Monday, April 25, 2011

વેઈવેઈની ધરપકડ - બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઈ ગઈ

(Photo: REUTERS)
ભારતમાં લોક્પાલ કાયદા માટે મીડિયા-કમ-લોક આંદોલન ચાલતું હતું ત્યારે ૩જી એપ્રિલે ચીની સરકારે એ વેઈવેઈ નામના ચીની કલાકાર/આર્કીટેક્ટ/બ્લોગર/કર્મશીલની કોઈ જ દેખીતા કારણો વગર ધરપકડ કરી છે. આ બ્લોગ પર વેઈવેઈ વિષે ઘણું લખાઈ ગયું છે. (આ પોસ્ટમાં તેમના લંડનના ટેટ મોડર્ન નામના કળાકેન્દ્રમાં મુકાયેલા અનોખા પ્રદર્શનની વાત હતી, તો આ પાછળની જ પોસ્ટમાં વેઇવેઇએ બનાવેલા એક ડાયાગ્રામની વાત હતી) વેઇવેઇએ ખુલ્લેઆમ ચીની સરકારને પોતાની કળા દ્વારા, લેખન દ્વારા અને મીડિયામાં આપેલી મુલાકાતો દ્વારા પડકારી છે. જેનો બદલો આખરે વાણી કે વ્યક્તિ સ્વાતંત્ર્યથી એલર્જી ધરાવતી ચીની સરકારે લઇ જ લીધો. વેઈવેઈની, તેના સ્ટુડીયોમાં કામ કરતા કલાકારોની, કર્મચારીઓની અને તેના કુટુંબીઓ સુદ્ધાંની ધરપકડ કરવામાં આવેલી. એક-બે દિવસમાં વેઈવેઈ સિવાયના લોકોને છોડી મુકવામાં આવ્યા. હવે વેઈવેઈ ક્યાં છે તે કોઈને ખબર નથી. થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય દબાણવશ પોલીસ અધીકારીઓએ એવી માહિતી આપી કે વેઈવેઈની ધરપકડ ટેક્સ ચોરી જેવા આર્થીક ગુનાસર કરવામાં આવી છે. ઘણીવાર તપાસ કર્યા બાદ વેઈવેઈની પત્ની લુ કિંગને સત્તાવાર રીતે ધરપકડ વિષે જણાવવામાં આવ્યું અને તેને વેઈવેઈના નાણાકીય દસ્તાવેજો સાથે હાજર રહેવાનું સમન્સ બજાવવામાં આવ્યું. જો કે બધા જ દસ્તાવેજો સત્તાવાળાઓએ જપ્ત કરી લીધેલા હોવાથી રજુ કરવા માટે કંઇ હતું જ નહિ. વેઈવેઈ હવે કોઈ અજાણી જગ્યાએ છે અને તેની સલામતી કે સ્વાસ્થ્ય વિષે કોઈને માહિતી  નથી. 

સરકારી દમન અને તેને વ્યાજબી ઠેરવવાની પદ્ધતિઓ બધે લગભગ 'સ્થાનીક મૌલિકતા'ને બાદ કરતા સરખી જ હોય છે. નીચેના મુદ્દાઓ કાયદાકીય રીતે અને રાજકીય રીતે કોઈ પણ પ્રકારની જવાબદેહીથી બચવા માટેના ચીની સરકારના પ્રપંચો દર્શાવે છે:
  • ચીની સરકારે રાબેતા મુજબ 'આ ધરપકડની ઘટનાને વેઈવેઈની વ્યક્તિ સ્વાતંત્ર્ય કે લોકશાહીની માંગણી સાથે કોઈ સંબંધ નથી' એમ કહ્યું છે અને આ ઘટના માત્ર આર્થિક ગુનાઓને સંબંધિત છે તેવું ઠરાવ્યું છે. 
  • સરકારી છાપાઓએ વેઇવેઇને 'ચીન-વિરોધી' કે 'રાષ્ટ્ર-વિરોધી' કહ્યો છે. વળી, વિદેશી એજન્ટ કે વિદેશી પૈસાથી દેશ વિરુદ્ધ ષડયંત્ર કરવાનો ઇલકાબ પણ આ મહાન કલાકારને મળ્યો છે. આથી ફરી એક વાર સેમ્યુઅલ જોહ્ન્સનનું જુનું અને જાણીતું વાક્ય સાબિત થાય છે કે 'partiotism is the last resort of a scoundrel'. હમેશા બેઈમાન વ્યક્તિઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે રાષ્ટ્રવાદનો ખોટો ઉપયોગ કરતી હોય છે. અહી તો ચીની સરકાર રાષ્ટ્રવાદનો ખોટો ઉપયોગ સરકારી અત્યાચારોને વ્યાજબી ઠરાવવા કર્યો છે. 
  • વેઈવેઈની તરફેણ કરતા તેના વિદેશી મિત્રો અને સરકારોને તેમ કહી દેવામાં આવ્યું કે તમે ચીનને બદનામ કરવાનો પ્રયત્ન નહિ કરો, તમે અમારા આંતરિક મામલામાં દખલ કરો છો અને તમે ચીની કાયદા તેમજ સાર્વભૌમત્વનું સન્માન કરતા નથી. સરકારી છાપાઓએ પણ ચલાવ્યું કે અંગ્રેજીમાં હ્યુમન રાઈટ્સની વાતો કરતા લોકોને ચીનના આંતરિક મુદ્દાઓમાં કંઈ સમજ પડતી નથી. 
  • ચીની ટીવી ચેનલ અને બીજી વિદેશી ચેનલો પર આવતા સરકારી પ્રવક્તાઓનો દાવો હોય છે કે ચીનમાં થતા આર્થિક વિકાસથી ગભરાઈને ચીનને બદનામ કરવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે જેમાં વિદેશી સરકારો અને મીડિયા, માનવ અધિકાર સંગઠનો વગેરે બધા શામેલ છે. હદ તો એ થાય છે કે એક ચીની નાગરિક (લ્યુ ઝીઆબોઓ)ને મળેલું નોબેલ સન્માન પણ આ કાવતરાનો ભાગ હોય તેવું સરકારને લાગે છે. 
  • Change.org નામની ઓનલાઈન પીટીશન ઉઘરાવતી વેબસાઇટે વેઈવેઈની ધરપકડના વિરોધમાં લગભગ એક લાખથી વધુ સહીઓ એક-બે અઠવાડિયામાં ભેગી કરી. આ વેબસાઈટને હેક કરવાના મોટેપાયે પ્રયાસો થયા છે અને આઈપી સરનામાં મુજબ આ પ્રયાસો ચીનથી નિર્દેશિત હતા તેવું સાબિત થયું છે. આ વેબસાઈટ પરની પીટીશન પર અહી સહી કરી શકાશે. 
આ ઉપર મુજબનો કુ-પ્રચાર અને વ્યૂહરચનાઓ રાજકારણના ભાગરૂપે અને સરકારી દમનને વ્યાજબી ગણાવવાનું ભારતમાં પણ થાય છે અને તેના પર ચીનનો 'કોપીરાઈટ' નથી. છતાં એક ચોખ્ખો ફરક છે. ભલે આપણે ભારતની લોકશાહીને, ભ્રષ્ટ સિસ્ટમને અને ન્યાય-પ્રણાલીને ગમે તેટલી ગાળો આપીએ પણ મોટા ભાગના કિસ્સાઓમાં મોડો-મોડો પણ ન્યાય મળે છે. અમારી પેઢીએ 'ઈમરજન્સી વખતે ટ્રેઇનો કેવી સમયસર ચાલતી' તેવી દંતકથાઓ જ સાંભળી છે એટલે લોકશાહીની ધીમી, કંટાળાજનક પ્રક્રિયાઓ કરતા સરમુખત્યારશાહી કે બિન-લોકશાહી સરળ અને વહાલી લાગે તેવી ચાલતી ગાડીમાં ચઢી બેસવું બહુ સહેલું હોય છે. વાણીસ્વાતંત્ર્ય ન હોવાનો કે માનવ અધિકારનું સન્માન ન થતું હોય તેવી પરિસ્થિતિનો જાતઅનુભવ ન હોવાને લીધે આપણે ઘણીવાર આપણી લોકશાહીને પુરતું મહત્વ નથી આપી શકતા. પણ વેઈવેઈ જેવી ઘટનાઓ વારંવાર યાદ અપાવે છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્યથી મોટું કંઇ જ નથી. "I may not agree with your views but I will fight till my last breath to defend your right to have you views" - આ વાક્ય લોકશાહીમાં સહિષ્ણુતાનું હાર્દ છે અને આ હાર્દનું ટકી રહેવું તે ગમે તેટલું ચકાચૌંધ કરતી આર્થીક વૃદ્ધિથી પણ વધારે મહત્વનું છે.

આ લીંક પરથી છેલ્લા થોડા સમયમાં ચીનમાંથી 'ગાયબ થયેલા' લોકશાહી સમર્થકો, માનવ અધિકાર માટે લડતા વકીલો, લેખકો અને કર્મશીલોની માહિતી છે. આરબ જગતમાં થઇ રહેલી લોકશાહી માટેની ક્રાંતિથી ડરેલી ચીન સરકારે મોટાભાગના ચળવળખોરોને ક્યાંક ગાયબ કરી દીધા છે અથવા ખોટા કારણસર જેલમાં પૂરેલા છે. પોતાની જાતને 'પીપલ્સ રિપબ્લિક' કહેતા ચીનમાં પીપલ ઉર્ફ લોકોનો અને લોકસ્વાતંત્ર્યનો એકડો જ નીકળી ચુક્યો છે. સમાજવાદને નામે ચાલતો એકપક્ષવાદ અને માત્ર આર્થિક વૃદ્ધિથી (વિકાસ નહિ) ઉભી થતી વિષમતાઓ એ આજના ચીનની તાસીર બની ચુક્યા છે.
(Photos: Rutul Joshi)
ઉપરોક્ત ફોટોગ્રાફ્સ ૪થી ડીસેમ્બર, ૨૦૧૦ના દિવસે લંડનના ટેટ મોડર્નના ટર્બાઈન હોલની મુલાકાત દરમ્યાન લીધેલા. આગળની પોસ્ટમાં દર્શાવ્યા પ્રમાણે હવે સુરજમુખીના બીજ પર લોકોને સીરેમીકની રજકણોથી સંભવિત બીમારીઓના કારણે જવા દેવામાં આવતા નથી. એવું સાંભળવામાં આવ્યું છે કે વેઈવેઈની ધરપકડને કારણે આ પ્રદર્શન હજુ થોડા વધુ સમય સુધી જારી રાખવામાં આવશે. એક અજાણ્યા ગ્રુપે સુરજમુખીના બીજના પ્રદર્શન સ્થળે વેઈવેઈના ફોટા બિછાવીને વેઇવેઇને મુક્ત કરવાની પોતાની વાત રજુ કરી હતી, તેના વિષે વધુ અહી જાણી શકાશે. વેઈવેઈ, તેના કામ અને વિચારો વિશે ઈન્ટરનેટ પર ઘણી જ માહિતી છે. જો ચીન તેના દેશના જ કલાકારો, વિચારકો અને નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ નહિ કરી શકે તો તે શક્તિશાળી અને સમૃદ્ધ દેશ હોવા છતાં ઇતિહાસમાં એક 'અન્યાયને વરેલા' દેશ તરીકે જ જાણવામાં આવશે.

છેલ્લે એક જાતઅનુભવ: 
કોઈ ટેકનીકલ વિષયનો મધ્યમ વયના પ્રોફેશનલ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય ક્લાસ ચાલી રહ્યો છે. ૧૦ વિદ્યાર્થીઓ ભારતીય છે અને દસ વિદ્યાર્થીઓ ચીની છે. શિક્ષક વળી કોઈ ત્રીજા જ દેશનો છે. ભારતીયો પ્રશ્નો પૂછી પૂછીને શિક્ષકના છોડાં કાઢી નાખે છે. ચીની વિદ્યાર્થીઓ એક પણ સવાલ પૂછતા નથી. અડધા ભારતીય વિદ્યાર્થીઓ ખરેખર જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછે છે અને બીજા અડધા પોતાનું 'પ્રેક્ટીકલ' જ્ઞાન પ્રદર્શિત કરવા માટે. ચીની વિદ્યાર્થીઓમાંથી ઘણાને પૂરતું અંગ્રેજી આવડતું નથી. પણ પ્રશ્ન નહિ પૂછવાનું મૂળ કારણ  ભાષા ન જાણતાં હોવાનું નથી. આગળ વાત કરતા માલૂમ પડ્યું કે કદાચ છેલ્લા સાઈઠ વર્ષમાં તેમને કહેવામાં આવ્યું છે કે 'પ્રશ્નો પૂછવા નહિ'. શાળાઓમાં પણ પ્રશ્ન પૂછવાનો રીવાજ હોતો નથી. કોઈ શિક્ષક પ્રશ્નો પૂછવા પણ દે પણ પ્રશ્નો પૂછવાએ અધિકાર નથી, શિક્ષકે કરેલું અહેસાન છે. આનાથી તદ્દન વિપરીત નીચેનો સંવાદ ચીનની મહાન ફીલસુફીની પરંપરામાંથી મળી આવેલ છે.

Zi gong (a disciple of Confucius) asked: "Is there any one word that could guide a person throughout life?" The Master (Confucius) replied: "How about 'shu' [reciprocity]: never impose on others what you would not choose for yourself?" 
from Analects XV.24, tr. David Hinton (as quoted by Wikipedia)


શીર્ષક પંક્તિ: સૌમ્ય જોશીની ગઝલ પરથી
પૂરક માહિતી: ગાર્ડિયન, ઇન્ડિયન એક્સપ્રેસ-ઈકોનોમિસ્ટ, વિકિપીડિયા અને બીજી વેબસાઈટ્સ 

4 comments:

  1. "I may not agree with your views but I will fight till my last breath to defend your right to have you views" - આ વાક્ય લોકશાહીમાં સહિષ્ણુતાનું હાર્દ છે અને આ હાર્દનું ટકી રહેવું તે ગમે તેટલું ચકાચૌંધ કરતી આર્થીક વૃદ્ધિથી પણ વધારે મહત્વનું છે.

    very true..its by Voltaire.

    ReplyDelete
  2. Outstanding post Rutul. Extremely well-expressed. I particularly like the way you have spoken about how people in India with no experience of how a totalitarian state works crave for a supposedly benevolent dictatorship from time to time. Brilliant stuff.

    ReplyDelete
  3. u said it.
    and..'partiotism is the last resort of a scoundrel'.:-)

    ReplyDelete