Showing posts with label literature. Show all posts
Showing posts with label literature. Show all posts

Sunday, April 03, 2016

છઠ્ઠું વર્ષ અને 150મી પોસ્ટ: એકવીસમી સદીમાં ગુજરાતી લેખક અને વાચક!

1લી એપ્રિલ, 2010ના 'ફૂલ્સ ડે'ના પવિત્ર દિવસે હસતાં-હસતાં આ બ્લોગ શરુ કરેલો. હવે રમતાં-રમતાં 6 વર્ષ પુરા થયા. ત્યારે પણ 'લખતાં' નહોતું આવડતું, આજે પણ કદાચ નથી આવડતું! ત્યારે ય પણ ક્યારેક ઝીણું તો ક્યારેક જાડું કંતાતું હતું, આજે પણ! આ છ વર્ષમાં ગોકળગાયની ગતિએ 150 પોસ્ટ પૂરી કરી. ઇન ફેક્ટ, 150મી પોસ્ટ પૂરી કરી રહ્યો છું. આજે 150મી પોસ્ટ મારા બ્લોગના જન્મદિને (જન્મ અઠવાડિયે) એક્સક્લુઝીવલી માત્ર બ્લોગ પર મૂકી રહ્યો છું. આ 150 પોસ્ટમાં 'નવગુજરાત સમય' માટે લખેલી લગભગ પચાસ અને ડીએનએ માટે લખેલી લગભગ ત્રીસ પોસ્ટ અંગ્રેજીમાં પણ છે. આ ઉપરાંત સ્ક્રોલમાં (scroll.in) લખ્યું, સાર્થક 'જલસો'માં લખ્યું, નિરીક્ષકમાં લખ્યું. કોઈકે સામેથી હક અને હઠ કરીને લેખ માંગ્યા તો કોઈકે પૂછ્યા વિના કંઇક છાપી નાખ્યું. કોઈકે એવો આગ્રહ રાખ્યો કે મારે મારું લખેલું છપાવવા તેમની કુરનીશ બજાવવી જોઈએ. જો કે,  મોટેભાગે સારા અનુભવો જ થયા છે. ઘણાં નવા મિત્રો મળ્યા છે, ઘણી નવી સમજ કેળવાઈ છે, જે સૌથી મોટી મૂડી છે. 

પ્રોફેશનલ લેખકોની - કટાર લેખકોની જીંદગી આકરી હોય છે. ફૂલ ટાઈમ નોકરી અને પાર્ટ ટાઈમ પ્રવાસો સાથે નિયમિત કોલમ લખવાની શિસ્ત કેળવવી અઘરી હોય છે. વળી, 2010થી યુનિકોડના આવવા પછી ગુજરાતી લેખકો, કવિઓની સંખ્યામાં જે સતત વધારો થયો છે, જે જોતાં એવું લાગે છે કે આજે લેખકોની સંખ્યા વાચકો કરતાં વધારે છે. સાથે સાથે, મમળાવીને વાંચવું ગમે તે પ્રકારના લખાણો ઘટતાં જાય છે. છેલ્લે, તમે ભીજવતું કે દઝાડતું લખાણ ક્યારે વાંચેલું? મનોજ ખંડેરિયા તેમની લોકપ્રિય ગઝલમાં કહે છે તેમ પકડો કલમને કોઈ પળે, હાથ આખેઆખો બળે - તેવું બને છે? અને એવું બને તો શું લેખકની લ્હાય વાચક સુધી પહોંચે છે? લેખકની ગમે તેવી લ્હાય હોય પણ શું વાચક તેને સાહીઠ સેકંડથી વધારેનો એટેન્શન સ્પાન આપી શકે છે?

એક વાર 'લેખક' બની ગયા પછી, ઘણાં બીજા કોઈકે લખેલું વાંચવાનું છોડી દે છે પણ બીજા પોતાનું વાંચ્યા કરે તેવો આગ્રહ રાખે છે. દર અઠવાડિયે નવા વિચારો, નવી સામગ્રી,  મૌલિક લેખો વગેરે લાવવું અઘરું હોય છે. કેટલીક વાર કોઈક નવો મુદ્દો આવે ત્યારે વાચક તરીકે આપણને ખબર જ હોય છે કે આ વિષે કોણ શું લખશે. અને કમનસીબે, આ અનુમાન ખોટું પડતું નથી.  માન્યું કે મોટાભાગના લેખકોનું એક પ્રકારનું સામાજિક-રાજકીય વલણ હોય છે પણ તેની અંદર પણ તાજગી,  મૌલિકતા હોઈ શકે! આજે મને સરેરાશ ગુજરાતી લેખક એક તરફ સેલ્ફી-ગ્રસ્ત અવસ્થામાં પોતાનાં લખાણને પ્રમોટ કરતો દેખાય છે તો બીજી બાજુ વાચકોને લુભાવવા અને ખુશ રાખવા આગ્રહ કરીને પીરસતો પીરસણિયો થઇ ગયો છે. ફરક માત્ર એક જ છે કે કોઈનો શો રૂમ હોય છે, કોઈની દુકાન હોય છે અને કોઈની લારી - બાકી અલગ અલગ પ્રકારની દુકાનદારીની અપેક્ષા તો દરેક લેખક પાસેથી હોય છે. ક્યારેક તો લેખકની બનવાની તૈયારી કરતાં   દુકાનદારીની તૈયારી વધુ મજબૂત હોય છે.

સાથે સાથે મને છેલ્લા છ વર્ષમાં એ પણ ખૂંચે છે કે ગુજરાતી લેખનમાં રૂઢિચુસ્તતાનો ઉત્સવ લોકપ્રિય થઇ રહ્યો છે! સમાજના અને રાજકારણના સ્થાપિત હિતોને સ્વીકારી લેવાની અને બને તો તેનું મહાત્મ્ય કરવાની ફેશન ચાલે છે. આધુનિક, પ્રગતિશીલ, ખુલ્લું દિમાગ ધરાવતાં, ઉદાર મતના લેખકોની સંખ્યા ગુજરાતમાં કેટલી? શું આજે આપણાં એક સરેરાશ લેખકને પોતાની જાતિ-જ્ઞાતિ, લિંગ, ધર્મ, રંગ વગેરેમાંથી ઉદ્ભવતા સહજ પક્ષપાતો અને પૂર્વગ્રહોની જાણકારી હોય છે? શું આ લેખક સમજે છે કે તેની પોતાની સામાજિક પરિસ્થિતિના લીધે સહજ રીતે મળતાં પ્રિવિલેજ કેટલાં છે? અને પોતાને સહજ રીતે મળતાં સામાજિક વિશેષાધિકારોનો (પ્રીવીલેજીસનો) ઉપયોગ કરીને તે શું મેળવે છે? અને જે તે મેળવી લીધા પછી તે કોની પીઠ થાબડે છે? આ બધા અઘરા પ્રશ્નો છે. અને અઘરા પ્રશ્નોનો જવાબ અઘરો હોય છે. અઘરા જવાબોમાં મંથન-ચિંતન-વલોપાત હોય છે. ચાલો, આજે તમે  આધુનિક કે પ્રગતિશીલ વિચારોથી કેળવાયા ન હોય તે બની શકે પણ, કમ સે કમ તમારો કોઈ ઈમાનદાર વલોપાત કે અસલ વૈચારિક સંઘર્ષ તો હોઈ શકે ને! પણ લેખક પાસેથી અપેક્ષા હોય છે કે તે નિર્વાણ પામેલ દૈવી આત્માની જેમ ઊંચા આસનેથી બેસીને પ્રવચન આપે, દરેક મુદ્દાનું 'સનાતન સત્ય' પ્રગટ કરે. તેમાં વિચાર-વલોપાતનું કોઈ સ્થાન હોતું નથી. વધુમાં, તે માની લીધેલા અદ્રશ્ય રાજકીય શત્રુઓના ગાભાં કાઢી નાખે, બેન્ડ બજાવી દે. પછી તાળીઓનો ગડગડાટ થાય, શો પૂરો થાય. પેલો દૈવી આત્મા હવે નવરો પડે છે. વાચકો પોતાના બ્રાઉઝરમાં હવે બીજી નવી વિન્ડો ખોલે છે.

લેખક હવે દુકાનદાર, દૈવી આત્મા અને જાદુગરનું મિશ્રણ ધરાવતો બહુરુપીયો છે. વાચક હવે  ગ્રાહક, ભક્તગણ અને પ્રેક્ષકનું મિશ્રણ ધરાવતો બીજો બહુરુપીયો છે. લેખકની દુકાનનું કાઉન્ટર, ઉંચું આસન કે સ્ટેજ ઓળંગી શકવાની સંભાવના કેટલી? વાચકની બે હાથ જોડીને બેસી રહેવાની કે તાળીઓ પડવાની જગ્યાએ ઉભા થઈને  સવાલ પૂછવાની ભૂમિકા હોઈ શકે કે નહિ? લેખક 'આવું જ ખપે છે' તેમ  માનીને  ગુણવત્તા સાથે બાંધછોડ કરતો  થઇ જાય છે અને વાચક પણ બધી જ બાંધછોડો સ્વીકારી લે છે. મરીઝ કહે છે કે તેમ - તમે પણ કોઈ વાત મનથી ન કીધી અને અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યા. મને આ લેખક અને વાચક બંનેના બીબાંઢાળ રૂપ ખૂંચે છે. સરેરાશ લેખકની મીડીયોક્રિટી (mediocrity) અને સરેરાશ વાચકની પેસીવીટી (passivity) ખૂંચે છે. લેખક અને વાચક બંનેને માટે આ જડ ભૂમિકાને લાંઘવી જરૂરી છે. આ પ્રકારનું ઉલ્લંઘન (transgression) સ્વસ્થ સમાજની નિશાની હોય છે. એકવીસમી સદીમાં શું કોઈ લખાણ તમારા મગજના અંધારા ખૂણામાં રહેલા ન્યુરોન્સને અજવાળી શકે છે કે તે અંધારા ખૂણા પર દરવાજો જડીને સદાય માટે તાળું જડી દે છે? આ પૂછવા જેવો પ્રશ્ન હોય છે.

છ વર્ષમાં રાજકીય-સામાજિક ક્ષેત્રે ઘણું બદલાયું છે. 'ગરીબોના હાથ' વાળી સરકાર ગઈ અને 'અચ્છે દિન' વાળી સરકાર આવી છે. આ સાથે રાજકીય ધ્રુવીકરણ પણ જબરજસ્ત થયું છે. તમે ક્યાં તો અમારી સાથે છો અથવા વિરુદ્ધ! મધ્યમ માર્ગનો, મધ્યમાં રહેલી રાજકીય સ્પેસનો વિલય થયો છે. લેખક અને વાચક બંનેને આજે પક્ષાપક્ષીની રમત રમવી પડે છે. ઘટનાઓ બદલાય છે પણ તેમનું વિશ્લેષણ બદલાતું નથી. આ પક્ષાપક્ષીની રમતમાં સૌથી પહેલી ખુવારી સત્ય અને તર્કબુદ્ધિની થતી હોય છે. અત્યારે આપણે જે પ્રકારના રાજકીય લોલકમાં છીએ તેમાં આ ધ્રુવીકરણ ખુવાર થાય તે પહેલાં થોડા વર્ષ માટે વધવાનું છે. ત્યારે લેખકે અને વાચકે એ નક્કી કરવાનું છે કે તેઓ રાજકીય લોલકમાં લોલમલોલ થવું છે કે પછી લોલકગતિની બહાર ઉભા રહેવું છે. નીચે વાંચો રમેશ પારેખને! આ કરવું અઘરું હોય છે. પણ જીંદગી ક્યાં સહેલી હોય છે? સહેલી તો સુરજ બરજાત્યાની ફિલ્મો હોય છે!


બધાને આવતો સરખો વિચાર હોઈ શકું, 
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું; 
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો, 
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું ! 
 -રમેશ પારેખ

દરેક ટીકા કે ટિપ્પણ નવા વિચારનું, નવી વિભાવનાનું સ્વાગત કરે છે. મારી સમકાલીન લખાણો માટેની ટીકા-ટીપ્પણી તે મારો આખરી ચુકાદો નથી પણ મારું વિચાર દ્વંદ્વ છે. છેલ્લા છ વર્ષમાં થયેલા સ્વપ્નભંગની સૂચી છે. ઘણી શક્યતાઓ ધરાવતા ટેલેન્ટેડ લેખકોને 'સેટલ' થવાની લ્હ્યાયમાં ભેખડે ભરાતાં જોયા છે. આ લેખક અને વાચક જગતના પ્રવાહો ગુજરાત સુધી સીમિત નથી. તેથી આ ગુજરાતી અસ્મિતાની ક્રાઈસીસ નથી. આ ક્રાઈસીસ એકવીસમી સદી માટે સુસંગત લખાણના વિચારબીજની છે. આ ક્રાઈસીસ લોલકગતિની નિર્ધારિત ગતિને નહિ પડકારી શકવાથી ઉભી થઇ છે. આ એકવીસમી સદીના લેખક અને વાચકની એક્ઝીસ્ટેનશીયલ ક્રાઈસીસ છે. એક લખાણને સાહિત્ય બનવા માટે લાંબી મજલ કાપવી પડતી હોય છે. આ મજલ કાપવા માટે જે સાહસીઓ નીકળ્યા હોય તેમને 'ઓલ ધ બેસ્ટ' અને આ મજલમાં જે જલ્દી થાકી જવાના હોય તેમને 'બક અપ'. ફરી મનોજ ખંડેરિયાને યાદ કરીએ તો એવું પણ બને કે અડધા રસ્તે રસ્તોને ભોમિયા બંને છેતરે અને એવું પણ બને કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું વળે. ખેર, લેખક અને વાચક બંને ને તેમની લાંબી ઉંચી ઉડાન મુબારક અને ગમતીલો મુકામ મુબારક! મુબારકબાદી સાથે નીચેની કવિતા બંધ બેસે છે. આ આર્થર સ્કીત્ઝ્લરે 1898માં લખેલી કવિતા વિયેના શહેરના લિયોપોલ્ડ મ્યુઝીયમમાં છે.


સત્યનું હાર્દ તેને જ મળે છે જે તેને શોધવા નીકળે છે. 
સ્વપ્ન અને  જાગૃતિની જેમ જ એકબીજાની અંદર એકધારા વહે છે,
સત્ય અને જૂઠ. કશું ય નિર્ધારિત ક્યાં હોય છે.
આપણે ક્યાં બીજાને કે પોતાની જાતને ઓળખી શકીએ છીએ.
આપણે તો રમતમાં રચ્યા રહીએ છીએ - અને જે આ જાણે તે ખરો ચતુર સુજાણ.

છેલ્લે, એક નાની ફોટોગ્રાફિક રમૂજ - વિયેના શહેરના અનેક પેડેસ્ટ્રિઅન ક્રોસિંગ આ પ્રકારની ગ્રીન લાઈટ મૂકીને સજાતીય સબંધોના સર્વત્ર સ્વીકાર માટેની પેરવી કરવામાં આવે છે. યોગનુયોગ, આ ફોટોગ્રાફ પર વેલેન્ટાઈન દિવસ (14 ફેબ્રુઆરી, 2016) પર લેવામાં આવ્યો છે.

Friday, February 21, 2014

વિશ્વ માતૃભાષા દિવસ પર એક લટાર

હેપ્પી વિશ્વ માતૃભાષા દિવસ!

એક લટાર (રેનીયર મારિયા રિલ્કે)

મારી આંખો ત્યાં સૂર્ય-ભીની ટેકરીને અડકે,
મેં શરુ કરેલા રસ્તા ઓળંગી આગળ વધે.
જેને પકડી શકાય નહિ તેનાથી પકડાઈ જવાય છે,
અનહદ અંતરથી ય ત્યાં અંતર-પ્રકાશ રેલાય છે.

અને ધસી જવાય છે ત્યાં પહોંચાયા વગર,
કોઈ બીજા જ સ્વરૂપમાં, કશું સમજાયા વગર,
કે આ આપણે જ છીએ; ને એક ઈશારો લહેરાય છે,
આપણી કોઈ લહેરના જવાબમાં...
પણ આમ તો આખરે જે અડકે તે ચેહેરા પર નાની લહેરખી.


A Walk (Rainer Maria Rilke)

My eyes already touch the sunny hill.
going far ahead of the road I have begun.
So we are grasped by what we cannot grasp;
it has inner light, even from a distance-

and charges us, even if we do not reach it,
into something else, which, hardly sensing it,
we already are; a gesture waves us on
answering our own wave...
but what we feel is the wind in our faces.

Happy World Mother language day!

Monday, May 20, 2013

ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ - પુસ્તક અને ફિલ્મ

બહુ જવલ્લે જ એવું બને કે કોઈ નોવેલ પરથી ફિલ્મ બની હોય તો ફિલ્મને જોવાની અને નોવેલને વાંચવાની અલગ-અલગ પ્રકારની મજા આવે. મોટેભાગે પુસ્તક-પ્રેમીઓ તેમના ગમતાં પુસ્તક પર બનેલી ફિલ્મ જોઇને એવો ચુકાદો આપતા હોય છે કે સારા પુસ્તકો પરથી ફિલ્મ બનાવવી જ ન જોઈએ. અને ફિલ્મરસિયાઓ જે તે પુસ્તક વાંચતા પહેલા તેના પર જો ફિલ્મ બની હોય તો જોવાનો આગ્રહ રાખે છે. ફિલ્મ અને પુસ્તક બંને અલગ પ્રકારના માધ્યમ છે. પુસ્તકમાં કોઈ ઘટના કે વ્યક્તિના વિષે ધીરે ધીરે પડળો ખોલવાની સગવડ હોય છે, જ્યારે ફિલ્મમાં જે છે તે ત્યાં અને ત્યારે જ દેખાઈ પડે છે. જો કે ફિલ્મમાં પણ ધીરે ધીરે રોમાંચ વધારવાની પદ્ધતિઓ હોય છે પણ તે પુસ્તક કરતાં અલગ રીતે કરવું પડે છે.
આ નવલકથાની મેં જે આવૃત્તિ વાંચી છે તેનું કવર પેજ (સોર્સ: વિકિપીડિયા પેજ)
મોહસીન હમીદની નવલકથા 'ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ' મેં 2010ની સાલમાં વાંચી હતી. તે વખતે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરનાં પરગણાની એક નાની કમ્યુનીટી લાઈબ્રેરીએ આ પુસ્તક બીજી મોટી લાઈબ્રેરીમાંથી એક પાઉન્ડના નજીવા ખર્ચે મંગાવી આપેલું. વચ્ચે એક આડવાત, આવા નાના કમ્યુનીટી સેન્ટર અને તેની લાઈબ્રેરી જેવી સેવા પર તો આખો એક લેખ થઇ શકે. પણ ટૂંકમાં કહું તો નાની પણ સારી લાઈબ્રેરીએ ઓછા સામાજિક સંબંધો ધરાવતા અને ટીવી લેવાનો ખર્ચો ટાળનાર અમને પરદેશીઓને સારી રીતે ટકાવી રાખેલા. ત્યાં સુધી કે ગુજરાતી, બંગાળી, મલયાલમ પુસ્તકો પણ બીજી લાઈબ્રેરીઓમાંથી મંગાવી શકાતા. એવું લાગે છે કે આવી સુવિધાઓ ઉભી કરવા માટેની વાત ક્યારેય ખર્ચ કે વ્યવસ્થાપનનું તંત્ર ગોઠવવા જેવા વ્યવહારુ વિષયોમાં અટવાતી નથી હોતી, જરૂર હોય છે સાંસ્કૃતિક બાબતો માટે થોડી સરકારી નિસ્બત અને દ્રષ્ટિ ઉભી કરવાની. એક વાર પ્રજાને આવી સંસ્થાઓનો ચસકો લાગે એટલે બધું થઇ પડે. 

પાકિસ્તાની લેખક મોહસીન હમીદની આ નવલકથા મને રસપ્રદ લાગી હતી અને તેનું ખાસ કારણ એ હતું કે આખી વાત જાણે એક પાકિસ્તાની કોઈ રેસ્ટોરાંમાં બેસીને એક અમેરિકનને પોતાની જીવનકથા કહેતો હોય તેવી રીતે કહેવાઈ છે. ચંગેઝ ખાન નામના મૂળ લાહોર સ્થિત અને પછી અમેરિકાની વિખ્યાત પ્રિન્સટન યુનીવર્સીટીમાં ભણેલા યુવાનની પોતાની ઓળખ સાથેની મથામણ આ નવલકથાના હાર્દમાં છે. ચંગેઝ ન્યુયોર્કના સૌથી મોટા બીઝનેસ કેન્દ્ર જેવા મેનહટ્ટનમાં એક જાણીતી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મમાં જોડાય છે ત્યારે તેને લાગે છે કે લાહોરમાં જે પ્રકારના ઉચ્ચ સામાજિક-આર્થિક વર્ગમાંથી તેના માતા-પિતા ધીમેધીમે પોતાનું સ્થાન ગુમાવી રહ્યા છે, તેવા જ ન્યુયોર્કના ઉચ્ચ વર્ગમાં તે સ્થાન ધીરે ધીરે સ્થાન મેળવી રહ્યો છે. દુનિયા તેની મુઠ્ઠીમાં છે અને દુનિયાની બધી જ સંકીર્ણતાઓ તે પોતાના લેપટોપની વર્કશીટ્સમાં રહેલા માર્કેટ ફંડામેન્ટલસ દ્વારા સમજી શકે છે, સમજાવી શકે છે. આર્થિક જગતના કેન્દ્રસમા ન્યુયોર્કમાં જૈવિક થીયરી ડાર્વિનવાદનું વરવું સામાજિક સ્વરૂપ કે - જેમાં બળિયા પ્રાણી ટકી જાય અને નબળાં વખત જતાં નાશ પામે - તે ચંગેઝ જીવી રહ્યો છે અને સામાજિક ઉત્ક્રાન્તિના તે ઉચ્ચ 'ટકી ગયેલા' વર્ગમાં પોતાને ગણે છે. આ અલગ પ્રકારના ફંડામેન્ટલીસ્ટ લોકો છે અને તેમાં સાંગોપાંગ ભળી ગયેલો ચંગેઝ જેવો વ્યક્તિ 9/11ના હુમલા પછી અલગ પરિસ્થિતિમાં આવી જાય છે. તેને ગમતું હોય કે ન હોય તેની ઓળખ દક્ષીણ એશીયાઇ-પાકિસ્તાની-મુસ્લિમ જ બનીને રહી જાય છે અને આ બધાના સરવાળા રૂપે ધાર્મિક કટ્ટરપંથી (ફંડામેન્ટલીસ્ટ) હોવાના શંકાના દાયરામાં સતત આવતો રહે છે. 

ચંગેઝને ત્યારે તેના 'અમેરિકન ડ્રીમ'ની મર્યાદાઓ સમજાય છે અને તે લાહોર પાછો ફરીને ત્યાંની કોલેજમાં અધ્યાપન શરુ કરે છે.   તેના દેશનું પણ આવું શું ડ્રીમ થઇ શકે તેની પળોજણમાં હવે તે પડે છે. પાકિસ્તાનમાં બદલાતા પ્રવાહો જોઇને પૂરી નવલકથા વાંચતી વખતે આપણે પણ એ જ વિચારતા રહી જઈએ છીએ કે શું તે ખરેખર ધાર્મિક કટ્ટરપંથી થઇ જશે. આ નવલકથાના અંતમાં ચંગેઝ પોતાની વાત પૂરી કરીને તે અમેરિકનને વળાવીને પોતાના ગજવામાં હાથ નાખે છે - શું તે વીઝીટીંગ કાર્ડ કાઢશે કે પછી બંદૂક કે પછી સ્યુસાઈડ બોમ્બની સ્વીચ દાબશે? અને પેલો અમેરિકન કોણ હતો, કોઈ સામાન્ય ટુરિસ્ટ કે સિઆઇએ એજન્ટ? આ પ્રશ્નો સાથે નવલકથા પૂરી થાય છે કારણકે પેલા સવાલોના જવાબ આપણે જાતે ચંગેઝે કહેલી પોતાના જીવનની આખી વાત પરથી શોધવાના છે. મોહસીન હમીદ બહુ જ સલૂકાઈથી આપણને ભાન કરાવે છે કે 9/11 પછી આપણે બધાય કેવા વહેમી અને શંકાશીલ થઇ ગયા છીએ. મોહસીન હમીદની નવલકથા માર્કેટ ફંડામેન્ટલસ અને ધાર્મિક ફંડામેન્ટલસની વચ્ચે લોલકની જેમ ઝૂલે છે અને તેનો નાયક બંને પ્રકારના ફંડામેન્ટલીસ્ટ બની શકવાની પૂરતી શક્યતાઓ ધરાવતો હોવા છતાં તેમ કરવાની અનિચ્છા (reluctance) બતાવે છે.
મુખ્ય કલાકાર રીઝ અહમદ સાથે ફિલ્મ દિગ્દર્શક મીરાં નાયર 
આ પ્રકારના પ્લોટ પર ફિલ્મ બનાવવી અઘરી કહેવાય કારણકે પેલા અજાણ્યા અમેરિકનને ચહેરો અને ઓળખ આપવી પડે. જે લેખનમાં સહેલાઇથી છૂપાવી શકાય અને જેના વાચકો વિવિધ અર્થો તારવી શકે તે બધું ફિલ્માંકનમાં છતું કરવું પડે. તેથી આ ફિલ્મ મીરાં નાયર બનાવશે તેવી જાહેરાત થઇ ત્યારથી જ મને ફિલ્મ જોવાની તાલાવેલી હતી. આ પહેલાંની મીરાં નાયરની બે ફિલ્મો 'મોન્સૂન વેડિંગ' અને 'નેઈમસેક' બરાબર મોંઢે હતી. મીરાં નાયરના પિતા અમૃતરાય નાયર મૂળ લાહોરનાં હતાં અને આ ફિલ્મનું ઘણું શૂટિંગ પણ લાહોરમાં થયું છે. આ ફિલ્મમાં અલગ પ્રકારની મજા છે. ફિલ્મ માટે મૂળ નવલકથાના પ્લોટમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. અહીં આખી વાતચીત કોઈ પાકિસ્તાની અને કોઈ અમેરિકન નહિ પણ જેના પર કટ્ટરપંથી હોવાની શંકા છે તેવા એક પાકિસ્તાની અધ્યાપક અને સીઆઇએને છૂપી રીતે મદદ કરી રહેલા અમેરિકન પત્રકાર વચ્ચે બહુ તંગ વાતાવરણમાં થાય છે. મૂળ વાર્તાનું હાર્દ બદલાતું નથી પણ તેનો આખો પરીપેક્ષ બદલાઈ જાય છે. નવલકથા વાંચતા વાચકના મનમાં થતાં ઘમાસાણની સામે અહીં સીધી લીટીની પણ રસપ્રદ વાર્તા છે. મને આ નિરૂપણમાં પણ મજા આવી અને અલગ પ્રકારનો અનુભવ થયો પણ પુસ્તક-રસિયાઓ એવી ફરિયાદ કરી જ શકે કે શું મેં અને મીરાં નાયરે એકસરખું જ પુસ્તક વાંચ્યું હતું કે બીજું કોઈ! મીરાં નાયરે પુસ્તકનું ફિલ્મ નિરૂપણ કરતાં લેવા જેવી બધી આઝાદી લીધી છે. તેનાથી ફિલ્મની કથાવાર્તા અલગ પ્રકારની બને છે. પણ પુસ્તક અને ફિલ્મ વચ્ચે આટલો તફાવત હોઈ જ શકે. આખરે ફિલ્મની પટકથા મોહસીન હમીદે બીજા એક લેખક સાથે મળીને જ લખી છે.

એક મહત્વની વાત એ છે કે આ ફિલ્મ જોતા મને ક્યારેય એવું લાગ્યું જ નહિ કે આ પાકિસ્તાનની જ વાત છે. આ પ્રકારની વાર્તા ભારતીય વાતાવરણમાંથી પણ ઉદ્ભવી શકે છે. જે ચંગેઝ સાથે થયું - સારું ને ખોટું બંને - તે કોઈ ભારતીય યુવાન સાથે પણ થઇ શકે છે. 9/11 પછીના અમેરિકામાં સ્થાનિક ગુસ્સાનો ભોગ શીખ સમુદાયને બનવું પડ્યું હતું. વિદેશમાં રહેલા દેશીઓને અનુભવ હશે જ કે  વંશીય હુમલા માટે દક્ષિણી એશીયાઇ ચામડી હોવું પુરતું છે, તેમાં પછી કોઈ તમારો ધર્મ કે સરનામું પૂછવા નથી જતું. નફરત આંધળી હોય છે પણ પ્રેમ કરવા માટે સમજ જોઈએ અને સમય કાઢીને ધર્મ-સરનામાંના ભેદ એક પછી એક ભૂલવા પડે છે. સીઆઇએ અને કટ્ટરપંથીઓ વચ્ચે શાંતિ અને સમૃદ્ધિ ચાહતા ચંગેઝ જેવા યુવાનોની આખી પેઢી પીસાઈ જાય છે. જો તમે આ કહેવાતા ધર્મયુદ્ધ કે ન્યાયિક યુધ્ધમાં કોઈ એક પણ પક્ષે જતાં રહેવું સહેલું પડે છે પણ જો તમે શાંતિ-અમનના પક્ષે હોવ તો સૌથી કફોડી પરિસ્થિતિમાં હોવ છો. કારણકે કટ્ટરપંથીઓ તમને 'દેશદ્રોહી' માને અને સામો પક્ષ તમને કટ્ટરપંથી માને છે. આ બંને પ્રકારના અંતિમો ખાળીને ત્રીજા પક્ષની વાત વહેતી કરવી અઘરી હોય છે. પુસ્તક અને ફિલ્મમાં આ જ સંઘર્ષની વાત છે. પુસ્તક ન વાંચ્યું હોય તો વાંચી લેશો, એક જ બેઠકમાં પૂરું થઇ જશે અને ફીલ્મ ન જોઈ હોય તો થીયેટરમાં જોઈ લેશો. 

મજાની વાત એ છે કે હમીદની બીજી નવલકથા 'ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ'માં આખી વાર્તા પહેલા પુરુષ એકવચનમાં કહેવાઈ છે. તેની નવી અને ત્રીજી નવલકથા 'હાઉ ટુ ગેટ ફીલ્ધી રીચ ઇન રાઈઝીંગ એશિયા' બીજાપુરુષ એકવચનમાં લખાઈ છે એટલે કે 'તમને' ઉદ્દેશીને અને તે પણ સેલ્ફ-હેલ્પ બૂકની શૈલીમાં. હમીદનું આ નવી નવલકથા હમણાં જ ખરીદેલી છે અને બસ તેની પર હાથ અજમાવવાનો છે. તે પછી કદાચ મને તે સેલ્ફ-હેલ્પ પહોંચે તો તે બ્લોગપોસ્ટે પહોંચે પણ ખરી. 

Monday, April 01, 2013

ત્રણ-ત્રણનાં ત્રાગાંને ત્રણ-ત્રણના ત્રેખડ

આજે મારાં બ્લોગે ત્રણ વર્ષ પૂરા કર્યા! ત્રણ વર્ષ પહેલા (બિન)સત્તાવાર 'વિશ્વ મૂરખ દિવસે' આરંભ કરેલો બ્લોગ કોઈને મૂર્ખ બનાવવા કે પોતે મૂર્ખ સાબિત થવા શરુ કરેલો તેની સ્પષ્ટતા મારા મગજમાં હજી સુધી થઇ નથી પણ પહેલી એપ્રિલે પોસ્ટ લખવાની પરંપરા જાળવી રાખીને મૂર્ખતાનો ઉત્સવ જરૂર કરવો જોઈએ. છેલ્લી બે જન્મદિવસની પોસ્ટ અહીં અને અહીં જોવા મળશે, જ્યારે બ્લોગની સૌથી પહેલી પોસ્ટ અહીં છે. પહેલા જન્મદિને અમે ફિલસુફી ભરી વાતો કરી હતી. બીજા જન્મદિને અમે એટલી લાંબી પોસ્ટ લખી, એટલી લાંબી પોસ્ટ લખી કે છેક બીજિંગથી લંડન પહોંચે. આજે ત્રીજા જન્મદિને એવું વિચાર્યું છે કે એક કવિતા ફટકારીએ - કેમ, અમને ત્રણ વર્ષ સહ્યા અને આટલામાં ગભરાઈ ગયા? વધુમાં, 'મહાન' કવિઓની જેમ અમે કવિતાની સાથે-સાથે તેની પ્રસ્તાવના પણ ફટકારીશું.

આજે ત્રણને આંકડે અમે પહોંચ્યા. કોઈ મહાન ફિલસૂફ કહી ગયેલા કે જગતને સમજવા બે વિભાગ એટલે કે દ્વિભાજન(dichotomy) પુરતું નથી પણ તે માટે ત્રિભાજન(trichotomy) જોઇએ. જેમકે, કાળું અને ધોળું જ નહિ પણ કાળું-ધોળું અને ભૂખરું કે ગ્રે. જો કે આવું કોઈ ફિલસૂફ ન કહી ગયા હોય તો પણ શું. આજકાલ તો કોઈના પણ નામે કશું પણ ઠઠાડી શકાય છે. બર્ત્રાંડ રસેલ કે અમ્બર્તો ઇકો કે સંત કબીર કોઈના પણ નામે આ ચલાવી શકાય તેવું છે. કોણ શોધવા જવાનું છે ઈન્ટરનેટ પર. પણ મૂળ વાત એ છે કે ત્રણ એ મહત્વપૂર્ણ આંકડો છે. આંકડા પરથી યાદ આવ્યું કે બીજા એક મહાન ગણિતશાસ્ત્રીએ કહ્યું છે કે દુનિયામાં ત્રણ પ્રકારના જૂઠાણાં હોય છે - જૂઠાણાં, નર્યા જૂઠાણાં અને આંકડાશાસ્ત્ર. જોયું અહીં પણ ત્રણ વિભાગ. એટલે આપણો પ્રમેય સાબિત થાય છે કે ત્રણ એ મહત્વનો આંકડો છે.

સોશિયલ નેટવર્કિંગના પહેલાના જમાનામાં અમે એક કવિતા અમારી ડાયરીમાં લખી હતી. (હા, સોશિયલ નેટવર્કિંગના પહેલાના જમાનામાં પણ લોકો કવિતા કરતા... પણ ડાયરીમાં જ રાખતા!) કવિતા મૂળ ટોળાશાહી વિષે હતી. અને એક ટોળું ભેગું થઈને 'ચર્ચા' જેવું સર્જનાત્મક કામ કરે ત્યારે કેવી મજા આવે! આવી ચર્ચે ચઢેલી (યુધ્ધે નહિ) ટોળાશાહી વિશેના થોડા અવલોકનો આ કવિતામાં હતા અને આ અવલોકનો સોશિયલ નેટવર્કિંગ માધ્યમો પર હવે સાચા પડે છે એવું લાગે છે. આપના પ્રતિભાવો જરૂર આપજો.


ચર્ચે ચઢેલી ટોળાશાહી

અમે એકબીજાની આસપાસ ટોળમટોળ, ટોળમટોળ.
જાણે દુનિયાની ફરતે ગોળમગોળ, ગોળમગોળ.

જીભ, દાંત ને હવામાંથી ફૂટતાં
ગોળા,  ગપગોળા ને તોપગોળા વચ્ચે,
લાકડાની તલવાર અને માંકડાની પાંખોથી,
રમરમરમ રમખાણે રમીએ.

અધપચેલી વાતોને અધકચરી રાતોમાં
વિચારોની વાછૂટ ને કલ્પનોના કબજીયાત.
ભમરાયેલા ભમરા ને પકડાયેલા પતંગિયા લઇ
પીપૂડીઓને માનીને રણશિંગા ખેપાની
ફૂંકમફૂંક કલબલાટ મચાવીએ.

આઠ મછંદર ને સાત સમંદરની પેલે પાર
બંદિની તર્કસુંદરીની બેડીઓ અપાર.
બેડીને બદલે સમજ પર કરવત મૂકી
એકદંડિયા મહેલોના બહુદંડિયા પાયાઓ
પૂરીએ ને ખોદીએ, પૂરીએ ને ખોદીએ.

તોતિંગ છે વાક્યો ને ભોરીંગ છે શબ્દો,
કદરૂપા રૂપકો ને અળખામણાં અર્થો.
આ બધું ગટકીને જવું પેલે પાર જ્યાં
બુદ્ધિનું સરોવર ને ડાહપણનું જંગલ.
દોડતાં-અથડાતાં, પડતાં-પછાડતાં,
પહોંચી જઈએ, દોડતાં રહીએ.

ડોન ક્વીહોટે કહે સાંચો પાન્ઝાને,
તું જ મારો ખરો બડકમદાર!
ઉછાળ એ દૈત્યોને, જકડી લે સર્પોને,
હવે યુદ્ધ એ જ કલ્યાણ.

હું, તું અને એ,
ઉપર, નીચે, વચ્ચે,
ડાબે, જમણે, મધ્યે,
ગામ, દેશ ને દુનિયા,
આમ, તેમ ને અધ્ધર,
સીએમ, પીએમ, એમનેએમ,
આજ, કાલ અને આવતી કાલ.
તેમ ત્રણ-ત્રણના ત્રાગાં ને ત્રણ-ત્રણના ત્રેખડ,
ત્રણ-ત્રણ તતૂડીઓ ને ત્રણને ત્રણ છે ત્રેપ્પન.

ટોળમટોળ, ગોળમગોળ, ટોળમટોળ, ગોળમગોળ.
દેખાય એટલું દ્રશ્ય અને સૂંઘાય એટલું સત્ય.
ટોળમટોળ, ગોળમગોળ, ટોળમટોળ, ગોળમગોળ.
દેખાય એટલું દ્રશ્ય અને સૂંઘાય એટલું સત્ય.


- ઋતુલ જોષી

મૂળ લખાણ: 16 જૂન, 2001
મઠાર્યા તારીખ: 1 એપ્રિલ, 2013

Sunday, March 24, 2013

બારી અને દીવાલ

કહે છે કે દીવાલોને કાન હોય છે.
પણ દીવાલોને આંખો હોતી નથી.

દીવાલ બનાવતા પહેલાં
તેની બીજી બાજુએ શું હોય
તેનો વિચાર ન કરવાનો હોય.
દીવાલ બનાવીને
તેની બીજી બાજુએ શું થાય
તેનો વિચાર ન કરવાનો હોય.
બસ, દીવાલને વળગી રહેવાનું.

દીવાલ તો કાળમીંઢ હોય,
દીવાલ તો નક્કર-નઘરોળ હોય,
દીવાલ તો ભાગલા પાડે અને રાજ કરે.

દીવાલ બનાવવા બસ એક બહાનું જ જોઈએ.
ખભે તલવાળા લોકો, માથે ટોપી પહેરતા લોકો,
લાંબા ઝબ્બાવાળા લોકો, ગળે લટકણિયાંવાળા લોકો,
આવા કોઈ પણ લોકોની, લોકો વડે, લોકો દ્વારા
તેમના માલિકોના સતત માર્ગદર્શન હેઠળ
કાળમીંઢ, નક્કર, નઘરોળ દીવાલ બની શકે છે.

દીવાલ એટલે પેલી તરફથી વિમુખ.
દીવાલ એટલે પેલી તરફની ચોખ્ખી ના.
દીવાલ એટલે પેલી તરફની હવા ય ન ફરકે.
દીવાલ એટલે પોતાના જેવા લોકો સામે જોયા કરવું.
દીવાલ એટલે હા પડવાની શક્યતા નહી.
દીવાલ એટલે અંદર-અંદરની વાસી હવા.
દીવાલ એટલે સમજણ પર પડદો,
ના, પડદો નહિ... દીવાલ જ.

આ દીવાલોથી લાંબા ગાળાના રહેઠાણો બને છે.
આ દીવાલોથી તેના માલિકોની મહેલાતો બને છે.
થોડા  સમય પછી દીવાલોની પછીતેથી
યુદ્ધ શરૂ  કરવામાં આવે.
બહાર યુદ્ધ કરવાથી અંદરો-અંદર શાંતિ રહે છે, સમજ્યા?
"પણ સાહેબ, યુદ્ધ માટે દુશ્મન તો જોઈએને."
"સત્યવચન વત્સ, જુવો પેલા લોકોએ
લાંબા ઝબ્બા પહેરીને
ગળાના લટકણિયાંનું અપમાન કર્યું છે"

યુધ્ધો દીવાલો વચ્ચે જ થાય છે.
આંખે દીવાલ, કાને દીવાલ, નાકે દીવાલ.
પોતાની દીવાલો ચણતા ચણતા
બીજાની દીવાલો પર હુમલા કરતા રહેવાના.
ધ્યાન એ રાખવાનું કે તેમની દીવાલ સાવ પડી ન જાય.
નહિ તો ધંધો બંધ થઇ જાય.
દીવાલોના કાટમાળ વચ્ચે
દીવાલો તો અકબંધ રહેવી જોઈએ.

યદા યદા હી દીવાલોનો કાટમાળ સર્જાય છે,
ત્યારે કાળમીંઢ દીવાલમાં કોઈ બારી કરી જાય છે.
ગાંધી, કબીર, મંડેલા, લ્યુથર કિંગ, બુદ્ધ, મહાવીર
આ બધા મૂળ બારી બનાવવાવાળા કારીગર.
અડબંબ અડીખમ દીવાલોમાં સિફતથી એવા બાકોરાં પાડે કે
એક બારી છેક કોઈકના અંતરમાં ઉઘડે.

બારીને આંખ હોય છે.
દીવાલની જેમ આંધળા કાન નહિ.
બારી એટલે ચોખ્ખી, તાજી હવા
ચોખ્ખી, તાજી હવા મગજ માટે સારી.
બારી એટલી સારી.
બારી એટલે જીવંત.
બારી શ્વસે, ધબકે અને ધમધમે.

કોઈ શરૂઆત કરે એટલે બારીઓ બનવા લાગે.
બારી બનાવવા બહાનાં ન જોઈએ,
તાજી હવા અને દૂર સુધી જોવાની ઈચ્છા પૂરતી છે.

ખભે તલવાળા લોકો, માથે ટોપી પહેરતા લોકો,
લાંબા ઝબ્બાવાળા લોકો, ગળે લટકણિયાંવાળા લોકો,
આવા કોઈ પણ લોકોની, લોકો વડે, લોકો દ્વારા
બારીઓ બનવાની શરુ થાય એટલે
ખભે તલ, માથે ટોપી, લાંબા ઝબ્બા, ગળે લટકણિયાંથી
દુનિયાના ભાગ પાડવાની નિરર્થકતા સમજાઈ જાય.

બારી તો પારદર્શક.
બારી તો નૈનથી નૈન મિલાવે.
બારી તો દીવાલોને જોડે અને રાજ કરે.



દુનિયાની સૌથી મોટી દીવાલમાં ય બારી કેટલી રેફ્રેશિંગ હોઈ શકે તે સમજવા ચીનની દીવાલ પર  જવાની જરૂર નથી છતાંય આ ફોટો.
તારીખ: 11/11/2007

Sunday, May 13, 2012

મંટોને થોડો ખુલ્લો, થોડો બંધ પત્ર...

ભાઈ મંટો, 
અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તારી કહેલી વાર્તાને કલ્પના જ માનીએ તો સહેલું લાગે છે, નહિ તો પછી બહુ અઘરું થઇ પડે છે. આવું બધું તો સમાજમાં થતું હોય? કેવું ગંદુ-ગોબરું-છીછરું... અને તેના વિષે વાર્તાઓ લખવાની! પાછું આવું બધું લખીને તારે ગલગલીયાં પણ નથી કરાવવા? જો તું ગલગલીયાં કરાવવાના ધંધામાં હોત તો તને 'આધુનિક' કે 'ફોરવર્ડ' માનીને એમ કહી શકાય કે તને ખરેખર વાચકોની પલ્સ ખબર છે. પણ તું તો સમાજની પલ્સ પકડીને તેનું હેલ્થ બુલેટીન લખવાની જદ્દોજહદ કરી રહ્યો છે. એ તો ખોટનો ધંધો છે. આપણે ત્યાં સાહિત્ય, ફિલ્મો, તમાશા, રીયાલીટી શો વગેરે સમાજનું હેલ્થ બુલેટીન ન વાંચવું પડે તે માટે ભાગી છૂટવાના ઉત્તમ રસ્તાઓ છે. અમે ભાગેડુ પ્રજા છીએ અને અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તેમાંથી અમે મોટા-મોટા ઉદ્યોગો ઉભા કર્યા છે. આવા ઉદ્યોગો વગર વિકાસ શક્ય નથી તેની તને ખબર હોવી જોઈએ. એટલે તારી વાર્તાઓ થોડી કેફી બનાવ કે જેમાં સ્વપ્નસૃષ્ટિ સરી આવે. આ નગ્ન હકીકતો પચતી નથી. 

કોઈકે પૂછ્યું કે મંટો તો પાકિસ્તાની લેખક હતો, નહિ? તું માત્ર 'પાકિસ્તાની' છે તે આરોપસર અમે તને ન પણ ગમાડીએ. જોયું, કેવી તરત તારી વ્યાપકતા છીનવાઈ ગઈ અને તને એક હિસ્સામાં પૂરી દેવામાં આવ્યો. થોડી રાહ જોશે તો પછી 'ઉર્દૂ લેખક' હોવાનું છોગું પણ આવશે. 'તમે ક્યાંના' અને 'તમે કેવા' એ કેટલા ધારદાર પ્રશ્નો છે! ભલેને પછી તે તારું મોટા ભાગનું જીવન એવા દેશમાં વિતાવ્યું હોય કે જેના બે ભાગ પડશે તેની તે દેશને પણ ખબર નહોતી. તું ભલે એમ માનતો હોય કે તું ટોબા ટેકસિંહની જેમ બે સરહદો વચ્ચેના 'નો મેન્સ લેન્ડ'માં દફન થઇ ગયો હોઈશ, પણ અમે તો તારા ગળે દેશ, પ્રાંત, ભાષા, જાતિ, ધર્મનો ગાળિયો પહેરાવીને જ રહીશું. કેમ અમે નથી પહેરતા આવા ગાળિયા? તું શું જન્નતથી ઉતરીને આવે છે? જેવી રાજકારણની જરૂરત અને ગર્વથી ગાળીયા પહેરવાવાળાની ગરજ, એ મુજબ ધીરે-ધીરે ગાળિયો પહેરાવાય અને પછી ભીંસાય. હવે તું ગાળિયાને ગાળિયો કહે અને ભીંસાવાને ભીંસાવું કહે તે કેમ ચાલે? કેટલાક લોકો તો પોતાના ગાળીયાને શણગારે, સવાર-સાંજ આરતી કરેને એને ફૂલ ચઢાવે. બીજાનો ગાળિયો કેવો કદરૂપો છે, તેની ચર્ચામાં સમય પસાર કરે. આટલી મહેનત કરીને ધીરે-ધીરે ભૂલી જાય કે આ ગાળિયો છે. તે તું પાછો તેમને અરીસા બતાવે તે કેમ ચાલે? 

તું કોઈ વિચારધારાનું કે રાજકીય પક્ષનું પૂંછડું પકડીને ય બેઠો નથી હોતો. ગળામાં ગાળિયો અને હાથમાં પૂંછડું એ સમકાલીન વ્યવહારુપણાની નિશાની છે. પૂંછડાને પંપાળવું પડે, રમાડવું પડે અને જરૂર પડે તો ધાવવું પડે. ક્યારેક પૂંછડું ગળાના ગાળીયાનું રિપ્લેસમેન્ટ હોય છે. આ પૂંછડાઓની દર પાંચ વર્ષે સ્પર્ધા થતી હોય છે અને ત્યારે ખબર પડે છે કે દરેક પૂંછડા જોડે જોડાયેલું એક જાનવર હોય છે. તે કેમ આ જાનવર જેવું રાખ્યું નથી? જો પૂંછડું પકડ્યું હોત તો તારા પર અશ્લીલતાના કેસ થયા ત્યારે પેલું જાનવર કેટલું કામમાં આવ્યું હોત. આમ કોઈને કેસ કરવા પડે તેવું લખાય? અને લખાઈ ગયું તો કંઈ નહિ પણ એવા કોન્ટેક્ટ હોવા જોઈએ કે કેસ થાય તોય કંઈ તકલીફ ન પડે. કેમ... તું નાનો હતો ત્યારથી કોઈએ શીખવાડ્યું નહોતું કે બધે ઓળખાણ રાખવાની, બધું સાચેસાચું નહિ કહી દેવાનું અને 'હા-જી-હા' કરતાં શીખવાનું વગેરે. મૂળ પાયો જ કાચો લાગે છે તારો. 

 તું શહેરનો કચરો ઉચેલતો હોય તેમ ખરાબ ચરિત્રના પાત્રો ક્યાંથી ગોતી લાવે છે? તને આધ્યાત્મિક વાતો કરતા નથી આવડતું કે 'પાવર ઓફ પોઝીટીવ થીંકીંગ' વિષે તને બહુ ખબર નથી લાગતી. લાગણીના સંબંધો, સબંધોનું આકાશ, આકાશમાં આનંદયાત્રા, યાત્રામાં પાંગરતો પ્રેમ, પ્રેમકૂંપળ પર ઝાકળ, ઝાકળની ભીની સુગંધ, સુગંધોનો દરિયો, દરિયાની છાલકમાં હિલોળે ચડતું જોબન, માનવમનની ભરતી-ઓટ, તેમાં સરી જતા રેતીના કિલ્લા, દિલના દરવાજે દસ્તક - કેટકેટલું લખવા માટે છે આ દુનિયામાં. તો કેમ તને લખવા માટે સકીના, સુગંધી, ઈશરસિંઘ, બિમલા જેવા જ મળે છે? ક્યારેક તો સારા માણસો વિષે લખ. આટલું બરછટ લખવાની જરૂર શું છે? થોડું પોઝીટીવ વિચારવામાં શું તકલીફ પડે? બહુ સહેલું છે. થોડો ટ્રાય કર... સંબંધોના કાર્ડિયોગ્રામ કાઢ, વિચારોના નિંદામણ કર, પ્રેરણાના ઝરણાંમાં છબછબીયાં કર. આજકાલ આવું જ ખપે છે. તું પાછો કહેશે કે 'હું જે ખપે તે માલ રાખનાર કરિયાણાનો વેપારી નથી, લેખક છું.' સો વર્ષ થયા હવે તો થોડો પ્રેક્ટીકલ બન... જો તને લખતાં તો આવડે જ છે. બસ, એને થોડું સુવાળું કરવાની જરૂર છે. બીભત્સ રસ પર થોડો મેકઅપ છાંટે તો શૃંગાર રસ બની જાય. 'વાસના'ની જગ્યા 'લાસ્ય' લઇ લે. પછી જો લોકો તારી જન્મશતાબ્દી કેવી ધૂમધામથી ઉજવશે!

છેલ્લે એક વાત તો કહે... તારી વાર્તામાં વાંચ્યું કે કબીર નામનો કોઈ શખ્સ રડતો હોય છે - દેખ કબીર રોયા. એટલે કોઈ કબીર પાકિસ્તાનમાં ય છે? આવો એક કબીર અમારે ત્યાં પણ છે? પાકિસ્તાનમાં હશે તો મુસલમાન હશે... નહિ? પણ અમારે ત્યાં તો મોટેભાગે હિંદુ જ છે... કદાચ. તો પછી આ બંને એક વ્યક્તિ કેવી રીતે કહેવાય? જરા ટાઈમ મળે તો ખુલાસો કરજે ને...

થોડું કહ્યું છે, ઘણું સમજી લેજે.

લિ.
તને બહુ વાંચી નહિ શકતો એક વાચક. 



(પાકિસ્તાનસ્થિત સર્જક મહંમદ હનીફે 'Our case againgst Manto' નામનો લેખ હેરાલ્ડમાં પ્રકાશિત કર્યો છે. આ લેખ વાંચ્યા બાદ તાત્કાલિક આ લખવાનું મન થયું. હનીફે તેના સમકાલીન દેશ-સમાજની પરિસ્થિતિમાં મંટોને યાદ કર્યો છે. મેં મારી આસપાસના પ્રવાહો જોઇને મંટોને યાદ કર્યો છે...પણ આપણી હનીફ જેવી કક્ષા નહિ!)

Saturday, March 10, 2012

બીબું ફીટ જાદુ હીટ

અમારી પાસે બીબાં છે, અમે બીબેદાર લોકો છીએ.
અમે બીબાંમાં જીવીએ છીએ, બીજાને બીબાંમાં ઢાળીએ છીએ.
આમ તો જૂનો ધંધો છે પણ અમે નવો કૉન્સેપ્ટ લાયો છે.
તમને ખબર પડે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ.

કામ સાવ સીધું છેને માંગ બહુ મોટી છે,
દિમાગને મારો તાળાં, દિલને મારો ખપાટિયાં,
આમ તેમ જોયા વિના ઠોકી મારો મોટા ખીલ્લા.
આંખો ઉઘડે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ. 

અમારી બીજી ઘણી શાખાઓ છે,
પણ અમે પેલ્લેથી છોડ નથી રોપતાં.
વસંત કે વર્ષાની રાહ નથી જોતા, ફૂલ-ફોરમની માથાકૂટ જ નહિ.
જમીન પોલી કરી, શાખાઓ ખોસી, માંચડો રચી બેસી જવાનું,
અંકુર ફૂટે તે પહેલા... બીબું ફીટ, જાદુ હીટ. 

અમારી પાસે ખાલિસ સોનેરી-રૂપેરી બીબાં મળશે.
ચમકતાં, રણકતાં, ઝગમગતાં, જરૂર પડે તો મઘમઘતાં,
અંદરના ટકોરાં અને બહારની તાજી હવા સામે ફૂલપ્રૂફ,
અવાજ ઉઠે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ.

આજ અમારો ધંધો, આજ અમારો સંદેશ,
ગ્રાહક અમારો રાજા, અમારી એક જ ઝુંબેશ.
બીબાંઢાળ, ટોળાબંધ, સાંકડ-માંકડ, એકરૂપ સમાજની રચના.
કોઈ અલગ પડે તે પહેલાં... બીબું ફીટ, જાદુ હીટ.

તા.ક. - રાજકીય પાર્ટીઓના ઑર્ડર પર પૂરતું ધ્યાન દેવામાં આવશે.



ઋતુલ જોષી
૧૦-૦૩-૨૦૧૨


Artist: Ravinder Reddy, Gilded Head, 2007
Polyester resin fiberglass and paint, H190.5cm x W117cm x D188cm 

Saturday, February 11, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૧)

(One of the very few pictures of Bhagat Singh, (date is disputed) Source: Wikipedia article on Bhagat Singh)
મૂળ લેખ - નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા ૨૦૦૭માં પ્રસારિત, ડી.એન. ગુપ્તા સંપાદિત 'Bhagat Singh: Selected Speeches and Writings' પરથી.

ડી.એન.ગુપ્તાના કહેવા પ્રમાણે જેલમાં રહેલા ભગતસિંહ અને એક વૃદ્ધ કેદી વચ્ચે ચર્ચા થાય છે. પેલો કેદી ભગત સિંહને ધાર્મિક બનવાની સલાહ આપે છે અને એવું મહેણું પણ મારે છે કે જ્યારે અંત નજીક આવશે ત્યારે આપોઆપ ધાર્મિક બની જઈશ. જ્યારે ભગત સિંહના જિંદગીનો અંત નજીક હોય છે ત્યારે આ લેખ લખીને જેલ સત્તાવાળાથી છૂપાઈને તેમના પિતાજીને આપે છે. ભગતસિંહના પિતા લાલા લાજપતરાયે શરુ કરેલા સાપ્તાહિક 'ધ પીપલ'માં જૂન, ૧૯૩૧ના રોજ છપાવે છે. મૂળ લેખ પંજાબી ગુરુમુખીમાં લખાયો છે, જેનું ઉર્દુ અને પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. અહીં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયું છે. આ લેખની ત્રણ-ચાર આવૃત્તિઓ વિવિધ જગ્યાએથી મળી આવે છે. મેં અહીં મુખ્યત્વે ઉપર જણાવેલા પુસ્તક પરથી યથાયોગ્ય લાગ્યું તેવી રીતે ભાષાંતર કર્યું છે. ક્યારેક કૌંસમાં શબ્દો ઉમેરવાની કે ફકરા પાડવાની છૂટછાટ લીધેલી છે, પણ લખાણનાં મૂળ હાર્દને જેમનું તેમ જ રાખ્યું છે. કદાચ ભગતસિંહ પાસે આ લેખને મઠારવાનો સમય કે અનુકૂળતા નહિ હોય કે પછી વારંવાર ભાષાંતરને લીધે મૂળ લખાણનો લહેકો ખોવાયો હોય તેવું લાગે છે. મેં મારી જીજ્ઞાસા સંતોષવા અને આ વ્યક્તિને વધુ નજીકથી જાણવા માટે, ભાષાંતરના કામની કોઈ જ તાલીમ કે અનુભવ ન હોવા છતાં આ કામ હાથ ધરવાનું સાહસ કર્યું છે. ક્યાંક છબરડાં હોય તો ચોક્કસથી જણાવશો.

ફાંસીની સજાની રાહ જોઇને બેઠેલા ૨૩ વર્ષના છોકરડાએ આ લેખ લખ્યો છે. આ છોકરો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો 'શહીદ-એ-આઝમ' ન હોત તો પણ આ લેખ એટલો જ મહત્વનો છે. આ લેખ ખાસ્સો આત્મકથાનક છે. અહીં ભગતસિંહે પોતે કરેલું તેમના જીવનનું વર્ણન છે, પોતાની જાત સાથેના વૈચારિક સંઘર્ષનો એક પડઘો અહીં ઝીલાય છે. આ કોઈ ઉચ્ચ સ્થાનેથી બેસીને ઉપદેશ આપતો લેખક નથી પણ તમારી પાસે બેસીને 'લો કરું કોશિશ ને ફાવે તો કહું' કે 'કોઇ થોડું ખળભળાવે તો કહું' પ્રકારના લેખકનું લખાણ મને લાગે છે. લખાણમાં ભગતસિંહનું વ્યક્તિત્વ અને એક ઈમાનદારી ઝલકે છે અને તેથી જ અંગત રીતે આ લખાણની સરખામણી ગાંધીજીના 'સત્યના પ્રયોગો' સાથે થઇ જાય છે. તો હવે ભગતસિંહ પાસેથી સાંભળો કે તે કેમ નાસ્તિક છે. 

હું નાસ્તિક કેમ છું?
- ભગતસિંહ 
 
એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ. મને ક્યારેય એવું લાગતું નહોતું કે હું આ પ્રકારના વાદ-વિવાદમાં ઉતરીશ. મને બહુ જ ઓછા સમયથી જાણવા છતાં મારા અમુક મિત્રો (જો મારો મિત્રતાનો દાવો માન્ય રાખવામાં આવે તો)ની ચર્ચા પ્રમાણે તેઓ એવા ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મારી અ-ધાર્મિકતા (કે નાસ્તિકતા) એ મૂર્ખતા છે અને મારા અહંકારનું પરિણામ છે. આ ગંભીર પરિસ્થિતિ છે. હું કંઈ માનવીય બાલીશતાથી પર નથી. આખરે, હું ય માનવજાત જ છું અને તેનાથી વિશેષ કંઈ જ નથી. કોઈ તેનાથી વિશેષ હોવાનો દાવો જ ન કરી શકે. મારા વ્યક્તિત્વમાં એક ખામી છે જ, ગર્વ જેવો એક દુન્યવી ગુણ હું ય ધરાવું છું. મારા દોસ્તો મને સરમુખત્યાર કહે છે. ક્યારેક મને ફિશિયારીબાજ પણ કહેવામાં આવે છે. કેટલાક મને બહુ શેઠાઈ કરનાર માને છે, તો કોઈ કહે છે હું મારા વિચારો તેમની પર થોપું છું. હા, આ બધું કેટલીક હદ સુધી સાચું પણ છે. હું આ તહોમતને નકારી કાઢતો નથી. પણ જ્યારે આપણા સમાજના (ધાર્મિકતા જેવા) નકામા, કાલગ્રસ્ત, સડેલાં મૂલ્યોની વાત આવે છે, ત્યાં હું એકદમ વહેમી, સંશયી બની જાવું છું. (કારણકે) આ પ્રશ્ન મારા એકલા વિષે નથી. હું મારા વિચારો, મારા આદર્શો અંગે ગર્વ ધરાવું છું. એને ખાલી ગર્વ ન કહી શકાય. ગર્વ, કે પછી જો બીજો શબ્દ વાપરીએ તો, ઘમંડ, બંનેનો અર્થ થાય છે પોતાના વ્યક્તિત્વનું અતિશયોક્તિ ભર્યું નિદાન. શું મારી નાસ્તિકતા મારા મિથ્યા ગર્વને લીધે છે કે પછી લાંબુ અને ઊંડું વિચાર્યા બાદ મેં ઈશ્વરમાં માનવાનું બંધ કર્યું છે? આ અંગે હું મારા વિચારો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

હું એ સમજી શકતો નથી કે કેવી રીતે ઘમંડ કે ખાલી મિથ્યાભિમાન કોઈ વ્યક્તિને ભગવાન વિષે માનતા રોકી શકે. હું કોઈ સર્વશક્તિમાન વ્યક્તિની મહાનતાને ત્યારે જ નહિ સ્વીકારું કે જ્યારે કાં તો મને મારા પોતાના અથાગ પ્રયત્નોના લીધે ખ્યાતિ મળી હોય કે પછી હું મહાન બનવાની સર્વોચ્ચ માનસિક શક્તિઓથી વંચિત હોવ. આ સમજવું સહેલું છે. પણ એવું કેવી રીતે શક્ય છે કે કોઈ આસ્તિક પોતાના ઘમંડના લીધે નાસ્તિક બની જાય? બે જ વાતો શક્ય છે: કાં તો કોઈ માનવી પોતે દૈવી શક્તિ ધારણ કરે છે તેવું કહે કે પછી એક ડગલું આગળ વધીને તે પોતાની જાતને જ ભગવાન ગણાવે. આ બંને માન્યતાઓમાં જે-તે વ્યક્તિ ખરા અર્થમાં નાસ્તિક નથી. પહેલી પરિસ્થતિમાં એ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતો નથી;  જ્યારે બીજા કિસ્સામાં તો તે કોઈ પ્રકારની દૈવી શક્તિ દુનિયા ચલાવી રહી છે તેવી માન્યતાને સ્વીકારે છે. જો વ્યક્તિ પોતે ભગવાન હોવાનો દાવો કરે કે 'ભગવાનનું હોવું' તે સત્ય છે તે વાતનો સ્વીકાર કરે તો ય મારી દલીલ બદલાતી નથી. હકીકત એ છે કે બંને કિસ્સામાં તે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે. તે નાસ્તિક નથી. મારે આ મુદ્દો જ સમજાવો છે. હું આ બંનેમાંથી કોઈ પણ પ્રકારમાં નથી. હું સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વ-શક્તિમાન ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરું છું. એવું કેમ? તેની ચર્ચા હું આ લેખમાં પાછળથી કરીશ. અત્યારે મારે ફરી ભાર દઈને કહેવું છે કે હું નાસ્તિક છું તે પાછળનું કારણ મારું અભિમાન, ઘમંડ નથી; હું કોઈ દૈવી પુરુષ નથી, હું પયગંબર નથી, હું  પોતે ભગવાન પણ નથી. એક વાત સંપૂર્ણ સત્ય છે કે મારાં વિચારોની ઉત્પત્તિ મારા ઘમંડ કે ગર્વના લીધે નથી થઇ. આ પ્રશ્નના ઉત્તર માટે હું તેને સત્ય(ઘટનાઓ) સાથે સાંકળીશ.

મારા મિત્રો કહે છે દિલ્હી બોમ્બધડાકા અને લાહોર ષડ્યંત્ર કેસ પછી, હું પ્રસિદ્ધ થયો છું અને તેના લીધે મારું મગજ ફરી ગયું છે. આ આરોપ કેમ ખોટો છે, તેની ચર્ચા કરીએ. મેં ઈશ્વરમાં વિષે માનવાનું આ ઘટનાઓ પછી બંધ નથી કર્યું. હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય હું નાસ્તિક જ હતો. એક સામાન્ય કોલેજ જતો વિદ્યાર્થી પોતાના અંગે અતિશયોક્તિભર્યું ધારીને નાસ્તિકતા તરફ જઈ ન શકે. એ સાચું છે કે મારા અમુક શિક્ષકોમાં હું માનીતો હતો, પણ કંઈ બધા મને પસંદ કરતા નહોતા. હું કોઈ મહેનતુ કે ખંતીલો વિદ્યાર્થી પણ નહોતો. મને ક્યારેય ગર્વિષ્ઠ થવાની તક જ મળી નથી. હું મારા વહેવારમાં બહુ સાવધાન હતો ને મારા ભવિષ્યની કારકિર્દી અંગે લગભગ નિરાશાવાદી હતો. હું મારી માન્યતામાં સંપૂર્ણ નાસ્તિક પણ નહોતો. હું મારા પિતાજીની દેખરેખમાં મોટો થયો હતો. તેઓ ચુસ્ત આર્યસમાજી હતાં. એક આર્યસમાજી નાસ્તિક સિવાય કંઈ પણ બની શકે. મારા પ્રારંભિક શિક્ષણ બાદ, મને લાહોરની ડી.એ.વી. કોલેજમાં મોકલવામાં આવ્યો. હું બોર્ડીંગ હાઉસમાં એક વર્ષ રહ્યો. સવારની પ્રાર્થનાઓ સિવાય, સાંજે હું કલાકો સુધી ધાર્મિક મંત્રોનું પાઠ કરતો. એ વખતે, હું સંપૂર્ણ આસ્તિક હતો. ત્યારે હું મારા પિતાજી જોડે રહેતો હતો. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓમાં ખાસ્સા સહિષ્ણુ હતાં. તેમની પ્રેરણાના લીધે મેં મારું જીવન દેશને આઝાદ કરાવવા પાછળ કુરબાન કર્યું છે. પણ તેઓ નાસ્તિક નહોતા. તે ભગવાનને દુનિયાની સર્વોચ્ચ શક્તિ માનતા. તેમણે મને રોજ પ્રાર્થના કરવાની સલાહ આપેલી. આવી રીતે જ મને મોટો કરવામાં આવેલો. અસહકારની લડતના દિવસોમાં, નેશનલ કોલેજમાં મને પ્રવેશ મળ્યો. મારા આ કોલેજમાં રોકાણ દરમ્યાન મેં ધાર્મિક વિવાદ-વિમર્શ વિષે વિચારવાનું શરુ કર્યું અને હું ઈશ્વરના અસ્તિત્વ અંગે વધુ સંશયી બન્યો. તે હકીકત સિવાય, હું એમ કહી શકું કે એ વખતે મારી ઈશ્વરમાં માન્યતા મજબૂત બની હતી. મેં (શીખ માન્યતા મુજબ) દાઢી અને કેશ વધારેલા. આ બધું થયું છતાં હું મારી જાતને શીખ કે બીજા કોઈ ધર્મના સામર્થ્ય અંગે સ્પષ્ટ કરી શક્યો નહોતો. પણ મારી ઈશ્વરમાં શ્રદ્ધા અચલ, અફર હતી.

તે પછી હું ક્રાંતિકારી પાર્ટીમાં જોડાયો. હું જે પહેલા નેતાને મળ્યો, તેમની પાસે પોતાને ખુલ્લેઆમ નાસ્તિક ગણાવવાની હિંમત નહોતી. તે આ વિષયમાં કોઈ આખરી મત પર પહોંચ્યા નહોતા. મેં તેમને જ્યારે પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે પૂછ્યું તો તેમને મને આ જવાબ આપ્યો, 'જો તમારે ઈશ્વરમાં માનવું હોય તો માની શકો છો'. જે બીજા નેતાના હું સંપર્કમાં આવ્યો તે સંપૂર્ણપણે આસ્તિક હતાં. મારે તેમનું નામ કહેવું જોઈએ. તે હતાં અમારા સન્માનનીય બિરાદર સચિન્દ્ર નાથ સાન્યાલ. તેમને કરાંચી ષડ્યંત્ર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેમના પુસ્તક 'બંદી જીવન'ના પ્રથમ પાનાથી તેઓ ઈશ્વરની મહત્તાના ગુણગાન ગાય છે. આ પુસ્તકના બીજા ભાગનું છેલ્લું પાનું જોશો તો જાણે કોઈ સાધક ઈશ્વરના વખાણ કરતો હોય તેવું જણાશે. આ તેમના વિચારોનું સીધું પ્રતિબિંબ છે.

ફરિયાદી પક્ષના કહેવા પ્રમાણે, (અમારું) 'ક્રાંતિકારી ચોપાનિયું' કે જે દેશભરમાં વહેંચાયેલું તે સચિન્દ્ર નાથ સાન્યાલના બુદ્ધિશક્તિની મહેનતનું પરિણામ છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એવું ઘણીવાર બને છે કે નેતા પોતાના અંગત વિચારોને રજૂ કરે છે, જે તેમને પોતાને સ્પષ્ટ હોય છે પણ બીજા કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધ મતોને ખાળીને પણ (નેતાના) વિચારોને માનવા પડે છે. પેલા ચોપાનિયામાં, એક આખો ફકરો ઈશ્વરના વખાણ કરવામાં ફાળવાયેલો કે જેમાં આપણે માનવજાત ઈશ્વરની લીલા સમજી શકતા નથી તે પ્રકારની વાત હતી. આ તો ખુલ્લેઆમ ભક્તિભાવ જ હતો. હું એ વાત રજૂ કરવા માંગુ છું કે કોઈને પણ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરવાનું સુઝ્યું પણ નહિ. કાકોરીના બહુખ્યાત શહીદો, એ ચારેય જણાંએ પોતાના છેલ્લા દિવસો પ્રાર્થના કરીને વિતાવેલા. રામ પ્રસાદ બિસ્મિલ ચુસ્ત આર્યસમાજી હતાં. રાજન લાહિરી, તેમના સમાજવાદ અને સામ્યવાદના વિસ્તૃત અભ્યાસ બાદ પણ, ઉપનીષદો અને ગીતાના શ્લોકો ગાવાની ઈચ્છા દબાવી શકતા નહિ. તેઓમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ હતો કે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતો ન હતો. તે એવું કહેતો કે, 'ધર્મ એ માનવસ્વભાવની નબળાઈ કે માનવ સમજની મર્યાદાની નિષ્પત્તિ છે.' તેને પણ આજીવન કેદની સજા થઇ હતી. જો કે તેણે પણ ક્યારેય ઈશ્વરના અસ્તીસ્ત્વનો ઇન્કાર કર્યો નહિ.

ત્યાં સુધી હું એક ભાવનાશીલ ક્રાંતિકારી હતો, માત્ર મારા નેતાઓનો અનુયાયી. ત્યાર બાદ સમગ્ર જવાબદારીનું વહન કરવાનો સમય આવ્યો. કેટલાક સમય માટે, અમુક લોકોના મજબૂત વિરોધના લીધે પાર્ટીના અસ્તિત્વ પર જ ખતરો આવી પડ્યો. ઘણા નેતાઓ તથા ઉત્સાહી કાર્યકરોએ પાર્ટી અંગે મેણાં-ટોણાં મારવાંનું શરુ કર્યું. અમારી મજાક ઉડાવી. મને એ વખતે ક્યાંક એવી શંકા હતી કે એક દિવસ આ બધું વ્યર્થ અને મૂલ્યહીન લાગશે. પણ તે મારી ક્રાંતિકારી કારકિર્દીનો ટર્નિગ પોઈન્ટ હતો. મારા હૃદયમાં વધુ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. 'વધુને વધુ અભ્યાસ કર', તેવું મેં મારી જાતને કહ્યું કે જેથી હું મારા વિરોધીઓની દલીલોનો સામનો કરી શકું. 'અભ્યાસ કર' કે જેથી તું તારા વિચારોને વિશ્વાસપ્રદ દલીલોથી ટેકો આપી શકે. અને પછી મેં ગંભીરતાથી અભ્યાસ શરુ કર્યો. મારી પાછલી માન્યતાઓ અને ખાતરીઓમાં ધરમૂળથી બદલાવ આવ્યો. હિંસક લડતનો રોમાંચ અમારા પૂર્વગામીઓ પર હાવી હતો, હવે નવા ગંભીર વિચારોએ તેમની જગ્યા લીધી. હવે કોઈ ભક્તિભાવ નહિ, હવે કોઈ અંધશ્રધ્ધા નહિ. હવે વાસ્તવવાદ જ અમારા વિચારવાની પદ્ધતિ હતો. જ્યારે તીવ્ર જરૂરીયાત હોય ત્યારે જ આત્યંકિત પદ્ધતિનો સહારો લેવો, બાકી જન આંદોલનમાં હિંસાથી વિરોધી પરિણામો આવે છે. (જો કે) મેં અમારી પદ્ધતિઓ વિષે બહુ વાત કરી છે. સૌથી મહત્વની વાત હતી અમારી વિચારધારા અંગે સ્પષ્ટ વિભાવના, કે જેના માટે અમે લાંબી લડત લડી રહ્યા છીએ. ત્યારે કોઈ પણ ચૂંટણીની ગતિવિધિઓ ન હોવાથી, મને વિવિધ લેખકોના વિવિધ વિચારોનો અભ્યાસ કરવાની પૂરતી તક મળી. મેં અરાજકતાવાદી (રશિયન) નેતા બાકુનીનનો અભ્યાસ કર્યો. મેં સામ્યવાદના પિતામહ માર્ક્સના અમુક પુસ્તકો વાંચ્યા. મેં લેનિન અને ટ્રોટ્સ્કી અને બીજા દેશોમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવનાર ક્રાંતિકારી લેખકો વાંચ્યા. આ બધા નાસ્તિક હતાં. બાકુનીનના પુસ્તક 'ઈશ્વર અને રાજ્યસત્તા'ના વિચારો કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચતા નથી, છતાંય તે એક રસપ્રદ પુસ્તક છે. ત્યારબાદ હું નીર્લાંબા સ્વામીના પુસ્તક 'સામાન્ય બુદ્ધિ' (Common Sense)ના સંપર્કમાં આવ્યો. તેમનું વિશ્વદર્શન એક પ્રકારની આધ્યાત્મિક નાસ્તિકતાનું છે. મને આ વિષયમાં રસ પડ્યો. વર્ષ ૧૯૨૬ના અંત સુધી, મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયંત્રણ કરી રહ્યો છે તે માન્યતા કોઈ રીતે આધારભૂત નથી. મેં મારા મિત્રો સાથે ચર્ચા કરવાનું શરુ કર્યું. મેં મારી જાતને ખુલ્લી રીતે નાસ્તિક ઘોષિત કરી. તેનું શું પરિણામ આવ્યું તેની ચર્ચા હું આગળ કરી રહ્યો છું.

૧૯૨૭ના મે મહિનામાં લાહોરમાં મારી ધરપકડ થઇ. આ ધરપકડથી મને બહુ જ આશ્ચર્ય થયું. મને એવો કોઈ ખ્યાલ જ નહોતો કે પોલીસ માટે હું 'વોન્ટેડ' છું. હું એક બાગમાંથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક પોલીસે મને ચાર બાજુથી ઘેરી લીધો. એ વખતે મારી પોતાની ઠંડક જોઈને મને પણ આશ્ચર્ય થયું હતું. હું મારા પૂરા નિયંત્રણમાં હતો. મને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. બીજા દિવસે મને રેલ્વે પોલીસના લોક-અપમાં પૂરવામાં આવ્યો અને આખો મહિનો રાખવામાં આવ્યો. ઘણા દિવસો પછી પોલીસના માણસો સાથેની વાતચીતથી મને ખબર પડી કે તેમની પાસે મારા કાકોરી પાર્ટી સાથેના સંબંધો અંગે કૈંક માહિતી છે. મને એવું લાગ્યું કે તેમની પાસે મારી બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી પણ છે. તેમણે કહ્યું કે જ્યારે કાકોરી ષડ્યંત્ર અંગે ખટલો ચાલતો હતો ત્યારે હું લખનૌમાં હતો અને તે 'અપરાધીઓ'ને ભગાડવાની તજવીજમાં હતો. તેમણે એ પણ કહ્યું કે આ પ્લાનના આયોજન પછી, અમે કેટલાક બોમ્બ મેળવ્યા અને તેના ટેસ્ટીંગ માટે અમે દશેરાના (લીધે ભેગા થયેલા) ટોળામાં પણ ફોડ્યા હતાં. તેમણે મને ક્રાંતિકારી પાર્ટીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી દેવાથી છોડી મૂકવાની ઓફર પણ કરી. આ રીતે, હું બહાર જઈ શકીશ, મને ઇનામ મળશે અને મારે કોર્ટમાં અપ્રૂવર તરીકે રજૂ પણ નહિ થવું પડે. હું આ બધા પ્રસ્તાવો પર હસ્યા વિના રહી શક્યો નહિ. આ બધું જ બકવાસ હતું. અમારા જેવા વિચાર ધરાવનારા વ્યક્તિઓ પોતાના જ લોકોના નિર્દોષ ટોળાં પર બોમ્બ ફેંકતા નથી. એક વખત સી.આઈ.ડી.ના સીનીયર અફસર મી.ન્યુમેન મારી પાસે આવ્યા. સહાનુભૂતિના શબ્દોથી ભરેલી તે લાંબી વાતચીત દરમ્યાન, તેમને મને એ જેને દુખદ સમાચાર ગણાવતા હતાં તે કહ્યા કે જો હું તેમને તેમના કહ્યા પ્રમાણેનું સ્ટેટમેન્ટ નહિ આપું તો કાકોરી ષડ્યંત્ર હેઠળ મારા પર રાજદ્રોહના આરોપ સાથે અને દશેરાની ઘટનાને લઈને ખટલો ચાલશે. આ બાદ તેમણે જણાવ્યું કે તેમની પાસે મને ગુનેગાર સાબિત કરીને ફાંસીએ દેવા માટે પૂરતા પુરાવાઓ છે. 

હું સંપૂર્ણ રીતે નિર્દોષ હતો પણ મને ખબર હતી કે પોલીસ પાસે જો ધારે તો (મને ફાંસી દેવાની) પૂરતી સત્તા ધરાવે છે. એ જ દિવસે મને કેટલાક પોલીસ અફસરોએ દિવસમાં બે વાર નિયમિત રીતે પ્રાર્થના કરવા સમજાવ્યો. હું તો નાસ્તિક હતો. મેં વિચાર્યું કે આ મારી જાત જોડે નક્કી થઇ જવા દઈએ કે હું સુખ-શાંતિના દિવસોમાં જ મારી નાસ્તિકતાની ફિશિયારી મારું છું કે પછી કપરાં દિવસોમાં પણ હું મારી માન્યતાઓને સુદ્રઢ રીતે વળગી રહી શકું છું. મારી જાત જોડેના લાંબા સંઘર્ષ બાદ, હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે હું આસ્તિક હોવાનો દેખાવ કરી શકું નહિ કે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરી શકું તેમ નથી. ના, હું ક્યારેય તે કરી શક્યો ન હોત. આ કસોટીનો કાળ હતો અને હું તેમાં સફળતાથી પાર ઉતર્યો. મારા આ જ વિચારો છે. એક ક્ષણ માટે પણ મને મારું જીવન બચાવવાનો વિચાર નહિ આવ્યો. હું એક સાચો નાસ્તિક ત્યારે ય હતો અને હું એક નાસ્તિક અત્યારે પણ છું. આવી પરિસ્થિતિનો સામનો કરવો સહેલો નહિ હતો. શ્રધ્ધા કપરાં કાળમાંથી પસાર થવું સહેલું બનાવે છે અને ક્યારેક આનંદકારક પણ. માનવીને ભગવાનમાં મજબૂત સહારો મળી રહે છે અને ભગવાનનું નામ લેવામાં એક પ્રેરણાદાયી સાંત્વન પણ. જો ઈશ્વરમાં વિશ્વાસ ન હોય તો પોતે પોતાનો સહારો બન્યા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. આંધી-તોફાન અને વાવાઝોડાની સામે પોતાના પગ પર અડગ રહેવું તે કંઈ બચ્ચાંના ખેલ નથી. કપરામાં સમયમાં જે કંઈ બાકી બચ્યો હોય તે બધો ઘમંડ ઓગળી જાય છે અને માણસ પાસે સામાન્ય લોકોમાં સર્વમાન્ય વાતને ખાળવા માટેની હિંમત હોતી નથી. જો કોઈ વ્યક્તિ આવી માન્યતાઓ સામે બંડ પોકારી શકે તો આપણે માની લેવું જોઈએ કે આ કોઈ ઘમંડ નથી પણ તે વ્યક્તિ પાસે અસાધારણ શક્તિ છે.

અત્યારે આવી જ પરિસ્થિતિ છે. સૌથી પહેલાં, આપણને સૌને ખબર છે કે કોર્ટનો ચુકાદો શું આવવાનો છે. કદાચ એકાદ અઠવાડિયામાં તે જાહેર થશે. હું મારી જીંદગી એક આંદોલનના માટે ન્યોછાવર કરવાનો છું. આ સિવાય મારી પાસે શું સાંત્વન છે! એક શ્રધ્ધાળુ હિંદુ પુનર્જન્મ પામીને એક રાજા બનવાની આશા રાખી શકે; એક મુસ્લિમ કે ખ્રિસ્તી તેમની તકલીફ અને બલિદાનના લીધે સ્વર્ગમાં મળનારા આનંદ-પ્રમોદના સપનાં જોઈ શકે. હું ક્યા પ્રકારની આશા પંપાળું? મને ખબર છે કે અંત આવશે ત્યારે મારાં ગળાની આસપાસ એક ગાળિયો ભીંસાશે અને મારાં પગની નીચેથી પાટિયું હટી જશે. ચોક્કસ ધાર્મિક શબ્દો વાપરીએ તો, તે મારાં સંદતર સર્વનાશની (કયામતની) પળ હશે. મારો આત્મા શૂન્ય થઇ જશે. હું જો આ આખી વાત (મારાં સત્કર્મોના) 'વળતર'ની રીતે જોવાની હિંમત કરું, તો મને દેખાય છે કે કોઈ ભવ્ય અંત વિનાની મારી સંઘર્ષમય ટૂંકી જીંદગી એ જ મારું સાચું 'વળતર' છે. બસ, એટલું જ! અત્યારે કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર પામવાના સ્વાર્થી પ્રયોજન વગર, બહુ જ નીરસતાથી મેં મારી જીંદગી આઝાદીના કાજે અર્પણ કરી છે. હું બીજું કશું કરી જ ન શક્યો હોત. આઝાદીના નવા યુગનું પ્રભાત જરૂર ઉઘડશે કે જ્યારે માનવતાની સેવાના વિચારમાંથી હિંમત એકઠી કરીને અને જોર-જુલમથી છૂટકારો મેળવવા માટે, મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ એવું નક્કી કરશે કે આ આંદોલનના ઉદ્દેશ પર જીવન ન્યોછાવર કરવા સિવાય બીજો કોઈ આરો નથી. એ ભેગા થઈને જુલમી, દમનકારી, શોષણકર્તાઓ સામે યુદ્ધ છેડશે, રાજા કે રાણી બનવા માટે નહિ, કે કોઈ વળતર અત્યારે કે આવતા જન્મમાં મેળવવા નહિ કે મર્યા પછી સ્વર્ગ પામવા નહિ; પણ ગુલામીની જંજીરો ફગાવી દેવા માટે, સ્વતંત્રતા અને શાંતિની સ્થાપના માટે, એ લોકો આ જોખમી પણ યશસ્વી માર્ગ ખેડશે. શું પોતાના ઉદ્દેશો પર તેમના ગર્વને ઘમંડ કહી શકાય? કોણ એવું વાહિયાત છે કે જે આમ કહી શકે? હું તેને કહીશ કે તે મૂર્ખ અને દુષ્ટ છે. આવી વ્યક્તિની ઉપેક્ષા જ કરી શકાય કે જેને હૃદયમાંથી ઉઠતી આ વાતનું ઊંડાણ, લાગણીઓ, અભિવ્યક્તિ અને ઉમદા ભાવના સમજાતી નથી. તેનું હર્દય મૃત છે, એક હાડ-માંસનો લાગણી વિનાનો ઢગલો. તેની માન્યતાઓ ઢચુપચુ છે અને લાગણીઓ રુક્ષ છે. તેના સ્થાપિત હિતો તેને સત્ય જોવા માટે સક્ષમ બનાવતા નથી. ખેર, આપણી માન્યતાઓમાંથી જ્યારે પણ આપણે હિંમત મેળવીએ છીએ ત્યારે આ રીતે ઘમંડી હોવાની ઉપાધિ મળી જાય છે.

જો તમે લોકપ્રિય લાગણીઓની વિરુદ્ધમાં જાઓ; જો તમે કે એક હીરોની ટીકા કરો, એક મહાન માણસ કે જેને સામાન્ય રીતે બધી જ ટીકાઓથી પર ગણવામાં આવે છે. તો શું થાય છે? કોઈ તમારી દલીલોનો જવાબ વિવેકબુદ્ધિથી નહિ આપી શકે; તેને બદલે તમને ખોટી ડંફાસ મારનાર ધારી લેવામાં આવશે. આવું થવાનું કારણ માનસિક મંદતા છે. દયાહીન ટીકા અને સ્વતંત્ર વિચારશક્તિ એ ક્રાંતિકારી વિચારધારાના બે મહત્વના લક્ષણ છે. જેમકે મહાત્માજી (ગાંધીજી) મહાન છે, તેઓ ટીકાઓથી પર છે અને તેઓ આ બધી બાબતોથી ઉપર ઉઠી ચુક્યા છે, તેઓ રાજકારણ, ધર્મ કે નૈતિકતાની બાબતમાં જે કંઈ પણ કહે છે તે જ સત્ય છે. તમે સહમત થાઓ કે નહિ, આ સત્ય માનવા તમે બંધાયેલા છો. આ બહુ રચનાત્મક વિચારશીલતા નથી. એવું પણ બને કે આપણે એક ડગલું આગળ માંડીએ ને અમુક ડગલાં પાછળ પણ જઈએ.

આપણા પૂર્વજોએ ધર્મ કે શ્રદ્ધાને કોઈક પ્રકારની સર્વોચ્ચ શક્તિમાં રૂપાંતરિત કરી નાખી છે. તેથી જ તો, જે પણ શ્રદ્ધાની પ્રમાણભૂતતાને પડકારે કે ઈશ્વરના અસ્તિત્વને નકારે, તેને કાફર કે વિશ્વાસઘાતી કે દ્રોહી ગણવામાં આવે. ભલે પછી તેની દલીલો એટલી મજબૂત હોય કે તેને નકારી ન શકાય, ભલેને પછી તેનો આદર્શ એટલો મજબૂત હોય કે તેને સર્વશક્તિમાનના શ્રાપને લીધે આવતી બદકિસ્મતીઓની ધમકીઓ આપીને ઘૂંટણીયે ન પાડી શકાય, તો પછી તેને ઘમંડી કહીને ઉતારી પાડવામાં આવે છે. જો આમ થતું હોય તો શા માટે આ પ્રકારની ચર્ચામાં મારે મારો સમય બગાડવો? જો કે આપ લોકો સમક્ષ આ પ્રશ્ન પ્રથમ વખત આવ્યો છે એટલે મને આટલી લાંબી ચર્ચાની જરૂરીયાત અને ઉપયોગીતા લાગી.  

જ્યાં સુધી આ પહેલા પ્રશ્નનો સવાલ છે, ત્યાં મને લાગે છે કે મેં સ્પષ્ટ કર્યું છે કે હું કોઈ ઘમંડને લીધે નાસ્તિક નથી બન્યો. હું નહિ માત્ર મારા વાચકો જ નક્કી કરશે કે મારી દલીલોનું વજન પડે છે નહિ. હું જો ઈશ્વરમાં માનતો હોત તો, મને ખબર છે કે વર્તમાન પરિસ્થિતિમાં મારી જીંદગી સહેલી બની હોત, આ બોજ કૈંક હળવો બન્યો હોત. મારાં ઈશ્વરમાં અવિશ્વાસને કારણે બધી જ પરિસ્થિતિઓ વિકટ ભાસે છે અને આગળ પણ બધું વધુ ખરાબ જ થશે. થોડા ભક્તિભાવવાળા બનવાથી આવી પરિસ્થિતિને કાવ્યાત્મક વળાંક આપી શકાય. પણ મને મારાં અંત સાથેની મુલાકાત માટે કોઈ અફીણની જરૂર નથી. હું વાસ્તવવાદી વ્યક્તિ છું. હું વિવેકબુદ્ધિની મદદથી હું આવા વલણ પર વિજય મેળવવા ઈચ્છું છું. હું મારાં પ્રયત્નોમાં હંમેશા સફળ થતો નથી. પણ માનવીનું કર્તવ્ય છે કે પ્રયત્નો કરવા. સફળતાનો આધાર મળતી તકો અને બનતી પરિસ્થિતિઓ પર હોય છે.

(આ સળંગ નિબંધ છે, પણ આ બ્લોગ માટે પોસ્ટ બહુ જ લાંબી થઇ જતી હોવાથી આ બે ભાગ પાડ્યા છે. આ ભાગમાં ભગતસિંહ મોટેભાગે તેની નાસ્તિકતા ઘમંડને કારણે નથી તેની ચર્ચા કરે છે, જ્યારે બીજા ભાગમાં તે નાસ્તિકતા ઘમંડને કારણે નથી તો ક્યા કારણે છે તે વિષે લખે છે. બીજો ભાગ જોવા મળશે: http://charkho.blogspot.co.uk/2012/02/blog-post_24.html

Friday, December 23, 2011

વેઇટિંગ ફોર ત્રિલોક્પાલ

(Image Courtesy: India Together, URL: here)



(ક્યાંય નહિ હોય તેવી જગ્યા છે. ત્યાં વર્ણન ન કરી શકાય તેવું ઝાડ છે. તેની નીચે બે પાત્રો દેખાય છે.)

ગગન: જાગીને જોયું તો જગન આખો દીસે નહિ.
જગન: (ઝાડ પાછળથી સામે આવીને) અહીં જ મૂવો છું, ગગનીયા.
ગગન: અરે વાહ, મારા વહાલા મિત્ર, આજે તો કઈ તૈયાર-બૈયાર થઈને ક્યાંક બહાર-વહાર જવા નીકળ્યો છે ને કંઈ...
જગન: વોટ આપવા જાવું છું.
ગગન: વાહ-વાહ, લોકશાહીના સાચા સિપાહી, લોકશાહીના વરઘોડામાં નાચવા નીકળ્યો છે ને કાંઈ...પછી પાંચ વર્ષ ચાદર ઓઢીને ગાઢ નિંદ્રામાં ઊંઘી જજો.
જગન: કેમ વાઈડાઈ કરે છે લ્યા! તું પણ ચાલ.
ગગન: હાહા... હું? હું કોઈકની રાહ જોવું છું, એ આવી જશે પછી જ મારો વોટ લેખે લાગશે.
જગન: એટલે...કોની રાહ જુવે છે?
ગગન: મેરા નેતા ચોર હૈ.
જગન: એમ?
ગગન: સબ અફસર ચોર હૈ.
જગન: હેહે... તો સાલા, તું શું છે?
ગગન: જીન દેશોમે ત્રિલોકપાલ હૈ વહાં ભ્રષ્ટાચાર કમ હૈ. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: ત્રિલોક્પાલ? એ વળી કઈ બલા છે?
ગગન: મને ખબર જ હતી. લોકશાહીના બણગાં ફૂંકવાવાળાને એટલું ય ભાન નથી હોતું કે તેમની સીસ્ટમ એટલી બધી ખવાઈ ચૂકી છે કે તેને વ્યવસ્થિત કરવા કૈંક નવું જોઈએ. ત્રિલોક્પાલ એક સ્વપ્ન છે, સંસ્થા છે, લોકશાહીને સાફસૂફી કરવાનું મશીન છે, જહેનસીબ છે. 
જગન: લોકશાહીને સાફ કરવાનું મશીન? હાહાહા...ખીખીખી...કેમ લ્યા, આવું અઘરું-અઘરું બોલે છે આજે.
ગગન: આમ દાંત નહિ કાઢ, મુર્ખ જેવો લાગે છે! ત્રિલોક્પાલ ભ્રષ્ટાચાર દૂર કરશે, બધા નેતાઓ સીધા-દોર થઇ જશે, બધા ઓફિસરો વેતરાઈ જશે. ત્રણેય લોકમાં ભ્રષ્ટાચારનાં દાનવો કેટલો ત્રાસ વર્તાવી રહ્યા છે, હવે તેને દૂર કરવા કોઈ ત્રિપુરારીએ અવતાર લેવાની જરૂર છે.
જગન: એમ? એક માણસથી...એટલો બધો ફરક પડશે એમ...
ગગન: એક નહિ, ઘણા બધા...એક આખી સંસ્થા, યુ સી. કોઈ પણ રાજકારણથી પર, રાજકીય દબાણ વગરની સ્વતંત્ર સંસ્થા, અંગ્રેજીમાં ઓટોનોમસ અને ગુજરાતીમાં ઓટોમેટીક. ત્રીલોક્પાલના ત્રિશૂલ જેવા અણીદાર ત્રણ ખૂણા - જજ ખાતું, તપાસ ખાતું, વકીલ ખાતું. બધું ય એક સાથે. બધા એક છત્રી નીચે. બસ, પછી બધા ભેગા થઈને ભ્રષ્ટાચારીઓનો ખો કાઢી નાખશે...
જગન: ઓહો, એટલે ફ્લાયઓવર જેવું...
ગગન: આમાં ફ્લાય-ઓવર ક્યાંથી લાવ્યો, લ્યા?
જગન: એક ઉદાહરણ તરીકે. જો નીચે ટ્રાફિક જામ થઇ જાય, ભીડ-ભાડ થઇ જાય, ટ્રાફિક પોલીસ બચારા કશું ન કરી શકે તો પછી એક ફ્લાય-ઓવર બનાઈ નાખવાનો...પછી જુવો ગાડી કેવું સડસડાટ જાય.
ગગન: વાહ દોસ્ત, હવે સમજ્યો તું. હા, એ ફ્લાય ઓવર જેવું જ... આ જોને દરેક જગ્યા એ લાંચ-રુશ્વત, પોલીસવાળા ય એમાં શામેલ, કોઈને કંઈ સારું કામ કરવું હોય તો ય ન કરી શકે. એટલે પછી ગાડી સડસડાટ ચાલે એવું કૈંક જોઈએને.
જગન: (દાઢી ખંજવાળીને) ખરી વાત...પણ એક પ્રોબ્લેમ છે.
ગગન: શું? શું?
જગન: જો ફ્લાય-ઓવર પર ટ્રાફિક જામ થઇ જાય તો?
ગગન: એટલે...
જગન: એ જ કે ફ્લાય ઓવર પર ટ્રાફિક નામના અજગરની લાંબી પૂંછડી આવીને અટકે તો? અજગર એ થોડી જુવે કે આ રસ્તો છે કે ફ્લાય-ઓવર, અહીં તો બધું એના બાપનું. એ તો ફ્લાય ઓવરને પણ વીંટળાઈ વળે. ફ્લાય ઓવરની એક જ તકલીફ હોય છે કે એક વાર તેના પર ટ્રાફિક જામ થઇ જાય તો જવાને કોઈ રસ્તો ન રહે. ભ્રષ્ટાચાર પણ એક અજગર જ છે ને, એ તો પંચાયત હોય કે સંસદ, ત્રીલોક્પાલ હોય કે શિશુપાલ, કોઈને ય ભરડો લ્યે... પછી શું કરશું?
ગગન: મને ખબર જ હતી કે તું છે જ નિરાશાવાદી. તને બધી જગ્યાએ પ્રોબ્લેમ દેખાય છે. તું અને તારા જેવા લોકોએ જ આ દેશમાં કંઇક સારું થવા નથી દીધું. દેશની હાલત તો જો... કંઇક સારું થાય છે તો પછી થવા દેને. નહિ તો પછી દર પાંચ વર્ષે વોટ નાખીને કકળાટ કર્યા કરજે.
જગન: ભઈલા, આમાં 'હું શું છું કે નહિ' તે વચ્ચે ક્યાંથી આવ્યા? પ્રોબ્લેમ ટ્રાફિક ઉર્ફ ભ્રષ્ટાચારનો છે ને, ભ્રષ્ટાચાર જાત-પાત, ઊંચ-નીચ, આગળ-પાછળ, ઓટોનોમસ, ઓટોમેટીક-સેમી-ઓટોમેટીક જોઇને ફેલાય છે? ધારો કે તમારી સંસ્થા પર કોઈ રાજકીય દબાણ નથી પણ તેમાં કામ કરનારા લોકો શું મંગળ ગ્રહ પરથી લાવશો, મગનલાલ! લોકો તો આ જ સમાજના હશેને અને તેમાંના કેટલાક કોઈકને ફેવર કરવા તત્પર હશે ને...
ગગન: જગલાઆઆ...બહુ દોઢ-ડાહ્યો ન થા. તારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો બતાવ. સારા કામમાં વિઘ્નો ઉભા નહિ કર.
જગન: મારી પાસે એક જ રસ્તો છે જે મતદાર મથક સુધી જાય છે અને ત્યાં જઈને હું કોઈના લમણે સિક્કો મારીને આવી જઈશ. પછી પાંચ વર્ષ સુધી નીચી મૂંડીએ રાહ જોઇશ. આ સિવાય, હાલમાં કોઈ રસ્તો નથી મારી પાસે...
ગગન: બસ તો પછી, મૂંગો મર. તમારા જેવા નેગેટીવ, નિરાશાવાદી, શંકાશીલ, સીનીકલ લોકોથી દેશ ભરેલો છે, એટલે જ કંઈ થતું નથી.
જગન: હું નેગેટીવ-નિરાશાવાદી-શંકાશીલ-સીનીકલ ને તું ઓપ્ટીમીસ્ટ-આશાવાદી-પ્રેક્ટીકલ-પોપટ એમ ને. ભાઈ ગગનલાલ, સમાજ સુધારણા તો કંઈ સંસ્થાઓ બનાવવાથી થતી હશે. એના માટે તો જાતે મહેનત કરાવી પડે, આપણા પોતાનાથી શરૂઆત કરાવી પડે, ગાંધીજીને જેમ.
ગગન: એમ જગન ગાંધી? ચાલો, કરીએ શરૂઆત તમારાથી...બોલો, શું કરશો?
જગન: યાર, એમ તો મનેય ખબર નથી. સાલું, કરવાનું શું? ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ કે આજથી હું કોઈ ભ્રષ્ટાચાર નહિ કરું અને તને કરવા પણ નહિ દઉં. હું કોઈને લાંચ-રિશ્વત નહિ આપું.
ગગન: સરસ, લગે રહો...
જગન: પણ યાર, આપણે એમેય ક્યાં ભ્રષ્ટાચાર કરતાં હતાં. અને સૌથી મહત્વની વાત, લાંચ આપવા પૈસા જોઈએ ને. અહીં પૈસા જ કોની પાસે છે...હાહાહા...
ગગન:તને મજાક સુઝે છે, હું સીરીયસ છું. આ એક જ રસ્તો છે અને આ એક જ મોકો છે. સરકારની દાનત ખરાબ છે એટલે જ એ લોકો ત્રિલોક્પાલને મોકલતા નથી...મજબૂત ત્રીલોક્પાલ, સૌથી મજબૂત ત્રીલોક્પાલ, મજબૂતમાં મજબૂત ત્રિલોક્પાલની જરૂર છે આપણને.
જગન: એટલે કે કોઈ જોરદાર પહેલવાનની વાત ચાલે છે આ? 
ગગન: એવું જ સમજી લે. જો પહેલા તો જજ-જ્યુરી-વકીલ-પોલીસ બધા જ એક હોવા જોઈએ. જેવો કોર્ટમાં કેસ ગયો કે સાથે ફેંસલો. ત્રિલોકપાલ ઇન, ભ્રષ્ટાચાર આઉટ.
જગન: તો પછી સાક્ષીને શું કામ બાકી રાખે છે, ત્રિલોકપાલ સાક્ષી પણ બનાવી લે એટલે પત્યું! એ જેને નક્કી કરે તેને સજા. અને એક કામ કર, જલ્લાદની પણ શું જરૂર છે? એ કામ પણ ત્રિલોકપાલને કરવા દે. ભ્રષ્ટાચારની સજા ફાંસી, આ કોર્ટ-કચેરીની માથાકૂટ જ નહિ.
ગગન: મારી મજાક ઉડાવે છે? જો આજે ત્રિલોક્પાલ હોત તો આ બધા સરકારી મંત્રીઓ આજે જેલમાં ગયા હોત. ચુન ચુન કે...સમજ્યો?
જગન: વાહ ગગનવાલા વાહ! અબ ખુદ હી જજ બન ગયે?
ગગન: તું આ તારા બંધારણ-ફન્દારણ, કાયદો-વ્યવસ્થાનું પૂંછડૂ પકડીને બેસી રહે અને આ દેશને લૂંટાતા જોતો રહે. તમે બધા એ જ લાગના છો.
જગન: એમ? તો પછી તું શું લાગનો છે?
ગગન: હું ત્રિલોક્પાલની સાથે છું. બસ હવે ત્રિલોક્પાલનું રાજ હવે આવતું જ હશે. એ આવશે અને બધું બદલાઈ જશે. જગનીયા, છેલ્લી વાર કહી દે કે તું મારી સાથે છે કે મારી વિરુદ્ધમાં?
જગન: એવું ક્યારથી થઇ ગયું? અલ્યા તું કંઇ પેલા બુશડાની જેમ ઈરાક પર યુદ્ધ કરવા જાય છે અને એવું માને છે કે જે તારી સાથે લડવા ના આવે તે બધા તારી વિરુદ્ધમાં? કેમ એ બુશડા જેટલી બુદ્ધિ રહી ગઈ છે તારામાં હવે?
ગગન: બસ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. 
જગન: શ્રી ગગનભાઈ ગીતાવાળા. આપ ત્રિલોક્પાલની રાહ જુવો, ત્યાં સુધી હું જરા વોક લઈને વોટ કરી આવું. 
ગગન: મને પહેલેથી ખબર હતી કે કંઇક નક્કર કરવાનું આવશે તો તું તેમાં હજાર વાંધા-વચકા કાઢશે. તને છેને પેલા ટીવી પર આવતા, ગોળ-ગોળ બોલતા અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની જગ્યાએ પ્રોબ્લેમ-પ્રોબ્લેમ બોલતા બુદ્ધિ વગરના બુદ્ધિજીવીઓ જ ગમે છે. ડૂબી મરો બધા ભેગા થઈને. અહીં પહેલીવાર કંઇક નક્કર કરવાનો મોકો મળ્યો છે એટલે હું તો એ કરવાનો છું. તું છે જ ડરપોક બિલ્લી. 
જગન: અને તું ભસ-ભસ કરતો પાગલ કૂતરો. 
ગગન: (આગળ ધસી આવતાં) કૂતરો કોને કહે છે?
જગન: તને...
ગગન: એમ? સાલા ડરપોક...
(બંને એક-બીજાની ફેંટ પકડી લે છે અને હાથ ઉગામે છે. થોડી વાર પછી ધીરે-ધીરે છૂટા પડે છે અને બે જુદી દિશામાં ઉભા રહે છે. કોઈ કંઇ બોલી શકતું નથી. આખરે...)
જગન: હું વોટ આપવા જવું છું. 
ગગન: ઓકે. 
(ફરી શાંતિ છવાય છે. નેપથ્ય પર રંગ બદલાય છે અને જગન પાછો ફરે છે.)
જગન: આ નાલાયકોને કંઈ ભાન જ પડતું નથી. મતદારો સાથે આવો વ્યવહાર કરાય... 
ગગન: શું થયું?
જગન: આ પેલા મતદાર મથકે લાંબી લાઈન હતી. થોડી ધક્કામુક્કી થઇ એટલે હું બધાને સમજાવતો હતો કે આજના ચૂંટણીના અવસરનું લોકશાહીમાં મહત્વ શું છે અને તેના માટે જાહેર શિસ્ત કેટલી જરૂરી છે? તેમાં એક પોલીસવાળાએ મને ડંડો માર્યો...
ગગન: ફૂઊઊઉ...હહાહાહા...હહાહા.
જગન: (થોડી વાર રહીને) હહાહાહા... 
ગગન: હાહાહા...
જગન: હાહા...બહુ મજા પડી નહિ આજે!
ગગન: હે લોકશાહીના સાચા સેવક, તમારી સેવા માટે સરકારે આપેલો પદક તો બતાવો. 
જગન: (હસતાં-હસતાં) ચલ તને પણ અપાવું. મફતમાં મળે છે. અને હું કહીશ કે ચાર મારીને એક ગણજો.
ગગન: હવે તારા હૈયે ટાઢક વળી? આપી દીધો વોટ અને લઇ લીધો શિરપાવ. 
જગન: (ગંભીરતાથી) ક્યાંથી વોટ આપું? ઢાઢા રંગાયેલા હોય, લોકશાહી ઠોકશાહી લાગતી હોય પછી વોટ આપવાનું મન કોને થાય? તોય મન મજબૂત કરીને હું અંદર ગયો પણ ખરો, પેલું ફોર્મ હાથમાં લીધું, બધાય ના નામ વાંચ્યા અને અજબ વાત બની. બધા ય ઉમેદવારોની નિશાન એક જ હતું - ડંડો! હવે શું કરવું? એટલે કોરું ફોર્મ મૂકીને ચાલી આવ્યો. 
ગગન: હા, યાર. વાત સાચી છે. વોટ કોને આપવાનો... સાલા બધા એક જેવા જ હોય છે. એટલે જ કહું છું કે ત્રિલોક્પાલની રાહ જો, એ બધા ય ને સરખા કરી દેશે અને ન થાય તેના હાડકાં ખોખરાં...
જગન: ભાઈ, તારા ત્રિલોક્પાલના હાથમાં ય પોલીસ જેવો ડંડો જ હશે ને. પોલીસવાળા મતદાર મથકની વ્યવસ્થા જાળવવા માટે હોય, મતદાર મથક ચલાવવા માટે નહિ. પોલીસ બધી સરખી. ડંડો કોઈનો સગો નહિ. લોકશાહી લોકોથી ચાલે, ડંડાવાળાથી નહિ. આ ડંડા વગરની લોકશાહી માટે તો પેલા પોતડીવાળા દાદાએ અને પેલા બારડોલીવાળા પટેલે મહેનત કરી હતી.
ગગન: અલ્યા, હજી તારું લોકશાહીનું ભૂત ઉતર્યું નથી. 
જગન: કેમ, તારું ત્રિલોક્પાલનું ભૂત ઉતર્યું? 
ગગન: ના. હું તો ત્રિલોક્પાલની રાહ જોવાનો છું. (ગાવા લાગે છે) ત્રણેય લોકના પાલનહારા, હરે મુરારી ત્રિપુરારી...
જગન: હું પણ રાહ જોઇશ ત્યારે...
ગગન: શેની?
જગન: લોકશાહી મારા સુધી પહોંચે તેની.

(બંને ક્ષિતિજો સામે મીટ માંડીને બેસી રહે છે. નેપથ્યના રંગ બદલાય છે પણ બંને પાત્રો અચળ છે.)

નોંધ: શ્રીમાન સેમ્યુએલ બેકેટની ક્ષમાપ્રાર્થના સાથે.

Tuesday, October 25, 2011

ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૨ (થીમ્ફૂ)

ભૂટાન એ ભારત અને ચીન જેવા મહાકાય દેશો વચ્ચે 'સેન્ડવીચ' થયેલો દેશ છે. ભૂટાનમાં માનવ સભ્યતાની પહેલી નિશાની આજથી લગભગ ચારેક હજાર વર્ષ પહેલાની મળે છે. તે પછીના વર્ષોમાં મોંગોલ અને તિબેટ વગેરે સંસ્કૃતિ સાથે તેના સીધા સંપર્કો હતા. સાંસ્કૃતિક રીતે ભૂટાન તિબેટને (કે લડાખને) વધુ મળતું આવે છે પણ તેણે રાજકીય રીતે એક અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ દેશ એક પ્રકારનો 'સાંસ્કૃતિક ટાપુ' છે. અહીં તિબેટથી થોડો અલગ 'મહાયાન બુદ્ધ ધર્મ' સત્તાવાર રીતે સ્વીકારેલો રાજ્યનો ધર્મ છે, જે તિબેટીયન બુદ્ધ ધર્મથી ઘણા અંશે અલગ છે, તેવું કહેવાય છે. બે મહાકાય મહાન સંસ્કૃતિઓ  વચ્ચેના સહવાસને લીધે પોતાની પહેચાન જાળવી રાખવાના પ્રયત્નો બહુ રૂઢીચુસ્તતાથી અમલમાં લાવવામાં આવતા હશે તેવું માની શકાય. તેથી જ તો તેમની ભાષા, વસ્ત્ર-પરિધાન, સ્થાપત્ય વગેરેને પ્રચલનમાં જાળવી રાખવા માટે કાયદા ઘડવામાં આવ્યા છે અને તેનો કડકાઈથી અમલ થાય છે. 
(થીમ્ફૂનું તાશીચોઝોંગ એટલે કે ભૂતાન સરકારનું મુખ્યાલય)
પહાડી વિસ્તારમાં ખેતી અને પશુપાલન પર આધારિત ખીણ પ્રદેશો અને ખીણ પ્રદેશોમાં નાની-મોટી ટેકરીઓ પર પથરાયેલા ગ્રામ્ય સમૂહોનો આ દેશ બનેલો છે. દરેક ખીણ વિસ્તારને રાજકીય-આર્થિક નિયંત્રિત કરવા માટે મુખ્ય વહીવટી મથક તરીકે કિલ્લા જેવા સ્વરૂપમાં બનાવેલા ઝોંગ (Dzong) હોય છે. તિબેટની જેમ ભૂટાનમાં પણ ધર્મ અને રાજ્યનું સંયોજન થયેલું છે. ઝોંગ તે ધાર્મિક રીતે પણ મહત્વ ધરાવે છે. તેમાં વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત, પ્રાર્થના સ્થાન, મંદિરો, રહેણાંક વિસ્તાર વગેરે હોય છે. પરંપરાગત રીતે ભૂટાનમાં જમીનદારી પ્રથા (Fuedalism) અને તેની ઉપર ધર્મ અને રાજ્યના સંયોજનની બનેલી રાજ્યસત્તા હતી. મારા ૧૯૯૮નાં પ્રવાસ દરમ્યાન ત્યાં 'સંપૂર્ણ રાજાશાહી' હતી. ૨૦૦૭માં કરેલા બીજા પ્રવાસ દરમ્યાન અમે 'બંધારણીય રાજાશાહી' અનુભવી અને ધીરે-ધીરે લોકશાહી તરફ જઈ રહેલા દેશની વાતો સાંભળી. જો કે ભૂટાનનાં સમાજનો લોકશાહી સાથેનાં નવતરુણ પ્રેમની વાતો ફરી ક્યારેક.

છેક ૧૯૬૧માં થીમ્ફૂ ભૂટાનની રાજધાની બની છે. તે પહેલાની પરંપરાગત રાજધાની પુનાખા હતી, જે ભૌગોલિક ભૂટાનની મધ્યમાં આવેલી છે. ભારત સાથે વધતા જતા રાજકીય સંબંધો અને ચીનના તિબેટ પર આક્રમણ પછી તૂટી રહેલા સાંસ્કૃતિક જોડાણો વચ્ચે ભૂટાનની રાજધાની પશ્ચિમે આવેલા થીમ્ફૂમાં લાવવામાં આવી. કહેવાય છે કે પચાસના દાયકાના અંતમાં ભૂટાનનું વ્યુહાત્મક મહત્વ સમજીને પંડિત નહેરુએ થીમ્ફૂનો પ્રવાસ કોઈ વ્યવસ્થિત માર્ગને અભાવે યાક પર બેસીને કરેલો. આ પછી ભારતની મદદથી થીમ્ફૂ અને ફૂન્શીલીંગને જોડતો હાઈવે બનાવવામાં આવ્યો. આ સાથે જ થીમ્ફૂનું ભૌગોલિક અને રાજકીય મહત્વ વધ્યું અને ભારત સાથે વેપાર અને રાજકીય સંબંધો પણ વધ્યા.
(ચાંગ લમ એટલે કે ચાંગ સ્ટ્રીટ પર આવેલું એક માત્ર ટ્રાફિક જંકશન અને તેના સંનિવેશમાં પર્વતોની હારમાળા)
થીમ્ફૂની મજા એ છે કે જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજો વિસ્તરતી જતી લાગે, પહાડોની હારમાળાની પશ્ચાદભૂમિ અને તેની પર તડકા-છાયાંની રમતો. આમ તો આ વાત આખા ભૂટાન માટે સાચી છે અને કદાચ બધા જ પહાડી વિસ્તારો માટે પણ. થીમ્ફૂની એક ઓર લાક્ષણીકતા છે તેનું એકદમ સાફ, નીલેરી આકાશ તેના જોડીદાર જેવો શીતલહેરમાં નિર્મળ બનેલો ભપકાદાર તડકો. શહેરમાં હાલતા-ચાલતાં જ્યાં નજર નાખો ત્યાં ધરતી અને આકાશની વિશાળતાનો અનુભવ હોય, દરેક મકાનની પાછળ અને રસ્તાને છેડે એક નજરનું ઊંડાણ હોય. આ વિશાળતા ક્યારેક-ક્યારેક અનુભવવી એક વાત છે અને તેને રોજ-બરોજની જીંદગીમાં જીવવી બીજી વાત છે. જો રોજેરોજ નિસર્ગની વિશાળતાનો અને તે સાથે આવતા માણસના વામણાપણાનો અહેસાસ થતો હોય તો પછી ભૂટાનના લોકો જેવા નમ્ર અને ખુલ્લા દિલના બનવાનું સહેલું બની જતું હશે. સૌમ્ય જોશીના નાટક 'આઠમા તારાનું આકાશ'માં એક સરસ વાત છે. જે કોઈ જ્યોતિષી પાસે પોતાના દુઃખનો માર્ગ પૂછવા જાય તેને તે આકાશના તારાં જોવા મોકલી આપે છે - આકાશની વિશાળતા સામે પોતાના દુઃખ નાના લાગે ને માટે. અહીં વિસ્તરતા જતા પહાડો અને તેની ઉપર ગુંબજીય આકાશ જેવા દૈવી સંદર્ભોની સતત હાજરીને લીધે બીજું બધું ક્ષુલ્લક લાગે અને ઝાઝી લપ્પનછપ્પન કર્યા વગર ખાઈ, પીને ખુશ રહેવું સહજ બની જાય છે.
(ચાંગ લામ એટલે થીમ્ફૂના મુખ્ય માર્ગની બીજી તરફનું દ્રશ્ય)
૧૯૯૮નાં થીમ્ફૂમાં અમારી નિયમિત મુલાકાતોના સ્થળો હતાં, સ્વીમીંગ પુલ, ફિલ્મ થીયેટર, ઇન્ડિયન આર્મી કેન્ટોનમેંટનો સ્ટોર, અમુક રેસ્ટોરેન્ટ્સ અને અમુક ઓળખીતાઓના ઘર વગેરે. દરેક જગ્યાની કહાનીઓ છે અને ખાસિયતો છે. આ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન પહેલાનો જમાનો હતો. આજે એવું લાગે છે કે જાણે આ દાયકાઓ પહેલાની વાત છે. અમે ઘર અને મિત્રો સાથે પત્રોચ્ચાર કરતા હતા. હા, એજ પેલું કાગળ પર પેન કે પેન્સિલથી લખીને કરવામાં આવતું માહિતીનું આદાન-પ્રદાન. ગુજરાતીમાં લખવાની ટેવ કદાચ ત્યારે પડી હશે. અમારી ઓફિસનું એક પોસ્ટબોક્ષ હતું. તેને દર બે દિવસે ચેક કરવામાં આવતું. ભારતથી છાપાં બે-ત્રણ દિવસે અને ક્યારેક ચાર દિવસે આવતાં ત્યારે સમાચાર મળતાં. ત્યાંના સ્થાનિક સાપ્તાહિકમાં સમાચારો ઓછા અને સરકારી જાહેરાતો વધુ રહેતી. સનસનાટીભર્યા બનાવો, ગુનાખોરી કે ભ્રષ્ટાચાર વગેરે જેવું પણ ભાગ્યે જ બનતું. કોઈ મોટા સમાચાર હોય તો મોંઢામોંઢ ખબર પડી જ જાય. કેવું કહેવાય, સમાચાર વિનાનો દેશ!

ભૂટાનમાં ત્યારે સેટેલાઈટ ટીવી પણ નહિ હતું અને કોઈ સ્થાનિક ચેનલો પણ ન હતી. ટીવીનો એક માત્ર ઉપયોગ વીસીઆર પર હિન્દી કે અંગ્રેજી ફિલ્મો જોવા થતો. માર-ધાડવાળી ચક નોરીસ, સ્ટીવન સીગલ વગેરેની બી-ગ્રેડની ફિલ્મો અને દક્ષીણ ભારતની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોનું માર્કેટ જોરમાં હતું. ભારતની નવી રીલીઝ થતી ફિલ્મોને ભૂટાનમાં તરત આવવા મળતું નહિ. ભારતીય ફિલ્મો અહીં નિયમિત રીતે ૫-૧૦ વર્ષ મોડી રીલીઝ થતી હતી. એ અલગ વાત છે કે અહીં રીલીઝ કરવા માટે એક જ થીયેટર હતું અને સરહદ પરના ગામો પણ ગણીએ તો ત્રણ કે ચાર થીયેટર. તેથી નવી રીલીઝ થતી ભારતીય ફિલ્મોની વિડીઓ કેસેટ્સ આવવાની રાહ જોવી પડતી અને લોકો થીયેટરમાં ફિલ્મ જોવા વધુ જાય તેથી કેસેટ્સ પાછળથી બહાર પડતી. મને યાદ છે કે અમુક યુવાન મિત્રો ખાસ ૬ કલાક ગાડી ચલાવીને ફૂન્શીલીંગ સુધી 'બોર્ડર'માં અક્ષય ખન્નાને અને 'ગુલામ'માં આમીર ખાનને જોવા ગયા હતાં. અમને પણ એ કાફલામાં જોડાવાનું આમંત્રણ મળેલું પણ અમે અમારી નવ-ઉપાર્જિત નિસ્પૃહતાપૂર્વક તેનો ઈન્કાર કરેલો. કારણકે અમને ૩ કલાકની ફિલ્મ માટે ૧૨ કલાકની મુસાફરીની વાત 'કુછ હજમ નહી હુઈ'. 

ટીવી, મોબાઈલ ફોન, ઈમેલ, છાપાં, ફિલ્મો, ઈન્ટરનેટ કે સોશિયલ નેટવર્કિંગ વગરનું જીવન કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ઓફિસનો સમય દસથી પાંચ અને શનિ-રવિ રજા. ભારતના 'અતિ' પ્રવૃત્તિમય જીવનમાંથી એક લાંબો ઠહેરાવ આવ્યો. કોઈ પ્રકારના મનોરંજનના સાધનો કે સમય પસાર કરવાના દેખીતા ઉપાયો વગરના અમારા રહેઠાણ દરમ્યાન અમે નવા શોખ વિકસાવ્યા અને તે સાથે અમુક પ્રાથમિકતાઓનું પણ ભાન થયું.  દિવસમાં કમસે કમ એકવાર જમવાનું બનાવવું, સ્વીમીંગ કરવું, વાંચવું, લખવું અને પહાડો પર ચઢવું. હા, આ લીસ્ટમાં 'કશું ન કરવું' પણ લખી શકાય. 'કશું જ ન કરવાની' મજા અલગ હોય છે. 'કશું ન કરવું' એટલે સભાનતાપૂર્વક કોઈ પ્રવૃત્તિ ન કરવી કે ન તેમાં ભાગ લેવો. કોઈ સુંદર જગ્યાએ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ક્ષિતિજની સામે જોયા કરવું, તે સમય પસાર કરવાની અદભૂત રીત છે. આજના પ્રવૃત્તિથી હર્યા-ભર્યા જીવનની સરખામણીમાં 'કશું ન કરવું' તેવું કોઈને કહીએ તો લોકો અકળાઈ ઉઠે. હંમેશા 'કંઇક કરતા રહેવું જોઈએ' તે આધુનિક જીવનનો મંત્ર છે તેથી દરેક દિવસમાં કરવાની વસ્તુઓ નક્કી હોય, કોને મળવાનું હોય તે નક્કી હોય, કઈ ઘટનાઓમાં ભાગ લેવાનું છે અને શેમાં સાક્ષીરૂપ રહેવાનું તે બધું પણ નક્કી હોય. તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં, બધી જ સર્જનાત્મકતાઓ 'કશું ન કરવાની' સ્થિતિમાંથી જન્મતી હોય છે.

થીમ્ફૂ શહેરની આસપાસ અનેક ઊંચા પર્વતો હતાં જે નાની-મોટી ટેકરીઓની હારમાળાનાં બનેલા હતાં. આખો પર્વત ચડતા આખો દિવસ કે વધુ સમય લાગી શકે અને પછી ત્યાં રાત વીતાવવા તંબૂ, સ્ટવની પૂરી સાધન-સામગ્રી જોઈએ. અમે આખો પહાડ ચઢવાના આગ્રહ રાખ્યા વિના શનિવારના દિવસે નાના ખભેથેલા ઊંચકીને નીકળી પડતા, જેટલું ચઢાણ થાય તેટલું કરતા અને સાંજ સુધીમાં પાછા ફરતા અને રવિવારે તેનો થાક ઉતારતા. લગભગ દરેક પહાડની કે તેની ટેકરીઓ પર નાના-મોટા મંદિરો કે મઠ (ગોમ્પા) મળી આવતા. અડાબીડ પહાડોમાં માનવવસ્તી મળી આવવાનો આનંદ અનેરો હોય છે. પર્વત ચઢતાં સામે મળતા બિલકુલ અજાણ્યા લોકોનું અભિવાદન પણ સાહજિક રીતે થઇ જતું. આ મઠ-મંદિરોમાં પ્રેમથી લોકો આવકારતા, ચા-નાસ્તો વગેરે આપતા. અમને માત્ર સ્થાનિક ભાષા ઝોન્ખામાં 'કુઝોઝામ્બો' કહેતા આવડતું જેનો 'કુઝોઝામ્બોલા' જેવો જવાબ મળતો. તે સિવાય, કોઈ ભાષાકીય આદાન-પ્રદાન નહિ. માત્ર સ્મિત અને આદરપૂર્વકનું આચરણ. નેપાળી ભાષા ઝોન્ખા સિવાય બીજી પ્રચલિત ભાષા છે, જે અમને બહુ આવડતી નહિ. કોઈકને થોડું ઘણું હિન્દી આવડતું હોય તો વાતચીત થાય. આ જાતઅનુભવ હતો કે માનવતાની કોઈ ભાષા નથી હોતી. અમને કોઈ મઠમાં જવાની કોઈ જરૂર નહોતી, અમારી પાસે ખાવા-પીવાનો પુરતો સ્ટોક રહેતો અને તેમને પણ અમને આવકારવાની કોઈ જરૂર નહોતી. પણ આ બધું સાહજિક રીતે થયું, બંને પક્ષે કોઈ પ્રકારના વળતરની આશા વગર. આ સરળતા અને સાહજિકતા અમને આ આખાય પ્રવાસ વખતે વારંવાર સ્પર્શી.


(થીમ્ફૂનું એકમાત્ર ફિલ્મ થીયેટર કોઈ ભૂટાનીઝ ફિલ્મના પોસ્ટર સાથે)
થીમ્ફૂમાં બીજું 'જોવા જેવું સ્થળ' હતું, ફિલ્મ થીયેટર. અહીંની ટીકીટ લેવાની પધ્ધતિ જોરદાર હતી. ધારો કે 'સ્ટોલ'ની એટલે કે નીચેના ભાગની ટીકીટ લેવી હોય તો થીયેટરના મુખ્ય દરવાજાની બાજુની તરફની દીવાલ પર ટીકીટ બારી હતી. આવી ટીકીટબારી પર સામાન્ય રીતે 'બુકિંગ' કે 'ટીકીટ' જેવું કઈ લખેલું હોય અને પૈસા-ટીકીટની આપલે કરવા, વાતચીત કરવા માટેની બારી હોય. અહીં એવું કશું જ ન હતું. અમે લોકોની ભીડ જોઇને તે તરફ આગળ વધ્યા તો ખબર પડી કે દીવાલમાં હાથ જઈ શકે તેવું એક માત્ર બાકોરું હતું, વાતચીત કરવાની કે આર-પાર જોવાની કોઈ બારી નહિ. વળી, અહીંથી 'ટીકીટ' મળશે તેવું પણ ક્યાંય લખેલું નહિ. થીયેટરની વિશાળ દીવાલ પર એક ભેદી બાકોરું કે જેમાં પૈસા સાથે હાથ નાખો એટલે ટીકીટ અને છૂટ્ટા પૈસા પાછા મળે. કેટલી ટીકીટ જોઈએ તે હાથના ઇશારાથી બતાવવું પડે. કોઈ વાત-ચીત કે સંવાદની જરૂર જ નહિ કારણકે અહીં 'સ્ટોલ'ની એટલે કે એક જ પ્રકારની ટીકીટ મળે. 'બાલ્કની'ની ટીકીટ અંદર ગયા પછી જ મળે. બસ કંડકટરની જેમ 'ટીકીટ, ટીકીટ'ની બૂમ પડતો માણસ ફિલ્મના ટાઈટલ શરુ થાય પછી આવે અને ત્યાર બાદ 'બાલ્કની'માં એન્ટ્રી બંધ. અહીં અમે જગતની થીયેટરમાં મોટા પડદા પર જવલ્લે જ જોવા મળતી ફિલ્મો જોઈ. ના, ના, ફેલીની-તારકોવ્સ્કી-ગોદાર્દ એવું બધું નહિ. 'આઈ લવ યુ, ઇન્ડિયા' નામની હિન્દીમાં ડબ થયેલી તમિલ ફિલ્મ, ચક નોરીસની 'એન આઈ ફોર એન આઈ' કે પછી જેકી ચાનની 'ફિયરલેસ હાયના' ઉર્ફ 'ખૂંખાર ભેડિયા' વગેરે વગેરે.
(ચાંગ લમના મકાનો અને ચાંગલીમથાંગ ફૂટબોલ ગ્રાઉન્ડનું દ્રશ્ય નદીની બીજી તરફથી)
જોવા લાયક જગ્યા નંબર ત્રણ માટે શનિવારની રાહ જોવી પડે. દર અઠવાડીયે શનિવારે બજાર ભરાય જ્યાં લીલાં શાકભાજી, સુકી માછલી, તાજું માંસ, દેશી ઈંડા વગેરે એકબીજાની કોઈ આભડછેટ કે સૂગ રાખ્યા વગર એકબીજાની આજુબાજુમાં વેચાતાં મળે. તે સાથે ઘરગથ્થું સામાન પણ ખરો. સૌથી તાજું શાક લેવાની આ એક જ જગ્યા, અઠવાડિયામાં એક જ વાર. સૌથી વધારે ખપત થાય લીલાં જાડા મરચાંની. અહીંના લોકોને લીલાં મરચાનો બહુ શોખ. ભૂટાનની એક ટીપીકલ વાનગી છે, એમાદાત્સી, જે લાલ જાડા ભાત જોડે ખવાય. એમા એટલે મરચાં અને દાત્સી એટલે સ્થાનિક ચીઝ. પરંપરાગત ભોજનમાં આ ચીઝનો ઉપયોગ પણ બહુ થાય. સહેજ આથો આવેલી, તીવ્ર (સુ)વાસ ધરાવતી આ ચીઝથી લોકો ભાત-ભાતનાં વ્યંજન તૈયાર કરે છે. ભૂટાનની પરમ્પરાગત રસોઈ બહુ સાદી અને પ્રાથમિક પ્રકારની કહી શકાય. તે સામે ભારતીય વ્યંજનો ઘણી ઉત્ક્રાંતિ પામ્યા છે. થીમ્ફૂમાં નાની-મોટી હોટેલોમાં પંજાબી, ચાઇનીઝ, નેપાળી ખાણાં વગેરે મળી જાય છે. પણ બધી ય ભારતીય ચીજો મળવી મુશ્કેલ છે. દર રવિવારે સવારે ઇન્ડિયન આર્મીના કેન્ટોનમેંટના સ્ટોરમાં સમોસા અને જલેબી મળતા, જે અમે શરૂઆતમાં નિયમિત રીતે ખાવા જતા હતાં.

આ સિવાય, અહીના સ્વીમીંગ પુલની મજા કંઇક ઓર હતી. ઠંડા પ્રદેશોમાં હોય છે તેમ ગરમ પાણીવાળો સ્વીમીંગપુલ. ઓફિસથી સ્વીમીંગ કરવા (શીખવા) અને તે પછી ઘરે આવીને તોતિંગ ભૂખને ન્યાય આપવા ભોજનની તૈયારી. વિચારો, દેશનો એક માત્ર જાહેર સ્વીમીંગપુલ! અહીં 'દેશના એક માત્ર' અને દરેકની આગળ 'નેશનલ' લગાડવાની બહુ મજા આવતી. અમેરિકનો જે રીતે છૂટથી 'દુનિયાના સૌથી મોટા', 'દુનિયામાં સૌથી વધારે' વગેરેનો ઉપયોગ એમ ધારીને કરે છે કે અમેરિકામાં જો કોઈ રેકોર્ડ હશે તે દુનિયામાં પણ રેકોર્ડ જ હશે. તે રીતે અમે થીમ્ફૂમાં જે કંઇ હશે તે આ દેશમાં 'એક માત્ર' હોવાનો દાવો કરતા રહેતા.

એકંદરે, થીમ્ફૂમાં વસવાટ શાંતિપૂર્ણ રહ્યો અને સાથે સાથે ઘણું નવું શીખવા પણ મળ્યું. હજી સુધી થીમ્ફૂના અને તેની આસ-પાસના વિસ્તારોના સત્તાવાર રીતે સહેલાણીમાં પ્રિય સ્થળોની કે તેના સ્થાપત્ય વગેરેની વાત અહીં કરી નથી. જે આગળ કરવાનો નિર્ધાર છે. પણ તે પહેલાં થીમ્ફૂના જનજીવનની, સંસ્કૃતિની અને અમારા રોજ-બરોજના જીવનની પૂર્વભૂમિકા આપવી જરૂરી લાગી હતી. આ સાથે સાથે ત્યાં દોરેલા સ્કેચ વગેરે પણ આ લેખોમાં શામેલ કરવાના બાકી છે. લાગે છે આ ભૂટાનની સીરીઝ લાંબી ચાલશે પણ વચ્ચે વચ્ચે કોઈ વિચારોનું અતિક્રમણ થશે તો બીજા વિષયના લેખો પણ આવતા રહેશે. છેલ્લે છેલ્લે, દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે જીવનભરની યાદગીરી તરીકે ઉજવી શકાય તેવી બે તસવીરો.

(ડીસેમ્બર, 2007ના શિયાળુ તડકાથી હર્યા-ભર્યા દિવસે ડ્રુક એરના ૪૦-સીટર વિમાન(જે પ્રમાણમાં ઓછી હાઈટ પકડીને ઉડે છે)માં કોલકાતા પાછા ફરતી વખતનું દ્રશ્ય. પાઈલોટ જાહેર કરે છે કે ડાબી તરફ નજીક દેખાતી બર્ફીલી પર્વતમાળાનું ઉન્મત્ત શિખર એટલે કાંચનજંઘા અને દૂર દેખાતી બર્ફીલી પર્વતમાળાનું મુખ્ય શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ! માત્ર આ એક નજારો જોવા માટે આ મુસાફરી વિમાનમાં કરવા જેવી છે.)
(પર્વતોની હારમાળ વચ્ચે કાંચનજંઘા)

Sunday, October 16, 2011

ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૧

 (પારો ખીણ વિસ્તાર, ૨૦૦૭)
ભોમિયા વિના ભૂટાનના ડુંગરા ભમતાં'તાં એ વાતને આજે બાર-તેર વર્ષ થયા. ૧૯૯૮માં પહેલી વાર અમે ભૂટાનમાં પગ મૂક્યો ત્યારે વીસ-એકવીસ વર્ષના છોકરડાઓ હતાં. જ્યાં પહોંચતા જમીન માર્ગે ગુજરાતથી ત્રણ-ચાર દિવસ લાગે એવા બિલકુલ નવા દેશમાં જવાનો રોમાંચ અદભૂત હતો. અહીં અમે એટલે હું અને મિત્ર નિલય. અમે સાંભળેલું કે અમારી કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ત્યાં આર્કીટેકટ તરીકે પ્રેક્ટીસ કરે છે. તે વખતે ઈ-મેલ તો ચલણમાં ન હતા, તેથી તેમની સાથે એક-બે પત્રનો વ્યવહાર ચાલ્યો. અમે પૂછ્યું 'આવીએ?' અને તેમણે કહ્યું કે 'આવી જાવો'. આજે વિચારું છું તો નવાઈ લાગે છે કે માત્ર એક લેટર હાથમાં લઈને અમે 'સાત સમંદર પાર' પહોંચી ગયેલા, પેલી ઓફિસમાં ટ્રેઈનીંગ કરવા માટે. ટ્રેઈનીંગ સિવાયનો અજેંડા (અને આમ તો મૂળ અજેંડા) એ જ હતો કે એક નવી સંસ્કૃતિને સમજવી, નવા દેશને ખૂંદી વળવો, ખૂબ વાંચન કરવું, સ્કેચીંગ કરવું, ખૂબ રખડવું વગેરે. મજાની વાત તો એ છે કે આ બધું કરવા માટે ભણવામાંથી ઓફિશિયલી રજા મળે, થોડા પૈસા કમાવા મળે અને અધૂરામાં પૂરું, મા-બાપ તરફથી છૂટ અને પ્રોત્સાહન પણ મળે. હવેના બધા અહેવાલો તે આ ભૂટાન પ્રવાસના સંસ્મરણો, પ્રવાસ-વર્ણન વગેરેનું મિશ્રણ છે. 

આ પ્રવાસે મારા જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેવું આજે લાગે છે. પ્રવાસો વલોણાં જેવા હોય છે. તે અંદરથી માખણ અને પાણી અલગ તારી આપે છે. એક જ સમાજમાં, એક ઘરેડમાં, એક જ રીતે ઉછરેલાં, એક જ પ્રકારની ભૂગોળ સાથે સંકળાયેલા લોકોમાં સંકુચિત વિચારો હોવાની સંભાવના વધુ છે. જ્યારે ખૂબ પ્રવાસ ખેડેલા લોકો ખુલ્લા મનનાં હોવાની શક્યતા વધુ છે. પોતાનાથી અલગ દેખાતા, વર્તન કરતા, વિચારતા લોકો 'તેવું કેમ કરતા હોય' તેની ખબર પડવાનું શરુ થાય ત્યારે પોતાના અમુક જડ આગ્રહો કેવા ક્ષુલ્લક હોય છે, તે સમજાય છે. ખાસ તો આવું જ્યારે સમજણ વિકસી રહી હોય ત્યારે થાય તે બહુ જરૂરી છે. તેથી ભૂટાનના લોકો, ત્યાંની સંસ્કૃતિ વગેરેએ અમારા પર ઊંડી છાપ પાડી. કે પછી અમે આવી ઊંડી છાપ પડી શકે તેવી જગ્યા શોધતા હતા અને ભૂટાન સામે મળ્યું તેવું પણ બની શકે.

વિદ્યાર્થી અવસ્થામાં કોઈ પણ પ્રકારની સગવડોને ધરાર અવગણીને કરેલાં પ્રવાસની મજા અલગ હોય છે. અમારા બે વચ્ચે એક SLR કેમેરો હતો. ડીજીટલ કેમેરાનો જમાનો ન આવ્યો હોવાથી અમે ફોટા પણ બહુ સાચવીને વ્યવસ્થિત આયોજન કરીને લેતા હતા. અધૂરામાં પૂરું, કોઈક કારણસર અમે સ્લાઈડ્સ લેવાનું નક્કી કર્યું, જેના માટે સ્લાઈડ્સ રોલ અલગ આવતા હતા. અમારા છ મહિનાના ભૂટાન, સિક્કિમ, નેપાળ પ્રવાસના બધા ફોટોગ્રાફ્સને બદલે સ્લાઈડ્સ છે. હવે તો આખી ટેકનોલોજી બદલાઈ ગઈ છે. હવે આ પ્રવાસના સંભારણારૂપે નિલય પાસે બોક્સ ભરીને સ્લાઈડ્સ છે. સ્લાઈડ્સને ડીજીટાઈઝ કરાવી મોંઘી છે અને તે પછી પણ સારું પરિણામ મળતું નથી. એટલે આ આખો પ્રવાસ 'જે છે તે કેવળ અમારી આંખોમાં'. હા, થોડા ઘણા રેખાચિત્રો, ઘરે લખેલા લાંબા પત્રો અને એક ડાયરીમાં કરેલું અમુક-તમુક વર્ણન મળી આવ્યા છે. જેના આધારે આ લખાઈ રહ્યું છે. બહુ ઓછા દૃષ્ટિ-વિષયક પુરાવા ન હોવાથી આ 'વાર્તા' કહેવાની તત્પરતા અને રોમાંચ બંને છે. જો કે અહીં (અને ભવિષ્યના લખાણોમાં) જોડેલા ફોટોગ્રાફ્સ ૨૦૦૭માં બીજી વાર કરેલા પ્રવાસ વખતે લીધેલા છે.

હાવરા એક્પ્રેસમાં અડતાલીસ કલાકે કલકત્તા પહોંચ્યા. ત્યાંથી આગળ સિલીગુડીની ટ્રેઈનની ટીકીટ ન મળવાને લીધે, બસમાં પ્રવાસ કરવાનું ગોઠવ્યું. રાત્રે શરુ થયેલી બસે લગભગ ૬ પંચર વેઠીને અને અમે એક ભંગાર ડ્રાઈવર અને ખરાબ રસ્તાને ખમીને બાર કલાકનો રસ્તો વીસ કલાકમાં પતાવ્યો. કલકત્તાથી સિલીગુડી જવું એટલે પશ્ચિમ બંગાળના છેક દક્ષીણ છેડેથી ઉત્તર છેડે પહોંચવું. રસ્તામાં બંગાળના અત્યંત અંતરિયાળ ગામડાઓ જોયા. ત્યારે પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેનો ફરક સમજાયો. ગામડાં, તેમના ખેતીનાં પાક, વપરાતાં સાધનો, ત્યાંની ગરીબી વગેરેમાં પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાનની હાઈવે હોટલો પર નભેલા અમે પહેલાં અમુક કલાકો સુધી તો બસની નીચે પણ ન ઉતર્યા. પારલેના બિસ્કીટ તે એક માત્ર 'બહારની' ચીજ દેખવામાં આવેલી અને તે સિવાય ખાવા-પીવાનો કોઈ જ વિકલ્પ ન હતો. છેવટે લાલ બંગાળમાં દાતરડાં-હથોડીના નિશાન ચીતરેલી ચાનાં ગલ્લા જેટલી નાની, પ્રોલેટેરિયન ઉર્ફે વર્કિંગ ક્લાસ ઉર્ફે દહાડિયા મજૂરોથી ભરેલી કોઈ હોટેલમાં માછલીની ગંધ વચ્ચે, જાડા ભાત અને 'કશુંક' ખાઈને સવાર-સાંજ પેટ ભર્યું. સિલીગુડી પહોચ્યાં ત્યાં સુધીમાં ઠૂસ થઇ ગયેલા. 

સિલીગુડી એ બહુ જ વ્યૂહાત્મક જગ્યા છે. આ પ્રદેશ એટલે એક તરફ નેપાળ, બીજી તરફ ભૂટાન, ત્રીજી તરફ આસામ, ઉપરની તરફ દાર્જીલિંગ/સિક્કિમ અને તેની નીચે બાંગ્લાદેશ અને બંગાળ. સિલીગુડીથી નક્સલબારી નામનું ગામ (જ્યાંથી નક્સલ-વિગ્રહની શરૂઆત થઇ હતી) માત્ર પચીસેક કિલોમીટર દૂર છે. ઉત્તર-પૂર્વ રાજ્યો કે નેપાળ-બાંગ્લાદેશ સંબંધિત દરેક રાજકીય કે ભાંગફોડીયા કે હિંસક પ્રવૃત્તિ માટે ભૌગોલિક રીતે સિલીગુડી કેન્દ્ર ગણાય. તે જ રીતે બધા જ પ્રકારની સરકારી પ્રવૃતિઓ માટે પણ. અમારું ગંતવ્યસ્થાન થીમ્ફૂ (ભૂટાનની રાજધાની) હતું. ત્યાં જવા માટે જમીન માર્ગે ફૂન્શીલીંગ થઈને જવું પડે.

ફૂન્શીલીંગ ભારત-ભૂટાનની પશ્ચિમ સરહદે આવેલું ગામ છે. જેનો ભારતીય ભાગ જલગાંવ તરીકે ઓળખાય છે. બીજે દિવસે સવારે સિલીગુડીથી ફૂન્શીલીંગ ભારે હરિયાળીવાળા પ્રદેશો અને વિશાળ નદીઓ વટાવતાં પહોંચ્યા. ફૂન્શીલીંગમાં પહોંચતા જ 'ફોરેન'માં આવી ગયા હોય તેવું લાગ્યું - સાફ રસ્તા, સુવ્યવસ્થિત ટ્રાફિક, નવા પ્રકારની નંબર પ્લેટ, નવા પ્રકારના લોકો અને તેમનો પહેરવેશ. મને એ યાદ છે કે સૌથી પહેલો ગાંડા-ઘેલા જેવો આનંદ એ હતો કે આ 'ફોરેન' તો ખરું, ભલેને આપણી પડોશમાં હોય. ફૂન્શીલીંગ પહોંચીને સૌથી પહેલું કામ હતું થીમ્ફૂ માટે ટુરિસ્ટ પરમીટ લેવાનું. જે જેમ તેમ નોકરશાહીના મૂડ પ્રમાણે અને ઘણી ધીરજ રાખીને પતાવ્યું. ફૂન્શીલીંગથી આગળ પહાડી વિસ્તાર શરુ થતો હતો. થીમ્ફૂ સમુદ્રની સપાટીથી લગભગ ૨૫૦૦ મી. (૭૫૦૦ ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે. પહાડી વિસ્તાર શું કહેવાય તેની ખરી પરખ અમને હવે થવાની હતી. ફૂન્શીલીન્ગથી થીમ્ફૂ લગભગ ૧૭૬ કી.મી. છે. રાત્રે વાહન ચલાવવું બહુ જ ખતરનાક જણાય છે એટલે આખા ભૂટાનમાં રાત્રે કોઈ પણ બસ વગેરે ચાલતી નથી. હવે બે શહેરો વચ્ચે અંતરના પરિમાણો પણ બદલાઈ ગયા હતા. ૧૭૬ કી.મી. એટલે સપાટ વિસ્તારમાં ૩-૪ કલાકની મુસાફરી પણ પહાડી વિસ્તારમાં ૭-૮ કલાકની મુસાફરી ગણાય. તેમાં પણ ભૂ-સ્ખલનના લીધે રસ્તો બંધ હોય તો દિવસો સુધી એક જગ્યાએ પડ્યા-પાથર્યા રહેવું પડે. પહાડી વિસ્તારમાં રહેવું હોય તો બસની મુસાફરીમાં સતત ચઢાણ અને બદલાતા હવાફેરની આદત પાડવી જરૂરી હોય છે. પહેલી વખત સતત આટલા બધા 'ઉંચકાવા'ને લીધે અમે અધમૂવા તો થઇ જ ગયા હતા.

અમે પહેલી જૂન, ૧૯૯૮ના રોજ સાંજના સુમારે નીચેની તસ્વીરમાં જે દ્રશ્ય દેખાય તેવું દ્રશ્ય જોતાં-જોતાં થીમ્ફૂમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી મુસાફરીનો સતત ચોથો દિવસ હતો. જેમાંથી અમે ૪૮ કલાક ટ્રેનમાં અને ૨૪ કલાક ગતિશીલ બસમાં અને બાકીના ૮ કલાક બંધ પડેલી બસમાં ગાળ્યા હતા. અમદાવાદના તેતાલીસ ડીગ્રી તાપમાનમાંથી અમે પંદર-સોળ ડીગ્રીમાં સ્થળાંતરિત થયા હતાં. થીમ્ફૂના બસસ્ટેન્ડે અને સમગ્ર શહેરમાં (અને સમગ્ર દેશમાં) કોઈ રીક્ષા ન હોવાથી અમે અમારી પૈડાં વગરની સૂટકેસ અને બગલથેલા ઉપાડી અને 'ચાંગ લમ' પર આવેલી ઓફીસ તરફ પ્રયાણ કર્યું. પૈડાંવાળી બેગોએ સામાજિક ક્રાંતિ સર્જી છે, તે અમને ત્યારે સમજાયું. પહાડી વિસ્તારોમાં જરૂર પુરતો જ સમાન લઈને જવું, સામાન કેવી રીતે ભરવો, સારા રગસૅક ઉર્ફ બેગપૅક વસાવવા વગેરે ડાહપણ પણ ત્યારે જ આવ્યું. 
(થીમ્ફૂ શહેર)
થીમ્ફૂ ભૂટાનની રાજધાની અને મોટામાં મોટું શહેર છે. મોટામાં મોટું એટલે ૧૯૯૮માં થીમ્ફૂની વસ્તી હતી લગભગ સાઠ હજાર અને આજે શહેરી પ્લાનિંગના નવા પ્રયાસો પછી વસ્તી છે લગભગ એંશી હજાર. ભૂટાનમાં આપણે જેને 'નાનું' કે 'મોટું', 'ઊંચું' કે 'નીચું', 'સપાટ' અને 'ઢોળાવવાળું' કહીએ છીએ તે બધાની અલગ વ્યાખ્યા કરવી પડે. ભૂટાનમાં બધી શહેરી વસાહતો ખીણ પ્રદેશોમાં વિકસી છે. તેથી થીમ્ફૂ, પારો, હા, પુનાખા, ભૂમથાંગ, તોન્ગસા, મોન્ગર, ચુખા વગેરે શહેરી વસાહતો તે એકબીજાની સમાંતર ખીણ પ્રદેશો છે. જયારે ફૂન્શીલીંગ, ગેઇલેગફૂગ, સમદ્રુપ જોન્ખાર વગેરે ભારતની સરહદને અડીને આવેલા શહેરી વિસ્તારો છે. મોટાભાગના લોકો શહેરના મુખ્ય ભાગ એટલે કે બજાર વગેરે વિસ્તારની નજીક રહેતા, જયારે લગભગ ત્રીજા ભાગના લોકો આખા ખીણ વિસ્તારમાં પથરાયેલા હતા. એટલે કે અમદાવાદના એક-બે વોર્ડ જેટલી વસ્તી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પથરાયેલી હોય. અહીંના લોકો પરંપરાગત રીતે જ એકબીજાની પડખે રહેવાની જગ્યા એ એક-બીજાથી દૂર દૂર નાના-મોટા ઝૂમખાંમાં રહે છે, પશુ-પાલન કરે છે કે ખેતી કરે છે. 
(થીમ્ફૂમાં આવેલું ચન્ગન્ખા લાખાંગ (મંદિર), તેની પાછળ રેડિયો સ્ટેશન અને પહાડોની હારમાળા) 
(ચન્ગન્ખા લાખાંગથી દેખાતું થીમ્ફૂ શહેરનું દ્રશ્ય) 
પહાડી વિસ્તારના લોકોને આ જગ્યાના મોકળાશની જબરદસ્ત આદત હોય છે. ત્યારે થીમ્ફૂમાં મુખ્ય રસ્તા પર એકાદ મીનીટે માંડ એક કાર પસાર થતી જોવા મળે અને લોકો એવું અમને કહેતા કે 'થીમ્ફૂમાં કેટલી ભીડ છે'. તેવું જ તાપમાનની બાબતમાં પણ થતું. પચીસ ડીગ્રી પર તાપમાન પહોંચે કે લોકો ગરમી-ગરમીનો કકળાટ ચાલુ કરી દેતા. ખીણ વિસ્તાર હોય એટલે બહુ સપાટ જમીનનો વિસ્તાર હોવો જરૂરી નથી. શહેરનો દરેક રસ્તો ઉપર-નીચે જતો હોય. અમે એવી મજાક કરતા કે આ લોકોને જ્યાં થોડો પણ સપાટ વિસ્તાર મળે છે ત્યાં હવાઈ પટ્ટી કે ફૂટબોલનું મેદાન બનાવી દે છે. તેથી રસ્તે ચાલતા તમે કાં તો ઉપર જતા જાઓ કે નીચે આવો. રોજબરોજની વાતચીતમાં પણ 'તમે અહીં આવો'ની જગ્યા એ 'તમે ઉપર આવો' કે 'હું નીચે આવી રહ્યો છું' તેવો વપરાશ હિન્દી કે અંગ્રેજી બોલાતી વખતે સંભાળવા મળે. 

(શિયાળાની સાંજે થીમ્ફૂ શહેર)  

 
(ભૂટાનના પરંપરાગત સ્થાપત્યની શૈલીમાં બનાવેલું સ્થાનિક ચિત્રકલા સ્કૂલનું આધુનિક મકાન)
થીમ્ફૂ મજાનું નાનકડું શહેર છે. નાનકડા દેશની રાજધાની હોવાને લીધે તેની નાની-મોટી સવલતોને સંસ્થાઓ આપોઆપ 'રાષ્ટ્રીય' બની જતી હોય છે. શહેરમાં એક માત્ર થીયેટર છે, એક માત્ર સ્વીમીંગ પુલ છે, એક માત્ર ફૂટબોલનું મેદાન છે, બધા એક-બીજાને ઓળખે છે. ક્યાંય ટ્રાફિક નથી, ટ્રાફિક પોલીસ એક ખૂણામાં કંટાળીને ઉભા રહે છે. સ્થાનિક સમાચાર આપતું સાપ્તાહિક છે, ભારતીય છાપાં બે-ત્રણ દિવસ મોડા પહોંચે છે. થીયેટરમાં ભારતીય ફિલ્મો વર્ષો જૂની આવે છે, મોટેભાગે માર-ધાડ વાળી જ. જો કે આ પરિસ્થિતિ હમણાં ઘણી બદલાઈ છે, ખાસ તો ટ્રાફિકની બાબતમાં. થીમ્ફૂ ઘણી રીતે એવું શહેર છે કે જ્યાં સુખી શહેરી જીવન માટે જોઈતું બધું છે, ભીડ ઓછી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ બહુ જ સસ્તા દરે છે. ભૂટાનના લોકો એટલે ખૂબ જ મળતાવડા અને હસમુખા. તેમને જોઇને તેમની સરકારે કરેલો નિશ્ચય સાચો જ લાગે કે "We believe in Gross Domestic Happiness (not in Gross Domestic Products)".
થીમ્ફૂમાં રહેવાનાના રોજ-બરોજના અનુભવો વિષે વધુ આવતા અંકે.

(ભૂટાન-પ્રવાસ વિષે આગળ શું અને કેવી રીતે લખવું તેની અવઢવ છે, સામગ્રી ઘણી જ છે પણ દિશા સ્પષ્ટ નથી. તેથી સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય.)