Friday, November 21, 2014

નગર ચરખો: પહેલા ગવર્નન્સ પછી સિવિક સેન્સ!


નિર્મલ ભારત કહો કે સ્વચ્છ ભારત અભિયાન, આપણી આસપાસને બે બાયોં ચઢાવીને સાફ કરવાની જરૂર તો છે. આપણાં દેશમાં ગંદકીની સમસ્યા બહુ વંઠી ગઈ છે, જાહેર જગ્યાઓએ તો ખાસ. વડા પ્રધાનથી માંડીને ફિલ્મ સ્ટાર, ક્રિકેટ સ્ટાર વગેરેએ હાથમાં ઝાડુ લઈને સફાઈઓ શરુ કરી, બહુ સારી વાત છે! એ વાતનો આનંદ છે કે પોતાનું આંગણું ચોખ્ખું રાખીને બહાર કચરો ફેંકતા દેશમાં સર્વત્ર સ્વચ્છતા રાખવાની દિશામાં કંઇક શરૂઆત થઇ. પણ કોઈકે સાચી સફાઈ કરી તો કોઈકે માત્ર ફોટા પડાવવા માટે. રાજકારણમાં પ્રતીકાત્મક ઉત્સવો, ફોટો-ઓપ (ફોટા પડાવવાની તકો) અને નવા-નવા અભિયાનોનું બહુ મહત્વ હોય છે. આવા ઉત્સવોનો ફાયદો એ છે કે નાગરિકોને એવો સંદેશ મળતો રહે છે કે સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. 

મૂળભૂત સવાલ એ છે કે સરકારી રાહે નાગરિકોને તેમની ફરજનું ભાન કરાવ્યા બાદ સરકાર શહેર સાફ રાખવાની પોતાની ફરજ યાદ રાખે છે? ધારો કે કોઈ નાગરિક સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઈને કચરો નાખવા કચરાપેટી શોધે, તો જાહેર જગ્યા પર એ કચરાપેટી મૂકવાની જવાબદારી સરકારની હોય છે. કચરો ગમે ત્યાં ન ફેંકનાર જેટલી જ જવાબદારી કચરાપેટી મૂકનારની હોય છે. કચરાપેટી ન હોય તો કોઈને કચરો ગમે ત્યાં નાખવાનું મન થાય એટલે કચરાપેટીનું હોવું જરૂરી છે. આખા શહેરમાં કચરાપેટી મૂકવાની જવાબદારી એટલે કે શહેરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી મ્યુનીસીપલ સરકાર કે શહેર સુધરાઈની હોય છે, આ કામ માટે તેમની પાસે મસમોટું તંત્ર હોય છે. શહેરોમાંથી હજાર મેટ્રિક ટન કચરો ઉપાડવાનો હોય છે. હવે આ તંત્ર તમારી આસપાસની જગ્યાઓ કેટલી ચોખ્ખી રાખે છે, તે તમે જ નક્કી કરો. 

આપણાં શહેરોમાં મોટાભાગના જાહેર રસ્તાઓ પર કચરા પેટીઓ કે જાહેર શૌચાલયો હોતા જ નથી. વળી, મહિલાઓ માટે શૌચાલયો બનાવવાનો કોઈ વિચાર કે વ્યવસ્થા હોતાં નથી. જો ક્યાંય કચરાપેટીઓ કે શૌચાલયો મૂકાઈ ગયા હોય તો સમયસર સાફ થતાં નથી, મેઇન્ટેનન્સની તો વાત જ ભૂલી જાઓ. જાહેર જગ્યાઓ અને રસ્તાઓમાં શૌચાલય કે કચરાપેટીઓની બનાવીને તેમને સારી રીતે ચલાવવાનું કામ સરકાર ખાનગી કંપનીઓ પાસે પણ કરાવી શકે છે, પણ આખરે આ વ્યવસ્થા તો સરકારે જ ઉભી કરાવી પડે. જાહેર રસ્તાઓ પર કચરાપેટીઓ અને શૌચાલયોની અવેજીમાં જાહેર રસ્તાઓ જ કચરા ટોપલી કે શૌચાલયો જેવા બની જાય છે અને તે ચાલવાલાયક કે માણવાલાયક રહેતા નથી. 

કોઈ પણ જાહેર સુવિધાની વાત કરવાની ચાલુ કરો ત્યારે સરકાર સાથે જોડાયેલા જનતાના પ્રતિનિધિ - નેતાઓ કે જનતાના સેવક - અધિકારીઓ વારંવાર એક વાત લઇ આવે છે કે આપણી પબ્લિકમાં કોઈ સેન્સ જ નથી એટલે કે સિવિક સેન્સ જ નથી. લોકો કોઈ જાહેર વસ્તુ કે સુવિધાની જાળવણી કરી શકતા નથી. ચાલો, માન્યું કે નાગરીકો તેમની ફરજ ચૂકી જતાં હશે, પણ સરકારની પોતાની જવાબદારીનું શું? તમે તમારા ઘરની બહાર નીકળીને અડધો કિલોમીટર ચાલો તો તમને કેટલી કચરાપેટીઓ રસ્તામાં મળે. કચરાપેટી તો દૂરની વાત છે પણ (જો રસ્તા નિયમિત સાફ થતાં હશે તો) રસ્તાના ખૂણે કચરાનો ઢગલો જરૂર મળશે જેને યોગ્ય વ્યવસ્થાના અભાવે સળગાવી મૂકીને હવામાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હશે. 

શહેરમાં ઉદ્ભવતા ઘન કચરાના નિકાલમાં પ્રાથમિક મ્યુનીસીપલ ગવર્નન્સ કે વહીવટમાં સક્ષમતામાં પ્રશ્નો હોય ત્યાં સુધી નાગરિકોને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો શો મતલબ છે? તકલીફ એ છે કે સરકાર શહેર સ્વચ્છ રાખવાની નાગરિકોની ફરજ ગણાવ્યા કરે છે ને નાગરીકો સ્વચ્છતાનો હક માંગે તો ગલ્લાંતલ્લાં કરે છે. પહેલા તો શહેરોમાં સફાઈની વ્યવસ્થા વધુ મજબૂત થવી જોઈએ, આ વ્યવસ્થા ઉભી કરવા માટે પૂરતું બજેટ ફાળવવું જોઈએ. સફાઈની વ્યવસ્થા કરનાર સ્ટાફને માન-સન્માન સાથે વ્યવસ્થિત મહેનતાણું મળે અને સારું કામ કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. લોકોમાં સિવિક સેન્સ નથી તેવાં બહાનાં સફાઈની મજબૂત વ્યવસ્થા એટલે કે ગુડ ગવર્નન્સ ગોઠવાયા પછી કાઢવામાં આવે તો તેનો કંઇક મતલબ છે. નહિ તો પછી સ્વચ્છ ભારત અભિયાનની ઉદાત્ત ભાવનાથી પ્રેરાયેલો નાગરિક કચરો એકઠો કરીને ઉભો રહેશે પણ કચરો નાખવા માટે કચરાપેટી તેને ક્યાંય નહિ જડે. 

નવગુજરાત સમય, પાન નં 9, 9 નવેમ્બર (રવિવાર) 2014. 

Governance first and then civic sense! 

After reminding citizens about their duties, does the city government take their duty of keeping the city clean seriously? When a citizen inspired by the clean India campaign look for a dustbin to throw garbage, it is the job of the city government to make sure that the dustbin is in its place. When a dustbin is in place, it is more effective to tell the citizen to use it. If it is not there then the government is not doing its job but expects the citizen to perform all the civic duties. Here, the 'dustbin' is just a symbol of the solid waste management system of the city. 

In most of our cities, the solid waste management is in shambles, especially in the public spaces. The streets are not cleaned regularly. When they are cleaned, the garbage is burnt openly in one corner (as in Ahmedabad). The public toilets (for men) - when built - are not maintained properly. There are hardly any public toilets for women. If the city government can manage 'private' garbage (door-to-door collection), what is stopping them from managing our public places - streets. 

The babus and the netas often complain that our citizens don't have any 'civic sense'. How can you expect any 'civic sense' before putting good governance in practice? Why is this expectation from the citizens to keep performing their duties, while the government agencies don't take their duties seriously. It is time the citizens should ask cleanliness as their 'right' when the government expects it as their 'duty'.

No comments:

Post a Comment