Tuesday, October 07, 2014

નગર ચરખો: સ્કોટીશ પાર્લામેન્ટ - પરંપરાના પાયા પર આધુનિક અભિવ્યક્તિ!





આધુનિક સ્થાપત્ય પરંપરાના પાયા પર ઉભું રહીને, સમકાલીન જરૂરીયાતો પૂરી કરવા સાથે ભવિષ્ય સાથે સંવાદ સાધતું હોય છે. પરંપરાગત સ્થાપત્યની બેઠી કોપી કરવાથી ભૂતકાળ અને ભવિષ્ય બંનેને અન્યાય થાય છે. લોકો પોતાનાં ઘરમાં કે ઘણીવાર ફ્લેટમાં જેસલમેર જેવા ઝરૂખા ચણાવતા હોય છે કે પછી ઘરની એક દીવાલ પર લીપણકામ કરીને નાનાં અરીસા ચીપકાવતા હોય છે. આને ભૂતકાળની કોપી કહેવાય, સમયાનુસાર જરૂરીયાતોને અવગણીને કરેલો મેક-અપ કહેવાય. મેક-અપ એકાદ પ્રસંગમાં સારો લાગે, તેની સાથે દિવસ-રાત જીવી ન શકાય. જેમ નવરાત્રીમાં નવ દિવસ પહેરેલાં પરંપરાગત પરિધાનો આખું વર્ષ ન ઠઠાડી દેવાય, તેમ પરંપરાગત સ્થાપત્યની એક જગ્યા અને સમય હોય છે. સ્થાપત્ય સમયને, જીવનશૈલીને, આધુનિક રીત-ભાતને અનુરૂપ હોય અને સાથે સાથે નવ-સર્જિત સ્પેસનો ઉપયોગ કરનારને નવી ઉર્જા સાથે આત્મીયતાનો અનુભવ કરાવતું હોય તો તે આદર્શ છે. 

સ્કોટલેન્ડના એડીનબરામાં સાલ 1999માં જ્યારે નવું પાર્લામેન્ટ બિલ્ડીંગ બનાવવાનું આવ્યું ત્યારે સ્થપતિ એનરીક મિરાલે મોયાએ પરંપરાગત બાંધકામ શૈલીમાં જકડાવવાને બદલે પરંપરાઓમાંથી પ્રેરણા લઈને આધુનિક જરૂરીયાત માટે આધુનિક બિલ્ડીંગ બનાવ્યું છે. સ્કોટલેન્ડમાં હમણાં ગયા અઠવાડિયે જ બ્રિટનથી છૂટા પડીને સ્વતંત્ર દેશ થવું કે નહિ તે અંગેનો જનમત યોજાયો હતો અને તેનો જવાબ સ્કોટીશ પ્રજાએ બહુમતિથી 'ના'માં આપ્યો છે. સ્કોટલેન્ડ બ્રિટનનો એક ભાગ હોવા છતાં તે ઘણે અંશે સ્વાયત્ત પ્રદેશ છે એટલે બ્રિટનમાં ત્રણસો વર્ષ ઉપરાંતથી તેને પ્રદેશ કે રાજ્ય નહિ પણ 'દેશ' તરીકે જ ઓળખવામાં આવે છે. ચતુર અંગ્રેજોએ સ્કોટલેન્ડને પ્રતીકાત્મક માન-ઇકરામ અને બને તેટલી સ્વાયત્તતા આપીને સ્વતંત્રતાની ઝૂંબેશમાંથી હવા કાઢી દીધી છે. એટલે જ સ્કોટલેન્ડમાં એસેમ્બલી નહિ પણ અલગ પાર્લામેન્ટ છે. 

સ્કોટીશ પાર્લામેન્ટ બિલ્ડીંગ આર્કિટેક્ટ એનરીક મિરાલે મોયાનો માસ્ટરપીસ છે. આસપાસના પરંપરાગત મકાનો સાથે તાદાત્મ્ય સાધવાને બદલે આ પાર્લામેન્ટ બિલ્ડીંગ પોતાની અનોખી ભાષામાં વાત કરે છે અને કોઈ સીધી લીટીનો તર્ક અનુસરતું નથી. જાણે કે આર્કિટેક્ટના જાદુઈ થેલામાં ચોરસ આકારો નથી ને કોઈ કાટખૂણાનું સંધાન નથી. જાણે કે કોઈ નવા જ પ્રકારની અભિવ્યક્તિ જમીનમાંથી એક પછી એક પગરવ લઈને ઉભરી રહી હોય તેમ ફ્રી-ફ્લોટિંગ ફોર્મ જેવો આ બિલ્ડીંગનો ઘાટ અને આકાર છે. બાંધકામની શૈલીમાં કોન્ક્રીટ, ગ્લાસ, લાકડાં, પાણીના ફુવારા જેવા તત્વોનું એક નવું સંયોજન મિરાલેની લેબોરેટરીમાં બને છે. સ્કોટીશ લેન્ડસ્કેપ પરથી પ્રેરણા લઈને આ બિલ્ડીંગ કોઈને વિખરાયેલા પર્ણ અને ડાળખીઓની ભાત વિકસાવતું લાગે છે, તો કોઈને તે સ્કોટીશ સરોવરમાં ઉંધી પડેલી હોડીનું ચિત્રણ લાગે છે. પ્રદેશના લેન્ડસ્કેપથી વધુ સજ્જડ કઈ પરંપરા હોઈ શકે!

એનરીક મિરાલે કહે છે કે બિલ્ડીંગના એલીવેશનમાં ગ્લાસનો ઉપયોગ કરવાથી આ લોકશાહીની સંસ્થાની પારદર્શકતા ઉભી થવાની નથી. બિલ્ડીંગનો બહારનો દેખાવ એ આધુનિક સમયની નવી પ્રતીકાત્મક અભિવ્યક્તિ છે. જ્યારે અંદરના ખંડોમાં તો જ્યાં જેની જરૂર હોય તે મુજબની જગ્યાઓ ઉભી થવી જોઈએ. પાર્લામેન્ટ બિલ્ડીંગનો મુખ્ય ચર્ચાખંડ ઉર્ફ ડીબેટીંગ ચેમ્બરમાં સભ્યોની એકાગ્રતા જળવાવી જોઈએ, લોક પ્રતિનિધિને અહીં ઉભા થઈને પોતાનો પક્ષ રજૂ  મન થાય, ચર્ચામાં  ભાગ લેવાનું મન થાય તેવો આ ખંડ હોવો જોઈએ. અને તેવો જ ખંડ અહીં ડીઝાઈન કરવામાં આવ્યો છે. 

સ્કોટીશ પાર્લામેન્ટ બધા જ મુલાકાતીઓને ખુલ્લી રીતે આવકારે છે. જાણે કે આ બિલ્ડીંગ કહેતું હોય કે આવો, લોકશાહીને 'ઇન એક્શન' નિહાળો. જ્યારે સેશન ચાલુ ન હોય ત્યારે તો બિલ્ડીંગના લગભગ બધે જ ફરી શકાય છે. અમારી સાથે મુલાકાતીઓના ટોળામાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હતા. પાર્લામેન્ટ બિલ્ડીંગનો પ્રવાસ ત્યાંના વિદ્યાર્થીઓ માટે ફરજીયાત હતો. આપણે પણ સ્કૂલોના પ્રવાસો રાજા-રાણીના મહેલો-મ્યુઝીયમ કે મંદિરો-મસ્જીદોની જગ્યાએ પાર્લામેન્ટ કે એસેમ્બલી જેવી લોકશાહીની પાયારૂપ સંસ્થાઓમાં ગોઠવવા જોઈએ. ભારતમાં પણ જયારે એસેમ્બલી કે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે મુલાકાતીઓની ગેલેરીમાં બેસીને આવનારી પેઢીઓ પોતાના પ્રતિનિધિઓ અને તેમનું વર્તન જોતી હોય તો? કદાચ લોકોના પ્રતિનિધીઓને ટીવી કેમેરા જેવી બેજાન વસ્તુઓ સામે બે આંખની શરમ ન લાગે, પણ વિદ્યાર્થીઓને જોઇને તેમનું વર્તન સુધરે, શું લાગે છે?

નવગુજરાત સમય, પાન નં 9, 5 ઓક્ટોબર (રવિવાર) 2014. 

Sunday, September 21, 2014

નગર ચરખો - ગરીબોનાં મકાન કોણ બનાવે, સરકાર કે બિલ્ડર?

સરકારે જ્યારે જયારે ગરીબો માટે (એટલે કે ગરીબોના નામે) મકાનો બનાવ્યા છે, ત્યારે ત્યારે ગરીબો સિવાય બધાને ફાયદો થયો છે. સરકારોને ખોટનો ધંધો કરવો ફાવતો હોય છે, ગરીબ આવાસની બાબતમાં તો ખાસ. જાહેર ક્ષેત્રની આવાસ યોજનાઓમાં મોટે ભાગે સરકારી જમીન પર, સરકાર દ્વારા, ગરીબોના નામે, મધ્યમ વર્ગ માટે સસ્તા અને ખરાબ ગુણવત્તાના મકાનો બનતા હોય છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર સરકારી મકાનોની ફાળવણીમાં 'લાભાર્થી' નક્કી કરવામાં થતો હોય છે. આજે જીર્ણ-ક્ષીર્ણ થયેલા વિવિધ રૂપ-રંગ-નામ ધરાવતાં હાઉસિંગ બોર્ડોએ તેમાં યથાશક્તિ ફાળો આપ્યો છે. સરકાર મકાનો બાંધી આપે તેનાથી શહેરોમાં સ્લમ વિસ્તારોનો ફેલાતો ઓછો થશે તેવું કોઈ તારણ નીકળતું નથી. આ દેશમાં સસ્તા મકાનોની એટલી બધી અછત છે કે સરકારો ગમે તેટલા મકાનો બાંધે, તે ગરીબ માણસ સુધી પહોંચવાના નથી તેટલી ગરીબી છે. લોકો પોતાની શક્તિ મુજબ પોતાના મકાનો ખુદ બાંધે તે જ યોગ્ય છે અને સરકારની ભૂમિકા તેમાં મૂળભૂત સુવિધા આપવાની હોય તો તે બંને પક્ષે સારા પરિણામ લાવી શકે. 

જો સરકાર ગરીબો માટે મકાનો બાંધવાની ન હોય તો કોણ બાંધશે? ગરીબો માટે મકાન ખાનગી બિલ્ડરો બાંધશે તેવું આજકાલ P-P-P (Public Private Partnership) તરફી ઝોક ધરાવતાં નિષ્ણાતો કહેતા હોય છે. જે જમીન પર સ્લમ વસાહત હોય તે કોઈ બિલ્ડરને આપીને તેમાં નવો પ્લાન મૂકવામાં આવે છે. બિલ્ડરને એ જ સ્થળે કે બીજા નજીકના સ્થળે વધુ બાંધકામ કરવાની સત્તા (FSI) મળે જેના દ્વારા પોતે રોકેલા પૈસા પાછા મેળવી શકે છે. મુંબઈ અને પૂના જેવા શહેરોમાં આ પ્રકારની યોજનાઓ છે, તેને બહુ ઓછી સફળતા મળી છે. મુંબઈ જેવા જમીનોના ગગનચુંબી ભાવ ધરાવતાં શહેરોમાં આ પ્રકારની યોજના નાણાકીય રીતે શક્ય બને છે. પણ ભારતના બાકીના શહેરો મુંબઈ નથી. 

બીજું કે, ગરીબ વ્યક્તિને ઘર આપવાનાં ‘ખોટના ધંધા’ની જવાબદારી માત્ર ખાનગી ક્ષેત્રની કઈ રીતે થઇ શકે? પણ ઘણાં-ખરાં ચાલી જતા સૂત્રોમાં P-P-P પણ ચાલી નીકળે છે. તેમાં મહત્વનો સવાલ એ છે કે આખી વાતમાં મુખ્ય P એટલે કે ‘પીપલ’ ઉર્ફ ‘લોકો’ ક્યાં છે? બિલ્ડર તેમને મકાન આપશે તેની ગેરંટી શું? સ્લમ વિસ્તારો કે જેમાં વેચાણ કરાર, બાનાખત, ભાડાખત  કાયદાકીય સ્પષ્ટતા ન હોય તેવી પરિસ્થિતિમાં કોને મકાન આપવાને કોને ન આપવાની જવાબદારી બિલ્ડર લેશે કે સરકાર? બિલ્ડરો અને ગરીબ વસ્તી વચ્ચે સરકારે સેતુ બનવાની જવાબદારી લેવી પડે. ગરીબ આવાસનું કામ ખાનગી બિલ્ડરોને 'આઉટ સોર્સ' કરવાથી સમસ્યાનો ઉકેલ  આવતો નથી. 

મોટાભાગનાં સ્લમ વિસ્તારો એવી જમીનોમાં ફેલાયેલાં છે કે જ્યાં માલિકી હક અંગે કાયદાકીય ગુંચ હોય છે અને સામસામે દાવા થયેલા હોય છે. આવી ઘણી જમીનોમાં ત્રીસ-ચાલીસ વર્ષ જૂની વસાહતો હોય છે. ઘણીવાર તો સરકારને પોતે સ્લમ વિસ્તારો ખસેડવામાં રસ હોતો નથી. આવી પરિસ્થિતિમાં આ સ્લમ વસાહતોમાં રહેતા લોકોને 'જ્યાં છે ત્યાં' રહેવાનો હક, શહેર સુધરાઈ તરફથી મળતી સુવિધાઓનું તેમનાં સુધી વિસ્તરણ અને નાની-મોટી લોન લઇ શકે તેવી સુવિધાઓની સૌથી વધારે જરૂરીયાત હોય છે. આવા વિસ્તારોમાં અમદાવાદે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલી પરિવર્તન ઉર્ફ 'સ્લમ નેટવર્કિંગ' યોજના કરેલી છે, જ્યાં વસ્તીને પાણી-ગટર-શૌચાલય-લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સરકાર અમુક પૈસા લઈને આપે છે. આ પ્રકારે ખરી પબ્લિક-પીપલ પાર્ટનરશીપ થાય છે. શહેરોને ‘સ્લમ-ફ્રી’ બનાવવાનો ટકાઉ રસ્તો તેમને શહેરની સાથે શબ્દાર્થમાં સાંકળવાનો છે નહી કે તેમને શહેર-નિકાલ કરવાનો. આવા ઘણા ઉદાહરણો એશિયાના જ ભારતથી ઓછો વિકાસદર ધરાવતા દેશો જેવા કે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરેમાં મોજૂદ છે. 

જો શહેરોને ખરેખર સ્લમ-ફ્રી બનાવવા હશે તો ક્યાંક સરકારે મકાનો બાંધવા પડશે, થોડા-ઘણાં મકાનો ખાનગી બિલ્ડરો બાંધી શકશે પણ મોટાભાગનાં સ્લમ વિસ્તારોમાં ગરીબોએ પોતે બનાવેલા ઘરોમાં સર્વિસ અપગ્રેડેશન કરીને તેમને શહેર સાથે સાંકળવા પડશે. તો જ લોકોને ગરીબીમાંથી બહાર આવવા માટે સીડી મળશે. ગરીબીમાંથી બહાર લાવી મૂકતી સીડીઓ જ દેશના આર્થિક અને સામાજિક વિકાસની 'લીફ્ટ' હોય છે. 

નવગુજરાત સમય, પાન નં 9, 21 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

નગર ચરખો: સ્લમ વિસ્તારો - ગેરકાયદેસર દબાણ કે સહિયારું સર્જન?

આજે દુનિયાભરમાંથી ત્રીજા ભાગના ગરીબ લોકો (લગભગ તેત્રીસ કરોડ) ભારતમાં વસે છે અને દુનિયાભરના ચોથા ભાગના શહેરી ગરીબ લોકો (લગભગ દસેક કરોડ) ભારતના શહેરોમાં વસે છે. આ દસ કરોડ લોકો સ્લમ એટલે કે શ્રમિક-ગરીબ વસાહતોમાં પાણી-ગટર-ગંદકીની રોજની બબાલો સાથે રહે છે. આઝાદીના છ-સાત દાયકા બાદ પણ શહેરી આયોજન અને શહેરી સરકારોએ શ્રમિક-ગરીબ વસાહતો અંગે કંઇક કરવાનો પડકાર ગંભીરતાથી ઉપાડ્યો નથી. યુપીએ સરકારની એક આવાસ યોજનાનું સુત્ર હતું ‘સ્લમ ફ્રી શહેરો’. ‘ગરીબી હટાવો’માં જેમ પ્રશ્ન થાય કે અહીં ગરીબોને હટાવવાની વાત છે કે તેમની ગરીબીને હટાવવાની વાત છે. તેમ અહીં સ્લમ-ફ્રી એટલે શહેરનાં ઝૂપડાંને શહેરની બહાર ધકેલવાની વાત છે કે પછી તેમને મૂળભૂત સુવિધા આપીને બાકીના શહેર સાથે જોડી દેવાની વાત છે તેવી મૂંઝવણ તો રહે જ છે. કે પછી આવી મૂંઝવણો રાખવામાં કોઈ ડહાપણ સમજે છે તે બહુ સ્પષ્ટ નથી.
શ્રમિક-ગરીબ વસાહતોનાં ઉદભવવામાં અને ફેલાવામાં ક્યારેક-ક્યારેક સરકારી પ્લાનીંગ તંત્રનું સક્રિય યોગદાન હોય છે. જ્યારે-જ્યારે ખાનગી જમીનોને ગ્રીન બેલ્ટ કે લેન્ડ સીલીંગ જેવા તઘલખી નિર્ણયોને લીધે વિકાસ માટે મંજૂરી નથી મળતી ત્યારે ખાનગી જમીન-માલિકો જમીનને ‘કાઢવા’ બીજા રસ્તા ખોળતા થઇ જાય છે. ખાનગી જમીનમાલિકો પોતાની સરકારી ‘શ્રાપ’થી પીડિત જમીનના ગેરકાયદેસર ભાગ કરીને ગરીબ-શ્રમિક પરિવારોને સસ્તા ભાવે વેચી દે છે કે ભાડે આપે છે. જ્યાં ઔદ્યોગિક કે ધંધાધારી એકમોમાં સસ્તાં મજૂરીની જરૂરિયાત હોય ત્યાં પ્રકારનું ગેરકાયદેસર વેચાણ અને જમીનનો ઉપયોગ ખૂબ ફૂલે-ફાલે છે. શ્રમિકો સ્લમ વસાહતોમાં રહે છે એટલે મજૂરી ‘સસ્તી’ પડે છે એ યાદ રાખવું જરૂરી છે. આ ગેરકાયદેસરતાનો ફાયદો એ થાય છે કે શહેરના પ્રોપર્ટી માર્કેટમાંથી ‘પ્રાઈસ આઉટ’ થયેલા હજારો ગરીબ-શ્રમિક પરિવારોને શહેરમાં ટકી જવા માટે જગ્યા મળે છે. જૂનવાણી પ્લાનીંગની ભૂલો અને રેવન્યુ વિભાગ-પ્લાનીંગ વિભાગ વચ્ચે સંકલનનાં અભાવે શહેરમાં આ પ્રકારના ‘અનૌપચારિક’ જમીન-મકાન માર્કેટને હવા મળે છે. ધીરે-ધીરે લોકો પોતાની સુવિધા પ્રમાણે પોતાના મકાનોમાં રોકાણ કરે છે અને વખત જતા મહાનગરપાલિકાએ તેમને મૂળભૂત સુવિધાઓ પણ આપવાનું શરુ કરે છે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં આવી કેટલીય લેન્ડ સીલીંગનાં કાયદા હેઠળ આવતી જમીનો છે જ્યાં આજે ગરીબ પરિવારો રહે છે અને વખત જતાં બે પાંદડે થયા છે. લેન્ડ સીલીંગનાં સરકારી સમાજવાદનું બિલકુલ બીજી રીતે પણ અમલીકરણ અહીં થતું જોવા મળે છે. આવા કેટલાય ગરીબ-શ્રમિક વિસ્તારો દરેક શહેરમાં જોવા મળે છે અને સરકારી રાહે થયેલા પ્લાનીંગનું કેવી રીતે સત્યાનાશ થયું તેની રસપ્રદ કહાનીઓ સંભાળવા મળે છે. આ વાર્તામાં એક જ વિલન શોધવો જરૂરી નથી સિવાય કે પછી ગરીબમાત્રને ‘વિલન’ ગણી લેવામાં આવે. શહેરી પ્લાનીંગે સર્જેલા કાયદાનાં શાસનનાં અવકાશમાં ગરીબ-શ્રમિક વસાહતોનું નિર્માણ બહુ જ વ્યવસ્થિત રીતે એક સમાંતર જમીન-મકાન બજારના ફેલાવા રૂપે થાય છે. હવે આ સમાંતર જમીન-મકાન બજાર જે સૌની આંખ સામે વર્ષો સુધી ફૂલ્યું-ફાલ્યું હોય અને જેના લીધે હજારો પરિવારોને શહેરમાં થોડી જગ્યા મળી હોય તેને માત્ર ‘દબાણ’ તરીકે બ્લેક એન્ડ વ્હાઈટમાં કેવી રીતે જોઈ શકાય?
મોટે ભાગે, આપણા દેશમાં પ્લાનીંગ ભવિષ્ય માટે નહિ પણ ભૂતકાળની ભૂલો સુધારવા થતું હોય છે એટલે હિન્દી  ફિલ્મોમાં બધું પતી ગયા પછી આવતી પોલીસની જેમ સરકારી કાયદેસરતાઓ કોઈ બાંધકામ કે વસાહતોને ‘ગેર-કાયદેસર’ કરાર કરે છે. કાયદાની દ્રષ્ટિએ બધું જ ગેર-કાયદેસર નથી હોતું તેથી આવી વસાહતો કે બાંધકામોને ‘અનૌપચારિક’ કહી શકાય પણ સંપૂર્ણપણે કાયદેસર ન કહી શકાય. આ લોકો માટે, લોકો દ્વારા, લોકોથી રચાતી વસાહતો છે, જેમાં ઔપચારિક પ્લાનીંગની ભૂમિકા ઓછી છે. ગરીબી અને વિષમતાના ઘણા મૂળભૂત કારણો સિવાય, સ્લમ વિસ્તારો ઉદભવવા પાછળ જૂનવાણી પ્લાનીંગ, સાનુકુળ અમલીકરણ અને શહેરી જમીનોનો અણઘડ ઉપયોગ જેવા મજબૂત કારણો છે. આ રીતે જો સ્લમ વિસ્તારો વર્ષોના અણઘડ આયોજન, સ્થાપિત હિતોની લાલચ અને અને ગરીબ વસ્તીની શહેરમાં થોડી જગ્યા ઉભી કરવાની મજબૂરીનું ‘સહિયારું સર્જન’ હોય તો તેમને શહેર સાથે કેવી રીતે સાંકળવા? તે વિષે વધુ આવતાં હપ્તે. 
નવગુજરાત સમય, પાન નં 9, 14 સપ્ટેમ્બર (રવિવાર) 2014.