીંતકળા, ચિત્રકામથી સિરેમિક, સ્થાપત્યથી લેખન સુધીનું બધું જ કર્યું. વિડીઓગ્રાફી અને ફિલ્મ-મેકિંગ કરીને બધા જ માધ્યમોને ઉખેળ્યા. આ જ કલાકારોનો મિજાજ દર્શાવે છે. લિયોનાર્ડો દ વિન્સી શું ન હતો? તેને વિજ્ઞાની, ફિલસૂફ કે કલાકાર કહેવાથી પણ તેની ઓળખ પૂરી થતી નથી. આજે કળા જગતમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને પોતાનો સંદેશ, પોતાની કળા જગત સુધી પહોચાડવી તે રાહ બતાવનાર કલાકાર તરીકે વેઈવેઈ અગ્રગણ્ય છે.

સી.એન.એન.ના ફરીદ ઝકરિયાએ જયારે ચીનના પ્રિમીઅર વેન જિઆબાઓને પ્રશ્ન પૂછેલો કે શું ચીનમાં ક્યારેય વ્યક્તિગત સ્વાતંત્ર્યમાં છૂટ-છાટ મળશે કે? ત્યારે તેમને તેનો બહુ જ સકારાત્મક જવાબ આપેલો. જો કે, જયારે આ જ ઇન્ટર્વ્યૂ ચીનના સરકારી ટીવીમાં પ્રસારિત થયો ત્યારે આ સવાલ જેવા બીજા સવાલો પણ સેન્સર થઇ ગયેલા. જો ચીનના શાસકે વિદેશમાં આપેલો ઈન્ટરવ્યૂ સેન્સર થઇ શકતો હોય, તો સામાન્ય માણસ માટે રોજ-બરોજમાં કેટલું સહન કરવાનું આવતું હશે? આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત અને ચીનમાં લોકશાહી માટે ચળવળ ચલાવતા લુ ઝીઓબોને ચીનની સરકારે જેલમાં પૂરી રાખ્યા છે. છેલ્લા સમાચાર મુજબ, નવેમ્બર મહિનાની શરૂઆતમાં વેઇવેઇનો શાંઘાઈમાં બનાવેલો સ્ટુડીઓ 'ગેર કાયદેસર' જાહેર કરીને તોડી પાડવામાં આવ્યો છે. વેઈવેઈ આ તોડફોડની 'ઉજવણી' કરવા ચાહે છે પણ તેને નજરકેદ કરવામાં આવે છે. આખરે તેના પ્રસંશકો અને મિત્રો આ 'ઉજવણી' વેઈવેઈની ગેરહાજરીમાં પૂરી કરે છે. આં, વેઈવેઈની કળા એક ચળવળ બની ચૂકી છે. વેઇવેઇના અનેક વિડીઓ અહી જોઈ શકાશે.
(નોધ: ચીની ભાષાના નામોની જોડણી/ઉચ્ચારો ખોટા હોઈ શકે છે.)

Monday, November 15, 2010

ભારતની પહેલી ફિલ્મ પરની ફિલ્મ - હરીશ્ચન્દ્રચી ફેક્ટરી

કોઈક વખત એવી ફિલ્મ જોવા મળે કે જેમાં એક સીધી-સાદી વાર્તા કહેવાયેલી હોય - ખોટા ઉપદેશ ન હોય, કલાત્મક બનવાનો પ્રયત્ન ન હોય, દર્શકોને બનાવવાનો પ્રયત્ન ન હોય, કંઇક વેચવાનો પ્રયત્ન ન હોય, સાદી વાનગી પર મસાલાનો વઘાર ન હોય. ફિલ્મ તેની વાર્તાને ઈમાનદારીથી વળગી રહે અને સહજતાથી આખી વાર્તા કહેવાઈ જાય. આવી ફિલ્મો મળવી મુશ્કેલ છે અને બહુ વખતે હાથ લાગતી હોય છે. 'હરીશ્ચન્દ્રચી ફેક્ટરી (૨૦૦૯)' કંઇક આવી જ મરાઠી ફિલ્મ છે. ક્યાંકથી બાતમી મળી કે આ ફિલ્મ જોઈ લેવાની એટલે જોઈ લીધી - અંગ્રેજી સબ-ટાઈટલ સાથે.

ફિલ્મનું કથાનક લગભગ સો વર્ષ પહેલાનું છે અને વાર્તા મજાની છે. ધુંડીરાજ ફાળકે નામના ભેજાગેપ માણસને ફિલ્મ બનાવવાનું ભૂત વળગે છે અને તે સમાજથી સામા પ્રવાહે તરીને અને તેની પત્ની તેમજ બાળકોના અદમ્ય સહકારથી  ફિલ્મ બનાવે છે તેની આ કથા છે. આ ફિલ્મ તે 'રાજા હરિશ્ચન્દ્ર' નામની ફાળકેએ ૧૯૧૩માં બનાવેલી ભારતની પહેલી ફીચર ફિલ્મ. વીસમી સદીની શરૂઆતમાં ભારતીય શહેરોમાં મનોરંજન માટે બહાર ફરવા જવું તે દારૂ-જુગારની પ્રવૃત્તિ જેવું ગણાતું. ફિલ્મ-નાટક જેવા મનોરંજન તો અંગ્રેજ અને બીજી પ્રગતિશીલ કોમો પારસી, બહોરા વગેરેમાં જ પ્રચલિત હતા. ભારતમાં અંગ્રેજ-રાજમાં પહેલી વાર, કશાય અનુભવ વગર ફિલ્મ બનાવવાનું માથા પર લેવું અને તેને ભારે તકલીફ વેઠીને પાર પાડવું તે સાહસ માટે જ હવે આપણે ધુંડીરાજ ફાળકેને 'દાદાસાહેબ' તરીકે સન્માનીએ છીએ. 

સમાજમાં નવો ચીલો ચાતરનારને કોઈ ગાંડા ગણે, કોઈ હસી કાઢે, કોઈ સમજાવે ને કોઈ સહાનુભુતિ ઢોળે. છેવટે શાંતિથી જીવવા ન દે. બધા લોકો એક સરખા ગાયોના ધણની જેમ એક બીજાની પાછળ ચાલ્યા કરે તો કઈ વાંધો નહિ પણ કઈ નવું કામ નહિ કરવાનું અને સમાજની પ્રણાલીઓને પર પ્રશ્નાર્થ નહિ લગાડવાનો. ધુંડીરાજ ફાળકેને તેના સગા-વહાલા 'હરિશ્ચન્દ્ર' કહીને બોલાવતા અને મશ્કરી કરતા. પોતાના પ્રિન્ટીંગ પ્રેસના ભાગીદારોથી છુટા પડતા ફાળકેએ તેમને વચન આપેલું કે તે આ ધંધામાં પાછા નહિ ફરે. અને ફાળકે એ ધંધામાં પાછા ન ફર્યા, લોકોએ સમજાવ્યા અને નાણા ધીર્યા તો પણ. તેમણે પોતાની નવી ફેક્ટરી ચાલુ કરી - ફિલ્મ બનાવવાની ફેક્ટરી. તેમણે ફિલ્મ સર્જક તરીકે ૧૯ વર્ષના ગાળામાં ૯૫ ફીચર ફિલ્મો અને ૨૬ શોર્ટ ફિલ્મો બનાવી. ૧૯૩૨ પછી બોલતી ફિલ્મનો જમાનો આવતા ફાળકે નિવૃત્ત થઈને નાસિક જતા રહ્યા. 

આ ફિલ્મએ ફાળકેના પહેલી ફિલ્મ (રાજા હરિશ્ચંદ્ર) બનાવવાના પ્રયત્નોનું નિરૂપણ કરે છે. ફાળકેના તેમની પત્ની સરસ્વતી અને બાળકો સાથેના સંબંધો સરસ દર્શાવાયા છે. ઘણે અંશે ભારતની પહેલી ફીચર ફિલ્મ 'ગૃહ ઉદ્યોગ' હતી અને તેમાં દાદાસાહેબ જેટલો જ તેમના પરિવારનો ફાળો છે. 'ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ' નામની ફિલ્મ જોઇને ફાળકેને ભારતીય પૌરાણિક ફિલ્મ બનાવવાનો વિચાર આવેલો. આ સાથે-સાથે ભારતમાં ફિલ્મ બનાવી શકાય તે સાબિત કરવાની ધૂન પણ જરૂર હશે. ફાળકેએ નોખી માટીના બનેલા હશે એ ચોક્કસ. ફિલ્મ સર્જક તરીકે તેમને રશિયન ફિલ્મ-સર્જક આઈઝેનસ્તાઈન (બેટલશીપ પોટેમકિન, ૧૯૨૫) જેવા મહાન ન કહી શકાય પણ ભારતીય ફિલ્મ જગતને પહેલા ડગલા માંડતા કરવામાં તેમનો ફાળો અનન્ય છે. 

એ સમયે મુંબઈમાં ગોખલે અને ટીળકના નામ બોલાતા હતા પણ ફિલ્મમાં રાજકીય ઘટનાક્રમ કે ફાળકેની દેશ-દાઝ વગેરેની બહુ મહત્વ નથી આપ્યું. વળી, હળવી ફિલ્મ બનાવવા માટે ઘણી ઘટનાઓનું સરળીકરણ થતું હોય છે, જે આ ફિલ્મમાં પણ બન્યું હોય તેવું લાગે છે. જેમકે ફાળકેએ  ફિલ્મ-સર્જન શીખવા માટે કરેલા લંડન પ્રવાસમાં રંગ-ભેદના કે બીજા માઠા અનુભવો ન થયા હોય તે શક્ય નથી. આવા અનેક વાંધા-વચકા કાઢી શકાય પણ એકંદરે ફિલ્મ સરસ બની છે, સરળ છે અને ઝડપથી ગળે ઉતારી જાય તેવી છે. જોઈ નાખો ત્યારે! 
(રાજા હરિશ્ચંદ્ર, ૧૯૧૩નુ એક દ્રશ્ય)

Tuesday, October 19, 2010

વાનર-જગત અને માનવ-જગતની એક અમર કથા

૧૯૬૦નાં દાયકામાં બનેલી અમુક ઘટનાઓ આમ તો સામાન્ય હતી પણ લાંબા ગાળે તેમણે વન્ય-જીવન સંશોધનના ઇતિહાસને બદલી નાખ્યો છે. વાત જાણે એમ છે કે પાશ્ચાત દેશોમાંથી આવતી ત્રણ યુવાન સ્ત્રીઓ જેન ગુડોલ (બ્રિટન), ડાયેન ફોસી (અમેરિકા) અને બીરુત ગાલ્દીકાસ (જર્મની) દુનિયાના સૌથી બિહામણા, ગીચ જંગલોમાં અનુક્રમે ચિમ્પાન્ઝી (તાન્ઝાનિયા), ગોરિલ્લા (રવાન્ડા) અને ઉરાંગ ઉટાંગ (દક્ષીણ-પૂર્વ એશિયા)નો તેમના કુદરતી વાતાવરણમાં લાંબા ગાળાનો અભ્યાસ કરવા જાય છે. શરૂઆતમાં આ ત્રણેય પાસે વન્ય-પ્રાણીઓ અંગેના સંશોધન કરવા અંગે કોઈ અનુભવ ન હતો કે કોઈ ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન પણ ન હતું. તેમની પહેલા કોઈ પણ સંશોધકોએ વન્ય-પ્રાણીઓ પર લાંબા ગાળાના શંશોધનો કુદરતી વાતાવરણમાં, પ્રાણીઓ સાથે જ રહીને કર્યા ન હતા. તેથી જંગલમાં રહેતા મોટા વાનરો અને તેમના સામાજિક સંબંધો, સામુહિક વર્તન,  નર-માદા વચ્ચેના સંબંધો, સંવનન, બે સમૂહો વચ્ચે આદાન-પ્રદાન વગેરે અનેક વિષયો પર કામ થયેલું ન હતું. 
(Leakey Foundation Co-Founder Joan Travis, with the Leakey's Angel's: Galdikas, Goodall and Fossey. Photo courtesy: http://leakeyfoundation.org/about-us/)
આ ત્રણેયને ભેગા કરનાર છે એક ભેદી કે ભેજાગેપ કે પછી ઘણી વાર  વગોવાયેલું વ્યક્તિવ - લુઇસ લિકી. આ ત્રણેય અભ્યાસુઓને કેટલાક લોકો 'લિકી'સ એન્જેલસ'ના નામે પણ ઓળખે છે. લિકીને એવા અભ્યાસુઓ જોઈતા હતા કે જે મોટા વૈજ્ઞાનિક ન હોય તો ચાલે પણ તેઓમાં લાંબો સમય રહીને વાનર-પ્રજાતિનો અભ્યાસ કરવાની તાલાવેલી ધરાવતા હોય. લિકીને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ માટેના જીવંત ઉદાહરણોનો અભ્યાસ કરવાનો ઊંડો રસ. તે સિવાય, લિકીને આ ત્રણેયની સુંદરતામાં પણ રસ ખરો કે આ ત્રણેયના (કે તેમના સંશોધનના) 'સ્વામી-અધિપતિ' થવામાં એ વિષે જાત-જાતની વાયકાઓ છે. પરંતુ આ ત્રણેય સંશોધકોને ત્રણ અલગ-અલગ મોટી કદના વાનરની પ્રજાતિનો લાંબા ગાળાનો અભ્યાસ કરવાનો વિચાર આપનાર અને  શરૂઆતમાં ભંડોળ માટે ભાગ-દોડ કરનાર લુઇસ લિકી વગર આ આખી ઘટના શક્ય નહોતી. તેમની સંસ્થા આજે પણ કાર્યરત છે. 
લુઇસ લિકીથી અંજાયા-ભરમાયા વગર ત્રણેય સંશોધકોએ પોત-પોતાના ચીલા ચાતર્યા. જેન ગુડોલ છેક ૧૯૬૦ની શરૂઆતથી અત્યાર સુધીનો સમય 'ગોમ્બે નેશનલ પાર્ક'માં વિતાવી ચુક્યા છે અને તેઓ ચીમ્પાન્ઝીની બે-ત્રણ પેઢીથી પરિચિત છે. તેમના સંશોધનો પ્રાઈમેટોલોજી, ઝુઓલોજી (પ્રાણીશાસ્ત્ર) અને એન્થ્રોપોલોજી (માનવશાસ્ત્ર)ની દ્રષ્ટીએ અનન્ય છે. જેમકે, ચિમ્પાન્ઝી માત્ર શાકાહારી હોવાની વાત ખોટી છે. તેઓ ધારે ત્યારે માંસભક્ષી પણ બની શકે છે. તે ઉપરાંત, નૂર્વંશશાસ્ત્રની દ્રષ્ટીએ મનુષ્યના પ્રારંભિક કાળના પૂર્વજો, તેમનું સામાજિક કે સામુહિક વર્તન વિશેની ખૂટતી કડીઓ પણ ચીમાંન્ઝીના અભ્યાસ પરથી મળે છે. તેમનું ૧૯૭૧માં પ્રકાશિત થયેલું પ્રથમ પુસ્તક 'ઇન ધ શેડો ઓફ મેન' વિશ્વની ૪૮ ભાષાઓમાં રૂપાંતરિત થઇ ચુક્યું છે અને તેમના પર ઘણી ફિલ્મો બીબીસી અને નેશનલ જ્યોગ્રાફીકે બનાવેલી છે. આજે ૭૪ વર્ષની ઉમરે પણ જેન પોતે અને તેમની સંસ્થા દ્વારા તાન્ઝાનીયામાં ચિમ્પાન્ઝીના સંરક્ષણ અને સંવર્ધન માટે કામ એક  ચળવળની માફક કરે છે. 
લગભગ ડાયેન ફોસીના નસીબમાં વધુ કઠણાઈઓ અને મુશ્કેલીઓ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ 'માઉન્ટેન ગોરિલ્લા'નામે ઓળખાતા ગોરીલ્લાનો અભ્યાસ રવાન્ડાના દુર્ગમ, ભારે ઉંચાઈ ધરાવતા પહાડોમાં સતત ભેજ વાળા વાતાવરણમાં કરવાનો હતો. 'કિંગ કોંગ'ના નામે બદનામ થઇ ચુકેલા આ જંગલી મહાકાય વાનર સાથે ડાયેન બહુ શાંતિ-પૂર્ણ સહ-અસ્તિત્વ ધરાવતી થઇ. તેમના શબ્દોમાં ગોરિલ્લા ' માન-સન્માન ધરાવતા, બહુ જ સામાજિક, સૌમ્ય, અલગ વ્યક્તિત્વ ધરાવવા છતાં કૌટુંબિક સંબંધોમાં માનનારા' પ્રાણી છે. ડાયેને 'ગોરિલ્લાઝ ઇન ધ મીસ્ટ' નામનું આંતર-રાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ૧૯૮૦માં પ્રસિદ્ધ કર્યું. પરંતુ ડાયેનનો સીધો મુકાબલો ગેરકાયદેસર રીતે ગોરીલ્લાનો શિકાર કરતા કેટલાયે જૂથો સાથે થયો. ડાયેન જેમને વર્ષોથી ઓળખતી હતી તેવા કેટલાક ગોરિલ્લાના શબ જંગલમાંથી મળી આવ્યા અને આ ઘટનાઓએ ડાયેનને સંશોધકને બદલે ગોરીલ્લાની સંરક્ષક અને ચળવળકાર બનાવી મૂકી. તેણે સતત ભેજયુકત વાતાવરણમાં રહેવાથી તેની લથડતી તબિયતને ધ્યાનમાં લીધા સિવાય આ શિકારીઓ અને સ્મગલરો સામે લડત આપી. પરંતુ, ૧૯૮૫માં ડાયેનની તેની જ કેબીનમાં ઘાતકી રીતે હત્યા થઇ અને હત્યારાઓ હજુ સુધી ફરાર છે. આખરે ડાયેનને તેણે પોતે અકુદરતી મૃત્યુ પામેલા ગોરિલ્લા માટે બનાવેલા સ્મશાનમાં જ દફનાવામાં આવી. ડાયેન ફોસીના જીવન પરથી હોલીવુડમાં આ ફિલ્મ પણ બનાવવામાં આવી છે. 
જેન અને ડાયેનથી દસેક વર્ષ પછી ઉરાંગ ઉટાંગ પર સંશોધન શરુ કરનાર બીરુત પ્રમાણમાં ઓછા પ્રખ્યાત છે અને તેઓએ મોટાભાગનું જીવન જેન અને ડાયેને સ્થાપિત કરેલી પધ્ધતિઓ પર કામ કરીને અને અધ્યાપન કરીને પસાર કર્યું છે. છતાં એક સંશોધક અને વન્ય-જીવન સંવર્ધક તરીકે તેમનું પ્રદાન પણ અનન્ય છે અને તેઓ આજે કેનેડામાં અધ્યાપનનું કામ કરે છે. 
સનસનીખેજ વાર્તાની બીજી બાજુ
આ આખી ઘટના સનસનીખેજ છે, રોમાંચક છે અને મહદ અંશે ફિલ્મી છે કે પછી વર્ષોથી સમાચાર માધ્યમોમાં ફિલ્મી રીતે 'વેચાઈ' રહી છે. હોલીવુડને આ વાતમાં રસ પડ્યો છે, જે બહુ સ્વભાવિક વાત છે. આ 'વાર્તા'માં રસ પડે છે તેનું કારણ તેમાં 'બ્યુટી એન્ડ બીસ્ટ 'વાળો મસાલો છે. જેન ગુડોલ તો કહે પણ છે કે ઘણી વાર 'એક એકલી સ્ત્રી, ગાઢ જંગલમાં પ્રાણીઓ વચ્ચે ફરે છે' તે વાતને મૂળ સંશોધન કરતા વધુ મહત્વ મળે છે. પણ આ સનસનીખેજ વાર્તામાં મૂળ મુદ્દો છે, જંગલોનું નિકંદન, ગેરકાયદેસર શિકાર અને માનવ યુદ્ધોના ક્રોસ-ફાયરમાં પ્રાણીઓનું સપડાઈ જવા જેવી ઘટનાઓ (જે  રવાન્ડામાં બનેલું). આ પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના પ્રશ્નની બીજી બાજુ છે ઓછી આવક ધરાવતા આફ્રિકન દેશોમાં 'નેશનલ પાર્ક'ના નિભાવ અને ખર્ચ માટે શું કરવું? વાઈલ્ડ-લાઈફ ટુરીઝમ? ડાયેન ફોસીએ તેનો સખત વિરોધ કરેલો. તેના માનવા પ્રમાણે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં છોડી દેવા જોઈએ અને જંગલને 'ઝૂ બનાવવાના' પ્રયત્નો નહિ કરવા જોઈએ. થોડા-ઘણા બચેલા પ્રાણીઓમાં માનવી જેવી (શારીરિક) બીમારી ઘાતક નીવડી શકે છે. આ વિરોધને 'પ્રેક્ટીકલ નથી' એમ કહીને બહુ મહત્વ નહિ મળેલું. પરિણામે, હવે ટુરિસ્ટ જંગલમાં જઈ શકે છે અને ગોરિલ્લાને નજીકથી જોઈ શકે છે. આ આખી પ્રવૃત્તિ નેશનલ પાર્કને ઘણા રૂપિયા રળી આપે છે. 
અહી વન્ય-પ્રાણી સંવાર્ધાના મુદ્દે એ તણાવ તો રહે જ છે - શેને ધંધો બનાવવો અને શેને નહિ? પ્રાણીઓને 'વેચવા' કે નહિ? ક્યાં સુધી વેચવા? જંગલની ઘટતી જતી સીમાઓનું શું? શું આપણે માનવ જાત તરીકે પ્રાણીઓને જંગલમાં શાંતિથી જીવવા દેવામાં માનીએ છીએ અને તેમને નાના-મોટે પડદે જોઇને ખુશ છીએ? કે પછી માનવ જાતને દરેક વસ્તુને 'જોવા લાયક, વેચવાલાયક અને ફોટા પાડવાલાયક' બનાવી જેવા જ રસ છે? 
વાનર-માનવ સ્વભાવની બીજી બાજુ 
કોઈ પરફેક્ટ નથી. માણસ આખરે માણસ છે. 'લીકીઝ એન્જેલસ' પર એવા આરોપો પણ થયા છે કે તેમણે 'વૈજ્ઞાનિક નિરપેક્ષતા'ને બાજુમાં મુકીને પ્રાણીઓ સાથે સંબંધો વધારેલા, પ્રાણીઓનું વધારે પડતું ભાવવાહી વર્ણન કરેલું અને વાનરોને કેળાની 'લાંચ' આપીને તેમની સમાજ-વ્યવસ્થા બગડી મુકેલી. વાનરોની અંદર-અંદર થયેલી અથડામણ માટે જેન ગુડોલની પદ્ધતિઓને જવાબદાર ગણવામાં આવેલા. ડાયેન પર તો એવા આરોપો હતા કે તેણે કોઈ શિકારીના કુટુંબીઓનું અપહરણ કરીને ધાક-ધમકીઓ આપેલી. કોઈ પકડાયેલા શિકારીનું જાહેરમાં ફાંસી આપવાનું ખોટું નાટક પણ કરેલું. ટૂંક માં, એવું કે જેન કે ડાયેન કોઈ મહાન વ્યક્તિઓ નહિ પણ સામાન્ય માણસ હતા અને તેમણે તેમની સામાન્ય બુદ્ધિ અને લાગણીશીલતાથી અમુક નિર્ણયો કર્યા, જે અંતે કોઈના માટે ફાયદારૂપ ન થયા પરંતુ, ડાયેને તેના વાનરોને બચાવતા શહીદી વહોરી છે અને જેન ચિમ્પાન્ઝીના બચાવ માટે દાયકાઓથી કામ કરી રહી છે. 
બીજું, જેન ગુડોલે પણ નવા-સવા અભ્યાસુ તરીકે ચિમ્પાન્ઝીને સંવેદનશીલ અને સૌમ્ય પ્રાણીઓ આલેખેલા. તેના અભ્યાસના વર્ષો બાદ એંસીના દાયકામાં બહુ ભયંકર ઘટના બની. ચિમ્પાન્ઝીઓની વસ્તીમાં કુદરતી વધારો થયો, અંદર-અંદર મારામારી થઇ, બે જૂથ રચાયા અને તેઓ અલગ અલગ રહેવા લાગ્યા. એક દિવસ, એક જૂથના નર વાનરોએ ભેગા થઈને બીજા જૂથના એક એક વાનરોને ક્રુરતાથી બાળકો સહીત મારી નાખ્યા. જેન ગુડોલ કહે છે કે આ ઘટના બાદ હું આ વાનરોને (અને માનવ જાતને) વધુ સમજતી થઇ. બે જૂથોનું રચાવું કુદરતી હતું છતાંય કેટલું ઘાતક હતું? માનવ જાત પણ વાનરોથી બહુ અલગ નથી. ૧૯૯૪માં રવાન્ડામાં જાતીભેદના કારણે ભયંકર ગૃહયુદ્ધ થયું જેમાં દસેક લાખ લોકો હોમાઈ ગયા. આ માનવ ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછીની માનવજાતે સર્જેલી બીજી મોટી કત્લેઆમ હતી. આવી ઘટના વખતે વિચારવાનું મન થાય કે શું માનવ જાત ખરેખર ઉત્ક્રાંતિ પામી છે? 

(લાગે છે આ બ્લોગ પર ઓક્ટોબરનો મહિનો વન્ય-જીવન સ્પેશીયલ બની રહ્યો છે. આ પોસ્ટ બે-ત્રણ ડોક્યુમેન્ટરી ફિલ્મો જોયા પછી લખાઈ છે અને ખૂટતી કડીઓ 'વિકિપેડિયા'એ તેમજ નેશનલ જ્યોગ્રાફિક અને બીબીસીના આર્કાઈવે જોડી આપી છે. બહુ લાંબી પોસ્ટ થઇ ગઈ છે, જો અહી સુધી પહોચ્યા હોવ તો આભાર!)

Tuesday, October 05, 2010

ખોવાયેલો વાઘ-પ્રદેશ

ભૂતાન એક અદભૂત દેશ છે અને ઘણી રીતે અનન્ય છે. દુનિયામાં તેને ઘણી વાર એક રહસ્યમયી પ્રદેશ તરીકે જાણવામાં આવે છે કારણકે આ દેશના ઘણા ભાગો અત્યંત દુર્ગમ છે. ભૂતાનની વસ્તી આજે માત્ર સાત લાખની છે જેનો ઘણો ખરો ભાગ દુર-દુરના દુર્ગમ વિસ્તારોમાં રહે છે. ભૂતાનનો વિસ્તાર ગુજરાત રાજ્યથી પાંચમાં ભાગનો જ છે. ભૂતાનની પશ્ચિમે આવેલા પારોમાં એક-માત્ર એરપોર્ટ છે અને પારોથી પૂર્વમાં આસામ સરહદે આવેલા તોન્ગસાના વિસ્તારમાં જવા માટે જમીન માર્ગે બે થી ત્રણ દિવસ લાગે છે.  ભારત-ભૂતાનની દક્ષીણ સરહદથી લગભગ સપાટ ભૂગોળ સાત હજાર મીટરની ઉંચાઈ સુધી દુર્ગમ પહાડોના રૂપે પથરાય છે. ઉત્તરમાં તિબેટનો ભારે પહાડી વિસ્તાર છે. 
ભૂતાનની સંસ્કૃતિ તિબેટ કે લડાખને મળતી આવે છે છતાં તેની અલગ પહેચાન છે. ૧૯૫૦ના દાયકામાં ભૂતાનનો તિબેટ સાથેનો પરંપરાગત સંપર્ક ચીનના તિબેટ આક્રમણ બાદ તૂટી ગયો હતો. કહેવાય છે કે ભારતના પ્રધાનમંત્રી નહેરુ જયારે ફૂન્શીલીંગ (ભારત-ભૂતાનની સરહદ પર આવેલું ગામ) થી ત્રણેક હજાર મીટરની ઉંચાઈએ આવેલી રાજધાની થીમ્ફૂ ગયેલા ત્યારે તેમને યાક પર સવાર થઈને જવું પડેલું. ત્યારબાદ ભારતે થીમ્ફૂ-ફૂન્શીલીંગ વચ્ચે રસ્તો બનાવવામાં મદદ કરી હતી. જો કે હવે ભારત-ભૂતાન વચ્ચે ઘણા નવા માર્ગો બન્યા છે. ભૂતાનમાં વર્ષોથી રાજ ચલાવી રહેલ વાંગચુક કુળના રાજ્યકર્તાઓ હવે ધીરે ધીરે લોકશાહી તરફ વળી ચુક્યા છે. ભૂતાને 'ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ'ને પોતાનો લક્ષ્યાંક બનાવવા કરતા 'ગ્રોસ ડોમેસ્ટિક હેપીનેસ'ના વિચારને અપનાવેલો છે. ભૂતાનના લોકો સરળ છે, મિલનસાર છે અને હિન્દી સીને જગતના જબરા રસિયા છે. 
૧૯૯૮માં થીમ્ફૂમાં મેં લગભગ ૬ મહિના વિતાવેલા અને તે સમયની વાતો ખૂટવાની જ નથી. પણ વાત આજે માત્ર ભૂતાનની જ નથી કરવી પણ વાઘની કરાવી છે. ભારતમાં વાઘની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. ચીનના ગેર-કાયદેસર ઔષધી માર્કેટમાં વાઘનો ભાવ વધતો ચાલ્યો છે અને એક સમયમાં જ્યાં આખા ભારતમાં વાઘની વસ્તી હતી તે હવે થોડા નાના-મોટા વિસ્તારોમાં સીમિત થઇ ગઈ છે. જંગલ ઘટતા જાય છે અને અમુક અભયારણ્યો લગભગ ઝૂ જેવા બની ચુક્યા છે. જ્યાં વાઘને પણ ખબર હોય કે થોડા સમયમાં એક લોખંડી ડબ્બામાં કોઈ વિચિત્ર પ્રાણીઓ આવશે અને કોઈ ચમકીલા પદાર્થોની ચાંપો દબાવીને ચાલ્યા જશે. કુદરતી અભયારણ્ય અને વાઘની કુદરતી વસાહત સામેના પ્રશ્નો ખડા થયા છે. 
આવી પરિસ્થિતિમાં ભૂતાનનું ભૌગોલિક સ્થાન અને તેના માનવ જગતથી બચીને રહેલા ગાઢ જંગલો વાઘના ભવિષ્ય માટે બહુ મહત્વના છે. છેક ઉત્તરાખંડથી લઈને આસામ સુધી હિમાલયના નીચાણ વાળા ઢોળાવોમાં વાઘની વસ્તી જોવા મળે છે - બહુ જાણીતા કોર્બેટ નેશનલ પાર્કથી કાઝીરંગા સુધી. આ આખા ટાઈગર કોરીડોરમાં મિસિંગ લિંક છે ભૂતાન. ભૂતાનના જંગલો, પર્યાવરણ અને પ્રાણીજગત વિષે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. ત્યારે જાણીતા ટાઈગર-એક્સપર્ટ એલન રોબીનોવિત્ઝની આગેવાની હેઠળ બી.બી.સી.ની એક ટીમ ભૂતાનમાં વાઘની શોધ-ખોળ કરે છે. આ ટીમ માટે ભૂતાનમાં વાઘ શોધી કાઢવા તે વાઘોના ભવિષ્ય માટે  બહુજ મહત્વનું છે અને તે પણ એવા ગાઢ જંગલો અને દુર્ગમ પહાડોમાં કે જ્યાં સામાન્ય માણસ માટે પહોચવું પણ બહુ મુશ્કેલ છે. 
ભૂતાનમાં વાઘ એ સાંસ્કૃતિક પ્રતિક છે. પરંપરાગત ચિત્રકામ કે જે મકાનો પર કરવામાં આવે છે તેમાં વાઘ વારંવાર દોરાય છે. પારો પાસે આવેલા તાક્શાંગ નામના પ્રખ્યાત છતાં દુર્ગમ બુદ્ધ મઠનું હુલામણું નામ ટાઈગર્સ ડેન છે. ઘણી વખત સ્થાનિક પશુપાલકો વાઘ જોવાનો દાવો પણ કરે છે. પરંતુ આ બધાય લોક-સાંસ્કૃતિક પુરાવાઓની સાથે સાથે વૈજ્ઞાનિક પુરાવા પણ જોઈએ. કદાચ બીજા શબ્દોમાં કહીએ તો પશ્ચિમી નિષ્ણાતોની મોહર જોઈએ કે જેથી ભૂતાનમાં વાઘ-સંવર્ધન માટેના માર્ગ અને નાણાની કોથળીઓ ખુલ્લી થાય. ભૂતાનના જંગલોમાં વાઘોની કુદરતી વસાહતો ઉભી કરી શકાય કે જ્યાં ભારતના જંગલોમાંથી વાઘ આવે, તેમની સંખ્યામાં વધારો થાય અને તે બીજા અભયારણ્યોમાં એક જનીની રીતે મજબુત અને  તંદુરસ્ત પ્રજાતિને પાછા લઇ જઈને વસાવી શકાય.   
આ નિષ્ણાતોની ટીમ બહુ જ રસપ્રદ અને સુખદ જાણકારી લઇ આવે છે. આ ટીમ માનવ ઇતિહાસમાં પહેલી વાર વાઘને ચાર હજાર મીટરની ઊંચાઈ પર શોધી કાઢે છે અને તેની ફિલ્મ બનાવે છે. બીબીસીએ આ આખી ઘણા પરથી 'લોસ્ટ લેન્ડ ઓફ ટાઈગર્સ'ના નામે ત્રણ કલાકનો સરસ પ્રોગ્રામ બનાવ્યો છે. આ આખા અભીક્રમ વિષેના સમાચાર અહી અને અહી વાંચી શકાશે. ભૂતાનમાં ફિલ્મ બનાવવાનો અનુભવ અહી વાંચી શકાશે.  આ લિંક પર આ આખાય કાર્યક્રમની હાઈલાઈટ્સ વિડીયો રૂપે જોઈ શકાશે. એલન રોબીનોવીત્ઝ લ્યુકેમિઆ નામનો અસાધ્ય રોગ ધરાવે છે અને તેમને છેલ્લા શ્વાસ સુધી વાઘની વસ્તીને બચાવવા ઝઝૂમવા માંગે છે. તેમના ટાઈગર કોરીડોર વિષે વધુ અહી વાંચી શકાશે. 
વાઘ નામે પ્રાણી મને બહુ ગમે છે અને ભૂતાન નામનો દેશ પણ. આ આખીય ઘટના અને કાર્યક્રમો મારા માટે ડબલ મઝા હતી. એવી આશા રાખીએ કે દક્ષીણ એશિયામાં વાઘ અમર રહે અને આપણી આવનારી પેઢીઓને આ કુદરતે સર્જેલા સૌથી રોફ્દાર, ખતરનાક છતાંય સુંદર પ્રાણી સાથે આ જ ગ્રહ પર (અલબત્ત, એક બીજાથી દૂર-દૂર) જીવવાની તક મળે. 

Wednesday, September 22, 2010

પાણીનું શહેર અને તરસનું શહેર


દુનિયાના સૌથી મહાન શહેરોની ખાસિયત શું? જ્યાં મનભરીને ચાલવાની મજા આવે અને છતાંય શહેર ન ખૂટે. અલગારી રખડપટ્ટીની સરળતા કરી આપે તેવા શહેરો. કે જેમાં પેકેજ ટુર પ્રમાણે ફરવું એટલે કોઈ સુંદર આખે-આખા ગીતની જગ્યાએ તેની ટયુન સંભાળીને ચલાવી લેવું કે કોઈ સુંદર સિમ્ફનીમાં માત્ર અમુક જ વાજિંત્ર સંભાળવા. મહાન શહેરો આખે-આખા ફરવાલાયક કે ચાલવાલાયક હોય છે અને આ શહેરોના ભાગ માત્ર હોવું તે જ સૌથી મજાનો અનુભવ છે. મેં જોયેલા શહેરોમાં મારી 'મહાન'ની વ્યાખ્યામાં ફીટ થતા બે શહેરો આજે ખાસ યાદ કરવા છે - બાથ અને જેસલમેર. એક પાણીનું શહેર અને એક તરસનું શહેર. બાથ શહેર નામ પ્રમાણે પાણી અને પાણીના ઉપયોગની પદ્ધતિઓની આસ પાસ રચાયેલું શહેર છે અને જેસલમેર મરૂભૂમિની છાતી પર તરસ્યાની પરબ જેવું શહેર છે.
બાથ શહેરમાં થોડો-ઘણો સમય વિતાવ્યા બાદ ક્યારેય આ શહેર ભૂલી શકાયું નથી અને તેની સાથે કોઈ અગમ્ય કારણસર જેસલમેરનો સતત પડછાયો રહે છે. દુનિયાના બે જુદા જુદા ખૂણે આવેલા, એક બીજાથી સંપૂર્ણપણે જુદી સંસ્કૃતિ, હવામાન, ખાન-પાન, રીત-રસમ, સ્થાપત્ય ધરાવતા શહેરોમાં સામ્યતા શું? પાણી અને પથ્થર - બાથ આખું પાણી-દાર શહેર છે, જયારે જેસલમેરમાં પાણી નહિ હોવાની યાદ વારંવાર આવે છે. જેસલમેરના પ્રખ્યાત પથ્થર જાણે સૂર્યના આકરા કિરણોમાં પાકીને સોનવર્ણ પીળા થયા છે. જયારે બાથની ભેજયુક્ત આબોહવા ઝીલીને અહીના પથ્થર સતત ભીનાશની અસર ધરાવતા આછા પીળા રંગના છે. આજ સામ્યતા  છે આ બંને શહેરોમાં  - પથ્થરોનો સુંદર ઉપયોગ અને પથ્થરમય કવિતા જેવા શહેરી સ્વરૂપો. જેસલમેરનું સ્થાપત્ય અને શણગારેલી જાળીઓ સૂર્યને ચાળણીની જેમ ચાળી નાખીને પરોક્ષ રીતે મકાનોમાં લઇ આવે છે. જયારે બાથમાં રોમન અસર તળે બંધાયેલા સ્થાપત્યમાં સૂર્યની એન્ટ્રી સીધી પડે છે, ખુલ્લા ચોક અને ચોગાનો દ્વારા. ઈંગ્લેન્ડના શહેરોમાં બાથ શહેર જેવી સુંદરતા ક્યાય જોવા મળતી નથી તો પછી રાજસ્થાનના સુંદર શહેરો વચ્ચે જેસલમેર અનન્ય છે. 
બાથનું ઐતિહાસિક મહત્વ એ છે કે બે હજાર વર્ષ પહેલા જયારે રોમનો બ્રિટીશ ટાપુઓ પર સામ્રાજ્ય ભોગવતા ત્યારે આ શહેરને ખાસ આનંદ-પ્રમોદ (અને નાહવા)ના સ્થળ તરીકે વિકસાવેલું. આખા ઇંગ્લેન્ડમાં એક માત્ર બાથમાં કુદરતી પાણીના ઝરા છે, જેનો ઉપયોગ રોમનોએ અદભુત રીતે કર્યો. આજે આપણને નવાઈ લાગે પણ રોમન કાળમાં નાહવું એ સામાજિક ઘટના હતી. અહી નાહવાની વ્યાખ્યામાં - મિત્રો સાથે મળવું, ગપ્પા-ગોષ્ઠી કરવી, ખાણી-પીણી કરવી અને સાથે સાથે વરાળ-સ્નાન, ઠંડા અને ગરમ પાણીમાં, ખાસ ખનીજરૂપી દવાઓ ધરાવતા પાણી વગેરેમાં સ્નાન કરવું - એમ બધું જ આવી જતું. એકંદરે રોમન બાથ તરીકે ઓળખાતા આ કેન્દ્રો તે બધા પ્રકારના મનોરંજન ધરાવતા સામાજિક-સંસ્કૃતિક કેન્દ્રો હતા. બહુ પ્રખ્યાત એસ્ટેરિક્સ ની કોમિક બૂક સીરીઝ રોમન સુવર્ણ કાળના ઇતિહાસનું સારી રીતે દસ્તાવેજીકરણ કરે છે. પુસ્તકમાં એસ્ટેરીક્સ અને તેનો ખાસ જાડિયો ભાઈબંધ ઓબેલિક્સ એક બાથની મુલાકાત રોમ શહેરમાં લે છે. વર્ણન પરથી તેમના વિષે અને તે સમયના ઈતિહાસ વિષે વધુ જાણી શકાશે. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે રોમન બાથ તે શહેરી સંસ્કૃતિના મોભાદાર પ્રતિક હતા અને આજની કોઈ ક્લબને સમકક્ષ હતા. 
બાથ શહેરમાં ચાલવાલાયક અને માણવાલાયક ઘણા વિસ્તારો છે જ્યાં વાહનોને પ્રવેશ નથી. તે સિવાય આ શહેરમાં કઈને કઈ અવનવું થતું રહે છે. થોડા સમય પહેલા શહેરના એક-બે મોટા પ્લાઝામાં પિયાનો મૂકી રાખવામાં આવેલા. જેને મન થાય તે આવીને વગાડો. ન આવડે તો પણ વગાડો. ઘણી વાર જાણકાર વ્યક્તિઓ આવીને આંગળીને ટેરવે સંગીતની સરવાણીઓ રેલાવી જતા. આ આખો અભીક્રમ 'પ્લે મી, આઈ એમ યોર્સ' ના નામે ઓળખાય છે અને લ્યુક જેરમ નામના કલાકારના ભેજાની પેદાશ છે. બાથમાં રહેલા જાહેર સ્થળોમાં થતા અવનવા અખતરા માટે લાગે છે કે એક આખી નવી પોસ્ટ જ લખવી પડશે. 

પણ છેલ્લે, કાગડા બધે કાળા. કોને જાહેર જગ્યા પર આવા વિચારોને અમલમાં મુકીને પિશાચી મજા આવતી હશે? કોઈ બે ઘડી પોરો લેવા બેસે તો તમારા ....નું શું જવાનું હતું... 

જાહેર સ્થળોનો જેટલો ઉપયોગ થાય તે ઓછો. કોઈ પણ શહેરમાં ચાલવાલાયક કે માણવાલાયક જગ્યાઓ ન હોવી તે જ સૌથી મોટી ગરીબી છે. કોઈ એક શહેરના જાણીતા મેયરે કહેલું તેમ, જો કોઈ શહેરમાં ફરવાલાયક જગ્યાનું સ્થાન શોપિંગ મોલ લઇ લે તો સમજવું કે તે શહેર બીમાર છે.

Thursday, September 02, 2010

પાર્કિંગ - જન્મસિદ્ધ અધિકાર?


  • પાર્કિંગએ મારો જન્મસિદ્ધ અધિકાર છે.


  • તુમ મુઝે બીઝનેસ દો, મેં તુમ્હે પાર્કિંગ દુંગા.


  • મફતમાં પાર્કિંગએ માંગવાની વસ્તુ નથી, છીનવી લેવાની વાત છે.

  • સ્વતંત્રતાના અને સ્વાયતત્તાના વિચારનો સૌથી વધારે અમલ જો કોઈ સામાજિક પ્રવૃત્તિએ કર્યો હોય તો તે છે પાર્કિંગની પ્રવૃત્તિ. કેટલાક લોકો તો મફતમાં પાર્કિંગ કરી લેવાને કળાનો દરજ્જો આપતા હોય છે. પોળમા ખરીદી કરવા જતી વખતે પાર્કિંગ કરી આપવા વાળા માણસને ખાસ સાધવામાં આવે છે અને તે વ્યક્તિ કોઈનું કરી જવાનો હોય એ અદાથી પાર્કિંગ કરી આવે છે. પુ.લ.દેશપાંડેએ 'ભાત-ભાતકે લોગ' નામના પુસ્તકમાં જાત-જાતના લોકો વર્ણવ્યા છે, લગ્ન પાર ઉતારનારા, કોઈને કોઈ મંડળીના સભ્ય-મંત્રી તરીકે જીવન વિતાવનારા, સંગીત પ્રેમી, ચોખલીયા વગેરે વગેરે તેમાં 'પાર્કિંગ કરી આપનારો' વર્ગ ચોક્કસ શામેલ થઇ શકે.આ બ્લોગમાં ફરી એક વાર મરીઝના શેરનો 'દુરુપયોગ' કરીએ તો:
    નથી તારામાં કોઈ વિધી પાર્કિંગ,
    ગમે ત્યાં ગમે ત્યારે કર્યું પાર્કિંગ.
    ખુદા તારી ન્યામતનું શું પૂછવાનું,
    રસ્તાને ગલીઓમાં દીધું તે પાર્કિંગ.

    પાર્કિંગનો મુદ્દોએ લલિત-નિબંધો, હાસ્ય-લેખોથી લઈને સરકારી નીતિઓ સુધીમાં સતત અવગણના પામેલો મુદ્ધો છે. નવાઈની વાત તો એ છે કે પાર્કિંગ વિષય જ બહુ સંવેદનશીલ છે અને બહુ વિચિત્ર રીતે વ્યક્તિના ઈગો સાથે સંકળાયેલો છે. પાર્કિંગ ન કરવા દેવું તે અંગત આક્રમણ સમાન છે. અમદાવાદમાં પાર્કિંગના મુદ્દે સોસાઈટી કે રહેણાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ સુદ્ધાં બની છે. લોકો મફત પાર્કિંગ નહિ કરવા દે તેવા મોલમાં જવાનું જ બંધ કરી દે છે. કારમાં બેસીને ખાવું અને પાર્કિંગમાં બેસીને ખાવું તે હવે આપણી લોક-સંસ્કૃતિનો અનન્ય હિસ્સો છે. મને અમદાવાદમાં મ્યુનીસીપલ માર્કેટ જેવા એરિયાને જોઈને વારંવાર એવું થાય છે કે જો દુકાનોની વચ્ચોવચ હજારો વાહનોની જગ્યાએ ફુવારા સાથેની સરસ ખુલ્લી જગ્યા ન થઇ શકે? આ વાત માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી પણ બધા જ નાના-મોટા શહેરોમાં આવેલા ખાણી-પીણીના માર્કેટ કે ગામના ચોકમાં કોઈ જ ખર્ચ વગર કરી શકાય તેવી વાત છે. તમે કોઈ પણ જગ્યાએથી વાહનો હટાવો તો તરત જ તે જગ્યાએ નાના બાળકો રમતા દેખાશે.


    આગળની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે આડેધડ કરાયેલા પાર્કિંગને કારણે જો સૌથી વધારે કોઈ પ્રવૃત્તિનો ભોગ લેવાતો હોય તો તે છે ચાલવાની પ્રવૃત્તિ. આપણે ત્યાં થોડી ઘણી બચેલી ફૂટપાથો પર પાર્કિંગના પાથરણાં હોય છે તેથી રાહદારીઓ રસ્તા પર ચાલે અને પાછળથી આવતા વાહનો તેમને સતત ડરાવે-ધમકાવે છે. તો હવે પાર્કિંગએ કેટલી જાહેર સમસ્યા છે અને કેટલી અંગત સમસ્યા છે? જેમ સરકાર કોઈ વ્યક્તિ તેના કપડાં, ફર્નીચર અને નાહ્યા પછી ટુવાલ ક્યાં મુકે છે તેની ચિંતા કરતી નથી તો પછી સરકારે કોઈ વ્યક્તિ પોતાનું અંગત વાહન ક્યાં મુકે તેની ચિંતા કેમ કરવી જોઈએ? બીજી રીતે જોઈએ તો તમે કોઈ તમારું ફર્નીચર રસ્તા પર મુકો છો. એમ કરવાથી તમે એક જાહેર જગ્યાને અંગત બનાવી નાખી. પાર્કિંગનું પણ એવું જ છે. જયારે તમે તમારું વાહન રસ્તા પર મુકો છો ત્યારે તમે તે બહુમુલ્ય જાહેર જગ્યાને અંગત બનાવી નાખી. આમ, આપણું અંગત પાર્કિંગ કે આપણા મકાનનું પાર્કિંગ તે સરકારની વહીવટી જવાબદારી નથી અને સમાજની સહિયારી જવાબદારી પણ નથી. આપણે વાહન ચલાવીને કે વાહન રાખીને કોઈના પર ઉપકાર નથી કરતા. પાર્કિંગએ વધુમાં વધુ વ્યક્તિગત કે બિલ્ડીંગના મેનેજમેન્ટની સમસ્યા છે. જો કે પાર્કિંગ શોધવું અને કરવું તે એક અંગત સમસ્યા છે અને રસ્તાના એક ભાગ પર કોઈનો પણ હંગામી ધોરણે પણ માલિકી હક નથી. હા, સરકાર પાર્કિંગ અંગેના નિયમો જરૂર બનાવી શકે, તેનું પાલન કરાવી શકે અને પાલન ન થાય તો દંડ કરી શકે પણ પાર્કિંગ ઉભું કરવું તે સરકારની મૂળભૂત ફરજ તો નથી જ.  સરકાર વધુમાં વધુ જાહેર સ્થળ પર પાર્કિંગના વ્યવસ્થાપન માટે સવલતો ઉભી કરી શકે અને તેની ફી પણ લઇ શકે.

    અમેરિકાના એક વિદ્વાન પ્રોફેસર ડોનાલ્ડ શુપનું એવું માનવું છે કે મફત પાર્કિંગ કરવાનું બહુ મોટું મૂલ્ય બાકીનો સમાજ ભોગવે છે. તેમના વિશે વધુ અહી. તેમની મૂળ દલીલ બહુ જાણીતી છે કે મફત આપેલી વસ્તુઓનો દુરુપયોગ થાય છે. મફત પાર્કિંગ હોય તો વાહન લઈને જવાનું મન વધારે થાય. વાહન ત્યાંને ત્યાં વધારે સમય માટે મૂકી રાખવાનું મન થાય. જેટલી વધુ છૂટ તેમ જ્યાં વધારે જગ્યામાં ઓછા વાહનો પાર્ક થાય. એકંદરે વાહનવાળા રાજા સાબિત થાય અને રસ્તે ચાલતા લોકો વધેલી-ઘટેલી જગ્યામાં ચલાવી લે કે પછી ફૂટપાથ મુકીને રસ્તા પર ચાલે. મફત પાર્કિંગના લીધે થતો બીજો મોટો પ્રશ્ન એ છે કે વધુ પાર્કિંગની જરૂરીયાત ધરાવતા બિલ્ડીંગ, મોલ, ટ્યુશન ક્લાસ વગેરે જાહેર રસ્તાનો ઉપયોગ તેમના 'અંગત' પાર્કિંગ માટે કરે છે અને તેમને નિયંત્રિત કરવાનો કરવાનો ઉપાય જાહેર રસ્તા પરના પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાનો જ રહે છે. ઘણા સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે ખરેખર પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાથી બિન-જરૂરી પાર્કિંગ ગાયબ થઇ જાય છે અને ચાલવા માટે 'રસ્તાઓ' ખુલે છે.

    તેથી જ તો જો રસ્તા પર પાર્કિંગ કરવાના પૈસા આપવા પડે તો તેને જાહેર રસ્તાનો ઉપયોગ કરવાનું ભાડું ગણવું. સી.જી. રોડ પર છ ફૂટ બાય બાર ફૂટ (કાર) કે ત્રણ ફૂટ બાય છ ફૂટ(બાઈક)ની કમર્શિયલ જગ્યાનું એક દિવસનું અને અમુક કલાકનું ભાડું ગણી જુવો અને પછી પાર્કિંગના કેટલા પૈસા આપો છો તે જુવો તો એવું લાગશે કે આખો દિવસ રસ્તા પર વાહન મૂકી રાખવાની પ્રવૃત્તિ કરીને, ટ્રાફિક અને ચાલવાવાળાને મુશ્કેલી ઉભી કર્યા બાદ પણ પાર્કિંગ ચાર્જમાં મોટી સબસીડી મળે છે. સિંગાપુરના એક પ્રોફેસર પોલ બાર્ટરએ એશિયાના લગભગ ચૌદેક શહેરોના પાર્કિંગની સમસ્યાનો અભ્યાસ કરીને તેમના અનુભવો આ બ્લોગ પર મુક્યા છે. તેમની એક પોસ્ટ જણાવે છે કે ભારતના શહેરોમાં કોઈ જગ્યાનું કમર્શિયલ ભાડું અને પાર્કિંગની ફી વચ્ચે બહુ મોટો તફાવત છે જે દુનિયાના મોટો ભાગના શહેરોમાં નથી, તેથી જ આ શહેરોમાં પાર્કિંગ કંટ્રોલમાં છે. કમર્શિયલ એરિયામાં કરેલું મફત પાર્કિંગ તે પોતાના મકાનમાં પાર્કિંગની સુવિધા નહિ આપી શકેલા બિલ્ડરને છુપી મદદ કરે છે.

    એક એવી બહુ પ્રચલિત માન્યતા છે કે વધુ અને વધુ પાર્કિંગની સવલતો આપવાથી પાર્કિંગની સમસ્યાનો નિકાલ થશે. તેથી જ તો છાશવારે એવા સમાચારો છપાય છે કે મ્યુનીસીપલ કોર્પોરેશન બહુ-માળીય પાર્કિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવશે. આમાં સામાન્ય બુદ્ધિ લગાવીએ તો એવો સવાલ જરૂર થાય કે જો હું રસ્તા પર મફત પાર્કિંગ કરી શકું તો પછી મકાનમાં પૈસા આપીને પાર્કિંગ કરવા શું કામ જાઉં? આવો ખોટો ખર્ચ શા માટે? એ મકાનો માટે કે જેમણે પોતે પાર્કિંગની વ્યવસ્થા નહિ કરી અને તે હવે જાહેર જગ્યાનો દુરુપયોગ કરે છે. પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો પ્રશ્ન છે. પાર્કિંગની સમસ્યા, સમસ્યા એટલા માટે છે કે કારણકે પાર્કિંગને જાહેર સેવાની તુલના આપવામાં આવે છે કમોડીટી કે લેતી-દેતીની ચીજની નહિ. પાર્કિંગ એક સવલત જરૂર છે પણ જન્મસિદ્ધ અધિકાર ક્યારેય નહિ. બદનસીબે, તળાવ કે લેક-ફ્રન્ટ એ જાહેર જગ્યા છે કમોડીટી નહિ પણ તેનો વેપલો થાય. તળાવ જોવા જવાના પૈસા લેવાય છે અને તે પણ મફતમાં પાર્કિંગ કર્યા પછી.

    Friday, July 23, 2010

    એક ભૌગોલિક ગૂંચવાડો - એક સંવાદ

    પિંકી: પપ્પા, મારે આજે નદી વિષે નિબંધ લખવાનો છે. મારા ભૂગોળના પાઠમાં આવે છે કે અમદાવાદ સાબરમતીને કિનારે વસેલું છે તે સાચી વાત છે?
    પપ્પા: હા, કેમ? તને ખબર નથી? પેલા દિવસે તને નદી બતાવી હતીને પુલ ઉપરથી...અને તારો તો જનમ પણ અમદાવાદમાં થયેલો છે, એકદમ નદી કિનારે... 
    પિંકી: પણ પપ્પા, તમે તો કહેલું કે તમે જયારે નાના હતા ત્યારે સાબરમતીમાં પાણી જ નહિ હતું અને તમે તેના પટમાં સર્કસ જોયેલું, તો હવે પાણી ક્યાંથી આવ્યું?
    પપ્પા: બેટા, સાબરમતી નદી શહેરમાં પ્રવેશે તે પહેલા નર્મદાની નહેર આવેલી છેને, ત્યાંથી પાણી છોડવામાં આવે છે. એટલે અત્યારે પાણી ભરેલું લાગે છે અને પાછુ ચોમાસામાં તો સાબરમતીમાં પાણી પણ હોય છે. 
    પિંકી: પણ બારેમાસ પાણી તો નર્મદાનું હોય છે તો પછી વધારે પાણી નર્મદાનું કહેવાય કે સાબરમતીનું?
    પપ્પા: નર્મદાનું જ તો વળી...
    પિંકી: તો પછી આપણે નદીનું નામ બદલીને નર્મદા જ કરી નાખવું જોઈએ...હું તો એમ જ લખવાની છું કે મારું શહેર નર્મદા નદીને કિનારે વસેલું છે.  
    (પપ્પા ચુપ...)
    પિંકી: પપ્પા... તો નર્મદાનું પાણી હમેશા ભરેલું જ કેમ રહે છે? શું એટલું બધું પાણી છોડવામાં આવે છે? 
    પપ્પા (ફરી સ્માર્ટ બનવાના પ્રયત્ન સાથે): બેટા, એમાં એવું છે ને કે નદીના બીજા છેડે વાસણાથી આગળ એક બંધારો બનાવેલો છે તેથી શહેરનો જેટલો ભાગ છે તેમાં પાણી ભરાયેલું લાગે...
    પિંકી: એટલે આ પાણી સ્થિર કહેવાય કે વહેતું પાણી કહેવાય. 
    પપ્પા: અં...મોટે ભાગે તો સ્થિર જ કહેવાય... 
    પિંકી: પણ પપ્પા, અમને ભૂગોળના બેને એવું ભણાવેલું કે નદીમાં વહેતું પાણી હોય અને તળાવમાં સ્થિર પાણી હોય. એનો મતલબ કે આપણે તળાવ કિનારે રહીએ છીએ, નદી કિનારે નહિ. 
    પપ્પા: પણ બેટા... 
    પિંકી: તમે જ મને ખોટું ખોટું કહીને કન્ફયુઝ કરો છો... હવે હું મારો નિબંધ કેવી રીતે લખીશ. મેં તો નદી જોઈ જ નથી. અને મારા ભૂગોળના પાઠમાં ય ખોટું લખેલું છે અને તમને ય ખબર નથી... મને છેલ્લી વાર કહી દો કે કે આપણે નદી કિનારે રહીએ છીએ કે તળાવ કિનારે અને કઈ નદી કે તળાવ, સાબરમતી કે નર્મદા?!?!?
    પપ્પા (અકળાઈને): જા એક કામ કર, મમ્મીને જઈને પૂછ...
    પિંકી: મમ્મીની ઓફીસ આજે ચાલુ છે અને મમ્મીએ તો કહેલું છે કે તેને તમારા સિવાય કોઈ પણ વિષયમાં સવાલ પૂછવા નહિ... 
    (પપ્પા છાપામાં માથું ખોસે છે અને પિંકી 'એક નદીની આત્મકથા'ના વિષય પર નિબંધ લખવાનું વિચારે છે.)

    Friday, July 02, 2010

    સાઈકલમ્ શરણમ્ ગચ્છામી!

    મારા અમુક સાઈકલબાજ મિત્રો (એટલે કે સાઈકલીંગ કરતાં મિત્રો) સાઈકલને વિજ્ઞાન જગતમાં પૈડાં અને આગની શોધ પછી બહુ મહત્વપૂર્ણ સંશોધન માને છે. મને વારંવાર કહે છે કે સાઈકલ નામની વસ્તુની કિંમત માનવમાત્રના ઇતિહાસમાં બહુ ઓછી અંકાઈ છે અને જો દુનિયામાં બધા સાઈકલ કરતાં થાય તો જગતના ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિચાર કરો કે એક એવું શહેર જ્યાં બધા સાઈકલ ચલાવતા હોય તે કેવું હશે? - લીલોતરીભર્યું, પ્રદુષણ-રહિત, સ્વસ્થ લોકોવાળું. જો કે વાત પણ સાચી છે કે પર્યાવરણની દ્રષ્ટીએ ઉપયોગી, સ્વાસ્થ્યની રીતે લાભદાયક, નિર્મળ, નિરુપદ્રવી અને નિષ્પાપ(!) એવી સાઈકલનો ઉપયોગ દિવસે-દિવસે ઘટતો ચાલ્યો છે. ભારત સરકારના રીપોર્ટ મુજબ ૧૯૯૪માં મુખ્ય ત્રીસ શહેરોમાં ટ્રાફિકનો લગભગ ત્રીસ ટકા હિસ્સો સાઈકલોનો હતો જે ઘટીને ૨૦૦૮માં ૧૧ ટકા થયો છે. કોઈ તેને 'વિકાસ'ની નિશાની માની શકે પરંતુ ટ્રાફિકની ગીચતા અને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોની રીતે જોઈએ તો આ એક ગંભીર સમસ્યા છે. ઓછી સાઈકલો એટલે વધુ કાર્બન ધુમાડા.

    આ મિત્રોની દેખાદેખી અને એમની સખત સાઈકલ-દાઝ જોઇને મને પણ સાઈકલ લેવાનું મન થઇ આવ્યું. આસપાસ ઈ-મેલ કરવામાં આવ્યો કે બ્રિસ્ટલ શહેરમાં સાઈકલ ક્યાંથી, કેટલામાં અને કેવી ખરીદવી અને એક જ કલાકમાં છ જવાબ આવ્યા. તેમાંથી પાંચે જેક'સ બાઈક્સ નામની સાઈકલના વર્કશોપ (દુકાન નહિ!) તરફ આંગળી ચીંધી. જેક બહુ રસપ્રદ વ્યક્તિ છે અને એ લગભગ એવું માને છે કે સાઈકલો વચ્ચે જીવવા માટે એનો જન્મ થયો છે. એના વર્કશોપની વેબસાઈટ છે જે સાઈકલીંગ અંગેના સામાન્ય જ્ઞાનનો ભંડાર છે. તમે અપોઈન્ટમેન્ટ વગર જાઓ તો તે દરવાજો ખોલતો નથી. તે સાઈકલ રીપેર કરતો કે વેચાતો ન હોય ત્યારે તે સાઈકલ રીપેરીંગ, સાઈકલ આર્ટ વગેરેના ક્લાસ ચલાવે છે. એની વેબસાઈટ પરના વાર્ષિક અહેવાલમાં એવો દાવો કરે છે કે તે તેના વર્કશોપમાંથી સામાન્ય પગાર લે છે અને મોટા ભાગના નફાનો ઉપયોગ નવી સાઈકલો લાવવામાં અને સાઈકલીંગના પ્રચાર-પ્રસારમાં કરે છે. જો કે તે કોઈ પણ સમયે તમને 'કોઈ પણ શહેરમાં સાઈકલીંગની સંસ્કૃતિ હોવી કેટલી મહત્વની છે' તે વિષય પર લેકચર આપી શકે છે.

    શરૂઆતમાં મને સખત અકળામણ થઇ કે આ શું છે? એક સાઈકલ લેવા માટે વેબસાઈટ પર ફોર્મ ભરો જેમાં તમારી ઊંચાઈ, વજન, કેવી સાઈકલ ગમે, બજેટ અંગે માહિતી આપો, અઠવાડિયું રાહ જુવો, પછી તેનો ઈમેલ આવે એટલે અપોઈન્ટમેન્ટ લો અને પછી છેવટે તમે સાઈકલ જોવા પામો. એક સાઈકલવાળા જોડે આ પ્રકારના ફોર્મલ સંબંધનું વિચારી પણ ન શકાય. સાઈકલની દુકાન પહોચી જવાની જગ્યા હોય અપોઈન્ટમેન્ટ લેવાની નહિ. બ્રિસ્ટલમાં એવી બીજી ઘણી દુકાનો છે કે તમે ત્યાં ધારો ત્યારે ટપકી પડો અને તમને સારો આવકાર મળે. પણ આ જેકનું કામ-કાજ જ અલગ છે. અપોઈન્ટમેન્ટ પ્રમાણે હું તેના વર્કશોપ પર પહોંચ્યો. સાઈકલ તૈયાર હતી અને જેકે મને 'ટેસ્ટ રાઈડ' લેવાનો આગ્રહ કર્યો. ટેસ્ટ રાઈડ પ્રમાણે સાઈકલમાં નાના ફેરફાર કરવામાં આવ્યા અને મને વણમાંગી સલાહ આપવામાં આવી કે જો તમે એડીની જગ્યા એ પગના પંજાનો ઉપયોગ પેડલ મારવામાં વધારે કરશો તો આખા પગને સારી કસરત મળશે. તે સિવાય મને સાઈકલની સમયસર માવજત કરવા માટે નાની-મોટી સલાહો રસપૂર્વક આપવામાં આવી અને તે માટેના ઉપયોગી સાધનો ક્યાંથી અને કેવા ખરીદવાની માહિતી પણ આપવામાં આવી. આખા અનુભવમાં ધીરજના ફળ મીઠા નીવડ્યા. આ સાઈકલવાળો ઉર્ફ જેક જાણે એક ચળવળ ચલાવતો હોય તે રીતે સાઈકલ વેચે છે તે જાણીને મજા આવી.

    હવે હું બ્રિસ્ટલમાં મારા અસ્થાયી રોકાણ દરમ્યાન સાઈકલનો ઉપયોગ રોજ કરું છું. બ્રિસ્ટલને એમ તો યુ.કે.ના સૌ પ્રથમ 'સાઈકલીંગ સિટી'નો દરજ્જો મળેલો છે. અહી સાઈકલીંગની સુવિધાઓ શ્રેષ્ઠતમ નથી પણ પ્રયત્નો થઇ રહ્યા છે. સીટી કાઉન્સિલની વેબસાઈટ પર ક્યાં સાઈકલીંગ કરવું, કઈ નવી જગ્યાઓ શોધવી, કેવી રીતે સાઈકલબાજોના ગ્રુપમાં જોડાવું, કેવી સાઈકલ લેવી વગેરએ પુષ્કળ માહિતી ઉપલબ્ધ છે. અમદાવાદ કરતા રસ્તાઓ સાંકડા હોવા છતાં અને વાહનોની સંખ્યા વધુ હોવા છતાં બ્રિસ્ટલમાં અમુક જગ્યાઓએ સાઈકલ માટેના અલગ રસ્તા છે. ચાલવા માટેની સુવિધાઓ તો બધે છે જ. પણ સાથે સાથે સાઈકલીંગની સંકૃતિ છે અને સાઈકલબાજોના ગ્રુપ છે. અહી આવા જ એક સાઈકલબાજના મૃત્યુ બાદ તેની અંતિમ-યાત્રા સાઈકલના બનેલા વિશેષ વાહન પર નીકળવામાં આવેલી અને તેમાં માત્ર સાઈકલ ચાલકો જ જોડાયા હતા, તેનો વિડીયો અહી જોઈ શકાશે. મરીઝનો પ્રખ્યાત શેર આમને કંઇક આ રીતે લાગુ પડે છે કે,
    મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક સાઈકલ જ કાયમ રહી છે.
    જનાજો જશે તો જશે સાઈકલે સાઈકલે, જીવન પણ ગયું છે તેને જ સહારે.

    શાળાજીવનમાં સાઈકલ વાપર્યા બાદ ફરી સાઈકલનો ઉપયોગ કરવાનો અનુભવ નવો છે મારા માટે.  ભારતના શહેરોમાં સાઈકલ સંસ્કૃતિને જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર છે સાઈકલને ગરીબ વ્યક્તિના કે બાળકોનાં સાધન માત્ર તરીકે જોવાને બદલે સૌના સાધન તરીકે જોવામાં આવે તો સાઈકલ માટેના અલગ, સુરક્ષિત છાંયડાવાળા રસ્તાઓ બનાવવાનો માર્ગ મોકળો થાય.

    Thursday, June 24, 2010

    વાન ગોગ અને ચિત્રો-૨ (Kurosawa's Dreams)

    આ વાન ગોગ અંગેની પોસ્ટમાં અકીરા કુરોસાવાના 'ડ્રીમ્સ' (૧૯૯૦) વિષે વાત થયેલી. આ ફિલ્મ એમ તો અલગ- અલગ સ્વપ્નોનું સંયોજન છે અને તેમનું એક 'સ્વપ્ન' છે વાન ગોગ વિષે. યુ ટ્યુબ પર આખે-આખું સ્વપ્ન મળી આવ્યું છે જેની લીંક ઉપર આપેલી છે. 

    વાન ગોગે દક્ષીણ ફ્રાન્સના આર્લ્હ  અને તેની આસપાસના વિસ્તારમાં વિતાવેલો સમય (૨૧ ફેબ્રુઆરી ૧૮૮૮ - ૨૭ જુલાઈ ૧૮૯૦સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યો છે. અહી વાન ગોગ મૃત્યુ પર્યંત રહ્યો અને અહી કરેલું તેનું કામ અમર થઇ ગયું છે. કુરોસાવા અહીના વાન ગોગને સ્ટીમ એન્જીન સાથે સરખાવે છે.  તેનામાં ઉશ્કેરાટ છે, જુસ્સો છે, અપરંપાર બેચેની છે છતાં તેના ચિત્રોમાં કુશળતા, શૈલી કે વિષય વસ્તુનો ભોગ નથી લેવાયો. આ સમયના વાન ગોગ વિષે જાત-જાતની વાતો પ્રચલિત છે - જેમકે વાન ગોગે તેનો કાન કાપી નાખેલો તે. કુરોસાવાનો વાન ગોગ કહે છે કે, હું તેને વ્યવસ્થીત દોરી શક્યો નહિ એટલે... 

    અહી વાન ગોગ બે વર્ષમાં જે કરી શક્યો, તે બે વર્ષ કળાજગતના ઇતિહાસમાં અનન્ય છે. તેના બહુ પ્રખ્યાત ચિત્રો જેવા કે, બેડરૂમ ઇન આર્લ્હ, દ રેડ વાઈનયાર્ડ, દ નાઈટ કેફે, ચેર, સ્ટારી નાઈ, યલો હાઉસ, વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સ, સન ફ્લાવર્સ અને સંખ્યાબંધ સેલ્ફ-પોટ્રેટ્સ વગેરે અહી આ બે વર્ષના ગાળામાં રચાયા છે. વાન ગોગનો પ્રખ્યાત 'વાન ગોગ યલો' એટલે કે તેના ચિત્રોમાં 'સખત' પીળા રંગનો ઉપયોગ તો જાણે કે દક્ષીણ ફ્રાન્સના તીવ્ર તડકાની જ દેન છે. અહી વાન ગોગે પસંદ કરેલા વિષય વસ્તુ બહુ સામાન્ય છે પરંતુ બહુ જ અસામાન્ય છે આ વિષયોને રજુ કરવાની શૈલી અને તેમને 'ફ્રેમ' કરવાની પધ્ધતિ. અહી તેના ચિત્રોના ઘાટ્ટા-ઘટ્ટ લસરકા, રંગોનું મિશ્રણ, રંગોનો ઉપયોગ સામાન્ય વિષયોને નવો અર્થ આપે છે, તેમને નવી રીતે રજુ કરે છે. સ્ટારી નાઈટ જોઇને એમ થાય છે કે કેવા માણસને 'આવું' આકાશ દેખાતું હશે? વાન ગોગનું આકાશ ભડકે બળે છે. ગાઢ રાત્રે સર્વત્ર અંધકાર નથી પણ પ્રકાશના તેજ લીસોટાઓનો અંધકાર ખાળવાનો મરણીયો પ્રયાસ છે. ઓગણીસમી સદીના અંતમાં એક અશાંત કલાકાર ઔદ્યોગિક ક્રાંતિ, કેમેરાની શોધ અને આધુનિકતાના વંટોળમાં અટવાયેલા કળા જગતને કલાની નવી વ્યાખ્યા અને સમજ આપી જાય છે. 

    કુરોસાવા તેનું સ્વપ્ન વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સથી પૂરું કરે છે. જીવનના અંતનું નિરૂપણ કરતુ આ ચિત્ર જોઇને રાવજી પટેલના શબ્દો - 'મારી આંખે કંકુના સુરજ આથમ્યા', 'અજવાળા પહેરીને ઉભા શ્વાસ'  અને 'મને લાગે સજીવી હળવાશ'નું સ્મરણ કરાવે છે. જગતભરના કલાકારોને પ્રેરણા આપનાર વાન ગોગને કલાકારોએ આગવી રીતે યાદ કર્યો છે અને કરતા રહ્યા છે. કુરોસાવા સિવાય ડોન મેકલીન - પ્રખ્યાત કન્ટ્રી સંગીતજ્ઞ  સ્ટારી સ્ટારી નાઈટ્સ ગાઈને/લખીને વાન ગોગને યાદ કરે છે.  આ સિવાય વાન ગોગે સેન્ટ રેમીના ઈસ્પિતાલમાં વિતાવેલા સમયને સ્પર્શીને લખાયેલી ગુલઝારની એક સુંદર કવિતા પણ છે. બે-ત્રણ ફિલ્મો બનવા છતાં ફિલ્મોમાં હજુ સુધી વાન ગોગને પુરતો ન્યાય નથી મળ્યો. પરંતુ ગુજરાતીમાં વાન ગોગ લઇ આવનાર 'સળગતા સુરજમુખી'ના અનુવાદક/લેખક વિનોદ મેઘાણીને યાદ કરવાનું મન થાય જ. 

    નોંધ: પહેલી પોસ્ટ વાંચીને જે મિત્રોએ વાન ગોગ અંગે માહિતી આપી તે સૌનો આભાર. ખાસ તો આશિષ વશી અને સૌમિત્ર ત્રિવેદી.