Sunday, November 23, 2014

નગર ચરખો: ટ્રાફિક નિયમન માટે સમરસ સ્ટ્રીટ ડીઝાઈન!

Source: Embarq- https://www.flickr.com/photos/embarq/sets/72157643625753835/

અમદાવાદ ટ્રાફિક પોલીસ માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવી રહી છે. ટ્રાફિક પોલીસનું કામ બહુ અગત્યનું છે અને એટલું જ થેન્કલેસ છે. જરૂરી સાધનો અને સ્ટાફનો અભાવ હોવા છતાં શહેરના લાખો વાહનો નિયમોનું પાલન કરેટ્રાફિકનો પ્રવાહ આગળ વધતો રહે અને રસ્તાઓ પર અથડામણ ન થાય તે બધી ય જવાબદારી ટ્રાફિક પોલીસને માથે હોય છે. ક્યારેક તો પછી ટ્રાફિક પોલીસે વાહન-ચાલકોને કહેવું પડે ને કે તમે પણ નિયમ પાલનની કંઈક જવાબદારી હાથમાં લો. ટ્રાફિક પોલીસનાં આ નવા અભિયાનને સલામ કર્યા પછી બે પાયાની બાબતો વિચારવા જેવી છે. ટ્રાફિકનાં નિયમપાલન અને શિસ્તની આડે આવતાં બે મુખ્ય કારણો છે: એકટ્રાફિકનાં વિચિત્ર નિયમો અને રસ્તાની ખરાબ ડીઝાઈન.

તકલીફ એ છે કે 'ટ્રાફિક'ની વ્યાખ્યામાં યાંત્રિક વાહનો જ આવતાં હોય છે અને ટ્રાફિકનાં નિયમો વાહનોને સરળતા આપવા માટે જ ઘડાયા હોય છે. ભારતીય શહેરોમાં ટ્રાફિકનો ત્રીજો હિસ્સો રાહદારીઓ અને સાઈકલ સવારોનો હોય છે. જેમને ટ્રાફિક જેવું 'સન્માનઆપવાને બદલે તેમને ન્યુસન્સ ગણી લેવામાં આવે છે. રોડ અથડામણમાં રાહદારીઓ અને સાઈકલસવારોનો મૃત્યુ-સંખ્યા બહુ મોટી છે. વળીવાહનોની ડીઝાઈન ડ્રાઈવરને સુરક્ષિત રાખવા માટે કરેલી હોય છે. કોઈ પણ રોડ અથડામણમાં વાહનની અંદર બેઠેલાને કોઈ નુકસાન થતું નથી. આપણે સૌ પણ ઘણી વાર રાહદારીઓ બનીએ છીએ. મોંઘામાં મોંઘી કાર ધરાવનારા વ્યક્તિએ પણ ચાલવું તો પડે જ છે એટલે રાહદારીઓનાં ટ્રાફિકનાં પ્રશ્નો અંગે વિચારેલું હોય તો તે સૌ સુધી પહોંચે છે. 

ટ્રાફિકના નિયમોની વિચિત્રતાનું એક ઉદાહરણ છેફ્રી-લેફ્ટ-ટર્ન. સીધા જનારા વાહનો અને ડાબી તરફ વળતાં  વાહનોની વચ્ચેરસ્તાનો એક ત્રિકોણ ભાગ પડે છેજેનો કોઈ વાહન ઉપયોગ કરતુ નથી. તે ત્રિકોણ જગ્યાનો ઉપયોગ રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવા માટે થઇ શકે છે.  કમનસીબેઆવા આઈલેન્ડને કોઈ કંપનીની સ્પોન્સરશીપ માટે આપી દેવામાં  આવે છે. આ ત્રિકોણ ભાગ કોર્ડન કરીને તેના પર જાહેરાતો અને લીલોતરી થોપવામાં આવે છેતેથી રાહદારીઓ તેનો ઉપયોગ નથી કરી શકતા અને વાહનો વચ્ચે અટવાય છે. ફ્રી-લેફ્ટ-ટર્ન જેવા નિયમને લીધે રાહદારીઓરસ્તો ક્રોસ કરનારાસાઈકલ સવારો (એટલેકે ધીમો ટ્રાફિક કે જે રસ્તાની ડાબી બાજુ ચાલે છે) તેમના પર ગંભીર ખતરો તોળાય છે. વાહન ચાલકો ફ્રી-લેફ્ટ-ટર્ન વાળા ભાગમાં આવનારાં રાહદારીઓ કે બીજા કોઈ વાહનોને બહુ સ્પષ્ટતાથી જોઈ શકતા નથી તેથી ઘણા જીવલેણ અકસ્માતો થતા હોય છે. ફ્રી-લેફ્ટ-ટર્ન એ કાયદો નથીનિયમ છે અને ટ્રાફિકનું નિયમન કરનારા લોકો એ નક્કી કરે છે. તેઓ સમગ્ર વ્યવસ્થા તેના વગર પણ ગોઠવી શકે છે.

બીજું કે, ટ્રાફિક પોલીસ અને વાહન-ચાલકના નિયંત્રણની બહાર રસ્તાઓની ડીઝાઈન અને પ્લાનિંગ કરવાની જવાબદારી મ્યુનીસીપલ કોર્પોરેશનની હોય છે. લેન માર્કિંગટ્રાફિક આઈલેન્ડફૂટપાથપાર્કિંગઝાડપાન,પાથરણાંવાળા જેવા અનેક તત્વોનું સંમેલન ધરાવતા આપણાં રસ્તાઓની ડીઝાઈન જો વ્યવસ્થિત રીતે ન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસનો કામનો બોજો વધી જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન થાય તેમાં વાંક માત્ર વાહન-ચાલકનો નથી હોતો. પણ અહીં મોટો વાંક ખરાબ રીતે ડીઝાઈન કરેલા રસ્તાઓનો હોય છે. જો લેન માર્કિંગ જ ન હોય તો તમે તેને કેવી રીતે અનુસરશો. જો ચાલાવાલાયક ફૂટપાથ જ ન હોય તો રાહદારીઓએ રસ્તાની વચ્ચોવચ જ ચાલવું પડે ને. 

સારી-સમરસ સ્ટ્રીટ ડીઝાઈન રસ્તાનો ઉપયોગ કરનાર દરેકને જગ્યા આપે છે. ખરાબ સ્ટ્રીટ ડીઝાઈન મોટા વાહનોને એમ માનવા દે છે કે 'જે દેખાય છે તે આપણી જગ્યા'. દુનિયાભરમાં (અમેરિકા સિવાય) અને પોલીસી લેવલે હવે ભારતમાં પણ કોઈ એવું નથી માનતું કે રોડ વ્હિકલ માટે જ હોય ને!'. રોડ એટલે કે રસ્તો બધા માટે હોય છે. એ રસ્તાનો એક ભાગ માત્ર વાહનો માટે હોઈ શકે. પણ આખો રસ્તો એ વાહનો, માણસો અને બીજી જરૂરી પ્રવૃત્તિઓ માટે છે. પહેલા આપણે સારી માળખાકીય સુવિધાઓ અને સૌને એકસરખી આંખે જોતાં નિયમો બનાવવાં પડે પછી વાહનચાલકોને શિસ્તમાં રહેવું સહેલું પડે. 

નવગુજરાત સમય, પાન નં 9, 23 નવેમ્બર (રવિવાર) 2014. 

Traffic regulations require a good street design! 

Ahmedabad Traffic Police is celebrating a "road safety week". Traffic issues are often reduced to 'discipline' or 'civic sense' issues. We hardly pay any attention to systematic issues like biased rules or inequitable design of streets. Only motorised vehicles are considered as 'traffic' and the traffic rules are written for their easy flow - sometimes, at the cost of other users. More than one-third of the trips in many Indian cities are made by cyclists and pedestrians, yet a little attention is paid to their needs. 

One example of unfair arrangement coupled with bad design is 'free-left-turn'. It is seen as a 'right' of the motorists but it harms all other users and activities. Bad street design allow the motor vehicles 'to grab as much space as possible'. Good street design gives space to all users. Having good street design and equitable rules makes it easier for everyone to follow traffic rules and this will ease out the job of the traffic police too.

Friday, November 21, 2014

નગર ચરખો: રાહગીરી દિવસ એટલે જનપાંચમનો મેળો!


 મેળો એટલે શું - યાદ છે? જ્યાં પાર વિનાના લોકો હોય, ચકડોળ હોય, ફૂગ્ગા હોય, જાતભાતનાં સ્ટોલ હોય, ખાણીપીણી હોય. આબાલવૃદ્ધ સૌ ગામમાં મેળો આવવાની રાહ જોતાં હોય. મેળો ગામની ઓળખ હોય છે. હવે તો મેળો જોવા માટે છેક તરણેતર સુધી લાંબા થવું પડે છે. હવે આપણે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનની બહાર બીજા માણસ સાથે ભેગા થવાનું, વાતો કરવાનું કે કોઈ પણ પ્રકારની વાસ્તવિક જગ્યામાં એકઠા થવાનું ભૂલી જવાનાં છીએ. ચારે બાજુ હવે દીવાલો હોય, સીસીટીવી કેમેરા લગાવેલા હોય, બે-ત્રણ ચોકીદારો ફરતાં હોય તેવી જ 'પબ્લિક સ્પેસ'માં આપણને સુરક્ષિત લાગે છે. હવે પોળ-સંસ્કૃતિના પ્રતિક જેવાં વાટકી, પંચાત કે ટોળ-ટપ્પાં જેવા કોઈ વ્યવહાર કરવાની કોઈ સ્પેસ કે ગતાગમ રહી નથી. આપણે તોતિંગ દરવાજા ધરાવતી 'સોસાઈટી'માં રહીએ છીએ, ધાતુના ડબ્બામાં પુરાઈને ઓફીસ જઈએ છીએ, ઓફીસની કેબીનમાં ભરાઈ રહીએ છીએ. ખુલ્લી હવામાં શ્વાસ માટે બગીચા સુધી લાંબા થવું પડે છે અને હવે તો ત્યાં ય કેટલી ભીડ ઉમટે છે. ટૂંકમાં, શહેરને શહેર બનાવતી જગ્યાઓ ઓછી થતી જાય છે અને મશીન બનાવતી જગ્યાઓ વધતી જાય છે.

શહેરો માણસો માટે નહિ પણ વાહનો માટે વસાવવામાં આવે છે. બાળકોને રમવા માટે જગ્યાઓ ઓછી થાય છે અને વાહનોને પ્રસરવા માટે જગ્યાઓ વધતી જાય છે. વૃદ્ધ વ્યક્તિને રસ્તા પર ચાલવું કે રસ્તો ક્રોસ મુશ્કેલ થઇ પડ્યું છે. ચાલવાની જગ્યા અને માથે શીતળ છાંયો ધરાવતા રસ્તાઓ (જે અમુક જ વર્ષો પહેલા દરેક શહેરમાં સહેલાઈથી જડી આવતા) હવે મોંઘા કે ખાનગી થઇ ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં શહેરોમાં વાહનોનું આધિપત્ય થોડું ઓછું કરી શકવાના અને માણસનું આધિપત્ય વધારવાના પ્રયત્નો કરવા જરૂરી છે.

પ્લેટો-એરીસ્ટોટલ જેવા ગ્રીક ફિલસૂફો બે હજાર વર્ષ પહેલાંથી નગર-સંસ્કૃતિમાં પબ્લિક સ્પેસ ઉર્ફ જાહેર જગ્યાનું મહાત્મ્ય કરતાં આવ્યા છે. આપણાં સદીઓ જૂનાં પરંપરાગત શહેરોમાં પણ માણેક ચોક જેવી પબ્લિક સ્પેસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જો આજે આવી જગ્યા બનાવવામાં આવે તો પણ તેના યોગ્ય ઉપયોગ માટેની લોક લાગણી ક્યાંથી લાવીશું? શહેરોમાં પબ્લિક સ્પેસ વિષે લોકલાગણી લાવવા માટે આ પ્રકારનું પબ્લિક કલ્ચર ઉભું કરવું પડે. લોકોને શહેર પોતીકું લાગવું જોઈએ અને તે માટે લોકોએ ભેગા થવું પડે. લોકોને જાહેર જગ્યા માટે લાગણી થવા માટે તેમાં યોગ્ય કાર્યક્રમો થવા જરૂરી છે. આવો જ એક વિચાર છે - રાહગીરી દિવસ.

વિચાર બહુ સાદો-સીધો છે. શહેરના મધ્યભાગમાં એક રસ્તા પર વાહનોની અવર-જવર રોકીને પબ્લિક સ્પેસ રીક્લેઈમ કરવાની છે. એકવાર વાહનોની અવર-જવર બંધ થાય એટલે ત્યાં તાત્કાલિક ધોરણે મેળો ભરાઈ શકે, કાર્નિવલ થઇ શકે. બાળકો રમતાં થાય, જાદુના ખેલ થાય, ફૂગ્ગાવાળો આવી શકે, એક્રોબેટીક્સ થાય, ડાન્સ થઇ શકે, ખાણીપીણી થઇ શકે. લોકો પોતાના ભંડકિયામાં મૂકી રાખેલી સાઈકલ, સ્કેટ બોર્ડ કે સ્કેટીંગ શૂઝ લઈને નીકળી પડે. ઘણા વિદેશી શહેરોમાં થયેલાં સંશોધન જણાવે છે કે જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે તો આ પ્રકારના વેહિકલ-ફ્રી દિવસના લીધે સ્થાનિક દુકાનોમાં ધંધો 33 ટકા જેટલો વધી જાય છે. નજીકની દુકાનોનું એક્સ્ટેન્શન છેક રસ્તા સુધી કરી શકાય. મેળામાં જ તો લોકો સૌથી વધારે ખરીદી કરતાં હોય છે. આ સિવાય, રાહગીરી દિવસ યુવાનો માટે વિવિધ પ્રકારના ટેલેન્ટ પ્રદર્શનનું પ્લેટફોર્મ પણ બની શકે છે. વિવિધ પ્રકારની ગીત-સંગીત  કે શેરી નાટકની સ્પર્ધાઓ પણ યોજાઈ શકે છે. 

કવિશ્રી રમેશ પારેખ એક ગીતમાં દુનિયાને 'મનપાંચમના મેળો' કહે છે કે જ્યાં કોઈ એક ખિસ્સું અજવાળું તો કોઈ એક મુઠ્ઠી પતંગિયા તો કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવે છે. જો રમેશ પારેખની દુનિયા 'મનપાંચમના મેળા' જેવી હોય તો શહેરી દુનિયા 'જનપાંચમના મેળા' જેવી કેમ ન હોઈ શકે કે જ્યાં જનતાના શહેરની પબ્લિક પ્લેસ પરના અધિકારનો ઉત્સવ થતો હોય. જે શહેર પતંગિયાને, ફૂલોને, ઝાકળને જગ્યા આપે છે તે માણસના ખરા અસ્તિત્વને વાચા આપે છે. જો આપણે શહેરમાં આ પ્રકારના દિવસની ઉજવણીને નિયમિત કરીશું તો શહેરોમાં 'જનપાંચમ'ના મેળાઓ અને મેળાવડાઓ યોજાવાની રાહ નવી પેઢીને બતાવી શકીશું.

નવગુજરાત સમય, પાન નં 9, 16 નવેમ્બર (રવિવાર) 2014. 

Rahgiri day (vehicle-free Sunday) is people's own carnival - it is a celebration of people's right our city's public spaces.(Ahmedabad is initiating Rahgiri day with the first one taking place on CG Road today morning. We need to popularise it more and it should become a regular feature in the public life of the city.)

Vehicles encroach every bit of public spaces in our cities, especially the pedestrian areas. Children have no space to play on streets, it is difficult for elder citizens to cross a road negotiating with traffic. Walking spaces with shaded canopies have become either expensive to live in or are privatised and gated. One and half lakh people die in road crashes in India, we need to radically re-design our streets. We need to do much more to reclaim our public spaces. 

Rahgiri day is one such idea to reclaim our public spaces. When we stop vehicles' movement in the middle of the city - a road becomes a street! There will be a spontaneous mela, children will be seen playing - people will be seen loitering, walking, cycling, talking and generally socialising. I hope, we continue to reclaim public places with such ideas in Ahmedabad and other cities as well.

નગર ચરખો: પહેલા ગવર્નન્સ પછી સિવિક સેન્સ!


નિર્મલ ભારત કહો કે સ્વચ્છ ભારત અભિયાન, આપણી આસપાસને બે બાયોં ચઢાવીને સાફ કરવાની જરૂર તો છે. આપણાં દેશમાં ગંદકીની સમસ્યા બહુ વંઠી ગઈ છે, જાહેર જગ્યાઓએ તો ખાસ. વડા પ્રધાનથી માંડીને ફિલ્મ સ્ટાર, ક્રિકેટ સ્ટાર વગેરેએ હાથમાં ઝાડુ લઈને સફાઈઓ શરુ કરી, બહુ સારી વાત છે! એ વાતનો આનંદ છે કે પોતાનું આંગણું ચોખ્ખું રાખીને બહાર કચરો ફેંકતા દેશમાં સર્વત્ર સ્વચ્છતા રાખવાની દિશામાં કંઇક શરૂઆત થઇ. પણ કોઈકે સાચી સફાઈ કરી તો કોઈકે માત્ર ફોટા પડાવવા માટે. રાજકારણમાં પ્રતીકાત્મક ઉત્સવો, ફોટો-ઓપ (ફોટા પડાવવાની તકો) અને નવા-નવા અભિયાનોનું બહુ મહત્વ હોય છે. આવા ઉત્સવોનો ફાયદો એ છે કે નાગરિકોને એવો સંદેશ મળતો રહે છે કે સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. 

મૂળભૂત સવાલ એ છે કે સરકારી રાહે નાગરિકોને તેમની ફરજનું ભાન કરાવ્યા બાદ સરકાર શહેર સાફ રાખવાની પોતાની ફરજ યાદ રાખે છે? ધારો કે કોઈ નાગરિક સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઈને કચરો નાખવા કચરાપેટી શોધે, તો જાહેર જગ્યા પર એ કચરાપેટી મૂકવાની જવાબદારી સરકારની હોય છે. કચરો ગમે ત્યાં ન ફેંકનાર જેટલી જ જવાબદારી કચરાપેટી મૂકનારની હોય છે. કચરાપેટી ન હોય તો કોઈને કચરો ગમે ત્યાં નાખવાનું મન થાય એટલે કચરાપેટીનું હોવું જરૂરી છે. આખા શહેરમાં કચરાપેટી મૂકવાની જવાબદારી એટલે કે શહેરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી મ્યુનીસીપલ સરકાર કે શહેર સુધરાઈની હોય છે, આ કામ માટે તેમની પાસે મસમોટું તંત્ર હોય છે. શહેરોમાંથી હજાર મેટ્રિક ટન કચરો ઉપાડવાનો હોય છે. હવે આ તંત્ર તમારી આસપાસની જગ્યાઓ કેટલી ચોખ્ખી રાખે છે, તે તમે જ નક્કી કરો. 

આપણાં શહેરોમાં મોટાભાગના જાહેર રસ્તાઓ પર કચરા પેટીઓ કે જાહેર શૌચાલયો હોતા જ નથી. વળી, મહિલાઓ માટે શૌચાલયો બનાવવાનો કોઈ વિચાર કે વ્યવસ્થા હોતાં નથી. જો ક્યાંય કચરાપેટીઓ કે શૌચાલયો મૂકાઈ ગયા હોય તો સમયસર સાફ થતાં નથી, મેઇન્ટેનન્સની તો વાત જ ભૂલી જાઓ. જાહેર જગ્યાઓ અને રસ્તાઓમાં શૌચાલય કે કચરાપેટીઓની બનાવીને તેમને સારી રીતે ચલાવવાનું કામ સરકાર ખાનગી કંપનીઓ પાસે પણ કરાવી શકે છે, પણ આખરે આ વ્યવસ્થા તો સરકારે જ ઉભી કરાવી પડે. જાહેર રસ્તાઓ પર કચરાપેટીઓ અને શૌચાલયોની અવેજીમાં જાહેર રસ્તાઓ જ કચરા ટોપલી કે શૌચાલયો જેવા બની જાય છે અને તે ચાલવાલાયક કે માણવાલાયક રહેતા નથી. 

કોઈ પણ જાહેર સુવિધાની વાત કરવાની ચાલુ કરો ત્યારે સરકાર સાથે જોડાયેલા જનતાના પ્રતિનિધિ - નેતાઓ કે જનતાના સેવક - અધિકારીઓ વારંવાર એક વાત લઇ આવે છે કે આપણી પબ્લિકમાં કોઈ સેન્સ જ નથી એટલે કે સિવિક સેન્સ જ નથી. લોકો કોઈ જાહેર વસ્તુ કે સુવિધાની જાળવણી કરી શકતા નથી. ચાલો, માન્યું કે નાગરીકો તેમની ફરજ ચૂકી જતાં હશે, પણ સરકારની પોતાની જવાબદારીનું શું? તમે તમારા ઘરની બહાર નીકળીને અડધો કિલોમીટર ચાલો તો તમને કેટલી કચરાપેટીઓ રસ્તામાં મળે. કચરાપેટી તો દૂરની વાત છે પણ (જો રસ્તા નિયમિત સાફ થતાં હશે તો) રસ્તાના ખૂણે કચરાનો ઢગલો જરૂર મળશે જેને યોગ્ય વ્યવસ્થાના અભાવે સળગાવી મૂકીને હવામાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હશે. 

શહેરમાં ઉદ્ભવતા ઘન કચરાના નિકાલમાં પ્રાથમિક મ્યુનીસીપલ ગવર્નન્સ કે વહીવટમાં સક્ષમતામાં પ્રશ્નો હોય ત્યાં સુધી નાગરિકોને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો શો મતલબ છે? તકલીફ એ છે કે સરકાર શહેર સ્વચ્છ રાખવાની નાગરિકોની ફરજ ગણાવ્યા કરે છે ને નાગરીકો સ્વચ્છતાનો હક માંગે તો ગલ્લાંતલ્લાં કરે છે. પહેલા તો શહેરોમાં સફાઈની વ્યવસ્થા વધુ મજબૂત થવી જોઈએ, આ વ્યવસ્થા ઉભી કરવા માટે પૂરતું બજેટ ફાળવવું જોઈએ. સફાઈની વ્યવસ્થા કરનાર સ્ટાફને માન-સન્માન સાથે વ્યવસ્થિત મહેનતાણું મળે અને સારું કામ કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. લોકોમાં સિવિક સેન્સ નથી તેવાં બહાનાં સફાઈની મજબૂત વ્યવસ્થા એટલે કે ગુડ ગવર્નન્સ ગોઠવાયા પછી કાઢવામાં આવે તો તેનો કંઇક મતલબ છે. નહિ તો પછી સ્વચ્છ ભારત અભિયાનની ઉદાત્ત ભાવનાથી પ્રેરાયેલો નાગરિક કચરો એકઠો કરીને ઉભો રહેશે પણ કચરો નાખવા માટે કચરાપેટી તેને ક્યાંય નહિ જડે. 

નવગુજરાત સમય, પાન નં 9, 9 નવેમ્બર (રવિવાર) 2014. 

Governance first and then civic sense! 

After reminding citizens about their duties, does the city government take their duty of keeping the city clean seriously? When a citizen inspired by the clean India campaign look for a dustbin to throw garbage, it is the job of the city government to make sure that the dustbin is in its place. When a dustbin is in place, it is more effective to tell the citizen to use it. If it is not there then the government is not doing its job but expects the citizen to perform all the civic duties. Here, the 'dustbin' is just a symbol of the solid waste management system of the city. 

In most of our cities, the solid waste management is in shambles, especially in the public spaces. The streets are not cleaned regularly. When they are cleaned, the garbage is burnt openly in one corner (as in Ahmedabad). The public toilets (for men) - when built - are not maintained properly. There are hardly any public toilets for women. If the city government can manage 'private' garbage (door-to-door collection), what is stopping them from managing our public places - streets. 

The babus and the netas often complain that our citizens don't have any 'civic sense'. How can you expect any 'civic sense' before putting good governance in practice? Why is this expectation from the citizens to keep performing their duties, while the government agencies don't take their duties seriously. It is time the citizens should ask cleanliness as their 'right' when the government expects it as their 'duty'.

નગર ચરખો: જમશેદપુર - ભારતનું પહેલું 'પ્રાઈવેટ' શહેર!


ભારતના શહેરોનું વર્ગીકરણ કરીએ તો તેમાં જમશેદપુરનું વિશિષ્ટ સ્થાન છે. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈ, કોલકતા, ચેન્નાઈ જેવા શહેરો બ્રિટીશરાજમાં ધમધમતા બંદરો હતાં. પુણે, કાનપુર, આગ્રા, બરેલી, મેરઠ, મથુરા, વારાણસી, દહેરાદૂન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવા ઉપરાંત અંગ્રેજો માટે મહત્વના લશ્કરી થાણા (cantonment) હતાં. તે સિવાય, અંગ્રેજોએ શિમલા, મનાલી, ઉટી, દાર્જીલિંગ, ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોનો વિકાસ ખાસ તો વેકેશન  માણવા માટે કર્યો. બ્રિટીશરાજને ભારતમાં ઔદ્યોગીકરણ કરવામાં બહુ રસ નહિ હતો પણ તેમને ભારતમાંથી કાચા માલ-સામાનમાં જરૂર રસ હતો. ત્યારે ભારતના મૂડીપતિઓ પોતપોતાની રીતે બ્રિટીશ સરકારની બિન-ઔદ્યોગીકરણની નીતિઓ સામે સામ અને દામથી લડીને પોતપોતાની રીતે નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થાપી રહેલા. તેમાં અગ્રક્રમે આવતા જમશેદજી તાતાએ વર્ષ ૧૯૦૮માં તાતાની સ્ટીલ ફેક્ટરીની સાથે સાથે 'તાતાનગર' નામના શહેરનો પાયો નાખ્યો, જેને પાછળથી જમશેદપુરના નામે ઓળખવામાં આવે છે. આ ખરા અર્થમાં ભારતનું પહેલું ઔદ્યોગિક શહેર હતું.

તાતાનગર માટે સુબર્ણરેખા અને ખારકાઈ નામની બે નદીના પટની વચ્ચેનો, સંથાલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા ગાઢ જંગલમાં, લગભગ સો ચોરસ કી.મી.નો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતના શહેરો ક્યારેક કોઈ સાંસ્કૃતિક-ધાર્મિક સિદ્ધાંતોમાં દર્શાવ્યા પ્રમાણે બન્યા તો પછી ક્યારેક રાજ્યશાસકોની સત્તાના પ્રતિક રૂપે કે પછી કોઈના ધન-વૈભવના દેખાડાના અખાડા તરીકે આકાર પામ્યા હતા. જમશેદપુર જ એક એવું શહેર છે કે જેની મધ્યમાં ધાર્મિક ઈમારતો કે કોઈનો મહેલ નથી પણ એક ફેક્ટરી છે. શહેરના રસ્તાઓ પર ફરતા આ શહેરની ઔદ્યોગીકતા મોટા-મોટા ભૂંગળા, લાઈટો, લોખંડી માળખાઓ સ્વરૂપે ડોકાઈ જાય છે. તેથી શાસ્ત્રીય અર્થમાં જમશેદપુર 'આધુનિક' શહેર છે કે જે આર્થિક તંત્ર પર ચાલે છે, અહી લોકો નાત-જાત પ્રમાણે નહિ પણ કંપનીએ ફાળવેલા મકાનોમાં રહે છે, સામાજિક મેળાવડાઓ નાત-વાડી કે મંદિર-મસ્જીદમાં નહિ પણ 'ક્લબ' વગેરેમાં મળે છે.

જમશેદજીએ માત્ર એક ફેક્ટરીની પાસે ટાઉનશીપ નહોતી બનાવવી. તેમને શહેર વસાવવું હતું. જમશેદપુરમાં આજે ઘણા બાગ-બગીચા, ઝૂ, મ્યુઝીયમ, ખ્યાતનામ હોસ્પિટલ અને બીજા દવાખાના, એરપોર્ટ, શાળાઓ, રમત-ગમતના વિશાલ સંકુલો - ક્રિકેટ, ફૂટબોલ, સ્વીમીંગ, એથલેટીક્સ અને હોકી માટે તો અંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડીયમ છે. એક કંપની તરીકે તાતા ગ્રુપને આમાંથી અમુક મૂળભૂત સુવિધાઓ સિવાય કશું જ કરવાની જરૂર નહતી. છતાં પણ તેમને એક આદર્શ શહેર વસાવવાની દ્રષ્ટિથી આ સુવિધાઓ ઉભી કરી હતી. તેના પરિણામે તેમને મોટા શહેરોમાંથી સારી પ્રતિભા કે જાણકારોને આ કહેવાતા પછાત વિસ્તારમાં લઇ આવવામાં ઓછી મહેનત પડી હશે.

જમશેદપુર પાસેથી બે બાબતો દરેક શહેરે શીખવા જેવી છે. એક, શહેરની મ્યુનીસીપલ સેવાઓનું પ્રોફેશનલ મેનેજમેન્ટ. જમશેદપુરના મૂળ વિસ્તારનું વ્યવસ્થાપન 'જુસકો (જમશેદપુર યુટીલીટીઝ એન્ડ સર્વિસીસ કંપની)' નામની ખાનગી કંપની કરે છે. 'જુસકો' સંચાલિત વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા, લાઈટો વગરેની તકલીફ લગભગ નહિવત છે અને કંઇક ખોટકાય તો તેની ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવે છે. 'જુસકો'ના વિસ્તારની બહારની વસાહતોનું વ્યવસ્થાપન આદિત્યપુર, જુગસલાઈ, માંગો જેવી વિવિધ નગર પંચાયતો કે નગરપાલિકા કરે છે. અહી બધું અસ્ત-વ્યસ્ત છે, પ્રાથમિક સુવિધાઓ નથી, કોઈ આયોજન નથી, નગર પંચાયતો પાસે પૈસા નથી. ટૂંકમાં, પાણી ભરવા માટે આ લોકોએ 'જુસકો'ના વિસ્તારમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે. શું દરેક શહેર મ્યુનીસીપલ સેવા માટે જમશેદપુર પાસેથી પ્રોફેશનલ મેનેજમેન્ટ ન શીખી શકે?

બીજું કે, જમશેદપુરમાં 'વિવિધતામાં એકતા' કે 'સર્વધર્મ સમભાવ' કે 'બિનસાંપ્રદાયિકતા' જેવા વિચારો ખરા અર્થમાં જીવે છે. જમશેદપુર મુખ્ય શહેરમાં મોટા થતા બાળકો બહુ જ પચરંગી (કે કોસ્મોપોલીટન) સંસ્કૃતિમાં ઉછેરાય છે. સ્કૂલમાં એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી વગેરેનું પ્રતિનિધિત્વ હોવું તે સામાન્ય બાબત છે. આજુબાજુમાં બધા જ જાતના ઉત્સવો ઉજવાતા હોય, જાત-ભાતના ગીત-સંગીત, પુસ્તકો, ફિલ્મો હોય તો યુવા પેઢીને દુનિયાની વિશાળતા બહુ આસાનીથી સમજાય અને દેશના કોઈ પણ ભાગમાં તેઓ આસાનીથી ગોઠવાઈ જાય. 'વિવિધતામાં એકતા' જેવા સૂત્રો આઝાદ ભારતમાં અમલમાં આવે તેના ચાલીસેક વર્ષ પહેલાંથી જમશેદપુર તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. 

આપણાં દરેક શહેરોમાં વિવિધ સંસ્કૃતિઓનું વધુને વધુ મિશ્રણ થાય અને મ્યુનીસીપલ સેવાઓ વધુ પ્રોફેશનલ બને તેવી નવા વર્ષની શુભેચ્છાઓ! 

નવગુજરાત સમય, પાન નં 9, 2 નવેમ્બર (રવિવાર) 2014. 

Jamshedpur (estd.1908) is India's first industrial-modern city, where instead of a temple/mosque/church or some palaces, an industrial plant marked the centre of the city. In spite of being a 'private' city, the public functions like gardens, zoo, lake front, sports complexes, market places and green streets are given prominence. Today, we can surely learn two things from Jamshepdur - one, the professional management of urban services and two, putting in practice 'unity in diversity' a few decades before the Independence. People from various regional and religious backgrounds (surely not the income classes) lived together - something that is un-thinkable in many existing cities - getting exposed to other cultures, festivals, literature, music and ways of living. The Jamshedpurians fit in any part of India much easily, they don't need to create their own ghettos.

નગર ચરખો: સી નો ઇવિલ - બ્રિસ્ટલમાં એક લટાર!





ઇંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમી વિસ્તારમાં આવેલું બ્રિસ્ટલ એક અનોખું શહેર છે. 'બ્રિસ્ટલ' નામએ શહેર કરતાં વધુ જાણીતું છે. યુ.એસ-કેનેડામાં મળીને બ્રિસ્ટલ નામ સાથે સંકળાયેલી ત્રીસ-પાંત્રીસ જગ્યાઓ છે. બ્રિસ્ટલ શહેર સિવાય 'બ્રિસ્ટલ' નામ હોટેલ, કાર, સિગારેટ કે તમાકુ વગેરે સાથે જોડાતું રહ્યું છે. જેનું કારણ આ શહેરનો બંદર તરીકેનો ઈતિહાસ અને અહીંના જાણીતા ઉદ્યોગ કેન્દ્રો છે. ભારતમાં જાણીતી 'બ્રિસ્ટોલ' નામની સિગારેટ બ્રાન્ડનું નામ પડવાનું કારણ અહીનો તમાકુનો વેપાર હોઈ શકે. 'વિલ્સ' કંપનીની સ્થાપના બ્રિસ્ટલમાં થઇ હતી. તેના મુખ્ય મથક સમું મકાન આજે 'ટોબેકો ફેક્ટરી'ના નામે ઓળખાય છે અને તેના નવીનીકરણ બાદ ત્યાં એક સંસ્કૃતિક કેન્દ્ર છે, જેમાં થીયેટર, રેસ્ટોરેન્ટ, માર્કેટ વગેરે આવેલા છે. તે સિવાય, બ્રિસ્ટલમાં લક્ઝરી કાર બનતી અને વિમાન બનાવવાની ફેક્ટરી છે.  

બ્રિસ્ટલ પંદરમી સદીમાં પ્રખ્યાત બંદર હતું. જે એવોન નદીના સમુદ્રમુખે ભૌગોલિક રીતે જોડાયેલું છે. એવોન નામ પણ પ્રખ્યાત છે. ઈંગ્લેન્ડમાં જ આ નામની મૂંઝવણ પેદા કરે તેટલી નદીઓ છે, જેમકે શેકસપિયરના જન્મસ્થળનું નામ 'સ્ટ્રેટફર્ડ-અપોન-એવોન' (એટલે કે એવોન પર આવેલું સ્ટ્રેટફર્ડ) છે, પણ તે એવોન નદી બ્રિસ્ટલની એવોન કરતા જુદી છે. સત્તરમી સદીના સુરત અને પંદરમી સદીના બ્રિસ્ટલમાં ઘણી સામ્યતાઓ હતી અને સમુદ્રમુખે હોવાની એક સરખી ભૌગોલિક સ્થિતિ પણ. ઔદ્યોગિક ક્રાંતિના પહેલાના સમયમાં બ્રિસ્ટલએ ઇંગ્લેન્ડનું લંડન પછીના મોટા શહેરોમાં ગણાતું હતું. તેના ભૌગોલિક સ્થાનને લીધે ઇંગ્લેન્ડ-અમેરિકી સંસ્થાનો અને આફ્રિકી સંસ્થાનો વચ્ચે થતાં ત્રિકોણીય વ્યાપાર, ગુલામોની ખેપો વગેરે બ્રિસ્ટલથી થતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી લીવરપુલ, બર્મિંગહામ અને માન્ચેસ્ટરનો વિકાસ ઝડપી થયો, પણ ગુલામીની પ્રથા બંધ થવાથી અને બ્રિસ્ટલ બંદરનો વ્યાપાર ઓછો થવાથી બ્રિસ્ટલનો આર્થીક વિકાસ તે શહેરોની સરખામણીમાં ઓછો થયો. જો કે બ્રિસ્ટલનું મહત્વ ઈંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમ વિસ્તારના વેપાર, કળા-સંસ્કૃતિ, રોજગાર, શિક્ષણના કેન્દ્ર તરીકે યથાવત રહ્યું છે.

કોઈપણ શહેરને તેમાં મળતા પિક્ચર પોસ્ટકાર્ડ પ્રમાણે તો નિરૂપી જ શકાય કે જેમાં શહેરના જાણીતા લેન્ડમાર્ક હોય, ગ્લાસ કે મેટલના ચમકારાવાળા મકાનો હોય. આવા ચિત્તાકર્ષક, મોહક અને સુપાચ્ય શહેરની પોસ્ટકાર્ડ આવૃત્તિ સિવાયનું એક શહેર હોય છે, જીવતું-જાગતું-ધબકતું, શહેરના પેટાળમાં આવેલું શહેર, છુપાયેલું છતાં છતું અને થોડું શોધવાથી જડી જતું શહેર. બ્રિસ્ટલની ભૂગર્ભ કે સમાંતર સંસ્કૃતિ, સ્ટ્રીટ આર્ટ, સ્વયંફૂર્ત ઘટનાઓ ખૂબ રસ પડે તેવી હોય છે. પશ્ચિમી સભ્યતાની ઔપચારિકતા, આયોજનબધ્ધતા, વ્યવસ્થાપન સામે તે તુલનાભેદ તો પૂરો પડે જ છે પણ સાથે સાથે પેલી ઔપચારિકતાઓ અને સમાજની રૂઢિચુસ્તતા સામે બંડ પોકારીને પડકાર ઉભો કરે છે. બ્રિસ્ટલમાં લટાર મારતા તેની સમાંતર સંસ્કૃતિ અને સ્ટ્રીટ આર્ટ મળી આવે છે. 

બ્રિસ્ટલમાં શહેરની મધ્યમાં નેલ્સન સ્ટ્રીટ નામની એક અંધારી, કાળા-ભૂખરાં મકાન ધરાવતી, બોરિંગ જગ્યા હતી. આજે આ જગ્યા વિશ્વનું સૌથી મોટું, ઓપન ફોર ઓલ, કળા પ્રદર્શન છે. દુનિયાભરના 45 કલાકારોએ અહીંની દસ-પંદર ગગનચુંબી ઈમારતોના દેખાવની કાયાપલટ કરી દીધી છે. પાછું આ અદભૂત પ્રોજેક્ટનું નામ અહીંના મુખ્ય કલાકાર ઇન્કીએ ગાંધીજીને ગમે તેવું આપ્યું છે - સી નો ઇવિલ. બુરું જોશો નહિ - સારું જુવો, સમજો, આત્મસાત કરો. કળા લોકો માટે, લોકોની આંખો સામે, હાલતાં-ચાલતાં, સંવાદ કરે તેવી હોવી જોઈએ. ચિત્રકલાને સમજવા આંખો કેળવો. સમાજમાં જેટલી જરૂર સાક્ષરતાની છે તેટલી જ જરૂર વિઝુઅલ સાક્ષરતાની હોય છે. 'સી નો ઇવિલ' શહેરની વચ્ચે કોઈ ઔપચારિકતાઓ વગર આવી આંખ-કેળવણી માટે તક પૂરી પાડે છે. 

'સી નો ઇવિલ'ની સાથે સાથે શહેરના સંગીતકારોએ નવો જ ઉત્સવ શરૂ કર્યો - હિયર નો ઇવિલ. બુરું સાંભળશો નહી. સારું સંગીત સાંભળો અને તે માટે કાન કેળવો. ઈંગ્લેન્ડના શહેરોમાં એક બીજો અનેરો અનુભવ છે, સ્ટ્રીટ મ્યુઝીક. રસ્તે ચાલતા આવા સ્થાનિક સંગીતકારો મળી આવે જે વાતાવરણને સુરાવલીઓથી ભરી દે છે. મેં ક્યારેય કોઈના સંગીતમાં 'માંગવાનો' સૂર નથી જોયો પણ 'ખુશ કરવાનો' સૂર હમેશા જોયો છે. સંગીતએ અર્બન આર્ટનું બીજું મહત્વપૂર્ણ પાસું છે. કોણ કહે છે કે યુરોપમાં વાઈબ્રન્ટ સ્ટ્રીટ કલ્ચર નથી, બ્રિસ્ટલ સ્ટ્રીટ આર્ટ અને કલ્ચરની યુરોપીય રાજધાની છે! 

નવગુજરાત સમય, પાન નં 9, 19 ઓક્ટોબર (રવિવાર) 2014.