Monday, March 14, 2011

રાશોમન (૧૯૫૦) સત્યની ચાર આવૃત્તિ

(This post is my humble attempt to express solidarity with the people of Japan. Although, I started writing about this film last month but due to the disasters in Japan, I was compelled to finish this post amongst many posts which never get completed). 

‘સત્ય શું છે?’ તે સમજવા માટે ફિલસુફીમાં, આધ્યાત્મિક વાતોમાં કે પછી કોર્ટ-કચેરીઓમાં માથાકૂટો થાય છે. સત્ય શોધવું એ ધંધો છે, બ્રેકિંગ ન્યુઝ છે, ગહન સંશોધનનો વિષય છે, કોઈકનાં અસ્તિત્વનો સવાલ છે કે પછી કોઈને માટે સત્તા હાંસિલ કરવાનું સાધન છે. તેથી જ તો ‘સત્ય શું છે’ તેની પાછળ કંઇક જોડ-તોડ થઇ જાય છે જે સત્યને સાનુકુળ, વ્યવહારિક કે સુપાચ્ય બનાવે છે. નિરપેક્ષ સત્યના ઓળા હેઠળ ‘સાપેક્ષ સત્યો’ પોતાના અલગ અલગ રંગ લઇને આવે છે.  આજકાલ એ પણ રસ્તો અપનાવાય છે કે ઘટનાને એટલી બધી ચૂંથી નાખવામાં આવે છે કે પછી સાચું શું છે તે માન્યતાનો વિષય બની જાય છે નહિ કે તથ્યોનો. માનવમનમાં સાનુકુળ સત્ય અને ખરેખર બનેલી ઘટના વચ્ચે દ્વન્દ્વ ચાલતું રહે છે. આ જ વાતનું નિરૂપણ અકીરા કુરોસાવાએ ૧૯૫૦માં બનાવેલી ફિલ્મ 'રાશોમન' કરે છે. આજે આ ફિલ્મ વિષે વાત માંડવાની છે. 

‘રાશોમન’ જાપાની મધ્યકાલીન યુગની સફરે લઇ જાય છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં માનવ અભિવ્યક્તિને પ્રકાશ અને પડછાયાનાં ઉપયોગથી કુરોસાવાએ સુંદર રીતે ઝીલી છે. આ ફિલ્મની પટકથા અદભૂત છે. પણ ‘રાશોમન’નો રીવ્યુ નથી લખવો. આજે તો વાત આ ફિલ્મની પટકથા વિષે અને સત્યની ચાર આવૃત્તિ વિશે. 

ભારે  વરસાદના વાતાવરણમાં એક જર્જરિત મંદિરમાં અમુક મુસાફરો ભેગા થયા છે - એક સાધુ, એક ગ્રામ્યજન અને એક કઠિયારો. તેમાંથી એક કઠિયારો અત્યંત વ્યાકુળ છે અને તે પોતાની વાત કહેવાનું શરુ કરે છે. સમાચારની રીતે તટસ્થતાથી (આમ તો આજકાલ સમાચારોને અને તટસ્થતાને કોઈ લેવા-દેવા નથી) જોઈએ તો એક ગાઢ જંગલમાંથી પસાર થતા યુગલ પર ભારે આફત આવી પડે છે. એક કુખ્યાત લૂંટારા સાથે ઝપાઝપીને અંતે પતિનું મૃત્યુ થાય છે અને પત્ની પર બળાત્કાર થાય છે. આ લુંટારો પકડાઈ જાય છે અને તેના પર કેસ ચાલે છે. આ કેસના જજ એટલે આપણે બધા – પ્રેક્ષકો. બધા જ સાક્ષીઓ આપણી સામે જોઈને વાત કરે છે. આપણે નક્કી કરવાનું છે કે સત્ય શું છે? અને સાચું કોણ છે. 

લૂંટારો: લૂંટારો એવું સાબિત કરવા મથે છે કે તે એક બહાદુર અને નીડર યોદ્ધો છે પણ ખૂની નથી. જંગલમાંથી આ યુગલને પસાર થતા જોઈને અને પવનની લહેરખીથી આ સ્ત્રીના નકાબને ઉંચકાતા જોઈને તેનું મન ચળી ગયું. તે આ બંનેનો પીછો કરીને ચતુરાઈપૂર્વક અને પોતાની બહાદુરીથી પેલા પુરુષને બંદી બનાવે છે અને તે સ્ત્રીની સાથે સહશયન કરે છે. આમાં બળાત્કાર જેવી કોઈ વાત જ નથી કારણકે સ્ત્રીએ કોઈ પ્રતિકાર જ કર્યોં નહતો. સ્ત્રી આ લુંટારાથી પ્રભાવિત હતી. છેવટે, તે જ્યારે ત્યાંથી નીકળતો હતો ત્યારે પેલી સ્ત્રી તેને પોતાની સાથે લઇ જવા માટે વિનવે છે અથવા તો તેનાં પતિને મારી નાખવા કહે છે. તેથી જ લૂંટારો તેના પતિને મુક્ત કરે છે અને તેની સાથે બહાદુરીપૂર્વક યુદ્ધ કરે છે, જેમાં પતિ મૃત્યુ પામે છે. આ જોઈને ગભરાઈને સ્ત્રી ભાગી જાય છે. લૂંટારો બધો જ કિંમતી સામાન લુંટી લે છે પણ પેલી સ્ત્રીની કીમતી કટાર ભૂલી જાય છે, એનો તેને અફસોસ છે. 

સ્ત્રી: સ્ત્રીની વાત આખી ઘટનાને વધારે જટિલ બનાવી મુકે છે. તેની વાત આ હુમલા પછી શરુ થાય છે. લૂંટારો ભાગી ચુક્યો હોય છે. સ્ત્રી તેના બંદીવાન પતિને મુક્ત કરે છે અને માનહાનિથી પીડાઈને સ્ત્રી પોતાને મારી નાખવા માટે તેનાં પતિને કહે છે. સામે તેનો પતિ સ્ત્રીને જ દોષી ઠરાવે છે. સ્ત્રીના હાથમાં તેની કીમતી કટાર હોય છે અને તે આઘાતથી બેહોશ થઇ જાય છે અને જાગે છે ત્યારે તે કટારથી તેના પતિનું મૃત્યુ થઇ ચૂક્યું હોય છે. આ સ્ત્રી ત્યારબાદ ડૂબીને મરવાનો પ્રયત્ન કરે છે પણ તેને બચાવી લેવામાં આવે છે. 
પુરુષ: હવે મૃત પુરુષને સાક્ષી રૂપે કઈ રીતે લાવવો? અહી તો કુરોસાવાની સર્જનાત્મકતાની ખૂબી દેખાઈ આવે છે. પુરુષનાં આત્માને તેની પત્નીના શરીરમાં બોલાવવામાં આવે છે. પુરુષની વાત આખી ઘટનાને નવો વળાંક આપે છે. આ હુમલા બાદ પેલો લૂંટારો તેની પત્નીને તેની સાથે ભાગી જવા વિનવે છે. તેની વાતથી લલચાઈને સ્ત્રી લૂંટારા સામે શરત મુકે છે કે લૂંટારાએ સૌથી પહેલા તેના બંદીવાન પતિને મારી નાખવો. લૂંટારો સ્ત્રીની આવી સદંતર બેવફાઈ જોઈને તેને ધૂત્કારી કાઢે છે. સ્ત્રી ગભરાઈને ત્યાથી ભાગી નીકળે છે. લૂંટારો પેલા પુરુષને મુક્ત કરે છે અને ભાગી છૂટે છે. પુરુષ પોતાનું સ્વમાન ઘવાતા આખરે પેલી સ્ત્રીની કીમતી કટારથી આત્મહત્યા કરે છે.

કઠિયારો: આખરે કઠિયારો એવું જાહેર કરે છે કે આ આખી ઘટના તેને છૂપાઈને જોઈ છે. હુમલા બાદ પેલો લૂંટારો સ્ત્રીને તેની સાથે આવવા વિનવે છે. પેલી સ્ત્રી કહે છે કે પોતે શાંતિથી ત્યારે જ જીવી શકશે કે જયારે પુરુષ અને લૂંટારા બંનેમાંથી એક જ જીવિત હોય. સ્ત્રી આ બંનેને યુદ્ધ કરવાનું કહે છે. આ બંનેમાંથી કોઈને મરવું નથી તેથી તેઓ એકબીજા સાથે લડવા માંગતા જ નથી. બંને પુરુષો ભેગા થઈને સ્ત્રીને આખી ઘટના માટે જવાબદાર ગણે છે. સ્ત્રીનો સામે જવાબ બહુ વેધક હોય છે કે તેની પર અત્યાચાર કરનાર એક વ્યક્તિ અને તેને નહિ બચાવી શકનાર બીજો વ્યક્તિ બંને ભેગા થઈને જેના પર અત્યાચાર થયો છે તેને કઈ રીતે જવાબદાર ઠેરવી શકે? આ પરિસ્થિતિ માટે બંને પુરુષો સરખા જ જવાબદાર છે અને તેથી આ ઘટનાનો તાર્કિક અંત દ્વન્દ્વયુદ્ધથી જ આવી શકે. આખરે બંને પુરુષો એકબીજાથી ડરતા ડરતા લડે છે. આ લડાઈ કોઈ બહાદુરીની લડાઈ નહોતી પણ કાયરોની લડાઈ હતી. પણ આખરે લૂંટારાની તલવારથી પુરુષનું મૃત્યુ થાય છે. 
એક નરી આંખે જોનાર સાક્ષી તરીકે આપણને કઠિયારાની વાત માનવાનું મન થાય. પણ તેમની સાથે બેઠેલો એક ગ્રામ્યજન આખી વાતને હસી કાઢે છે. તેનો તર્ક એ છે કે કઠિયારાની વાતમાં પેલી કીમતી કટાર તો આવી જ નહિ. તો પછી એ કટાર કઠિયારા પાસે તો નથી ને? અને શું એટલે જ આ વાત એવી રીતે રજૂ કરવામાં આવી કે જેમાં કટારને વચ્ચે લાવવી જ ન પડે? આ પ્રશ્નો કઠિયારાનાં નિરપેક્ષ સાક્ષી હોવા પર પ્રશ્નાર્થ મૂકી દે છે.

અહી દરેક વ્યક્તિ પોતાના મનોવલણો પ્રમાણે કોઈ ઘટનાને જુએ છે. પકડાયા પછી, મૃત્યુ પછી કે જુલમ વેઠ્યા બાદ પણ સૌ પોતાના સાનુકુળ સત્યો કે સાપેક્ષ સત્યો (કે નર્યા જૂઠાણા) છોડી શકતું નથી. દરેકને દુનિયામાં સાચી કે આદર્શ વ્યક્તિ તરીકે રજૂ થવું હોય છે અને તે માટે તેઓ સત્ય ઘટના સાથે રમત રમતા થઇ જાય છે. કુરોસાવાની આ ફિલ્મ મૂળભૂત પ્રશ્ન ઉભો કરે છે કે શું કઈ પણ સાચું જાણી જ ન શકાય? શું સત્ય જેવું કંઇક હોતું જ નથી? શું માનવજાત પર વિશ્વાસ મુકવા જેવો જ નથી? શું દરેક વ્યક્તિ જૂઠો જ હોય છે? કુરોસાવા આનો જવાબ ફિલ્મમાં પોતાની રીતે આપીને એક ખૂબસુરત મોડ આપીને ફિલ્મ પૂરી કરે છે. આ ખૂબસુરત મોડ માટે તો ફિલ્મ જ જોવી પડે. જેણે આ ફિલ્મ જોઈ હશે તેમને આ ખૂબસુરત મોડના ઉલ્લેખથી મો પર સ્મિત આવી ગયું હશે. 

આજે ‘એક ઘટનાની અનેક આવૃત્તિ’ જેવી ફિલ્મોની નવાઈ નથી. ‘સુરજ કા સાતવા ઘોડા’ જેવી ભારતીય ફિલ્મ કે ‘રન લોલા રન’ જેવી વિદેશી ફિલ્મોમાં આવી વાતનું નિરૂપણ થયું છે. પણ આ બધાયમાં ‘રાશોમન’ અનન્ય છે અને તેને વારંવાર જોવાનું મન થાય છે. કુરોસાવાની ફિલ્મો જાપાની સંસ્કૃતિના આધુનિક પ્રતિનિધિ સમાન છે. બીજા  વિશ્વયુદ્ધ બાદ જાપાનના પ્રજા જીવન, રાજકારણ અને કલા જગતમાં મોટા બદલાવ આવ્યા. ૧૯૫૦માં જ્યારે દુનિયામાં ફિલ્મ સર્જન અને લેખન પા-પા પગલાં ભરતું હતું, હોલીવુડનાં મસમોટા સ્ટુડીઓ ઉભા થઇ રહ્યા હતા, ત્યારે જાપાનમાં અકીરા કુરોસાવા, યાશીઝીરો ઓઝુ વગેરેએ દુનિયાને 'ફિલ્મ બનાવતા' શીખવાડવાની શરૂઆત કરી. સુદૂર પૂર્વની આ ફિલ્મોએ પશ્ચિમ અને બાકીના જગતને ફિલ્મોની ગુણવત્તાનું એક નવું સ્તર આપ્યું છે. 

આ બ્લોગ પર અકીરા કુરોસાવા વિષે અહી અને અહી લખાઈ ચૂક્યું છે.

3 comments:

  1. કુરોસવાની સાદ્યંત આસ્વાદ્ય ફિલ્મણી આસ્વાદ્ય રજૂઆત. સ્મિત આવી જ ગયું :) સત્યની સાપેક્ષ્તા/નિરપેક્ષતા અંગે અઢળક કલાકૃતિઓ છે. ભગવતીચરણ વર્માની ચિત્રલેખા સંભવતઃ રશોમાન બની એ ગાળામાં જ લખી હતી. વિક્રમ વૈતાળ જેવી આવી જ વાર્તાઓ પણ સદીઓ પહેલા લોકજીવનમાં હતી. જાપાન જેવી દુર્ઘટના સિવાય પણ અધૂરી રહેલી પોસ્ટ્સ પૂર્ણ થાય એવા નિમિત્ત મળતા રહો :)

    ReplyDelete
  2. હવે તો રાશોમન જોયા વગર ચાલશે નહિ! સરસ ફિલ્મની ઓળખાણ કરાવવા બદલ આભાર, ઋતુલ!

    ReplyDelete
  3. wow....Rashoman is one of the early forign movie i saw is this movie is most favourite movie of my husband Hitesh.He is a big fan of Japanese and korean movies and Rashoman tops the list.....:)

    ReplyDelete