Sunday, September 21, 2014

નગર ચરખો: સ્લમ વિસ્તારો - ગેરકાયદેસર દબાણ કે સહિયારું સર્જન?

આજે દુનિયાભરમાંથી ત્રીજા ભાગના ગરીબ લોકો (લગભગ તેત્રીસ કરોડ) ભારતમાં વસે છે અને દુનિયાભરના ચોથા ભાગના શહેરી ગરીબ લોકો (લગભગ દસેક કરોડ) ભારતના શહેરોમાં વસે છે. આ દસ કરોડ લોકો સ્લમ એટલે કે શ્રમિક-ગરીબ વસાહતોમાં પાણી-ગટર-ગંદકીની રોજની બબાલો સાથે રહે છે. આઝાદીના છ-સાત દાયકા બાદ પણ શહેરી આયોજન અને શહેરી સરકારોએ શ્રમિક-ગરીબ વસાહતો અંગે કંઇક કરવાનો પડકાર ગંભીરતાથી ઉપાડ્યો નથી. યુપીએ સરકારની એક આવાસ યોજનાનું સુત્ર હતું ‘સ્લમ ફ્રી શહેરો’. ‘ગરીબી હટાવો’માં જેમ પ્રશ્ન થાય કે અહીં ગરીબોને હટાવવાની વાત છે કે તેમની ગરીબીને હટાવવાની વાત છે. તેમ અહીં સ્લમ-ફ્રી એટલે શહેરનાં ઝૂપડાંને શહેરની બહાર ધકેલવાની વાત છે કે પછી તેમને મૂળભૂત સુવિધા આપીને બાકીના શહેર સાથે જોડી દેવાની વાત છે તેવી મૂંઝવણ તો રહે જ છે. કે પછી આવી મૂંઝવણો રાખવામાં કોઈ ડહાપણ સમજે છે તે બહુ સ્પષ્ટ નથી.
શ્રમિક-ગરીબ વસાહતોનાં ઉદભવવામાં અને ફેલાવામાં ક્યારેક-ક્યારેક સરકારી પ્લાનીંગ તંત્રનું સક્રિય યોગદાન હોય છે. જ્યારે-જ્યારે ખાનગી જમીનોને ગ્રીન બેલ્ટ કે લેન્ડ સીલીંગ જેવા તઘલખી નિર્ણયોને લીધે વિકાસ માટે મંજૂરી નથી મળતી ત્યારે ખાનગી જમીન-માલિકો જમીનને ‘કાઢવા’ બીજા રસ્તા ખોળતા થઇ જાય છે. ખાનગી જમીનમાલિકો પોતાની સરકારી ‘શ્રાપ’થી પીડિત જમીનના ગેરકાયદેસર ભાગ કરીને ગરીબ-શ્રમિક પરિવારોને સસ્તા ભાવે વેચી દે છે કે ભાડે આપે છે. જ્યાં ઔદ્યોગિક કે ધંધાધારી એકમોમાં સસ્તાં મજૂરીની જરૂરિયાત હોય ત્યાં પ્રકારનું ગેરકાયદેસર વેચાણ અને જમીનનો ઉપયોગ ખૂબ ફૂલે-ફાલે છે. શ્રમિકો સ્લમ વસાહતોમાં રહે છે એટલે મજૂરી ‘સસ્તી’ પડે છે એ યાદ રાખવું જરૂરી છે. આ ગેરકાયદેસરતાનો ફાયદો એ થાય છે કે શહેરના પ્રોપર્ટી માર્કેટમાંથી ‘પ્રાઈસ આઉટ’ થયેલા હજારો ગરીબ-શ્રમિક પરિવારોને શહેરમાં ટકી જવા માટે જગ્યા મળે છે. જૂનવાણી પ્લાનીંગની ભૂલો અને રેવન્યુ વિભાગ-પ્લાનીંગ વિભાગ વચ્ચે સંકલનનાં અભાવે શહેરમાં આ પ્રકારના ‘અનૌપચારિક’ જમીન-મકાન માર્કેટને હવા મળે છે. ધીરે-ધીરે લોકો પોતાની સુવિધા પ્રમાણે પોતાના મકાનોમાં રોકાણ કરે છે અને વખત જતા મહાનગરપાલિકાએ તેમને મૂળભૂત સુવિધાઓ પણ આપવાનું શરુ કરે છે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં આવી કેટલીય લેન્ડ સીલીંગનાં કાયદા હેઠળ આવતી જમીનો છે જ્યાં આજે ગરીબ પરિવારો રહે છે અને વખત જતાં બે પાંદડે થયા છે. લેન્ડ સીલીંગનાં સરકારી સમાજવાદનું બિલકુલ બીજી રીતે પણ અમલીકરણ અહીં થતું જોવા મળે છે. આવા કેટલાય ગરીબ-શ્રમિક વિસ્તારો દરેક શહેરમાં જોવા મળે છે અને સરકારી રાહે થયેલા પ્લાનીંગનું કેવી રીતે સત્યાનાશ થયું તેની રસપ્રદ કહાનીઓ સંભાળવા મળે છે. આ વાર્તામાં એક જ વિલન શોધવો જરૂરી નથી સિવાય કે પછી ગરીબમાત્રને ‘વિલન’ ગણી લેવામાં આવે. શહેરી પ્લાનીંગે સર્જેલા કાયદાનાં શાસનનાં અવકાશમાં ગરીબ-શ્રમિક વસાહતોનું નિર્માણ બહુ જ વ્યવસ્થિત રીતે એક સમાંતર જમીન-મકાન બજારના ફેલાવા રૂપે થાય છે. હવે આ સમાંતર જમીન-મકાન બજાર જે સૌની આંખ સામે વર્ષો સુધી ફૂલ્યું-ફાલ્યું હોય અને જેના લીધે હજારો પરિવારોને શહેરમાં થોડી જગ્યા મળી હોય તેને માત્ર ‘દબાણ’ તરીકે બ્લેક એન્ડ વ્હાઈટમાં કેવી રીતે જોઈ શકાય?
મોટે ભાગે, આપણા દેશમાં પ્લાનીંગ ભવિષ્ય માટે નહિ પણ ભૂતકાળની ભૂલો સુધારવા થતું હોય છે એટલે હિન્દી  ફિલ્મોમાં બધું પતી ગયા પછી આવતી પોલીસની જેમ સરકારી કાયદેસરતાઓ કોઈ બાંધકામ કે વસાહતોને ‘ગેર-કાયદેસર’ કરાર કરે છે. કાયદાની દ્રષ્ટિએ બધું જ ગેર-કાયદેસર નથી હોતું તેથી આવી વસાહતો કે બાંધકામોને ‘અનૌપચારિક’ કહી શકાય પણ સંપૂર્ણપણે કાયદેસર ન કહી શકાય. આ લોકો માટે, લોકો દ્વારા, લોકોથી રચાતી વસાહતો છે, જેમાં ઔપચારિક પ્લાનીંગની ભૂમિકા ઓછી છે. ગરીબી અને વિષમતાના ઘણા મૂળભૂત કારણો સિવાય, સ્લમ વિસ્તારો ઉદભવવા પાછળ જૂનવાણી પ્લાનીંગ, સાનુકુળ અમલીકરણ અને શહેરી જમીનોનો અણઘડ ઉપયોગ જેવા મજબૂત કારણો છે. આ રીતે જો સ્લમ વિસ્તારો વર્ષોના અણઘડ આયોજન, સ્થાપિત હિતોની લાલચ અને અને ગરીબ વસ્તીની શહેરમાં થોડી જગ્યા ઉભી કરવાની મજબૂરીનું ‘સહિયારું સર્જન’ હોય તો તેમને શહેર સાથે કેવી રીતે સાંકળવા? તે વિષે વધુ આવતાં હપ્તે. 
નવગુજરાત સમય, પાન નં 9, 14 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

No comments:

Post a Comment