Saturday, February 11, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૧)

(One of the very few pictures of Bhagat Singh, (date is disputed) Source: Wikipedia article on Bhagat Singh)
મૂળ લેખ - નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા ૨૦૦૭માં પ્રસારિત, ડી.એન. ગુપ્તા સંપાદિત 'Bhagat Singh: Selected Speeches and Writings' પરથી.

ડી.એન.ગુપ્તાના કહેવા પ્રમાણે જેલમાં રહેલા ભગતસિંહ અને એક વૃદ્ધ કેદી વચ્ચે ચર્ચા થાય છે. પેલો કેદી ભગત સિંહને ધાર્મિક બનવાની સલાહ આપે છે અને એવું મહેણું પણ મારે છે કે જ્યારે અંત નજીક આવશે ત્યારે આપોઆપ ધાર્મિક બની જઈશ. જ્યારે ભગત સિંહના જિંદગીનો અંત નજીક હોય છે ત્યારે આ લેખ લખીને જેલ સત્તાવાળાથી છૂપાઈને તેમના પિતાજીને આપે છે. ભગતસિંહના પિતા લાલા લાજપતરાયે શરુ કરેલા સાપ્તાહિક 'ધ પીપલ'માં જૂન, ૧૯૩૧ના રોજ છપાવે છે. મૂળ લેખ પંજાબી ગુરુમુખીમાં લખાયો છે, જેનું ઉર્દુ અને પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. અહીં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયું છે. આ લેખની ત્રણ-ચાર આવૃત્તિઓ વિવિધ જગ્યાએથી મળી આવે છે. મેં અહીં મુખ્યત્વે ઉપર જણાવેલા પુસ્તક પરથી યથાયોગ્ય લાગ્યું તેવી રીતે ભાષાંતર કર્યું છે. ક્યારેક કૌંસમાં શબ્દો ઉમેરવાની કે ફકરા પાડવાની છૂટછાટ લીધેલી છે, પણ લખાણનાં મૂળ હાર્દને જેમનું તેમ જ રાખ્યું છે. કદાચ ભગતસિંહ પાસે આ લેખને મઠારવાનો સમય કે અનુકૂળતા નહિ હોય કે પછી વારંવાર ભાષાંતરને લીધે મૂળ લખાણનો લહેકો ખોવાયો હોય તેવું લાગે છે. મેં મારી જીજ્ઞાસા સંતોષવા અને આ વ્યક્તિને વધુ નજીકથી જાણવા માટે, ભાષાંતરના કામની કોઈ જ તાલીમ કે અનુભવ ન હોવા છતાં આ કામ હાથ ધરવાનું સાહસ કર્યું છે. ક્યાંક છબરડાં હોય તો ચોક્કસથી જણાવશો.

ફાંસીની સજાની રાહ જોઇને બેઠેલા ૨૩ વર્ષના છોકરડાએ આ લેખ લખ્યો છે. આ છોકરો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો 'શહીદ-એ-આઝમ' ન હોત તો પણ આ લેખ એટલો જ મહત્વનો છે. આ લેખ ખાસ્સો આત્મકથાનક છે. અહીં ભગતસિંહે પોતે કરેલું તેમના જીવનનું વર્ણન છે, પોતાની જાત સાથેના વૈચારિક સંઘર્ષનો એક પડઘો અહીં ઝીલાય છે. આ કોઈ ઉચ્ચ સ્થાનેથી બેસીને ઉપદેશ આપતો લેખક નથી પણ તમારી પાસે બેસીને 'લો કરું કોશિશ ને ફાવે તો કહું' કે 'કોઇ થોડું ખળભળાવે તો કહું' પ્રકારના લેખકનું લખાણ મને લાગે છે. લખાણમાં ભગતસિંહનું વ્યક્તિત્વ અને એક ઈમાનદારી ઝલકે છે અને તેથી જ અંગત રીતે આ લખાણની સરખામણી ગાંધીજીના 'સત્યના પ્રયોગો' સાથે થઇ જાય છે. તો હવે ભગતસિંહ પાસેથી સાંભળો કે તે કેમ નાસ્તિક છે. 

હું નાસ્તિક કેમ છું?
- ભગતસિંહ 
 
એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ. મને ક્યારેય એવું લાગતું નહોતું કે હું આ પ્રકારના વાદ-વિવાદમાં ઉતરીશ. મને બહુ જ ઓછા સમયથી જાણવા છતાં મારા અમુક મિત્રો (જો મારો મિત્રતાનો દાવો માન્ય રાખવામાં આવે તો)ની ચર્ચા પ્રમાણે તેઓ એવા ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મારી અ-ધાર્મિકતા (કે નાસ્તિકતા) એ મૂર્ખતા છે અને મારા અહંકારનું પરિણામ છે. આ ગંભીર પરિસ્થિતિ છે. હું કંઈ માનવીય બાલીશતાથી પર નથી. આખરે, હું ય માનવજાત જ છું અને તેનાથી વિશેષ કંઈ જ નથી. કોઈ તેનાથી વિશેષ હોવાનો દાવો જ ન કરી શકે. મારા વ્યક્તિત્વમાં એક ખામી છે જ, ગર્વ જેવો એક દુન્યવી ગુણ હું ય ધરાવું છું. મારા દોસ્તો મને સરમુખત્યાર કહે છે. ક્યારેક મને ફિશિયારીબાજ પણ કહેવામાં આવે છે. કેટલાક મને બહુ શેઠાઈ કરનાર માને છે, તો કોઈ કહે છે હું મારા વિચારો તેમની પર થોપું છું. હા, આ બધું કેટલીક હદ સુધી સાચું પણ છે. હું આ તહોમતને નકારી કાઢતો નથી. પણ જ્યારે આપણા સમાજના (ધાર્મિકતા જેવા) નકામા, કાલગ્રસ્ત, સડેલાં મૂલ્યોની વાત આવે છે, ત્યાં હું એકદમ વહેમી, સંશયી બની જાવું છું. (કારણકે) આ પ્રશ્ન મારા એકલા વિષે નથી. હું મારા વિચારો, મારા આદર્શો અંગે ગર્વ ધરાવું છું. એને ખાલી ગર્વ ન કહી શકાય. ગર્વ, કે પછી જો બીજો શબ્દ વાપરીએ તો, ઘમંડ, બંનેનો અર્થ થાય છે પોતાના વ્યક્તિત્વનું અતિશયોક્તિ ભર્યું નિદાન. શું મારી નાસ્તિકતા મારા મિથ્યા ગર્વને લીધે છે કે પછી લાંબુ અને ઊંડું વિચાર્યા બાદ મેં ઈશ્વરમાં માનવાનું બંધ કર્યું છે? આ અંગે હું મારા વિચારો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

હું એ સમજી શકતો નથી કે કેવી રીતે ઘમંડ કે ખાલી મિથ્યાભિમાન કોઈ વ્યક્તિને ભગવાન વિષે માનતા રોકી શકે. હું કોઈ સર્વશક્તિમાન વ્યક્તિની મહાનતાને ત્યારે જ નહિ સ્વીકારું કે જ્યારે કાં તો મને મારા પોતાના અથાગ પ્રયત્નોના લીધે ખ્યાતિ મળી હોય કે પછી હું મહાન બનવાની સર્વોચ્ચ માનસિક શક્તિઓથી વંચિત હોવ. આ સમજવું સહેલું છે. પણ એવું કેવી રીતે શક્ય છે કે કોઈ આસ્તિક પોતાના ઘમંડના લીધે નાસ્તિક બની જાય? બે જ વાતો શક્ય છે: કાં તો કોઈ માનવી પોતે દૈવી શક્તિ ધારણ કરે છે તેવું કહે કે પછી એક ડગલું આગળ વધીને તે પોતાની જાતને જ ભગવાન ગણાવે. આ બંને માન્યતાઓમાં જે-તે વ્યક્તિ ખરા અર્થમાં નાસ્તિક નથી. પહેલી પરિસ્થતિમાં એ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતો નથી;  જ્યારે બીજા કિસ્સામાં તો તે કોઈ પ્રકારની દૈવી શક્તિ દુનિયા ચલાવી રહી છે તેવી માન્યતાને સ્વીકારે છે. જો વ્યક્તિ પોતે ભગવાન હોવાનો દાવો કરે કે 'ભગવાનનું હોવું' તે સત્ય છે તે વાતનો સ્વીકાર કરે તો ય મારી દલીલ બદલાતી નથી. હકીકત એ છે કે બંને કિસ્સામાં તે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે. તે નાસ્તિક નથી. મારે આ મુદ્દો જ સમજાવો છે. હું આ બંનેમાંથી કોઈ પણ પ્રકારમાં નથી. હું સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વ-શક્તિમાન ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરું છું. એવું કેમ? તેની ચર્ચા હું આ લેખમાં પાછળથી કરીશ. અત્યારે મારે ફરી ભાર દઈને કહેવું છે કે હું નાસ્તિક છું તે પાછળનું કારણ મારું અભિમાન, ઘમંડ નથી; હું કોઈ દૈવી પુરુષ નથી, હું પયગંબર નથી, હું  પોતે ભગવાન પણ નથી. એક વાત સંપૂર્ણ સત્ય છે કે મારાં વિચારોની ઉત્પત્તિ મારા ઘમંડ કે ગર્વના લીધે નથી થઇ. આ પ્રશ્નના ઉત્તર માટે હું તેને સત્ય(ઘટનાઓ) સાથે સાંકળીશ.

મારા મિત્રો કહે છે દિલ્હી બોમ્બધડાકા અને લાહોર ષડ્યંત્ર કેસ પછી, હું પ્રસિદ્ધ થયો છું અને તેના લીધે મારું મગજ ફરી ગયું છે. આ આરોપ કેમ ખોટો છે, તેની ચર્ચા કરીએ. મેં ઈશ્વરમાં વિષે માનવાનું આ ઘટનાઓ પછી બંધ નથી કર્યું. હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય હું નાસ્તિક જ હતો. એક સામાન્ય કોલેજ જતો વિદ્યાર્થી પોતાના અંગે અતિશયોક્તિભર્યું ધારીને નાસ્તિકતા તરફ જઈ ન શકે. એ સાચું છે કે મારા અમુક શિક્ષકોમાં હું માનીતો હતો, પણ કંઈ બધા મને પસંદ કરતા નહોતા. હું કોઈ મહેનતુ કે ખંતીલો વિદ્યાર્થી પણ નહોતો. મને ક્યારેય ગર્વિષ્ઠ થવાની તક જ મળી નથી. હું મારા વહેવારમાં બહુ સાવધાન હતો ને મારા ભવિષ્યની કારકિર્દી અંગે લગભગ નિરાશાવાદી હતો. હું મારી માન્યતામાં સંપૂર્ણ નાસ્તિક પણ નહોતો. હું મારા પિતાજીની દેખરેખમાં મોટો થયો હતો. તેઓ ચુસ્ત આર્યસમાજી હતાં. એક આર્યસમાજી નાસ્તિક સિવાય કંઈ પણ બની શકે. મારા પ્રારંભિક શિક્ષણ બાદ, મને લાહોરની ડી.એ.વી. કોલેજમાં મોકલવામાં આવ્યો. હું બોર્ડીંગ હાઉસમાં એક વર્ષ રહ્યો. સવારની પ્રાર્થનાઓ સિવાય, સાંજે હું કલાકો સુધી ધાર્મિક મંત્રોનું પાઠ કરતો. એ વખતે, હું સંપૂર્ણ આસ્તિક હતો. ત્યારે હું મારા પિતાજી જોડે રહેતો હતો. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓમાં ખાસ્સા સહિષ્ણુ હતાં. તેમની પ્રેરણાના લીધે મેં મારું જીવન દેશને આઝાદ કરાવવા પાછળ કુરબાન કર્યું છે. પણ તેઓ નાસ્તિક નહોતા. તે ભગવાનને દુનિયાની સર્વોચ્ચ શક્તિ માનતા. તેમણે મને રોજ પ્રાર્થના કરવાની સલાહ આપેલી. આવી રીતે જ મને મોટો કરવામાં આવેલો. અસહકારની લડતના દિવસોમાં, નેશનલ કોલેજમાં મને પ્રવેશ મળ્યો. મારા આ કોલેજમાં રોકાણ દરમ્યાન મેં ધાર્મિક વિવાદ-વિમર્શ વિષે વિચારવાનું શરુ કર્યું અને હું ઈશ્વરના અસ્તિત્વ અંગે વધુ સંશયી બન્યો. તે હકીકત સિવાય, હું એમ કહી શકું કે એ વખતે મારી ઈશ્વરમાં માન્યતા મજબૂત બની હતી. મેં (શીખ માન્યતા મુજબ) દાઢી અને કેશ વધારેલા. આ બધું થયું છતાં હું મારી જાતને શીખ કે બીજા કોઈ ધર્મના સામર્થ્ય અંગે સ્પષ્ટ કરી શક્યો નહોતો. પણ મારી ઈશ્વરમાં શ્રદ્ધા અચલ, અફર હતી.

તે પછી હું ક્રાંતિકારી પાર્ટીમાં જોડાયો. હું જે પહેલા નેતાને મળ્યો, તેમની પાસે પોતાને ખુલ્લેઆમ નાસ્તિક ગણાવવાની હિંમત નહોતી. તે આ વિષયમાં કોઈ આખરી મત પર પહોંચ્યા નહોતા. મેં તેમને જ્યારે પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે પૂછ્યું તો તેમને મને આ જવાબ આપ્યો, 'જો તમારે ઈશ્વરમાં માનવું હોય તો માની શકો છો'. જે બીજા નેતાના હું સંપર્કમાં આવ્યો તે સંપૂર્ણપણે આસ્તિક હતાં. મારે તેમનું નામ કહેવું જોઈએ. તે હતાં અમારા સન્માનનીય બિરાદર સચિન્દ્ર નાથ સાન્યાલ. તેમને કરાંચી ષડ્યંત્ર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેમના પુસ્તક 'બંદી જીવન'ના પ્રથમ પાનાથી તેઓ ઈશ્વરની મહત્તાના ગુણગાન ગાય છે. આ પુસ્તકના બીજા ભાગનું છેલ્લું પાનું જોશો તો જાણે કોઈ સાધક ઈશ્વરના વખાણ કરતો હોય તેવું જણાશે. આ તેમના વિચારોનું સીધું પ્રતિબિંબ છે.

ફરિયાદી પક્ષના કહેવા પ્રમાણે, (અમારું) 'ક્રાંતિકારી ચોપાનિયું' કે જે દેશભરમાં વહેંચાયેલું તે સચિન્દ્ર નાથ સાન્યાલના બુદ્ધિશક્તિની મહેનતનું પરિણામ છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એવું ઘણીવાર બને છે કે નેતા પોતાના અંગત વિચારોને રજૂ કરે છે, જે તેમને પોતાને સ્પષ્ટ હોય છે પણ બીજા કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધ મતોને ખાળીને પણ (નેતાના) વિચારોને માનવા પડે છે. પેલા ચોપાનિયામાં, એક આખો ફકરો ઈશ્વરના વખાણ કરવામાં ફાળવાયેલો કે જેમાં આપણે માનવજાત ઈશ્વરની લીલા સમજી શકતા નથી તે પ્રકારની વાત હતી. આ તો ખુલ્લેઆમ ભક્તિભાવ જ હતો. હું એ વાત રજૂ કરવા માંગુ છું કે કોઈને પણ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરવાનું સુઝ્યું પણ નહિ. કાકોરીના બહુખ્યાત શહીદો, એ ચારેય જણાંએ પોતાના છેલ્લા દિવસો પ્રાર્થના કરીને વિતાવેલા. રામ પ્રસાદ બિસ્મિલ ચુસ્ત આર્યસમાજી હતાં. રાજન લાહિરી, તેમના સમાજવાદ અને સામ્યવાદના વિસ્તૃત અભ્યાસ બાદ પણ, ઉપનીષદો અને ગીતાના શ્લોકો ગાવાની ઈચ્છા દબાવી શકતા નહિ. તેઓમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ હતો કે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતો ન હતો. તે એવું કહેતો કે, 'ધર્મ એ માનવસ્વભાવની નબળાઈ કે માનવ સમજની મર્યાદાની નિષ્પત્તિ છે.' તેને પણ આજીવન કેદની સજા થઇ હતી. જો કે તેણે પણ ક્યારેય ઈશ્વરના અસ્તીસ્ત્વનો ઇન્કાર કર્યો નહિ.

ત્યાં સુધી હું એક ભાવનાશીલ ક્રાંતિકારી હતો, માત્ર મારા નેતાઓનો અનુયાયી. ત્યાર બાદ સમગ્ર જવાબદારીનું વહન કરવાનો સમય આવ્યો. કેટલાક સમય માટે, અમુક લોકોના મજબૂત વિરોધના લીધે પાર્ટીના અસ્તિત્વ પર જ ખતરો આવી પડ્યો. ઘણા નેતાઓ તથા ઉત્સાહી કાર્યકરોએ પાર્ટી અંગે મેણાં-ટોણાં મારવાંનું શરુ કર્યું. અમારી મજાક ઉડાવી. મને એ વખતે ક્યાંક એવી શંકા હતી કે એક દિવસ આ બધું વ્યર્થ અને મૂલ્યહીન લાગશે. પણ તે મારી ક્રાંતિકારી કારકિર્દીનો ટર્નિગ પોઈન્ટ હતો. મારા હૃદયમાં વધુ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. 'વધુને વધુ અભ્યાસ કર', તેવું મેં મારી જાતને કહ્યું કે જેથી હું મારા વિરોધીઓની દલીલોનો સામનો કરી શકું. 'અભ્યાસ કર' કે જેથી તું તારા વિચારોને વિશ્વાસપ્રદ દલીલોથી ટેકો આપી શકે. અને પછી મેં ગંભીરતાથી અભ્યાસ શરુ કર્યો. મારી પાછલી માન્યતાઓ અને ખાતરીઓમાં ધરમૂળથી બદલાવ આવ્યો. હિંસક લડતનો રોમાંચ અમારા પૂર્વગામીઓ પર હાવી હતો, હવે નવા ગંભીર વિચારોએ તેમની જગ્યા લીધી. હવે કોઈ ભક્તિભાવ નહિ, હવે કોઈ અંધશ્રધ્ધા નહિ. હવે વાસ્તવવાદ જ અમારા વિચારવાની પદ્ધતિ હતો. જ્યારે તીવ્ર જરૂરીયાત હોય ત્યારે જ આત્યંકિત પદ્ધતિનો સહારો લેવો, બાકી જન આંદોલનમાં હિંસાથી વિરોધી પરિણામો આવે છે. (જો કે) મેં અમારી પદ્ધતિઓ વિષે બહુ વાત કરી છે. સૌથી મહત્વની વાત હતી અમારી વિચારધારા અંગે સ્પષ્ટ વિભાવના, કે જેના માટે અમે લાંબી લડત લડી રહ્યા છીએ. ત્યારે કોઈ પણ ચૂંટણીની ગતિવિધિઓ ન હોવાથી, મને વિવિધ લેખકોના વિવિધ વિચારોનો અભ્યાસ કરવાની પૂરતી તક મળી. મેં અરાજકતાવાદી (રશિયન) નેતા બાકુનીનનો અભ્યાસ કર્યો. મેં સામ્યવાદના પિતામહ માર્ક્સના અમુક પુસ્તકો વાંચ્યા. મેં લેનિન અને ટ્રોટ્સ્કી અને બીજા દેશોમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવનાર ક્રાંતિકારી લેખકો વાંચ્યા. આ બધા નાસ્તિક હતાં. બાકુનીનના પુસ્તક 'ઈશ્વર અને રાજ્યસત્તા'ના વિચારો કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચતા નથી, છતાંય તે એક રસપ્રદ પુસ્તક છે. ત્યારબાદ હું નીર્લાંબા સ્વામીના પુસ્તક 'સામાન્ય બુદ્ધિ' (Common Sense)ના સંપર્કમાં આવ્યો. તેમનું વિશ્વદર્શન એક પ્રકારની આધ્યાત્મિક નાસ્તિકતાનું છે. મને આ વિષયમાં રસ પડ્યો. વર્ષ ૧૯૨૬ના અંત સુધી, મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયંત્રણ કરી રહ્યો છે તે માન્યતા કોઈ રીતે આધારભૂત નથી. મેં મારા મિત્રો સાથે ચર્ચા કરવાનું શરુ કર્યું. મેં મારી જાતને ખુલ્લી રીતે નાસ્તિક ઘોષિત કરી. તેનું શું પરિણામ આવ્યું તેની ચર્ચા હું આગળ કરી રહ્યો છું.

૧૯૨૭ના મે મહિનામાં લાહોરમાં મારી ધરપકડ થઇ. આ ધરપકડથી મને બહુ જ આશ્ચર્ય થયું. મને એવો કોઈ ખ્યાલ જ નહોતો કે પોલીસ માટે હું 'વોન્ટેડ' છું. હું એક બાગમાંથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક પોલીસે મને ચાર બાજુથી ઘેરી લીધો. એ વખતે મારી પોતાની ઠંડક જોઈને મને પણ આશ્ચર્ય થયું હતું. હું મારા પૂરા નિયંત્રણમાં હતો. મને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. બીજા દિવસે મને રેલ્વે પોલીસના લોક-અપમાં પૂરવામાં આવ્યો અને આખો મહિનો રાખવામાં આવ્યો. ઘણા દિવસો પછી પોલીસના માણસો સાથેની વાતચીતથી મને ખબર પડી કે તેમની પાસે મારા કાકોરી પાર્ટી સાથેના સંબંધો અંગે કૈંક માહિતી છે. મને એવું લાગ્યું કે તેમની પાસે મારી બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી પણ છે. તેમણે કહ્યું કે જ્યારે કાકોરી ષડ્યંત્ર અંગે ખટલો ચાલતો હતો ત્યારે હું લખનૌમાં હતો અને તે 'અપરાધીઓ'ને ભગાડવાની તજવીજમાં હતો. તેમણે એ પણ કહ્યું કે આ પ્લાનના આયોજન પછી, અમે કેટલાક બોમ્બ મેળવ્યા અને તેના ટેસ્ટીંગ માટે અમે દશેરાના (લીધે ભેગા થયેલા) ટોળામાં પણ ફોડ્યા હતાં. તેમણે મને ક્રાંતિકારી પાર્ટીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી દેવાથી છોડી મૂકવાની ઓફર પણ કરી. આ રીતે, હું બહાર જઈ શકીશ, મને ઇનામ મળશે અને મારે કોર્ટમાં અપ્રૂવર તરીકે રજૂ પણ નહિ થવું પડે. હું આ બધા પ્રસ્તાવો પર હસ્યા વિના રહી શક્યો નહિ. આ બધું જ બકવાસ હતું. અમારા જેવા વિચાર ધરાવનારા વ્યક્તિઓ પોતાના જ લોકોના નિર્દોષ ટોળાં પર બોમ્બ ફેંકતા નથી. એક વખત સી.આઈ.ડી.ના સીનીયર અફસર મી.ન્યુમેન મારી પાસે આવ્યા. સહાનુભૂતિના શબ્દોથી ભરેલી તે લાંબી વાતચીત દરમ્યાન, તેમને મને એ જેને દુખદ સમાચાર ગણાવતા હતાં તે કહ્યા કે જો હું તેમને તેમના કહ્યા પ્રમાણેનું સ્ટેટમેન્ટ નહિ આપું તો કાકોરી ષડ્યંત્ર હેઠળ મારા પર રાજદ્રોહના આરોપ સાથે અને દશેરાની ઘટનાને લઈને ખટલો ચાલશે. આ બાદ તેમણે જણાવ્યું કે તેમની પાસે મને ગુનેગાર સાબિત કરીને ફાંસીએ દેવા માટે પૂરતા પુરાવાઓ છે. 

હું સંપૂર્ણ રીતે નિર્દોષ હતો પણ મને ખબર હતી કે પોલીસ પાસે જો ધારે તો (મને ફાંસી દેવાની) પૂરતી સત્તા ધરાવે છે. એ જ દિવસે મને કેટલાક પોલીસ અફસરોએ દિવસમાં બે વાર નિયમિત રીતે પ્રાર્થના કરવા સમજાવ્યો. હું તો નાસ્તિક હતો. મેં વિચાર્યું કે આ મારી જાત જોડે નક્કી થઇ જવા દઈએ કે હું સુખ-શાંતિના દિવસોમાં જ મારી નાસ્તિકતાની ફિશિયારી મારું છું કે પછી કપરાં દિવસોમાં પણ હું મારી માન્યતાઓને સુદ્રઢ રીતે વળગી રહી શકું છું. મારી જાત જોડેના લાંબા સંઘર્ષ બાદ, હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે હું આસ્તિક હોવાનો દેખાવ કરી શકું નહિ કે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરી શકું તેમ નથી. ના, હું ક્યારેય તે કરી શક્યો ન હોત. આ કસોટીનો કાળ હતો અને હું તેમાં સફળતાથી પાર ઉતર્યો. મારા આ જ વિચારો છે. એક ક્ષણ માટે પણ મને મારું જીવન બચાવવાનો વિચાર નહિ આવ્યો. હું એક સાચો નાસ્તિક ત્યારે ય હતો અને હું એક નાસ્તિક અત્યારે પણ છું. આવી પરિસ્થિતિનો સામનો કરવો સહેલો નહિ હતો. શ્રધ્ધા કપરાં કાળમાંથી પસાર થવું સહેલું બનાવે છે અને ક્યારેક આનંદકારક પણ. માનવીને ભગવાનમાં મજબૂત સહારો મળી રહે છે અને ભગવાનનું નામ લેવામાં એક પ્રેરણાદાયી સાંત્વન પણ. જો ઈશ્વરમાં વિશ્વાસ ન હોય તો પોતે પોતાનો સહારો બન્યા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. આંધી-તોફાન અને વાવાઝોડાની સામે પોતાના પગ પર અડગ રહેવું તે કંઈ બચ્ચાંના ખેલ નથી. કપરામાં સમયમાં જે કંઈ બાકી બચ્યો હોય તે બધો ઘમંડ ઓગળી જાય છે અને માણસ પાસે સામાન્ય લોકોમાં સર્વમાન્ય વાતને ખાળવા માટેની હિંમત હોતી નથી. જો કોઈ વ્યક્તિ આવી માન્યતાઓ સામે બંડ પોકારી શકે તો આપણે માની લેવું જોઈએ કે આ કોઈ ઘમંડ નથી પણ તે વ્યક્તિ પાસે અસાધારણ શક્તિ છે.

અત્યારે આવી જ પરિસ્થિતિ છે. સૌથી પહેલાં, આપણને સૌને ખબર છે કે કોર્ટનો ચુકાદો શું આવવાનો છે. કદાચ એકાદ અઠવાડિયામાં તે જાહેર થશે. હું મારી જીંદગી એક આંદોલનના માટે ન્યોછાવર કરવાનો છું. આ સિવાય મારી પાસે શું સાંત્વન છે! એક શ્રધ્ધાળુ હિંદુ પુનર્જન્મ પામીને એક રાજા બનવાની આશા રાખી શકે; એક મુસ્લિમ કે ખ્રિસ્તી તેમની તકલીફ અને બલિદાનના લીધે સ્વર્ગમાં મળનારા આનંદ-પ્રમોદના સપનાં જોઈ શકે. હું ક્યા પ્રકારની આશા પંપાળું? મને ખબર છે કે અંત આવશે ત્યારે મારાં ગળાની આસપાસ એક ગાળિયો ભીંસાશે અને મારાં પગની નીચેથી પાટિયું હટી જશે. ચોક્કસ ધાર્મિક શબ્દો વાપરીએ તો, તે મારાં સંદતર સર્વનાશની (કયામતની) પળ હશે. મારો આત્મા શૂન્ય થઇ જશે. હું જો આ આખી વાત (મારાં સત્કર્મોના) 'વળતર'ની રીતે જોવાની હિંમત કરું, તો મને દેખાય છે કે કોઈ ભવ્ય અંત વિનાની મારી સંઘર્ષમય ટૂંકી જીંદગી એ જ મારું સાચું 'વળતર' છે. બસ, એટલું જ! અત્યારે કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર પામવાના સ્વાર્થી પ્રયોજન વગર, બહુ જ નીરસતાથી મેં મારી જીંદગી આઝાદીના કાજે અર્પણ કરી છે. હું બીજું કશું કરી જ ન શક્યો હોત. આઝાદીના નવા યુગનું પ્રભાત જરૂર ઉઘડશે કે જ્યારે માનવતાની સેવાના વિચારમાંથી હિંમત એકઠી કરીને અને જોર-જુલમથી છૂટકારો મેળવવા માટે, મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ એવું નક્કી કરશે કે આ આંદોલનના ઉદ્દેશ પર જીવન ન્યોછાવર કરવા સિવાય બીજો કોઈ આરો નથી. એ ભેગા થઈને જુલમી, દમનકારી, શોષણકર્તાઓ સામે યુદ્ધ છેડશે, રાજા કે રાણી બનવા માટે નહિ, કે કોઈ વળતર અત્યારે કે આવતા જન્મમાં મેળવવા નહિ કે મર્યા પછી સ્વર્ગ પામવા નહિ; પણ ગુલામીની જંજીરો ફગાવી દેવા માટે, સ્વતંત્રતા અને શાંતિની સ્થાપના માટે, એ લોકો આ જોખમી પણ યશસ્વી માર્ગ ખેડશે. શું પોતાના ઉદ્દેશો પર તેમના ગર્વને ઘમંડ કહી શકાય? કોણ એવું વાહિયાત છે કે જે આમ કહી શકે? હું તેને કહીશ કે તે મૂર્ખ અને દુષ્ટ છે. આવી વ્યક્તિની ઉપેક્ષા જ કરી શકાય કે જેને હૃદયમાંથી ઉઠતી આ વાતનું ઊંડાણ, લાગણીઓ, અભિવ્યક્તિ અને ઉમદા ભાવના સમજાતી નથી. તેનું હર્દય મૃત છે, એક હાડ-માંસનો લાગણી વિનાનો ઢગલો. તેની માન્યતાઓ ઢચુપચુ છે અને લાગણીઓ રુક્ષ છે. તેના સ્થાપિત હિતો તેને સત્ય જોવા માટે સક્ષમ બનાવતા નથી. ખેર, આપણી માન્યતાઓમાંથી જ્યારે પણ આપણે હિંમત મેળવીએ છીએ ત્યારે આ રીતે ઘમંડી હોવાની ઉપાધિ મળી જાય છે.

જો તમે લોકપ્રિય લાગણીઓની વિરુદ્ધમાં જાઓ; જો તમે કે એક હીરોની ટીકા કરો, એક મહાન માણસ કે જેને સામાન્ય રીતે બધી જ ટીકાઓથી પર ગણવામાં આવે છે. તો શું થાય છે? કોઈ તમારી દલીલોનો જવાબ વિવેકબુદ્ધિથી નહિ આપી શકે; તેને બદલે તમને ખોટી ડંફાસ મારનાર ધારી લેવામાં આવશે. આવું થવાનું કારણ માનસિક મંદતા છે. દયાહીન ટીકા અને સ્વતંત્ર વિચારશક્તિ એ ક્રાંતિકારી વિચારધારાના બે મહત્વના લક્ષણ છે. જેમકે મહાત્માજી (ગાંધીજી) મહાન છે, તેઓ ટીકાઓથી પર છે અને તેઓ આ બધી બાબતોથી ઉપર ઉઠી ચુક્યા છે, તેઓ રાજકારણ, ધર્મ કે નૈતિકતાની બાબતમાં જે કંઈ પણ કહે છે તે જ સત્ય છે. તમે સહમત થાઓ કે નહિ, આ સત્ય માનવા તમે બંધાયેલા છો. આ બહુ રચનાત્મક વિચારશીલતા નથી. એવું પણ બને કે આપણે એક ડગલું આગળ માંડીએ ને અમુક ડગલાં પાછળ પણ જઈએ.

આપણા પૂર્વજોએ ધર્મ કે શ્રદ્ધાને કોઈક પ્રકારની સર્વોચ્ચ શક્તિમાં રૂપાંતરિત કરી નાખી છે. તેથી જ તો, જે પણ શ્રદ્ધાની પ્રમાણભૂતતાને પડકારે કે ઈશ્વરના અસ્તિત્વને નકારે, તેને કાફર કે વિશ્વાસઘાતી કે દ્રોહી ગણવામાં આવે. ભલે પછી તેની દલીલો એટલી મજબૂત હોય કે તેને નકારી ન શકાય, ભલેને પછી તેનો આદર્શ એટલો મજબૂત હોય કે તેને સર્વશક્તિમાનના શ્રાપને લીધે આવતી બદકિસ્મતીઓની ધમકીઓ આપીને ઘૂંટણીયે ન પાડી શકાય, તો પછી તેને ઘમંડી કહીને ઉતારી પાડવામાં આવે છે. જો આમ થતું હોય તો શા માટે આ પ્રકારની ચર્ચામાં મારે મારો સમય બગાડવો? જો કે આપ લોકો સમક્ષ આ પ્રશ્ન પ્રથમ વખત આવ્યો છે એટલે મને આટલી લાંબી ચર્ચાની જરૂરીયાત અને ઉપયોગીતા લાગી.  

જ્યાં સુધી આ પહેલા પ્રશ્નનો સવાલ છે, ત્યાં મને લાગે છે કે મેં સ્પષ્ટ કર્યું છે કે હું કોઈ ઘમંડને લીધે નાસ્તિક નથી બન્યો. હું નહિ માત્ર મારા વાચકો જ નક્કી કરશે કે મારી દલીલોનું વજન પડે છે નહિ. હું જો ઈશ્વરમાં માનતો હોત તો, મને ખબર છે કે વર્તમાન પરિસ્થિતિમાં મારી જીંદગી સહેલી બની હોત, આ બોજ કૈંક હળવો બન્યો હોત. મારાં ઈશ્વરમાં અવિશ્વાસને કારણે બધી જ પરિસ્થિતિઓ વિકટ ભાસે છે અને આગળ પણ બધું વધુ ખરાબ જ થશે. થોડા ભક્તિભાવવાળા બનવાથી આવી પરિસ્થિતિને કાવ્યાત્મક વળાંક આપી શકાય. પણ મને મારાં અંત સાથેની મુલાકાત માટે કોઈ અફીણની જરૂર નથી. હું વાસ્તવવાદી વ્યક્તિ છું. હું વિવેકબુદ્ધિની મદદથી હું આવા વલણ પર વિજય મેળવવા ઈચ્છું છું. હું મારાં પ્રયત્નોમાં હંમેશા સફળ થતો નથી. પણ માનવીનું કર્તવ્ય છે કે પ્રયત્નો કરવા. સફળતાનો આધાર મળતી તકો અને બનતી પરિસ્થિતિઓ પર હોય છે.

(આ સળંગ નિબંધ છે, પણ આ બ્લોગ માટે પોસ્ટ બહુ જ લાંબી થઇ જતી હોવાથી આ બે ભાગ પાડ્યા છે. આ ભાગમાં ભગતસિંહ મોટેભાગે તેની નાસ્તિકતા ઘમંડને કારણે નથી તેની ચર્ચા કરે છે, જ્યારે બીજા ભાગમાં તે નાસ્તિકતા ઘમંડને કારણે નથી તો ક્યા કારણે છે તે વિષે લખે છે. બીજો ભાગ જોવા મળશે: http://charkho.blogspot.co.uk/2012/02/blog-post_24.html

12 comments:

  1. દરેક માનવી પોતાની મૂંઝવણમાટે કોઇને કોઇ સાધન અથવા સહારાની મદદ લે છે.
    સહારો શારીરીક, ભૌતિક કે માનસીક એવા કોઇ પણ પ્રકારનો હોઇ શકે.
    માનસીક સહારામાટે વ્યક્તિ મિત્રો, સગાં સંબંધીઓ પર આધાર રાખતો હોય છે.મોટા ભાગના લોકો ઇશ્વરીય શક્તિનો સહારો લેતા હોય છે. તે શક્તિ વ્યક્તિને સીધી મદદ તો નથી કરતી પરંતુ તેના સહારાના અહેસાસથી વ્યક્તિને પોતાની નીજી શક્તિ પર વિશ્વાસ કરવા માટેનું બળ મળતું હોય છે.

    વ્યક્તિને પોતાની શક્તિ પર જેટલી વધારે શ્રધ્ધા એટલો તે વ્યક્તિનો બહારના સહારા પર આધાર ઓછો. આવી વ્યક્તિઓ ઇશ્વરની પણ છાશવારે મદદ માગવા દોડતા નથી,એટલે બાકીની વિશાળ બહુમતી તેમને 'નાસ્તિક'નું બિરૂદ એનાયત કરી દેતી હોય છે. પરંતુ, એનો અર્થ એમ પણ નથી કે તે વ્યક્તિ ઇશ્વરીય શક્તિમાં માનતી જ નથી.
    અહીં 'નાસ્તિકત્વ'ને આપણે ધર્મની [મર્યાદીત] પરીભાષામાં નથી જોઇ રહ્યા.

    ReplyDelete
  2. બીજા ભાગનો ઈન્તેજાર છે. તમને નવા નવા વિષયોમાં રુચિ જાગતી રહે અને અમારા જેવાને સાવ સરળતાથી નવું નવું જાણવા મળ્યા કરે એ જ ઈશ્વર ને પ્રાર્થના - જો એ હોય તો.

    ReplyDelete
  3. ભરત કુમાર2/13/2012 11:26 PM

    પ્રિય ઋતુલભાઇ,ભગતસિંહના આ લેખ વિશે બહુ જ સમય પહેલા સાંભળ્યું હતું ત્યારથી ઇચ્છા હતી કે એ વાંચવા મળે,ને આજે એ ઇચ્છા ફળી. ખૂબ જ ગમ્યું. સરસ અનુવાદ કર્યો છે,એવું તો મૂળ લખાણ વાંચ્યા વિના પણ કહી શકું કેમ કે તમારી ચીવટ ને સૂઝનો મને ઉંડોપરિચય છે.પરિચય માટે મળવું જ પડે એવું થોડું જ હોય? ને તમારી વિષય વૈવિધ્યતા પ્રશંસનીય છે.અભિનંદન.અને હા,બીજા ભાગની પ્રતિક્ષા છે.એવું કહેવું પડશે?

    ReplyDelete
  4. નીલેશ જાની2/19/2012 11:11 PM

    બીજા ભાગ નો આતુરતાપુર્વક ઇંતેજાર, ખરેખર આ લેખમાં ભગતસિંહ નુ આત્મવીષ્લેશણ જોઇ શકાય છે. બહુ થોડા લોકો આવુ introspection કરી શકતા હોય છે.

    ReplyDelete
  5. "પણ મને મારાં અંત સાથેની મુલાકાત માટે કોઈ અફીણની જરૂર નથી."
    આહ!

    ReplyDelete
  6. ભગતસિંહ નાસ્તિક હતા એ મને તમારો લેખવાંચ્યો ત્યારે જાણ થાય.હું પોતે ભગવાન માં માનતો નથી. અને ના માનવાનું કારણ વર્તમાન જે પરિસ્થિતિ અને ભગવાન વિશે ના તથ્યો ને સરખાવી જોઈને અનુભવ કર્યો છે કે ભગવાન વિશે ની ક તેની માન્યતા વિશે જે લખાણો છે તે મારા પ્રમાણે કેટલે ખોટું સાબિત થાય છે.

    ReplyDelete
  7. Sir..
    Bhgatsinh father name is kishnsinh,not lala lajpatray. Lala lajpatray is the great freedom fighter like veer bhagatsinh...
    Thank you so much for this article why I am an atheist (part 1&2)

    ReplyDelete
  8. ભાઈ તમે જે વાત કહી તેનો સંદર્ભ આપો સ્ટોરી સારી બનાવી છે, આ વાત કઈ આત્મકથા માં છે, મારા મત પ્રમાણે એ આર્ય સમાજી હતા, એમના સાથિયો જે રામ પ્રસાદ બિસ્મિલ હતા એ પણ આર્યસમાજી હતા, એમની આત્મકથા પ્રમાણે એ જ્યાં પણ ગયા છે રોકાણ આર્યસમાજ માં યા તો એની સાથે સંકળાયેલા લોકો સાથે જ રહ્યા છે, કલકત્તા ગયા હોય કે દિલ્હી છુપાવવા માટે આર્યસમાજ માં જ રહ્યા, બોમ્બ બનાવવા માટે ના સામગ્રી પણ આર્યસમજી થી જ મેળવી કેટલાક લોકો કોમ્યુનિસ્ટ કહે છે હા એના પર ટિપ્પણી કરેલી છે પણ એક સાબીતી આપો કે એમના જીવન માં કોઈ કોમ્યુનિસ્ટ સાથે મિત્રતા હોય કે કોઈ કોમ્યુનિસ્ટ એક્ટિવિટી માં ભાગ લીધો હોય કે કોઈ કોમ્યુનિસ્ટ જોડે એમની ઘનિષ્ઠતા હોય એમના જીવનમાં આવો કોઈ પ્રસંગ નથી, જેમના થી પ્રભાવિત હતા એ લાલા લાજપત રાય પણ પોતે આર્યસમજી હતા

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. ભાઈ આ પણ એક વાર જોઈ લેવું

    https://youtu.be/Ui2ePnlMzQw

    ReplyDelete
  11. Jay mataji all વીર સહિદ ભગતસિંહ ને હજારો વંદન

    ReplyDelete