Friday, May 28, 2010

ચાલવા લાયક ફૂટપાથ અને આપણા શહેરો

ઘણા સમય પહેલાની વાત છે, ત્યારે બધા જ રસ્તાઓ ફૂટપાથ હતા, લગભગ પાંચેક હજાર વર્ષ સુધી. પછી સો વર્ષ પહેલા મોટર સંચાલિત વાહનોનો જન્મ થયો અને રસ્તાઓ વાહન માટે વાપરવા લાગ્યા અને ફૂટપાથો માણસો માટે. ફૂટપાથનો જન્મ એટલા માટે થયો કે રાહદારીઓ માટે બાકીના મોટર સંચાલિત વાહનોથી અલગ સુરક્ષિત તેવી ચાલવાની વ્યવસ્થા થઇ શકે. પછી ધીરે ધીરે વાહનો માટેના રસ્તાઓ વધતા ગયા અને માણસો માટે ફૂટપાથો ઘટતી ગઈ.

ચાલવાની સારી સુવિધા એટલે ફૂટપાથનું નેટવર્ક, માત્ર થોડા અંતર સુધીની સારી ફૂટપાથ નહિ. ટૂંક માં, ફૂટપાથ એટલે ચાલવાની જગ્યા નહિ પણ સળંગ ચાલી શકાય તેવી જગ્યા. ફૂટપાથનો ઉપયોગ કરીને 'પહોચવું' અગત્યનું છે, ફૂટપાથ પહોંચાડી આપવાનું કામ કરે છે. માત્ર ચાલવા માટેની જગ્યા હોવું પુરતું નથી. આ વ્યાખ્યા કોમન સેન્સથી ખબર પડે તેવી છે છતાં એક મહાન માણસે આપેલી વ્યાખ્યા છે. હર્મન નોફ્લેચરે જિંદગીનો મોટોભાગ ટ્રાફિકને વધુ માનવીય અને રસ્તાઓ બધા જ સારી રીતે વાપરી શકે તેવા બનાવવા પાછળ ખર્ચી નાખેલ છે. તેઓ વિયેનામાં ટ્રાન્સપોર્ટ પ્લાનિંગના પ્રોફેસર છે અને બહુ જાણીતા સિવિલ એન્જીનીયર છે. 

આપણા મોટા ભાગના શહેરોમાં ફૂટપાથ કે ચાલવા માટે, રસ્તો ક્રોસ કરવા માટે સારી સુવિધા કેમ નથી હોતી?  આ પ્રશ્ન વારંવાર થાય એવો છે. આ પ્રશ્ન મેં અલગ-અલગ લોકોને અનેક રીતે પૂછ્યો છે અને તેમના જવાબ અને તેની નીચે મારા તર્ક મૂકું છું. 
 જવાબ ૧: રસ્તા પર ફૂટપાથ બનાવવા માટે જગ્યા ક્યાં હોય છે. આપણે ત્યાં રસ્તા જ સાંકડા હોય છે.
તર્ક ૧: ગમે તેવા સાંકડા રસ્તા પર જો ફૂટપાથ બનાવવામાં આવે તો અત્યારે જે લોકો રસ્તા પર ચાલે છે તે ફૂટપાથ પર ચાલતા થાય અને એકંદરે રસ્તાનો ઉપયોગ વધે. વાહન ચલાવવામાં પણ સુવિધા રહે. અમદાવાદ-સુરત-રાજકોટ જેવા શહેરોમાં મોટા ભાગના રસ્તા પહોળા છે છતાં ફૂટપાથ બનાવવામાં કંજુસાઈ કરવામાં આવે છે. ઉપરોક્ત ફોટામાં જોઈ શકાશે કે અહી પ્રશ્ન પહોળા રસ્તાનો નથી પણ જેટલો રસ્તો છે તેના યોગ્ય ઉપયોગનો છે.

જવાબ ૨: ફૂટપાથ બનાવીએ તો રસ્તા પર દબાણ થાય છે. તેથી ફૂટપાથ જ ન બનાવવી વધારે સારું. (આ જવાબ મને ખરેખર એક સરકારી અધિકારીએ આપેલો છે.)
તર્ક ૨: ફૂટપાથ ન બનાવવાથી રસ્તા પર દબાણ નથી થવાનું? આ તો એવું થયું કે ચાલીશું તો પડશું તેના કરતા ચાલવું જ નહિ. દબાણ એટલે શું...લારી-ગલ્લા? ભારતમાં સદીઓથી લારી-ગલ્લાઓ અને બજારો રસ્તા પર રાજ કરે છે. જો તેમના માટે સારી જગ્યા રસ્તાની ડીઝાઇનમાં નહિ મુકીએ તો તે દબાણ થવાનું જ છે. શું સારી ફૂટપાથ બનાવવી અને લારી-ગલ્લા માટે સુવ્યવસ્થીત જગ્યા આપવી અને મેઈનટેઈન કરાવી શું અશક્ય કામ છે? આવું કરવાથી વાહન ચલાવવામાં પણ સુવિધા નહિ થાય? જો કે ફૂટપાથ પર સૌથી મોટું દબાણ પાર્કિંગનું હોય છે. પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જરૂર પડે ત્યાં તેની ફી ઉઘરાવવી પણ અશક્ય નથી. પાર્કિંગનું સારું મેનેજમેન્ટ તો રોજગારી વધારવાનું કામ છે.

જવાબ ૩: આપણે ત્યાં 'સિવિલ સેન્સ' જેવું કઈ છે જ નહિ. ફૂટપાથ હોય તો પણ લોકો તેની પર ચાલતા નથી. ખોટો પૈસાનો બગાડ છે.
તર્ક ૩: ભારતના લોકો વિદેશમાં જાય છે ત્યારે તેમને 'સિવિલ સેન્સ'ની ગોળીઓ આપવામાં આવે છે?  શું ફૂટપાથ પર ન ચાલવું તે ભારતીયોમાં રહેલી કોઈ જૈનિક ખામી છે? જ્યાં સારી, સળંગ ફૂટપાથ હોય ત્યાં લોકો તેનો ઉપયોગ કરે જ છે. દક્ષીણ મુંબઈ કે  કનોટ પ્લેસ દિલ્હીના ઉદાહરણ સામે જ છે. સામાન્ય રાહદારી પણ સામાન્ય વાહન ચાલક જેવું જ વિચારે છે અને સૌથી ઝડપી, સરળ અને સળંગ રસ્તો પકડે છે. તેથી સારી ફૂટપાથ નહિ હોય તો લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી કે તે ફૂટપાથ પર ચાલે તે મૂર્ખામી છે.

જવાબ ૪: વિકસિત દેશોમાં જોઇને આવીને તમે આપણા દેશમાં ત્યાંના આઈડીયા કોપી ન કરો. આપણે ત્યાં તેવું ચાલવાનું કે ફરવા જવાનું કલ્ચર જ નથી.
તર્ક ૪: જો વિદેશી ફિલ્મો, સંગીત, કપડા, ભાષા, મકાનોની ડીઝાઇન કોપી થઇ શકતી હોય તો સારી ફૂટપાથ કોપી કરાવી તો બહુ નિર્દોષ કામ છે અને તેમાં કોઈ કોપીરાઈટનો ભંગ પણ થતો નથી. એવો કયો માનવ-સમાજ હશે કે જ્યાં ચાલવા-દોડવા, હરવા-ફરવા, મેળ-મિલાપનું કલ્ચર નહિ હોય? આ મોટા ભાગની પ્રવૃતિઓ માટે ચાલવાની સારી સુવિધાઓ 'સુંદર અકસ્માતો'ની તકો પૂરી પાડશે. ચાલવા લાયક સ્થળો હમેશા શહેરના સૌથી જોવાલાયક સ્થળો પણ હોય છે.

જવાબ ૫: આપણે ગરીબ દેશ (કે રાજ્ય) છીએ. આપણને ફૂટપાથ જેવી લક્ઝરી ન પોસાય.
તર્ક ૫: શું વાત કરો છો, સાહેબ? હજી હમણા સુધી તો ઇન્ડિયા શાઈનીંગ થઈને ઈન્ક્રેડીબલ થયું હતું, ગુજરાત વાઈબ્રન્ટ થઈને સ્વર્ણિમ થયું હતું અને હવે આપણે ગરીબ થઇ ગયા. આખા શહેરમાં ફૂટપાથ બનાવવાનો અને જાળવણીનો ખર્ચ એક-બે બિનજરૂરી ફ્લાયઓવર નહિ બનાવવાથી પહોંચી વળાશે.

જવાબ ૬: શહેરોમાં હવે ચાલે કોણ છે? બધા પાસે વાહન હોય છે અને આટલી ગરમીમાં ચલાય?
તર્ક ૬: સાચી વાત છે, સાહેબ. આટલી ગરમીમાં ના ચલાય પણ શું થાય, અમુક લોકોને ચાલવું જ પડે છે, બીજો કોઈ 'રસ્તો' જ નથી હોતો.  આમ તો જો કે બધાને ચાલવું તો પડે જ. વાહન ધરાવતા સામાન્ય કુટુંબમાં પણ ઘરના બાકીના સભ્યોને નાના-મોટા કામ માટે ચાલવું પડે છે. આ તો એવું છે ને સાહેબ કે આપણો દેશ રેલગાડી જેવો છે. જો તમે સેકંડ એસીમાં બેઠા હોવ અને લેપટોપ કે મોબાઈલનો પ્લગ પોઈન્ટ ન હોય તો તમને એવું લાગે કે આપના દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારે સુધરશે? અને જો તમે જનરલ ડબ્બામાં બેઠા હોવ તો સમગ્ર ધ્યાન લઘુશંકાનું સમાધાન કરવા આટલા લોકોને વટાવીને કેવી રીતે પહોંચવું તેના પર હોય. એટલે અલગ અલગ લોકોની પ્રાથમિકતા અલગ હોય. પણ ફૂટપાથની વાતમાં સારા સમાચાર એ છે કે તે સાર્વજનિક હોય છે સૌના માટે, એ લોકો માટે પણ કે જેમને ધીરે-ધીરે 'કોણ ચાલે છે' તે દેખાતું બંધ થઇ ગયું હોય.

જવાબ ૭: ફૂટપાથ પર ચાલવાની જગ્યા જ ક્યાં હોય છે? પાર્કિંગ, લારી-ગલ્લા, ટેલીફોન કે ઇલેક્ટ્રિકના થાંભલા કે બોક્ષ વગેરેથી ફૂટપાથ છવાયેલી હોય છે.
તર્ક ૭: આ જ તો ચેલેન્જ છે, દોસ્ત! આપણે ત્યાં રસ્તાનું મેનેજમેન્ટ ટ્રાફિક પોલીસ, મ્યુનીસીપલ અધિકારીઓ અને ઇજનેરો, અલગ અલગ ટેલિફોન કંપની, ઇલેક્ટ્રિક કંપની, સફાઈ કામદારો - આ બધા ભેગા થઇને કરે છે. ફૂટપાથ એ ચાલવાની જગ્યા સિવાય બાકી બધી રીતે વપરાય છે. શું રસ્તાઓની ડીઝાઇન એવી રીતે બનાવવી કે જ્યાં પાર્કિંગ, લારી-ગલ્લા, થાંભલા વગેરે વગેરેને સ્થાન આપીને ચાલવાની સળંગ જગ્યા થઇ શકે તે બહુ અશક્ય કામ છે?  સારી ડીઝાઇન પહેલા થાય અને મેનેજમેન્ટનું કામ પછી ચાલુ થાય. સારી ડીઝાઇનને મેનેજ કરાવી સહેલી હોય છે અને ખરાબ ડીઝાઇનનું કંઈ પણ કરવું અઘરું કામ છે.  સારી ડીઝાઇન બનાવવા માટે  (ચાલવાવાળા લોકો પ્રત્યે ) સારી વૃતિ હોવી જોઈએ. ચાલવા માટે જગ્યા રાખવી એ ચાલવાવાળા લોકોને માન આપવા બરાબર કામ છે. નહિ તો પછી લોકો પોતાનો રસ્તો શોધી લે છે અને તેના કારણે આપણા મોટા ભાગના રસ્તાઓ સારી રીતે કામ નથી આપી શકતા.

મને વર્ષો પહેલા કોઈએ એવું ભણાવેલું કે માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. તેથી ચાલવું તે માણસાઈનું પ્રાથમિક લક્ષણ છે અને બહુ જ સ્વાભાવિક માનવ જરૂરીયાત. છતાં કોઈ ઘરડી વ્યક્તિને માત્ર રસ્તો ક્રોસ કરવા માટે રીક્ષા કરાવવી પડે તેવા શહેરમાં માણસાઈનું પ્રાથમિક લક્ષણ ભૂલાયું હશે તેવું જરૂર માની શકાય.

Sunday, May 16, 2010

મમા રામોત્સ્વેનું આફ્રિકા

cartoon by timtim.com and original link is here 
મા રામોત્સ્વે એક મહિલા જાસૂસ છે - બોટસ્વાના નામના દેશના એક માત્ર પ્રાઈવેટ ડીટેકટીવ! તે બોટસ્વાનાની રાજધાની હેબેરોની નામના શહેરમાં 'નં. ૧ લેડીઝ ડીટેકટીવ એજંસી' ચલાવે છે. તમે જો કે તેમને 'જાડા' કહેશો પણ તેઓ પોતાની જાતને 'પરંપરાગત બાંધો' ધરાવનારા ગણે છે. તેમના ડેડી ઉર્ફે આબોદ રામોત્સ્વેના મૃત્યુ બાદ તેમની સંપત્તિ એટલે કે અપાર ઢોર-ઢાંખર વેચીને મમા રામોત્સ્વે હેબેરોનીમાં પોતાની દેશની એકમાત્ર પ્રાઇવેટ જાસૂસી એજન્સી સ્થાપે છે. મા રામોત્સ્વેનું જાસુસી કાર્ય શેરલોક હોમ્સ જેવું જટિલ કે વૈજ્ઞાનિક નથી અને અગાથા ક્રિસ્ટીના મિસ માર્પલ જેવું  મનોવૈજ્ઞાનિક નથી. તે જેમ્સ બોન્ડની જેમ સુપર-હીરો નથી, પણ સામાન્ય માણસ છે. મા રામોત્સ્વેની સ્ટાઈલ એકદમ રફ-ટફ છે, આત્મવિશ્વાસ અદભૂત છે, બોલચાલમાં સૌમ્ય છે પણ આખાબોલા છે. તેઓનું કામ ગુનેગારોને પકડીને પોલીસને હવાલે કરવાનું નથી (બીજી જાસુસીકથાઓની જેમ) પણ લોકોને મદદ કરવાનું છે. મોટા મોટા ગુનાની ગૂંચો નથી ઉકેલવાની પણ નાની-મોટી ભૂલો કરી ચુકેલા લોકોને કે તેના ભોગ બનેલા લોકોને નવો રસ્તો બતાવવાનો છે કે તેમનું જીવન સહેલું બનાવવાનું છે. જેમ હતું તેમનું તેમ કરી દેવાનું છે. તેમની સૌથી મોટી મૂડી છે સ્ત્રી-સહજ સૂઝ અને લોકો પાસેથી માહિતી કઢાવવાની તેમની તાકાત. બસ આ મૂડીના જોર પર તે અટપટા કેસ કોઈને ખોટી રીતે નુકસાન પહોચાડ્યા વગર વ્યવહાર કુશળતાથી સોલ્વ કરે છે. મા રામોત્સ્વેની જીવનની ફિલસુફી બહુ સરળ અને હૃદયસ્પર્શી છે અને ન્યાયની વ્યાખ્યા બહુ માનવીય અને વ્યવહારુ.

મા રામોત્સ્વેએ એલેકઝાંડર મેકકોલ સ્મિથ નામના લેખકની પ્રખ્યાત પુસ્તક શ્રેણી 'નં. ૧ લેડીઝ ડીટેકટીવ એજંસી'નું રંગબેરંગી, ખુશ-ખુશાલ પાત્ર છે. આ શ્રેણી પરથી ટીવી સીરીયલ બની ચુકી છે અને આ શ્રેણીના લગભગ આઠેક પુસ્તકો બહાર પડી ચુક્યા છે, બહુ જ રસપ્રદ નામો સાથે - જેમકે 'જીરાફના આંસુ', 'બ્લુ જૂતા અને સુખ', 'જીંદગી ભરેલું આખું કબાટ', 'આનંદી મહિલાઓના સંગમાં' વગેરે. મા રામોત્સ્વે આધુનિક હોવા છતાં પરંપરાગત નૈતિક મૂલ્યોમાં માને છે ખાસ તો રીત-ભાતની અને સામી વ્યક્તિને માન આપવાની બાબતમાં. બોટસ્વાનામાં મહિલાઓને માનથી 'મા' અને પુરુષોને 'રા' કહેવામાં આવે છે. એલેકઝાંડર મેકકોલ સ્મિથ મા રામોત્સ્વે દ્વારા આફ્રિકાની સંસ્કૃતિની, રીત-ભાત અને ખાન-પાનની, વ્યવહાર કુશળતાની, જીવન જીવવાની વ્યાખ્યાઓની એક સફર કરાવી નાખે છે. ક્યારેક તેમની શૈલી બીનજરૂરી વ્યંગપૂર્ણ લાગે છે પરંતુ વ્યંગ તરીકે જ ઝીલાય છે, બીનજરૂરી ઠઠ્ઠા-મશ્કરી તરીકે નહિ.

આ શ્રેણીના ચોથા પુસ્તક વાંચતા સુધીમાં મને આફ્રિકા જવાનું મન થઇ આવ્યું. ખબર નહિ કોણે પાઠ્યપુસ્તકોમાં આફ્રિકાને 'અંધારિયા ખંડ' તરીકે વર્ણવ્યો હતો. મમા રામોત્સ્વેનું આફ્રિકા રંગબેરંગી છે, કેલિડોસ્કોપ જેવું! જેવી રીતે સરેરાશ પશ્ચિમ  જગતના લોકોને ભારત 'સાપ-મદારીના દેશ, રાજા-રજવાડાના દેશ, ધારાવીના દેશ, 'કરી'ના દેશ કે હવે આઈ.ટી.ના દેશ' તરીકે ચીતરીને દીવાલ પર ટાંગી દે છે તેવું જ કઈ આપણે આફ્રિકાના દેશો માટે કરતા હોઈએ છીએ. ભલે પ્રતીકો અને ચિત્રો જુદા હોય પણ કામ તો આપણે પણ દીવાલ પર ટાંગવાનું જ કરીએ છીએ. બહુ સીધો સવાલ છે કે એક આંતર-રાષ્ટ્રીય ઇવેન્ટમાં તમે વધુ અહોભાવ કે ભાવ એક સફેદ ચામડીવાળાને આપશો કે કાળી ચામડીવાળાને? પશ્ચિમ જગત જેવો જ સુપીરીયોરીટી કોમ્પ્લેક્ષ આપણે આપણાથી નાના કે ગરીબ દેશો માટે નથી ધરાવતા?

આ પુસ્તકો વાંચતા મને બીજો સવાલ એવો થયો કે ખરેખર રોજબરોજના જીવનમાં ગૌરવનું, અસ્મિતાનું, દેશાભીમાનનું વગેરેનું કેટલું મહત્વ છે? શું આફ્રિકામાં કે સોમાલિયામાં કે ઈથોપિયામાં જન્મેલા લોકો પોતાના પ્રદેશ વિષે, ભાષા વિષે, સંસ્કૃતિ વિષે ગૌરવની લાગણી નહિ ધરાવતા હોય? ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાંથી એ દેશ કે પ્રદેશ પસાર થતો હોય તો પણ. તો શું તેમને એવું કહી શકાય કે અમારું ગૌરવ તમારા કરતા વધારે સારું કે યોગ્ય છે?  ડોકટરે લખી આપેલી દવાની જેમ દિવસમાં બે વાર પોતાની સંસ્કૃતિ કે પ્રદેશ માટે ગૌરવ 'પામ્યા' બાદ આપણે શું કરીએ છીએ તે વધારે મહત્વનું નથી? અને ગૌરવ 'પામવા' માટે ગુજરાતમાં જન્મ્યા હોવ તો સિદ્ધરાજ જયસિંહના જમાના સુધી અને બિહારમાં જન્મ્યા હોવ તો પાટલીપુત્રના સુવર્ણયુગ સુધી જવાની જરૂર ખરી? ક્યારેક એવી નવાઈ લાગે છે કે કનૈયાલાલ મુનશી જેવા લેખકને ગુજરાતની અસ્મિતાનું આટલું ઉપરણું લેવાની જરૂર કેમ પડી? અને બીજી બાજુ, ઝવેરચંદ મેઘાણીએ અસ્મિતા કે ગૌરવ કે બીજા કશાની વાત કર્યા વગર જ ગુજરાતની લોકસંસ્કૃતિનો મહિમા કર્યો છે.

મા રામોત્સ્વેને આફ્રિકા ગમે છે અને ખાસ તો બોટસ્વાના. તેઓ સમજી શકતા નથી કે કોઈને આફ્રિકા છોડીને જવું કેમ ગમતું હશે અને લોકો યુરોપ જેવા 'ઠંડા' પ્રદેશોમાં કેવી રીતે રહી શકતા હશે. કોઈ કાલે તેમને કહે કે આફ્રિકાને અમેરિકા જેવું હાઈ-ફાઈ કરી આપીએ તો તે તરત જ કહેશે કે નો, થેંક યુ! તેમના કહેવા પ્રમાણે જે માણસ ઢોર-ઢાંખરને સમજી શકે તેના માટે માણસોને સમજવું સહેલું છે. 

છેલ્લે, મા રામોત્સ્વેનું એવું પણ માનવું છે કે ઘણું બધું વિશ્લેષણ કર્યા પછી જીવનમાં છેવટે તો તમારી પ્લેટ હોય છે અને તેના પર એક પમ્પકીન (કોળું) હોય છે અને તમે તે નિરાંતે ખાઓ છો. આટલી સાદી વાત જ આપણને પાછી ધરતી પર લાવે છે અને રાખે છે. આ જ વાત - પ્લેટ અને પમ્પકીન! Please eat your pumpkin well! 

Saturday, May 01, 2010

મારા વ્હાલા ગુજરાત ઉર્ફે...

મારા વ્હાલા ગુજરાત ઉર્ફે... રમણલાલ સોની, ગીજુભાઈ બધેકા, જીવરામ જોષી, ગુણવંતરાય આચાર્ય, જયંતી દલાલ, ઝવેરચંદ મેઘાણી, અખો, નર્મદ, જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રમણલાલ નીલકંઠ, હરકિસન મહેતા, કનૈયાલાલ મુન્શી, મોહનદાસ ક. ગાંધી, ફાધર વાલેસ, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, આદીલ મન્સૂરી, જોસેફ મેકવાન, અશ્વિની ભટ્ટ, મધુ રાય, ચુનીલાલ મડિયા, ઉમાશંકર જોશી, ધૂમકેતુ, સુરેશ દલાલ, હિમત કપાસી,સુરેશ જોષી, રાજેન્દ્ર શુક્લા, લાભશંકર ઠાકર, શેખાદમ આબુવાલા, જગદીશ જોષી, વિનોદ મેઘાણી, મરીઝ, ગની દહીવાલા, રમેશ પારેખ, વિનોદ જોશી, મનોજ ખંડેરિયા, ગુલામ મોહમ્મદ શેખ,સિતાંશુ યશચંદ્ર, નારાયણ દેસાઈ, કુન્દનિકા કાપડિયા, હિમાંશી શેલત, મહેન્દ્ર મેઘાણી, શરીફા વીજળીવાળા, પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી અને સૌમ્ય જોશી... જેવા લેખકોએ મને જે ગુજરાત 'બતાવ્યું' છે તે ગુજરાતને આજે પચાસમાં 'હેપ્પી બડ્ડે' નિમિત્તે ખુબ ખુબ 'હેપ્પી બડ્ડે'.

આ લેખકોનો ક્રમ કોઈની મહાનતાનો ક્રમ નથી. પહેલું તો નાનપણથી મેં લગભગ જે ક્રમમાં લેખકોને અને તેમના લેખો કે પુસ્તકોને વાંચ્યા છે અને જેમના લખાણે મને ગુજરાત વિષે, તેની પ્રજા વિષે, પ્રજા ન ગણાતી પ્રજા વિષે, ગુજરાતની સંસ્કૃતિ વિષે, સંસ્કૃતિ ન ગણાતી સંસ્કૃતિ વિષે જે કઈ પણ આપ્યું છે તે હમેશા સાથે રહ્યું છે. અહી મુકેલી સૂચી એવા જ લેખકોની છે કે જેમના લખાણની છાપ હમેશ માટે મારા ભાવ-વિશ્વ પર રહી ગયી હોય. બીજું કે અહી 'લેખક'ની શ્રેણીમાં મારા ગમતાં કવિ, સાહિત્યકાર, કોલમિસ્ટ અને નાટ્યકાર બધા જ સમાવી લીધા છે. ઉદાહરણ તરીકે, હિમત કપાસી એક જમાનામાં ગુજરાત સમાચારમાં 'આચમન' નામની કોલમ બોલીવુડ-હોલીવુડ-ઢોલીવુડ સિવાયની ફિલ્મો માટે ચલાવતા અને તેનો આપણા પર સખ્ખત પ્રભાવ પડેલો. આ સખ્ખત પ્રભાવ આજે પણ 'આપણા' અને 'સખ્ખત' શબ્દોમાં જોઈ શકાય છે જે તેમનાં કોપીરાઇટવાળા શબ્દો છે. ત્રીજું, જો કોઈને એમ લાગતું હોય કે આ લેખકોની સૂચિમાંથી અમુક લોકપ્રિય લેખકો બાકાત છે તો એ ખરેખર બાકાત છે, કારણકે આ અંગત સૂચી છે અને કોઈ પરિષદ કે અકાદમી માટે બનાવેલી સૂચી નહિ. કોઈને એવું લાગે કે અમુક લેખકોને મેં બિલકુલ વાંચ્યા નથી તો પછી ધ્યાન દોરવા વિનંતી. જો કોઈ નામ ભૂલે ચુકે રહી ગયા હશે તો પછી એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કોમેન્ટ્સ દ્વારા કરીશ. જો કે અમુક નામની પાછળ અમુક વર્ષોથી અમુક વર્ષો સુધીનું કામ તેવું લખી શકાય પણ પછી તે પીષ્ટ-પીંજણ કહેવાય અને લખ્યા પછી સાવ 'વિવેચક' જેવું લાગે એટલે લખતો નથી.

આ બધા લેખકો એ કરેલું પ્રદાન અનન્ય છે અને 'મારા ગુજરાત'ની વ્યાખ્યા આ લખાણોથી શરુ થાય છે. ગાંધીના પ્રયોગો, મેઘાણીના અમર પાળિયા, જ્યોતીન્દ્રની હાસ્ય-કસરતો, ભદ્રમ્ભદ્રનો પ્રલાપ, તારક મેહતાનો ટપુડો, ગુણવંતરાય આચાર્યની સમુદ્ર કથાઓ, મુન્શીના કાક-મંજરી, હરકિસન મહેતાના પીળા રૂમાલની ગાંઠ, મડીયાની વાર્તાઓ, ફાધર વાલેસનું જીવન-ગણિત, પન્નાલાલ પટેલની ભવાઈ, આદીલ મન્સુરીનું 'મળે ન મળે', મેકવાનની સમાજ-કથાઓ, મધુ રાયનો હરિયો, કપાસીની ફિલ્મો, લાભશંકરનું 'આયુર્વેદિક' પદ્ય, રાજેન્દ્ર શુક્લનો મેઘધનુષનો ઢાળ, જગદીશ જોશીના ગીતો, વિનોદ મેઘાણીના સુરજમુખી, મરીઝની ફિલસુફી, રમેશ પારેખનો મનપાંચમનો મેળો, મનોજ ખંડેરીયાનું 'એમ પણ બને', ગુલામ શેખનું જેસલમેર, નારાયણ દેસાઈની ગાંધી-કથા, મહેન્દ્ર મેઘાણીની વાંચન યાત્રા, શરીફાબેન 'શતરૂપા', કુન્દનિકા કાપડીયાના સાત પગલા, ઉર્વીશ કોઠારીની નવા-જૂની અને સૌમ્ય જોશીના ગીધ્ધો...આ જોકે ફિલ્મના પોસ્ટર જ છે આખી ફિલ્મ નહિ... આવા લખાણોથી જ તો ગુજરાત સમૃદ્ધ બન્યું છે... અહીંથી તો ગુજરાતની ઓળખાણની શરૂઆત થાય છે. પાઠ્યપુસ્તકો અને નાની-મોટી લાઈબ્રેરીઓથી ગુજરાતને ઓળખવાની અને સમજવાની જે શરૂઆત થઇ તે આજે પણ ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે.

આજે ગુજરાત (રાજકીય)ના પચાસ વર્ષે ગુજરાતની ભૂમિને વંદન કરીને એવું કહેવાનું મન થાય છે કે ગુજરાતને પચાસ વર્ષ નથી થયા, ગુજરાત તો બહુ જુનું છે, શાશ્વત છે કારણકે સંસ્કૃતિઓ હંમેશા શાશ્વત જ હોય છે. ભાષા બદલાય છે, બોલીઓ બદલાય છે, લોકો બદલાય છે પણ સંસ્કૃતિ હમેશા વિકાસ પામે છે, ઉત્ક્રાંતિ પામે છે અને લોકોના શરીરમાં લોહીની, જનીનની જેમ વહે છે. આ વાત થઇ ગુજરાતના 'શું છે' વિષે...અને સાથે સાથે 'શું નથી'ની વાત પણ થવી જ જોઈએ...તે ફરી ક્યારેક...અત્યારે તો... જય જય ગરવી ગુજરાત!