Saturday, January 29, 2011

'વેલકમ જીંદગી' એક જીંદાદિલ નાટક - ૧૭૦ પર અણનમ

દસ-બાર વર્ષ પહેલા 'ફિલ્મ ક્લબ'ના સિલસિલામાં હિંમત કપાસીને મળવાનું થયું. વાતવાતમાં વાત નીકળી કે ગુજરાતી રંગભૂમિ અને સાહિત્ય બંને ક્ષેત્રે પ્રદાન કરી શકે તેવી શક્યતાઓ ધરાવતા યુવાન કોણ? કપાસી સાહેબ તરફથી પહેલું નામ તરત જ આવ્યું, 'સૌમ્ય જોશી'. તેમને પોતાની ખાસ શૈલીમાં ઉમેર્યું કે, 'એં તોં એંકદમ લાઈવ વાયર જેવો છે'. છેલ્લા દસ વર્ષોથી સતત સૌમ્યની કવિતા સાંભળતાં અને નાટકો જોતા એવું ચોક્કસ કહી શકાય કે 'લાઈવ વાયરે' દસ વર્ષમાં કરંટ જાળવી જ રાખ્યો નથી પણ ઝણઝણાવી મૂકતા સર્જનોનો દૌર ચાલુ જ રાખ્યો છે. સૌમ્યએ છેલ્લા દસ વર્ષમાં લોકજીવનને સ્પર્શતા ઢગલાબંધ મુદ્દે કેટલાય શેરી-નાટકો અને આઈ.એન.ટી કે વીણા-વેલી જેવી સ્પર્ધાઓમાં ઘણા એકાંકી નાટકો આપીને યુવા-રંગભૂમિ સાથે પોતાનો નાતો સતત જાળવી રાખ્યો છે. 

આ દૌરમાં એક નવું સર્જન - નવું નાટક ઉમેરાયું છે - 'વેલકમ જીંદગી'. આ ૨૦૧૦થી સતત પ્રયોગો કરી રહેલા નાટકમાં સૌમ્યએ લેખન, દિગ્દર્શન, સંગીતકાર અને મુખ્ય કલાકારની ચાર ભૂમિકાઓ બખૂબી નિભાવી છે. આ સિવાય 'દોસ્ત, ચોક્કસ અહી નગર વસતું હતું (૨૦૦૨-૦૩)' અને 'આઠમા તારાનું આકાશ (૨૦૦૪-૦૫)'  જેવા ફૂલ-લેન્થ નાટકોમાં સૌમ્ય જોશીએ લેખન, સંગીત અને દિગ્દર્શનની ત્રેવડી ભૂમિકાઓ બખૂબી નિભાવી છે. 'દોસ્ત...' માં તો સૌમ્યએ અભિનય પણ આપ્યો છે. નાટ્ય જગતના વિવિધ પાસાઓ બહુ સ્વાભાવિકતાથી અને સાહજીકતાપૂર્વક આત્મસાત કરવા એ સંપૂર્ણ નાટ્યકારની નિશાની છે. ગુજરાતને ઐતિહાસિક રીતે જ આવા સંપૂર્ણ કલાકારો બહુ જૂજ મળ્યા છે.

૨૦૦૮માં સૌમ્યનો પ્રથમ કવિતા-સંગ્રહ 'ગ્રીનરૂમમાં' બહાર પડ્યો. હું સૌમ્યને એક પ્રખર કવિ પણ ગણું છું. બહુ જ અંગત રીતે - કોઈ મને પૂછે કે નાટ્યકાર સૌમ્ય કે કવિ સૌમ્ય તો પછી હું કવિ જ વધારે પસંદ કરું. જો કે સૌમ્ય પોતે કદાચ નાટ્યકાર બનવાનું વધારે પસંદ કરે. કવિતા લખવી તે તેના માટે અંગત અભિવ્યક્તિને જીવતી રાખવાની ઘટના છે પણ નાટકો તો સૌમ્ય ચળવળની માફક જ કરે છે. અને ગુજરાતી તખ્તાની હાલત જોતા ચળવળની જેમ નાટકો કરવાની જરૂર પણ છે. જેને એમેચ્યોર કે વિદ્યાર્થી નાટ્ય પ્રવૃત્તિ કહેવાય છે તેણે જ ગુજરાતી તખ્તાની પીઢતા અને ગુણવત્તા થોડે-ઘણે અંશે જાળવી રાખી છે. બાકી જેને પ્રોફેશનલ કે ધંધાધારી નાટકો કહેવાય છે, તે તો જૂજ અપવાદ બાદ કરતા ટીવી જોવા મળતા 'કોમેડી સરકસો' કે કરુણ સિરિયલોની સસ્તી અને હલકી આવૃત્તિ જ હોય છે. સારા નાટકો, નવા વિષયવસ્તુ વગેરે તો શોધવા મુશ્કેલ હોય છે. બહુ લાંબો સમય એમેચ્યોર કે વિદ્યાર્થી નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયા બાદ સૌમ્યએ પ્રોફેશનલ નાટ્ય પ્રવૃત્તિમાં સીધો પ્રવેશ 'વેલકમ જીંદગી' દ્વારા મેળવ્યો છે. તેથી જ આજે વાત આ નવા નાટક વિષે.
ઠાકોરભાઈ દેસાઈ હોલમાં 'વેલકમ જીંદગી' જોવાની તક ૧૩ જાન્યુઆરીએ  સાંપડી. આ નાટકમાં માત્ર ત્રણ જ પાત્રો છે - મુંબઈના ઉપનગરમાં રહેતા પતિ-પત્ની (અરુણ અને ભાનુ ગણાત્રા) અને તેમનો પુત્ર (વિવેક). અરુણ ગણાત્રા નિવૃત્તિને આરે છે. મુંબઈમાં આખી જીંદગી લોકલ ટ્રેનોમાં દોડાદોડી અને ઓફિસમાં ક્લાર્કગીરી કરીને સ્વાભાવિક આવી જતી ખારાશ, કડવાશ, તોછડાઈ તેમના સ્વભાવમાં પણ છે. તેમનો પુત્ર વિવેક આમતો તેની પેઢીના યુવાનો જેવો જ છે પણ પોતાના માં-બાપ માટે ખૂબ જ આદર ધરાવે છે અને શાસ્ત્રીય સંગીત ગણગણે છે. આ બંને બાપ-દીકરા વચ્ચે સેતુરૂપ ભાનુ ગણાત્રા ખરા અર્થમાં પરિવારનો આધારસ્તંભ છે. ભાનુ ગણાત્રા બાપ-દીકરા વચ્ચેની કેમેસ્ટ્રી, તેમની સારી-ખોટી ટેવો, નાના-મોટા ઉતાર-ચઢાવ વગેરે ગાલીબના 'બાઝીચા-એ-અત્ફાલ'ની જેમ નિસ્પૃહતા જુવે છે. તે સિવાય, પરિવારને એક બનાવી રાખવાનું પણ અને પ્રેક્ષકો સાથે સીધો સંવાદ સાધવાનું કામ પણ તેમનું જ છે. 'એક બીજાની સાથે વાત કરતા રહેવાનું' અને 'કોઈ ગમે તે વાત કરી શકે' તેવું વાતાવરણ પરિવારમાં ઉભું કરવાની સહિયારી જવાબદારી વિશેનું આ નાટક છે. આ નાના પરિવારનો દરેક સભ્ય 'પતિ', 'પત્ની' કે 'પુત્ર'નું પાત્ર લેખન બીબાઢાળ નથી, દરેક પાત્રમાં કોઈક નવી શક્યતા, નવીનતા છે. મુંબઈના જીવન વિષે ઘણું લખી-ભજવાઈ ગયું હોવા છતાં અહી એક નવી તાજગી અનુભવાય છે. જીવનની નાની-નાની વાતોમાંથી ખુશી અને હાસ્ય બંને આ નાટક મેળવી આપે છે. હાસ્યમાંથી કરુણતામાં નિરૂપણ બહુ જ ઝડપથી, અનાયાસે થાય છે, જેની મજા છે.

આ નાટકમાં બહુ જ સૂક્ષ્મતાથી સ્ત્રી-પુરુષ કે પતિ-પત્નીના સંબંધોમાં વ્યાજબીપણું, સમાનતા તપાસવાની વાત છે. સ્ત્રી-પુરુષ માટે સામાજિક રીતે નિયત કરાયેલી કાર્યસૂચીથી આગળ જવાની વાત છે. ઘરમાં સ્ત્રી પાત્રો વિશેની અઢારમી સદીની મનોવૃત્તિથી એકવીસમી સદી તરફ જવાની વાત છે. તેથી જ ભાનુ ગણાત્રાનું પાત્ર મુખ્ય પાત્ર છે અને મજબૂત પાત્ર છે. જે જીજ્ઞા વ્યાસે બખૂબી નિભાવ્યું છે. જેટલું સૂક્ષ્મતાથી આ પાત્રનું લેખન થયું છે તેટલી જ ચીવટતા તેનું મંચન થયું છે. નાટકને અંતે ભાનુ ગણાત્રા ઉર્ફ જીજ્ઞા વ્યાસની અભિવ્યક્તિ અને સંવાદો ખાસ યાદ રહી જાય છે. અરુણ ગણાત્રાના પાત્રમાં સૌમ્ય જોશી પોતે છે, જયારે વિવેક ગણાત્રાના પાત્રમાં નવયુવાન અભિનેતા અભિનય બેન્કર છે. આ બંને અભિનેતાઓએ પણ તેમની ભૂમિકાઓને ન્યાય કાર્યોં છે. સૌમ્યના નાટકોમાં તખ્તા પર જોવા મળતી ચમત્કૃતિ, સ્ફૂરતા વગેરે તો હોય છે, સાથે સાથે સુંદર સંગીત પણ હોય છે.

બહુ લાંબા સમય પછી ગુજરાતી તખ્તા પર એક સુંદર નાટક જોવા મળ્યું છે. ગમે તેવા ગુજરાતી નાટકોની ભીડમાં એક સારું નાટક ૧૭૦થી વધુ શો પર અણનમ હોય તે બહુ આશાસ્પદ છે. સૌમ્ય અને તેની ટીમ આવા જ નાટકો આપતા રહે તેવી આશા તો ઉભી થાય છે. પરંતુ સાથે સાથે બીજા નાટ્યગ્રુપો જે તખ્તાને કૈંક નવું આપવા માંગે છે તેઓ પણ આ નાટકને બેન્ચમાર્ક ગણે તે મહત્વનું છે. 
 (photo courtesy: Mumbai Mirror and Mumbai Theatre Guide)

3 comments:

  1. Bharat kumar10/31/2011 9:10 PM

    'વેલકમ જિંદગી' નાટક જોવું જ જોઈએ તેનું સૌથી મોટું કારણ એ જ કે એ સૌમ્ય જોષીનું સર્જન છે.સૌમ્ય જોષી ગુજરાતી રંગમંચવિશ્વની આગવી ને તેજસ્વી ઓળખાણ છે.તેમનું નાટક 'દોસ્ત ચોક્કસ અહીં એક...' મેં આંખો લૂંછતા લૂંછતા જોયું છે.ને વેલકમ જિંદગી તક મળશે તો ચુકીશ નહી.

    ReplyDelete