Friday, July 23, 2010

એક ભૌગોલિક ગૂંચવાડો - એક સંવાદ

પિંકી: પપ્પા, મારે આજે નદી વિષે નિબંધ લખવાનો છે. મારા ભૂગોળના પાઠમાં આવે છે કે અમદાવાદ સાબરમતીને કિનારે વસેલું છે તે સાચી વાત છે?
પપ્પા: હા, કેમ? તને ખબર નથી? પેલા દિવસે તને નદી બતાવી હતીને પુલ ઉપરથી...અને તારો તો જનમ પણ અમદાવાદમાં થયેલો છે, એકદમ નદી કિનારે... 
પિંકી: પણ પપ્પા, તમે તો કહેલું કે તમે જયારે નાના હતા ત્યારે સાબરમતીમાં પાણી જ નહિ હતું અને તમે તેના પટમાં સર્કસ જોયેલું, તો હવે પાણી ક્યાંથી આવ્યું?
પપ્પા: બેટા, સાબરમતી નદી શહેરમાં પ્રવેશે તે પહેલા નર્મદાની નહેર આવેલી છેને, ત્યાંથી પાણી છોડવામાં આવે છે. એટલે અત્યારે પાણી ભરેલું લાગે છે અને પાછુ ચોમાસામાં તો સાબરમતીમાં પાણી પણ હોય છે. 
પિંકી: પણ બારેમાસ પાણી તો નર્મદાનું હોય છે તો પછી વધારે પાણી નર્મદાનું કહેવાય કે સાબરમતીનું?
પપ્પા: નર્મદાનું જ તો વળી...
પિંકી: તો પછી આપણે નદીનું નામ બદલીને નર્મદા જ કરી નાખવું જોઈએ...હું તો એમ જ લખવાની છું કે મારું શહેર નર્મદા નદીને કિનારે વસેલું છે.  
(પપ્પા ચુપ...)
પિંકી: પપ્પા... તો નર્મદાનું પાણી હમેશા ભરેલું જ કેમ રહે છે? શું એટલું બધું પાણી છોડવામાં આવે છે? 
પપ્પા (ફરી સ્માર્ટ બનવાના પ્રયત્ન સાથે): બેટા, એમાં એવું છે ને કે નદીના બીજા છેડે વાસણાથી આગળ એક બંધારો બનાવેલો છે તેથી શહેરનો જેટલો ભાગ છે તેમાં પાણી ભરાયેલું લાગે...
પિંકી: એટલે આ પાણી સ્થિર કહેવાય કે વહેતું પાણી કહેવાય. 
પપ્પા: અં...મોટે ભાગે તો સ્થિર જ કહેવાય... 
પિંકી: પણ પપ્પા, અમને ભૂગોળના બેને એવું ભણાવેલું કે નદીમાં વહેતું પાણી હોય અને તળાવમાં સ્થિર પાણી હોય. એનો મતલબ કે આપણે તળાવ કિનારે રહીએ છીએ, નદી કિનારે નહિ. 
પપ્પા: પણ બેટા... 
પિંકી: તમે જ મને ખોટું ખોટું કહીને કન્ફયુઝ કરો છો... હવે હું મારો નિબંધ કેવી રીતે લખીશ. મેં તો નદી જોઈ જ નથી. અને મારા ભૂગોળના પાઠમાં ય ખોટું લખેલું છે અને તમને ય ખબર નથી... મને છેલ્લી વાર કહી દો કે કે આપણે નદી કિનારે રહીએ છીએ કે તળાવ કિનારે અને કઈ નદી કે તળાવ, સાબરમતી કે નર્મદા?!?!?
પપ્પા (અકળાઈને): જા એક કામ કર, મમ્મીને જઈને પૂછ...
પિંકી: મમ્મીની ઓફીસ આજે ચાલુ છે અને મમ્મીએ તો કહેલું છે કે તેને તમારા સિવાય કોઈ પણ વિષયમાં સવાલ પૂછવા નહિ... 
(પપ્પા છાપામાં માથું ખોસે છે અને પિંકી 'એક નદીની આત્મકથા'ના વિષય પર નિબંધ લખવાનું વિચારે છે.)

4 comments:

  1. Nice one Rutul! Vaat to ek dam muddani chhe!

    ReplyDelete
  2. my sympathy & empathy for pappa.

    ReplyDelete
  3. wah bhai wah. saras vat kahi ane e pan ketali sahaj rite. balako pas hoy etala muddana sawal motao pase kem nahi hota hoy?

    ReplyDelete
  4. Thanks everyone...
    બાળકો પાસે મુદ્દાના સવાલો હોય છે અને મોટેરાઓ દુનિયાની ભૂગોળ બદલવાના કારસ્તાનો કરે રાખે છે, એનું શું? જેટલા 'મોટા' તેટલી આ ભૂગોળ બદલવાની ઇચ્છાઓ મોટી.

    ReplyDelete