Showing posts with label essay. Show all posts
Showing posts with label essay. Show all posts

Sunday, April 03, 2016

છઠ્ઠું વર્ષ અને 150મી પોસ્ટ: એકવીસમી સદીમાં ગુજરાતી લેખક અને વાચક!

1લી એપ્રિલ, 2010ના 'ફૂલ્સ ડે'ના પવિત્ર દિવસે હસતાં-હસતાં આ બ્લોગ શરુ કરેલો. હવે રમતાં-રમતાં 6 વર્ષ પુરા થયા. ત્યારે પણ 'લખતાં' નહોતું આવડતું, આજે પણ કદાચ નથી આવડતું! ત્યારે ય પણ ક્યારેક ઝીણું તો ક્યારેક જાડું કંતાતું હતું, આજે પણ! આ છ વર્ષમાં ગોકળગાયની ગતિએ 150 પોસ્ટ પૂરી કરી. ઇન ફેક્ટ, 150મી પોસ્ટ પૂરી કરી રહ્યો છું. આજે 150મી પોસ્ટ મારા બ્લોગના જન્મદિને (જન્મ અઠવાડિયે) એક્સક્લુઝીવલી માત્ર બ્લોગ પર મૂકી રહ્યો છું. આ 150 પોસ્ટમાં 'નવગુજરાત સમય' માટે લખેલી લગભગ પચાસ અને ડીએનએ માટે લખેલી લગભગ ત્રીસ પોસ્ટ અંગ્રેજીમાં પણ છે. આ ઉપરાંત સ્ક્રોલમાં (scroll.in) લખ્યું, સાર્થક 'જલસો'માં લખ્યું, નિરીક્ષકમાં લખ્યું. કોઈકે સામેથી હક અને હઠ કરીને લેખ માંગ્યા તો કોઈકે પૂછ્યા વિના કંઇક છાપી નાખ્યું. કોઈકે એવો આગ્રહ રાખ્યો કે મારે મારું લખેલું છપાવવા તેમની કુરનીશ બજાવવી જોઈએ. જો કે,  મોટેભાગે સારા અનુભવો જ થયા છે. ઘણાં નવા મિત્રો મળ્યા છે, ઘણી નવી સમજ કેળવાઈ છે, જે સૌથી મોટી મૂડી છે. 

પ્રોફેશનલ લેખકોની - કટાર લેખકોની જીંદગી આકરી હોય છે. ફૂલ ટાઈમ નોકરી અને પાર્ટ ટાઈમ પ્રવાસો સાથે નિયમિત કોલમ લખવાની શિસ્ત કેળવવી અઘરી હોય છે. વળી, 2010થી યુનિકોડના આવવા પછી ગુજરાતી લેખકો, કવિઓની સંખ્યામાં જે સતત વધારો થયો છે, જે જોતાં એવું લાગે છે કે આજે લેખકોની સંખ્યા વાચકો કરતાં વધારે છે. સાથે સાથે, મમળાવીને વાંચવું ગમે તે પ્રકારના લખાણો ઘટતાં જાય છે. છેલ્લે, તમે ભીજવતું કે દઝાડતું લખાણ ક્યારે વાંચેલું? મનોજ ખંડેરિયા તેમની લોકપ્રિય ગઝલમાં કહે છે તેમ પકડો કલમને કોઈ પળે, હાથ આખેઆખો બળે - તેવું બને છે? અને એવું બને તો શું લેખકની લ્હાય વાચક સુધી પહોંચે છે? લેખકની ગમે તેવી લ્હાય હોય પણ શું વાચક તેને સાહીઠ સેકંડથી વધારેનો એટેન્શન સ્પાન આપી શકે છે?

એક વાર 'લેખક' બની ગયા પછી, ઘણાં બીજા કોઈકે લખેલું વાંચવાનું છોડી દે છે પણ બીજા પોતાનું વાંચ્યા કરે તેવો આગ્રહ રાખે છે. દર અઠવાડિયે નવા વિચારો, નવી સામગ્રી,  મૌલિક લેખો વગેરે લાવવું અઘરું હોય છે. કેટલીક વાર કોઈક નવો મુદ્દો આવે ત્યારે વાચક તરીકે આપણને ખબર જ હોય છે કે આ વિષે કોણ શું લખશે. અને કમનસીબે, આ અનુમાન ખોટું પડતું નથી.  માન્યું કે મોટાભાગના લેખકોનું એક પ્રકારનું સામાજિક-રાજકીય વલણ હોય છે પણ તેની અંદર પણ તાજગી,  મૌલિકતા હોઈ શકે! આજે મને સરેરાશ ગુજરાતી લેખક એક તરફ સેલ્ફી-ગ્રસ્ત અવસ્થામાં પોતાનાં લખાણને પ્રમોટ કરતો દેખાય છે તો બીજી બાજુ વાચકોને લુભાવવા અને ખુશ રાખવા આગ્રહ કરીને પીરસતો પીરસણિયો થઇ ગયો છે. ફરક માત્ર એક જ છે કે કોઈનો શો રૂમ હોય છે, કોઈની દુકાન હોય છે અને કોઈની લારી - બાકી અલગ અલગ પ્રકારની દુકાનદારીની અપેક્ષા તો દરેક લેખક પાસેથી હોય છે. ક્યારેક તો લેખકની બનવાની તૈયારી કરતાં   દુકાનદારીની તૈયારી વધુ મજબૂત હોય છે.

સાથે સાથે મને છેલ્લા છ વર્ષમાં એ પણ ખૂંચે છે કે ગુજરાતી લેખનમાં રૂઢિચુસ્તતાનો ઉત્સવ લોકપ્રિય થઇ રહ્યો છે! સમાજના અને રાજકારણના સ્થાપિત હિતોને સ્વીકારી લેવાની અને બને તો તેનું મહાત્મ્ય કરવાની ફેશન ચાલે છે. આધુનિક, પ્રગતિશીલ, ખુલ્લું દિમાગ ધરાવતાં, ઉદાર મતના લેખકોની સંખ્યા ગુજરાતમાં કેટલી? શું આજે આપણાં એક સરેરાશ લેખકને પોતાની જાતિ-જ્ઞાતિ, લિંગ, ધર્મ, રંગ વગેરેમાંથી ઉદ્ભવતા સહજ પક્ષપાતો અને પૂર્વગ્રહોની જાણકારી હોય છે? શું આ લેખક સમજે છે કે તેની પોતાની સામાજિક પરિસ્થિતિના લીધે સહજ રીતે મળતાં પ્રિવિલેજ કેટલાં છે? અને પોતાને સહજ રીતે મળતાં સામાજિક વિશેષાધિકારોનો (પ્રીવીલેજીસનો) ઉપયોગ કરીને તે શું મેળવે છે? અને જે તે મેળવી લીધા પછી તે કોની પીઠ થાબડે છે? આ બધા અઘરા પ્રશ્નો છે. અને અઘરા પ્રશ્નોનો જવાબ અઘરો હોય છે. અઘરા જવાબોમાં મંથન-ચિંતન-વલોપાત હોય છે. ચાલો, આજે તમે  આધુનિક કે પ્રગતિશીલ વિચારોથી કેળવાયા ન હોય તે બની શકે પણ, કમ સે કમ તમારો કોઈ ઈમાનદાર વલોપાત કે અસલ વૈચારિક સંઘર્ષ તો હોઈ શકે ને! પણ લેખક પાસેથી અપેક્ષા હોય છે કે તે નિર્વાણ પામેલ દૈવી આત્માની જેમ ઊંચા આસનેથી બેસીને પ્રવચન આપે, દરેક મુદ્દાનું 'સનાતન સત્ય' પ્રગટ કરે. તેમાં વિચાર-વલોપાતનું કોઈ સ્થાન હોતું નથી. વધુમાં, તે માની લીધેલા અદ્રશ્ય રાજકીય શત્રુઓના ગાભાં કાઢી નાખે, બેન્ડ બજાવી દે. પછી તાળીઓનો ગડગડાટ થાય, શો પૂરો થાય. પેલો દૈવી આત્મા હવે નવરો પડે છે. વાચકો પોતાના બ્રાઉઝરમાં હવે બીજી નવી વિન્ડો ખોલે છે.

લેખક હવે દુકાનદાર, દૈવી આત્મા અને જાદુગરનું મિશ્રણ ધરાવતો બહુરુપીયો છે. વાચક હવે  ગ્રાહક, ભક્તગણ અને પ્રેક્ષકનું મિશ્રણ ધરાવતો બીજો બહુરુપીયો છે. લેખકની દુકાનનું કાઉન્ટર, ઉંચું આસન કે સ્ટેજ ઓળંગી શકવાની સંભાવના કેટલી? વાચકની બે હાથ જોડીને બેસી રહેવાની કે તાળીઓ પડવાની જગ્યાએ ઉભા થઈને  સવાલ પૂછવાની ભૂમિકા હોઈ શકે કે નહિ? લેખક 'આવું જ ખપે છે' તેમ  માનીને  ગુણવત્તા સાથે બાંધછોડ કરતો  થઇ જાય છે અને વાચક પણ બધી જ બાંધછોડો સ્વીકારી લે છે. મરીઝ કહે છે કે તેમ - તમે પણ કોઈ વાત મનથી ન કીધી અને અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યા. મને આ લેખક અને વાચક બંનેના બીબાંઢાળ રૂપ ખૂંચે છે. સરેરાશ લેખકની મીડીયોક્રિટી (mediocrity) અને સરેરાશ વાચકની પેસીવીટી (passivity) ખૂંચે છે. લેખક અને વાચક બંનેને માટે આ જડ ભૂમિકાને લાંઘવી જરૂરી છે. આ પ્રકારનું ઉલ્લંઘન (transgression) સ્વસ્થ સમાજની નિશાની હોય છે. એકવીસમી સદીમાં શું કોઈ લખાણ તમારા મગજના અંધારા ખૂણામાં રહેલા ન્યુરોન્સને અજવાળી શકે છે કે તે અંધારા ખૂણા પર દરવાજો જડીને સદાય માટે તાળું જડી દે છે? આ પૂછવા જેવો પ્રશ્ન હોય છે.

છ વર્ષમાં રાજકીય-સામાજિક ક્ષેત્રે ઘણું બદલાયું છે. 'ગરીબોના હાથ' વાળી સરકાર ગઈ અને 'અચ્છે દિન' વાળી સરકાર આવી છે. આ સાથે રાજકીય ધ્રુવીકરણ પણ જબરજસ્ત થયું છે. તમે ક્યાં તો અમારી સાથે છો અથવા વિરુદ્ધ! મધ્યમ માર્ગનો, મધ્યમાં રહેલી રાજકીય સ્પેસનો વિલય થયો છે. લેખક અને વાચક બંનેને આજે પક્ષાપક્ષીની રમત રમવી પડે છે. ઘટનાઓ બદલાય છે પણ તેમનું વિશ્લેષણ બદલાતું નથી. આ પક્ષાપક્ષીની રમતમાં સૌથી પહેલી ખુવારી સત્ય અને તર્કબુદ્ધિની થતી હોય છે. અત્યારે આપણે જે પ્રકારના રાજકીય લોલકમાં છીએ તેમાં આ ધ્રુવીકરણ ખુવાર થાય તે પહેલાં થોડા વર્ષ માટે વધવાનું છે. ત્યારે લેખકે અને વાચકે એ નક્કી કરવાનું છે કે તેઓ રાજકીય લોલકમાં લોલમલોલ થવું છે કે પછી લોલકગતિની બહાર ઉભા રહેવું છે. નીચે વાંચો રમેશ પારેખને! આ કરવું અઘરું હોય છે. પણ જીંદગી ક્યાં સહેલી હોય છે? સહેલી તો સુરજ બરજાત્યાની ફિલ્મો હોય છે!


બધાને આવતો સરખો વિચાર હોઈ શકું, 
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું; 
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો, 
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું ! 
 -રમેશ પારેખ

દરેક ટીકા કે ટિપ્પણ નવા વિચારનું, નવી વિભાવનાનું સ્વાગત કરે છે. મારી સમકાલીન લખાણો માટેની ટીકા-ટીપ્પણી તે મારો આખરી ચુકાદો નથી પણ મારું વિચાર દ્વંદ્વ છે. છેલ્લા છ વર્ષમાં થયેલા સ્વપ્નભંગની સૂચી છે. ઘણી શક્યતાઓ ધરાવતા ટેલેન્ટેડ લેખકોને 'સેટલ' થવાની લ્હ્યાયમાં ભેખડે ભરાતાં જોયા છે. આ લેખક અને વાચક જગતના પ્રવાહો ગુજરાત સુધી સીમિત નથી. તેથી આ ગુજરાતી અસ્મિતાની ક્રાઈસીસ નથી. આ ક્રાઈસીસ એકવીસમી સદી માટે સુસંગત લખાણના વિચારબીજની છે. આ ક્રાઈસીસ લોલકગતિની નિર્ધારિત ગતિને નહિ પડકારી શકવાથી ઉભી થઇ છે. આ એકવીસમી સદીના લેખક અને વાચકની એક્ઝીસ્ટેનશીયલ ક્રાઈસીસ છે. એક લખાણને સાહિત્ય બનવા માટે લાંબી મજલ કાપવી પડતી હોય છે. આ મજલ કાપવા માટે જે સાહસીઓ નીકળ્યા હોય તેમને 'ઓલ ધ બેસ્ટ' અને આ મજલમાં જે જલ્દી થાકી જવાના હોય તેમને 'બક અપ'. ફરી મનોજ ખંડેરિયાને યાદ કરીએ તો એવું પણ બને કે અડધા રસ્તે રસ્તોને ભોમિયા બંને છેતરે અને એવું પણ બને કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું વળે. ખેર, લેખક અને વાચક બંને ને તેમની લાંબી ઉંચી ઉડાન મુબારક અને ગમતીલો મુકામ મુબારક! મુબારકબાદી સાથે નીચેની કવિતા બંધ બેસે છે. આ આર્થર સ્કીત્ઝ્લરે 1898માં લખેલી કવિતા વિયેના શહેરના લિયોપોલ્ડ મ્યુઝીયમમાં છે.


સત્યનું હાર્દ તેને જ મળે છે જે તેને શોધવા નીકળે છે. 
સ્વપ્ન અને  જાગૃતિની જેમ જ એકબીજાની અંદર એકધારા વહે છે,
સત્ય અને જૂઠ. કશું ય નિર્ધારિત ક્યાં હોય છે.
આપણે ક્યાં બીજાને કે પોતાની જાતને ઓળખી શકીએ છીએ.
આપણે તો રમતમાં રચ્યા રહીએ છીએ - અને જે આ જાણે તે ખરો ચતુર સુજાણ.

છેલ્લે, એક નાની ફોટોગ્રાફિક રમૂજ - વિયેના શહેરના અનેક પેડેસ્ટ્રિઅન ક્રોસિંગ આ પ્રકારની ગ્રીન લાઈટ મૂકીને સજાતીય સબંધોના સર્વત્ર સ્વીકાર માટેની પેરવી કરવામાં આવે છે. યોગનુયોગ, આ ફોટોગ્રાફ પર વેલેન્ટાઈન દિવસ (14 ફેબ્રુઆરી, 2016) પર લેવામાં આવ્યો છે.

Monday, January 20, 2014

માણસમાંથી જણસ - સુંદરતાના વિકૃત માપદંડો અને ફોટોશોપીય ખેંચતાણ

સ્ત્રી-શરીરને આગળ ધરીને દુનિયાની બધી પેદાશો અને આડપેદાશો વેચવા કાઢવામાં આવે છે. શેવિંગક્રીમથી લઈને કાર સુધીના ધંધા માટે સ્ત્રી-શરીરને આગળ ધરવાની જરૂર પડે છે. ચીકની ચમેલીથી લઈને શીલાકી જવાની દ્વારા ફિલ્મો વેચવામાંઆવે છે. આ ફિલ્મો-ગીતોની સફળતા દ્વારા સ્ત્રી-શરીરની નુમાઈશને જાહેર રીતે સામાજિક-સાંસ્કૃતિક મંજૂરી મળે છે અને આ ગીતોના શબ્દો રોજબરોજની બોલચાલની ભાષામાં પ્રવેશે છે. પછી જ્યારે બાળકીથી માંડીને વૃદ્ધા પર બળાત્કાર થાય કે તેમની છેડતી કરવામાં આવે તો આપણને નવાઈ લાગે છે કે પુરુષ આટલો હેવાન કેમ બને છે?  આ સ્ત્રી-વિરોધી (misogynist) માનસ કેવી રીતે આકાર પામે છે કે જે પુરુષને સ્ત્રી સામે હિંસા (બળાત્કાર કે છેડતી સહીત) સુધી દોરી જાય છે, તે સમજવા માટે આસપાસ નજર જ નાખવાની જરૂર છે.
Outright sexist advts from the past decades - 1
આજકાલ તો સ્ત્રી-શરીર પ્રદર્શનની તરફેણમાં 'નવી પેઢી'ના નામે વિકૃત દલીલો પણ કરવામાં આવે છે. સ્ત્રી-શરીરનું પ્રદર્શન મુક્ત રીતે થવી જોઈએ તેવું કેટલાક લોકો ફોરવર્ડ, આધુનિક, નવી પેઢીના કે યુવાન હોવાનાં અભરખામાં માને છે. હા, વાત સાચી છે કે જે લોકો મનથી રૂઢીચુસ્ત હોય તેમને આધુનિક કે 'બ્રોડ માઈન્ડેડ' દેખાવાનો બહુ અભરખો હોય છે. સ્ત્રી-પુરુષના સંબંધો વિષે, સેક્સ વિષે અને સ્ત્રી-શરીરની નુમાઈશ વિષે વાત કરો એટલે ફોરવર્ડ કે યુવાન (કે બંને) હોવાનો ભ્રમ ઉભો કરી શકાય છે. અહીં બારીક વાત એ છે કે સ્ત્રી-શરીર કે માનવ-શરીર પ્રદર્શન માત્ર સામે વાંધો નથી પણ એ સમજવું ઘટે છે કે આ પ્રદર્શન કોણ કરે છે, શા માટે કરે છે, કોણ કરાવે છે અને ક્યા હેતુથી કરાવે છે. આ પ્રદર્શન કરવાથી 'સ્ત્રી એટલે શરીર' કે ' સ્ત્રી એટલે ઉપભોગની વસ્તુ' - આ સરળીકરણ બહુ જડબેસલાક સ્થાપિત થઇ ગયું છે. શું સ્ત્રી-શરીરનો દેખાડો 'સ્ત્રી એટલે શરીર' જેવા દ્રષ્ટિકોણને વધુ પ્રસ્થાપિત કરે છે કે પછી 'સ્ત્રી એટલે વ્યક્તિ, માત્ર શરીર' નહિ તે સમજવામાં મદદ કરે છે? સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાની પ્રક્રિયામાં પોતે કેવી રીતે ભાગ ભજવે છે આ પોતાની રીતે દરેક વ્યક્તિએ - પુરુષે તપાસી લેવું જોઈએ. સ્ત્રીનું વ્યક્તિત્વ તેની શારીરિક કે ભૌતિક સીમાઓથી ઊંચું હોય તો પણ તેને તેના શરીરને આધારે જ મૂલવવામાં આવે ત્યારે સમાજ પરિપક્વ હોવા અંગે શંકા જાગે.
Outright sexist advts from the past decades - 2
સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદનો પ્રસાર એટલો મોટો હોય છે કે કોઈ સંસ્કૃતિના રક્ષણકારો માટે તેનો મુકાબલો કરવો અઘરો હોય છે. પણ સ્ત્રીઓને 'કાબૂમાં રાખવાનો' ભ્રમ પાળવો સહેલો હોય છે. સ્ત્રીઓ પર થતી હિંસાનો 'બહાદુરી'થી મુકાબલો કરવા માટે સ્ત્રીઓના આવાગમન પર, તેમની નોકરી કરવા પર, તેમના કપડાં પર કે તેમને મોબાઈલ રાખવા સુધ્ધાં પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ પ્રતિબંધોને સામાજિક મર્યાદા જેવા રુપકડાં નામોથી સજાવવામાં આવે છે. પપ્પાના કહ્યા મુજબ પીન્કી સાંજે સાત વાગે ઘરે પાછી ફરે છે ત્યારે પપ્પા અને મમ્મી ટીવી પર કોમેડી સર્કસ પર કોઈ સેક્સીસ્ટ જોક પર હસતાં હોય છે. સ્ત્રી જાત પર, ખાસ તો પત્નીના નામે ઉડાવાતી ખીલ્લી દ્વારા લૈંગિક ભેદભાવો બહુ અસરકારક રીતે ઊંડા થાય છે. કોઈને હીણા, નીચા કે નકામાં ચીતરવા હોય તો તેમની મજાક બનાવવી સહેલો અને અકસીર ઉપાય છે. સ્ત્રીને કાબૂમાં રાખવાથી આખરે સંસ્કૃતિ 'બચી જતી' હશે પણ જો કે સ્ત્રીઓ વિરુદ્ધની હિંસા રોકાતી નથી. આવાગમન, કપડાં, વાણી-વર્તન-વ્યવહારમાં પોતાનું કહ્યું માનતી સ્ત્રીઓને દેવીનું બિરૂદ મળે છે અને સવારથી સાંજ રસોડામાં મજૂરી કરતી અને તૈયાર ભાણે ગરમ-ગરમ રોટલી પીરસતી સ્ત્રીને અન્નપુર્ણાનું બીરૂદ મળે છે. આવા બિરૂદો સ્ત્રીની સામાજિક મૂડી (સોશિયલ કેપીટલ, યુ નો!) છે, જેનો ભાર વેંઢારીને તે જીવન પસાર કરે છે. પોતાના પર આટલું વીતી ચુકેલી સ્ત્રીઓની જૂની પેઢી, નવી પેઢી પાસે પણ પોતે જે રીતે પિતૃસત્તાક મૂલ્યોનું પાલન કર્યું તે પ્રમાણે જ તેનું પાલન થાય તેવી 'પરંપરા' જાળવી રાખવાનો આગ્રહ રાખે છે.

સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદની વચ્ચે પોતાનાં સ્વતંત્ર વિચારો કે વ્યક્તિત્વની સાથે સુમેળ ધરાવતાં, આત્મવિશ્વાસ કે આત્મશક્તિસંપન્ન (empowered) પાત્રોની ભયંકર કમી આજકાલના ટીવી-મીડિયા-ફિલ્મમાં જોવા મળે છે. પિતૃસત્તાક વાતાવરણની મધ્યેથી ફૂટી નીકળતાં આત્મ-સત્તાક સ્ત્રી અને પુરુષ પાત્રોની ગંભીર અછત છે. યુવાનો અને યુવતીઓએ વિજાતીય સંબંધોના તાણાવાણા સમજવા માટે કોઈ સ્ટીરીયોટાઈપથી અલગ કંઇક હોવું જોઈએ કે નહિ? અનુરાગ કશ્યપ, અભિષેક ચૌબે અને દીબાકર બેનર્જી જેવા જૂજ ફિલ્મકારોએ આત્મ-શક્તિસંપન્ન સ્ત્રી-પુરુષ પાત્રો વચ્ચે સર્જાતાં જાતીય સંબંધોના જોડતોડ કે સેક્સ્યુઅલ પોલીટીક્સની વાત કરવાની શરૂઆત કરી છે. પણ સમગ્ર સમાજ પર ચીકની ચમેલી-પણાનો ભયંકર પ્રભાવ છે. વીજાતીય સંબંધોના મામલે પરિપક્વ હોવું એટલે સામીવાળી વ્યક્તિની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો. આ સંબંધોમાં પરિપક્વતા એ સમજવાથી આવે છે કે વિજાતીય વ્યક્તિ આપણી જેમ જ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે, એ એક શરીર માત્ર નથી. આપણે જેમ પોતાના સ્વતંત્ર વિચારોનો ઉપયોગ કરીને સ્વ-અર્થ અને સ્વ-વૃત્તિ જાળવી રાખીએ છીએ તેમ તે પણ તે કરી જાણે છે. ખાસ તો પુરુષમાં પરિપક્વતા શારીરિક ફેરફારોથી નથી આવતી. સ્ત્રી એ શરીરથી વધારે કંઇક છે, એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની મૂળભૂત શરત હોવી જોઈએ.

આ સાથે સાથે વિજાણું યંત્રોથી છલકાયેલી દુનિયામાં એક નવો જ ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે. એ નવો ટ્રેન્ડ એટલે કે સુંદરતાનો એકરુપી, એકપક્ષી, અવાસ્તવિક અને અકુદરતી માપદંડ બનાવવાનો. આ સુંદરતાનો માપદંડ કેવી રીતે રચાય છે તે સમજીએ. આજકાલ મીડિયા એટલે કે વેબ પર કે મેગેઝીન પર દેખાતી સ્ત્રી (કે પુરુષ)ને સોફટવેરની મદદથી વધુ 'સુંદર' બનાવવી. કોઈપણ ફોટોગ્રાફ કે વિડીયોમાં ફોટોશોપ નામનાં સોફટવેરની મદદથી તે પાત્રનો રંગ બદલી શકાય છે, તેના અંગ-ઉપાંગના ભાર-ઉભાર વત્તા-ઓછા કરી શકાય છે, તેની રેખાકૃતિને વધુ સુરેખ બનાવી શકાય છે, તેની આંખોનો કે વાળનો રંગ બદલી શકાય છે.  નીચે આપેલ વિડીયો આ વાત વધુ સહેલાઈથી સમજાવી શકશે. અત્યાર સુધી મેકઅપ કરવાથી કે અમુક પ્રકારની લાઈટમાં કલાત્મક ફોટો પાડવાથી વ્યક્તિને વધુ 'સુંદર' બનાવી શકાતી હતી. હવે તો ફોટો પાડ્યા બાદ મોડેલનું શરીર, તેના અંગ-ઉપાંગ, રેખાકૃતિ, રંગ વગેરે બદલવાની વાત છે. તો પછી જે તે પાત્ર વિજાણું યંત્રો કે મેગેઝીન પર દેખાતું હોય તેમાં સાચું કે વાસ્તવિક શું? કૃત્રિમ રીતે 'સુંદરતા'નું ઉત્પાદન કરવાની આ નવી પદ્ધતિ છે. સ્ત્રી-શરીરનો એક ઔર વપરાશ શોધી કાઢવામાં આવ્યો છે. સ્ત્રી-શરીરની નુમાઈશ પર નભતાં ગ્રાહકવાદની વિકૃતિની આ ચરમસીમા છે. કારણકે આ વિજાણું વિકૃતિઓ દ્વારા બનાવેલી 'પરફેક્ટ' મોડેલની ખેવના રાખતાં પુરુષો વાસ્તવિક સ્ત્રી જોડે અવાસ્તવિક અપેક્ષા રાખતાં થઇ જાય છે. સ્ત્રીઓ અને યુવતીઓ આ 'પરફેક્ટ' દેખાવની અપેક્ષામાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.
વાત અહીં અટકતી નથી. સુંદરતાના બહાના હેઠળ થતી આ વિજાણું ખેંચતાણ આખરે તો એક પ્રકારની 'સુંદરતા' પ્રસ્થાપિત કરવા માટે થતી હોય છે. તકલીફ એ છે કે આ સુંદરતાની વ્યાખ્યા બહુ સાંકડી હોય છે, બીબાઢાળ હોય છે અને એકંદરે ગ્લોબલ હોય છે. કોણ ક્યા દેશ, પ્રદેશ કે મૂળ રંગનું છે તેની ખબર જ પડતી નથી. ફોટોશોપ અને બીજા સોફ્ટવેર તો વિજાણું વિકૃતિઓની અનંત શક્યતા ઉભી કરે છે પણ તેનો ઉપયોગ 'સુંદરતા'ના એકસરખા, એકરૂપી ગ્લોબલ ઉપભોગ માટે થાય છે. તમે ગમે તે દેશ, પ્રદેશ કે વંશ જ હેઠળ જન્મ્યા હોવ પણ જો તમે આ ગ્લોબલ સુંદરતાની વ્યાખ્યામાં ફીટ થઇ શકો, તો જ તમે મોડેલ કે સ્ટાર થઇ શકો. ટૂંકમાં, લગભગ એક જ સરખી, એક જ રૂપરંગની, બાર્બી ડોલ  જેવી લાગતી કન્યાઓ મોડેલ તરીકે ચમકે છે. સુંદરતાના આ માપદંડ સાથે અસંગત તેવી ફેંચ મહિલા ખેલાડી મારિયો બાર્તોલી નામની વિમ્બલ્ડન વિજેતાની મજાક ઉડાવાય છે. ટૂંક માં, સ્ત્રી તેના જીવનમાં ગમે તે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે તો પણ આખરે તેની સિદ્ધિને તેના શરીર જોડે જ સાંકળીને જોવામાં આવે છે.

આઘાતજનક વાત  એ છે કે આ પ્રકારની 'સુંદરતા'નું નિરૂપણ બાળકોને કેન્દ્રમાં બનતી ફિલ્મો કે ટીવી સીરીયલ વગેરેમાં તો  ખાસ થાય છે. નીચેના ફોટોગ્રાફને જુવો. 2012માં આવેલી 'બ્રેવ' નામની એનીમેશન ફિલ્મના સ્કોટીશ રાજકુમારીના પાત્ર મેરીડાને (જમણી બાજુની આકૃતિ) જ્યારે ડીઝની કંપનીએ ફરી રજૂ કરી (ડાબી બાજુની આકૃતિ) ત્યારે તેનામાં કેટકેટલા ફેરફાર થઇ ગયા! મેરીડાની સ્કોટીશ રેખાકૃતિ ગાયબ થઇ ગઈ, તેની કમર વધુ પાતળી બનાવવામાં આવી, આઇબ્રોથી શાર્પ થઇ ગઈ, ગાઉન લો-કટ અને વધુ ઝાકઝમાળ થઇ ગયો અને વાળ અકુદરતી રીતે સુવ્યવસ્થિત થઇ ગયા. આ છે એક એનીમેશન પાત્રનું ડીઝની-કરણ! ડીઝનીની એનીમેશન ફિલ્મો તેમાં દર્શાવાતી રાજ્કુમાંરીઓને બાર્બી ડોલ જેવી બીબાંઢાળ સુંદરી બનાવવા માટે કુખ્યાત છે. તો કહો ચતુર-સુજાણ, આ ડીઝની-કરણે મેરીડાને 'સુંદર' બનાવી કે વધુ કદરૂપી અને કૃત્રિમ.


સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાનો મોટો ઉદ્યોગ ચાલે છે. ટીવી, મીડિયા, મેગેઝીન તેમાં પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. સ્ત્રીઓના અન્યાયની વાત કરવાની શરુ કરીએ તો ઘણા પુરુષો એવું કહેતા આવી પડે કે આવું તો પુરુષો સાથે પણ થાય છે. પુરુષો સાથે જે થાય છે તે પણ ટીકાને પાત્ર છે પણ સ્ત્રીઓને થતો અન્યાય વ્યાપ્ત અને સંખ્યાની દ્રષ્ટિએ અનેક ગણો વધારે છે અને તેથી વધુ, તે સ્ત્રીઓ સામે થતી હિંસા સાથે જોડાયેલો છે. લગભગ સો વર્ષ પહેલા સ્ત્રીઓને મતાધિકાર પશ્ચિમી દેશોમાં મળેલો, તે તેમની માનવ હોવાની લડાઈમાં મહત્વનો પડાવ હતો. આવતા સો વર્ષમાં એ આશા રાખીએ કે પુરુષો પણ સ્ત્રીઓને 'જણસમાંથી માણસ' બનવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લેતા થાય અને સુંદરતા વિષે પોતાના માપદંડોમાં પરિપક્વ થાય. 

Saturday, April 27, 2013

વાહન ચલાવતાં હોર્ન મારવું જરૂરી હોય છે?


હોર્ન મારવાની બાબતે ઘણાં સ્વભાવે અહિંસક અને બીજાને નડતરરૂપ ન થનારાં લોકો અચાનક હિંસક અને ઉગ્ર બની જાય છે. વાહન ચલાવતી વખતે હોર્ન મારવું તે પોતાનો અબાધિત અધિકાર છે તેવું લગભગ બધા વાહનચાલકો માને છે. પછી એવો દાવો કરવામાં આવે છે કે હું હોર્ન મારું છું તે તો તમારી સલામતી માટે છે. ખરેખર બીજા કોઈને બચાવવા કે અકસ્માત થતો બચાવવા મારવામાં આવતા સાચેસાચા હોર્નનું પ્રમાણ દરરોજ સંભળાતા હોર્નના આપણાં શહેરી ઘોંઘાટમાં કેટલું હશે? કદાચ એક ટકા થી પણ ઓછું. એટલે કે તમે અને હું નવ્વાણું ટકા ખોટેખોટા હોર્ન મારીને વ્યર્થ ઘોંઘાટ કરીએ છીએ? શું ખરેખર આવું હોય છે અને શું ભારતીય રસ્તાઓ ઉપર હોર્ન માર્યા વગર વાહન ચલાવી શકાય છે? આ બાબતે નવી રીતે વિચાર કરવાની જરૂર છે અને થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. 

આપણાં  મોટાભાગના નાનાં-મોટાં શહેરોમાં શહેરમાં વાહનસવારી કરવાનો સમય બહુ લાંબો હોતો નથી. બહુ મોટા મેટ્રો શહેરોને બાદ કરો તો ભારતીય શહેરોમાં સરેરાશ એક તરફની શહેરી મુસાફરીમાં વાહનચાલકો દસથી પંદર મિનીટનો સમય પસાર કરતાં હશે. પાલનપુરથી પોરબંદર જેવા અસંખ્ય ગામો-શહેરોમાં તો સરેરાશ સમય દસ મિનીટથી પણ ઓછો હશે. આ દસ-પંદર મિનીટમાં હોર્ન માર્યા વગર વાહન ચલાવી શકાય? છેલ્લા અમુક મહિનાઓથી મેં એવું નક્કી કર્યું કે આ અંગેના 'સત્યના પ્રયોગો' જાતે જ કરવા. મારે ઓફીસ સુધી કરવી પડતી એક તરફની મુસાફરીનો સમય સાડા-સાત મિનીટનો થાય છે. મેં એવું નક્કી કર્યું કે ચાલો, આજે હોર્ન નથી મારવું. શરૂઆતમાં એ બહુ અઘરું લાગે છે. આપણને હોર્ન મારવાની એટલી ખરાબ આદત પડી હોય છે કે હાથ મગજની પરમીશનની રાહ જોયા વગર જ ચાંપ દબાઈ જાય છે. 

હોર્ન ન મારવું હોય તો શું કરવું પડે? તમારા વાહનમાં હોર્ન નથી તેવું માનીને જ આગળ વધવું હોય તો એક સજ્જડ માનસિક તૈયારી કરાવી પડે છે. વાહન ચલાવતી વખતે થોડી ધીરજ રાખવી પડે, કોઈકને આગળ જવા દેવા પડે અને કોઈકની પાછળ જવું પડે. કોઈકને આગળ જવા દેવું સહન થાય છે પણ કોઈની પાછળ લટકી રહેવું અઘરું હોય છે. પણ દસ મિનીટ સુધી હોર્ન ન મારવું અશક્ય નથી. ધીમે ધીમે ટેવ પડતી જાય છે. મજાની વાત એ છે કે મારા નિયમિત મુસાફરીના સમયમાં હોર્ન ન મારવાથી કશો જ ફરક પડ્યો નથી. મારા સાડા-સાત મિનીટ અકબંધ છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આજે હોર્ન ન મારવાથી હું એક મિનીટ જેવું અધધધ મોડો પડ્યો! ઉલટાનું હોર્ન ન મારવાની માનસિક તૈયારી કરેલી હોય તો મગજ શાંત રહે છે. હોર્ન ન મારવાના લીધે આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા એવું મહિનામાં એક વાર પણ બનતું નથી. ટ્રાફિકમાં ફસાવાનું હોય તો તે હોર્ન મારવા છતાં પણ ફસાઈએ છીએ અને ટ્રાફિકમાંથી છૂટવાનું હોય તો તે હોર્ન મારીએ કે ન મારીએ તે છૂટી જ જવાય છે.

મેં એક વખત એવો પણ પ્રયત્ન કરી જોયો કે આજે ભરપૂર હોર્ન મારીએ. આખા રસ્તે સતત હોર્ન મારી-મારીને ગાડી ભગાવી. પરિણામ એ એવ્યું કે હું આખે રસ્તે સતત વ્યગ્રતામાં રહ્યો અને મને એમ લાગ્યું કે આજે તો નક્કી હું સાડા-સાત મિનીટથી જલ્દી જ પહોંચીશ. પહોંચ્યા બાદ મારી રોજની મુસાફરીમાં અડધી મિનીટનો ય માંડ ફરક પડેલો. આખા ગામને માથે લઈને હોર્ન મારી-મારીને ગાડી ચલાવીને અને ટેન્શન માથે લઈને પણ સમયમાં તો કોઈ ફરક જ ન પડ્યો! બીજું કે, મારા હોર્ન મારવા કે ન મારવાથી કોઈ ટ્રાફિકની ગૂંચ ઉકેલાતી નથી. હોર્ન મારવાથી રાહદારીઓને, પોતાના કરતા નાના વાહનોને ડરાવી જરૂર શકાય છે. પણ તેમને રસ્તામાંથી દૂર કરી શકાતાં નથી. વળી, હોર્ન મારવાથી રાહદારીઓને કે પોતાનાથી નાના વાહનોને સલામતીની કોઈ ગેરંટી મળતી નથી. માત્ર વાહન ચાલકોને પોતે ઝડપથી જઈ શકે તેની જગ્યા મળી તેવા અતિ-આગ્રહ માટે હોર્ન મારવામાં આવે છે.

દરેક વાહનચાલક પોતાની જાતને 'વિકટીમ' સમજતો હોય છે - રસ્તા પર પોતાને થતા સતત 'અન્યાય'નો ભોગ સમજતો હોય છે. તેણે પોતાની બુલેટ, એસયુવી, ચકચકિત કાર, ચમકીલું બાઈક રસ્તા પર રાજ કરવા વસાવ્યું હોય છે અને આ 'ટ્રાફિક' તેને પૂરતી જગ્યા ન આપે, મન ફાવે તેવી ઝડપથી જવા ન દે એ કેટલો મોટો 'અન્યાય' કહેવાય. અને આ અન્યાયને ખાળવા નિયમો તોડવા પડે તો તોડવા પડે. નિયમો તોડીએ તો જ અન્યાયનો પ્રતિકાર કરી શકાય તેવું તો હિન્દી ફિલ્મોએ સમાજને ઠોકી-ઠોકીને શીખવાડી દીધું છે. મજાની વાત એ છે કે એસયુવીમાં બેઠેલો સૌથી પૈસાદાર માણસ અને સાઈકલ પર બેઠેલાં સૌથી ગરીબ માણસને એવું લાગતું હોય કે પોતે અન્યાયનો ભોગ છે, એટલે પોતાને મનફાવે તેમ વર્તી શકે છે. અહીં દંભ ત્યાં આવે છે કે જ્યારે જે તે ચાલકને બીજાએ તોડેલા નિયમો જ દેખાય છે અને પોતે કરેલું ખોટી રીતનું વાહનચાલન 'બીજાના તોડેલા નિયમો' અને 'ટ્રાફિકમાં પોતાને થતા અન્યાય'ની સામે વ્યાજબી લાગે છે.

મારું એવું સજ્જડ માનવું છે કે નવ્વાણું ટકા વખત હોર્ન મારવાનું કોઈ સલામતી જેવું વ્યાજબી કારણ હોતું નથી. વાહન ચાલકો હોર્ન મારીને પોતાની અસલામતી અને અજંપો બતાવે છે કે મારે ઝડપથી જવું છે, મને જલ્દી જવા દો કે પછી મને અથડાઈ ન જતાં, મારી સવારી આવી રહી છે, મને બને તેટલી મોટી જગ્યા આપો. મજાની વાત એ છે કે બધા હોર્ન મારીને આ જ કહેવા માંગે છે કે મને બને એટલી ઝડપથી જવા દો. જયારે બધાનો એક જ સૂર હોય ત્યારે હોર્ન મારો કે ન મારો તેનો શું ફરક પડે છે. આપણાં શહેરી રસ્તાઓ પર સરસ મજાના માઈક્રો કક્ષાના દંગલો રચાતા હોય છે, જેમાં તે તે જગ્યા એ વહેલા અને પહેલા પહોંચવા માટે સ્પર્ધા ચાલતી હોય છે. એટલે જ વાહન-ચાલન એ બહુ જ તાણદાયક પ્રવૃત્તિ છે, જેનો ઘણા લોકોને ખ્યાલ નથી આવતો. આ તાણદાયક પ્રવૃત્તિની અકળામણ આખરે હોર્ન મારીને કાઢવામાં આવે છે. સારું છે કે દરેક વાહન સાથે બંદૂક જોડાયેલી હોતી નથી.

કારણ વગર હોર્ન મારવું તે 'શિસ્ત'નો પ્રશ્ન નથી. અહીં ટ્રાફિકના નિયમ સતત તોડનારા ભારતીયો તેમના આ જ જનમમાં વિદેશમાં જઈને બહુ જ 'શિસ્તબદ્ધ' થઇ જાય છે! હોર્ન મારવું તે ખરાબ ટેવ છે, માનસિક રોગ છે, કેટલાક દેશોમાં તો તેને સામાજિક અશિષ્ટતાનું પ્રતિક પણ ગણવામાં આવે છે. પણ શિષ્ટતાના ઈન્જેકશનો આપી શકતા નથી અને આપીએ તો પણ એ રોગનું ખોટું નિદાન થશે. વળી, ઘણા ઉત્સાહી વડીલો એમ કહે છે એ બાળકોને નાનપણથી શીખવવું જોઈએ અને તેનાથી કંઈક ફરક પડશે તે પણ શક્ય નથી. મૂળ પ્રશ્ન ટ્રાફિકના નિયમોમાં રહેલી ગંભીર ક્ષતિઓનો છે, આપણાં રસ્તાની માળખાકીય સુવિધાનો છે, ટ્રાફિક નિયમનના તંત્રનો છે, લાઇસન્સ આપવાના તંત્રનો છે. સંસ્કૃતિ-શિસ્ત એ બધી વાતો આ સુધારા કર્યા પછી આવે. રસ્તાઓની માળખાકીય સુવિધા કેવી હોવી જોઈએ તે વિશે હું અહીં ગયા મહીને જ લખી ચૂક્યો છું. ટ્રાફિક નિયમન અને ટ્રાફિક પોલીસને ગંભીરતાથી લેવાના ઘણા પાયાના પ્રશ્નો છે. મારું માનવું છે કે ટ્રાફિક નિયમન માટે પોલીસનો અલાયદો સ્ટાફ હોવો જોઈએ કે જે વાહનચાલકોની માનસિકતા સમજીને ક્યારેક હળવાશથી તો ક્યારેક કડકાઈથી કામ લઇ શકે. ટ્રાફિક પોલીસ તરીકે સેવા આપવી તે એક પોલીસ કર્મચારીના કેરિયરમાં એક જ વાર ત્રણ વર્ષ માટે આવે છે અને તેને મોટેભાગે પનીશમેન્ટ તરીકે લેવામાં આવે છે. એક તો પોતાને 'અન્યાય' છે તેવો ડંખ રાખતા વાહનચાલકો અને તેમના નિયમન માટે તેવો પણ જરા જુદા પ્રકારનો ડંખ રાખનાર કાયદાનું અમલીકરણ કરાવનાર - તો પછી કોઈનું પણ વર્તન કેવી રીતે શિસ્તબદ્ધ થાય?

નિયમો તોડવામાં જોખમ ઓછું હોય અને તેમાં લાભ વધુ હોય તો નિયમો તૂટે જ. તેને શિષ્ટતા કે સંસ્કૃતિના નામે બચાવી શકાતા નથી. ટ્રાફિકના નિયમો મૂળભૂત રીતે જ કેવા ખોટા હોય છે તેના પર એક આખો લેખ થઇ શકે એટલે તે વિષે ફરી ક્યારેક. પણ ટૂંકમાં, નિયમો આપણાં ટ્રાફિકને સમજીને બનાવવા જોઈએ. ભારતીય શહેરોના આંતરરાષ્ટ્રીય સરખામણીમાં ધીમા અને પરસ્પર અશાબ્દિક કમ્યુનીકેશનથી ચાલતા ટ્રાફિક માટે યંત્રવત શિસ્તથી ચાલતા વિદેશી ટ્રાફિકના નિયમો ન જ ચાલે ને. મહત્વની વાત એ છે કે આપણાં રસ્તાઓ પર 'કોણ પહેલા જશે, કોણ પછી જશે' તેનું સતત અશાબ્દિક રીતે કમ્યુનીકેશન  ચાલ્યા જ કરતુ હોય છે, આ પ્રકારની સભાનતા ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ મહત્વની હોય છે. સલામતીની દ્રષ્ટિએ ધીમો ટ્રાફિક પણ કંઈ ખોટો નથી. ધીમો એટલે વીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક. જો આ જ ઝડપે જવાનું હોય અને દરેક ચાર-રસ્તા પર થોડી રાહ જોવાની હોય તો પછી આટલો બધો અજંપો શા માટે? વીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપી ટ્રાફિકની જરૂર હાઈવે પર હોય છે, શહેરોમાં નહિ. કમનસીબે, આપણી ટ્રાફિક અને તેના નિયમો વિશેની ઘણી સામાન્ય સમાજથી લઈને ટેકનીકલ જ્ઞાન હાઈવે ટ્રાફિક આધારિત હોય છે. શહેરી ટ્રાફિક વિષે તો ભારતમાં બહુ રીસર્ચ જ થયું નથી.

આ વાંચીને કોઈ એવું પૂછી શકે છે કે મારા એકલાના હોર્ન ન મારવાથી શું ફરક પડે છે? આ તો બિલકુલ પેલી અન્યાય વાળી માનસિકતા છે કે મારા એકલાના નિયમો પાળવાથી શું ફરક પડે છે. મારો સાદો જવાબ એ છે કે ફરક તમને પોતાને પડે છે. હોર્ન ન મારવાની સભાનતા કેળવ્યા બાદ તમારી ટ્રાફિક અંગેની દ્રષ્ટિ કે અપેક્ષા અને વાહનચાલનનો અનુભવ જ બદલાઈ જશે. હોર્ન ન મારવાથી તમે પોતે ધીરજ કેળવતા શીખશો, મગજ શાંત રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે હોર્ન ન મારવાથી તમારા મુસાફરીના સમયમાં કંઈ જ ફરક નથી પડતો કે ટ્રાફિકની જે પરિસ્થિતિ હોય છે તેમાં પણ ફરક પડતો નથી. ટૂંકમાં, ટ્રાફિક સંસારમાં તમારું હોર્ન વ્યર્થ છે, માયા છે, તેનો ત્યાગ કરો! બસ આ લેખ વાંચ્યા પછી દુનિયામાં જે કંઈક વીસ-ત્રીસ હોર્ન ઓછા સંભળાય તેનાથી રૂડું શું?

Tuesday, July 10, 2012

લિંગભેદ અને બાળશિક્ષણ

યુનિસેફએ સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ)ની બાળક માટેના ભંડોળનું વ્યવસ્થાપન કરતી સંસ્થા છે. તે વિકાસશીલ દેશોમાં બાળકો અને તેમની માતાઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. એટલે યુનીસેફને બાળશિક્ષણ સાથે સીધી નિસ્બત. યુનિસેફનું આ પેજ શિક્ષકો માટે ઘણી સાધન-સામગ્રી પૂરી પાડે છે. અહીંથી નૃવંશશાસ્ત્રી (એન્થ્રોપોલોજીસ્ટ) ઈલીન કેઈનના પુસ્તક 'જેન્ડર, કલ્ચર એન્ડ લર્નિંગ'ના અમુક અંશો મળી આવે છે. ઈલીનના સંશોધનાત્મક મૂળ વિચારોને મારી ભાષામાં, મારી રીતે રજૂ કરું છું. 

સ્ત્રી-પુરુષ વચ્ચેના મોટાભાગના તફાવતો જૈવિક કે શારીરિક તફાવતો હોય છે. આ સિવાય પણ મોટા ભાગના સમાજોમાં સ્ત્રી-પુરુષ એકબીજાથી બહુ અલગ હોય છે. તેમની અલગ-અલગ સામાજિક ભૂમિકાઓ, જવાબદારીઓ અને મોભો હોય છે. સ્ત્રી-પુરુષોના વર્તનમાં અમુક જ ફેરફારોને સહેલાઈથી તેમના શારીરિક ફેરફાર જોડે સાંકળી શકાય છે. પણ તેમના વર્તનમાં રહેલા બીજા ઘણા તફાવતો સામાજિક ભૂમિકા અને મોભામાંથી જન્મે છે, તેમની શક્તિઓ અને મર્યાદાઓની સમજ તેમના સામાજિક પરિવેશ પ્રમાણે બદલાય છે. લિંગ(Sex)એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender)એ સામાજિક વર્ગીકરણ છે. જૈવિક રીતે લિંગભેદ હોવો એક બાબત છે અને તેના લીધે સામાજિક ભૂમિકામાં ફરક પડવો તે બીજી બાબત છે. એક ડગલું આગળ વધીએ તો ભેદ કે ફરક હોવો તે જૈવિક છે પણ ભેદભાવ એ સામાજિક ઘટના છે. જેમકે, યુરોપ અને આફ્રિકાના બાળકોમાં દેખાવ, રંગ વગેરેમાં કુદરતી ફરક હોય પણ તેના લીધે તેમની સાથેના વર્તનમાં ફેરફાર ન કરી શકાય.

જ્યારે ઈલીન અને તેની ટીમે જીવવિજ્ઞાન, સાઈકોલોજી, નૃવંશશાસ્ત્ર અને શિક્ષણ વિશેના સંશોધનો બારીકીથી જોયા તો એવું પુરવાર કરવું અઘરું હતું કે સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદ કે ભેદભાવ માત્ર શારીરિક કે જૈવિક તફાવતમાંથી જન્મે છે. મોટા ભાગના ભેદભાવોનો ઉદ્ભવ જે રીતે તેમનું પાલન-પોષણ થયું છે, જે રીતે તેમને મોટા કરવામાં આવ્યા છે તેમાંથી થયો છે. ઘણીવાર સાંસ્કૃતિક-સામાજિક પરિબળોને જૈવિક પરિબળોથી અલગ પાડવા અઘરા હોય છે. પણ એક વાત ઈલીન પૂરા વિશ્વાસથી કહે છે કે જયારે શિક્ષણની પ્રક્રિયા અને વિચાર શક્તિની વાત આવે છે ત્યારે સ્ત્રી અને પુરુષો (છોકરી અને છોકરા) એક બીજાથી અલગ પડવાને બદલે એક-બીજાથી વધુ મળતા આવે છે. નવું શીખવાની અને વિચારવાની પ્રક્રિયા (Cognitive thinking process) બધા બાળકોમાં સરખી રીતે થાય છે. શિક્ષણની બાબતમાં છોકરી અને છોકરો એકબીજાથી સરખા વધારે છે અને અલગ ઓછા છે. એક જ લિંગ (કે જાતિ)માં એટલે કે છોકરા-છોકરા વચ્ચે કે છોકરી-છોકરી વચ્ચેના તફાવતો ઘણા વધારે છે. કારણકે જયારે શાળા અને શિક્ષણની વાત આવે છે ત્યારે શિક્ષકો અને કૌટુંબિક વાતાવરણની બહુ મોટી અસર પડતી હોય છે. આ વાતાવરણ છોકરી અને છોકરાઓમાં વૈચારિક શક્તિઓને (Cognitive skills) ઘડવામાં મોટો ફાળો આપતું હોય છે. ટૂંકમાં, વિચારશક્તિ અને કૈંક નવું શીખવાની પધ્ધતિમાં છોકરી અને છોકરા વચ્ચે બહુ ફરક હોતો નથી. જે ફરક દર્શાવવામાં આવે છે તે ઉભો કરેલો હોય છે.
Typical examples of gender stereotypes
જેમકે, 'છોટા ભીમ'ના એનીમેશનમાં છોટા ભીમ એ બહાદુર છોકરો છે જે લાડુમાંથી શક્તિ મેળવીને ગુનેગારોને ધૂળ ચાટતા કરે છે. જ્યારે છોટા ભીમની મિત્ર ચુટકી એ નાજુક-નમણી છોકરી છે જે લાલી-લીપ્સ્ટીક સાથે જ જોવા મળે છે. આને 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' કહેવાય. બાળકોને એ સંદેશો જાય છે કે છોકરીનું કામ શણગાર કરીને ફરવાનું છે. આખી વાત બે ડગલાં આગળ લઇ જઈએ તો છોકરીએ પોતે 'ઉગરવા માટે' એક મજબૂત ભીમ શોધવાનો હોય છે. નવા જમાનામાં એ ભીમ શારીરિક કરતા સામાજિક-આર્થિક રીતે મજબૂત હોય તે વધારે જરૂરી છે. સ્ટીરીયોટાઈપની તકલીફ એ હોય છે કે તે બધા પ્રકારની વિવિધતા કે અલગ પડવાની શક્યતાને શૂન્ય કરી નાખે છે. સમાજે ઉભી કરેલી બીબાંઢાળ ભૂમિકાઓની સરહદો ઓળંગીને જ જે-તે વ્યક્તિ સ્વતંત્ર કે સ્વાવલંબી બની શકે છે અને સમાજને નવી સમજણો પાછી આપી શકે છે. માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે, આ સરહદો ખડકવામાં કે સરહદોને જડ  રીતે વળગી રહેવામાં નહિ.

ઘર-સમાજ ઉપરાંત શિક્ષકો અને સ્કૂલો પણ જેન્ડર સ્ટીરીયોટાઈપને મજબૂત કરવામાં આડકતરી કે સીધી મદદ કરતા હોય છે, ઘણીવાર આ પ્રશ્ને બિલકુલ સભાનતા ન હોવાથી તો આ ખાસ બને છે. છોકરાઓએ નાટકમાં ભાગ લેવાનો અને છોકરીઓએ ગરબામાં. શિક્ષકો કોઈ ઓજાર કે યંત્રનું કામકાજ છોકરાઓને સમજાવતા દેખાય અને ઘરગથ્થું કામ માટે છોકરીઓને યાદ કરવામાં આવે. ઘણીવાર પાઠ્યપુસ્તકોમાં રમેશ તેના મિત્રો જોડે રમતો દેખાય અને રમીલા તેની માતાને ઘરકામમાં મદદ કરતી દેખાય. રમીલા નાનાભાઈને રમાડે (એટલેકે ધ્યાન રાખે) અને રમેશ દાદીમાં પાસેથી વાર્તા સાંભળે. શિક્ષકોની અભ્યાસમાં છોકરા-છોકરીઓ પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય. સૌથી ગંભીર સ્ટીરીયોટાઈપ છે કે કોઈ પ્રશ્નને હલ છોકરાઓ તર્કશક્તિનો ઉપયોગ કરે અને છોકરીઓ આત્મસૂઝનો. ખરેખર? શિક્ષણવિદો આવું માનતા નથી. શું તર્કશક્તિ પર કોઈ એક લિંગ-જાતિની વ્યક્તિનો અધિકાર હોઈ શકે? શું આ વાત તાર્કિક છે? કદાચ મોટાભાગના શિક્ષકોને ખબર નહિ હોય કે તેઓ છોકરી-છોકરાની જોડે અલગ અલગ વર્તન કરીને તેમના મગજમાં રહેલી ગ્રંથીઓને દ્રઢ કરી રહ્યા છે અને તેમને અમુક બીબાંમાં ઢાળી રહ્યા છે. જેમકે, દલિત બાળકો પાસેથી સ્કૂલના શૌચાલયો સાફ કરાવવામાં આવે તે કિસ્સો સાંભળ્યો. શિક્ષકોના ભેદભાવપૂર્ણ વર્તનનું આ સૌથી જઘન્ય પ્રકરણ છે. જો એક જ્ઞાતિના બાળકો સાથે આવો વ્યવહાર ખુલ્લેઆમ થતો હોય તો પછી 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' તો બહુ સામાન્ય લાગે તેવી ઘટના છે.

વિવિધ સંસ્કૃતિઓ અને સમાજમાં થયેલું સંશોધન દર્શાવે છે કે 2-3 વર્ષના બાળકોને લિંગભેદ અને તેની સાથે સંકળાયેલા સ્ટીરીયોટાઈપની ખબર પડી જતી હોય છે. જ્યારે તે 4-5 વર્ષના થાય છે ત્યારે બાળકો લિંગભેદના સ્ટીરીયોટાઈપને વળગી રહેવામાં માસ્ટરી બતાવતા થઇ જાય છે. જેમ કે, અમુક રમતો છોકરીઓ રમે અને અમુક રમતો છોકરાઓ રમે. કોઈ છોકરો ઘર-ઘર રમે કે કોઈ છોકરી ફૂટબોલ રમે તો તેને તરત વારવામાં આવે. માતાઓ જ છોકરીને તૈયાર કરીને અરીસાની સામે ઉભી રાખવા માંડે. પિતા પાસે જો સમય હોય તો તે છોકરા સાથે અમુક રમતો રમશે અને છોકરી સાથે અમુક. આ બધી ઘટનાઓ એટલી સ્વાભાવિક છે કે તે ક્યારે બને છે તેની આપણને ખબર પણ નથી પડતી. અહીં સજાગ રહેવાની બાબત એ છે કે કેટલું સ્વાભાવિક રીતે કે બાળકની ઈચ્છાથી થાય છે અને કેટલું માં-બાપની. જો કે બાળકની ઈચ્છાઓને ઢાળવામાં અને પોષવામાં કુટુંબનો મોટો ફાળો રહેલો છે.

પૂર્વી આફ્રિકાના ઈરીત્રામાં થયેલા સંશોધન મુજબ શાળાએ જવાલાયક ઉમરની છોકરીઓ દરરોજ સાડા ચાર કલાક ઘરકામ કે સ્કૂલ સિવાયનું કામ કરતી હોય છે, જ્યારે આવા જ કુટુંબના છોકરાઓ અઢી કલાક. નિયમિત રીતે છોકરીઓ ઘરકામ, રસોઈ અને નાના ભાઈ-બહેનોની સંભાળ લેવાનું કામ ભણવા ઉપરાંત કરતી હોય છે. આફ્રિકાના ગામ્ભીયામાં સ્કૂલે જતી અને સ્કુલે ન જતી છોકરીઓ સરખું જ ઘરકામ કરતી હોય છે. તે જ રીતે, દક્ષીણ મલાવીમાં થયેલા સંશોધન મુજબ છોકરાઓ દિવસનો (ઊંઘને બાદ કરતા) 41 ટકા સમય રમવામાં પસાર કરે છે, જયારે છોકરીઓ માત્ર 13 ટકા. મારા પોતાના સંશોધનમાં ગુજરાતની ગરીબ વસાહતોમાં આ જ પ્રકારના આંકડા જોવા મળે છે. ગરીબ વસાહતોમાં મોટાભાગની છોકરીઓને ભણવામાંથી વહેલી ઉઠાડી દેવામાં આવે છે. આફ્રિકા હોય કે અમદાવાદ દીકરીને માટે 'ઘરકામ' એટલે સ્કૂલેથી મળતું લેસન નહિ, ખરેખર ઘરનું કામ હોય છે. વળી, મધ્યમ વર્ગમાં પણ દીકરાને મોંઘી સ્કૂલમાં અને દીકરીને થોડી સસ્તી સ્કૂલમાં ભણાવવાનું સામાન્ય છે.

ઈલીન કહે છે કે દરેક સંકૃતિમાં છોકરા-છોકરીના વહેવારોને લઈને ચોક્કસ ખ્યાલ હોય છે જ. પણ શિક્ષક અને માં-બાપ તરીકેને પહેલી જવાબદારી એ છે કે છોકરી હોય કે છોકરો તેમના માટે સરખી તકો ઉભી કરાવી. તેમની શક્તિઓને પીછાણવી અને તેમને પોતાની મર્યાદાઓની પેલે પાર જતા શીખવાડવું. જો શિક્ષકો અને માં-બાપ જ મર્યાદાના કિલ્લાઓ ઉભા કરશે તો બાળકમાં રહેલી શક્યતાઓ શૂન્ય થઇ જશે. કોઈ પણ પ્રકારના સ્ટીરીયોટાઈપને ખાળવા પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે આ સ્ટીરીયોટાઈપ છે. જેમ કે, સફેદ હંસ એક સ્ટીરીયોટાઈપ છે. જ્યારે કાળા હંસ જોવા મળે છે ત્યારે લોકો ભોંઠા પડે છે. હંસ તો સફેદ જ હોવા જોઈએ એવો આગ્રહ ન કરી શકાય. સફેદ હંસની થીયરી સાચી સાબિત કરવાની લાહ્યમાં કાળા હંસોનું ગળું ન ઘોંટી શકાય. દેશ કે સમાજને કાળા અને સફેદ હંસ એમ બંનેની જરૂર હોય છે. કાળા હંસો ઘણીવાર પોતાના અલગ ચીલા ચાતરતા હોય છે અને અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે.

સમાનતાનો એક સાદો અર્થ થાય છે કે કોઈ બે સમૂહો સાથે સમાન વર્તન અને તેમને સામાન તકો મળે. સમાન હક તે જૂની વાત છે, એકવીસમી સદીનું સૂત્ર છે સમાન તક. જ્યારે જાણકારો એમ કહેતા હોય કે વિચારવાની પ્રક્રિયાનો વિકાસ બધા જ બાળકોમાં સરખી રીતે થતો હોય - એટલે કે કુદરતે બુદ્ધિશક્તિમાં કોઈ ભેદભાવ ન રાખ્યા હોય તો પછી આવા ભેદભાવને બાળપણથી જન્મ આપનાર માણસ કે સમાજ કોણ? નર હવે હથિયાર લઈને અસ્તિત્વની લડાઈ લડવા કે જંગલી પ્રાણી મારી લાવવા જતો નથી. માદા હવે પ્રજનન કે બાળ-સંભાળ માટેનું સાધન માત્ર નથી. નર-માદા હવે પુરુષ-સ્ત્રી બનીને સમાજના કોઈ પણ વર્ગમાં બંને સાથે ઘર ચલાવે છે અને સાથે બાળકો ઉછેરે છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રોજબરોજના કામકાજની વહેંચણી ચોક્કસ થઇ શકે પણ કોઈ પણ કામ કોઈ એક લિંગની વ્યક્તિ સાથે જોડાયેલું હોતું નથી. સ્ત્રીઓ જો શેરબજારમાં ટ્રેડીંગ કરતા શીખતી હોય તો પુરુષો રસોઈ કરતા શીખી જ શકે. આ માનવ-ઉત્ક્રાંતિની સાદી સમજ છે. પણ સાદી સમજણો સમજવી અઘરી હોય છે એ મારો જાત અનુભવ છે. હું પોતે પણ આવા માન'સિક' ભેદભાવોથી પર નથી. આ એક સતત વિચારણા માંગી લે તેવી પ્રક્રિયા હોય છે. જો પરિવારના સભ્યો સાથે આની ચર્ચા કરવામાં આવે તો પછી આપણે એક-બીજાને ટપારવાનું કામ તો બહુ સહેલાઈથી કરી લેતા હોઈએ છીએ.
Let's end with a happy ending!


(નોંધ: મારી પત્ની મીરાં શિક્ષક છે અને પેલું વેબપેજ મારા સુધી પહોંચાડીને તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરાવવાનું ષડ્યંત્ર તેનું છે. મેં પણ ભાવાનુવાદ કરવાની જગ્યાએ લાંબુ તાણીને બદલો વાળી લીધો છે.)

Sunday, May 13, 2012

મંટોને થોડો ખુલ્લો, થોડો બંધ પત્ર...

ભાઈ મંટો, 
અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તારી કહેલી વાર્તાને કલ્પના જ માનીએ તો સહેલું લાગે છે, નહિ તો પછી બહુ અઘરું થઇ પડે છે. આવું બધું તો સમાજમાં થતું હોય? કેવું ગંદુ-ગોબરું-છીછરું... અને તેના વિષે વાર્તાઓ લખવાની! પાછું આવું બધું લખીને તારે ગલગલીયાં પણ નથી કરાવવા? જો તું ગલગલીયાં કરાવવાના ધંધામાં હોત તો તને 'આધુનિક' કે 'ફોરવર્ડ' માનીને એમ કહી શકાય કે તને ખરેખર વાચકોની પલ્સ ખબર છે. પણ તું તો સમાજની પલ્સ પકડીને તેનું હેલ્થ બુલેટીન લખવાની જદ્દોજહદ કરી રહ્યો છે. એ તો ખોટનો ધંધો છે. આપણે ત્યાં સાહિત્ય, ફિલ્મો, તમાશા, રીયાલીટી શો વગેરે સમાજનું હેલ્થ બુલેટીન ન વાંચવું પડે તે માટે ભાગી છૂટવાના ઉત્તમ રસ્તાઓ છે. અમે ભાગેડુ પ્રજા છીએ અને અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તેમાંથી અમે મોટા-મોટા ઉદ્યોગો ઉભા કર્યા છે. આવા ઉદ્યોગો વગર વિકાસ શક્ય નથી તેની તને ખબર હોવી જોઈએ. એટલે તારી વાર્તાઓ થોડી કેફી બનાવ કે જેમાં સ્વપ્નસૃષ્ટિ સરી આવે. આ નગ્ન હકીકતો પચતી નથી. 

કોઈકે પૂછ્યું કે મંટો તો પાકિસ્તાની લેખક હતો, નહિ? તું માત્ર 'પાકિસ્તાની' છે તે આરોપસર અમે તને ન પણ ગમાડીએ. જોયું, કેવી તરત તારી વ્યાપકતા છીનવાઈ ગઈ અને તને એક હિસ્સામાં પૂરી દેવામાં આવ્યો. થોડી રાહ જોશે તો પછી 'ઉર્દૂ લેખક' હોવાનું છોગું પણ આવશે. 'તમે ક્યાંના' અને 'તમે કેવા' એ કેટલા ધારદાર પ્રશ્નો છે! ભલેને પછી તે તારું મોટા ભાગનું જીવન એવા દેશમાં વિતાવ્યું હોય કે જેના બે ભાગ પડશે તેની તે દેશને પણ ખબર નહોતી. તું ભલે એમ માનતો હોય કે તું ટોબા ટેકસિંહની જેમ બે સરહદો વચ્ચેના 'નો મેન્સ લેન્ડ'માં દફન થઇ ગયો હોઈશ, પણ અમે તો તારા ગળે દેશ, પ્રાંત, ભાષા, જાતિ, ધર્મનો ગાળિયો પહેરાવીને જ રહીશું. કેમ અમે નથી પહેરતા આવા ગાળિયા? તું શું જન્નતથી ઉતરીને આવે છે? જેવી રાજકારણની જરૂરત અને ગર્વથી ગાળીયા પહેરવાવાળાની ગરજ, એ મુજબ ધીરે-ધીરે ગાળિયો પહેરાવાય અને પછી ભીંસાય. હવે તું ગાળિયાને ગાળિયો કહે અને ભીંસાવાને ભીંસાવું કહે તે કેમ ચાલે? કેટલાક લોકો તો પોતાના ગાળીયાને શણગારે, સવાર-સાંજ આરતી કરેને એને ફૂલ ચઢાવે. બીજાનો ગાળિયો કેવો કદરૂપો છે, તેની ચર્ચામાં સમય પસાર કરે. આટલી મહેનત કરીને ધીરે-ધીરે ભૂલી જાય કે આ ગાળિયો છે. તે તું પાછો તેમને અરીસા બતાવે તે કેમ ચાલે? 

તું કોઈ વિચારધારાનું કે રાજકીય પક્ષનું પૂંછડું પકડીને ય બેઠો નથી હોતો. ગળામાં ગાળિયો અને હાથમાં પૂંછડું એ સમકાલીન વ્યવહારુપણાની નિશાની છે. પૂંછડાને પંપાળવું પડે, રમાડવું પડે અને જરૂર પડે તો ધાવવું પડે. ક્યારેક પૂંછડું ગળાના ગાળીયાનું રિપ્લેસમેન્ટ હોય છે. આ પૂંછડાઓની દર પાંચ વર્ષે સ્પર્ધા થતી હોય છે અને ત્યારે ખબર પડે છે કે દરેક પૂંછડા જોડે જોડાયેલું એક જાનવર હોય છે. તે કેમ આ જાનવર જેવું રાખ્યું નથી? જો પૂંછડું પકડ્યું હોત તો તારા પર અશ્લીલતાના કેસ થયા ત્યારે પેલું જાનવર કેટલું કામમાં આવ્યું હોત. આમ કોઈને કેસ કરવા પડે તેવું લખાય? અને લખાઈ ગયું તો કંઈ નહિ પણ એવા કોન્ટેક્ટ હોવા જોઈએ કે કેસ થાય તોય કંઈ તકલીફ ન પડે. કેમ... તું નાનો હતો ત્યારથી કોઈએ શીખવાડ્યું નહોતું કે બધે ઓળખાણ રાખવાની, બધું સાચેસાચું નહિ કહી દેવાનું અને 'હા-જી-હા' કરતાં શીખવાનું વગેરે. મૂળ પાયો જ કાચો લાગે છે તારો. 

 તું શહેરનો કચરો ઉચેલતો હોય તેમ ખરાબ ચરિત્રના પાત્રો ક્યાંથી ગોતી લાવે છે? તને આધ્યાત્મિક વાતો કરતા નથી આવડતું કે 'પાવર ઓફ પોઝીટીવ થીંકીંગ' વિષે તને બહુ ખબર નથી લાગતી. લાગણીના સંબંધો, સબંધોનું આકાશ, આકાશમાં આનંદયાત્રા, યાત્રામાં પાંગરતો પ્રેમ, પ્રેમકૂંપળ પર ઝાકળ, ઝાકળની ભીની સુગંધ, સુગંધોનો દરિયો, દરિયાની છાલકમાં હિલોળે ચડતું જોબન, માનવમનની ભરતી-ઓટ, તેમાં સરી જતા રેતીના કિલ્લા, દિલના દરવાજે દસ્તક - કેટકેટલું લખવા માટે છે આ દુનિયામાં. તો કેમ તને લખવા માટે સકીના, સુગંધી, ઈશરસિંઘ, બિમલા જેવા જ મળે છે? ક્યારેક તો સારા માણસો વિષે લખ. આટલું બરછટ લખવાની જરૂર શું છે? થોડું પોઝીટીવ વિચારવામાં શું તકલીફ પડે? બહુ સહેલું છે. થોડો ટ્રાય કર... સંબંધોના કાર્ડિયોગ્રામ કાઢ, વિચારોના નિંદામણ કર, પ્રેરણાના ઝરણાંમાં છબછબીયાં કર. આજકાલ આવું જ ખપે છે. તું પાછો કહેશે કે 'હું જે ખપે તે માલ રાખનાર કરિયાણાનો વેપારી નથી, લેખક છું.' સો વર્ષ થયા હવે તો થોડો પ્રેક્ટીકલ બન... જો તને લખતાં તો આવડે જ છે. બસ, એને થોડું સુવાળું કરવાની જરૂર છે. બીભત્સ રસ પર થોડો મેકઅપ છાંટે તો શૃંગાર રસ બની જાય. 'વાસના'ની જગ્યા 'લાસ્ય' લઇ લે. પછી જો લોકો તારી જન્મશતાબ્દી કેવી ધૂમધામથી ઉજવશે!

છેલ્લે એક વાત તો કહે... તારી વાર્તામાં વાંચ્યું કે કબીર નામનો કોઈ શખ્સ રડતો હોય છે - દેખ કબીર રોયા. એટલે કોઈ કબીર પાકિસ્તાનમાં ય છે? આવો એક કબીર અમારે ત્યાં પણ છે? પાકિસ્તાનમાં હશે તો મુસલમાન હશે... નહિ? પણ અમારે ત્યાં તો મોટેભાગે હિંદુ જ છે... કદાચ. તો પછી આ બંને એક વ્યક્તિ કેવી રીતે કહેવાય? જરા ટાઈમ મળે તો ખુલાસો કરજે ને...

થોડું કહ્યું છે, ઘણું સમજી લેજે.

લિ.
તને બહુ વાંચી નહિ શકતો એક વાચક. 



(પાકિસ્તાનસ્થિત સર્જક મહંમદ હનીફે 'Our case againgst Manto' નામનો લેખ હેરાલ્ડમાં પ્રકાશિત કર્યો છે. આ લેખ વાંચ્યા બાદ તાત્કાલિક આ લખવાનું મન થયું. હનીફે તેના સમકાલીન દેશ-સમાજની પરિસ્થિતિમાં મંટોને યાદ કર્યો છે. મેં મારી આસપાસના પ્રવાહો જોઇને મંટોને યાદ કર્યો છે...પણ આપણી હનીફ જેવી કક્ષા નહિ!)

Friday, February 24, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૨)

(Famous photograph of Bhagat Singh, 1929. Source: Wikipedia)

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-1) (http://charkho.blogspot.com/2012/02/blog-post.html

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-૨)
- ભગતસિંહ

હવે આપણે બીજા પ્રશ્ન પર આવીએ છીએ જો (નાસ્તિક હોવા પાછળનું કારણ) ઘમંડ કે અહંકાર ન હોય તો આદિકાલથી ચાલી આવતી ઈશ્વર પરની માન્યતાને નકારવાનાં કોઈ મજબૂત કારણો મારી પાસે હોવા જોઈએ. ચાલો, એ પ્રશ્નની ચર્ચા કરીએ. મને લાગે છે કે જે વ્યક્તિ પાસે તર્કની શક્તિ હોય છે તે પોતાની જીંદગી અને આસ-પાસના લોકોને તે સમઝશક્તિથી સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. જ્યાં મજબૂત પુરાવાઓનો અભાવ હોય છે ત્યાં સાધકભાવવાળી ફિલસૂફી ઘૂસી જાય છે. મેં આગળ જણાવ્યા પ્રમાણે, મારા એક ક્રાંતિકારી મિત્ર કહેતા કે, '(સાધકભાવવાળી) ફિલસૂફી એ માનવીય નિર્બળતાનું પરિણામ છે'. આપણા પૂર્વજો પાસે જગતના રહસ્યોને ઉકેલવા માટે ઘણી ફુરસદ હતી; રહસ્યોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, તેનાં 'શા માટે' અને 'એટલાં માટે' વગેરે. પણ સીધા પુરાવાની જબરજસ્ત ખોટને લીધે, દરેકે પ્રશ્નોના ઉકેલો પોતાની રીતે શોધવાનો પ્રયત્ન કર્યો. તેથી જ આપણને વિવિધ ધાર્મિક પંથોના મૂળભૂત સિદ્ધાંતોમાં મોટો તફાવત જોવા મળે છે. ક્યારેક તેઓ બહુ વિરોધાભાસી અને વિસંવાદી સ્વરૂપો લે છે. આપણને પૂર્વીય (Oriental) અને પાશ્ચાત્ય (Occidental) ફિલસૂફીમાં મોટો તફાવત જોવા મળે છે. દરેક ભૂગોળાર્ધમાં વિવિધ પંથોની વિચાર-વ્યવસ્થામાં ફેરફાર જોવા મળે છે. એશિયામાં જોવા મળતા ધર્મોમાં, ઇસ્લામ ધર્મ હિંદુ ધર્મથી અસંગત છે, તો જૈન અને બૌદ્ધ ધર્મ એ બ્રાહમણવાદથી બહુ અલગ છે. અને પછી બ્રાહ્મણવાદની અંદર જ, આપણને બે વિસંગત પંથ જોવા મળે છે: આર્ય સમાજ અને સનાતન ધર્મ. ચાર્વાક વળી એક બીજો આદિકાલનો સ્વતંત્ર વિચારક જોવા મળે છે. તેણે તો ઈશ્વરની સત્તાને પડકારી છે. આ બધી જ માન્યતાઓ ઘણા મૂળભૂત સિદ્ધાંતોના પ્રશ્નોમાં એકબીજાથી ભિન્ન પડે છે, પણ તેમાંનો દરેકનો પોતે જ સાચો ધર્મ હોવાનો દાવો છે. દરેક અનિષ્ટનું મૂળ આ છે. વિવિધ વિચારો અને આદિકાલના ચિંતકોના પ્રયોગોને વિકસિત કરવાને બદલે, તે દ્વારા આપણી જાતને ભવિષ્યના સંઘર્ષ માટે વિચારો પર આધારિત હથિયારથી સજ્જ કરવાને બદલે - આપણે એવા આળસુ, સુસ્ત, ધર્માંધ છીએ કે - આપણે રૂઢિચુસ્ત ધર્મને વળગી રહીને સમગ્ર માનવ જાગૃતિને બંધિયાર ખાબોચિયાંના સ્તર પર લાવી મૂકી છે.

(માનવ) ઉન્નતિના કાજે આગળ આવતાં દરેક વ્યક્તિ માટે જૂની માન્યતાઓના દરેક સિદ્ધાંતની ટીકા કરવી બહુ જરૂરી હોય છે. તેણે જૂની માન્યતાઓની યોગ્યતાને એક પછી એક પડકારવી પડે. તેણે દરેક વિગતનું વિશ્લેષણ કરીને તેને સમજવી પડે. જો આકરા વિચાર-વિમર્શ પછી, વ્યક્તિ કોઈ પ્રકારની (ધાર્મિક) ફિલસૂફીના સિદ્ધાંતોમાં માનવા તરફ દોરાય તો તેની શ્રદ્ધા-માન્યતા સમજી શકાય. કદાચ તેનો તર્ક  ભૂલભરેલો કે ખોટા માર્ગે દોરનારો હોઈ શકે. પણ તેને સુધરી શકવાની તક છે કારણકે તર્કશક્તિ તેના જીવનનો માર્ગસૂચક સિદ્ધાંત છે. પણ શ્રદ્ધા - ખરેખર તો કહેવું જોઈએ - અંધશ્રદ્ધા વિનાશકારી છે. તે વ્યક્તિને તેની સમજણશક્તિથી વંચિત કરે છે અને તેને પ્રત્યાઘાતી બનાવે છે.

જો કોઈ વ્યક્તિ વાસ્તવવાદી બનવાનો દાવો કરતો હોય તો તેણે જૂની-પુરાણી માન્યતાઓની સત્યતાને પડકારવી જોઈએ. જો માન્યતાઓ તર્કનું ભીષણ આક્રમણ ખાળી ન શકે તો તે ભાંગી પડે છે. ત્યારબાદ નવી ફિલસૂફીનું ખેડાણ કરવાનું કામ વ્યક્તિએ શરુ કરવું જોઈએ. પહેલું કામ નકારાત્મક હતું. ત્યાર બાદ સકારાત્મક કામ આવે છે કે જેમાં જૂના સમયની થોડી સામગ્રીનો ઉપયોગ કરીને નવી ફિલસૂફીના સ્તંભ ચણી શકાય. જ્યાં સુધી મને લાગે વળગે છે ત્યાં હું સ્વીકારું છું કે આ વિષયમાં મારો પુરતો અભ્યાસ નથી. મને પૂર્વીય (Oriental) ફિલસૂફી ભણવાની બહુ સખત ઇચ્છા છે, પણ મને જોઇતી તક અને પુરતો સમય મળ્યો નથી. જો કે હું જ્યારે જૂની-પુરાણી માન્યતાઓને નકારું છું ત્યારે તે એક માન્યતાને બીજી માન્યતાથી હરાવવાની વાત નથી. હું તો જૂની માન્યતાઓની યોગ્યતાને મજબૂત દલીલો વડે પડકારું છું. હું પ્રકૃતિમાં એ રીતે માનીએ છીએ કે માનવ વિકાસનો આધાર પ્રકૃતિ પરના નિયમનમાં રહેલો છે. તેની પાછળ કોઈ ચેતનવંત સત્તાધીશ નથી. આ જ અમારી ફિલસૂફી છે.

હું એક નાસ્તિક તરીકે, આસ્તિકોને અમુક પ્રશ્નો પૂછું છું:

૧. જો, તમે એવું માનો છો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું, તો મહેરબાની કરીને સૌ પ્રથમ મને જણાવો કે, આ દુનિયાનું સર્જન જ કેમ થયું. આ દુનિયા કે જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતો નથી.

૨. મને એમ નહિ કહેતા કે આ જ તેનો નિયમ છે. જો તે નિયમોથી બંધાયેલો હોય તો તે સર્વશક્તિમાન નથી. એમ પણ ન કહેતા કે આ જ તેની મજા કે મરજી છે. (સમ્રાટ) નીરોએ રોમને સળગાવ્યું હતું. તેણે અમુક સંખ્યામાં લોકોને મારી નાખ્યા. તેણે ય અમુક કરુણાંતિકા સર્જી છે, તે પણ તેની મરજી મુજબની રોગિષ્ઠ મજા માટે. પણ તેનું ઇતિહાસમાં શું સ્થાન છે? કેવા નામ આપીને તેને આપણે યાદ કરીએ છીએ? બધા જ નિંદાત્મક વિશેષણો તેને અફાળવામાં આવે છે. નેરોને વખોડતી ભીષણ નિંદાથી ઇતિહાસના પાનાં રંગાયેલા છે: જુલમી, દયાવિહીન, દુરાચારી. એક ચંગીઝ ખાને અમુક હજાર લોકોને તેની મરજી મુજબની મજા માટે મારી નાખ્યા અને આપણે તેના નામમાત્રથી નફરત કરીએ છીએ. હવે, તમારો સર્વશક્તિશાળી, શાશ્વત નીરો, જે દર રોજ, દરેક ક્ષણે પોતાનો સમય પસાર કરવા માટે લોકોને મારે છે, તેને તમે કેવી રીતે વ્યાજબી ગણાવો છો? તમે કેવી રીતે તેના કારસ્તાનને સમર્થન આપો કે જે (કારસ્તાનો) ચંગીઝ ખાનથી ક્રૂરતામાં આગળ વધી જાય અને જેના લીધે લોકો પર કંગાલિયત લદાઈ જાય. હું પૂછું છે કે તે સર્વશક્તિશાળીએ આવી દુનિયા જ કેમ બનાવી કે જે જીવતા નર્ક જેવી છે, એક સદંતર બદસ્વાદ, શાંતિવિહોણી જગ્યા. તેણે માનવનું સર્જન જ કેમ કર્યું જ્યારે તેની પાસે તેમ ન કરવાની સત્તા હતી? શું તમારી પાસે મારા કોઈ પ્રશ્નોનો કોઈ જવાબ છે? તમે કદાચ એમ કહેશો કે આ બધું તો જે સહન કરે છે તેને સારું વળતર આપવા અને અનિષ્ટ કરનારને સજા કરવા માટે છે. વારુ, વારુ, તમે એક વ્યક્તિ કે જે પહેલા તમારા શરીરને પીડા આપે છે અને પછી તેના પર ધીમેથી પંપાળીને મલમ લગાડે છે તેના વર્તનને ક્યાં સુધી યોગ્ય ગણાવશો? પેલા કુસ્તીના દંગલના આયોજક કે સમર્થકો ગુલામ યોદ્ધાઓને ભૂખ્યા સિંહો સામે ફેંકી દેતા, જો તે ભયંકર મૃત્યુમાંથી બચી જાય તો તેમની સારવાર કરીને તેમની કાળજી લેતા, તેઓ કેટલા અંશે વ્યાજબી હતાં? તે માટે હું પૂછું છું કે: શું માનવીનું સર્જન આ પ્રકારની મજા લેવા માટે થયું હતું?

આંખો ઉઘાડો અને જુવો કે ઝૂંપડપટ્ટીઓમાં લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને તે ઝૂંપડીઓ જેલની ગમગીન અંધારકોટડી કરતાં પણ ગંદી હોય છે; મજૂરોને ધીરજપૂર્વક કે નિષ્ઠુરતાપૂર્વક જોતા રહો કે કેવી રીતે અમીર પિશાચ તેમનું લોહી ચૂસે છે; આ રીતે થતા માનવીય શક્તિના બગાડની વાત તમારા મન પર લઇ આવો કે જે થોડી પણ સામાન્યબુદ્ધિ ધરાવતા વ્યક્તિને થથરાવી મૂકશે. જરા જુવો કે અમીર દેશો તેમનું વધારાનું ખાદ્ય ઉત્પાદન, જરૂરીયાતમંદ અને વંચિતોમાં વહેંચવાને બદલે દરિયામાં ફેંકી દે છે. માનવીય કંકાલના પાયાઓ પર રાજાઓના મહેલો બંધાય છે. તેમને આ બધું જોવા દો અને બોલવા દો કે '' ઈશ્વરના રાજ્યમાં બધે સુખ-શાંતિ છે'' (All is well in God's Kingdom). આવું શા માટે? તે મારો પ્રશ્ન છે. તમે શાંત થઇ ગયા છો. ભલે ત્યારે, હું મારો આગળનો મુદ્દો ઉઠાવું છું.

તમે, હિંદુધર્મીઓ, એવું કહેશો કે: જે કોઈ પણ આ જનમમાં તકલીફો સહન કરે છે, તે પાછલા જનમમાં જરૂર પાપી હશે. એ વાતને સમકક્ષ એવું કહી શકાય કે જે અત્યારે શોષણકર્તા છે તે જરૂર પાછલા જનમમાં દૈવી લોકો હશે. માત્ર એ જ કારણથી અત્યારે તેમની પાસે સત્તાના સૂત્રો છે. હું સીધુંસટ કહું છું કે તમારા પૂર્વજો ચાલાક લોકો હતા. તેઓ હંમેશા ક્ષુદ્ર રમતો રચવાની શોધમાં રહેતા કે જેથી લોકોની તર્કની શક્તિ છીનવી શકાય. ચાલો, આગળ મારી દલીલમાં કેટલું વજન છે તેનું વિશ્લેષણ કરીએ.

ગુનો કરનારને મળતી સજા માટે કાયદાશાસ્ત્રની ફિલસૂફીમાં નિષ્ણાત લોકો ત્રણ કે ચાર સિદ્ધાંતોનો સજાને વ્યાજબી ઠરાવવા ઉપયોગ કરે છે. જે આ પ્રમાણે છે: બદલો, સુધારણા અને નિવારણ. બદલાના (કરેલા ગુનાની વસૂલાત) સિદ્ધાંતને તો હવે દરેક વિચારક વખોડી કાઢે છે. (ગુના) નિવારણનો સિદ્ધાંત પણ તેની ખામીના કારણે ત્યજાઈ જવામાં છે. (ગુનેગારના) સુધારણાનો સિદ્ધાંત હવે વિસ્તૃત સ્વીકૃતિ પામ્યો છે અને તેને માનવ વિકાસ માટે જરૂરી મનાય છે. તેનો ઉદ્દેશ ગુનેગારને સુધારવાનો છે અને તેને શાંતિપ્રિય નાગરિક બનાવવાનો છે. એવો કયો ઉદ્દેશ ભગવાને આપેલી સજા પાછળ હોય છે ભલેને પછી તે જેને કોઈ નુકસાન કર્યું છે તેને જ (સજા) કેમ ન મળી હોય? ચાલો, આ દલીલ માટે ક્ષણિક એવું માની લઈએ કે જો એક વ્યક્તિએ કોઈ ગુનો પાછલા જન્મમાં કર્યો હોય તો ભગવાન તેને બિલાડી કે ગાય, ઝાડ-પાન કે બીજું કોઈ પ્રાણી બનાવીને સજા આપે છે. તમે આવી ભગવાને આપેલી સજાઓનો હિસાબ માંડો તો ચોર્યાસી લાખ થાય છે. હવે આ મૂરખવેડાં, જે (ભગવાને આપેલી) સજાના નામે ચલાવાય છે તેની માનવજાત પર કોઈ સુધારણાવાદી અસર થાય છે કે? તમે એવા કેટલા લોકોને મળેલા છો કે જે કોઈ પાપ કરવાને લીધે પૂર્વજન્મમાં ગધેડાનો અવતાર હતાં? ચોક્કસ એવું કોઈ જ નહિ હોય! તો પછી આ પૂર્વજન્મનો પૌરાણિક કહેવાતો સિદ્ધાંત એ પરી-કથા સિવાય કશું નથી. મને તો આ અકથ્ય બકવાસને ચર્ચામાં લાવવાનો કોઈ મતલબ લાગતો નથી.

શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી શ્રાપિત પાપ હોય તો તે 'ગરીબ હોવું' છે? હા, ગરીબી એ પાપ છે, ગરીબી એ સજા પણ છે. ધિક્કાર હજો એ કાયદા ઘડનાર, વકીલ કે ન્યાયાધીશ પર કે જે વ્યક્તિને આવા અધમ પાપના કળણમાં ખૂંપાવી દેતા પગલાંની દરખાસ્ત કરે છે. શું તમારા સર્વજ્ઞ ઈશ્વરને આવું સૂઝ્યું નહિ કે પછી તેને આ સત્ય લાખો લોકોની અકથ્ય વેદનાઓ અને યાતનાઓ પછી જ સમજાયું? તમારા સિદ્ધાંતો પ્રમાણે, તમે એ વ્યક્તિની દશા વિષે શું માનો છો કે જેણે પોતે કોઈ ગુનો કર્યા વગર (કહેવાતી) નીચી જાતિના કુટુંબમાં જન્મ લીધો હોય? કે એ ગરીબ હોય અને તેના લીધે તે સ્કૂલ ન જઈ શકે. કે જેની એ જ નિયતિ છે કે તેને (કહેવાતી) ઉંચી જાતિમાં જન્મેલાં તરફથી ધિક્કાર મળે અને હડધૂત થવું પડે છે. તેના નિરક્ષરતા, ગરીબી અને બીજાઓ તરફથી મળતા ધિક્કારને લીધે તેનું હ્રદય સમાજથી વધુને વધુ વિમુખ થતું રહેશે. ધારો કે તે કોઈ ગુનો કરે તો તેનું પરિણામ કોણ ભોગવશે? તે વ્યક્તિ, ઈશ્વર કે સમાજના સુશિક્ષિત લોકો? સ્વાર્થી અને ગર્વિષ્ઠ બ્રાહ્મણોએ જેમને ઇરાદાપૂર્વક અજ્ઞાની રાખ્યા છે તેવા લોકોને મળતી સજાઓ વિષે તમારો મત શું છે? જો ભૂલથી આ ગરીબ 'પ્રાણીઓ' વેદો કે તમારા પવિત્ર પુસ્તકોના અમુક શબ્દો સાંભળી લીધા હોય તો આ બ્રાહ્મણો તેમના કાનમાં પ્રવાહી સીસું રેડી દેતા. જો એ લોકો કોઈ ગુનો કરે તો તેના માટે દોષિત કોણ? આખરે કોણે સહન કરવાનું આવશે?
મારા વહાલા દોસ્તો, આ બધા સિદ્ધાંતો અને શાસ્ત્રો એ વિશેષાધિકાર ભોગવતા વર્ગોની ઉપજ છે. તે લોકો આવા સિદ્ધાંતો-શાસ્ત્રોના ઉપયોગથી પોતાની સત્તાને વ્યાજબી ગણાવે છે, સંપત્તિ એકઠી કરે છે કે પચાવી પાડે છે. કદાચ અપ્ટન સીન્ક્લેરે જ ક્યાંક લખ્યું છે કે, 'માનવીને આત્માના અમરત્વમાં ચુસ્ત રીતે માનતો કરો, પછી તેની પાસે જે હોય તે લૂંટી લો, પછી તે પોતે પણ આ પ્રક્રિયામાં તમને રાજી-ખુશીથી મદદ કરશે'. ધાર્મિક પ્રચારકો અને સત્તાધારીઓ વચ્ચેની ગંદી સાઠગાંઠને લીધે ચાબુક, જેલ, વધસ્તંભ અને સૌથી વધુ તો આવા સિદ્ધાંતો વગેરેના 'વરદાન' (સમાજ પર) ઉતરી આવ્યા છે.

હું પૂછું છું કે શા માટે તમારો સર્વશક્તિશાળી ઈશ્વર (કે ધર્મ) કોઈ વ્યક્તિ પાપ કે ગુનો કરતો હોય તે પહેલા તેને રોકી શકતો નથી. ઈશ્વરમાટે તો તે બાળરમત હશે ને. શા માટે તેણે યુદ્ધખોરોને મારી ન નાખ્યા? શા માટે તેણે તેમના મગજમાંથી યુદ્ધનો ઉન્માદ જ ભૂંસી ન કાઢ્યો? આ રીતે તેણે માનવજાતને મોટી આફતો અને ત્રાસદીથી બચાવી હોત. શા માટે તે બ્રીટીશરોમાં માનવતાવાદી લાગણીઓ રેડતો નથી કે જેથી રાજી-ખુશીથી તેઓ ભારત છોડીને ચાલ્યા જાય? હું પૂછું છે કે શા માટે તે મૂડીવાદી વર્ગોના હ્રદયમાં પરગજુ માનવતાવાદ ઉમેરતો નથી કે જેથી ઉત્પાદન પ્રણાલીના ખાનગી અંકુશો તે છોડી દે અને મજૂરી કરતી સમગ્ર માનવજાતને નાણાંની બેડીઓમાંથી મુક્તિ મળે. જો તમે સમાજવાદી સિદ્ધાંતની વ્યવહારદક્ષતાના અંગે દલીલ કરશો તો હું તો તમારા સર્વશક્તિશાળી ઈશ્વર પર તેનું અમલીકરણ છોડી દઉં છું. સામાન્ય લોકો સમાજવાદી સિદ્ધાંતના ફાયદા સમાજ કલ્યાણની યોજનાઓ સુધી જ સમજે છે અને પછી તેનું અમલીકરણ ન થઇ શકે તેવા બહાનાં હેઠળ તેનો વિરોધ કરે છે. ભલે તો પછી ઈશ્વરને આગળ વધવા દો અને બધું વ્યવસ્થિત કરી દેવા દો! હવે તર્કને તરકટ કરવાનું બંધ કરીએ. બ્રિટીશ રાજ એ ઈશ્વરી ઇચ્છાના લીધે નથી પણ આપણે દ્ગઢતા અને હિંમતથી તેનો સામનો કરી શકતા નથી એટલે ચાલે છે. તેઓ આપણને ઈશ્વરી વરદાનથી દબાવી નથી રહ્યા પણ બૉમ્બ અને બંદૂક, રાઈફલ અને કારતૂસ, પોલીસ અને લશ્કર અને સૌથી વધુ તો આપણી પોતાની ઉદાસીનતાથી દબાવીને, તેઓ સફળતાથી સૌથી જઘન્ય પાપ કરી રહ્યા છે કે જેમાં એક દેશ બીજા દેશનું શોષણ કરે છે. ઈશ્વર ક્યાં છે? તે શું કરે છે? તેને આ બધું કરીને કોઈ  રોગીષ્ઠ મજા આવી રહી છે? એક નીરો! એક ચંગીઝ ખાન! મુર્દાબાદ!

હવે ઉપજાવી કાઢેલી વાતો ચાલતી હોય તેવો એક ઓર વિષય. તમે મને પૂછશો કે હું પૃથ્વીની વ્યુત્પત્તિ અને માનવજીવનની શરૂઆત કેવી રીતે સમજાવું છું. ચાર્લ્સ ડાર્વિને આ વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેના પુસ્તકનો અભ્યાસ કરો. સોહમ સ્વામીના 'કોમન સેન્સ' પર પણ નજર નાખો. તમને સંતોષકારક જવાબ મળી જશે. આ વિષયનો સંબંધ જીવવિજ્ઞાન અને પ્રકૃતિવિજ્ઞાન સાથે છે. આ કુદરતની બીના છે. વિવિધ અવકાશીય પ્રદાર્થોના અકસ્માતી મિશ્રણને લીધે બનતી નીહારિકામાંથી પૃથ્વીનો જન્મ થયો છે. ક્યારે? આ માટે (જૈવ) ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. આ જ પ્રક્રિયા દ્વારા પ્રાણીઓની ઉત્ક્રાંતિ થઇ અને લાંબા સમય બાદ માનવીની. ડાર્વિનનું પુસ્તક 'ઓરીજીન ઑફ સ્પીશીઝ' વાંચો. ત્યાર બાદનો સમગ્ર વિકાસ માનવીના કુદરત સાથેના સતત સંઘર્ષ અને કુદરતનો પોતાની રીતે ઉપયોગ કરવાની ખૂબી ને કારણે થયો. આ બીનાનું આ બહુ ટૂંકુ રેખાંકન છે.

તમારો આગલો પ્રશ્ન હશે કે પાછલા જન્મમાં કોઈ પાપ ન કર્યા હોવા છતાં કેમ કોઈ બાળક અંધ કે અપંગ જન્મે છે. આ પ્રશ્ન પણ જીવવિજ્ઞાનીઓ દ્વારા સંતોષકારક રીતે એક જીવવિજ્ઞાનની બીના તરીકે સમજાવવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે સમગ્ર આધાર માતા-પિતાના સભાન કે અભાનપણે કરેલી કોઈ ક્રિયા કે (શારીરિક) રચના પર હોય છે જેના લીધે જન્મ પહેલાથી જ બાળકમાં ખોડખાંપણ આવી હોય.

તમે મને કદાચ એક ઓર પ્રશ્ન પૂછશો, પણ તે બહુ બાલીશ છે. પ્રશ્ન છે કે જો ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોય તો લોકો તેમાં માનવાનું શરુ કેમ કરે છે? મારો જવાબ ટૂંકો અને સ્પષ્ટ છે. જેમ લોકો ભૂત, પ્રેતાત્મા વગરેમાં માને છે તેવી જ રીતે ઈશ્વર વિષે પણ માન્યતા ઉભી થઇ છે ને પ્રસર્યા કરે છે: એક જ ફરક એ છે કે ઈશ્વર વિષેની માન્યતા સાર્વત્રિક છે અને તેની પાછળ સુવિકસિત ધાર્મિક ફિલસૂફી છે. જો કે હું આવી ફિલસૂફી સાથે સંમત થતો નથી. તેની(ઈશ્વરની) વ્યુત્પત્તિ એ શોષણખોરોની લંપટાઈને આભારી છે. તેઓ એક સર્વોચ્ચ શક્તિનું અસ્તિત્વ હોવાનો પ્રચાર કરીને જનતાને પોતાની સત્તા હેઠળ દબાવીને રાખવા માંગતા હતા. આ રીતે ઈશ્વરી સત્તાનો અધિકૃત હક્ક પોતાની પાસે હોવાનો દાવો કરીને (સમાજમાં) વિશેષાધિકાર ભોગવતા રહ્યા. હું બધા જ ધર્મોના, સંપ્રદાયોના, ધાર્મિક ફિલસૂફીના કે આવી સંસ્થાઓના મૂળ મુદ્દાઓ સાથે અસંમત નથી થતો પણ લાંબા ગાળે તેઓ જુલમી, શોષણખોર વ્યક્તિઓ, સંસ્થાઓ અને વર્ગોના સમર્થકો કે પ્રતિનિધિ બની જાય છે. રાજાના સામે વિદ્રોહ કરવું તે દરેક ધર્મમાં હંમેશા પાપ જ ગણવામાં આવતું.

જ્યાં ઈશ્વરની વ્યુત્પત્તિની વાત છે ત્યાં મારો વિચાર છે કે જ્યારે માનવીને પોતાની નબળાઈ, ખામીઓ અને મર્યાદા વિષે ભાન થયું ત્યારે માનવીએ ઈશ્વરનું સર્જન પોતાની કલ્પનાઓથી કર્યું છે. આ રીતે તેને બધી જ કપરી પરિસ્થિતિનો અને જીવન દરમ્યાન આવતા બધા જ ડરનો સામનો કરવાની હિંમત મળી, અને તેને સમૃદ્ધિ અને સંપત્તિની (અસમાનતાની) વિરુદ્ધમાં ઊભરો દબાવી રાખવાનું કારણ પણ મળ્યું. ઈશ્વરને તેના ઉટપટાંગ કાયદા અને પૈતૃક ઉદારતા સાથે વિવિધરંગી કલ્પનાઓના રંગે સતત ચીતરવામાં આવ્યો. કોઈ વ્યક્તિ સમાજની સામે ભય ઉભો ન કરી શકે તે માટે ઈશ્વરનો ઉપયોગ દૈવી રોષ અને ઈશ્વરી કાયદાનું નામ લઈને પ્રતિબંધક પરિબળ તરીકે કરવામાં આવ્યો. ઈશ્વર દુર્દશા પામેલ આત્માના આક્રંદ માટે હતો કારણકે જ્યારે દુર્દશાનો સમય હોય અને વ્યક્તિ એકલવાયો અને અસહાય પડી જાય ત્યારે તે (ઈશ્વર)  માતા-પિતા, ભાઈ-બહેન કે મિત્ર તરીકે સાથે ઊભો રહી શકે. દુર્દશામાં રહેલા વ્યક્તિ માટે જ ઈશ્વર એક મદદરૂપ વિચાર છે.

જેમ સમાજ આંધળી મૂર્તિપૂજા અને ધર્મની સાંકડી વ્યાખ્યાઓનો વિરોધ કરે છે તે રીતે સમાજે ઈશ્વરમાં માન્યતાની સામે જ લડવું જોઈએ. આ રીતે માનવી પગભર થઇ શકશે. આ રીતે જ માનવી પોતાની શ્રદ્ધાને એક બાજુએ ફેંકીને બધી જ વિષમતાઓનો સામનો હિંમત અને બહાદુરીથી કરશે. અત્યારે મારા મગજમાં બિલકુલ આ જ છે. મારા મિત્રો, આ મારો ઘમંડ નથી, આ જ મારી વિચારવાની ઢબ છે જેના લીધે હું નાસ્તિક છું. મને નથી લાગતું કે હું ઈશ્વરમાં મારી માન્યતા મજબૂત કરીને અને તેને નિયમિતતાથી ભજીને, (આ મને કોઈ પણ વ્યક્તિ માટે બહુ નીચ ક્રિયા લાગે છે), હું મારી પરિસ્થિતિમાં કોઈ સુધારો લાવી શકું છું કે ન તો હું તેને વધુ બગાડી શકું છું. મેં ઘણા નાસ્તિકો વિષે બધી જ મુસીબતનો સામનો નીડરતાથી કરતા હોવાનું વાંચ્યું છે, તો હું ય છેક છેલ્લે સુધી મસ્તક ઉન્નત રાખીને પુરુષાતનથી ઊભો રહીશ, વધસ્તંભ ઉપર પણ.

ચાલો જોઈએ છીએ કે હું કેટલો મક્કમ છું. મારા એક મિત્રે મને પ્રાર્થના કરવાનું કહ્યું છે. મેં તેને જ્યારે મારી નાસ્તિકતા વિષે જણાવ્યું તો તે કહે, 'જ્યારે તારા છેલ્લા દિવસો આવશે, ત્યારે તું (ઈશ્વરમાં) માનવાનું શરુ કરીશ'. મેં કહ્યું, 'જી ના, મારા સાહેબ, એવું ક્યારેય નહિ બને. મને તે નીચ અને નૈતિક જુસ્સો તોડતું કામ લાગે છે. બસ, આવા જ સ્વાર્થી કારણો માટે, હું ક્યારેય કોઈને નહિ ભજું.' વાચકો અને મિત્રો, શું આ ઘમંડ છે? જો હોય તો હું તેમાં જ માનું છું.

------
આ લેખના ભાષાંતરની શરૂઆત એટલા માટે થઇ કારણકે મારે આ લેખ ધ્યાનથી વાંચવો હતો. ભાષાંતર કરીએ તો સૌથી વધારે ધ્યાનથી વાંચી શકાય. બસ, આ રીતે જ આ કામ હાથમાં લીધું. પહેલો ભાગનું ભાષાંતર કર્યા પછી જાણવા મળ્યું કે કે ગુજરાતીમાં ભગતસિંહના લખાણોનું વર્ષો પહેલા ભાષાંતર થયેલું, જે અપ્રાપ્ય છે. તેથી તો આ કામ કરવાની વધુ જરૂર લાગી. આ પહેલા મને ભગતસિંહની શહાદત વિશેની 'વાર્તા' ખબર હતી પણ તેમના વિચારો વિષે બહુ ખબર ન હતી. એવું લાગે છે કે આપણા સ્વતંત્રસેનાનીઓ રાજા-રાણી પ્રકારની વાર્તાઓના પાત્રો બની ગયા છે અને તેઓ ખરેખર શું માનતા કે વિચારતા, તેમાં કોઈને બહુ રસ હોતો નથી. પ્રવર્તમાન વિવિધ વિચારધારાઓના પડદા વડે તેમને ઢાંકવામાં આવે છે અને પોતપોતાના વિચારોને સંગત વ્યાજબી ઠરાવવામાં આવે છે. સૌથી મોટો પ્રશ્ન છે કે જે લોકો એ ભારતની સ્વતંત્રતા માટે જીવન આપ્યું, તેમના સ્વતંત્ર ભારતનું સ્વપ્ન કેવું હતું? અને એ સ્વપ્નની સરખામણીમાં અત્યારે ભારત કેવું છે? 
મને ભગતસિંહના વ્યક્તિત્વમાં બેહદ રસ પડ્યો છે. મોતની સજાની રાહ જોઇને બેઠેલો એક ત્રેવીસ વર્ષનો છોકરો,  પોતે શું માને છે, કેમ માને છે અને તેના વૈચારિક સંઘર્ષ શું છે તે જણાવવામાં તેને રસ છે. આદર્શવાદનો આડંબર નથી, કોઈ દેખાડો નથી પણ પોતે જે માને છે તે પ્રમાણે વર્તવા માટેનો સંઘર્ષ દેખાઈ આવે છે. કોઈની આંધળી ભક્તિ નહિ, ન ધર્મની, ન પોતાની વિચારધારાની, ન પોતાના મિત્રો વગેરેની. તેનામાં એક પ્રકારની પ્રૌઢતા છે, તાર્કિક શક્તિ છે, વિવિધ વિષયો પર પોતીકી દ્રષ્ટિ છે અને વગર વિચાર્યે કોઈ 'કંઠી' ન પહેરવાની સ્વતંત્ર બુદ્ધિક્ષમતા છે. આ બધા એક વિચક્ષણ નેતાના લક્ષણો છે. 
વળી પાછાં સમયનું વહેણ ભગતસિંહ સુધી ખેંચી લાવશે તો વધુ કામ કરીશું. ભાષાંતરની ભાષા વગેરે અંગે આપના સૂચન આવકાર્ય છે. પહેલી પોસ્ટ પછી મળેલા શુભવચનો અને સૂચનો માટે ખૂબ આભાર.

Saturday, February 11, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૧)

(One of the very few pictures of Bhagat Singh, (date is disputed) Source: Wikipedia article on Bhagat Singh)
મૂળ લેખ - નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા ૨૦૦૭માં પ્રસારિત, ડી.એન. ગુપ્તા સંપાદિત 'Bhagat Singh: Selected Speeches and Writings' પરથી.

ડી.એન.ગુપ્તાના કહેવા પ્રમાણે જેલમાં રહેલા ભગતસિંહ અને એક વૃદ્ધ કેદી વચ્ચે ચર્ચા થાય છે. પેલો કેદી ભગત સિંહને ધાર્મિક બનવાની સલાહ આપે છે અને એવું મહેણું પણ મારે છે કે જ્યારે અંત નજીક આવશે ત્યારે આપોઆપ ધાર્મિક બની જઈશ. જ્યારે ભગત સિંહના જિંદગીનો અંત નજીક હોય છે ત્યારે આ લેખ લખીને જેલ સત્તાવાળાથી છૂપાઈને તેમના પિતાજીને આપે છે. ભગતસિંહના પિતા લાલા લાજપતરાયે શરુ કરેલા સાપ્તાહિક 'ધ પીપલ'માં જૂન, ૧૯૩૧ના રોજ છપાવે છે. મૂળ લેખ પંજાબી ગુરુમુખીમાં લખાયો છે, જેનું ઉર્દુ અને પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. અહીં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયું છે. આ લેખની ત્રણ-ચાર આવૃત્તિઓ વિવિધ જગ્યાએથી મળી આવે છે. મેં અહીં મુખ્યત્વે ઉપર જણાવેલા પુસ્તક પરથી યથાયોગ્ય લાગ્યું તેવી રીતે ભાષાંતર કર્યું છે. ક્યારેક કૌંસમાં શબ્દો ઉમેરવાની કે ફકરા પાડવાની છૂટછાટ લીધેલી છે, પણ લખાણનાં મૂળ હાર્દને જેમનું તેમ જ રાખ્યું છે. કદાચ ભગતસિંહ પાસે આ લેખને મઠારવાનો સમય કે અનુકૂળતા નહિ હોય કે પછી વારંવાર ભાષાંતરને લીધે મૂળ લખાણનો લહેકો ખોવાયો હોય તેવું લાગે છે. મેં મારી જીજ્ઞાસા સંતોષવા અને આ વ્યક્તિને વધુ નજીકથી જાણવા માટે, ભાષાંતરના કામની કોઈ જ તાલીમ કે અનુભવ ન હોવા છતાં આ કામ હાથ ધરવાનું સાહસ કર્યું છે. ક્યાંક છબરડાં હોય તો ચોક્કસથી જણાવશો.

ફાંસીની સજાની રાહ જોઇને બેઠેલા ૨૩ વર્ષના છોકરડાએ આ લેખ લખ્યો છે. આ છોકરો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો 'શહીદ-એ-આઝમ' ન હોત તો પણ આ લેખ એટલો જ મહત્વનો છે. આ લેખ ખાસ્સો આત્મકથાનક છે. અહીં ભગતસિંહે પોતે કરેલું તેમના જીવનનું વર્ણન છે, પોતાની જાત સાથેના વૈચારિક સંઘર્ષનો એક પડઘો અહીં ઝીલાય છે. આ કોઈ ઉચ્ચ સ્થાનેથી બેસીને ઉપદેશ આપતો લેખક નથી પણ તમારી પાસે બેસીને 'લો કરું કોશિશ ને ફાવે તો કહું' કે 'કોઇ થોડું ખળભળાવે તો કહું' પ્રકારના લેખકનું લખાણ મને લાગે છે. લખાણમાં ભગતસિંહનું વ્યક્તિત્વ અને એક ઈમાનદારી ઝલકે છે અને તેથી જ અંગત રીતે આ લખાણની સરખામણી ગાંધીજીના 'સત્યના પ્રયોગો' સાથે થઇ જાય છે. તો હવે ભગતસિંહ પાસેથી સાંભળો કે તે કેમ નાસ્તિક છે. 

હું નાસ્તિક કેમ છું?
- ભગતસિંહ 
 
એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ. મને ક્યારેય એવું લાગતું નહોતું કે હું આ પ્રકારના વાદ-વિવાદમાં ઉતરીશ. મને બહુ જ ઓછા સમયથી જાણવા છતાં મારા અમુક મિત્રો (જો મારો મિત્રતાનો દાવો માન્ય રાખવામાં આવે તો)ની ચર્ચા પ્રમાણે તેઓ એવા ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મારી અ-ધાર્મિકતા (કે નાસ્તિકતા) એ મૂર્ખતા છે અને મારા અહંકારનું પરિણામ છે. આ ગંભીર પરિસ્થિતિ છે. હું કંઈ માનવીય બાલીશતાથી પર નથી. આખરે, હું ય માનવજાત જ છું અને તેનાથી વિશેષ કંઈ જ નથી. કોઈ તેનાથી વિશેષ હોવાનો દાવો જ ન કરી શકે. મારા વ્યક્તિત્વમાં એક ખામી છે જ, ગર્વ જેવો એક દુન્યવી ગુણ હું ય ધરાવું છું. મારા દોસ્તો મને સરમુખત્યાર કહે છે. ક્યારેક મને ફિશિયારીબાજ પણ કહેવામાં આવે છે. કેટલાક મને બહુ શેઠાઈ કરનાર માને છે, તો કોઈ કહે છે હું મારા વિચારો તેમની પર થોપું છું. હા, આ બધું કેટલીક હદ સુધી સાચું પણ છે. હું આ તહોમતને નકારી કાઢતો નથી. પણ જ્યારે આપણા સમાજના (ધાર્મિકતા જેવા) નકામા, કાલગ્રસ્ત, સડેલાં મૂલ્યોની વાત આવે છે, ત્યાં હું એકદમ વહેમી, સંશયી બની જાવું છું. (કારણકે) આ પ્રશ્ન મારા એકલા વિષે નથી. હું મારા વિચારો, મારા આદર્શો અંગે ગર્વ ધરાવું છું. એને ખાલી ગર્વ ન કહી શકાય. ગર્વ, કે પછી જો બીજો શબ્દ વાપરીએ તો, ઘમંડ, બંનેનો અર્થ થાય છે પોતાના વ્યક્તિત્વનું અતિશયોક્તિ ભર્યું નિદાન. શું મારી નાસ્તિકતા મારા મિથ્યા ગર્વને લીધે છે કે પછી લાંબુ અને ઊંડું વિચાર્યા બાદ મેં ઈશ્વરમાં માનવાનું બંધ કર્યું છે? આ અંગે હું મારા વિચારો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

હું એ સમજી શકતો નથી કે કેવી રીતે ઘમંડ કે ખાલી મિથ્યાભિમાન કોઈ વ્યક્તિને ભગવાન વિષે માનતા રોકી શકે. હું કોઈ સર્વશક્તિમાન વ્યક્તિની મહાનતાને ત્યારે જ નહિ સ્વીકારું કે જ્યારે કાં તો મને મારા પોતાના અથાગ પ્રયત્નોના લીધે ખ્યાતિ મળી હોય કે પછી હું મહાન બનવાની સર્વોચ્ચ માનસિક શક્તિઓથી વંચિત હોવ. આ સમજવું સહેલું છે. પણ એવું કેવી રીતે શક્ય છે કે કોઈ આસ્તિક પોતાના ઘમંડના લીધે નાસ્તિક બની જાય? બે જ વાતો શક્ય છે: કાં તો કોઈ માનવી પોતે દૈવી શક્તિ ધારણ કરે છે તેવું કહે કે પછી એક ડગલું આગળ વધીને તે પોતાની જાતને જ ભગવાન ગણાવે. આ બંને માન્યતાઓમાં જે-તે વ્યક્તિ ખરા અર્થમાં નાસ્તિક નથી. પહેલી પરિસ્થતિમાં એ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતો નથી;  જ્યારે બીજા કિસ્સામાં તો તે કોઈ પ્રકારની દૈવી શક્તિ દુનિયા ચલાવી રહી છે તેવી માન્યતાને સ્વીકારે છે. જો વ્યક્તિ પોતે ભગવાન હોવાનો દાવો કરે કે 'ભગવાનનું હોવું' તે સત્ય છે તે વાતનો સ્વીકાર કરે તો ય મારી દલીલ બદલાતી નથી. હકીકત એ છે કે બંને કિસ્સામાં તે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે. તે નાસ્તિક નથી. મારે આ મુદ્દો જ સમજાવો છે. હું આ બંનેમાંથી કોઈ પણ પ્રકારમાં નથી. હું સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વ-શક્તિમાન ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરું છું. એવું કેમ? તેની ચર્ચા હું આ લેખમાં પાછળથી કરીશ. અત્યારે મારે ફરી ભાર દઈને કહેવું છે કે હું નાસ્તિક છું તે પાછળનું કારણ મારું અભિમાન, ઘમંડ નથી; હું કોઈ દૈવી પુરુષ નથી, હું પયગંબર નથી, હું  પોતે ભગવાન પણ નથી. એક વાત સંપૂર્ણ સત્ય છે કે મારાં વિચારોની ઉત્પત્તિ મારા ઘમંડ કે ગર્વના લીધે નથી થઇ. આ પ્રશ્નના ઉત્તર માટે હું તેને સત્ય(ઘટનાઓ) સાથે સાંકળીશ.

મારા મિત્રો કહે છે દિલ્હી બોમ્બધડાકા અને લાહોર ષડ્યંત્ર કેસ પછી, હું પ્રસિદ્ધ થયો છું અને તેના લીધે મારું મગજ ફરી ગયું છે. આ આરોપ કેમ ખોટો છે, તેની ચર્ચા કરીએ. મેં ઈશ્વરમાં વિષે માનવાનું આ ઘટનાઓ પછી બંધ નથી કર્યું. હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય હું નાસ્તિક જ હતો. એક સામાન્ય કોલેજ જતો વિદ્યાર્થી પોતાના અંગે અતિશયોક્તિભર્યું ધારીને નાસ્તિકતા તરફ જઈ ન શકે. એ સાચું છે કે મારા અમુક શિક્ષકોમાં હું માનીતો હતો, પણ કંઈ બધા મને પસંદ કરતા નહોતા. હું કોઈ મહેનતુ કે ખંતીલો વિદ્યાર્થી પણ નહોતો. મને ક્યારેય ગર્વિષ્ઠ થવાની તક જ મળી નથી. હું મારા વહેવારમાં બહુ સાવધાન હતો ને મારા ભવિષ્યની કારકિર્દી અંગે લગભગ નિરાશાવાદી હતો. હું મારી માન્યતામાં સંપૂર્ણ નાસ્તિક પણ નહોતો. હું મારા પિતાજીની દેખરેખમાં મોટો થયો હતો. તેઓ ચુસ્ત આર્યસમાજી હતાં. એક આર્યસમાજી નાસ્તિક સિવાય કંઈ પણ બની શકે. મારા પ્રારંભિક શિક્ષણ બાદ, મને લાહોરની ડી.એ.વી. કોલેજમાં મોકલવામાં આવ્યો. હું બોર્ડીંગ હાઉસમાં એક વર્ષ રહ્યો. સવારની પ્રાર્થનાઓ સિવાય, સાંજે હું કલાકો સુધી ધાર્મિક મંત્રોનું પાઠ કરતો. એ વખતે, હું સંપૂર્ણ આસ્તિક હતો. ત્યારે હું મારા પિતાજી જોડે રહેતો હતો. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓમાં ખાસ્સા સહિષ્ણુ હતાં. તેમની પ્રેરણાના લીધે મેં મારું જીવન દેશને આઝાદ કરાવવા પાછળ કુરબાન કર્યું છે. પણ તેઓ નાસ્તિક નહોતા. તે ભગવાનને દુનિયાની સર્વોચ્ચ શક્તિ માનતા. તેમણે મને રોજ પ્રાર્થના કરવાની સલાહ આપેલી. આવી રીતે જ મને મોટો કરવામાં આવેલો. અસહકારની લડતના દિવસોમાં, નેશનલ કોલેજમાં મને પ્રવેશ મળ્યો. મારા આ કોલેજમાં રોકાણ દરમ્યાન મેં ધાર્મિક વિવાદ-વિમર્શ વિષે વિચારવાનું શરુ કર્યું અને હું ઈશ્વરના અસ્તિત્વ અંગે વધુ સંશયી બન્યો. તે હકીકત સિવાય, હું એમ કહી શકું કે એ વખતે મારી ઈશ્વરમાં માન્યતા મજબૂત બની હતી. મેં (શીખ માન્યતા મુજબ) દાઢી અને કેશ વધારેલા. આ બધું થયું છતાં હું મારી જાતને શીખ કે બીજા કોઈ ધર્મના સામર્થ્ય અંગે સ્પષ્ટ કરી શક્યો નહોતો. પણ મારી ઈશ્વરમાં શ્રદ્ધા અચલ, અફર હતી.

તે પછી હું ક્રાંતિકારી પાર્ટીમાં જોડાયો. હું જે પહેલા નેતાને મળ્યો, તેમની પાસે પોતાને ખુલ્લેઆમ નાસ્તિક ગણાવવાની હિંમત નહોતી. તે આ વિષયમાં કોઈ આખરી મત પર પહોંચ્યા નહોતા. મેં તેમને જ્યારે પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે પૂછ્યું તો તેમને મને આ જવાબ આપ્યો, 'જો તમારે ઈશ્વરમાં માનવું હોય તો માની શકો છો'. જે બીજા નેતાના હું સંપર્કમાં આવ્યો તે સંપૂર્ણપણે આસ્તિક હતાં. મારે તેમનું નામ કહેવું જોઈએ. તે હતાં અમારા સન્માનનીય બિરાદર સચિન્દ્ર નાથ સાન્યાલ. તેમને કરાંચી ષડ્યંત્ર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેમના પુસ્તક 'બંદી જીવન'ના પ્રથમ પાનાથી તેઓ ઈશ્વરની મહત્તાના ગુણગાન ગાય છે. આ પુસ્તકના બીજા ભાગનું છેલ્લું પાનું જોશો તો જાણે કોઈ સાધક ઈશ્વરના વખાણ કરતો હોય તેવું જણાશે. આ તેમના વિચારોનું સીધું પ્રતિબિંબ છે.

ફરિયાદી પક્ષના કહેવા પ્રમાણે, (અમારું) 'ક્રાંતિકારી ચોપાનિયું' કે જે દેશભરમાં વહેંચાયેલું તે સચિન્દ્ર નાથ સાન્યાલના બુદ્ધિશક્તિની મહેનતનું પરિણામ છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એવું ઘણીવાર બને છે કે નેતા પોતાના અંગત વિચારોને રજૂ કરે છે, જે તેમને પોતાને સ્પષ્ટ હોય છે પણ બીજા કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધ મતોને ખાળીને પણ (નેતાના) વિચારોને માનવા પડે છે. પેલા ચોપાનિયામાં, એક આખો ફકરો ઈશ્વરના વખાણ કરવામાં ફાળવાયેલો કે જેમાં આપણે માનવજાત ઈશ્વરની લીલા સમજી શકતા નથી તે પ્રકારની વાત હતી. આ તો ખુલ્લેઆમ ભક્તિભાવ જ હતો. હું એ વાત રજૂ કરવા માંગુ છું કે કોઈને પણ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરવાનું સુઝ્યું પણ નહિ. કાકોરીના બહુખ્યાત શહીદો, એ ચારેય જણાંએ પોતાના છેલ્લા દિવસો પ્રાર્થના કરીને વિતાવેલા. રામ પ્રસાદ બિસ્મિલ ચુસ્ત આર્યસમાજી હતાં. રાજન લાહિરી, તેમના સમાજવાદ અને સામ્યવાદના વિસ્તૃત અભ્યાસ બાદ પણ, ઉપનીષદો અને ગીતાના શ્લોકો ગાવાની ઈચ્છા દબાવી શકતા નહિ. તેઓમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ હતો કે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતો ન હતો. તે એવું કહેતો કે, 'ધર્મ એ માનવસ્વભાવની નબળાઈ કે માનવ સમજની મર્યાદાની નિષ્પત્તિ છે.' તેને પણ આજીવન કેદની સજા થઇ હતી. જો કે તેણે પણ ક્યારેય ઈશ્વરના અસ્તીસ્ત્વનો ઇન્કાર કર્યો નહિ.

ત્યાં સુધી હું એક ભાવનાશીલ ક્રાંતિકારી હતો, માત્ર મારા નેતાઓનો અનુયાયી. ત્યાર બાદ સમગ્ર જવાબદારીનું વહન કરવાનો સમય આવ્યો. કેટલાક સમય માટે, અમુક લોકોના મજબૂત વિરોધના લીધે પાર્ટીના અસ્તિત્વ પર જ ખતરો આવી પડ્યો. ઘણા નેતાઓ તથા ઉત્સાહી કાર્યકરોએ પાર્ટી અંગે મેણાં-ટોણાં મારવાંનું શરુ કર્યું. અમારી મજાક ઉડાવી. મને એ વખતે ક્યાંક એવી શંકા હતી કે એક દિવસ આ બધું વ્યર્થ અને મૂલ્યહીન લાગશે. પણ તે મારી ક્રાંતિકારી કારકિર્દીનો ટર્નિગ પોઈન્ટ હતો. મારા હૃદયમાં વધુ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. 'વધુને વધુ અભ્યાસ કર', તેવું મેં મારી જાતને કહ્યું કે જેથી હું મારા વિરોધીઓની દલીલોનો સામનો કરી શકું. 'અભ્યાસ કર' કે જેથી તું તારા વિચારોને વિશ્વાસપ્રદ દલીલોથી ટેકો આપી શકે. અને પછી મેં ગંભીરતાથી અભ્યાસ શરુ કર્યો. મારી પાછલી માન્યતાઓ અને ખાતરીઓમાં ધરમૂળથી બદલાવ આવ્યો. હિંસક લડતનો રોમાંચ અમારા પૂર્વગામીઓ પર હાવી હતો, હવે નવા ગંભીર વિચારોએ તેમની જગ્યા લીધી. હવે કોઈ ભક્તિભાવ નહિ, હવે કોઈ અંધશ્રધ્ધા નહિ. હવે વાસ્તવવાદ જ અમારા વિચારવાની પદ્ધતિ હતો. જ્યારે તીવ્ર જરૂરીયાત હોય ત્યારે જ આત્યંકિત પદ્ધતિનો સહારો લેવો, બાકી જન આંદોલનમાં હિંસાથી વિરોધી પરિણામો આવે છે. (જો કે) મેં અમારી પદ્ધતિઓ વિષે બહુ વાત કરી છે. સૌથી મહત્વની વાત હતી અમારી વિચારધારા અંગે સ્પષ્ટ વિભાવના, કે જેના માટે અમે લાંબી લડત લડી રહ્યા છીએ. ત્યારે કોઈ પણ ચૂંટણીની ગતિવિધિઓ ન હોવાથી, મને વિવિધ લેખકોના વિવિધ વિચારોનો અભ્યાસ કરવાની પૂરતી તક મળી. મેં અરાજકતાવાદી (રશિયન) નેતા બાકુનીનનો અભ્યાસ કર્યો. મેં સામ્યવાદના પિતામહ માર્ક્સના અમુક પુસ્તકો વાંચ્યા. મેં લેનિન અને ટ્રોટ્સ્કી અને બીજા દેશોમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવનાર ક્રાંતિકારી લેખકો વાંચ્યા. આ બધા નાસ્તિક હતાં. બાકુનીનના પુસ્તક 'ઈશ્વર અને રાજ્યસત્તા'ના વિચારો કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચતા નથી, છતાંય તે એક રસપ્રદ પુસ્તક છે. ત્યારબાદ હું નીર્લાંબા સ્વામીના પુસ્તક 'સામાન્ય બુદ્ધિ' (Common Sense)ના સંપર્કમાં આવ્યો. તેમનું વિશ્વદર્શન એક પ્રકારની આધ્યાત્મિક નાસ્તિકતાનું છે. મને આ વિષયમાં રસ પડ્યો. વર્ષ ૧૯૨૬ના અંત સુધી, મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયંત્રણ કરી રહ્યો છે તે માન્યતા કોઈ રીતે આધારભૂત નથી. મેં મારા મિત્રો સાથે ચર્ચા કરવાનું શરુ કર્યું. મેં મારી જાતને ખુલ્લી રીતે નાસ્તિક ઘોષિત કરી. તેનું શું પરિણામ આવ્યું તેની ચર્ચા હું આગળ કરી રહ્યો છું.

૧૯૨૭ના મે મહિનામાં લાહોરમાં મારી ધરપકડ થઇ. આ ધરપકડથી મને બહુ જ આશ્ચર્ય થયું. મને એવો કોઈ ખ્યાલ જ નહોતો કે પોલીસ માટે હું 'વોન્ટેડ' છું. હું એક બાગમાંથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક પોલીસે મને ચાર બાજુથી ઘેરી લીધો. એ વખતે મારી પોતાની ઠંડક જોઈને મને પણ આશ્ચર્ય થયું હતું. હું મારા પૂરા નિયંત્રણમાં હતો. મને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. બીજા દિવસે મને રેલ્વે પોલીસના લોક-અપમાં પૂરવામાં આવ્યો અને આખો મહિનો રાખવામાં આવ્યો. ઘણા દિવસો પછી પોલીસના માણસો સાથેની વાતચીતથી મને ખબર પડી કે તેમની પાસે મારા કાકોરી પાર્ટી સાથેના સંબંધો અંગે કૈંક માહિતી છે. મને એવું લાગ્યું કે તેમની પાસે મારી બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી પણ છે. તેમણે કહ્યું કે જ્યારે કાકોરી ષડ્યંત્ર અંગે ખટલો ચાલતો હતો ત્યારે હું લખનૌમાં હતો અને તે 'અપરાધીઓ'ને ભગાડવાની તજવીજમાં હતો. તેમણે એ પણ કહ્યું કે આ પ્લાનના આયોજન પછી, અમે કેટલાક બોમ્બ મેળવ્યા અને તેના ટેસ્ટીંગ માટે અમે દશેરાના (લીધે ભેગા થયેલા) ટોળામાં પણ ફોડ્યા હતાં. તેમણે મને ક્રાંતિકારી પાર્ટીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી દેવાથી છોડી મૂકવાની ઓફર પણ કરી. આ રીતે, હું બહાર જઈ શકીશ, મને ઇનામ મળશે અને મારે કોર્ટમાં અપ્રૂવર તરીકે રજૂ પણ નહિ થવું પડે. હું આ બધા પ્રસ્તાવો પર હસ્યા વિના રહી શક્યો નહિ. આ બધું જ બકવાસ હતું. અમારા જેવા વિચાર ધરાવનારા વ્યક્તિઓ પોતાના જ લોકોના નિર્દોષ ટોળાં પર બોમ્બ ફેંકતા નથી. એક વખત સી.આઈ.ડી.ના સીનીયર અફસર મી.ન્યુમેન મારી પાસે આવ્યા. સહાનુભૂતિના શબ્દોથી ભરેલી તે લાંબી વાતચીત દરમ્યાન, તેમને મને એ જેને દુખદ સમાચાર ગણાવતા હતાં તે કહ્યા કે જો હું તેમને તેમના કહ્યા પ્રમાણેનું સ્ટેટમેન્ટ નહિ આપું તો કાકોરી ષડ્યંત્ર હેઠળ મારા પર રાજદ્રોહના આરોપ સાથે અને દશેરાની ઘટનાને લઈને ખટલો ચાલશે. આ બાદ તેમણે જણાવ્યું કે તેમની પાસે મને ગુનેગાર સાબિત કરીને ફાંસીએ દેવા માટે પૂરતા પુરાવાઓ છે. 

હું સંપૂર્ણ રીતે નિર્દોષ હતો પણ મને ખબર હતી કે પોલીસ પાસે જો ધારે તો (મને ફાંસી દેવાની) પૂરતી સત્તા ધરાવે છે. એ જ દિવસે મને કેટલાક પોલીસ અફસરોએ દિવસમાં બે વાર નિયમિત રીતે પ્રાર્થના કરવા સમજાવ્યો. હું તો નાસ્તિક હતો. મેં વિચાર્યું કે આ મારી જાત જોડે નક્કી થઇ જવા દઈએ કે હું સુખ-શાંતિના દિવસોમાં જ મારી નાસ્તિકતાની ફિશિયારી મારું છું કે પછી કપરાં દિવસોમાં પણ હું મારી માન્યતાઓને સુદ્રઢ રીતે વળગી રહી શકું છું. મારી જાત જોડેના લાંબા સંઘર્ષ બાદ, હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે હું આસ્તિક હોવાનો દેખાવ કરી શકું નહિ કે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરી શકું તેમ નથી. ના, હું ક્યારેય તે કરી શક્યો ન હોત. આ કસોટીનો કાળ હતો અને હું તેમાં સફળતાથી પાર ઉતર્યો. મારા આ જ વિચારો છે. એક ક્ષણ માટે પણ મને મારું જીવન બચાવવાનો વિચાર નહિ આવ્યો. હું એક સાચો નાસ્તિક ત્યારે ય હતો અને હું એક નાસ્તિક અત્યારે પણ છું. આવી પરિસ્થિતિનો સામનો કરવો સહેલો નહિ હતો. શ્રધ્ધા કપરાં કાળમાંથી પસાર થવું સહેલું બનાવે છે અને ક્યારેક આનંદકારક પણ. માનવીને ભગવાનમાં મજબૂત સહારો મળી રહે છે અને ભગવાનનું નામ લેવામાં એક પ્રેરણાદાયી સાંત્વન પણ. જો ઈશ્વરમાં વિશ્વાસ ન હોય તો પોતે પોતાનો સહારો બન્યા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. આંધી-તોફાન અને વાવાઝોડાની સામે પોતાના પગ પર અડગ રહેવું તે કંઈ બચ્ચાંના ખેલ નથી. કપરામાં સમયમાં જે કંઈ બાકી બચ્યો હોય તે બધો ઘમંડ ઓગળી જાય છે અને માણસ પાસે સામાન્ય લોકોમાં સર્વમાન્ય વાતને ખાળવા માટેની હિંમત હોતી નથી. જો કોઈ વ્યક્તિ આવી માન્યતાઓ સામે બંડ પોકારી શકે તો આપણે માની લેવું જોઈએ કે આ કોઈ ઘમંડ નથી પણ તે વ્યક્તિ પાસે અસાધારણ શક્તિ છે.

અત્યારે આવી જ પરિસ્થિતિ છે. સૌથી પહેલાં, આપણને સૌને ખબર છે કે કોર્ટનો ચુકાદો શું આવવાનો છે. કદાચ એકાદ અઠવાડિયામાં તે જાહેર થશે. હું મારી જીંદગી એક આંદોલનના માટે ન્યોછાવર કરવાનો છું. આ સિવાય મારી પાસે શું સાંત્વન છે! એક શ્રધ્ધાળુ હિંદુ પુનર્જન્મ પામીને એક રાજા બનવાની આશા રાખી શકે; એક મુસ્લિમ કે ખ્રિસ્તી તેમની તકલીફ અને બલિદાનના લીધે સ્વર્ગમાં મળનારા આનંદ-પ્રમોદના સપનાં જોઈ શકે. હું ક્યા પ્રકારની આશા પંપાળું? મને ખબર છે કે અંત આવશે ત્યારે મારાં ગળાની આસપાસ એક ગાળિયો ભીંસાશે અને મારાં પગની નીચેથી પાટિયું હટી જશે. ચોક્કસ ધાર્મિક શબ્દો વાપરીએ તો, તે મારાં સંદતર સર્વનાશની (કયામતની) પળ હશે. મારો આત્મા શૂન્ય થઇ જશે. હું જો આ આખી વાત (મારાં સત્કર્મોના) 'વળતર'ની રીતે જોવાની હિંમત કરું, તો મને દેખાય છે કે કોઈ ભવ્ય અંત વિનાની મારી સંઘર્ષમય ટૂંકી જીંદગી એ જ મારું સાચું 'વળતર' છે. બસ, એટલું જ! અત્યારે કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર પામવાના સ્વાર્થી પ્રયોજન વગર, બહુ જ નીરસતાથી મેં મારી જીંદગી આઝાદીના કાજે અર્પણ કરી છે. હું બીજું કશું કરી જ ન શક્યો હોત. આઝાદીના નવા યુગનું પ્રભાત જરૂર ઉઘડશે કે જ્યારે માનવતાની સેવાના વિચારમાંથી હિંમત એકઠી કરીને અને જોર-જુલમથી છૂટકારો મેળવવા માટે, મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ એવું નક્કી કરશે કે આ આંદોલનના ઉદ્દેશ પર જીવન ન્યોછાવર કરવા સિવાય બીજો કોઈ આરો નથી. એ ભેગા થઈને જુલમી, દમનકારી, શોષણકર્તાઓ સામે યુદ્ધ છેડશે, રાજા કે રાણી બનવા માટે નહિ, કે કોઈ વળતર અત્યારે કે આવતા જન્મમાં મેળવવા નહિ કે મર્યા પછી સ્વર્ગ પામવા નહિ; પણ ગુલામીની જંજીરો ફગાવી દેવા માટે, સ્વતંત્રતા અને શાંતિની સ્થાપના માટે, એ લોકો આ જોખમી પણ યશસ્વી માર્ગ ખેડશે. શું પોતાના ઉદ્દેશો પર તેમના ગર્વને ઘમંડ કહી શકાય? કોણ એવું વાહિયાત છે કે જે આમ કહી શકે? હું તેને કહીશ કે તે મૂર્ખ અને દુષ્ટ છે. આવી વ્યક્તિની ઉપેક્ષા જ કરી શકાય કે જેને હૃદયમાંથી ઉઠતી આ વાતનું ઊંડાણ, લાગણીઓ, અભિવ્યક્તિ અને ઉમદા ભાવના સમજાતી નથી. તેનું હર્દય મૃત છે, એક હાડ-માંસનો લાગણી વિનાનો ઢગલો. તેની માન્યતાઓ ઢચુપચુ છે અને લાગણીઓ રુક્ષ છે. તેના સ્થાપિત હિતો તેને સત્ય જોવા માટે સક્ષમ બનાવતા નથી. ખેર, આપણી માન્યતાઓમાંથી જ્યારે પણ આપણે હિંમત મેળવીએ છીએ ત્યારે આ રીતે ઘમંડી હોવાની ઉપાધિ મળી જાય છે.

જો તમે લોકપ્રિય લાગણીઓની વિરુદ્ધમાં જાઓ; જો તમે કે એક હીરોની ટીકા કરો, એક મહાન માણસ કે જેને સામાન્ય રીતે બધી જ ટીકાઓથી પર ગણવામાં આવે છે. તો શું થાય છે? કોઈ તમારી દલીલોનો જવાબ વિવેકબુદ્ધિથી નહિ આપી શકે; તેને બદલે તમને ખોટી ડંફાસ મારનાર ધારી લેવામાં આવશે. આવું થવાનું કારણ માનસિક મંદતા છે. દયાહીન ટીકા અને સ્વતંત્ર વિચારશક્તિ એ ક્રાંતિકારી વિચારધારાના બે મહત્વના લક્ષણ છે. જેમકે મહાત્માજી (ગાંધીજી) મહાન છે, તેઓ ટીકાઓથી પર છે અને તેઓ આ બધી બાબતોથી ઉપર ઉઠી ચુક્યા છે, તેઓ રાજકારણ, ધર્મ કે નૈતિકતાની બાબતમાં જે કંઈ પણ કહે છે તે જ સત્ય છે. તમે સહમત થાઓ કે નહિ, આ સત્ય માનવા તમે બંધાયેલા છો. આ બહુ રચનાત્મક વિચારશીલતા નથી. એવું પણ બને કે આપણે એક ડગલું આગળ માંડીએ ને અમુક ડગલાં પાછળ પણ જઈએ.

આપણા પૂર્વજોએ ધર્મ કે શ્રદ્ધાને કોઈક પ્રકારની સર્વોચ્ચ શક્તિમાં રૂપાંતરિત કરી નાખી છે. તેથી જ તો, જે પણ શ્રદ્ધાની પ્રમાણભૂતતાને પડકારે કે ઈશ્વરના અસ્તિત્વને નકારે, તેને કાફર કે વિશ્વાસઘાતી કે દ્રોહી ગણવામાં આવે. ભલે પછી તેની દલીલો એટલી મજબૂત હોય કે તેને નકારી ન શકાય, ભલેને પછી તેનો આદર્શ એટલો મજબૂત હોય કે તેને સર્વશક્તિમાનના શ્રાપને લીધે આવતી બદકિસ્મતીઓની ધમકીઓ આપીને ઘૂંટણીયે ન પાડી શકાય, તો પછી તેને ઘમંડી કહીને ઉતારી પાડવામાં આવે છે. જો આમ થતું હોય તો શા માટે આ પ્રકારની ચર્ચામાં મારે મારો સમય બગાડવો? જો કે આપ લોકો સમક્ષ આ પ્રશ્ન પ્રથમ વખત આવ્યો છે એટલે મને આટલી લાંબી ચર્ચાની જરૂરીયાત અને ઉપયોગીતા લાગી.  

જ્યાં સુધી આ પહેલા પ્રશ્નનો સવાલ છે, ત્યાં મને લાગે છે કે મેં સ્પષ્ટ કર્યું છે કે હું કોઈ ઘમંડને લીધે નાસ્તિક નથી બન્યો. હું નહિ માત્ર મારા વાચકો જ નક્કી કરશે કે મારી દલીલોનું વજન પડે છે નહિ. હું જો ઈશ્વરમાં માનતો હોત તો, મને ખબર છે કે વર્તમાન પરિસ્થિતિમાં મારી જીંદગી સહેલી બની હોત, આ બોજ કૈંક હળવો બન્યો હોત. મારાં ઈશ્વરમાં અવિશ્વાસને કારણે બધી જ પરિસ્થિતિઓ વિકટ ભાસે છે અને આગળ પણ બધું વધુ ખરાબ જ થશે. થોડા ભક્તિભાવવાળા બનવાથી આવી પરિસ્થિતિને કાવ્યાત્મક વળાંક આપી શકાય. પણ મને મારાં અંત સાથેની મુલાકાત માટે કોઈ અફીણની જરૂર નથી. હું વાસ્તવવાદી વ્યક્તિ છું. હું વિવેકબુદ્ધિની મદદથી હું આવા વલણ પર વિજય મેળવવા ઈચ્છું છું. હું મારાં પ્રયત્નોમાં હંમેશા સફળ થતો નથી. પણ માનવીનું કર્તવ્ય છે કે પ્રયત્નો કરવા. સફળતાનો આધાર મળતી તકો અને બનતી પરિસ્થિતિઓ પર હોય છે.

(આ સળંગ નિબંધ છે, પણ આ બ્લોગ માટે પોસ્ટ બહુ જ લાંબી થઇ જતી હોવાથી આ બે ભાગ પાડ્યા છે. આ ભાગમાં ભગતસિંહ મોટેભાગે તેની નાસ્તિકતા ઘમંડને કારણે નથી તેની ચર્ચા કરે છે, જ્યારે બીજા ભાગમાં તે નાસ્તિકતા ઘમંડને કારણે નથી તો ક્યા કારણે છે તે વિષે લખે છે. બીજો ભાગ જોવા મળશે: http://charkho.blogspot.co.uk/2012/02/blog-post_24.html

Wednesday, January 25, 2012

ગુજરાતમાં આધુનિક સ્થાપત્ય

(નોંધ: આ ગુજરાતી ભાષામાં લખેલો મારો પ્રથમ લેખ. આર્કિટેક્ચરની ટેકનીકલ ભાષાને સરળ ગુજરાતીમાં ઉતારવાની અને ગુજરાતીમાં અભિવ્યક્તિ મેળવવાની મથામણને લીધે આ લેખ લખવામાં બહુ સમય લાગ્યો હતો અને મજા પણ આવી હતી. આ લેખ ગયા વર્ષે સિતાંશુ યશચંદ્ર સંપાદિત 'ફાર્બસ ગુજરાતી સભા' નામના ત્રિમાસિકમાં પ્રકાશિત થયો છે - પુસ્તક ૭૬, સંયુક્તાંક ૨, એપ્રિલ-જૂન અને જુલાઈ-સપ્ટેમ્બર 2011. અહીં દસ્તાવેજીકરણ અને બ્લોગ નિયમિત વાંચતા મિત્રો સાથે વહેંચવાના આશયથી મૂક્યો છે. મૂળ લેખ નોન-યુનીકોડમાં હોવાથી દરેક પાનાંને 'ઈમેજ' સ્વરૂપે મૂક્યા છે. જે-તે ઈમેજ પર ક્લિક કરવાથી વધુ મોટા સ્વરૂપે જોઈ શકાશે.)








Thursday, January 19, 2012

મૂર્ખામીનો યુગ (the age of stupid)

 ઇતિહાસમાં એક એવો સમય હતો કે જ્યારે સૂર્યમંડળના એક ગ્રહ પરની એક પ્રજાતિ પર મોટો ખતરો તોળાઈ રહ્યો હતો અને આ વિનાશક ખતરાની ચેતવણીઓ વારંવાર વિવિધ સ્વરૂપોમાં મળતી રહેતી હતી. આ ખતરાને ખાળવા માટેના યંત્રો પણ હતા અને ખતરાને સમજવાનું જ્ઞાન-વિજ્ઞાન પણ. છતાંય મોટાભાગનાં સભ્યોને આવી ચેતવણીઓથી વિમુખ થવાનું વ્યાજબી લાગ્યું. વિનાશની ચેતવણી આપતી લઘુમતીને ભેજાગેપ ગણી લેવામાં આવી. કેટલાકે પોતાના ટૂંકા ગાળાના ફાયદા માટે કે સત્તા ટકાવી રાખવા જૂઠાણાં ચલાવ્યા કે 'બધું બરાબર છે અને કોઈ વિનાશ થવાનો નથી'. કેટલાય સભ્યો 'શતરંજ કે ખિલાડી'માં આગળ ધપતા અંગ્રેજી શાસનની સામે દ્રોહ કરવાને બદલે રાગ-રંગમાં ડૂબેલા ઉમરાવોની જેમ પોતાના રોજબરોજનાં જીવનના રાગ-રંગમાં ડૂબેલા રહ્યા. કેટલાક અંદર-અંદર લડતા રહી ગયા. કેટલાક ભગવાનને ભરોસે બેસી રહ્યા તો કોઈને એવું લાગ્યું કે કૈંક નવું શોધાશે અને બધું બચાવી લેવામાં આવશે. આખરે, ધીમી અને પીડાજનક રીતે વિનાશ થતો ચાલ્યો અને બધું ડૂબી ગયું. વિનાશ બાદ આ પ્રજાતિના બાકી બચેલા થોડા-ઘણા સભ્યોએ આ સતત ભૂલોથી ભરેલા સમયને નામ આપ્યું, મૂર્ખામીનો યુગ (the Age of Stupid). આ ગ્રહ હતો પૃથ્વી અને પ્રજાતિ હતી માનવજાત અને વિનાશક ખતરાનું નામ હતું, ક્લાઈમેટ ચેન્જ ઉર્ફ ગ્લોબલ વાર્મિંગ ઉર્ફ પર્યાવરણનું નિકંદન. 

આ વાત છે 'The Age of Stupid (2009)' નામની દસ્તાવેજી ફિલ્મની, જે બિલકુલ જોવા જેવી ફિલ્મ છે. અહીં જેને 'મૂર્ખામીનો યુગ' કહેવાય છે, તે ૧૯૮૦ થી અત્યાર સુધીનો સાંપ્રત સમય (અને કદાચ તેથી વધુ). એક રીતે જુવો તો ઈસપની બોધકથાઓ કે પંચતંત્રની વાર્તાઓ પ્રકારનો સીધો-સાદો 'પ્લોટ' છે. પણ પંચતંત્રની સાદી વાતો અમલમાં મૂકવી બહુ અઘરી હોય છે અને તે પણ સાર્વત્રિક રીતે તો ખાસ. ૧૯૯૨ના રિયો શહેરના ડીકલેરેશનથી શરૂ થયેલી વાત ૧૯૯૬ના ક્યોટો શહેરના પ્રોટોકલ સુધી પહોંચે છે, જો કે તે પ્રમાણે પ્રદુષણ ઘટાડવાની જગત-જમાદર અમેરિકા ના પાડે છે. તે પછીથી છેલ્લા બે-ત્રણ વર્ષની વાત કરીએ તો કોપનહેગન, કોકૂન, ડર્બન શહેરોમાં વાતચીતોનો દૌર ક્યારેક વિકસિત દેશો તો ક્યારેક વિકાસશીલ દેશોને વાંધા-વચકા પડવાથી અટકે છે. હજી સુધી ઓછા-કાર્બન વપરાશવાળી ગ્રીન અર્થવ્યવસ્થા ઉભી કરવાની વાત પર સર્વસંમતિ સાધી શકાઈ નથી. જંગલો કપાઈ રહ્યા છે, પેટાળો ખોદાઈ રહ્યા છે, હિમશીલાઓ પીગળી રહી છે, જરૂર કરતા વધારેનો ઉપયોગ કરવાની ગેરવ્યાજબી પધ્ધત્તિઓ સર્વસામાન્ય બનતી જાય છે, ક્રૂડ ઓઇલના ઉપયોગ આધારિત અર્થવ્યવસ્થાઓ અને શહેરો વિકસી રહ્યા છે. એવું બની શકે કે આવનારી પેઢી આપણા આજના સમયને 'મૂર્ખામીનો યુગ' કહે. મુખ્ય કારણ એ જ કે સાધન-વ્યવસ્થા, વૈજ્ઞાનિક જ્ઞાન હોવા છતાં અને નવી ટેકનોલોજી વિકસાવવાનો સમય હોવા છતાં એ લોકો (એટલે કે આપણે) કંઈ અસરકારક કરી શક્યા નહિ.

આ ફિલ્મમાં ઈ.સ. ૨૦૫૫માં એક વ્યક્તિ થોડી-ઘણી બચી ગયેલી દુનિયાના માનવઈતિહાસના મ્યુઝીયમમાં બેઠા-બેઠા ડીજીટલ આર્કાઈવમાંથી ૧૯૯૦થી ૨૦૦૯ સુધીની ઘટનાઓ નિહાળી રહ્યો છે અને 'મુર્ખામીના યુગ'ની વિવિધ વાર્તાઓને એક તાંતણે જોડી રહ્યો છે. દક્ષીણ ઈંગ્લેન્ડમાં વિન્ડ ટર્બાઈનનો કન્સલ્ટન્ટ, નાઈજીરિયામાં ડોક્ટર બનવા માંગતી યુવતી, જોર્ડનમાં રહેતા ઈરાકી શરણાર્થી પરિવારના પિતા ગુમાવી ચુકેલા બાળકો, ભારતમાં લો-કોસ્ટ એરલાઈન શરુ કરનાર (અને તે દ્વારા ગરીબી હટાવોની વાતો કરનાર) એક બીઝનેસમેન, પીગળતી જતી હિમશીલાઓનો વચ્ચે ફ્રાંસના પર્વતીય વિસ્તારમાં રહેતા પરિવાર, અમેરિકામાં ઓઈલ કૂવામાં કામ કરીને નિવૃત્ત થનાર કર્મચારી વગેરે જેવા વાસ્તવિક જીવનના પાત્રો આ ફિલ્મના હિરોઈન-હીરો છે. ઈંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક લોકો પવનચક્કીનો (wind turbine) વિરોધ એટલા માટે કરે છે કે તેને કારણે ગ્રામ્યજગતનો કુદરતી દેખાવ બગડી જશે. નાઈજીરિયામાંથી શેલ કંપની ઢગલાબંધ ક્રુડ ઓઈલ અંકે કરીને દર સેકન્ડે ચારસો પાઉન્ડનો નફો અંકે કરે છે, પણ નાઈજીરીયાના ગામડાઓમાં ચોખ્ખા પાણી, વીજળીની કોઈ સુવિધા નથી અને દારુણ ગરીબી છે. ઈરાકી બાળકો જોર્ડનમાં અમેરિકન બ્રાંડના સેકંડ હેન્ડ જૂતા વેચીને એક દિવસ ઈરાક પાછા જવાનું અને અલ-જઝીરાના ન્યુઝ એન્કર બનવાના સ્વપ્નાં સેવે છે. ભારતમાં જેહ વાડિયા નામનો મૂડીપતિ 'ગો એર' નામની એરલાઈન શરુ કરીને રેલ્વે સાથે સ્પર્ધા કરવાની મોટી વાતો કરે છે. ફ્રાન્સના પર્વતીય વિસ્તારમાં હિમશીલાઓ પીગળવાને લીધે એક કુટુંબની જીવનચર્યા બદલાઈ જાય છે. અમેરિકામાં ઓઈલ કુવાનો ભૂતપૂર્વ કર્મચારી હવામાનના બદલાવના લીધે વારંવાર આવતાં વાવાઝોડામાંના એકમાં (કેટરીના) ફસાયેલા લગભગ સોએક લોકોના જાન એકલા હાથે બચાવે છે.  ટૂંકમાં, કુદરતી સંપત્તિ અને કાર્બન ધુમાડા માટે સૌથી વધુ જવાબદાર ક્રુડ ઓઈલની આસપાસના આ બધા ખેલ છે, જેમાં કોઈ ખેલાડી છે, કોઈ મૂક પ્રેક્ષક અને કોઈ આપત્તિનો ભોગ બનનાર. બધા એક તાંતણે બંધાયેલા છે, જો એ તાંતણો જોઈ શકો તો. 

વાત અહીં કુદરતી સંપત્તિના બેજવાદાર ઉપભોગ અને તેના લીધે આવતી આફતો તેમજ તેના પરિણામે હાંસિયામાં ધકેલાઈ જતા માનવ સમાજના અમુક પાત્રોની છે. અહીં ડૂમ્સ-ડે એટલેકે સર્વ-વિનાશ કે કયામતની ભવિષ્યવાણી કરીને ગભરાટ ફેલાવાનો કોઈ આશય નથી. આ ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઘટનાઓ, વ્યક્તિઓ, સમાચારો વગેરે બિલકુલ વાસ્તવિક છે કે જેમને ભવિષ્યના પરિપેક્ષમાં મૂકવામાં આવ્યા છે. એટલે આખી વાતને 'પૃથ્વી ખતરેમેં હૈ' પ્રકારના આત્યંકિત ભાવથી જોવાની જરૂર નથી. ફિલ્મનો પહેલો સંદેશ આપણા અત્યારના સમયને 'મૂર્ખામીનો યુગ' કહેવો તે છે. આ એક મહેણું છે જે આપણે ભાંગી શકીએ કે નહિ તે સમય જ કહેશે. અહીં મૂકવામાં આવેલી બધી જ ઘટનાઓ જ્ઞાત છે, જાહેર છે અને તેમના પર ચર્ચાઓ ચાલી રહી છે. વૈજ્ઞાનિકો, ટેકનીકલ નિષ્ણાતો, સંશોધકો અને શિક્ષણ જગતમાં 'હવામાનમાં બદલાવ (ક્લાઈમેટ ચેન્જ)નું કારણ માનવ દખલ છે' તે અંગે વ્યાપક સર્વ-સંમતિ છે. રાજકીય વર્તુળો અને સરકારોમાં આ બાબતે વ્યાપક સર્વ-સંમતિ તો છે પણ તે અંગે શું કરવું તે બાબતમાં વિરોધાભાસી મંતવ્યો છે. ટૂંકમાં, પૃથ્વીને પ્રદૂષિત કરવાનો હક કોને વધારે-ઓછો છે તે અંગેની ભાંજગડ.

જો દુનિયાના બધા લોકો યુરોપિયન કે જાપાનીઝ પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા બીજા બે ગ્રહો તાત્કાલિક જોઈએ. જો દુનિયાના બધા લોકો અમેરિકન, કેનેડીયન કે ઓસ્ટ્રેલીયન પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા પાંચ ગ્રહ તાત્કાલિક જોઈએ. આપણી પાસે તત્કાલીકમાં કમનસીબે એક જ ગ્રહ છે. ભારત અને આફ્રિકાની સરેરાશ પ્રમાણે કામ કરીએ તો પૃથ્વી ટકી શકે. ભારતમાં વ્યક્તિદીઠ વાર્ષિક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન લગભગ ૧.૨ થી ૧.૫ મેટ્રિક ટન જેટલું થાય છે. અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં આ આંકડો ૧૭ થી ૨૦ મેટ્રિક ટન અને યુરોપના દેશોમાં આ આંકડો ૮ થી ૧૦ મેટ્રિક ટન છે. વિકાસશીલ દેશોમાં ઔધ્યોગીકરણની પ્રક્રિયા ચાલુ હોવાને લીધે આ આંકડો વધતો રહે છે, જ્યારે વિકસિત દેશો આ આંકડો ઘટાડવાના અનેક ઉપાયો ચાલી રહ્યા છે. અમેરીકામાં આ ઉપાયો બહુ લોકપ્રિય નથી પણ યુરોપમાં ક્લાઈમેટ ચેન્જ વિષે જાગૃતતા વધુ છે.

વ્યક્તિ દીઠ ગણતરી થાય છે ત્યારે ભારતની ગરીબ પ્રજા કે જેમની પાસે કોઈપણ પ્રકારનું ઇંધણ કે વીજળી વાપરવા માટે સાધનો નથી તે ભારતના મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગની સરેરાશ બહુ જ ઓછી કરે છે. બાકી ગણતરી માંડવા બેસો તો ભારતના ઉચ્ચ-મધ્યમ વર્ગ અને યુરોપના મધ્યમ વર્ગમાં ઘરદીઠ કાર્બન ઉત્સર્જનની ગણતરી સરખી જ હશે. એવું બની શકે કે ભવિષ્યમાં કાર્બન ટ્રેડીંગની નવી પધ્ધતિ આવી શકે છે જેમાં ઘરદીઠ કાર્બન ઉત્સર્જનથી વધારે ઉત્સર્જન થાય તેવી પ્રવુત્તિ માટે (જેમાં કે વર્ષ દરમ્યાન બેથી વધારે વિમાન પ્રવાસ) ટેક્સ ભરવો પડે કે તેના ભાડામાં જબરદસ્ત વધારો જોવા મળે. જો કે આવું તો ઘણું બધું થવાનું જ છે કારણકે સમગ્ર માનવજાતને સ્ટુપીડ સાબિત નહિ કરવા માટેનું વિચારનારા સ્માર્ટ લોકો દુનિયામાં હશે જ, છે જ.

એક વ્યક્તિ તરીકે આપણે સરકારો જેવા બેજવાબદાર બનવાની જરૂર નથી. ક્લાઈમેટ ચેન્જ એટલે કે હવામાનમાં બદલાવના મોસમમાં આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ તેના નુસખાઓની એક સૂચી મૂકવાનું મન થાય છે. આ નુસખાઓ આમ-તેમથી વાંચીને ભેગા કરેલા છે, એટલે તેનો કોઈ એક મૂળ સ્ત્રોત નથી. પણ વિવિધ વેબસાઈટ પરથી ઘણા ઉત્તમ સૂચનો મળેલા છે. વાત કરવાની શૈલી ઉપદેશાત્મક છે (આમ કરોને, તેમ કરો) પણ તેને સૂચન જ ગણવા. નીચે પ્રમાણેના ઉપાયો અજમાવી શકાય -
  1. જાત જરા ઢંઢોળો જદુપતિ - કવિમિત્ર પંચમ શુક્લાની કવિતા પરથી ઉધાર લીધેલ આ શીર્ષક એમ કહે છે કે પર્યાવરણના મુદ્દે પહેલા તો જાતને ઢંઢોળીને સક્રિય બનો. શરૂઆતમાં વૈચારિક રીતે પણ સક્રિય બની શકાય. ખાંખાખોળા કરીને આખી વાતનો મુદ્દો સમજો, ચર્ચા કરો, બીજાને જોતરો અને ખુદ શું કરી શકાય તે કરવા સક્રિય બનો. 
  2. જે ખાડો ખોદ્યો છે તે માપો - ખાડો ખોદે તે પડે પણ અહીં તો આપણે ખોદેલા ખાડામાં આવતી પેઢીઓ પડવાની છે. એટલે પહેલી શરૂઆત તો આપનો ખાડો કેટલો ઊંડો છે તે સમજવાથી કરી શકાય. ભારતીય જીવનધોરણ મુજબ ઘરદીઠ કાર્બન ઉત્સર્જન ગણવાનું કેલ્ક્યુલેટર આ રહ્યું.  થોડું મગજ કસી, સમય આપીને ગણો કે આપનો ખાડો કેટલો ઊંડો છે જે આવનારી પેઢીએ ભરવાનો છે અને તેમાંથી કેટલા કાર્બન ઉત્સર્જનની બચત આપે ભવિષ્યમાં કરાવી જોઈએ.
  3. વાહનથી ચાલન - ચાલી શકો ત્યાં ચાલી નાખો, એકલા હોવ તો સાઈકલ વાપરો, બેકલા હોવ તો બાઈક, ત્રણ જણાં માટે રીક્ષા ઉત્તમ, ચાર જણાંની નાની કાર, છ જણાની મોટી કાર. ઓછી એવરેજ આપતા વાહનો મ્યુઝીયમમાં જ રાખો. વાહનોનો મોહ છોડીને ચાલવાનો મોહ રાખો. વિમાન મુસાફરી પર નિયંત્રણ કરોને ટ્રેનનો વપરાશ વધારો. તમારા બોસને કહો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરનારાને બોનસ આપે અને બોસ હોવ તો બોનસ આપો. કાર શેર કરો. લાંબી મુસાફરી પર અંગત વાહનમાં જતા હોવ તો આસપાસ પૃચ્છા કરીને કોઈને લીફ્ટ આપો. ચાલવાલાયક ફૂટપાથ, તમારા ઘરની નજીક બાગ-બગીચા માટે કેમ્પેન કરો. સ્થાનિક ચૂંટણીમાં સારું પબ્લિક ટ્રાન્સપોર્ટ બનાવવાની અને તમારા ઘરની આસપાસ બગીચો બનાવી આપનાર પક્ષને જ મત આપો.
  4. મોસમને અનુરૂપ જીવો - વડવાઓ કહી ગયા છે કે ઋતુ પ્રમાણે કપડા અને ખાનપાન રાખશો તો ચોમાસામાં કોલ્ડ-સ્ટોરેજ વાળી કેરી નહિ ખાવી પડે અને ઉનાળાની સાંજે એ.સી. ચાલુ નહિ રાખવું પડે. સદરો અને સુતરાઉ સાડી જેવા કુદરતી એ.સી. પહેરીને ચાલે ત્યાં સુધી કૃત્રિમ એ.સી. નહિ વાપરો. હવાદાર ઘર પર પસંદગી ઉતારો, તો વીજળીનું બીલ બચશે. શિયાળામાં તડકો અને આખું વર્ષ હવા આવે તે ઘરમાં ફાલતું વીજળીનો વ્યય થતો નથી. વીજળી બચાવો. બાળકોને બચતનું મહત્વ સમજાવો.
  5. પહેલા લોકલ પછી ગ્લોબલ - સ્થાનિક રીતે મળતું કરિયાણું, શાક-ભાજી અને બીજો સર-સામાન વાપરો. સ્થાનિક ચીઝ મળતી હોય સ્વીસનો આગ્રહ છોડો. વલસાડની કેરી મળે તો રત્નાગીરી સુધી લાંબા ન થાઓ. અંબાજીનો માર્બલ ચાલે તો ઈટાલીથી ન મંગાવો. અમેરિકામાં વાવેલા ઘઉં અને ફ્રાન્સમાં વાવેલી લેટસથી બનતા બર્ગરની જગ્યાએ સ્થાનિક કંપનીનું બર્ગર ખાવો કે પછી દાબેલી. બની શકે તો નાનો બગીચો બનાવીને શાક-ભાજી જાતે વાવો. બાલ્કની જેવી થોડી જગ્યા હોય તો ફૂલો વાવો અને ઘરને લીલુંછમ બનાવો. સંતોષી જીવન જીવો, બજારમાં મળતી દરેક વસ્તુ ખરીદવાનો આગ્રહ નહિ રાખો. ખાધા પછી ખરીદી કરવા જાઓ, જો જો ચોક્કસ ઓછું ખરીદશો. ડિપ્રેસ હોવ તો મિત્રોને મળો, પોતાના માટે એક સુંદર પણ કામ વગરની વસ્તુની ખરીદી કરવા ન નીકળી પાડો.
  6. ગ્રીન ટેકનોલોજીને અપનાવો - બની શકે ત્યાં પવન ઉર્જા, સૌર ઉર્જાનો ઉપયોગ કરો. આ ટેકનોલોજી પણ વધુ વ્યાપ્ત અને સસ્તી થશે જ. તેનો શરૂઆતી ઉપયોગ તો શરુ કરો. વરસાદી પાણીનો સંગ્રહ કરો. બગીચામાં કે કાર-બાઈક ધોવામાં ચોખ્ખું પીવાલાયક પાણી ન વાપરો. પોતું મારી શકાય તે ધોવા માંડી પાડો નહિ અને ધોઈ શકાય ત્યાં પાણી ઢોળી-ઢોળીને બગાડો નહિ. નળ ટપકતો હોય તો પ્લમ્બર બોલાવો અને પાણી બચાવો.
  7. રી-યુઝ અને રી-સાઈકલ - સાડીમાંથી ગોદડી, શર્ટમાંથી થેલી બનાવો અને વટથી વાપરો. સવારની રોટલીનો સાંજે વઘાર, ગોટલામાંથી ફજેતો વગેરે જેવા રી-યુઝથી માંડીને ઇલેક્ટ્રોનીક્સ રી-સાઈકલ કરવાનો આગ્રહ રાખો. 'યુઝ એન્ડ થ્રો'ની પોલીસીવાળી કંપનીને ફેંકો. 
આમાંથી કેટલાય કરવા જેવા કામ સર્વવ્યાપ્ત રીતે સામાન્ય બુદ્ધિથી કરવામાં આવતા હતા, જે ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે. કોઈપણ વસ્તુના વ્યાજબી વપરાશનું ડાહપણ હજી સુધી ઘણું બધું પ્રવર્તમાન છે, આ ડાહપણ બચાવવું અને તે પ્રમાણે વર્તવું, તે સંસ્કૃતિ, ધર્મ, પરંપરા વગેરે બચાવવા કરતા વધુ સાર્થક કામ છે. હું અંગત રીતે કોઈ એવો દાવો નથી કરતો કે ઉપરના સાતેય મુદ્દા પ્રમાણે હું પોતે કામ કરી શક્યો છું. હા, એટલું કહી શકું કે પ્રયત્ન ચોક્કસ કરી રહ્યો છું. મને ખબર છે કે એમ કરવાથી ક્લાઈમેટ ચેન્જ થાય કે ન થાય મારા જીવનની ગુણવત્તા સાચી દિશામાં ચેન્જ જરૂર થશે અને આવનારી પેઢી 'મૂર્ખામીના યુગ'માં મૂર્ખામીનો પ્રતિકાર કરતા લોકોની યાદીમાં એક નામ વધુ ઉમેરશે.