Showing posts with label religion. Show all posts
Showing posts with label religion. Show all posts

Friday, May 01, 2015

ઇંગ્લેન્ડમાં બધું ઓરરાઈટ છે!

(સાર્થક જલસો-4માં પ્રકાશિત થયેલો મારો લેખ, પેજ નં  121)

'ગ્રેઈટ બ્રિટન' - મને હંમેશા લાગતું કે આ ખરો અહંકારી દેશ છે કે જેણે પોતાનાં નામમાં જ 'ગ્રેઈટ' ઉમેરી લીધું. એ તો ખાંખાખોળા કરીને ખબર પડી કે 'ગ્રેઈટ' અહીં 'ગ્રેટર'ના અર્થમાં છે. 'ગ્રેઈટ' બ્રિટન એટલે 'મહાન બ્રિટન' નહિ પણ બૃહદ બ્રિટન - વિસ્તૃત બ્રિટન કે જેમાં સ્કોટલેન્ડ, વેઈલ્સ અને ઉત્તર આયર્લેન્ડ આવી જાય છે. પણ શાણા અંગ્રેજોને જરૂર એવું લાગ્યું હશે કે કોઈ 'ગ્રેટર'ને 'ગ્રેટ' સમજતું હોય તો તેમાં સામે ચાલીને સાચી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. સ્પષ્ટતા ન કરીને મહાન થવાતું હોય તો સસ્તામાં પડે છે. જો કોઈ અંગ્રેજોને અહંકારી સમજતું હોય તો તેને ટીપીકલ ઈંગ્લીશ અદામાં સલૂકાઈથી કહી શકાય કે 'અંગ્રેજી તમારી સ્થાનિક ભાષા ન હોવાથી કદાચ તેના સૂક્ષ્મ અર્થવિસ્તારો અંગેની તમારી અણસમજ સમજી શકાય તેવી છે'. અંગ્રેજો આવું કહે ત્યારે સમજી લેવાનું કે તમારા અંગ્રેજીના અજ્ઞાનની ફિલમ ઉતારી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં કોઈ જાહેર જગ્યામાં કોઈ તમને કહે કે 'તમારું બાળક કેટલું ખુશમિજાજી છે!' ત્યારે પોરસાવાને બદલે એવું તપાસી લેવાનું કે તમારું બાળક બહુ ઘોંઘાટ તો નથી કરી રહ્યુંને! અંગ્રેજી રીત-ભાત, શિષ્ટાચાર અને સલૂકાઈમાં રહેલો કરપીણ વ્યંગ અને મોટેભાગે નિર્દોષ તુમાખી સમજતાં મને એકાદ-બે વર્ષ લાગ્યા. 

હું જ્યારે બ્રિસ્ટલમાં મારી પીએચડીના અભ્યાસ માટે એક-દોઢ વર્ષ રહ્યો હતો અને પછી ત્રણેક વર્ષ સુધી આવવા-જવાનો સિલસિલો ચાલુ રહેલો.  આપણે જ્યારે કોઈ એક જગ્યાએ નિયમિત આવન-જાવન કરીએ છીએ ત્યારે જ્યાં પહોંચવાના હોઈએ તે પહેલા પોતાની જાતને નવા રૂપમાં ઢાળી લઈએ છીએ. મુંબઈ આવવાનું હોય તો બમ્બૈયા થઇ જઈએ અને દિલ્હી આવવાનું હોય તો દિલ્હીવાળા. આને જ કદાચ પરકાયા પ્રવેશ કહેતાં હશે. હિથ્રો કે ગેટવિકના એરપોર્ટ પર ઉતરીને મારા અંગ્રેજીમાં બ્રિટીશ એક્સેન્ટની ઝાંય દેખાતી થઇ જાય છે અને અમદાવાદ ઉતરીને ગુજરાતી બોલવા મન તરસતું હોય છે. આ પ્રવાસો દરમ્યાન મને અંગ્રેજી કે બ્રિટીશ પ્રજા, તેમનાં ફીતૂરો અને ફિતરતો નજીકથી જોવાનો અનુભવ સાંપડ્યો છે. ઇંગ્લેન્ડ કે બ્રિટનને મેં બહુ જ રસથી અને જિજ્ઞાસાથી જોયું છે. હું અહીં ઈંગ્લેન્ડના અનુભવો પરથી ક્રમસર ઈતિહાસ, સમાજ અને વિજ્ઞાન અંગેના અનુભવો ત્રણ ઝૂમખાંમાં રજૂ કરું છું, ભારત પર એક ત્રાંસી નજર રાખીને. 


***

ઈતિહાસ: વિવિધ પાસાં જાળવવાનું શાણપણ

એક મ્યુઝીયમમાં ચર્ચા - 'સિપાઈઓનો બળવો' કે 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ'? 

ભારતીય અને અંગ્રેજી પ્રજાના આંતર-સંબંધોનો ત્રણસોથી વધુ વર્ષોનો ઈતિહાસ છે. ઘણા ભારતીયો અંગ્રેજો કે યુરોપિયન લોકોનો સ્વીકાર-સંમતિ ઝંખતા હોય છે તો અંગ્રેજો પણ આવી તક જવા દેતાં નથી. મેં એવી વાયકાઓ સાંભળી છે કે બ્રિટીશ રાજના સમયમાં ઘણાં ભારતીય ઉપખંડના રહેવાસીઓ ઇંગ્લેન્ડના રાણીને 'અમારી રાણી' કહેતાં. પોતાનાં ઘરમાં રાણી વિક્ટોરિયાનો ફોટો જડી રાખતાં. ઇંગ્લેન્ડને પોતાનો દેશ ગણતાં - ભલે પછી ઇંગ્લેન્ડમાં કોઈ તેમની દેશભાવનાની કદર કરે કે ન કરે. તો પછી ઇંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીયો ક્યાં સુધી ભારતનું સમર્થન કરતાં હોય છે અને ક્યારથી ઇંગ્લેન્ડનું સમર્થન કરતાં થાય છે? કેટલાં લાંબા વસવાટ પછી એક દેશની સરહદ ઓળંગીને બીજા દેશની સરહદને અપનાવી લેવામાં આવે છે, કે પછી હંમેશા બે દેશની વચ્ચે લોલકની સ્થિતિમાં રહેવું સદી જાય છે. શું પાસપોર્ટ કે નાગરિકત્વ બદલવાથી દેશભાવના પણ બદલાઈ જાય છે? નજીકથી જોઈએ તો બે દેશો વચ્ચેની સરહદો બહુ પ્રવાહી હોય છે. 

"Mutiny' or 'War of Independence? - 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today."

એક મ્યુઝીયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું. તે સાથે જ ઈતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટીશ ઈતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?

ઇતિહાસના અભ્યાસ અંગે નાગરીકો તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુઝીયમમાં જે રીતે રજૂઆત થઇ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપનો ઈતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઇ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઈતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?

બીજું કે, આ વાત એટલા માટે મહત્વનું છે કે તે દર્શાવતું મ્યુઝીયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ (લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુઝીયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃતિ'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃતિના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન ગ્રીનીચના મ્યુઝીયમમાં જોવાનો આનંદ થયો.

તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે "મહત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ". કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. એક સ્પષ્ટતા - અહી મૂળ મુદ્દો 'બ્રિટીશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આખરે, "सा विध्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃતિ જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઈતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે. 

***

સમાજ: લઘુમતીમાં હોવું કે 'એ લોકો' હોવું એટલે શું? 

યુકેમાં વસતા વિવિધ લઘુમતી સમૂદાયના પ્રતિનિધિઓ
મારાં એક પ્રોફેસર મિત્ર કે જેમનાં પિતા ભારતીય હતાં, તે હંમેશા મારી સાથે ક્રિકેટની ચર્ચા કરતાં. ઈંગ્લેન્ડમાં ક્રિકેટ હવે 'હેરીટેજ' રમત છે. મોટાભાગના યુવાનોને તેમાં રસ નથી. પણ ક્રિકેટમાં જ્યારે યુવરાજ છ છગ્ગા મારે કે તેંદુલકર બસ્સો રન મારે ત્યારે પેલા પ્રોફેસર મને શોધતાં આવીને 'ડ્રીંક' માટે લઇ જાય છે. ઇંગ્લેન્ડમાં 'ડ્રીંક' એ બહુ શાકાહારી શબ્દ છે. એ લોકો વિવિધ પ્રકારના ચા-કોફી 'ડ્રીંક' સમજીને પીવે છે, આપણાં ગુજરાત જેવું નહિ! જાણે કે આખો દેશ બસ્સો વર્ષ સુધી દુનિયા પર લગભગ એકહથ્થુ સાશન કર્યાનો થાક (જ્યારે તડકો ખીલે ત્યારે) બગીચામાં બેસીને ચા પીને ઉતારતો જોવા મળે છે. આપણે ભલે ચાનું ઉત્પાદન કરતાં હોઈશું પણ સાદી મસાલા ચા સિવાયની ચાઓ પીવાની રીતો તો આપણને 'એ લોકો'એ જ એ શીખવાડી છે.  હા, 'આપણે' અને 'એ લોકો' - આપણી આખી દુનિયા આ બે ભાગોમાં વહેંચાયેલી હોય છે. આવા બે ભાગો પાડીને, તેમને ઊંડે સુધી આંકીને આપણે આખું જીવન વિતાવી દઈએ છીએ. કેટલાક લોકોને આ આંકા ઊંડાને ઊંડા પાડવાની ટેવ હોય છે જ્યારે બીજા કેટલાયને આ આંકાને ઘસી કાઢીને બુઠ્ઠાં કરી દેવાની ટેવ હોય છે. 'આપણે' અને 'એ લોકો' વચ્ચે ઊંડા પડેલા આંકા સમાજમાં લાંબા ગાળાના ભંગાણ અને અસમાનતા દર્શાવે છે. માનવ સમાજોએ નક્કી એ કરવાનું હોય છે કે ક્યાં સુધી આવા કૃત્રિમ ભેદભાવોને વળગી રહેવું?

ઇંગ્લેન્ડના રહેવાસ દરમ્યાન મને પહેલી વાર જ ભાન થયું કે 'લઘુમતી' કે 'એ લોકો' હોવું એટલે શું. ગુજરાતમાં જો તમે પુરુષ, બહુમતી ધર્મમાં જન્મેલાં, કહેવાતાં સવર્ણ, આર્થીક રીતે ઠીક-ઠાક હોવ તો પછી બહુ અઘરું હોય છે એ સમજવું કે બીજા લિંગના, બીજા લઘુમતી ધર્મના, દલિત કે ગરીબ હોવું એટલે શું. રોજબરોજની જીંદગીમાં 'એ લોકો' તરીકેની ઓળખ સાથે જીવવું એટલે શું. લિંગભેદ, રંગભેદ, વર્ણભેદ, ધર્મકે કોમભેદ વગેરેના અનેક છૂપા સ્વરૂપ હોય છે. કોઈક કારણસર હંમેશા ઈંગ્લેન્ડમાં રંગભેદનો મુદ્દો મને ભારતમાં જાતિભેદના મુદ્દા સરીખો લાગ્યો છે. કોઈ મને પૂછે કે 'ઇંગ્લેન્ડમાં રંગભેદ વિષે શું લાગે છે' તો હું કહું કે 'ભારતમાં જાતિભેદ વિષે લાગે છે તેવું'. સખત કાયદાઓને લીધે રંગભેદ કે જાતિભેદના પ્રત્યક્ષ સ્વરૂપો અદ્રશ્ય થઇ ગયા હશે પણ આ ભેદ કોઈકને કોઈક રીતે બહાર આવી જાય છે. ક્યારેક હિંસા, ક્યારેક અપમાન, ક્યારેક અન્યાય - મને પોતાને રંગભેદનો કોઈ સીધો કે નુકસાનકારી અનુભવ ન થયો હોવા છતાં તેના વિષે સંભાળવા-સમજવા ચોક્કસ મળે છે.

જો કે ભારતમાં અને ઈંગ્લેન્ડમાં એક ફરક છે. ઓક્સફોર્ડની એક પબ્લિક સ્કૂલમાં વર્ષો સુધી ટીચર રહેલી મિત્રએ મને આ વાત કરેલી. શહેરના મધ્યભાગમાં આવેલી આ સ્કૂલમાં પંચરંગી બાળકો ભણે છે - પાકિસ્તાની, ચાઇનીઝ, આફ્રિકન-ઈંગ્લીશ કે કેરેબિયન ઈંગ્લીશ અને બીજા ઈંગ્લીશ મધ્યમ વર્ગના સંતાનો. અમારી ટીચર-મિત્રના કહેવા મૂજબ તેમની સ્કૂલમાં કોઈને 'રેસીસ્ટ' કહેવું તે સૌથી મોટી ગાળ છે. સ્કૂલમાં દાદાગીરી કરતાં છોકરાને પણ કોઈ 'રેસીસ્ટ' કહે તો તેની આંખમાં આંસુ આવી જાય અને તે ટીચરને ફરિયાદ કરે. શું ભારતમાં જાતિવાદી, કોમવાદી કહેવું તે હજી સુધી ગાળ બની શકી છે? ઘણા લોકો વર્વથી કહે છે કે તે પેલી જ્ઞાતિના છે અને સાથે સાથે એક જ શ્વાસમાં કહે કે 'ના રે ના, અમે તો નાત-જાતમાં ન માનીએ'. ઈંગ્લેન્ડમાં પણ એવું બોલવા વાળા લોકો મળી જાય કે 'હું રેસીસ્ટ નથી પણ - '. અહીં પણ પછીનું જે બોલવાનું હોય છે તે કંઇક રેસીસ્ટ પ્રકારનું હશે તેની પૂરી ગેરેંટી છે. જો કે ઈંગ્લેન્ડમાં બહુમતી વર્ગ માનતો થયો છે કે 'રેસીસ્ટ' કે 'સેક્સીસ્ટ' હોવું ખરાબ છે, પોલીટીકલી ઇનકરેક્ટ છે. વિવિધ રાજકીય ઉતાર-ચઢાવને બાદ કરતાં, રાજ્ય-સત્તા કે સરકાર રંગભેદ અંગે તટસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે અને ઉપરાંત, તે સાબિત કરવાનો પ્રયત્ન કરે છે કે તેમના માટે સૌ સમાન છે. 

લઘુમતીમાં હોવું એટલે જાણ્યે-અજાણ્યે એ અહેસાસ થાય કે તમે બીજા કરતાં અલગ છો, સતત અમુક પ્રકારના ક્યારેક માની લીધેલા અને ક્યારે સાચા ભય હેઠળ જીવાતું હોય, પોતાનાં ટોળાંને વળગી રહેવાના કારણો મળી આવે, પોતાની જાતને અન્યાય તો નથી થતો તેની સતત જાત-તપાસ ચાલે. સરકાર સાથેના સંવાદમાં, નાગરિક તરીકે હક-ફરજોમાં એક પ્રકારની લઘુતાગ્રંથી હોય. લઘુમતિઓની પરિસ્થિતિ શું હોય છે તે માટે સરકારની કે કાયદો-વ્યવસ્થાની તટસ્થતા સાથે સાથે બહુમતિ રહેલા લોકોનો વર્તન-વ્યવહાર મહત્વનાં છે. એક ઉદાહરણ તરીકે, ઈંગ્લીશ ડીફેન્સ લીગ નામનું એક રાજકીય અંતિમવાદી, વ્હાઈટ સુપ્રીમીસ્ટ કે નિયો-નાઝી પ્રકારનું એક ગ્રુપ છે. આ ગ્રુપ ઘણીવાર નોન-વ્હાઈટ વિસ્તારોમાં રાજકીય રેલીઓ કાઢે છે, મોટેભાગે અહિંસક રીતે હિંસક અને રંગભેદી સુત્રોચ્ચાર કરે છે. મજાની વાત એ છે કે જયારે જ્યારે 'ઈંગ્લીશ ડીફેન્સ લીગ' રેલીઓ કાઢે છે ત્યાં જ અને ત્યારે જ 'યુનાઈટેડ અગેન્સ્ટ ફાસીઝમ' નામનું એક બીજું પંચરંગી ગ્રુપ પહોંચી જાય છે. તેઓ કાઉન્ટર રેલી કાઢીને, અહિંસક રીતે કાઉન્ટર સુત્રોચ્ચાર કરે છે અને નોન-વ્હાઈટ લોકોની પડખે ઉભું રહે છે. દક્ષીણ એશીયાઇ મૂળની લઘુમતી પ્રજા માટે આટલું પુરતું હોય છે કે રાજકીય નફરત ધરાવતા સ્થાપિત હિતો સામેનો રાજકીય પ્રતિકાર મોજૂદ છે. તો પછી રાજકીય નફરત તે નફરત નહિ પણ રાજકીય દ્વંદ્વ લાગે છે. તેથી લઘુમતી લોકોની અસલામતીઓનો ભાર વધતો નથી. ભારતમાં પણ લિંગભેદ હોય કે જાતિભેદ કે કોમભેદ, રાજકીય પ્રતિકારની જરૂર છે. 

***

વિજ્ઞાન: તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી 

'પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ' વૈજ્ઞાનિકો: ડેવિડ એટનબરો, બ્રાયન કોકસ, સ્ટીફન હોકિન્સ, રીચાર્ડ ડોકિન્સ
આધુનિકતા અને પ્રગતિશીલતાને વિજ્ઞાન સાથે ઊંડો આંતર-સંબંધ છે. આપણે ત્યાં અમુક-તમુક લેખક-કમ-ચિંતકોએ ધર્મ, સંસ્કાર અને પરંપરાની ભેળસેળ એવી તો કરી છે કે રોજબરોજના જીવનમાંથી વૈજ્ઞાનિક અભિગમો ગાયબ થતાં જાય છે. અધ્યાત્મને નામે અવૈજ્ઞાનિક અભિગમો લોકપ્રિય થતાં જાય છે અને વિજ્ઞાન સામે ધર્મની લીટી લાંબી થતી જાય છે. ઈંગ્લેન્ડમાં ટીવી અને રેડિયો પર વિવિધ ધાર્મિક માન્યતાઓ અને મર્યાદાઓ અંગેની ચર્ચાઓ ખુલ્લેઆમ થાય છે, જેની હું કમી અહીં મહેસૂસ કરું છું. બીબીસી પર આવતા કાર્યક્રમો, તેમની નો-નોનસેન્સ નીતિ અને નિષ્પક્ષ અભિગમનો હું મોટો ફેન છું. સ્વસ્થ લોકશાહી માટે સંવાદ થવો  જરૂરી છે અને સંવાદ એટલે ટીવી પર ટોળું ભેગું કરીને બૂમાબૂમ કરવી એમ નહિ. આપણી ટીવી પરની ચર્ચાઓના બહુ જ માર્યાદિત વિષયો હોય છે, જે ઊંડા સામાજિક પ્રવાહો પર કોઈ પ્રકાશ પાડી શકતા નથી.

વિજ્ઞાન, વન્યજીવન, ઈતિહાસ વગેરે પરના કાર્યક્રમોથી ટીવીનું સ્કેડ્યુલ ભરચક રહે છે. રીચાર્ડ ડોકિન્સનો પરિચય મને બીબીસીના ટીવી પ્રોગ્રામ પરથી થયો હતો. રીચાર્ડ ડોકિન્સ એક વૈજ્ઞાનિક છે, લેખક છે, ઓક્સફર્ડના રીટાયર્ડ પ્રોફેસર છે. તેમના વિરોધીઓ તેમને 'ઉગ્રવાદી નાસ્તિક' કહે છે અને તેમનો ચાહક વર્ગ તેમને એકવીસમી સદીના ફિલસૂફ. રીચાર્ડ ડોકિન્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અંગે સમકાલીન સમજ આપે છે, ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવે છે, જાહેર ચર્ચામાં ભાગ લે છે અને તેમને મળતાં 'હેઇટ મેઈલ'નું ખુલ્લેઆમ પઠન કરે છે. એવા જ એક બીજા લેખક છે - એ. સી. ગ્રેઈલીંગ કે જેમણે પશ્ચિમી ઉદારમતવાદનો ઈતિહાસ લખ્યો છે, ધર્મ પર આધાર ન રાખતી નૈતિકતાની હિમાયત કરી છે અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આંતર-રાષ્ટ્રીય માનવવાદની વિભાવના કરી છે. જયારે 'ગાંધી' ફિલ્મ બનાવનારા રીચાર્ડ એટનબરોના નાના ભાઈ ડેવિડ એટનબરો વર્ષોથી બીબીસી પર વન્યજીવન, પ્રાકૃતિક લેન્ડસ્કેપ અને તેમની વૈજ્ઞાનિક સમજ અંગેના અદ્ભૂત પ્રોગ્રામો કરે છે. ડેવિડ એટનબરોની અમુક ડોક્યુમેન્ટરી ફિલ્મો તો કલેકટર્સ આઈટેમ્સ છે.

ઈંગ્લેન્ડમાં વિતાવેલા સમયમાં મને સમજાયું કે દરેક વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવાનો મોકો આપવો જરૂરી છે. આપણે ત્યાં ધર્મ અને તેની ફિલસૂફીને ધર્મગુરુઓએ હાઈજેક કરેલાં છે. દરેક ધર્મમાં રૂઢિચુસ્તતા, ધર્માંધતા, વૈજ્ઞાનિક સમજનો વિરોધ અને ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત છે. ઐતિહાસિક રીતે બધા જ ધર્મોએ અલગ-અલગ સમયે થતી વૈજ્ઞાનિક શોધખોળોનો વિરોધ કરેલો છે અને હજી સુધી કરે છે. ક્યારેક સાત સમંદર પાર જવું પાપ મનાતું તો ક્યાંક પૃથ્વીને ગોળ માનવાનો ઇનકાર થતો તો પછી ક્યારેક દૂરબીન કે બીજાં મશીન વગેરેને અધાર્મિક માનવામાં આવતા. હજી ય પોતાનો ધર્મ કે સંપ્રદાય બીજા કરતાં કેટલો મહાન છે અને બીજા કેટલા પામર-પાપી-દુષ્ટ છે તે અંગે વ્યવસ્થિત, સુનિયોજિત જુઠાણા ચાલે જ છે. મૂળ પ્રશ્ન એ છે કે ધર્મો કે તેમના સ્થાપિત હિતોના લીધે પ્રવર્તમાન સંકુચિતતાઓ હંમેશા માનવ વિકાસ કે વૈજ્ઞાનિક સમજણના વિરોધ પક્ષે જ કેમ રહી છે? શું ધાર્મિક સંસ્થાનોને વ્યક્તિના સાર્વત્રિક વિકાસમાં રસ છે કે પછી પોતાનો કક્કો ખરો ઠરાવવામાં? વ્યક્તિમાં આત્મ-વિશ્વાસ જગાડવો તે ધર્મ છે કે ઈશ્વરના નામે તેને ડરાવી રાખવો, નરકની બીક બતાવવી અને સ્વર્ગની લાલચ બતાવવી - તે ધર્મ છે? નાત-જાત જેવા સામાજિક અન્યાય, કોમવાદ, સ્ત્રીઓ કે બાળકોનું શોષણ આખરે તો ધર્મના નામે જ કરવામાં આવે છે. ચાલો માની લઈએ કે આ ધર્મના નામનો દુરુપયોગ છે, જો એમ હોય તો કોઈ પણ ધર્મગુરુઓ અને તેમના સંસ્થાનો આવા સામાજિક ભેદ-ભાવનો કે શોષણનો ખુલીને વિરોધ કેમ નથી કરતાં?

નૈતિકતા માટે ધાર્મિકતા બિલકુલ જરૂરી નથી અને ધાર્મિકતા તે નૈતિકતા ન પણ હોઈ શકે તે સમજાવા માટે મોટા વિચારક હોવાની જરૂર નથી. ભગવાનમાં માનવું કે ન માનવું તે અંગત બાબત છે, તેનો વિરોધ ન હોઈ શકે. પણ પછી ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ધાર્મિક દંભ અને આડંબર સહેવો તે આધુનિક સમાજને ન પોસાય. સમાજ કલ્યાણ અને જાહેર હિત માટે ધાર્મિક માન્યતાઓને અંગત પરિઘમાં રાખવી જરૂરી છે. તકલીફ એ છે કે આપણે ત્યાં આ પ્રકારની ચર્ચાઓ થઇ શકે તેવી સ્પેસ હજી સુધી તો જાહેર માધ્યમો આપી શક્યા નથી. જાહેર માધ્યમોની સંખ્યા વધતી જાય છે અને ગુણવત્તા ઘટતી જાય છે. એવું નથી કે ઈંગ્લેન્ડમાં બધે જ આવું બૌદ્ધિક વાતાવરણ જોવા મળે છે. પણ આ પ્રકારની ચર્ચા ખુલ્લા મને સમજવી હોય તો તે માટેની સ્પેસ મળી રહે છે. યુવાનોને વિવિધ મુદ્દે મોકળાશ ધરાવવાની તક મળતી રહે છે, જો કે તેનો કેટલા યુવાનો યોગ્ય ઉપયોગ કરે છે તે બીજી વાત છે. 

ડોકિન્સ કે ગ્રેઇલીંગ કે એટનબરો તે ખરા અર્થમાં 'પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ' છે. આ લોકો એવા ધરખમ પ્રતિભાવાન હોય છે કે જે કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઉંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. તેમના ચશ્માં ય અલગ હોયને લેન્સ પણ. ક્યારેક તે તમને હસાવી જાય, ગભરાવી જાય, આશ્ચર્યચકિત કરી નાખે અને ક્યારેક તેમનાથી નફરત થઇ જાય. તમને જે ગમતું હોય તેને ગાળો આપે, તમે જેને મહાન માની લીધા હોય તેની બીજી બાજુ બતાવે, તમે જેની ફરતે ફુદરડી ફરતા હોવ તેની હસ્તી જ છે કે કેમ - તેવા સવાલ કરે. એ કોઈનો 'પગાર ન ખાતા હોય' એટલે તમે આવા માણસને શું કરી શકો? ટૂંકમાં, તમને શાંતિથી જીવવા ન દે, નવા નવા પડકારો ફેંક્યા જ કરે. ડોકિન્સ કે ગ્રેઈલીંગ કે એટનબરો જેવા લોકોની ઘણી મજબૂત ઓળખાણો હોય છે એટલે તેને માત્ર 'નાસ્તિક' માનીને (એટલે કે તે રીતે ઉતારી પાડવા) પૂરતું નથી. તેમના લખાણોમાં નાસ્તીકતાનો પ્રચાર નથી પણ આડંબરોનો વિરોધ છે અને વૈજ્ઞાનિક અભિગમ, તર્ક અને વિવેકબુદ્ધિની તરફેણ છે - એક પ્રકારની આંતર-રાષ્ટ્રીય નૈતિકતાની તરફેણ છે, જે જાતે વાંચવાથી કે તેમના કાર્યક્રમો જોવાથી સમજાઈ જશે.


***

રસેલ પીટર્સ નામક ભારતીય મૂળનો કેમેડીયન કહે છે કે તમારે કોઈ અંગ્રેજનું અપમાન કરવું હોય તો તેને અંગ્રેજીમાં એવું પૂછવું કે, 'આ ઇંગ્લેન્ડ ક્યાં આવ્યું અને લોકો ત્યાં કઈ ભાષા બોલે છે?' દુનિયાની બીજી પ્રજાને જે સામાન્ય સવાલ લાગે તેવું કોઈ અંગ્રેજોને પૂછી જાય તેની કલ્પના પણ તેમણે ન કરી હોય. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોને તો બધા જાણતા જ હોય ને! દુનિયા પર બસ્સો વર્ષના આધિપત્યનો ઈતિહાસ ધરાવતાં આ નાનકડો ટાપુએ ક્યારેક ઓળખની કટોકટી અનુભવી નથી. છેલ્લાં પચાસ વર્ષમાં કળા-સંગીત-સંસ્કૃતિ, સંશોધનો અને વૈજ્ઞાનિક જ્ઞાનને ક્ષેત્રે ઇંગ્લેન્ડ ઘણું આગળ વધ્યું છે. દુનિયામાંથી એકઠી કરેલી સંપત્તિનો ઉપયોગ અંગ્રેજોએ મહાન સંસ્થાઓ ઉભી કરવામાં કર્યો છે, જે આજે પણ ઇંગ્લેન્ડને માનવ-વિકાસ મૂલ્યાંકન અને વિવિધ સંશોધનોની બાબતમાં દુનિયામાં આગળ પડતું મૂકી દે છે. 

મારા પરિવાર માટે ખૂબ જ પ્રેમથી તેમનું ઘર ખુલ્લું મૂકી દેનાર વયોવૃદ્ધ દંપતિ જેસ્સા અને ક્રીસ સાથે ઇંગ્લેન્ડ અને તેના રાજકીય-સામાજિક પ્રવાહો વિષે ડીનર ટેબલ પર ખૂબ જ ચર્ચાઓ થઇ છે. અમે લોકો પોતપોતાના દેશો અને સમાજોના ક્યારેક વખાણ કરતાં તો ક્યારેક કૂથલી. એક ધનાઢ્ય, ઔદ્યોગિક રીતે વિકસિત સમાજના પોતાના પ્રશ્નો હોય છે. એકવારની અમારી ચર્ચાનું તારણ એ હતું કે પાયાની સુવિધાઓની બાબતમાં ઇંગ્લેન્ડમાં બધું 'ઓરરાઈટ' છે, પણ જે 'ઓરરાઈટ' નથી તે 'ઓરરાઈટ' કરવાનો સંઘર્ષ ચાલુ રહેવો જોઈએ. આ જ કોઈ પણ પ્રગતિશીલ સમાજનું મુખ્ય લક્ષણ છે. 

Monday, January 20, 2014

માણસમાંથી જણસ - સુંદરતાના વિકૃત માપદંડો અને ફોટોશોપીય ખેંચતાણ

સ્ત્રી-શરીરને આગળ ધરીને દુનિયાની બધી પેદાશો અને આડપેદાશો વેચવા કાઢવામાં આવે છે. શેવિંગક્રીમથી લઈને કાર સુધીના ધંધા માટે સ્ત્રી-શરીરને આગળ ધરવાની જરૂર પડે છે. ચીકની ચમેલીથી લઈને શીલાકી જવાની દ્વારા ફિલ્મો વેચવામાંઆવે છે. આ ફિલ્મો-ગીતોની સફળતા દ્વારા સ્ત્રી-શરીરની નુમાઈશને જાહેર રીતે સામાજિક-સાંસ્કૃતિક મંજૂરી મળે છે અને આ ગીતોના શબ્દો રોજબરોજની બોલચાલની ભાષામાં પ્રવેશે છે. પછી જ્યારે બાળકીથી માંડીને વૃદ્ધા પર બળાત્કાર થાય કે તેમની છેડતી કરવામાં આવે તો આપણને નવાઈ લાગે છે કે પુરુષ આટલો હેવાન કેમ બને છે?  આ સ્ત્રી-વિરોધી (misogynist) માનસ કેવી રીતે આકાર પામે છે કે જે પુરુષને સ્ત્રી સામે હિંસા (બળાત્કાર કે છેડતી સહીત) સુધી દોરી જાય છે, તે સમજવા માટે આસપાસ નજર જ નાખવાની જરૂર છે.
Outright sexist advts from the past decades - 1
આજકાલ તો સ્ત્રી-શરીર પ્રદર્શનની તરફેણમાં 'નવી પેઢી'ના નામે વિકૃત દલીલો પણ કરવામાં આવે છે. સ્ત્રી-શરીરનું પ્રદર્શન મુક્ત રીતે થવી જોઈએ તેવું કેટલાક લોકો ફોરવર્ડ, આધુનિક, નવી પેઢીના કે યુવાન હોવાનાં અભરખામાં માને છે. હા, વાત સાચી છે કે જે લોકો મનથી રૂઢીચુસ્ત હોય તેમને આધુનિક કે 'બ્રોડ માઈન્ડેડ' દેખાવાનો બહુ અભરખો હોય છે. સ્ત્રી-પુરુષના સંબંધો વિષે, સેક્સ વિષે અને સ્ત્રી-શરીરની નુમાઈશ વિષે વાત કરો એટલે ફોરવર્ડ કે યુવાન (કે બંને) હોવાનો ભ્રમ ઉભો કરી શકાય છે. અહીં બારીક વાત એ છે કે સ્ત્રી-શરીર કે માનવ-શરીર પ્રદર્શન માત્ર સામે વાંધો નથી પણ એ સમજવું ઘટે છે કે આ પ્રદર્શન કોણ કરે છે, શા માટે કરે છે, કોણ કરાવે છે અને ક્યા હેતુથી કરાવે છે. આ પ્રદર્શન કરવાથી 'સ્ત્રી એટલે શરીર' કે ' સ્ત્રી એટલે ઉપભોગની વસ્તુ' - આ સરળીકરણ બહુ જડબેસલાક સ્થાપિત થઇ ગયું છે. શું સ્ત્રી-શરીરનો દેખાડો 'સ્ત્રી એટલે શરીર' જેવા દ્રષ્ટિકોણને વધુ પ્રસ્થાપિત કરે છે કે પછી 'સ્ત્રી એટલે વ્યક્તિ, માત્ર શરીર' નહિ તે સમજવામાં મદદ કરે છે? સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાની પ્રક્રિયામાં પોતે કેવી રીતે ભાગ ભજવે છે આ પોતાની રીતે દરેક વ્યક્તિએ - પુરુષે તપાસી લેવું જોઈએ. સ્ત્રીનું વ્યક્તિત્વ તેની શારીરિક કે ભૌતિક સીમાઓથી ઊંચું હોય તો પણ તેને તેના શરીરને આધારે જ મૂલવવામાં આવે ત્યારે સમાજ પરિપક્વ હોવા અંગે શંકા જાગે.
Outright sexist advts from the past decades - 2
સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદનો પ્રસાર એટલો મોટો હોય છે કે કોઈ સંસ્કૃતિના રક્ષણકારો માટે તેનો મુકાબલો કરવો અઘરો હોય છે. પણ સ્ત્રીઓને 'કાબૂમાં રાખવાનો' ભ્રમ પાળવો સહેલો હોય છે. સ્ત્રીઓ પર થતી હિંસાનો 'બહાદુરી'થી મુકાબલો કરવા માટે સ્ત્રીઓના આવાગમન પર, તેમની નોકરી કરવા પર, તેમના કપડાં પર કે તેમને મોબાઈલ રાખવા સુધ્ધાં પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ પ્રતિબંધોને સામાજિક મર્યાદા જેવા રુપકડાં નામોથી સજાવવામાં આવે છે. પપ્પાના કહ્યા મુજબ પીન્કી સાંજે સાત વાગે ઘરે પાછી ફરે છે ત્યારે પપ્પા અને મમ્મી ટીવી પર કોમેડી સર્કસ પર કોઈ સેક્સીસ્ટ જોક પર હસતાં હોય છે. સ્ત્રી જાત પર, ખાસ તો પત્નીના નામે ઉડાવાતી ખીલ્લી દ્વારા લૈંગિક ભેદભાવો બહુ અસરકારક રીતે ઊંડા થાય છે. કોઈને હીણા, નીચા કે નકામાં ચીતરવા હોય તો તેમની મજાક બનાવવી સહેલો અને અકસીર ઉપાય છે. સ્ત્રીને કાબૂમાં રાખવાથી આખરે સંસ્કૃતિ 'બચી જતી' હશે પણ જો કે સ્ત્રીઓ વિરુદ્ધની હિંસા રોકાતી નથી. આવાગમન, કપડાં, વાણી-વર્તન-વ્યવહારમાં પોતાનું કહ્યું માનતી સ્ત્રીઓને દેવીનું બિરૂદ મળે છે અને સવારથી સાંજ રસોડામાં મજૂરી કરતી અને તૈયાર ભાણે ગરમ-ગરમ રોટલી પીરસતી સ્ત્રીને અન્નપુર્ણાનું બીરૂદ મળે છે. આવા બિરૂદો સ્ત્રીની સામાજિક મૂડી (સોશિયલ કેપીટલ, યુ નો!) છે, જેનો ભાર વેંઢારીને તે જીવન પસાર કરે છે. પોતાના પર આટલું વીતી ચુકેલી સ્ત્રીઓની જૂની પેઢી, નવી પેઢી પાસે પણ પોતે જે રીતે પિતૃસત્તાક મૂલ્યોનું પાલન કર્યું તે પ્રમાણે જ તેનું પાલન થાય તેવી 'પરંપરા' જાળવી રાખવાનો આગ્રહ રાખે છે.

સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદની વચ્ચે પોતાનાં સ્વતંત્ર વિચારો કે વ્યક્તિત્વની સાથે સુમેળ ધરાવતાં, આત્મવિશ્વાસ કે આત્મશક્તિસંપન્ન (empowered) પાત્રોની ભયંકર કમી આજકાલના ટીવી-મીડિયા-ફિલ્મમાં જોવા મળે છે. પિતૃસત્તાક વાતાવરણની મધ્યેથી ફૂટી નીકળતાં આત્મ-સત્તાક સ્ત્રી અને પુરુષ પાત્રોની ગંભીર અછત છે. યુવાનો અને યુવતીઓએ વિજાતીય સંબંધોના તાણાવાણા સમજવા માટે કોઈ સ્ટીરીયોટાઈપથી અલગ કંઇક હોવું જોઈએ કે નહિ? અનુરાગ કશ્યપ, અભિષેક ચૌબે અને દીબાકર બેનર્જી જેવા જૂજ ફિલ્મકારોએ આત્મ-શક્તિસંપન્ન સ્ત્રી-પુરુષ પાત્રો વચ્ચે સર્જાતાં જાતીય સંબંધોના જોડતોડ કે સેક્સ્યુઅલ પોલીટીક્સની વાત કરવાની શરૂઆત કરી છે. પણ સમગ્ર સમાજ પર ચીકની ચમેલી-પણાનો ભયંકર પ્રભાવ છે. વીજાતીય સંબંધોના મામલે પરિપક્વ હોવું એટલે સામીવાળી વ્યક્તિની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો. આ સંબંધોમાં પરિપક્વતા એ સમજવાથી આવે છે કે વિજાતીય વ્યક્તિ આપણી જેમ જ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે, એ એક શરીર માત્ર નથી. આપણે જેમ પોતાના સ્વતંત્ર વિચારોનો ઉપયોગ કરીને સ્વ-અર્થ અને સ્વ-વૃત્તિ જાળવી રાખીએ છીએ તેમ તે પણ તે કરી જાણે છે. ખાસ તો પુરુષમાં પરિપક્વતા શારીરિક ફેરફારોથી નથી આવતી. સ્ત્રી એ શરીરથી વધારે કંઇક છે, એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની મૂળભૂત શરત હોવી જોઈએ.

આ સાથે સાથે વિજાણું યંત્રોથી છલકાયેલી દુનિયામાં એક નવો જ ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે. એ નવો ટ્રેન્ડ એટલે કે સુંદરતાનો એકરુપી, એકપક્ષી, અવાસ્તવિક અને અકુદરતી માપદંડ બનાવવાનો. આ સુંદરતાનો માપદંડ કેવી રીતે રચાય છે તે સમજીએ. આજકાલ મીડિયા એટલે કે વેબ પર કે મેગેઝીન પર દેખાતી સ્ત્રી (કે પુરુષ)ને સોફટવેરની મદદથી વધુ 'સુંદર' બનાવવી. કોઈપણ ફોટોગ્રાફ કે વિડીયોમાં ફોટોશોપ નામનાં સોફટવેરની મદદથી તે પાત્રનો રંગ બદલી શકાય છે, તેના અંગ-ઉપાંગના ભાર-ઉભાર વત્તા-ઓછા કરી શકાય છે, તેની રેખાકૃતિને વધુ સુરેખ બનાવી શકાય છે, તેની આંખોનો કે વાળનો રંગ બદલી શકાય છે.  નીચે આપેલ વિડીયો આ વાત વધુ સહેલાઈથી સમજાવી શકશે. અત્યાર સુધી મેકઅપ કરવાથી કે અમુક પ્રકારની લાઈટમાં કલાત્મક ફોટો પાડવાથી વ્યક્તિને વધુ 'સુંદર' બનાવી શકાતી હતી. હવે તો ફોટો પાડ્યા બાદ મોડેલનું શરીર, તેના અંગ-ઉપાંગ, રેખાકૃતિ, રંગ વગેરે બદલવાની વાત છે. તો પછી જે તે પાત્ર વિજાણું યંત્રો કે મેગેઝીન પર દેખાતું હોય તેમાં સાચું કે વાસ્તવિક શું? કૃત્રિમ રીતે 'સુંદરતા'નું ઉત્પાદન કરવાની આ નવી પદ્ધતિ છે. સ્ત્રી-શરીરનો એક ઔર વપરાશ શોધી કાઢવામાં આવ્યો છે. સ્ત્રી-શરીરની નુમાઈશ પર નભતાં ગ્રાહકવાદની વિકૃતિની આ ચરમસીમા છે. કારણકે આ વિજાણું વિકૃતિઓ દ્વારા બનાવેલી 'પરફેક્ટ' મોડેલની ખેવના રાખતાં પુરુષો વાસ્તવિક સ્ત્રી જોડે અવાસ્તવિક અપેક્ષા રાખતાં થઇ જાય છે. સ્ત્રીઓ અને યુવતીઓ આ 'પરફેક્ટ' દેખાવની અપેક્ષામાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.
વાત અહીં અટકતી નથી. સુંદરતાના બહાના હેઠળ થતી આ વિજાણું ખેંચતાણ આખરે તો એક પ્રકારની 'સુંદરતા' પ્રસ્થાપિત કરવા માટે થતી હોય છે. તકલીફ એ છે કે આ સુંદરતાની વ્યાખ્યા બહુ સાંકડી હોય છે, બીબાઢાળ હોય છે અને એકંદરે ગ્લોબલ હોય છે. કોણ ક્યા દેશ, પ્રદેશ કે મૂળ રંગનું છે તેની ખબર જ પડતી નથી. ફોટોશોપ અને બીજા સોફ્ટવેર તો વિજાણું વિકૃતિઓની અનંત શક્યતા ઉભી કરે છે પણ તેનો ઉપયોગ 'સુંદરતા'ના એકસરખા, એકરૂપી ગ્લોબલ ઉપભોગ માટે થાય છે. તમે ગમે તે દેશ, પ્રદેશ કે વંશ જ હેઠળ જન્મ્યા હોવ પણ જો તમે આ ગ્લોબલ સુંદરતાની વ્યાખ્યામાં ફીટ થઇ શકો, તો જ તમે મોડેલ કે સ્ટાર થઇ શકો. ટૂંકમાં, લગભગ એક જ સરખી, એક જ રૂપરંગની, બાર્બી ડોલ  જેવી લાગતી કન્યાઓ મોડેલ તરીકે ચમકે છે. સુંદરતાના આ માપદંડ સાથે અસંગત તેવી ફેંચ મહિલા ખેલાડી મારિયો બાર્તોલી નામની વિમ્બલ્ડન વિજેતાની મજાક ઉડાવાય છે. ટૂંક માં, સ્ત્રી તેના જીવનમાં ગમે તે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે તો પણ આખરે તેની સિદ્ધિને તેના શરીર જોડે જ સાંકળીને જોવામાં આવે છે.

આઘાતજનક વાત  એ છે કે આ પ્રકારની 'સુંદરતા'નું નિરૂપણ બાળકોને કેન્દ્રમાં બનતી ફિલ્મો કે ટીવી સીરીયલ વગેરેમાં તો  ખાસ થાય છે. નીચેના ફોટોગ્રાફને જુવો. 2012માં આવેલી 'બ્રેવ' નામની એનીમેશન ફિલ્મના સ્કોટીશ રાજકુમારીના પાત્ર મેરીડાને (જમણી બાજુની આકૃતિ) જ્યારે ડીઝની કંપનીએ ફરી રજૂ કરી (ડાબી બાજુની આકૃતિ) ત્યારે તેનામાં કેટકેટલા ફેરફાર થઇ ગયા! મેરીડાની સ્કોટીશ રેખાકૃતિ ગાયબ થઇ ગઈ, તેની કમર વધુ પાતળી બનાવવામાં આવી, આઇબ્રોથી શાર્પ થઇ ગઈ, ગાઉન લો-કટ અને વધુ ઝાકઝમાળ થઇ ગયો અને વાળ અકુદરતી રીતે સુવ્યવસ્થિત થઇ ગયા. આ છે એક એનીમેશન પાત્રનું ડીઝની-કરણ! ડીઝનીની એનીમેશન ફિલ્મો તેમાં દર્શાવાતી રાજ્કુમાંરીઓને બાર્બી ડોલ જેવી બીબાંઢાળ સુંદરી બનાવવા માટે કુખ્યાત છે. તો કહો ચતુર-સુજાણ, આ ડીઝની-કરણે મેરીડાને 'સુંદર' બનાવી કે વધુ કદરૂપી અને કૃત્રિમ.


સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાનો મોટો ઉદ્યોગ ચાલે છે. ટીવી, મીડિયા, મેગેઝીન તેમાં પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. સ્ત્રીઓના અન્યાયની વાત કરવાની શરુ કરીએ તો ઘણા પુરુષો એવું કહેતા આવી પડે કે આવું તો પુરુષો સાથે પણ થાય છે. પુરુષો સાથે જે થાય છે તે પણ ટીકાને પાત્ર છે પણ સ્ત્રીઓને થતો અન્યાય વ્યાપ્ત અને સંખ્યાની દ્રષ્ટિએ અનેક ગણો વધારે છે અને તેથી વધુ, તે સ્ત્રીઓ સામે થતી હિંસા સાથે જોડાયેલો છે. લગભગ સો વર્ષ પહેલા સ્ત્રીઓને મતાધિકાર પશ્ચિમી દેશોમાં મળેલો, તે તેમની માનવ હોવાની લડાઈમાં મહત્વનો પડાવ હતો. આવતા સો વર્ષમાં એ આશા રાખીએ કે પુરુષો પણ સ્ત્રીઓને 'જણસમાંથી માણસ' બનવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લેતા થાય અને સુંદરતા વિષે પોતાના માપદંડોમાં પરિપક્વ થાય. 

Monday, May 20, 2013

ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ - પુસ્તક અને ફિલ્મ

બહુ જવલ્લે જ એવું બને કે કોઈ નોવેલ પરથી ફિલ્મ બની હોય તો ફિલ્મને જોવાની અને નોવેલને વાંચવાની અલગ-અલગ પ્રકારની મજા આવે. મોટેભાગે પુસ્તક-પ્રેમીઓ તેમના ગમતાં પુસ્તક પર બનેલી ફિલ્મ જોઇને એવો ચુકાદો આપતા હોય છે કે સારા પુસ્તકો પરથી ફિલ્મ બનાવવી જ ન જોઈએ. અને ફિલ્મરસિયાઓ જે તે પુસ્તક વાંચતા પહેલા તેના પર જો ફિલ્મ બની હોય તો જોવાનો આગ્રહ રાખે છે. ફિલ્મ અને પુસ્તક બંને અલગ પ્રકારના માધ્યમ છે. પુસ્તકમાં કોઈ ઘટના કે વ્યક્તિના વિષે ધીરે ધીરે પડળો ખોલવાની સગવડ હોય છે, જ્યારે ફિલ્મમાં જે છે તે ત્યાં અને ત્યારે જ દેખાઈ પડે છે. જો કે ફિલ્મમાં પણ ધીરે ધીરે રોમાંચ વધારવાની પદ્ધતિઓ હોય છે પણ તે પુસ્તક કરતાં અલગ રીતે કરવું પડે છે.
આ નવલકથાની મેં જે આવૃત્તિ વાંચી છે તેનું કવર પેજ (સોર્સ: વિકિપીડિયા પેજ)
મોહસીન હમીદની નવલકથા 'ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ' મેં 2010ની સાલમાં વાંચી હતી. તે વખતે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરનાં પરગણાની એક નાની કમ્યુનીટી લાઈબ્રેરીએ આ પુસ્તક બીજી મોટી લાઈબ્રેરીમાંથી એક પાઉન્ડના નજીવા ખર્ચે મંગાવી આપેલું. વચ્ચે એક આડવાત, આવા નાના કમ્યુનીટી સેન્ટર અને તેની લાઈબ્રેરી જેવી સેવા પર તો આખો એક લેખ થઇ શકે. પણ ટૂંકમાં કહું તો નાની પણ સારી લાઈબ્રેરીએ ઓછા સામાજિક સંબંધો ધરાવતા અને ટીવી લેવાનો ખર્ચો ટાળનાર અમને પરદેશીઓને સારી રીતે ટકાવી રાખેલા. ત્યાં સુધી કે ગુજરાતી, બંગાળી, મલયાલમ પુસ્તકો પણ બીજી લાઈબ્રેરીઓમાંથી મંગાવી શકાતા. એવું લાગે છે કે આવી સુવિધાઓ ઉભી કરવા માટેની વાત ક્યારેય ખર્ચ કે વ્યવસ્થાપનનું તંત્ર ગોઠવવા જેવા વ્યવહારુ વિષયોમાં અટવાતી નથી હોતી, જરૂર હોય છે સાંસ્કૃતિક બાબતો માટે થોડી સરકારી નિસ્બત અને દ્રષ્ટિ ઉભી કરવાની. એક વાર પ્રજાને આવી સંસ્થાઓનો ચસકો લાગે એટલે બધું થઇ પડે. 

પાકિસ્તાની લેખક મોહસીન હમીદની આ નવલકથા મને રસપ્રદ લાગી હતી અને તેનું ખાસ કારણ એ હતું કે આખી વાત જાણે એક પાકિસ્તાની કોઈ રેસ્ટોરાંમાં બેસીને એક અમેરિકનને પોતાની જીવનકથા કહેતો હોય તેવી રીતે કહેવાઈ છે. ચંગેઝ ખાન નામના મૂળ લાહોર સ્થિત અને પછી અમેરિકાની વિખ્યાત પ્રિન્સટન યુનીવર્સીટીમાં ભણેલા યુવાનની પોતાની ઓળખ સાથેની મથામણ આ નવલકથાના હાર્દમાં છે. ચંગેઝ ન્યુયોર્કના સૌથી મોટા બીઝનેસ કેન્દ્ર જેવા મેનહટ્ટનમાં એક જાણીતી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મમાં જોડાય છે ત્યારે તેને લાગે છે કે લાહોરમાં જે પ્રકારના ઉચ્ચ સામાજિક-આર્થિક વર્ગમાંથી તેના માતા-પિતા ધીમેધીમે પોતાનું સ્થાન ગુમાવી રહ્યા છે, તેવા જ ન્યુયોર્કના ઉચ્ચ વર્ગમાં તે સ્થાન ધીરે ધીરે સ્થાન મેળવી રહ્યો છે. દુનિયા તેની મુઠ્ઠીમાં છે અને દુનિયાની બધી જ સંકીર્ણતાઓ તે પોતાના લેપટોપની વર્કશીટ્સમાં રહેલા માર્કેટ ફંડામેન્ટલસ દ્વારા સમજી શકે છે, સમજાવી શકે છે. આર્થિક જગતના કેન્દ્રસમા ન્યુયોર્કમાં જૈવિક થીયરી ડાર્વિનવાદનું વરવું સામાજિક સ્વરૂપ કે - જેમાં બળિયા પ્રાણી ટકી જાય અને નબળાં વખત જતાં નાશ પામે - તે ચંગેઝ જીવી રહ્યો છે અને સામાજિક ઉત્ક્રાન્તિના તે ઉચ્ચ 'ટકી ગયેલા' વર્ગમાં પોતાને ગણે છે. આ અલગ પ્રકારના ફંડામેન્ટલીસ્ટ લોકો છે અને તેમાં સાંગોપાંગ ભળી ગયેલો ચંગેઝ જેવો વ્યક્તિ 9/11ના હુમલા પછી અલગ પરિસ્થિતિમાં આવી જાય છે. તેને ગમતું હોય કે ન હોય તેની ઓળખ દક્ષીણ એશીયાઇ-પાકિસ્તાની-મુસ્લિમ જ બનીને રહી જાય છે અને આ બધાના સરવાળા રૂપે ધાર્મિક કટ્ટરપંથી (ફંડામેન્ટલીસ્ટ) હોવાના શંકાના દાયરામાં સતત આવતો રહે છે. 

ચંગેઝને ત્યારે તેના 'અમેરિકન ડ્રીમ'ની મર્યાદાઓ સમજાય છે અને તે લાહોર પાછો ફરીને ત્યાંની કોલેજમાં અધ્યાપન શરુ કરે છે.   તેના દેશનું પણ આવું શું ડ્રીમ થઇ શકે તેની પળોજણમાં હવે તે પડે છે. પાકિસ્તાનમાં બદલાતા પ્રવાહો જોઇને પૂરી નવલકથા વાંચતી વખતે આપણે પણ એ જ વિચારતા રહી જઈએ છીએ કે શું તે ખરેખર ધાર્મિક કટ્ટરપંથી થઇ જશે. આ નવલકથાના અંતમાં ચંગેઝ પોતાની વાત પૂરી કરીને તે અમેરિકનને વળાવીને પોતાના ગજવામાં હાથ નાખે છે - શું તે વીઝીટીંગ કાર્ડ કાઢશે કે પછી બંદૂક કે પછી સ્યુસાઈડ બોમ્બની સ્વીચ દાબશે? અને પેલો અમેરિકન કોણ હતો, કોઈ સામાન્ય ટુરિસ્ટ કે સિઆઇએ એજન્ટ? આ પ્રશ્નો સાથે નવલકથા પૂરી થાય છે કારણકે પેલા સવાલોના જવાબ આપણે જાતે ચંગેઝે કહેલી પોતાના જીવનની આખી વાત પરથી શોધવાના છે. મોહસીન હમીદ બહુ જ સલૂકાઈથી આપણને ભાન કરાવે છે કે 9/11 પછી આપણે બધાય કેવા વહેમી અને શંકાશીલ થઇ ગયા છીએ. મોહસીન હમીદની નવલકથા માર્કેટ ફંડામેન્ટલસ અને ધાર્મિક ફંડામેન્ટલસની વચ્ચે લોલકની જેમ ઝૂલે છે અને તેનો નાયક બંને પ્રકારના ફંડામેન્ટલીસ્ટ બની શકવાની પૂરતી શક્યતાઓ ધરાવતો હોવા છતાં તેમ કરવાની અનિચ્છા (reluctance) બતાવે છે.
મુખ્ય કલાકાર રીઝ અહમદ સાથે ફિલ્મ દિગ્દર્શક મીરાં નાયર 
આ પ્રકારના પ્લોટ પર ફિલ્મ બનાવવી અઘરી કહેવાય કારણકે પેલા અજાણ્યા અમેરિકનને ચહેરો અને ઓળખ આપવી પડે. જે લેખનમાં સહેલાઇથી છૂપાવી શકાય અને જેના વાચકો વિવિધ અર્થો તારવી શકે તે બધું ફિલ્માંકનમાં છતું કરવું પડે. તેથી આ ફિલ્મ મીરાં નાયર બનાવશે તેવી જાહેરાત થઇ ત્યારથી જ મને ફિલ્મ જોવાની તાલાવેલી હતી. આ પહેલાંની મીરાં નાયરની બે ફિલ્મો 'મોન્સૂન વેડિંગ' અને 'નેઈમસેક' બરાબર મોંઢે હતી. મીરાં નાયરના પિતા અમૃતરાય નાયર મૂળ લાહોરનાં હતાં અને આ ફિલ્મનું ઘણું શૂટિંગ પણ લાહોરમાં થયું છે. આ ફિલ્મમાં અલગ પ્રકારની મજા છે. ફિલ્મ માટે મૂળ નવલકથાના પ્લોટમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. અહીં આખી વાતચીત કોઈ પાકિસ્તાની અને કોઈ અમેરિકન નહિ પણ જેના પર કટ્ટરપંથી હોવાની શંકા છે તેવા એક પાકિસ્તાની અધ્યાપક અને સીઆઇએને છૂપી રીતે મદદ કરી રહેલા અમેરિકન પત્રકાર વચ્ચે બહુ તંગ વાતાવરણમાં થાય છે. મૂળ વાર્તાનું હાર્દ બદલાતું નથી પણ તેનો આખો પરીપેક્ષ બદલાઈ જાય છે. નવલકથા વાંચતા વાચકના મનમાં થતાં ઘમાસાણની સામે અહીં સીધી લીટીની પણ રસપ્રદ વાર્તા છે. મને આ નિરૂપણમાં પણ મજા આવી અને અલગ પ્રકારનો અનુભવ થયો પણ પુસ્તક-રસિયાઓ એવી ફરિયાદ કરી જ શકે કે શું મેં અને મીરાં નાયરે એકસરખું જ પુસ્તક વાંચ્યું હતું કે બીજું કોઈ! મીરાં નાયરે પુસ્તકનું ફિલ્મ નિરૂપણ કરતાં લેવા જેવી બધી આઝાદી લીધી છે. તેનાથી ફિલ્મની કથાવાર્તા અલગ પ્રકારની બને છે. પણ પુસ્તક અને ફિલ્મ વચ્ચે આટલો તફાવત હોઈ જ શકે. આખરે ફિલ્મની પટકથા મોહસીન હમીદે બીજા એક લેખક સાથે મળીને જ લખી છે.

એક મહત્વની વાત એ છે કે આ ફિલ્મ જોતા મને ક્યારેય એવું લાગ્યું જ નહિ કે આ પાકિસ્તાનની જ વાત છે. આ પ્રકારની વાર્તા ભારતીય વાતાવરણમાંથી પણ ઉદ્ભવી શકે છે. જે ચંગેઝ સાથે થયું - સારું ને ખોટું બંને - તે કોઈ ભારતીય યુવાન સાથે પણ થઇ શકે છે. 9/11 પછીના અમેરિકામાં સ્થાનિક ગુસ્સાનો ભોગ શીખ સમુદાયને બનવું પડ્યું હતું. વિદેશમાં રહેલા દેશીઓને અનુભવ હશે જ કે  વંશીય હુમલા માટે દક્ષિણી એશીયાઇ ચામડી હોવું પુરતું છે, તેમાં પછી કોઈ તમારો ધર્મ કે સરનામું પૂછવા નથી જતું. નફરત આંધળી હોય છે પણ પ્રેમ કરવા માટે સમજ જોઈએ અને સમય કાઢીને ધર્મ-સરનામાંના ભેદ એક પછી એક ભૂલવા પડે છે. સીઆઇએ અને કટ્ટરપંથીઓ વચ્ચે શાંતિ અને સમૃદ્ધિ ચાહતા ચંગેઝ જેવા યુવાનોની આખી પેઢી પીસાઈ જાય છે. જો તમે આ કહેવાતા ધર્મયુદ્ધ કે ન્યાયિક યુધ્ધમાં કોઈ એક પણ પક્ષે જતાં રહેવું સહેલું પડે છે પણ જો તમે શાંતિ-અમનના પક્ષે હોવ તો સૌથી કફોડી પરિસ્થિતિમાં હોવ છો. કારણકે કટ્ટરપંથીઓ તમને 'દેશદ્રોહી' માને અને સામો પક્ષ તમને કટ્ટરપંથી માને છે. આ બંને પ્રકારના અંતિમો ખાળીને ત્રીજા પક્ષની વાત વહેતી કરવી અઘરી હોય છે. પુસ્તક અને ફિલ્મમાં આ જ સંઘર્ષની વાત છે. પુસ્તક ન વાંચ્યું હોય તો વાંચી લેશો, એક જ બેઠકમાં પૂરું થઇ જશે અને ફીલ્મ ન જોઈ હોય તો થીયેટરમાં જોઈ લેશો. 

મજાની વાત એ છે કે હમીદની બીજી નવલકથા 'ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ'માં આખી વાર્તા પહેલા પુરુષ એકવચનમાં કહેવાઈ છે. તેની નવી અને ત્રીજી નવલકથા 'હાઉ ટુ ગેટ ફીલ્ધી રીચ ઇન રાઈઝીંગ એશિયા' બીજાપુરુષ એકવચનમાં લખાઈ છે એટલે કે 'તમને' ઉદ્દેશીને અને તે પણ સેલ્ફ-હેલ્પ બૂકની શૈલીમાં. હમીદનું આ નવી નવલકથા હમણાં જ ખરીદેલી છે અને બસ તેની પર હાથ અજમાવવાનો છે. તે પછી કદાચ મને તે સેલ્ફ-હેલ્પ પહોંચે તો તે બ્લોગપોસ્ટે પહોંચે પણ ખરી. 

Sunday, March 24, 2013

બારી અને દીવાલ

કહે છે કે દીવાલોને કાન હોય છે.
પણ દીવાલોને આંખો હોતી નથી.

દીવાલ બનાવતા પહેલાં
તેની બીજી બાજુએ શું હોય
તેનો વિચાર ન કરવાનો હોય.
દીવાલ બનાવીને
તેની બીજી બાજુએ શું થાય
તેનો વિચાર ન કરવાનો હોય.
બસ, દીવાલને વળગી રહેવાનું.

દીવાલ તો કાળમીંઢ હોય,
દીવાલ તો નક્કર-નઘરોળ હોય,
દીવાલ તો ભાગલા પાડે અને રાજ કરે.

દીવાલ બનાવવા બસ એક બહાનું જ જોઈએ.
ખભે તલવાળા લોકો, માથે ટોપી પહેરતા લોકો,
લાંબા ઝબ્બાવાળા લોકો, ગળે લટકણિયાંવાળા લોકો,
આવા કોઈ પણ લોકોની, લોકો વડે, લોકો દ્વારા
તેમના માલિકોના સતત માર્ગદર્શન હેઠળ
કાળમીંઢ, નક્કર, નઘરોળ દીવાલ બની શકે છે.

દીવાલ એટલે પેલી તરફથી વિમુખ.
દીવાલ એટલે પેલી તરફની ચોખ્ખી ના.
દીવાલ એટલે પેલી તરફની હવા ય ન ફરકે.
દીવાલ એટલે પોતાના જેવા લોકો સામે જોયા કરવું.
દીવાલ એટલે હા પડવાની શક્યતા નહી.
દીવાલ એટલે અંદર-અંદરની વાસી હવા.
દીવાલ એટલે સમજણ પર પડદો,
ના, પડદો નહિ... દીવાલ જ.

આ દીવાલોથી લાંબા ગાળાના રહેઠાણો બને છે.
આ દીવાલોથી તેના માલિકોની મહેલાતો બને છે.
થોડા  સમય પછી દીવાલોની પછીતેથી
યુદ્ધ શરૂ  કરવામાં આવે.
બહાર યુદ્ધ કરવાથી અંદરો-અંદર શાંતિ રહે છે, સમજ્યા?
"પણ સાહેબ, યુદ્ધ માટે દુશ્મન તો જોઈએને."
"સત્યવચન વત્સ, જુવો પેલા લોકોએ
લાંબા ઝબ્બા પહેરીને
ગળાના લટકણિયાંનું અપમાન કર્યું છે"

યુધ્ધો દીવાલો વચ્ચે જ થાય છે.
આંખે દીવાલ, કાને દીવાલ, નાકે દીવાલ.
પોતાની દીવાલો ચણતા ચણતા
બીજાની દીવાલો પર હુમલા કરતા રહેવાના.
ધ્યાન એ રાખવાનું કે તેમની દીવાલ સાવ પડી ન જાય.
નહિ તો ધંધો બંધ થઇ જાય.
દીવાલોના કાટમાળ વચ્ચે
દીવાલો તો અકબંધ રહેવી જોઈએ.

યદા યદા હી દીવાલોનો કાટમાળ સર્જાય છે,
ત્યારે કાળમીંઢ દીવાલમાં કોઈ બારી કરી જાય છે.
ગાંધી, કબીર, મંડેલા, લ્યુથર કિંગ, બુદ્ધ, મહાવીર
આ બધા મૂળ બારી બનાવવાવાળા કારીગર.
અડબંબ અડીખમ દીવાલોમાં સિફતથી એવા બાકોરાં પાડે કે
એક બારી છેક કોઈકના અંતરમાં ઉઘડે.

બારીને આંખ હોય છે.
દીવાલની જેમ આંધળા કાન નહિ.
બારી એટલે ચોખ્ખી, તાજી હવા
ચોખ્ખી, તાજી હવા મગજ માટે સારી.
બારી એટલી સારી.
બારી એટલે જીવંત.
બારી શ્વસે, ધબકે અને ધમધમે.

કોઈ શરૂઆત કરે એટલે બારીઓ બનવા લાગે.
બારી બનાવવા બહાનાં ન જોઈએ,
તાજી હવા અને દૂર સુધી જોવાની ઈચ્છા પૂરતી છે.

ખભે તલવાળા લોકો, માથે ટોપી પહેરતા લોકો,
લાંબા ઝબ્બાવાળા લોકો, ગળે લટકણિયાંવાળા લોકો,
આવા કોઈ પણ લોકોની, લોકો વડે, લોકો દ્વારા
બારીઓ બનવાની શરુ થાય એટલે
ખભે તલ, માથે ટોપી, લાંબા ઝબ્બા, ગળે લટકણિયાંથી
દુનિયાના ભાગ પાડવાની નિરર્થકતા સમજાઈ જાય.

બારી તો પારદર્શક.
બારી તો નૈનથી નૈન મિલાવે.
બારી તો દીવાલોને જોડે અને રાજ કરે.



દુનિયાની સૌથી મોટી દીવાલમાં ય બારી કેટલી રેફ્રેશિંગ હોઈ શકે તે સમજવા ચીનની દીવાલ પર  જવાની જરૂર નથી છતાંય આ ફોટો.
તારીખ: 11/11/2007

Tuesday, January 29, 2013

સ્ત્રીઓ સામે હિંસા: બહુ લાંબી લડાઈના મંડાણ

ફોટો કર્ટસી: The New York Times, URL: http://india.blogs.nytimes.com/2012/12/23/protests-over-rape-turn-violent-in-delhi/

ધારો કે તમે એક રોલેકસની મોંઘી ઘડિયાળ ખરીદી છે. સરસ, સુંદર મજાની રોલેકસ! તમને ગમી એટલે તમે એ ઘડિયાળ ખરીદીને પહેરી અને તમે ખુશ થઈને મલકાતા-મલકાતા જાવ છો. અચાનક તમારા પર હુમલો થાય છે, માર પડે છે અને કોઈ તમારી મોંઘી ઘડિયાળ છીનવીને જતું રહે છે અને તમને ઈજા થાય છે.

- તમે પોલીસ પાસે જાવ છો. પોલીસ તમારી ફરિયાદની તપાસ કરવાને બદલે તમને પૂછે છે કે તમે રોલેક્સની ઘડિયાળ પહેરી જ કેમ? કોઈ સાદી ઘડિયાળ નહોતા પહેરી શકતા? તમે કદાચ એટલા માટે તો ઘડિયાળ પહેરીને નહોતા નીકળ્યાને કે તમારી ઘડિયાળ કોઈ ચોરી જાય તેમાં છૂપી રીતે તમને મજા આવે છે? તમે લાંબી બાંયના કપડાં પહેરીને ઘડિયાળ છૂપાવી શકતા નહોતા? ઘડિયાળ ખુલ્લી રાખીને કોઈને બતાવવાની શી જરૂર જ હતી? વગેરે વગેરે. પોલીસ જ નહિ, આખો સમાજ, સગા-સંબંધી બધા જ આવા સવાલો પૂછે.
- જ્યાં પણ તમે જાવો ત્યાં તમે 'જેની ઘડિયાળ ચોરાઈ ગઈ હતી' તેવા નામે તમને ઓળખવામાં આવે. તમે જેમને ઓળખાતા પણ નથી તેવા લોકો તમારી આ વાતે મજાક બનાવે અને શંકા કરે કે તમારામાં જ કંઇક ખામી હશે કે તમારી પાસેથી જ ઘડિયાળ કેમ ચોરાઈ! સાધુ-સંતો, રાજકારણીઓ વગેરે જેને આ ઘટનાની પૂરી જાણકારી ન હોય તેવા લોકો તમને સલાહો આપે કે તમારે કેવી રીતે વર્તવું જોઈતું હતું.
- મીડિયા પણ આખી વાત ચગાવે અને તમને જે ઘટનામાં ગંભીર ઈજા પહોંચી તેના 'રસાળ' વર્ણનો કરવામાં આવે. જ્યારે તમે ફરિયાદ કરો ત્યારે કહેવામાં આવે કે બહુ ટણી રાખવાની જરૂર નથી, ઘડિયાળ તો ખોઈ છે હવે બચાવવા માટે બાકી શું રહ્યું છે.

તમે માત્ર એક સારી ઘડિયાળ પહેરવા માંગતા હતા અને તેના માટે તમે હિંસા વહોરી લો છો. આઘાતજનક વાત એ છે કે પોલીસ-સમાજ ગુનેગારોને સજા કરવા કે તેમની માનસિકતાની વાત કરવાને બદલે તમને ફોકસમાં રાખીને તમારી શું ભૂલ હતી તેનું પિષ્ટપીંજણ કરવામાં આવે છે. આખી ચર્ચા હિંસાનો ભોગ બનનાર વિષે થાય છે અને તેની જોડે ગુનેગારો જેવું વર્તન આખી જીંદગી થાય છે. મૂળ ગુનેગારો નાની-મોટી સજામાં છૂટી જાય છે.

દુખદ હકીકત એ છે કે અહીં જે આ ઘડિયાળ ચોરાવા જેવી ઘટનામાં જે બધું ય અસંબદ્ધ લાગે છે તે બળાત્કાર જેવી ઘટનામાં નથી લાગતું. ધારો કે હવે આ રોલેકસ ઘડિયાળ જો તમારું શરીર હોય અને તમે તેને ઘડિયાળની જેમ ઉતારીને બાજુમાં મૂકી જ ન શકતા હોવ તો? ધારો કે તમારૂ શરીર ચીજ-વસ્તુઓ વેચવાનું સાધન, ફિલ્મો ચલાવવાનું સાધન, ભીડ ભેગી કરવાનું સાધન, રમખાણો-યુદ્ધોમાં વિકૃતિઓ બતાવવાનું સાધન, બીભત્સ ટુચકા કહેવાનું સાધન, કોઈને મજબૂત ચોટ પહોંચે તેવી ગાળ  કહેવાનું સાધન હોય તો? તમારું વ્યક્તિવ, તમારી બુદ્ધિશક્તિ બધું જ બાજુ પર મૂકીને તમારા આખા વ્યક્તિત્વનું મૂલ્યાંકન તમારા શરીર પરથી કરવામાં આવે તો? છ માસથી માંડીને એંશી વર્ષ સુધી માત્ર તમારી જાતિ કે લિંગને કારણે તમે હુમલાને પાત્ર થઇ જાવ છો, તમારી સાથે હિંસા થઇ શકે તેવી પરિસ્થિતિ સદીઓથી હોય તો? આ પ્રશ્નોના જવાબ આપ્યા વગર એક પુરુષ તરીકે સ્ત્રી જાતિ, સ્ત્રી-વ્યક્તિત્વ, સ્ત્રી-દેહ સાથે થતા અન્યાયો અને હિંસા સમજવા અઘરા છે.

બહુ-ચર્ચિત દિલ્હી બળાત્કાર ઘટનામાં ભોગ યુવતીના મૃત્યુને આજે એક મહિનો પૂરો થયો. દેશભરમાં બળાત્કારની ઘટના(ઓ)ને લઈને જે જૂવાળ ચાલી રહ્યો હતો તે હવે શમી ગયો છે. બધું ઠંડુ પડી ગયું છે અને હવે બધું રાબેતા મુજબ છે. ટીવી મીડિયાની હવે આદત થઇ ચૂકી છે કે કોઈ પણ ઘટનાને બહુ જ ઉછાળવી, તેનો કસ નીકળી જાય અને કોઈ બીજી ઘટના ઘટે એટલે પહેલી વાતને બિલકુલ પડતી મૂકીને નવી ઘટનાના ટીઆરપી ગણવા બેસી જવું. દિલ્હીના જઘન્ય બળાત્કાર પછી સરહદ પર બે જવાનોની હત્યાનો મુદ્દો આવ્યો અને બળાત્કારનો મુદ્દો ભૂલાઈ ગયો. આ લેખ લખવાની શરૂઆત મેં જ્યારે એક મહિના પહેલા કરેલી ત્યારે આ વિષે ઘણું બોલાયું અને લખાયું. હવે દોઢ-એક મહિના પછી એવું લાગે છે કે પાછી 'જૈ સે થે'ની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

છેલ્લા દોઢ-એક મહિનાથી ઘટનાઓના વિવરણથી વ્યક્તિઓના આચરણ સુધી - સર્જનાત્મક તો ક્યારેક ખંડનાત્મક વલણો વચ્ચે - સંવાદથી લઈને કૂથલી સુધી ઘણું બધું થયું. આ અંગેના કાયદાઓ, પ્રણાલીઓ, પોલીસનું વર્તન, માનસીકતાઓ અને માન્યતાઓને લઈને પણ થોડી-ઘણી ચર્ચા વિવિધ સ્વરૂપે ચાલી.  જાતભાતના રાજકારણીઓ, વિવિધ રંગી સાધુ-બાવાઓ વગેરે એ પોતાનો અસલી રંગ બતાવ્યો. એકવીસમી સદીમાં અઢારમી સદીની માનસિકતા કેવી નફ્ફટાઈ અને આત્મવિશ્વાસથી પ્રવર્તે છે તે ઓપન સિક્રેટ ફરી એક વાર છતું થયું. ઘણા અંતિમો વચ્ચે એક ચોક્કસ પોઝીટીવ એ જોવા મળ્યું કે મોટાભાગના લોકોએ આવી જઘન્ય ઘટનાઓના ઊંડા કારણો તંત્ર, કાયદા વગેરેની નિષ્ફળતાની સાથે સાથે રોજબરોજના વાણી-વર્તન, દ્રષ્ટિકોણ, વિચાર-પધ્ધતિમાં શોધવાનું શરુ કર્યું. જો કે આ બહુ ઓછા અંશે થયું છે અને જલ્દી સમેટાઈ ગયું છે. કાયદાકીય રીતે એક નક્કર પગલાં તરીકે જસ્ટીસ વર્મા કમિટીનો રીપોર્ટ બહાર પડ્યો છે, જે આખા મામલામાં પ્રગતિશીલ અને સંવેદનશીલતાને સુસંગત ભલામણો કરે છે. જોવાનું એ છે કે હવે કેન્દ્ર સરકારમાં આ ભલામણોને અમલમાં મૂકવા જેટલી ઇચ્છાશક્તિ જોવા મળે છે કે નહિ. તાજા ખબર એ છે કે બહાર પડ્યાના થોડા જ દિવસોમાં આ રીપોર્ટ હોમ મીનીસ્ટ્રીની વેબસાઈટ ઉપરથી ગાયબ થઇ ચૂક્યો છે.

સરકાર તેને કરવા જેવા કામ કરે અને તે માટે નાગરીકોએ પણ સરકારની જવાબદેહી ટકોરાબંધ રીતે માંગવી જોઈએ. રાષ્ટ્રપતિ ભવનની બહાર દેખાવો કરેલી ભીડમાં એક યુવતી ટીવી પર એવું કહેતી જોવા મળી કે 'અમે ચલતા હૈ જનરેશન નથી'. આમીન! તેના મોઢે ઘી-ગોળ. એવું ઈચ્છીએ કે તે સાચી પડે. બીજી એક યુવતી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ચઢીને પોલીસ અને સરકાર તરફ મધ્યમા (middle finger) ઉલાળતી જોવા મળી. નવ-ઉદાર બજારવાદથી નવ-ઉદિત મધ્યમ વર્ગનો આ નવો મિજાજ છે. કોઈને આ ઉછાંછળાપણું કે બિનજવાબદાર આવેશ બેશક લાગી શકે. પણ પ્રગાઢ સુખવાદના આશ્લેષમાં જકડાયેલી નવી પેઢીના દિલમાં પણ આગ લાગી શકે છે અને તે પોતાની પ્રાઈવેટ સિક્યોરીટીની વ્યવસ્થા કરવાને બદલે સરકારની જવાબદેહી માંગે તે નાગરિકશાસ્ત્રના પાઠ ભણવાની શરૂઆત છે. આ આક્રોશને રચનાત્મક રીતે વાળી શકે તેવી રાજકીય નેતાગીરી અને સામાજિક નવનિર્માણની કલ્પનાશક્તિની ભયંકર અછત છે. વળી આ આક્રોશ પણ અમુક-તમુક રીતે બહાર આવે છે અને જલ્દી સમેટાઈ જાય છે. ઇન્ડિયન એકપ્રેસના તંત્રી શેખર ગુપ્તાનું કહેવું છે કે આ લડાઈ આર્થિક પ્રગતિના લાભાર્થી એવા સત્તાની નજીક રહેલા (ruling) ક્લાસ અને દેશ-સરકાર ચલાવતા (governing) ક્લાસ વચ્ચેની લડાઈ છે. જો કે હું તે પ્રકારના અંતિમોમાં માનતો નથી. દેશમાં માથાદીઠ આવક વધવાની સાથે સાથે અને શહેરીકરણની સાથે એક નવા રાજકીય યુગના પગરણ મંડાઈ રહ્યા છે. અને જો આપણે સૌ 'ચલતા હૈ'ની લાંબી ચાદર તાણીને સામૂહિક નિંદ્રામાં ન સરી જઈએ તો સ્ત્રીઓની સુરક્ષાનો મુદ્દો અને તે માટે સારી જાહેર સુવિધાઓ અને જેના પર વિશ્વાસ મૂકી શકાય તેવા કાયદા-વ્યવસ્થાનો મુદ્દો છવાયેલો રહેવો જોઈએ. નહિ તો પછી ભવિષ્યમાં આ મુદ્દો અનેક રીતે પાછો આવવાનો છે.

સ્ત્રીને દેવી ગણીને પૂજાતા આ દેશમાં સ્ત્રીઓ સામેની હિંસા સર્વત્ર વ્યાપ્ત છે, સતત ચાલુ છે. દહેજના સ્વરૂપ બદલાયા છે પણ વિવિધ પ્રકારની ભેટ-સોગાદોની પ્રથા ચાલુ છે. એકવીસમી સદીમાં જાન કાઢીને કન્યાપક્ષ પર લગ્નનું ભારણ વધારવાનો શું મતલબ? જો ધામધૂમ જ કરવી હોય તો બંને પક્ષો એક જગ્યા પર ભેગા થઈને પ્રસંગ ઉજવે અને ખર્ચ વહેંચી લે. સાદાઈથી લગ્ન કરીને નવપરિણીત યુગલને દુનિયા જોવા - વર્લ્ડ ટુર પર પણ મોકલી શકાય. કારણકે દહેજ અને તેના વિવિધ સ્વરૂપોનો સીધો સંબંધ છે સ્ત્રી-ભ્રુણ હત્યા જોડે. સ્ત્રી-ભ્રુણ હત્યા અવિકસિત, અભણ, પછાત વિસ્તારો કે જ્ઞાતિઓમાં નથી થતી. એ થાય છે 'સુવિકસિત, સુસંસ્કૃત, વિકસેલા' શહેરી વિસ્તારો અને જ્ઞાતિઓમાં. કમભાગ્યે દેશના જે ભાગોમાં શહેરીકરણ અને ઔદ્યોગીકરણ વધારે થયું છે ત્યાં આવા કિસ્સાઓ વધુ જોવા મળે છે, તે સમાજવિજ્ઞાનની રીતે અને વસ્તીશાસ્ત્રની રીતે પૂરવાર થયેલું સત્ય છે. કહેવાતા પછાત, આદિવાસી વિસ્તારોમાં તો સ્ત્રીઓની સંખ્યા પુરુષો જેટલી (અને ક્યારેક વધુ) જોવા મળે છે. તો પછી આપણે કેવા સમાજમાં રહીએ છીએ કે જેમાં જન્મતાં પહેલા, જન્મ્યા પછી, લગ્ન વખતે, નોકરી કરવા જતી વખતે સ્ત્રીઓ પર વિવિધ પ્રકારના હુમલા થતા જ રહે છે. 

બળાત્કાર એટલે સ્ત્રી ઉપર હિંસક હૂમલો અને હિંસાનું વિકૃત સ્વરૂપ. બળાત્કારની ઘટના એ વાસનાએ દોરેલી ઘટના કરતાં પુરુષાતનના વિકૃત શક્તિ પ્રદર્શનની ઘટના વધુ હોય છે. બળાત્કારીઓના મનોવલણો દર્શાવે છે કે 'સબક શીખવાડવા' કે 'ઠેકાણે લાવવા' કે 'સ્થાન બતાવવા' વગેરે જેવા કારણ બળાત્કારની જેવી ઘટનાને સુધી પહોંચાડતા હોય છે. વાસના કે લૌલુપતા જેવા હેતુઓના બહાનામાં પોતાના શારીરિક બળ વડે ધાક બેસાડવાની વિકૃત માનસિકતા તેમાં ભળે ત્યારે બળાત્કાર જેવી ઘટના બને છે. વાસના કે લૌલુપતા અને બળાત્કાર સુધી પહોંચવું તેની વચ્ચે બહુ લાંબુ અંતર હોય છે. આ અંતર કપાય છે સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષની ભાવના (misogyny) અને પહેલેથી જ સ્ત્રીને ઉપભોગ માત્રનું સાધન કે નીચલી પાયરીનું 'પ્રાણી' માનવાના પિતૃસત્તાક (patriarchy based)મૂલ્યોના લીધે. તેમાં વળી કાયદા-વ્યવસ્થાના ઠેકાણા ન હોય ત્યારે તો આવા તત્વોને છૂટો દોર મળે છે.  સ્ત્રીઓ સામે હિંસાએ સ્ત્રીઓનું રોજબરોજના જીવનમાં થતા અપમાનની બીમારીનું લક્ષણ માત્ર છે. તહેલકા મેગેઝીનના એક લેખ પ્રમાણે મોટાભાગના બળાત્કારીઓ એવું માનતા હોય છે કે તેઓ કાયદાના ચંગુલથી છટકી જશે અને આ સ્ત્રી શરમની મારી કંઈ કહી શકશે જ નહિ. અને ખરેખર આવું જ થાય છે.

દિલ્હીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે 'ફાંસી, ફાંસી'ના પોકારો થયેલા. બળાત્કારીને આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ તેવા જાત-જાતના હાકોટા-પડકાર થઈને હવે શાંત થઇ ચૂક્યા છે. સજા તો દૂરની વાત છે, મોટાભાગના બળાત્કારના કિસ્સાઓમાં આરોપી પર આરોપનામું ઘડતા-ઘડાતાં જ લાંબો સમય નીકળી જાય છે. મોટાભાગના બળાત્કારના ક્રિમીનલ કેસમાં આરોપીને ગુનેગાર જ ઠરાવી શકાતો નથી અથવા તો આમ કરવામાં વર્ષોના વર્ષો વીતી જાય છે. બળાત્કારનું રીપોર્ટીંગ કરવું અને તે અંગેના ફોરેન્સિક પુરાવા ભેગા કરવાની પ્રક્રિયા બળાત્કારનો ભોગ બનનાર માટે ત્રાસદાયક હોય છે. આપણે ત્યાંની એક વિકૃતિ એ છે કે માન-પ્રતિષ્ઠા, લાજ-શરમ વગેરેને જનનેન્દ્રિય સાથે જોડવામાં આવે છે. કોઈના માન-અપમાન જનનેન્દ્રીયમાં નથી હોતા પણ જે તે વ્યક્તિના વ્યક્તિત્વ અને રોજબરોજ જીવતા અસ્તિત્વમાં હોય છે. બળાત્કાર એટલે 'લાજ લૂંટવી' કે 'ઈજ્જત લૂંટના' નહિ પણ સ્ત્રી પર કરવામાં આવેલી વિકૃત શારીરિક અને માનસિક હિંસા. લાજ-ઈજ્જત વગેરેને બળાત્કાર જેવા હિંસક અપરાધથી અલગ કરવાનો સમય આવી ગયો છે.
An example of blatantly misogynist advertisement. Courtesy: http://www.flickr.com/photos/adrants/2764770517/
બીજી વાત, મોટાભાગના બળાત્કાર આ દેશમાં પૂરા કપડાં પહેરેલી સ્ત્રીઓ પર થયા છે. કોઈ મીની-સ્કર્ટ કે સ્પેઘેટી પહેરીને ફરતી સ્ત્રીઓ પર નહિ. એટલે સ્ત્રીએ પહેરેલા કપડાં અને બળાત્કારને સીધો સંબંધ બાંધી શકાતો નથી. જેને જે પહેરવા હોય તે કપડાં પહેરે તેના લીધે કોઈને કોઈના પર હિંસક હુમલો કરવાનું સર્ટીફીકેટ મળી જતું નથી. આ દેશના પુરુષોએ આગળ આવીને કહેવું જોઈએ કે અમે જંગલી જનાવરો નથી કે નબળો શિકાર જોઇને તેની પર તૂટી પડીએ, થોડું ખુલ્લું શરીર જોઇને તેની પર તૂટી પડીએ. અમે નારીભક્ષી રાક્ષસો નથી કે કોઈને એકલા-અટૂલા જોઇને કે રાત્રિ સમયે જોઇને કોઈ પિશાચી રીતે તેનું મારણ કરીએ. આ બળાત્કાર વિશેની આખી ચર્ચાને પુરુષકેન્દ્રી બનાવવાની જરૂર છે, તેવું પુરુષોએ જ કહેવું જોઈએ. પુરુષોની માનસિકતા વિષે ચર્ચા થવી જોઈએ. એ જમાનો ગયો કે જ્યારે ઘરમાં માત્ર દીકરીને જ સંસ્કારી વર્તન કરતા શીખવાડતા હતા. દીકરીઓએ જે શીખવા જેવું છે તે શીખી લીધું છે, હવે દીકરાઓને સ્ત્રીઓને માન આપવાના સંસ્કાર બહુ સચોટ રીતે આપવાનો સમય આવ્યો છે.

હવે તો મર્દાનગીની વ્યાખ્યા બદલાવી જોઈએ. મર્દાનગી સ્ત્રી-દેહનો ઉપભોગ કરવામાં કે તે વિષે મજાક કર્યા કરવામાં નથી. સાચી મર્દાનગી સૌને સાથે સારી રીતે વર્તવામાં, સ્ત્રી-બાળક-વૃદ્ધોની સંભાળ લેવામાં અને તેમને - તેમની પસંદગીઓને માન આપવામાં છે. જે બીજાની પસંદગીને (સેક્સની બાબત સહીત) માન આપે તે જ સાચો પુરુષ કહેવાય. આવી સંવેદના વગરની મર્દાનગી એ વિકૃતિ છે. મર્દાનગીની વિભાવાનાનું કોઈ સ્થાયી રૂપ નથી, તે સમય સાથે બદલાતી વાત છે. ઐતિહાસિક રીતે મર્દાનગી વિશેના વલણો બદલાયા છે અને બદલાતા રહેશે. આધુનિક સમયની પુરુષો પાસેથી તેમની સામાજિક ભૂમિકાની માંગ હવે અલગ છે. લગભગ સો વર્ષ પહેલા સ્ત્રીઓને મતદાનનો અધિકાર મળેલો, રૂઢીવાદીઓએ વિરોધ કરેલો. હવે સમયમાં સ્ત્રીઓ પગભર અને આર્થીક રીતે સ્વતંત્ર થઇ છે, તેને કેટલાક રૂઢીવાદીઓ હજી પચાવી શકતા નથી.  હવે જ સાચો સમય છે કે તેમને જાતિ કે લિંગને આધારિત હિંસા સામે સુરક્ષા આપવાની લાંબી લડતના મંડાણ થવા જોઈએ અને એ સુરક્ષા આખરે તેમને મળવી જ જોઈએ.

(નોંધ: જે લોકો હજી સુધી સેક્સ, જેન્ડર, સેક્સ્યુઅલ ઓરીએન્ટેશન વગેરે જેવા બેઝીક કોન્સેપ્ટ વિષે બહુ ન જાણતા હોય તેમના માટે આ સાડા ત્રણ મિનીટનો વિડીયો અચૂક જોવા જેવો છે.)

Tuesday, September 25, 2012

पेड़ों पर नहीं उगता

(The prime minister of India addresses the nation on the evening of 21st September, 2012. He justifies his government's actions of reducing subsidies by saying that 'the money doesn't grow on trees'. Taking clues from it, I reflect upon the nature of crony-capitalism in the country in form of the following words.)

पेड़ों पर नहीं उगता


सही फरमाया आपने जनाब,
पैसा पेड़ों पर नहीं उगता है.

पैसा निकलता है कोयलेकी खदानों से,
कर्णाटक के कुदरती खनिज गोदामों से,
कच्छके मेंग्रोवकी लापरवाह तबाही से,
पैसा उपजता है घूसखोरी और घासचारों से,
टेलीकोम टावरों और कोमनवेल्थी खेलों से,

अंतरिक्षी साधनों और लश्करी हथियारों से.

पैसा तो नदी में बहेता है,
उस पर बड़ा बांध बनकर उसमें निवेश किया जा सकता है.
बचे हुए पर्यावरण को मेनेज और मिटीगेट किया जा सकता है.
जंगलोकी कटाई पे फाइवस्टार सेमीनार किया जा सकता है.
और ज़मीनी हकीकतों पे राजद्रोह लगाया जा सकता है.

पैसा तो धर्मगुरुओं के महेलोंकी गद्दियो तले दबा होता है,
जिससे वे पेट्रोल खरीदके चिंगारीओंकी तलाशमें निकल पड़ते है.
रास्ते में वे हमें आर्ट ऑफ़ पोज़िटिव थिंकिंग सिखाते है.

पैसों से भीड़ जमा हो सकती है,
पैसों से गुहार लगाईं जा सकती है,
पैसों से जनादेश निकाला जा सकता है,
पैसों से जंतरमंतरकी दुकानें चलती है और
काले पैसों पे आजकल रामलीलाएं होती है.

सही फरमाया आपने जनाब,
पैसा पेड़ों पर नहीं उगता है.

पैसा हमारी जेबोंमें होता है.
कुछ लोगोंकी जेबें लंबी होती है,
कानून के हाथ से भी लंबी और
कोयलेके खदानोंसे भी गहरी.

- ऋतुल जोषी
२२ सितम्बर, २०१२

Friday, February 24, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૨)

(Famous photograph of Bhagat Singh, 1929. Source: Wikipedia)

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-1) (http://charkho.blogspot.com/2012/02/blog-post.html

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-૨)
- ભગતસિંહ

હવે આપણે બીજા પ્રશ્ન પર આવીએ છીએ જો (નાસ્તિક હોવા પાછળનું કારણ) ઘમંડ કે અહંકાર ન હોય તો આદિકાલથી ચાલી આવતી ઈશ્વર પરની માન્યતાને નકારવાનાં કોઈ મજબૂત કારણો મારી પાસે હોવા જોઈએ. ચાલો, એ પ્રશ્નની ચર્ચા કરીએ. મને લાગે છે કે જે વ્યક્તિ પાસે તર્કની શક્તિ હોય છે તે પોતાની જીંદગી અને આસ-પાસના લોકોને તે સમઝશક્તિથી સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. જ્યાં મજબૂત પુરાવાઓનો અભાવ હોય છે ત્યાં સાધકભાવવાળી ફિલસૂફી ઘૂસી જાય છે. મેં આગળ જણાવ્યા પ્રમાણે, મારા એક ક્રાંતિકારી મિત્ર કહેતા કે, '(સાધકભાવવાળી) ફિલસૂફી એ માનવીય નિર્બળતાનું પરિણામ છે'. આપણા પૂર્વજો પાસે જગતના રહસ્યોને ઉકેલવા માટે ઘણી ફુરસદ હતી; રહસ્યોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, તેનાં 'શા માટે' અને 'એટલાં માટે' વગેરે. પણ સીધા પુરાવાની જબરજસ્ત ખોટને લીધે, દરેકે પ્રશ્નોના ઉકેલો પોતાની રીતે શોધવાનો પ્રયત્ન કર્યો. તેથી જ આપણને વિવિધ ધાર્મિક પંથોના મૂળભૂત સિદ્ધાંતોમાં મોટો તફાવત જોવા મળે છે. ક્યારેક તેઓ બહુ વિરોધાભાસી અને વિસંવાદી સ્વરૂપો લે છે. આપણને પૂર્વીય (Oriental) અને પાશ્ચાત્ય (Occidental) ફિલસૂફીમાં મોટો તફાવત જોવા મળે છે. દરેક ભૂગોળાર્ધમાં વિવિધ પંથોની વિચાર-વ્યવસ્થામાં ફેરફાર જોવા મળે છે. એશિયામાં જોવા મળતા ધર્મોમાં, ઇસ્લામ ધર્મ હિંદુ ધર્મથી અસંગત છે, તો જૈન અને બૌદ્ધ ધર્મ એ બ્રાહમણવાદથી બહુ અલગ છે. અને પછી બ્રાહ્મણવાદની અંદર જ, આપણને બે વિસંગત પંથ જોવા મળે છે: આર્ય સમાજ અને સનાતન ધર્મ. ચાર્વાક વળી એક બીજો આદિકાલનો સ્વતંત્ર વિચારક જોવા મળે છે. તેણે તો ઈશ્વરની સત્તાને પડકારી છે. આ બધી જ માન્યતાઓ ઘણા મૂળભૂત સિદ્ધાંતોના પ્રશ્નોમાં એકબીજાથી ભિન્ન પડે છે, પણ તેમાંનો દરેકનો પોતે જ સાચો ધર્મ હોવાનો દાવો છે. દરેક અનિષ્ટનું મૂળ આ છે. વિવિધ વિચારો અને આદિકાલના ચિંતકોના પ્રયોગોને વિકસિત કરવાને બદલે, તે દ્વારા આપણી જાતને ભવિષ્યના સંઘર્ષ માટે વિચારો પર આધારિત હથિયારથી સજ્જ કરવાને બદલે - આપણે એવા આળસુ, સુસ્ત, ધર્માંધ છીએ કે - આપણે રૂઢિચુસ્ત ધર્મને વળગી રહીને સમગ્ર માનવ જાગૃતિને બંધિયાર ખાબોચિયાંના સ્તર પર લાવી મૂકી છે.

(માનવ) ઉન્નતિના કાજે આગળ આવતાં દરેક વ્યક્તિ માટે જૂની માન્યતાઓના દરેક સિદ્ધાંતની ટીકા કરવી બહુ જરૂરી હોય છે. તેણે જૂની માન્યતાઓની યોગ્યતાને એક પછી એક પડકારવી પડે. તેણે દરેક વિગતનું વિશ્લેષણ કરીને તેને સમજવી પડે. જો આકરા વિચાર-વિમર્શ પછી, વ્યક્તિ કોઈ પ્રકારની (ધાર્મિક) ફિલસૂફીના સિદ્ધાંતોમાં માનવા તરફ દોરાય તો તેની શ્રદ્ધા-માન્યતા સમજી શકાય. કદાચ તેનો તર્ક  ભૂલભરેલો કે ખોટા માર્ગે દોરનારો હોઈ શકે. પણ તેને સુધરી શકવાની તક છે કારણકે તર્કશક્તિ તેના જીવનનો માર્ગસૂચક સિદ્ધાંત છે. પણ શ્રદ્ધા - ખરેખર તો કહેવું જોઈએ - અંધશ્રદ્ધા વિનાશકારી છે. તે વ્યક્તિને તેની સમજણશક્તિથી વંચિત કરે છે અને તેને પ્રત્યાઘાતી બનાવે છે.

જો કોઈ વ્યક્તિ વાસ્તવવાદી બનવાનો દાવો કરતો હોય તો તેણે જૂની-પુરાણી માન્યતાઓની સત્યતાને પડકારવી જોઈએ. જો માન્યતાઓ તર્કનું ભીષણ આક્રમણ ખાળી ન શકે તો તે ભાંગી પડે છે. ત્યારબાદ નવી ફિલસૂફીનું ખેડાણ કરવાનું કામ વ્યક્તિએ શરુ કરવું જોઈએ. પહેલું કામ નકારાત્મક હતું. ત્યાર બાદ સકારાત્મક કામ આવે છે કે જેમાં જૂના સમયની થોડી સામગ્રીનો ઉપયોગ કરીને નવી ફિલસૂફીના સ્તંભ ચણી શકાય. જ્યાં સુધી મને લાગે વળગે છે ત્યાં હું સ્વીકારું છું કે આ વિષયમાં મારો પુરતો અભ્યાસ નથી. મને પૂર્વીય (Oriental) ફિલસૂફી ભણવાની બહુ સખત ઇચ્છા છે, પણ મને જોઇતી તક અને પુરતો સમય મળ્યો નથી. જો કે હું જ્યારે જૂની-પુરાણી માન્યતાઓને નકારું છું ત્યારે તે એક માન્યતાને બીજી માન્યતાથી હરાવવાની વાત નથી. હું તો જૂની માન્યતાઓની યોગ્યતાને મજબૂત દલીલો વડે પડકારું છું. હું પ્રકૃતિમાં એ રીતે માનીએ છીએ કે માનવ વિકાસનો આધાર પ્રકૃતિ પરના નિયમનમાં રહેલો છે. તેની પાછળ કોઈ ચેતનવંત સત્તાધીશ નથી. આ જ અમારી ફિલસૂફી છે.

હું એક નાસ્તિક તરીકે, આસ્તિકોને અમુક પ્રશ્નો પૂછું છું:

૧. જો, તમે એવું માનો છો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું, તો મહેરબાની કરીને સૌ પ્રથમ મને જણાવો કે, આ દુનિયાનું સર્જન જ કેમ થયું. આ દુનિયા કે જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતો નથી.

૨. મને એમ નહિ કહેતા કે આ જ તેનો નિયમ છે. જો તે નિયમોથી બંધાયેલો હોય તો તે સર્વશક્તિમાન નથી. એમ પણ ન કહેતા કે આ જ તેની મજા કે મરજી છે. (સમ્રાટ) નીરોએ રોમને સળગાવ્યું હતું. તેણે અમુક સંખ્યામાં લોકોને મારી નાખ્યા. તેણે ય અમુક કરુણાંતિકા સર્જી છે, તે પણ તેની મરજી મુજબની રોગિષ્ઠ મજા માટે. પણ તેનું ઇતિહાસમાં શું સ્થાન છે? કેવા નામ આપીને તેને આપણે યાદ કરીએ છીએ? બધા જ નિંદાત્મક વિશેષણો તેને અફાળવામાં આવે છે. નેરોને વખોડતી ભીષણ નિંદાથી ઇતિહાસના પાનાં રંગાયેલા છે: જુલમી, દયાવિહીન, દુરાચારી. એક ચંગીઝ ખાને અમુક હજાર લોકોને તેની મરજી મુજબની મજા માટે મારી નાખ્યા અને આપણે તેના નામમાત્રથી નફરત કરીએ છીએ. હવે, તમારો સર્વશક્તિશાળી, શાશ્વત નીરો, જે દર રોજ, દરેક ક્ષણે પોતાનો સમય પસાર કરવા માટે લોકોને મારે છે, તેને તમે કેવી રીતે વ્યાજબી ગણાવો છો? તમે કેવી રીતે તેના કારસ્તાનને સમર્થન આપો કે જે (કારસ્તાનો) ચંગીઝ ખાનથી ક્રૂરતામાં આગળ વધી જાય અને જેના લીધે લોકો પર કંગાલિયત લદાઈ જાય. હું પૂછું છે કે તે સર્વશક્તિશાળીએ આવી દુનિયા જ કેમ બનાવી કે જે જીવતા નર્ક જેવી છે, એક સદંતર બદસ્વાદ, શાંતિવિહોણી જગ્યા. તેણે માનવનું સર્જન જ કેમ કર્યું જ્યારે તેની પાસે તેમ ન કરવાની સત્તા હતી? શું તમારી પાસે મારા કોઈ પ્રશ્નોનો કોઈ જવાબ છે? તમે કદાચ એમ કહેશો કે આ બધું તો જે સહન કરે છે તેને સારું વળતર આપવા અને અનિષ્ટ કરનારને સજા કરવા માટે છે. વારુ, વારુ, તમે એક વ્યક્તિ કે જે પહેલા તમારા શરીરને પીડા આપે છે અને પછી તેના પર ધીમેથી પંપાળીને મલમ લગાડે છે તેના વર્તનને ક્યાં સુધી યોગ્ય ગણાવશો? પેલા કુસ્તીના દંગલના આયોજક કે સમર્થકો ગુલામ યોદ્ધાઓને ભૂખ્યા સિંહો સામે ફેંકી દેતા, જો તે ભયંકર મૃત્યુમાંથી બચી જાય તો તેમની સારવાર કરીને તેમની કાળજી લેતા, તેઓ કેટલા અંશે વ્યાજબી હતાં? તે માટે હું પૂછું છું કે: શું માનવીનું સર્જન આ પ્રકારની મજા લેવા માટે થયું હતું?

આંખો ઉઘાડો અને જુવો કે ઝૂંપડપટ્ટીઓમાં લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને તે ઝૂંપડીઓ જેલની ગમગીન અંધારકોટડી કરતાં પણ ગંદી હોય છે; મજૂરોને ધીરજપૂર્વક કે નિષ્ઠુરતાપૂર્વક જોતા રહો કે કેવી રીતે અમીર પિશાચ તેમનું લોહી ચૂસે છે; આ રીતે થતા માનવીય શક્તિના બગાડની વાત તમારા મન પર લઇ આવો કે જે થોડી પણ સામાન્યબુદ્ધિ ધરાવતા વ્યક્તિને થથરાવી મૂકશે. જરા જુવો કે અમીર દેશો તેમનું વધારાનું ખાદ્ય ઉત્પાદન, જરૂરીયાતમંદ અને વંચિતોમાં વહેંચવાને બદલે દરિયામાં ફેંકી દે છે. માનવીય કંકાલના પાયાઓ પર રાજાઓના મહેલો બંધાય છે. તેમને આ બધું જોવા દો અને બોલવા દો કે '' ઈશ્વરના રાજ્યમાં બધે સુખ-શાંતિ છે'' (All is well in God's Kingdom). આવું શા માટે? તે મારો પ્રશ્ન છે. તમે શાંત થઇ ગયા છો. ભલે ત્યારે, હું મારો આગળનો મુદ્દો ઉઠાવું છું.

તમે, હિંદુધર્મીઓ, એવું કહેશો કે: જે કોઈ પણ આ જનમમાં તકલીફો સહન કરે છે, તે પાછલા જનમમાં જરૂર પાપી હશે. એ વાતને સમકક્ષ એવું કહી શકાય કે જે અત્યારે શોષણકર્તા છે તે જરૂર પાછલા જનમમાં દૈવી લોકો હશે. માત્ર એ જ કારણથી અત્યારે તેમની પાસે સત્તાના સૂત્રો છે. હું સીધુંસટ કહું છું કે તમારા પૂર્વજો ચાલાક લોકો હતા. તેઓ હંમેશા ક્ષુદ્ર રમતો રચવાની શોધમાં રહેતા કે જેથી લોકોની તર્કની શક્તિ છીનવી શકાય. ચાલો, આગળ મારી દલીલમાં કેટલું વજન છે તેનું વિશ્લેષણ કરીએ.

ગુનો કરનારને મળતી સજા માટે કાયદાશાસ્ત્રની ફિલસૂફીમાં નિષ્ણાત લોકો ત્રણ કે ચાર સિદ્ધાંતોનો સજાને વ્યાજબી ઠરાવવા ઉપયોગ કરે છે. જે આ પ્રમાણે છે: બદલો, સુધારણા અને નિવારણ. બદલાના (કરેલા ગુનાની વસૂલાત) સિદ્ધાંતને તો હવે દરેક વિચારક વખોડી કાઢે છે. (ગુના) નિવારણનો સિદ્ધાંત પણ તેની ખામીના કારણે ત્યજાઈ જવામાં છે. (ગુનેગારના) સુધારણાનો સિદ્ધાંત હવે વિસ્તૃત સ્વીકૃતિ પામ્યો છે અને તેને માનવ વિકાસ માટે જરૂરી મનાય છે. તેનો ઉદ્દેશ ગુનેગારને સુધારવાનો છે અને તેને શાંતિપ્રિય નાગરિક બનાવવાનો છે. એવો કયો ઉદ્દેશ ભગવાને આપેલી સજા પાછળ હોય છે ભલેને પછી તે જેને કોઈ નુકસાન કર્યું છે તેને જ (સજા) કેમ ન મળી હોય? ચાલો, આ દલીલ માટે ક્ષણિક એવું માની લઈએ કે જો એક વ્યક્તિએ કોઈ ગુનો પાછલા જન્મમાં કર્યો હોય તો ભગવાન તેને બિલાડી કે ગાય, ઝાડ-પાન કે બીજું કોઈ પ્રાણી બનાવીને સજા આપે છે. તમે આવી ભગવાને આપેલી સજાઓનો હિસાબ માંડો તો ચોર્યાસી લાખ થાય છે. હવે આ મૂરખવેડાં, જે (ભગવાને આપેલી) સજાના નામે ચલાવાય છે તેની માનવજાત પર કોઈ સુધારણાવાદી અસર થાય છે કે? તમે એવા કેટલા લોકોને મળેલા છો કે જે કોઈ પાપ કરવાને લીધે પૂર્વજન્મમાં ગધેડાનો અવતાર હતાં? ચોક્કસ એવું કોઈ જ નહિ હોય! તો પછી આ પૂર્વજન્મનો પૌરાણિક કહેવાતો સિદ્ધાંત એ પરી-કથા સિવાય કશું નથી. મને તો આ અકથ્ય બકવાસને ચર્ચામાં લાવવાનો કોઈ મતલબ લાગતો નથી.

શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી શ્રાપિત પાપ હોય તો તે 'ગરીબ હોવું' છે? હા, ગરીબી એ પાપ છે, ગરીબી એ સજા પણ છે. ધિક્કાર હજો એ કાયદા ઘડનાર, વકીલ કે ન્યાયાધીશ પર કે જે વ્યક્તિને આવા અધમ પાપના કળણમાં ખૂંપાવી દેતા પગલાંની દરખાસ્ત કરે છે. શું તમારા સર્વજ્ઞ ઈશ્વરને આવું સૂઝ્યું નહિ કે પછી તેને આ સત્ય લાખો લોકોની અકથ્ય વેદનાઓ અને યાતનાઓ પછી જ સમજાયું? તમારા સિદ્ધાંતો પ્રમાણે, તમે એ વ્યક્તિની દશા વિષે શું માનો છો કે જેણે પોતે કોઈ ગુનો કર્યા વગર (કહેવાતી) નીચી જાતિના કુટુંબમાં જન્મ લીધો હોય? કે એ ગરીબ હોય અને તેના લીધે તે સ્કૂલ ન જઈ શકે. કે જેની એ જ નિયતિ છે કે તેને (કહેવાતી) ઉંચી જાતિમાં જન્મેલાં તરફથી ધિક્કાર મળે અને હડધૂત થવું પડે છે. તેના નિરક્ષરતા, ગરીબી અને બીજાઓ તરફથી મળતા ધિક્કારને લીધે તેનું હ્રદય સમાજથી વધુને વધુ વિમુખ થતું રહેશે. ધારો કે તે કોઈ ગુનો કરે તો તેનું પરિણામ કોણ ભોગવશે? તે વ્યક્તિ, ઈશ્વર કે સમાજના સુશિક્ષિત લોકો? સ્વાર્થી અને ગર્વિષ્ઠ બ્રાહ્મણોએ જેમને ઇરાદાપૂર્વક અજ્ઞાની રાખ્યા છે તેવા લોકોને મળતી સજાઓ વિષે તમારો મત શું છે? જો ભૂલથી આ ગરીબ 'પ્રાણીઓ' વેદો કે તમારા પવિત્ર પુસ્તકોના અમુક શબ્દો સાંભળી લીધા હોય તો આ બ્રાહ્મણો તેમના કાનમાં પ્રવાહી સીસું રેડી દેતા. જો એ લોકો કોઈ ગુનો કરે તો તેના માટે દોષિત કોણ? આખરે કોણે સહન કરવાનું આવશે?
મારા વહાલા દોસ્તો, આ બધા સિદ્ધાંતો અને શાસ્ત્રો એ વિશેષાધિકાર ભોગવતા વર્ગોની ઉપજ છે. તે લોકો આવા સિદ્ધાંતો-શાસ્ત્રોના ઉપયોગથી પોતાની સત્તાને વ્યાજબી ગણાવે છે, સંપત્તિ એકઠી કરે છે કે પચાવી પાડે છે. કદાચ અપ્ટન સીન્ક્લેરે જ ક્યાંક લખ્યું છે કે, 'માનવીને આત્માના અમરત્વમાં ચુસ્ત રીતે માનતો કરો, પછી તેની પાસે જે હોય તે લૂંટી લો, પછી તે પોતે પણ આ પ્રક્રિયામાં તમને રાજી-ખુશીથી મદદ કરશે'. ધાર્મિક પ્રચારકો અને સત્તાધારીઓ વચ્ચેની ગંદી સાઠગાંઠને લીધે ચાબુક, જેલ, વધસ્તંભ અને સૌથી વધુ તો આવા સિદ્ધાંતો વગેરેના 'વરદાન' (સમાજ પર) ઉતરી આવ્યા છે.

હું પૂછું છું કે શા માટે તમારો સર્વશક્તિશાળી ઈશ્વર (કે ધર્મ) કોઈ વ્યક્તિ પાપ કે ગુનો કરતો હોય તે પહેલા તેને રોકી શકતો નથી. ઈશ્વરમાટે તો તે બાળરમત હશે ને. શા માટે તેણે યુદ્ધખોરોને મારી ન નાખ્યા? શા માટે તેણે તેમના મગજમાંથી યુદ્ધનો ઉન્માદ જ ભૂંસી ન કાઢ્યો? આ રીતે તેણે માનવજાતને મોટી આફતો અને ત્રાસદીથી બચાવી હોત. શા માટે તે બ્રીટીશરોમાં માનવતાવાદી લાગણીઓ રેડતો નથી કે જેથી રાજી-ખુશીથી તેઓ ભારત છોડીને ચાલ્યા જાય? હું પૂછું છે કે શા માટે તે મૂડીવાદી વર્ગોના હ્રદયમાં પરગજુ માનવતાવાદ ઉમેરતો નથી કે જેથી ઉત્પાદન પ્રણાલીના ખાનગી અંકુશો તે છોડી દે અને મજૂરી કરતી સમગ્ર માનવજાતને નાણાંની બેડીઓમાંથી મુક્તિ મળે. જો તમે સમાજવાદી સિદ્ધાંતની વ્યવહારદક્ષતાના અંગે દલીલ કરશો તો હું તો તમારા સર્વશક્તિશાળી ઈશ્વર પર તેનું અમલીકરણ છોડી દઉં છું. સામાન્ય લોકો સમાજવાદી સિદ્ધાંતના ફાયદા સમાજ કલ્યાણની યોજનાઓ સુધી જ સમજે છે અને પછી તેનું અમલીકરણ ન થઇ શકે તેવા બહાનાં હેઠળ તેનો વિરોધ કરે છે. ભલે તો પછી ઈશ્વરને આગળ વધવા દો અને બધું વ્યવસ્થિત કરી દેવા દો! હવે તર્કને તરકટ કરવાનું બંધ કરીએ. બ્રિટીશ રાજ એ ઈશ્વરી ઇચ્છાના લીધે નથી પણ આપણે દ્ગઢતા અને હિંમતથી તેનો સામનો કરી શકતા નથી એટલે ચાલે છે. તેઓ આપણને ઈશ્વરી વરદાનથી દબાવી નથી રહ્યા પણ બૉમ્બ અને બંદૂક, રાઈફલ અને કારતૂસ, પોલીસ અને લશ્કર અને સૌથી વધુ તો આપણી પોતાની ઉદાસીનતાથી દબાવીને, તેઓ સફળતાથી સૌથી જઘન્ય પાપ કરી રહ્યા છે કે જેમાં એક દેશ બીજા દેશનું શોષણ કરે છે. ઈશ્વર ક્યાં છે? તે શું કરે છે? તેને આ બધું કરીને કોઈ  રોગીષ્ઠ મજા આવી રહી છે? એક નીરો! એક ચંગીઝ ખાન! મુર્દાબાદ!

હવે ઉપજાવી કાઢેલી વાતો ચાલતી હોય તેવો એક ઓર વિષય. તમે મને પૂછશો કે હું પૃથ્વીની વ્યુત્પત્તિ અને માનવજીવનની શરૂઆત કેવી રીતે સમજાવું છું. ચાર્લ્સ ડાર્વિને આ વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેના પુસ્તકનો અભ્યાસ કરો. સોહમ સ્વામીના 'કોમન સેન્સ' પર પણ નજર નાખો. તમને સંતોષકારક જવાબ મળી જશે. આ વિષયનો સંબંધ જીવવિજ્ઞાન અને પ્રકૃતિવિજ્ઞાન સાથે છે. આ કુદરતની બીના છે. વિવિધ અવકાશીય પ્રદાર્થોના અકસ્માતી મિશ્રણને લીધે બનતી નીહારિકામાંથી પૃથ્વીનો જન્મ થયો છે. ક્યારે? આ માટે (જૈવ) ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. આ જ પ્રક્રિયા દ્વારા પ્રાણીઓની ઉત્ક્રાંતિ થઇ અને લાંબા સમય બાદ માનવીની. ડાર્વિનનું પુસ્તક 'ઓરીજીન ઑફ સ્પીશીઝ' વાંચો. ત્યાર બાદનો સમગ્ર વિકાસ માનવીના કુદરત સાથેના સતત સંઘર્ષ અને કુદરતનો પોતાની રીતે ઉપયોગ કરવાની ખૂબી ને કારણે થયો. આ બીનાનું આ બહુ ટૂંકુ રેખાંકન છે.

તમારો આગલો પ્રશ્ન હશે કે પાછલા જન્મમાં કોઈ પાપ ન કર્યા હોવા છતાં કેમ કોઈ બાળક અંધ કે અપંગ જન્મે છે. આ પ્રશ્ન પણ જીવવિજ્ઞાનીઓ દ્વારા સંતોષકારક રીતે એક જીવવિજ્ઞાનની બીના તરીકે સમજાવવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે સમગ્ર આધાર માતા-પિતાના સભાન કે અભાનપણે કરેલી કોઈ ક્રિયા કે (શારીરિક) રચના પર હોય છે જેના લીધે જન્મ પહેલાથી જ બાળકમાં ખોડખાંપણ આવી હોય.

તમે મને કદાચ એક ઓર પ્રશ્ન પૂછશો, પણ તે બહુ બાલીશ છે. પ્રશ્ન છે કે જો ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોય તો લોકો તેમાં માનવાનું શરુ કેમ કરે છે? મારો જવાબ ટૂંકો અને સ્પષ્ટ છે. જેમ લોકો ભૂત, પ્રેતાત્મા વગરેમાં માને છે તેવી જ રીતે ઈશ્વર વિષે પણ માન્યતા ઉભી થઇ છે ને પ્રસર્યા કરે છે: એક જ ફરક એ છે કે ઈશ્વર વિષેની માન્યતા સાર્વત્રિક છે અને તેની પાછળ સુવિકસિત ધાર્મિક ફિલસૂફી છે. જો કે હું આવી ફિલસૂફી સાથે સંમત થતો નથી. તેની(ઈશ્વરની) વ્યુત્પત્તિ એ શોષણખોરોની લંપટાઈને આભારી છે. તેઓ એક સર્વોચ્ચ શક્તિનું અસ્તિત્વ હોવાનો પ્રચાર કરીને જનતાને પોતાની સત્તા હેઠળ દબાવીને રાખવા માંગતા હતા. આ રીતે ઈશ્વરી સત્તાનો અધિકૃત હક્ક પોતાની પાસે હોવાનો દાવો કરીને (સમાજમાં) વિશેષાધિકાર ભોગવતા રહ્યા. હું બધા જ ધર્મોના, સંપ્રદાયોના, ધાર્મિક ફિલસૂફીના કે આવી સંસ્થાઓના મૂળ મુદ્દાઓ સાથે અસંમત નથી થતો પણ લાંબા ગાળે તેઓ જુલમી, શોષણખોર વ્યક્તિઓ, સંસ્થાઓ અને વર્ગોના સમર્થકો કે પ્રતિનિધિ બની જાય છે. રાજાના સામે વિદ્રોહ કરવું તે દરેક ધર્મમાં હંમેશા પાપ જ ગણવામાં આવતું.

જ્યાં ઈશ્વરની વ્યુત્પત્તિની વાત છે ત્યાં મારો વિચાર છે કે જ્યારે માનવીને પોતાની નબળાઈ, ખામીઓ અને મર્યાદા વિષે ભાન થયું ત્યારે માનવીએ ઈશ્વરનું સર્જન પોતાની કલ્પનાઓથી કર્યું છે. આ રીતે તેને બધી જ કપરી પરિસ્થિતિનો અને જીવન દરમ્યાન આવતા બધા જ ડરનો સામનો કરવાની હિંમત મળી, અને તેને સમૃદ્ધિ અને સંપત્તિની (અસમાનતાની) વિરુદ્ધમાં ઊભરો દબાવી રાખવાનું કારણ પણ મળ્યું. ઈશ્વરને તેના ઉટપટાંગ કાયદા અને પૈતૃક ઉદારતા સાથે વિવિધરંગી કલ્પનાઓના રંગે સતત ચીતરવામાં આવ્યો. કોઈ વ્યક્તિ સમાજની સામે ભય ઉભો ન કરી શકે તે માટે ઈશ્વરનો ઉપયોગ દૈવી રોષ અને ઈશ્વરી કાયદાનું નામ લઈને પ્રતિબંધક પરિબળ તરીકે કરવામાં આવ્યો. ઈશ્વર દુર્દશા પામેલ આત્માના આક્રંદ માટે હતો કારણકે જ્યારે દુર્દશાનો સમય હોય અને વ્યક્તિ એકલવાયો અને અસહાય પડી જાય ત્યારે તે (ઈશ્વર)  માતા-પિતા, ભાઈ-બહેન કે મિત્ર તરીકે સાથે ઊભો રહી શકે. દુર્દશામાં રહેલા વ્યક્તિ માટે જ ઈશ્વર એક મદદરૂપ વિચાર છે.

જેમ સમાજ આંધળી મૂર્તિપૂજા અને ધર્મની સાંકડી વ્યાખ્યાઓનો વિરોધ કરે છે તે રીતે સમાજે ઈશ્વરમાં માન્યતાની સામે જ લડવું જોઈએ. આ રીતે માનવી પગભર થઇ શકશે. આ રીતે જ માનવી પોતાની શ્રદ્ધાને એક બાજુએ ફેંકીને બધી જ વિષમતાઓનો સામનો હિંમત અને બહાદુરીથી કરશે. અત્યારે મારા મગજમાં બિલકુલ આ જ છે. મારા મિત્રો, આ મારો ઘમંડ નથી, આ જ મારી વિચારવાની ઢબ છે જેના લીધે હું નાસ્તિક છું. મને નથી લાગતું કે હું ઈશ્વરમાં મારી માન્યતા મજબૂત કરીને અને તેને નિયમિતતાથી ભજીને, (આ મને કોઈ પણ વ્યક્તિ માટે બહુ નીચ ક્રિયા લાગે છે), હું મારી પરિસ્થિતિમાં કોઈ સુધારો લાવી શકું છું કે ન તો હું તેને વધુ બગાડી શકું છું. મેં ઘણા નાસ્તિકો વિષે બધી જ મુસીબતનો સામનો નીડરતાથી કરતા હોવાનું વાંચ્યું છે, તો હું ય છેક છેલ્લે સુધી મસ્તક ઉન્નત રાખીને પુરુષાતનથી ઊભો રહીશ, વધસ્તંભ ઉપર પણ.

ચાલો જોઈએ છીએ કે હું કેટલો મક્કમ છું. મારા એક મિત્રે મને પ્રાર્થના કરવાનું કહ્યું છે. મેં તેને જ્યારે મારી નાસ્તિકતા વિષે જણાવ્યું તો તે કહે, 'જ્યારે તારા છેલ્લા દિવસો આવશે, ત્યારે તું (ઈશ્વરમાં) માનવાનું શરુ કરીશ'. મેં કહ્યું, 'જી ના, મારા સાહેબ, એવું ક્યારેય નહિ બને. મને તે નીચ અને નૈતિક જુસ્સો તોડતું કામ લાગે છે. બસ, આવા જ સ્વાર્થી કારણો માટે, હું ક્યારેય કોઈને નહિ ભજું.' વાચકો અને મિત્રો, શું આ ઘમંડ છે? જો હોય તો હું તેમાં જ માનું છું.

------
આ લેખના ભાષાંતરની શરૂઆત એટલા માટે થઇ કારણકે મારે આ લેખ ધ્યાનથી વાંચવો હતો. ભાષાંતર કરીએ તો સૌથી વધારે ધ્યાનથી વાંચી શકાય. બસ, આ રીતે જ આ કામ હાથમાં લીધું. પહેલો ભાગનું ભાષાંતર કર્યા પછી જાણવા મળ્યું કે કે ગુજરાતીમાં ભગતસિંહના લખાણોનું વર્ષો પહેલા ભાષાંતર થયેલું, જે અપ્રાપ્ય છે. તેથી તો આ કામ કરવાની વધુ જરૂર લાગી. આ પહેલા મને ભગતસિંહની શહાદત વિશેની 'વાર્તા' ખબર હતી પણ તેમના વિચારો વિષે બહુ ખબર ન હતી. એવું લાગે છે કે આપણા સ્વતંત્રસેનાનીઓ રાજા-રાણી પ્રકારની વાર્તાઓના પાત્રો બની ગયા છે અને તેઓ ખરેખર શું માનતા કે વિચારતા, તેમાં કોઈને બહુ રસ હોતો નથી. પ્રવર્તમાન વિવિધ વિચારધારાઓના પડદા વડે તેમને ઢાંકવામાં આવે છે અને પોતપોતાના વિચારોને સંગત વ્યાજબી ઠરાવવામાં આવે છે. સૌથી મોટો પ્રશ્ન છે કે જે લોકો એ ભારતની સ્વતંત્રતા માટે જીવન આપ્યું, તેમના સ્વતંત્ર ભારતનું સ્વપ્ન કેવું હતું? અને એ સ્વપ્નની સરખામણીમાં અત્યારે ભારત કેવું છે? 
મને ભગતસિંહના વ્યક્તિત્વમાં બેહદ રસ પડ્યો છે. મોતની સજાની રાહ જોઇને બેઠેલો એક ત્રેવીસ વર્ષનો છોકરો,  પોતે શું માને છે, કેમ માને છે અને તેના વૈચારિક સંઘર્ષ શું છે તે જણાવવામાં તેને રસ છે. આદર્શવાદનો આડંબર નથી, કોઈ દેખાડો નથી પણ પોતે જે માને છે તે પ્રમાણે વર્તવા માટેનો સંઘર્ષ દેખાઈ આવે છે. કોઈની આંધળી ભક્તિ નહિ, ન ધર્મની, ન પોતાની વિચારધારાની, ન પોતાના મિત્રો વગેરેની. તેનામાં એક પ્રકારની પ્રૌઢતા છે, તાર્કિક શક્તિ છે, વિવિધ વિષયો પર પોતીકી દ્રષ્ટિ છે અને વગર વિચાર્યે કોઈ 'કંઠી' ન પહેરવાની સ્વતંત્ર બુદ્ધિક્ષમતા છે. આ બધા એક વિચક્ષણ નેતાના લક્ષણો છે. 
વળી પાછાં સમયનું વહેણ ભગતસિંહ સુધી ખેંચી લાવશે તો વધુ કામ કરીશું. ભાષાંતરની ભાષા વગેરે અંગે આપના સૂચન આવકાર્ય છે. પહેલી પોસ્ટ પછી મળેલા શુભવચનો અને સૂચનો માટે ખૂબ આભાર.

Saturday, February 11, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૧)

(One of the very few pictures of Bhagat Singh, (date is disputed) Source: Wikipedia article on Bhagat Singh)
મૂળ લેખ - નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા ૨૦૦૭માં પ્રસારિત, ડી.એન. ગુપ્તા સંપાદિત 'Bhagat Singh: Selected Speeches and Writings' પરથી.

ડી.એન.ગુપ્તાના કહેવા પ્રમાણે જેલમાં રહેલા ભગતસિંહ અને એક વૃદ્ધ કેદી વચ્ચે ચર્ચા થાય છે. પેલો કેદી ભગત સિંહને ધાર્મિક બનવાની સલાહ આપે છે અને એવું મહેણું પણ મારે છે કે જ્યારે અંત નજીક આવશે ત્યારે આપોઆપ ધાર્મિક બની જઈશ. જ્યારે ભગત સિંહના જિંદગીનો અંત નજીક હોય છે ત્યારે આ લેખ લખીને જેલ સત્તાવાળાથી છૂપાઈને તેમના પિતાજીને આપે છે. ભગતસિંહના પિતા લાલા લાજપતરાયે શરુ કરેલા સાપ્તાહિક 'ધ પીપલ'માં જૂન, ૧૯૩૧ના રોજ છપાવે છે. મૂળ લેખ પંજાબી ગુરુમુખીમાં લખાયો છે, જેનું ઉર્દુ અને પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. અહીં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયું છે. આ લેખની ત્રણ-ચાર આવૃત્તિઓ વિવિધ જગ્યાએથી મળી આવે છે. મેં અહીં મુખ્યત્વે ઉપર જણાવેલા પુસ્તક પરથી યથાયોગ્ય લાગ્યું તેવી રીતે ભાષાંતર કર્યું છે. ક્યારેક કૌંસમાં શબ્દો ઉમેરવાની કે ફકરા પાડવાની છૂટછાટ લીધેલી છે, પણ લખાણનાં મૂળ હાર્દને જેમનું તેમ જ રાખ્યું છે. કદાચ ભગતસિંહ પાસે આ લેખને મઠારવાનો સમય કે અનુકૂળતા નહિ હોય કે પછી વારંવાર ભાષાંતરને લીધે મૂળ લખાણનો લહેકો ખોવાયો હોય તેવું લાગે છે. મેં મારી જીજ્ઞાસા સંતોષવા અને આ વ્યક્તિને વધુ નજીકથી જાણવા માટે, ભાષાંતરના કામની કોઈ જ તાલીમ કે અનુભવ ન હોવા છતાં આ કામ હાથ ધરવાનું સાહસ કર્યું છે. ક્યાંક છબરડાં હોય તો ચોક્કસથી જણાવશો.

ફાંસીની સજાની રાહ જોઇને બેઠેલા ૨૩ વર્ષના છોકરડાએ આ લેખ લખ્યો છે. આ છોકરો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો 'શહીદ-એ-આઝમ' ન હોત તો પણ આ લેખ એટલો જ મહત્વનો છે. આ લેખ ખાસ્સો આત્મકથાનક છે. અહીં ભગતસિંહે પોતે કરેલું તેમના જીવનનું વર્ણન છે, પોતાની જાત સાથેના વૈચારિક સંઘર્ષનો એક પડઘો અહીં ઝીલાય છે. આ કોઈ ઉચ્ચ સ્થાનેથી બેસીને ઉપદેશ આપતો લેખક નથી પણ તમારી પાસે બેસીને 'લો કરું કોશિશ ને ફાવે તો કહું' કે 'કોઇ થોડું ખળભળાવે તો કહું' પ્રકારના લેખકનું લખાણ મને લાગે છે. લખાણમાં ભગતસિંહનું વ્યક્તિત્વ અને એક ઈમાનદારી ઝલકે છે અને તેથી જ અંગત રીતે આ લખાણની સરખામણી ગાંધીજીના 'સત્યના પ્રયોગો' સાથે થઇ જાય છે. તો હવે ભગતસિંહ પાસેથી સાંભળો કે તે કેમ નાસ્તિક છે. 

હું નાસ્તિક કેમ છું?
- ભગતસિંહ 
 
એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ. મને ક્યારેય એવું લાગતું નહોતું કે હું આ પ્રકારના વાદ-વિવાદમાં ઉતરીશ. મને બહુ જ ઓછા સમયથી જાણવા છતાં મારા અમુક મિત્રો (જો મારો મિત્રતાનો દાવો માન્ય રાખવામાં આવે તો)ની ચર્ચા પ્રમાણે તેઓ એવા ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મારી અ-ધાર્મિકતા (કે નાસ્તિકતા) એ મૂર્ખતા છે અને મારા અહંકારનું પરિણામ છે. આ ગંભીર પરિસ્થિતિ છે. હું કંઈ માનવીય બાલીશતાથી પર નથી. આખરે, હું ય માનવજાત જ છું અને તેનાથી વિશેષ કંઈ જ નથી. કોઈ તેનાથી વિશેષ હોવાનો દાવો જ ન કરી શકે. મારા વ્યક્તિત્વમાં એક ખામી છે જ, ગર્વ જેવો એક દુન્યવી ગુણ હું ય ધરાવું છું. મારા દોસ્તો મને સરમુખત્યાર કહે છે. ક્યારેક મને ફિશિયારીબાજ પણ કહેવામાં આવે છે. કેટલાક મને બહુ શેઠાઈ કરનાર માને છે, તો કોઈ કહે છે હું મારા વિચારો તેમની પર થોપું છું. હા, આ બધું કેટલીક હદ સુધી સાચું પણ છે. હું આ તહોમતને નકારી કાઢતો નથી. પણ જ્યારે આપણા સમાજના (ધાર્મિકતા જેવા) નકામા, કાલગ્રસ્ત, સડેલાં મૂલ્યોની વાત આવે છે, ત્યાં હું એકદમ વહેમી, સંશયી બની જાવું છું. (કારણકે) આ પ્રશ્ન મારા એકલા વિષે નથી. હું મારા વિચારો, મારા આદર્શો અંગે ગર્વ ધરાવું છું. એને ખાલી ગર્વ ન કહી શકાય. ગર્વ, કે પછી જો બીજો શબ્દ વાપરીએ તો, ઘમંડ, બંનેનો અર્થ થાય છે પોતાના વ્યક્તિત્વનું અતિશયોક્તિ ભર્યું નિદાન. શું મારી નાસ્તિકતા મારા મિથ્યા ગર્વને લીધે છે કે પછી લાંબુ અને ઊંડું વિચાર્યા બાદ મેં ઈશ્વરમાં માનવાનું બંધ કર્યું છે? આ અંગે હું મારા વિચારો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

હું એ સમજી શકતો નથી કે કેવી રીતે ઘમંડ કે ખાલી મિથ્યાભિમાન કોઈ વ્યક્તિને ભગવાન વિષે માનતા રોકી શકે. હું કોઈ સર્વશક્તિમાન વ્યક્તિની મહાનતાને ત્યારે જ નહિ સ્વીકારું કે જ્યારે કાં તો મને મારા પોતાના અથાગ પ્રયત્નોના લીધે ખ્યાતિ મળી હોય કે પછી હું મહાન બનવાની સર્વોચ્ચ માનસિક શક્તિઓથી વંચિત હોવ. આ સમજવું સહેલું છે. પણ એવું કેવી રીતે શક્ય છે કે કોઈ આસ્તિક પોતાના ઘમંડના લીધે નાસ્તિક બની જાય? બે જ વાતો શક્ય છે: કાં તો કોઈ માનવી પોતે દૈવી શક્તિ ધારણ કરે છે તેવું કહે કે પછી એક ડગલું આગળ વધીને તે પોતાની જાતને જ ભગવાન ગણાવે. આ બંને માન્યતાઓમાં જે-તે વ્યક્તિ ખરા અર્થમાં નાસ્તિક નથી. પહેલી પરિસ્થતિમાં એ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતો નથી;  જ્યારે બીજા કિસ્સામાં તો તે કોઈ પ્રકારની દૈવી શક્તિ દુનિયા ચલાવી રહી છે તેવી માન્યતાને સ્વીકારે છે. જો વ્યક્તિ પોતે ભગવાન હોવાનો દાવો કરે કે 'ભગવાનનું હોવું' તે સત્ય છે તે વાતનો સ્વીકાર કરે તો ય મારી દલીલ બદલાતી નથી. હકીકત એ છે કે બંને કિસ્સામાં તે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે. તે નાસ્તિક નથી. મારે આ મુદ્દો જ સમજાવો છે. હું આ બંનેમાંથી કોઈ પણ પ્રકારમાં નથી. હું સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વ-શક્તિમાન ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરું છું. એવું કેમ? તેની ચર્ચા હું આ લેખમાં પાછળથી કરીશ. અત્યારે મારે ફરી ભાર દઈને કહેવું છે કે હું નાસ્તિક છું તે પાછળનું કારણ મારું અભિમાન, ઘમંડ નથી; હું કોઈ દૈવી પુરુષ નથી, હું પયગંબર નથી, હું  પોતે ભગવાન પણ નથી. એક વાત સંપૂર્ણ સત્ય છે કે મારાં વિચારોની ઉત્પત્તિ મારા ઘમંડ કે ગર્વના લીધે નથી થઇ. આ પ્રશ્નના ઉત્તર માટે હું તેને સત્ય(ઘટનાઓ) સાથે સાંકળીશ.

મારા મિત્રો કહે છે દિલ્હી બોમ્બધડાકા અને લાહોર ષડ્યંત્ર કેસ પછી, હું પ્રસિદ્ધ થયો છું અને તેના લીધે મારું મગજ ફરી ગયું છે. આ આરોપ કેમ ખોટો છે, તેની ચર્ચા કરીએ. મેં ઈશ્વરમાં વિષે માનવાનું આ ઘટનાઓ પછી બંધ નથી કર્યું. હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય હું નાસ્તિક જ હતો. એક સામાન્ય કોલેજ જતો વિદ્યાર્થી પોતાના અંગે અતિશયોક્તિભર્યું ધારીને નાસ્તિકતા તરફ જઈ ન શકે. એ સાચું છે કે મારા અમુક શિક્ષકોમાં હું માનીતો હતો, પણ કંઈ બધા મને પસંદ કરતા નહોતા. હું કોઈ મહેનતુ કે ખંતીલો વિદ્યાર્થી પણ નહોતો. મને ક્યારેય ગર્વિષ્ઠ થવાની તક જ મળી નથી. હું મારા વહેવારમાં બહુ સાવધાન હતો ને મારા ભવિષ્યની કારકિર્દી અંગે લગભગ નિરાશાવાદી હતો. હું મારી માન્યતામાં સંપૂર્ણ નાસ્તિક પણ નહોતો. હું મારા પિતાજીની દેખરેખમાં મોટો થયો હતો. તેઓ ચુસ્ત આર્યસમાજી હતાં. એક આર્યસમાજી નાસ્તિક સિવાય કંઈ પણ બની શકે. મારા પ્રારંભિક શિક્ષણ બાદ, મને લાહોરની ડી.એ.વી. કોલેજમાં મોકલવામાં આવ્યો. હું બોર્ડીંગ હાઉસમાં એક વર્ષ રહ્યો. સવારની પ્રાર્થનાઓ સિવાય, સાંજે હું કલાકો સુધી ધાર્મિક મંત્રોનું પાઠ કરતો. એ વખતે, હું સંપૂર્ણ આસ્તિક હતો. ત્યારે હું મારા પિતાજી જોડે રહેતો હતો. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓમાં ખાસ્સા સહિષ્ણુ હતાં. તેમની પ્રેરણાના લીધે મેં મારું જીવન દેશને આઝાદ કરાવવા પાછળ કુરબાન કર્યું છે. પણ તેઓ નાસ્તિક નહોતા. તે ભગવાનને દુનિયાની સર્વોચ્ચ શક્તિ માનતા. તેમણે મને રોજ પ્રાર્થના કરવાની સલાહ આપેલી. આવી રીતે જ મને મોટો કરવામાં આવેલો. અસહકારની લડતના દિવસોમાં, નેશનલ કોલેજમાં મને પ્રવેશ મળ્યો. મારા આ કોલેજમાં રોકાણ દરમ્યાન મેં ધાર્મિક વિવાદ-વિમર્શ વિષે વિચારવાનું શરુ કર્યું અને હું ઈશ્વરના અસ્તિત્વ અંગે વધુ સંશયી બન્યો. તે હકીકત સિવાય, હું એમ કહી શકું કે એ વખતે મારી ઈશ્વરમાં માન્યતા મજબૂત બની હતી. મેં (શીખ માન્યતા મુજબ) દાઢી અને કેશ વધારેલા. આ બધું થયું છતાં હું મારી જાતને શીખ કે બીજા કોઈ ધર્મના સામર્થ્ય અંગે સ્પષ્ટ કરી શક્યો નહોતો. પણ મારી ઈશ્વરમાં શ્રદ્ધા અચલ, અફર હતી.

તે પછી હું ક્રાંતિકારી પાર્ટીમાં જોડાયો. હું જે પહેલા નેતાને મળ્યો, તેમની પાસે પોતાને ખુલ્લેઆમ નાસ્તિક ગણાવવાની હિંમત નહોતી. તે આ વિષયમાં કોઈ આખરી મત પર પહોંચ્યા નહોતા. મેં તેમને જ્યારે પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે પૂછ્યું તો તેમને મને આ જવાબ આપ્યો, 'જો તમારે ઈશ્વરમાં માનવું હોય તો માની શકો છો'. જે બીજા નેતાના હું સંપર્કમાં આવ્યો તે સંપૂર્ણપણે આસ્તિક હતાં. મારે તેમનું નામ કહેવું જોઈએ. તે હતાં અમારા સન્માનનીય બિરાદર સચિન્દ્ર નાથ સાન્યાલ. તેમને કરાંચી ષડ્યંત્ર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેમના પુસ્તક 'બંદી જીવન'ના પ્રથમ પાનાથી તેઓ ઈશ્વરની મહત્તાના ગુણગાન ગાય છે. આ પુસ્તકના બીજા ભાગનું છેલ્લું પાનું જોશો તો જાણે કોઈ સાધક ઈશ્વરના વખાણ કરતો હોય તેવું જણાશે. આ તેમના વિચારોનું સીધું પ્રતિબિંબ છે.

ફરિયાદી પક્ષના કહેવા પ્રમાણે, (અમારું) 'ક્રાંતિકારી ચોપાનિયું' કે જે દેશભરમાં વહેંચાયેલું તે સચિન્દ્ર નાથ સાન્યાલના બુદ્ધિશક્તિની મહેનતનું પરિણામ છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એવું ઘણીવાર બને છે કે નેતા પોતાના અંગત વિચારોને રજૂ કરે છે, જે તેમને પોતાને સ્પષ્ટ હોય છે પણ બીજા કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધ મતોને ખાળીને પણ (નેતાના) વિચારોને માનવા પડે છે. પેલા ચોપાનિયામાં, એક આખો ફકરો ઈશ્વરના વખાણ કરવામાં ફાળવાયેલો કે જેમાં આપણે માનવજાત ઈશ્વરની લીલા સમજી શકતા નથી તે પ્રકારની વાત હતી. આ તો ખુલ્લેઆમ ભક્તિભાવ જ હતો. હું એ વાત રજૂ કરવા માંગુ છું કે કોઈને પણ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરવાનું સુઝ્યું પણ નહિ. કાકોરીના બહુખ્યાત શહીદો, એ ચારેય જણાંએ પોતાના છેલ્લા દિવસો પ્રાર્થના કરીને વિતાવેલા. રામ પ્રસાદ બિસ્મિલ ચુસ્ત આર્યસમાજી હતાં. રાજન લાહિરી, તેમના સમાજવાદ અને સામ્યવાદના વિસ્તૃત અભ્યાસ બાદ પણ, ઉપનીષદો અને ગીતાના શ્લોકો ગાવાની ઈચ્છા દબાવી શકતા નહિ. તેઓમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ હતો કે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતો ન હતો. તે એવું કહેતો કે, 'ધર્મ એ માનવસ્વભાવની નબળાઈ કે માનવ સમજની મર્યાદાની નિષ્પત્તિ છે.' તેને પણ આજીવન કેદની સજા થઇ હતી. જો કે તેણે પણ ક્યારેય ઈશ્વરના અસ્તીસ્ત્વનો ઇન્કાર કર્યો નહિ.

ત્યાં સુધી હું એક ભાવનાશીલ ક્રાંતિકારી હતો, માત્ર મારા નેતાઓનો અનુયાયી. ત્યાર બાદ સમગ્ર જવાબદારીનું વહન કરવાનો સમય આવ્યો. કેટલાક સમય માટે, અમુક લોકોના મજબૂત વિરોધના લીધે પાર્ટીના અસ્તિત્વ પર જ ખતરો આવી પડ્યો. ઘણા નેતાઓ તથા ઉત્સાહી કાર્યકરોએ પાર્ટી અંગે મેણાં-ટોણાં મારવાંનું શરુ કર્યું. અમારી મજાક ઉડાવી. મને એ વખતે ક્યાંક એવી શંકા હતી કે એક દિવસ આ બધું વ્યર્થ અને મૂલ્યહીન લાગશે. પણ તે મારી ક્રાંતિકારી કારકિર્દીનો ટર્નિગ પોઈન્ટ હતો. મારા હૃદયમાં વધુ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. 'વધુને વધુ અભ્યાસ કર', તેવું મેં મારી જાતને કહ્યું કે જેથી હું મારા વિરોધીઓની દલીલોનો સામનો કરી શકું. 'અભ્યાસ કર' કે જેથી તું તારા વિચારોને વિશ્વાસપ્રદ દલીલોથી ટેકો આપી શકે. અને પછી મેં ગંભીરતાથી અભ્યાસ શરુ કર્યો. મારી પાછલી માન્યતાઓ અને ખાતરીઓમાં ધરમૂળથી બદલાવ આવ્યો. હિંસક લડતનો રોમાંચ અમારા પૂર્વગામીઓ પર હાવી હતો, હવે નવા ગંભીર વિચારોએ તેમની જગ્યા લીધી. હવે કોઈ ભક્તિભાવ નહિ, હવે કોઈ અંધશ્રધ્ધા નહિ. હવે વાસ્તવવાદ જ અમારા વિચારવાની પદ્ધતિ હતો. જ્યારે તીવ્ર જરૂરીયાત હોય ત્યારે જ આત્યંકિત પદ્ધતિનો સહારો લેવો, બાકી જન આંદોલનમાં હિંસાથી વિરોધી પરિણામો આવે છે. (જો કે) મેં અમારી પદ્ધતિઓ વિષે બહુ વાત કરી છે. સૌથી મહત્વની વાત હતી અમારી વિચારધારા અંગે સ્પષ્ટ વિભાવના, કે જેના માટે અમે લાંબી લડત લડી રહ્યા છીએ. ત્યારે કોઈ પણ ચૂંટણીની ગતિવિધિઓ ન હોવાથી, મને વિવિધ લેખકોના વિવિધ વિચારોનો અભ્યાસ કરવાની પૂરતી તક મળી. મેં અરાજકતાવાદી (રશિયન) નેતા બાકુનીનનો અભ્યાસ કર્યો. મેં સામ્યવાદના પિતામહ માર્ક્સના અમુક પુસ્તકો વાંચ્યા. મેં લેનિન અને ટ્રોટ્સ્કી અને બીજા દેશોમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવનાર ક્રાંતિકારી લેખકો વાંચ્યા. આ બધા નાસ્તિક હતાં. બાકુનીનના પુસ્તક 'ઈશ્વર અને રાજ્યસત્તા'ના વિચારો કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચતા નથી, છતાંય તે એક રસપ્રદ પુસ્તક છે. ત્યારબાદ હું નીર્લાંબા સ્વામીના પુસ્તક 'સામાન્ય બુદ્ધિ' (Common Sense)ના સંપર્કમાં આવ્યો. તેમનું વિશ્વદર્શન એક પ્રકારની આધ્યાત્મિક નાસ્તિકતાનું છે. મને આ વિષયમાં રસ પડ્યો. વર્ષ ૧૯૨૬ના અંત સુધી, મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયંત્રણ કરી રહ્યો છે તે માન્યતા કોઈ રીતે આધારભૂત નથી. મેં મારા મિત્રો સાથે ચર્ચા કરવાનું શરુ કર્યું. મેં મારી જાતને ખુલ્લી રીતે નાસ્તિક ઘોષિત કરી. તેનું શું પરિણામ આવ્યું તેની ચર્ચા હું આગળ કરી રહ્યો છું.

૧૯૨૭ના મે મહિનામાં લાહોરમાં મારી ધરપકડ થઇ. આ ધરપકડથી મને બહુ જ આશ્ચર્ય થયું. મને એવો કોઈ ખ્યાલ જ નહોતો કે પોલીસ માટે હું 'વોન્ટેડ' છું. હું એક બાગમાંથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક પોલીસે મને ચાર બાજુથી ઘેરી લીધો. એ વખતે મારી પોતાની ઠંડક જોઈને મને પણ આશ્ચર્ય થયું હતું. હું મારા પૂરા નિયંત્રણમાં હતો. મને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. બીજા દિવસે મને રેલ્વે પોલીસના લોક-અપમાં પૂરવામાં આવ્યો અને આખો મહિનો રાખવામાં આવ્યો. ઘણા દિવસો પછી પોલીસના માણસો સાથેની વાતચીતથી મને ખબર પડી કે તેમની પાસે મારા કાકોરી પાર્ટી સાથેના સંબંધો અંગે કૈંક માહિતી છે. મને એવું લાગ્યું કે તેમની પાસે મારી બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી પણ છે. તેમણે કહ્યું કે જ્યારે કાકોરી ષડ્યંત્ર અંગે ખટલો ચાલતો હતો ત્યારે હું લખનૌમાં હતો અને તે 'અપરાધીઓ'ને ભગાડવાની તજવીજમાં હતો. તેમણે એ પણ કહ્યું કે આ પ્લાનના આયોજન પછી, અમે કેટલાક બોમ્બ મેળવ્યા અને તેના ટેસ્ટીંગ માટે અમે દશેરાના (લીધે ભેગા થયેલા) ટોળામાં પણ ફોડ્યા હતાં. તેમણે મને ક્રાંતિકારી પાર્ટીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી દેવાથી છોડી મૂકવાની ઓફર પણ કરી. આ રીતે, હું બહાર જઈ શકીશ, મને ઇનામ મળશે અને મારે કોર્ટમાં અપ્રૂવર તરીકે રજૂ પણ નહિ થવું પડે. હું આ બધા પ્રસ્તાવો પર હસ્યા વિના રહી શક્યો નહિ. આ બધું જ બકવાસ હતું. અમારા જેવા વિચાર ધરાવનારા વ્યક્તિઓ પોતાના જ લોકોના નિર્દોષ ટોળાં પર બોમ્બ ફેંકતા નથી. એક વખત સી.આઈ.ડી.ના સીનીયર અફસર મી.ન્યુમેન મારી પાસે આવ્યા. સહાનુભૂતિના શબ્દોથી ભરેલી તે લાંબી વાતચીત દરમ્યાન, તેમને મને એ જેને દુખદ સમાચાર ગણાવતા હતાં તે કહ્યા કે જો હું તેમને તેમના કહ્યા પ્રમાણેનું સ્ટેટમેન્ટ નહિ આપું તો કાકોરી ષડ્યંત્ર હેઠળ મારા પર રાજદ્રોહના આરોપ સાથે અને દશેરાની ઘટનાને લઈને ખટલો ચાલશે. આ બાદ તેમણે જણાવ્યું કે તેમની પાસે મને ગુનેગાર સાબિત કરીને ફાંસીએ દેવા માટે પૂરતા પુરાવાઓ છે. 

હું સંપૂર્ણ રીતે નિર્દોષ હતો પણ મને ખબર હતી કે પોલીસ પાસે જો ધારે તો (મને ફાંસી દેવાની) પૂરતી સત્તા ધરાવે છે. એ જ દિવસે મને કેટલાક પોલીસ અફસરોએ દિવસમાં બે વાર નિયમિત રીતે પ્રાર્થના કરવા સમજાવ્યો. હું તો નાસ્તિક હતો. મેં વિચાર્યું કે આ મારી જાત જોડે નક્કી થઇ જવા દઈએ કે હું સુખ-શાંતિના દિવસોમાં જ મારી નાસ્તિકતાની ફિશિયારી મારું છું કે પછી કપરાં દિવસોમાં પણ હું મારી માન્યતાઓને સુદ્રઢ રીતે વળગી રહી શકું છું. મારી જાત જોડેના લાંબા સંઘર્ષ બાદ, હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે હું આસ્તિક હોવાનો દેખાવ કરી શકું નહિ કે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરી શકું તેમ નથી. ના, હું ક્યારેય તે કરી શક્યો ન હોત. આ કસોટીનો કાળ હતો અને હું તેમાં સફળતાથી પાર ઉતર્યો. મારા આ જ વિચારો છે. એક ક્ષણ માટે પણ મને મારું જીવન બચાવવાનો વિચાર નહિ આવ્યો. હું એક સાચો નાસ્તિક ત્યારે ય હતો અને હું એક નાસ્તિક અત્યારે પણ છું. આવી પરિસ્થિતિનો સામનો કરવો સહેલો નહિ હતો. શ્રધ્ધા કપરાં કાળમાંથી પસાર થવું સહેલું બનાવે છે અને ક્યારેક આનંદકારક પણ. માનવીને ભગવાનમાં મજબૂત સહારો મળી રહે છે અને ભગવાનનું નામ લેવામાં એક પ્રેરણાદાયી સાંત્વન પણ. જો ઈશ્વરમાં વિશ્વાસ ન હોય તો પોતે પોતાનો સહારો બન્યા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. આંધી-તોફાન અને વાવાઝોડાની સામે પોતાના પગ પર અડગ રહેવું તે કંઈ બચ્ચાંના ખેલ નથી. કપરામાં સમયમાં જે કંઈ બાકી બચ્યો હોય તે બધો ઘમંડ ઓગળી જાય છે અને માણસ પાસે સામાન્ય લોકોમાં સર્વમાન્ય વાતને ખાળવા માટેની હિંમત હોતી નથી. જો કોઈ વ્યક્તિ આવી માન્યતાઓ સામે બંડ પોકારી શકે તો આપણે માની લેવું જોઈએ કે આ કોઈ ઘમંડ નથી પણ તે વ્યક્તિ પાસે અસાધારણ શક્તિ છે.

અત્યારે આવી જ પરિસ્થિતિ છે. સૌથી પહેલાં, આપણને સૌને ખબર છે કે કોર્ટનો ચુકાદો શું આવવાનો છે. કદાચ એકાદ અઠવાડિયામાં તે જાહેર થશે. હું મારી જીંદગી એક આંદોલનના માટે ન્યોછાવર કરવાનો છું. આ સિવાય મારી પાસે શું સાંત્વન છે! એક શ્રધ્ધાળુ હિંદુ પુનર્જન્મ પામીને એક રાજા બનવાની આશા રાખી શકે; એક મુસ્લિમ કે ખ્રિસ્તી તેમની તકલીફ અને બલિદાનના લીધે સ્વર્ગમાં મળનારા આનંદ-પ્રમોદના સપનાં જોઈ શકે. હું ક્યા પ્રકારની આશા પંપાળું? મને ખબર છે કે અંત આવશે ત્યારે મારાં ગળાની આસપાસ એક ગાળિયો ભીંસાશે અને મારાં પગની નીચેથી પાટિયું હટી જશે. ચોક્કસ ધાર્મિક શબ્દો વાપરીએ તો, તે મારાં સંદતર સર્વનાશની (કયામતની) પળ હશે. મારો આત્મા શૂન્ય થઇ જશે. હું જો આ આખી વાત (મારાં સત્કર્મોના) 'વળતર'ની રીતે જોવાની હિંમત કરું, તો મને દેખાય છે કે કોઈ ભવ્ય અંત વિનાની મારી સંઘર્ષમય ટૂંકી જીંદગી એ જ મારું સાચું 'વળતર' છે. બસ, એટલું જ! અત્યારે કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર પામવાના સ્વાર્થી પ્રયોજન વગર, બહુ જ નીરસતાથી મેં મારી જીંદગી આઝાદીના કાજે અર્પણ કરી છે. હું બીજું કશું કરી જ ન શક્યો હોત. આઝાદીના નવા યુગનું પ્રભાત જરૂર ઉઘડશે કે જ્યારે માનવતાની સેવાના વિચારમાંથી હિંમત એકઠી કરીને અને જોર-જુલમથી છૂટકારો મેળવવા માટે, મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ એવું નક્કી કરશે કે આ આંદોલનના ઉદ્દેશ પર જીવન ન્યોછાવર કરવા સિવાય બીજો કોઈ આરો નથી. એ ભેગા થઈને જુલમી, દમનકારી, શોષણકર્તાઓ સામે યુદ્ધ છેડશે, રાજા કે રાણી બનવા માટે નહિ, કે કોઈ વળતર અત્યારે કે આવતા જન્મમાં મેળવવા નહિ કે મર્યા પછી સ્વર્ગ પામવા નહિ; પણ ગુલામીની જંજીરો ફગાવી દેવા માટે, સ્વતંત્રતા અને શાંતિની સ્થાપના માટે, એ લોકો આ જોખમી પણ યશસ્વી માર્ગ ખેડશે. શું પોતાના ઉદ્દેશો પર તેમના ગર્વને ઘમંડ કહી શકાય? કોણ એવું વાહિયાત છે કે જે આમ કહી શકે? હું તેને કહીશ કે તે મૂર્ખ અને દુષ્ટ છે. આવી વ્યક્તિની ઉપેક્ષા જ કરી શકાય કે જેને હૃદયમાંથી ઉઠતી આ વાતનું ઊંડાણ, લાગણીઓ, અભિવ્યક્તિ અને ઉમદા ભાવના સમજાતી નથી. તેનું હર્દય મૃત છે, એક હાડ-માંસનો લાગણી વિનાનો ઢગલો. તેની માન્યતાઓ ઢચુપચુ છે અને લાગણીઓ રુક્ષ છે. તેના સ્થાપિત હિતો તેને સત્ય જોવા માટે સક્ષમ બનાવતા નથી. ખેર, આપણી માન્યતાઓમાંથી જ્યારે પણ આપણે હિંમત મેળવીએ છીએ ત્યારે આ રીતે ઘમંડી હોવાની ઉપાધિ મળી જાય છે.

જો તમે લોકપ્રિય લાગણીઓની વિરુદ્ધમાં જાઓ; જો તમે કે એક હીરોની ટીકા કરો, એક મહાન માણસ કે જેને સામાન્ય રીતે બધી જ ટીકાઓથી પર ગણવામાં આવે છે. તો શું થાય છે? કોઈ તમારી દલીલોનો જવાબ વિવેકબુદ્ધિથી નહિ આપી શકે; તેને બદલે તમને ખોટી ડંફાસ મારનાર ધારી લેવામાં આવશે. આવું થવાનું કારણ માનસિક મંદતા છે. દયાહીન ટીકા અને સ્વતંત્ર વિચારશક્તિ એ ક્રાંતિકારી વિચારધારાના બે મહત્વના લક્ષણ છે. જેમકે મહાત્માજી (ગાંધીજી) મહાન છે, તેઓ ટીકાઓથી પર છે અને તેઓ આ બધી બાબતોથી ઉપર ઉઠી ચુક્યા છે, તેઓ રાજકારણ, ધર્મ કે નૈતિકતાની બાબતમાં જે કંઈ પણ કહે છે તે જ સત્ય છે. તમે સહમત થાઓ કે નહિ, આ સત્ય માનવા તમે બંધાયેલા છો. આ બહુ રચનાત્મક વિચારશીલતા નથી. એવું પણ બને કે આપણે એક ડગલું આગળ માંડીએ ને અમુક ડગલાં પાછળ પણ જઈએ.

આપણા પૂર્વજોએ ધર્મ કે શ્રદ્ધાને કોઈક પ્રકારની સર્વોચ્ચ શક્તિમાં રૂપાંતરિત કરી નાખી છે. તેથી જ તો, જે પણ શ્રદ્ધાની પ્રમાણભૂતતાને પડકારે કે ઈશ્વરના અસ્તિત્વને નકારે, તેને કાફર કે વિશ્વાસઘાતી કે દ્રોહી ગણવામાં આવે. ભલે પછી તેની દલીલો એટલી મજબૂત હોય કે તેને નકારી ન શકાય, ભલેને પછી તેનો આદર્શ એટલો મજબૂત હોય કે તેને સર્વશક્તિમાનના શ્રાપને લીધે આવતી બદકિસ્મતીઓની ધમકીઓ આપીને ઘૂંટણીયે ન પાડી શકાય, તો પછી તેને ઘમંડી કહીને ઉતારી પાડવામાં આવે છે. જો આમ થતું હોય તો શા માટે આ પ્રકારની ચર્ચામાં મારે મારો સમય બગાડવો? જો કે આપ લોકો સમક્ષ આ પ્રશ્ન પ્રથમ વખત આવ્યો છે એટલે મને આટલી લાંબી ચર્ચાની જરૂરીયાત અને ઉપયોગીતા લાગી.  

જ્યાં સુધી આ પહેલા પ્રશ્નનો સવાલ છે, ત્યાં મને લાગે છે કે મેં સ્પષ્ટ કર્યું છે કે હું કોઈ ઘમંડને લીધે નાસ્તિક નથી બન્યો. હું નહિ માત્ર મારા વાચકો જ નક્કી કરશે કે મારી દલીલોનું વજન પડે છે નહિ. હું જો ઈશ્વરમાં માનતો હોત તો, મને ખબર છે કે વર્તમાન પરિસ્થિતિમાં મારી જીંદગી સહેલી બની હોત, આ બોજ કૈંક હળવો બન્યો હોત. મારાં ઈશ્વરમાં અવિશ્વાસને કારણે બધી જ પરિસ્થિતિઓ વિકટ ભાસે છે અને આગળ પણ બધું વધુ ખરાબ જ થશે. થોડા ભક્તિભાવવાળા બનવાથી આવી પરિસ્થિતિને કાવ્યાત્મક વળાંક આપી શકાય. પણ મને મારાં અંત સાથેની મુલાકાત માટે કોઈ અફીણની જરૂર નથી. હું વાસ્તવવાદી વ્યક્તિ છું. હું વિવેકબુદ્ધિની મદદથી હું આવા વલણ પર વિજય મેળવવા ઈચ્છું છું. હું મારાં પ્રયત્નોમાં હંમેશા સફળ થતો નથી. પણ માનવીનું કર્તવ્ય છે કે પ્રયત્નો કરવા. સફળતાનો આધાર મળતી તકો અને બનતી પરિસ્થિતિઓ પર હોય છે.

(આ સળંગ નિબંધ છે, પણ આ બ્લોગ માટે પોસ્ટ બહુ જ લાંબી થઇ જતી હોવાથી આ બે ભાગ પાડ્યા છે. આ ભાગમાં ભગતસિંહ મોટેભાગે તેની નાસ્તિકતા ઘમંડને કારણે નથી તેની ચર્ચા કરે છે, જ્યારે બીજા ભાગમાં તે નાસ્તિકતા ઘમંડને કારણે નથી તો ક્યા કારણે છે તે વિષે લખે છે. બીજો ભાગ જોવા મળશે: http://charkho.blogspot.co.uk/2012/02/blog-post_24.html