Showing posts with label africa. Show all posts
Showing posts with label africa. Show all posts

Tuesday, October 19, 2010

વાનર-જગત અને માનવ-જગતની એક અમર કથા

૧૯૬૦નાં દાયકામાં બનેલી અમુક ઘટનાઓ આમ તો સામાન્ય હતી પણ લાંબા ગાળે તેમણે વન્ય-જીવન સંશોધનના ઇતિહાસને બદલી નાખ્યો છે. વાત જાણે એમ છે કે પાશ્ચાત દેશોમાંથી આવતી ત્રણ યુવાન સ્ત્રીઓ જેન ગુડોલ (બ્રિટન), ડાયેન ફોસી (અમેરિકા) અને બીરુત ગાલ્દીકાસ (જર્મની) દુનિયાના સૌથી બિહામણા, ગીચ જંગલોમાં અનુક્રમે ચિમ્પાન્ઝી (તાન્ઝાનિયા), ગોરિલ્લા (રવાન્ડા) અને ઉરાંગ ઉટાંગ (દક્ષીણ-પૂર્વ એશિયા)નો તેમના કુદરતી વાતાવરણમાં લાંબા ગાળાનો અભ્યાસ કરવા જાય છે. શરૂઆતમાં આ ત્રણેય પાસે વન્ય-પ્રાણીઓ અંગેના સંશોધન કરવા અંગે કોઈ અનુભવ ન હતો કે કોઈ ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન પણ ન હતું. તેમની પહેલા કોઈ પણ સંશોધકોએ વન્ય-પ્રાણીઓ પર લાંબા ગાળાના શંશોધનો કુદરતી વાતાવરણમાં, પ્રાણીઓ સાથે જ રહીને કર્યા ન હતા. તેથી જંગલમાં રહેતા મોટા વાનરો અને તેમના સામાજિક સંબંધો, સામુહિક વર્તન,  નર-માદા વચ્ચેના સંબંધો, સંવનન, બે સમૂહો વચ્ચે આદાન-પ્રદાન વગેરે અનેક વિષયો પર કામ થયેલું ન હતું. 
(Leakey Foundation Co-Founder Joan Travis, with the Leakey's Angel's: Galdikas, Goodall and Fossey. Photo courtesy: http://leakeyfoundation.org/about-us/)
આ ત્રણેયને ભેગા કરનાર છે એક ભેદી કે ભેજાગેપ કે પછી ઘણી વાર  વગોવાયેલું વ્યક્તિવ - લુઇસ લિકી. આ ત્રણેય અભ્યાસુઓને કેટલાક લોકો 'લિકી'સ એન્જેલસ'ના નામે પણ ઓળખે છે. લિકીને એવા અભ્યાસુઓ જોઈતા હતા કે જે મોટા વૈજ્ઞાનિક ન હોય તો ચાલે પણ તેઓમાં લાંબો સમય રહીને વાનર-પ્રજાતિનો અભ્યાસ કરવાની તાલાવેલી ધરાવતા હોય. લિકીને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ માટેના જીવંત ઉદાહરણોનો અભ્યાસ કરવાનો ઊંડો રસ. તે સિવાય, લિકીને આ ત્રણેયની સુંદરતામાં પણ રસ ખરો કે આ ત્રણેયના (કે તેમના સંશોધનના) 'સ્વામી-અધિપતિ' થવામાં એ વિષે જાત-જાતની વાયકાઓ છે. પરંતુ આ ત્રણેય સંશોધકોને ત્રણ અલગ-અલગ મોટી કદના વાનરની પ્રજાતિનો લાંબા ગાળાનો અભ્યાસ કરવાનો વિચાર આપનાર અને  શરૂઆતમાં ભંડોળ માટે ભાગ-દોડ કરનાર લુઇસ લિકી વગર આ આખી ઘટના શક્ય નહોતી. તેમની સંસ્થા આજે પણ કાર્યરત છે. 
લુઇસ લિકીથી અંજાયા-ભરમાયા વગર ત્રણેય સંશોધકોએ પોત-પોતાના ચીલા ચાતર્યા. જેન ગુડોલ છેક ૧૯૬૦ની શરૂઆતથી અત્યાર સુધીનો સમય 'ગોમ્બે નેશનલ પાર્ક'માં વિતાવી ચુક્યા છે અને તેઓ ચીમ્પાન્ઝીની બે-ત્રણ પેઢીથી પરિચિત છે. તેમના સંશોધનો પ્રાઈમેટોલોજી, ઝુઓલોજી (પ્રાણીશાસ્ત્ર) અને એન્થ્રોપોલોજી (માનવશાસ્ત્ર)ની દ્રષ્ટીએ અનન્ય છે. જેમકે, ચિમ્પાન્ઝી માત્ર શાકાહારી હોવાની વાત ખોટી છે. તેઓ ધારે ત્યારે માંસભક્ષી પણ બની શકે છે. તે ઉપરાંત, નૂર્વંશશાસ્ત્રની દ્રષ્ટીએ મનુષ્યના પ્રારંભિક કાળના પૂર્વજો, તેમનું સામાજિક કે સામુહિક વર્તન વિશેની ખૂટતી કડીઓ પણ ચીમાંન્ઝીના અભ્યાસ પરથી મળે છે. તેમનું ૧૯૭૧માં પ્રકાશિત થયેલું પ્રથમ પુસ્તક 'ઇન ધ શેડો ઓફ મેન' વિશ્વની ૪૮ ભાષાઓમાં રૂપાંતરિત થઇ ચુક્યું છે અને તેમના પર ઘણી ફિલ્મો બીબીસી અને નેશનલ જ્યોગ્રાફીકે બનાવેલી છે. આજે ૭૪ વર્ષની ઉમરે પણ જેન પોતે અને તેમની સંસ્થા દ્વારા તાન્ઝાનીયામાં ચિમ્પાન્ઝીના સંરક્ષણ અને સંવર્ધન માટે કામ એક  ચળવળની માફક કરે છે. 
લગભગ ડાયેન ફોસીના નસીબમાં વધુ કઠણાઈઓ અને મુશ્કેલીઓ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ 'માઉન્ટેન ગોરિલ્લા'નામે ઓળખાતા ગોરીલ્લાનો અભ્યાસ રવાન્ડાના દુર્ગમ, ભારે ઉંચાઈ ધરાવતા પહાડોમાં સતત ભેજ વાળા વાતાવરણમાં કરવાનો હતો. 'કિંગ કોંગ'ના નામે બદનામ થઇ ચુકેલા આ જંગલી મહાકાય વાનર સાથે ડાયેન બહુ શાંતિ-પૂર્ણ સહ-અસ્તિત્વ ધરાવતી થઇ. તેમના શબ્દોમાં ગોરિલ્લા ' માન-સન્માન ધરાવતા, બહુ જ સામાજિક, સૌમ્ય, અલગ વ્યક્તિત્વ ધરાવવા છતાં કૌટુંબિક સંબંધોમાં માનનારા' પ્રાણી છે. ડાયેને 'ગોરિલ્લાઝ ઇન ધ મીસ્ટ' નામનું આંતર-રાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ૧૯૮૦માં પ્રસિદ્ધ કર્યું. પરંતુ ડાયેનનો સીધો મુકાબલો ગેરકાયદેસર રીતે ગોરીલ્લાનો શિકાર કરતા કેટલાયે જૂથો સાથે થયો. ડાયેન જેમને વર્ષોથી ઓળખતી હતી તેવા કેટલાક ગોરિલ્લાના શબ જંગલમાંથી મળી આવ્યા અને આ ઘટનાઓએ ડાયેનને સંશોધકને બદલે ગોરીલ્લાની સંરક્ષક અને ચળવળકાર બનાવી મૂકી. તેણે સતત ભેજયુકત વાતાવરણમાં રહેવાથી તેની લથડતી તબિયતને ધ્યાનમાં લીધા સિવાય આ શિકારીઓ અને સ્મગલરો સામે લડત આપી. પરંતુ, ૧૯૮૫માં ડાયેનની તેની જ કેબીનમાં ઘાતકી રીતે હત્યા થઇ અને હત્યારાઓ હજુ સુધી ફરાર છે. આખરે ડાયેનને તેણે પોતે અકુદરતી મૃત્યુ પામેલા ગોરિલ્લા માટે બનાવેલા સ્મશાનમાં જ દફનાવામાં આવી. ડાયેન ફોસીના જીવન પરથી હોલીવુડમાં આ ફિલ્મ પણ બનાવવામાં આવી છે. 
જેન અને ડાયેનથી દસેક વર્ષ પછી ઉરાંગ ઉટાંગ પર સંશોધન શરુ કરનાર બીરુત પ્રમાણમાં ઓછા પ્રખ્યાત છે અને તેઓએ મોટાભાગનું જીવન જેન અને ડાયેને સ્થાપિત કરેલી પધ્ધતિઓ પર કામ કરીને અને અધ્યાપન કરીને પસાર કર્યું છે. છતાં એક સંશોધક અને વન્ય-જીવન સંવર્ધક તરીકે તેમનું પ્રદાન પણ અનન્ય છે અને તેઓ આજે કેનેડામાં અધ્યાપનનું કામ કરે છે. 
સનસનીખેજ વાર્તાની બીજી બાજુ
આ આખી ઘટના સનસનીખેજ છે, રોમાંચક છે અને મહદ અંશે ફિલ્મી છે કે પછી વર્ષોથી સમાચાર માધ્યમોમાં ફિલ્મી રીતે 'વેચાઈ' રહી છે. હોલીવુડને આ વાતમાં રસ પડ્યો છે, જે બહુ સ્વભાવિક વાત છે. આ 'વાર્તા'માં રસ પડે છે તેનું કારણ તેમાં 'બ્યુટી એન્ડ બીસ્ટ 'વાળો મસાલો છે. જેન ગુડોલ તો કહે પણ છે કે ઘણી વાર 'એક એકલી સ્ત્રી, ગાઢ જંગલમાં પ્રાણીઓ વચ્ચે ફરે છે' તે વાતને મૂળ સંશોધન કરતા વધુ મહત્વ મળે છે. પણ આ સનસનીખેજ વાર્તામાં મૂળ મુદ્દો છે, જંગલોનું નિકંદન, ગેરકાયદેસર શિકાર અને માનવ યુદ્ધોના ક્રોસ-ફાયરમાં પ્રાણીઓનું સપડાઈ જવા જેવી ઘટનાઓ (જે  રવાન્ડામાં બનેલું). આ પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના પ્રશ્નની બીજી બાજુ છે ઓછી આવક ધરાવતા આફ્રિકન દેશોમાં 'નેશનલ પાર્ક'ના નિભાવ અને ખર્ચ માટે શું કરવું? વાઈલ્ડ-લાઈફ ટુરીઝમ? ડાયેન ફોસીએ તેનો સખત વિરોધ કરેલો. તેના માનવા પ્રમાણે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં છોડી દેવા જોઈએ અને જંગલને 'ઝૂ બનાવવાના' પ્રયત્નો નહિ કરવા જોઈએ. થોડા-ઘણા બચેલા પ્રાણીઓમાં માનવી જેવી (શારીરિક) બીમારી ઘાતક નીવડી શકે છે. આ વિરોધને 'પ્રેક્ટીકલ નથી' એમ કહીને બહુ મહત્વ નહિ મળેલું. પરિણામે, હવે ટુરિસ્ટ જંગલમાં જઈ શકે છે અને ગોરિલ્લાને નજીકથી જોઈ શકે છે. આ આખી પ્રવૃત્તિ નેશનલ પાર્કને ઘણા રૂપિયા રળી આપે છે. 
અહી વન્ય-પ્રાણી સંવાર્ધાના મુદ્દે એ તણાવ તો રહે જ છે - શેને ધંધો બનાવવો અને શેને નહિ? પ્રાણીઓને 'વેચવા' કે નહિ? ક્યાં સુધી વેચવા? જંગલની ઘટતી જતી સીમાઓનું શું? શું આપણે માનવ જાત તરીકે પ્રાણીઓને જંગલમાં શાંતિથી જીવવા દેવામાં માનીએ છીએ અને તેમને નાના-મોટે પડદે જોઇને ખુશ છીએ? કે પછી માનવ જાતને દરેક વસ્તુને 'જોવા લાયક, વેચવાલાયક અને ફોટા પાડવાલાયક' બનાવી જેવા જ રસ છે? 
વાનર-માનવ સ્વભાવની બીજી બાજુ 
કોઈ પરફેક્ટ નથી. માણસ આખરે માણસ છે. 'લીકીઝ એન્જેલસ' પર એવા આરોપો પણ થયા છે કે તેમણે 'વૈજ્ઞાનિક નિરપેક્ષતા'ને બાજુમાં મુકીને પ્રાણીઓ સાથે સંબંધો વધારેલા, પ્રાણીઓનું વધારે પડતું ભાવવાહી વર્ણન કરેલું અને વાનરોને કેળાની 'લાંચ' આપીને તેમની સમાજ-વ્યવસ્થા બગડી મુકેલી. વાનરોની અંદર-અંદર થયેલી અથડામણ માટે જેન ગુડોલની પદ્ધતિઓને જવાબદાર ગણવામાં આવેલા. ડાયેન પર તો એવા આરોપો હતા કે તેણે કોઈ શિકારીના કુટુંબીઓનું અપહરણ કરીને ધાક-ધમકીઓ આપેલી. કોઈ પકડાયેલા શિકારીનું જાહેરમાં ફાંસી આપવાનું ખોટું નાટક પણ કરેલું. ટૂંક માં, એવું કે જેન કે ડાયેન કોઈ મહાન વ્યક્તિઓ નહિ પણ સામાન્ય માણસ હતા અને તેમણે તેમની સામાન્ય બુદ્ધિ અને લાગણીશીલતાથી અમુક નિર્ણયો કર્યા, જે અંતે કોઈના માટે ફાયદારૂપ ન થયા પરંતુ, ડાયેને તેના વાનરોને બચાવતા શહીદી વહોરી છે અને જેન ચિમ્પાન્ઝીના બચાવ માટે દાયકાઓથી કામ કરી રહી છે. 
બીજું, જેન ગુડોલે પણ નવા-સવા અભ્યાસુ તરીકે ચિમ્પાન્ઝીને સંવેદનશીલ અને સૌમ્ય પ્રાણીઓ આલેખેલા. તેના અભ્યાસના વર્ષો બાદ એંસીના દાયકામાં બહુ ભયંકર ઘટના બની. ચિમ્પાન્ઝીઓની વસ્તીમાં કુદરતી વધારો થયો, અંદર-અંદર મારામારી થઇ, બે જૂથ રચાયા અને તેઓ અલગ અલગ રહેવા લાગ્યા. એક દિવસ, એક જૂથના નર વાનરોએ ભેગા થઈને બીજા જૂથના એક એક વાનરોને ક્રુરતાથી બાળકો સહીત મારી નાખ્યા. જેન ગુડોલ કહે છે કે આ ઘટના બાદ હું આ વાનરોને (અને માનવ જાતને) વધુ સમજતી થઇ. બે જૂથોનું રચાવું કુદરતી હતું છતાંય કેટલું ઘાતક હતું? માનવ જાત પણ વાનરોથી બહુ અલગ નથી. ૧૯૯૪માં રવાન્ડામાં જાતીભેદના કારણે ભયંકર ગૃહયુદ્ધ થયું જેમાં દસેક લાખ લોકો હોમાઈ ગયા. આ માનવ ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછીની માનવજાતે સર્જેલી બીજી મોટી કત્લેઆમ હતી. આવી ઘટના વખતે વિચારવાનું મન થાય કે શું માનવ જાત ખરેખર ઉત્ક્રાંતિ પામી છે? 

(લાગે છે આ બ્લોગ પર ઓક્ટોબરનો મહિનો વન્ય-જીવન સ્પેશીયલ બની રહ્યો છે. આ પોસ્ટ બે-ત્રણ ડોક્યુમેન્ટરી ફિલ્મો જોયા પછી લખાઈ છે અને ખૂટતી કડીઓ 'વિકિપેડિયા'એ તેમજ નેશનલ જ્યોગ્રાફિક અને બીબીસીના આર્કાઈવે જોડી આપી છે. બહુ લાંબી પોસ્ટ થઇ ગઈ છે, જો અહી સુધી પહોચ્યા હોવ તો આભાર!)

Sunday, June 13, 2010

સાઉથ આફ્રિકામાં ફૂટબોલ વાયા ઇન્ડિયા

ફૂટબોલ ખરા અર્થમાં વિશ્વ-રમત છે. કોઈ પત્રકારે પેલેને પૂછેલું કે 'ફૂટબોલ દુનિયાભરમાં આટલી લોકપ્રિય રમત કેમ છે.' તેણે જવાબ આપેલો કે 'કોઈ પણ નાના બાળકની આગળ તમે ફૂટબોલ મૂકી જુઓ તે તેને કિક મારશે અને રમવા લાગશે એટલે ફૂટબોલ આટલી લોકપ્રિય રમત છે.' સાઉથ આફ્રિકામાં ફૂટબોલનો વિશ્વકપ - મહાકુંભ શરુ થઇ ચુક્યો છે. અને આ ખરા અર્થમાં વિશ્વકપ છે. દુનિયાના દરેક ખંડમાં છેલ્લા એક-બે વર્ષથી ક્વાલીફાયિંગ રમતો રમાઈ ચુકી છે અને તેમાંથી ૨૪ દેશો સફળતા પૂર્વક પોતાની ઉમેદવારી વિશ્વ ચેમ્પિયન બનવા માટે નોધાવી ચુક્યા છે. દર ફૂટબોલ વિશ્વકપની જેમ આ વખતે પણ ખરો મુકાબલો લેટીન અમેરિકાના દેશો અને યુરોપના દેશો વચ્ચે જ હશે. આફિકાના અમુક દેશો પણ સારું પ્રદર્શન કરશે પણ કદાચ ફાઈનલ રાઉન્ડ સુધી નહિ પહોંચી શકે. સ્પેન, બ્રાઝીલ, આર્જેન્ટીના અને ઇટાલી આ વખતે ચેમ્પિયનશીપ જીતવા માટે ફેવરીટ મનાઈ રહ્યા છે.

પુણે શહેરમાં ફૂટબોલ નિયમિત રીતે રમતા એક યુવાન મિત્ર-વર્તુળને હું ઓળખાતો થયો છું. તેઓ લગભગ વીસ વર્ષથી એટલેકે તેમના સ્કુલના સમયથી સાથે ફૂટબોલ રમે છે, સાથે ફૂટબોલ જોવે છે,ચર્ચાઓ કરે છે અને સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લે છે. સાથે ફિલ્મ જોવા જાય છે, પાર્ટી કરે છે, કેમ્પ-ફાયર કરે છે, ગીટાર લઈને ગીતો ગાય છે અને એક બીજાની મજાક-મશ્કરી કરે છે. તેમની ભાઈબંધી ફૂટબોલથી શરુ થાય છે અને ફૂટબોલની આસપાસ ધબકે છે. હવે તો લગભગ વીસથી પચીસ મિત્રોનું મંડળ છે. મોટા ભાગના મિત્રો હવે નોકરી કરે છે અને દર શનિ-રવિવારે નિયમિત રીતે સાથે ફૂટબોલ રમે છે ક્યારેક તો પોતાના ખર્ચે મેદાન ભાડે લઈને પણ. ગજબનો ટીમ સ્પીરીટ છે તેઓમાં જે કદાચ સાથે વર્ષોથી રમતા હોવાને લીધે આવતો હશે. તેઓ મને કહે છે કે ફૂટબોલ સહિયારી રમત છે, ટીમ ગેમ. એક બીજાના વિશ્વાસ પર, એક બીજાના રોલ સમજીને રમાતી રમત. બધા જ ખેલાડીઓ ફોરવર્ડ કે સ્ટ્રાઈકર ખેલાડીઓ સુધી બોલ પહોચાડવાનો પ્રયત્ન કરે છે કે જેથી તે ગોલ કરી શકે. મોટે ભાગે જોરદાર માન-સન્માન સ્ટ્રાઈકરને મળે છે જેમ ક્રિકેટમાં બલ્લેબાજોને મળે છે તેવી રીતે. પણ ફૂટબોલ ખરા અર્થમાં ટીમ ગેમ એટલા માટે છે કે એક સાથે અગિયાર ખેલાડીઓએ કળા બતાવવાની હોય છે.

પુણે શહેરના આ મિત્રો કોઈ પણ અપેક્ષા કે મદદ વગર ફૂટબોલ રમે છે અને તેમના જેવા કંઇક કેટલાયે યુવાનો હશે કે જેઓ રમતના પ્રેમ માટે કે પેશન માટે જ રમતા હશે અને તે રમત જ તેમના જીવનનો, તેમની પર્સનાલીટીનો મહત્વનો ભાગ બની ગઈ હશે. રાજદીપ સરદેસાઈ તેના બ્લો પર ભારતની પરિસ્થિતિ સાચી રીતે વર્ણવે છે લખે છે કે ભારત ફૂટબોલમાં ફીફા દ્વારા જાહેર કરતા રેન્કિંગ મુજબ ૧૩૩માં ક્રમાંકે છે અને દક્ષીણ દિલ્હીથી ઓછી જનસંખ્યા ધરાવતા દેશો ભારતથી આગળ છે. જો કે આ કંઈ નવી વાત નથી. ઓલિમ્પિક હોય કે ફૂટબોલ (માનવ વિકાસ સૂચકાંક) આપણે બહુ આસાનીથી સેન્ચુરી વટાવી જઈએ છીએ. કદાચ ભારતમાં અમુક વસ્તુઓ બદલાતી જ નથી.

બ્રિસ્ટલમાં સર્વત્ર ફૂટબોલનું ગાંડપણ છે. લોકોની  ગાડીઓ પર, ઘર પર, કપડા પર કે ચહેરા પર સેન્ટ જોર્જ્સ ક્રોસ જોવા મળે છે - જે ઇંગ્લેન્ડનો ઓફીસીઅલ ધ્વજ છે. (યુનિયન જેક ગ્રેટ બ્રિટનનો ધ્વજ છે) કમ્યુનીટી સેન્ટરમાં ફૂટબોલ મેચો મોટા પડદા પર જોઈ શકાય છે. બધા જ પ્રચાર-પ્રસાર માધ્યમો રૂની-મય થઇ ચુક્યા છે. માન્ચેસ્ટર યુનાઈટેડના એક મોંઘા સ્ટ્રાઈકર તરીકે પ્રસ્થાપિત થઇ ચુકેલો ૨૫ વર્ષીય વાયેન રૂની દર બીજી મેચમાં સ્કોર કરવાનો રેકોર્ડ ધરાવે છે અને ઇંગ્લેન્ડની આખી હુમલા-હરોળ તેની આસ-પાસ રચાયેલી છે. જો કે ફૂટબોલના નિષ્ણાતો વચ્ચે આર્જેન્ટીનાના લેઓનેલ મેસી, સ્પૈનના ડેવિડ વિલા અને ફર્નાન્ડો તોરેઝ, પોર્ટુગલના રોનાલ્ડો અને બ્રાઝીલના કાકા વગેરેને લઈને જોરદાર ચર્ચાઓ ચાલે છે.

જીંદગીમાં એક એવી અદમ્ય ઈચ્છા ખરી કે જો કોઈ એક ફૂટબોલ વર્લ્ડ-કપમાં ભારત ક્વોલીફાય થાય તો દુનિયાના ગમે તે ખૂણે ટુર્નામેન્ટ રમાતી હોય તો પણ તિરંગો લઈને પહોચી જઈને લહેરાવવો, તિરંગાથી મોઢું ચિતારવું, ગાંડા કાઢવા અને બુમો પાડવી. તે ક્રિકેટમાં ભારતને ચીયર અપ કરવા કરતા વધારે રોમાંચક વાત હશે. પણ એવી આશા રાખું કે આ જન્મમાં તે સ્વપ્ન પૂરું થાય. આપણાવાળાએ પુનર્જન્મનો વિચાર આવા જ કોઈ કારણથી તો નહિ કર્યો હોય ને કે જે આ જન્મમાં પૂરું ના થાય તો 'આવતો જન્મ તો છે જ ને' એમ હૈયે ધરપત રહે અને ભૂત બનીને ભારતનો ઝંડો લઈને દરેક વર્લ્ડકપમાં ફરવું ન પડે!

Sunday, May 16, 2010

મમા રામોત્સ્વેનું આફ્રિકા

cartoon by timtim.com and original link is here 
મા રામોત્સ્વે એક મહિલા જાસૂસ છે - બોટસ્વાના નામના દેશના એક માત્ર પ્રાઈવેટ ડીટેકટીવ! તે બોટસ્વાનાની રાજધાની હેબેરોની નામના શહેરમાં 'નં. ૧ લેડીઝ ડીટેકટીવ એજંસી' ચલાવે છે. તમે જો કે તેમને 'જાડા' કહેશો પણ તેઓ પોતાની જાતને 'પરંપરાગત બાંધો' ધરાવનારા ગણે છે. તેમના ડેડી ઉર્ફે આબોદ રામોત્સ્વેના મૃત્યુ બાદ તેમની સંપત્તિ એટલે કે અપાર ઢોર-ઢાંખર વેચીને મમા રામોત્સ્વે હેબેરોનીમાં પોતાની દેશની એકમાત્ર પ્રાઇવેટ જાસૂસી એજન્સી સ્થાપે છે. મા રામોત્સ્વેનું જાસુસી કાર્ય શેરલોક હોમ્સ જેવું જટિલ કે વૈજ્ઞાનિક નથી અને અગાથા ક્રિસ્ટીના મિસ માર્પલ જેવું  મનોવૈજ્ઞાનિક નથી. તે જેમ્સ બોન્ડની જેમ સુપર-હીરો નથી, પણ સામાન્ય માણસ છે. મા રામોત્સ્વેની સ્ટાઈલ એકદમ રફ-ટફ છે, આત્મવિશ્વાસ અદભૂત છે, બોલચાલમાં સૌમ્ય છે પણ આખાબોલા છે. તેઓનું કામ ગુનેગારોને પકડીને પોલીસને હવાલે કરવાનું નથી (બીજી જાસુસીકથાઓની જેમ) પણ લોકોને મદદ કરવાનું છે. મોટા મોટા ગુનાની ગૂંચો નથી ઉકેલવાની પણ નાની-મોટી ભૂલો કરી ચુકેલા લોકોને કે તેના ભોગ બનેલા લોકોને નવો રસ્તો બતાવવાનો છે કે તેમનું જીવન સહેલું બનાવવાનું છે. જેમ હતું તેમનું તેમ કરી દેવાનું છે. તેમની સૌથી મોટી મૂડી છે સ્ત્રી-સહજ સૂઝ અને લોકો પાસેથી માહિતી કઢાવવાની તેમની તાકાત. બસ આ મૂડીના જોર પર તે અટપટા કેસ કોઈને ખોટી રીતે નુકસાન પહોચાડ્યા વગર વ્યવહાર કુશળતાથી સોલ્વ કરે છે. મા રામોત્સ્વેની જીવનની ફિલસુફી બહુ સરળ અને હૃદયસ્પર્શી છે અને ન્યાયની વ્યાખ્યા બહુ માનવીય અને વ્યવહારુ.

મા રામોત્સ્વેએ એલેકઝાંડર મેકકોલ સ્મિથ નામના લેખકની પ્રખ્યાત પુસ્તક શ્રેણી 'નં. ૧ લેડીઝ ડીટેકટીવ એજંસી'નું રંગબેરંગી, ખુશ-ખુશાલ પાત્ર છે. આ શ્રેણી પરથી ટીવી સીરીયલ બની ચુકી છે અને આ શ્રેણીના લગભગ આઠેક પુસ્તકો બહાર પડી ચુક્યા છે, બહુ જ રસપ્રદ નામો સાથે - જેમકે 'જીરાફના આંસુ', 'બ્લુ જૂતા અને સુખ', 'જીંદગી ભરેલું આખું કબાટ', 'આનંદી મહિલાઓના સંગમાં' વગેરે. મા રામોત્સ્વે આધુનિક હોવા છતાં પરંપરાગત નૈતિક મૂલ્યોમાં માને છે ખાસ તો રીત-ભાતની અને સામી વ્યક્તિને માન આપવાની બાબતમાં. બોટસ્વાનામાં મહિલાઓને માનથી 'મા' અને પુરુષોને 'રા' કહેવામાં આવે છે. એલેકઝાંડર મેકકોલ સ્મિથ મા રામોત્સ્વે દ્વારા આફ્રિકાની સંસ્કૃતિની, રીત-ભાત અને ખાન-પાનની, વ્યવહાર કુશળતાની, જીવન જીવવાની વ્યાખ્યાઓની એક સફર કરાવી નાખે છે. ક્યારેક તેમની શૈલી બીનજરૂરી વ્યંગપૂર્ણ લાગે છે પરંતુ વ્યંગ તરીકે જ ઝીલાય છે, બીનજરૂરી ઠઠ્ઠા-મશ્કરી તરીકે નહિ.

આ શ્રેણીના ચોથા પુસ્તક વાંચતા સુધીમાં મને આફ્રિકા જવાનું મન થઇ આવ્યું. ખબર નહિ કોણે પાઠ્યપુસ્તકોમાં આફ્રિકાને 'અંધારિયા ખંડ' તરીકે વર્ણવ્યો હતો. મમા રામોત્સ્વેનું આફ્રિકા રંગબેરંગી છે, કેલિડોસ્કોપ જેવું! જેવી રીતે સરેરાશ પશ્ચિમ  જગતના લોકોને ભારત 'સાપ-મદારીના દેશ, રાજા-રજવાડાના દેશ, ધારાવીના દેશ, 'કરી'ના દેશ કે હવે આઈ.ટી.ના દેશ' તરીકે ચીતરીને દીવાલ પર ટાંગી દે છે તેવું જ કઈ આપણે આફ્રિકાના દેશો માટે કરતા હોઈએ છીએ. ભલે પ્રતીકો અને ચિત્રો જુદા હોય પણ કામ તો આપણે પણ દીવાલ પર ટાંગવાનું જ કરીએ છીએ. બહુ સીધો સવાલ છે કે એક આંતર-રાષ્ટ્રીય ઇવેન્ટમાં તમે વધુ અહોભાવ કે ભાવ એક સફેદ ચામડીવાળાને આપશો કે કાળી ચામડીવાળાને? પશ્ચિમ જગત જેવો જ સુપીરીયોરીટી કોમ્પ્લેક્ષ આપણે આપણાથી નાના કે ગરીબ દેશો માટે નથી ધરાવતા?

આ પુસ્તકો વાંચતા મને બીજો સવાલ એવો થયો કે ખરેખર રોજબરોજના જીવનમાં ગૌરવનું, અસ્મિતાનું, દેશાભીમાનનું વગેરેનું કેટલું મહત્વ છે? શું આફ્રિકામાં કે સોમાલિયામાં કે ઈથોપિયામાં જન્મેલા લોકો પોતાના પ્રદેશ વિષે, ભાષા વિષે, સંસ્કૃતિ વિષે ગૌરવની લાગણી નહિ ધરાવતા હોય? ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાંથી એ દેશ કે પ્રદેશ પસાર થતો હોય તો પણ. તો શું તેમને એવું કહી શકાય કે અમારું ગૌરવ તમારા કરતા વધારે સારું કે યોગ્ય છે?  ડોકટરે લખી આપેલી દવાની જેમ દિવસમાં બે વાર પોતાની સંસ્કૃતિ કે પ્રદેશ માટે ગૌરવ 'પામ્યા' બાદ આપણે શું કરીએ છીએ તે વધારે મહત્વનું નથી? અને ગૌરવ 'પામવા' માટે ગુજરાતમાં જન્મ્યા હોવ તો સિદ્ધરાજ જયસિંહના જમાના સુધી અને બિહારમાં જન્મ્યા હોવ તો પાટલીપુત્રના સુવર્ણયુગ સુધી જવાની જરૂર ખરી? ક્યારેક એવી નવાઈ લાગે છે કે કનૈયાલાલ મુનશી જેવા લેખકને ગુજરાતની અસ્મિતાનું આટલું ઉપરણું લેવાની જરૂર કેમ પડી? અને બીજી બાજુ, ઝવેરચંદ મેઘાણીએ અસ્મિતા કે ગૌરવ કે બીજા કશાની વાત કર્યા વગર જ ગુજરાતની લોકસંસ્કૃતિનો મહિમા કર્યો છે.

મા રામોત્સ્વેને આફ્રિકા ગમે છે અને ખાસ તો બોટસ્વાના. તેઓ સમજી શકતા નથી કે કોઈને આફ્રિકા છોડીને જવું કેમ ગમતું હશે અને લોકો યુરોપ જેવા 'ઠંડા' પ્રદેશોમાં કેવી રીતે રહી શકતા હશે. કોઈ કાલે તેમને કહે કે આફ્રિકાને અમેરિકા જેવું હાઈ-ફાઈ કરી આપીએ તો તે તરત જ કહેશે કે નો, થેંક યુ! તેમના કહેવા પ્રમાણે જે માણસ ઢોર-ઢાંખરને સમજી શકે તેના માટે માણસોને સમજવું સહેલું છે. 

છેલ્લે, મા રામોત્સ્વેનું એવું પણ માનવું છે કે ઘણું બધું વિશ્લેષણ કર્યા પછી જીવનમાં છેવટે તો તમારી પ્લેટ હોય છે અને તેના પર એક પમ્પકીન (કોળું) હોય છે અને તમે તે નિરાંતે ખાઓ છો. આટલી સાદી વાત જ આપણને પાછી ધરતી પર લાવે છે અને રાખે છે. આ જ વાત - પ્લેટ અને પમ્પકીન! Please eat your pumpkin well!