Friday, December 17, 2010

બ્રિટનમાં સાઈકલ સંઘર્ષ

'સાઈકલમ્ શરણમ્ ગચ્છામિ!' નામે સાઈકલ વિશેનો લેખ મેં કંઈક અંશે મુગ્ધતા અને રોમાંચથી લખેલો. તેના પ્રતિધ્વનિ રૂપે આ લેખમાં બ્રિટનમાં સાઈકલીંગ વિષે જમીની હકીકતો આપી છે. વિહંગાવલોકન જેવું આ સાઈકલની સીટ પરથી કરેલું 'સાઈકલાવલોકન' છે. અહીં વાહન-વ્યવહારને લગતાં વિવિધ પાસાં અને યુરોપીય શહેરોમાં જોવા મળતા નવા પ્રવાહોને ધ્યાનમાં રાખીને સાઈકલ ચાલનની વાત કરી છે.
મોટરી-કરણ અને કાર-અવલંબિત શહેરો : બીજા વિશ્વયુદ્ધ પછીના સમયથી યુરોપ અને અમેરિકામાં 'મોટરી-કરણે' જબરું જોર પકડેલું છે. આજે યુનાઇટેડ કિંગ્ડમમાંનાં ૪૫% ઘરોમાં એક કાર અને 3૫% ઘરોમાં બેથી વધુ કાર છે. વીસેક વર્ષ પહેલાં કદાચ આને 'વિકાસ'ની નિશાની માની શકાય, પણ આજે પર્યાવરણ અને હવામાનના બદલાવના સંદર્ભમાં વધુ પડતું મોટરીકરણ ગંભીર સમસ્યા છે. કારણ, વધુ કાર્બન ધુમાડા અને પેટ્રોલ-ડીઝલ જેવાં બળતણ પર વધુ પડતું પરાવલંબન. શહેરના વાહન-વ્યવહારમાં જો કારનું આધિપત્ય હોય તો તેવા શહેરોમાં ઉપ-નગરોનો વિકાસ ઝડપથી થાય છે. કારવાળા લોકો એવું માને છે કે કાર હોવાને લીધે તેઓ શહેરથી દૂર સસ્તાં અને મોટાં મકાનોમાં રહી શકશે. તેના લીધે વસ્તીમાં વધારાના પ્રમાણથી ઘણો વધારે શહેરોનો ફેલાવો થતો જ રહે છે. કાર-અવલંબિત શહેરો એટલે વધુ ફેલાવો ધરાવતાં શહેરો. વધુ ફેલાવો ધરાવતાં શહેરો એટલે લાંબા અંતરો, વધુ ટ્રાફિક, વધુ ટ્રાફિક જામ અને વધુ કાર્બન ધુમાડા. જો આપણે બ્રિસ્ટલ અને અમદાવાદની સરખામણી કરીએ તો બંને શહેર લગભગ સરખો વિસ્તાર ધરાવે છે - ૪૫૦ ચોરસ કિલો મિટર. પરંતુ અમદાવાદની વસ્તી લગભગ પિસ્તાલીસ લાખ છે જ્યારે બ્રિસ્ટલમાં સાડા ચાર લાખ લોકો રહે છે, અમદાવાદથી લગભગ દસ ગણા વિસ્તારમાં. બ્રિસ્ટલમાં બે માળથી વધુનાં મકાનો બહુ જ જૂજ સંખ્યામાં છે અને શહેર ઘણા ઉપ-નગરો (સબર્બ) ધરાવે છે. મોટા ભાગના ઉપ-નગરો કારથી આવ-જા કરતાં લોકો માટે હાઈ-વેની આસપાસ બનાવેલા છે. અમેરિકાનાં શહેરો તો વળી સંપૂર્ણ કાર-અવલંબિત છે અને તેમની વસ્તીની ગીચતા યુરોપનાં શહેરો કરતાં પણ ઓછી છે. 
પશ્ચિમમાં મોટરીકરણ આજે ગંભીર સમસ્યા બની ચૂકી છે, કારણ કે એક વાર રચાઈ ગયેલાં શહેરો બદલી શકાતાં નથી. તે સિવાય કાર નામના ધાતુના ડબ્બા માટે બનાવવી પડતી માળખાકીય સુવિધાઓ 'અમાનવીય' હોય છે. કારની આસ-પાસ રચાતાં શહેરોમાં ભેંકાર, માણસ માત્રની હાજરી વિનાની જગ્યાઓ વધારે હોય છે - અમેરિકાનાં શહેરોમાં આ કાર-ભેંકાર જગ્યાઓ બહુ આસાનીથી જોઈ શકાય છે અને યુરોપનાં શહેરોમાં તેમનું પ્રમાણ ઓછું હોય છે, પણ કારનું આધિપત્ય ઓછું નથી.. કાર-અવલંબિત શહેરો બેધારી તલવાર છે - જે કાર ન ધરાવતા લોકો માટે શ્રાપરૂપ બની રહે છે અને તેમને સતત કાર ખરીદવા માટે છૂપી રીતે પ્રોત્સાહિત કરે છે. બ્રિટનનાં શહેરોમાં ભારતીય શહેરોની જેમ હાથ ઊંચો કરીને રિક્સા રોકી શકાતી નથી અને જાહેર બસ સેવાની ગુણવત્તા ઊંચી હોવા છતાં ખાનગી વાહનના ફાયદાની સતત સરખામણી જાહેર સેવાઓ સાથે થતી રહે છે. સામાજિક રીતે, બ્રિટનમાં વૃદ્ધોની સંખ્યા ઘણી મોટી છે અને તેમાંનાં મોટા ભાગના લોકો કાર જાતે ચલાવી શકે તેવી પરિસ્થિતિમાં હોતાં નથી. વળી, સ્થૂળતાનો પ્રશ્ન પણ ગંભીર છે. તેથી કાર-આધારિત જીવન બહુ ઓછી સંખ્યાના લોકો માટે ફાયદારૂપ છે. અહીંની સરકાર અને શૈક્ષણિક મંડળોમાં આ બહુ-સ્વીકૃત હકીકત છે, પણ કારનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો અંગે બહુ સહમતી નથી. 
મોટરીકરણ એટલે આધુનીકરણ નહીં : કાર-અવલંબન વિશેના આ વિચારો એ મોટા ભાગના પર્યાવરણ, વાહન-વ્યવહાર નિષ્ણાતોના મતમાં શહેરી વાહન-વ્યવહારના વિષયમાં આવેલા મૂળભૂત પરિવર્તનનો સંકેત છે. મોટરીકરણ અને આધુનીકરણનો સંબંધ વિચ્છેદ બે-ત્રણ દાયકા પહેલાં થઈ ચુક્યો છે. આધુનિક હોવું કે વિકસિત હોવું એટલે મોટર-કારની આસપાસ જીવન રચવું તે માન્યતા ખોટી પડતી નીતિઓ યુરોપના ઘણા દેશોમાં છે. શહેરી ઇતિહાસમાં વાહન-વ્યવહારના પ્રશ્નોનો પ્રણાલીગત ઉકેલ સામાન્ય રીતે વધુ ફ્લાય ઓવર, વધુ પહોળા રસ્તા, વધુ પાર્કિંગની જગ્યા અને વધુને વધુ આપી આપીને કરવાના ઉપાયો ખરેખર તો વધુ મોટા પ્રશ્નો સર્જે છે. કારણ કે તે માત્ર કાર-અવલંબિત વિકાસને જ ઉત્તેજન આપે છે. ખરેખર જરૂર છે બને તેટલા વધુ લોકોને સાઈકલનો ઉપયોગ કરતા કરવાની, કારને ઓછી પ્રાથમિકતા આપીને જાહેર બસ કે ટ્રામ સેવાને સુદ્રઢ બનાવવાની અને જાહેર રસ્તાઓને રાહદારીઓ અને સાઈકલબાજો માટે વધુ સુરક્ષિત બનાવવાની. કારને જરૂરી પૂરવઠો (રસ્તા, બળતણ, પાર્કિંગ વગેરે) આપ-આપ કરવાની જગ્યાએ તેની માંગ ઓછી કરવાની કે ઉપયોગ ઘટાડવાની તો જરૂર વર્ષો પહેલાં બધી જ યુરોપીય સરકારોને મહેસૂસ થઇ ચુકી છે. 
સમગ્ર યુરોપમાં વૈકલ્પિક ઉપાયો જેવા કે કન્જેશન ચાર્જીંગ, સાઈકલીંગનો પ્રચાર, જાહેર સાઈકલ સેવા, કારને વધુ મોંઘી અને લાઈસન્સ મેળવવું વધુ અઘરું બનાવવું વગેરે પ્રચલિત છે. કોપન હેગન, એમ્સ્તરડામ, પારિસ જેવા શહેરો વાહન-વ્યવહારના વૈકલ્પિક ઉપાયોમાં ઘણાં આગળ છે. કોપેન હેગન અને એમ્સ્તરડામમાં તો લગભગ ૪૦%  ટ્રાફિક સાઈકલોનો હોય છે, તેઓ યુરોપની સાઈકલીંગ રાજધાની છે. હોલેન્ડ તો શાનથી પોતાને સાઈકલ-પ્રેમી દેશ કહેવડાવે છે. અને આ સાઈકલ-પ્રેમ તે કોઈ જૈનીનિક જાદુ નથી પણ ૧૯૭૦ના દાયકામાં હોલેન્ડની સરકારે લીધેલાં ચોક્કસ પગલાં અને નીતિઓનું પરિણામ છે. આજથી વર્ષો પહેલાં હોલેન્ડ જેવા દેશોએ નક્કી કરેલું કે શું આપણે કાર-અવલંબનના રસ્તે જવું છે કે બીજા કોઈ પ્રદૂષણ રહિત વિકલ્પ શોધવા છે. જર્મનીએ વર્ષ ૨૦૦૨માં તેનો 'નેશનલ સાઈકલ પ્લાન' બહાર પાડેલો, જેમાં વિવિધ શહેરોમાં સાઈકલની સુવિધાઓ જેવી કે નવા રસ્તા, અલગ સિગ્નલ, પાર્કિંગ અને જાહેર બસ/ટ્રામમાં સાઈકલ લઈ જવાની સુવિધાઓ વગેરે બનાવવાનું આયોજન છે. વૈકલ્પિક અને પ્રદૂષણ રહિત વાહન-વ્યવહારની રેસમાં યુરોપમાં બ્રિટન ઘણું પાછળ છે અને કાર્બન ધુમાડાની રેસમાં ઘણું આગળ. બ્રિટનમાં લંડન સિવાય બીજા શહેરો તદ્દન કાર-આધારિત છે, જાહેર બસ કે ટ્રામ સેવા પૂરતી નથી, સાઈકલો રસ્તા પર ઓછી દેખાય છે, દરરોજ સવાર-સાંજ ટ્રાફિક જામ સામાન્ય ઘટના છે અને કાર તે દેખીતી રીતે સૌથી સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવતું સાધન છે. કોઈ વૃદ્ધ વ્યક્તિને કાર વગર જીવવું ભારે પડી શકે છે. વસ્તી વધારાથી કંઈક ગણી વધારે કારની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.
સાઈકલ : રોજ-બ-રોજનું ઉપયોગી સાધન ? :સાઈકલના ઘણા ફાયદા છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે તો તે ફાયદારૂપ છે જ, પણ શહેરી ઉપયોગ માટે તે આદર્શ સાધન છે. બ્રિટનનાં શહેરોમાં લોકો ત્રણ-ચાર કે વધુમાં પાંચ-છ માઈલ જેવું અંતર કાપતા અને કામ પર જતા હોય છે. ઘણીવાર ઓફીસ ટાઈમમાં લાગેલી ભીડમાં સાઈકલ સૌથી ઝડપી વાહન સાબિત થાય છે કારણ કે રસ્તાઅો પર કારોએ સર્જેલો ટ્રાફિક જામ હોય છે જે જાહેર બસોને તો સૌથી ધીમી પાડી દે છે. વળી, સાઈકલ તો સસ્તું સાધન છે. અને યુરોપના દેશોમાં સાઈકલ પર જવું તે સામાજિક રીતે નીચું પણ મનાતું નથી. વાત અહીં કારના આંધળા વિરોધની નથી. કાર તે કુટુંબ માટે એક ઉત્તમ, ઉપયોગી સાધન છે. પરંતુ જો એક જ માણસને ક્યાં ય પહોંચવું હોય, તો જાહેર રસ્તા પર ત્રણ મિટર ગુણ્યા પાંચ મિટર વાળો ધાતુનો ડબ્બો લઈને ધુમાડા કાઢતા નીકળવાની જરૂર નથી. ગાંધીજી કહે છે તેમ માત્ર લક્ષ્ય જ નહિ પણ લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન પણ આદર્શ પ્રમાણે હોય તે મહત્ત્વનું છે. મોટા ભાગે શહેરોમાં અંદર-અંદર નાનાં-મોટાં કામ માટે નીકળવા માટે કારની જરૂર નથી. સાઈકલ એક અંગત વાહન તરીકે પૂરતી સુવિધા આપે છે. બ્રિટનનાં શહેરોમાં ભારતીય શહેરોની જેમ વાહનના પ્રકારમાં બહુ વિવિધતા નથી. બસ, સાઈકલ અને કાર આ ત્રણ સૌથી વધુ જોવાં મળતાં સાધન છે. તેથી ખાનગી વાહન તરીકે સાઈકલ વિરુદ્ધ કારનો મુદ્દો ઊડીને આંખે વળગે છે.
બ્રિટન સરકારની માહિતી મુજબ, અહીં રહેતાં ભારતીય કુટુંબો આર્થિક રીતે પ્રમાણમાં સદ્ધર છે અને અહીંની બહુમતી પ્રજામાં જે પ્રમાણે કારની માલિકી જોવા મળે છે તેવા જ આંકડા ભારતીય કુટુંબોમાં પણ જોવા મળે છે. જયારે પાકિસ્તાની, બાંગ્લાદેશી, આફ્રિકન કે જમૈકન સમૂહોમાં આર્થિક સદ્ધરતા પ્રમાણમાં ઓછી છે અને તેથી કાર માલિકી પણ ઓછી છે. પરંતુ ભારતીય અને બીજા બધા જ લઘુમતી સમૂહોમાં સાઈકલીંગનું પ્રમાણ નહિવત્ છે. સાઈકલને સામાજિક રીતે નીચો દરજ્જો મળે છે અને આ  સમાજોમાં સાઈકલને ગરીબના સાધન તરીકે જોવાય છે કે પછી 'ધોળિયાઓના ગાંડપણ' તરીકે. એક મિત્રએ તો મને કહ્યું પણ ખરું કે ‘હું બ્રિટનમાં આવીને કારને બદલે સાઈકલ ચલાવું તો દેશમાં લોકો મારા વિષે કેવું ધારી લે? કે નક્કી આ કોઈ નાનાં-મોટાં કામ કરતો હશે અને સુખી નહીં હોય.’ તે સિવાય, નેશનલ હેલ્થ સર્વે મુજબ, ભારતીય મૂળના લોકોમાં સ્વાસ્થ્ય પરત્વે બેદરકારી પણ પ્રમાણમાં વધુ હોય છે. પરંતુ બહુમતી સમૂહમાં સાઈકલીંગનું પ્રમાણ ઓછું હોવાનું કારણ સામાજિક દરજ્જો નહીં પણ કાર પ્રત્યેનો પ્રેમ; અને એવી ધારણા છે કે કાર તે વધુ સારું વાહન છે.
બ્રિટનમાં રોજ-બ-રોજનું સાઈકલ ચાલન : એક સાઈકલબાજ તરીકે બ્રિટનના રસ્તાઓ પર સાઈકલ ચલાવવું ભારતના પ્રમાણમાં અઘરું છે. કારણ કે અહીં વાહનોની સરેરાશ ઝડપ વધુ હોય છે, રસ્તા પ્રમાણમાં સાંકડા હોય છે અને કારોની સંખ્યા વધુ હોય છે. કોઈ પણ રસ્તા પર સાઈકલ તે બીજાં દરજ્જાનું સાધન છે અને સાઈકલબાજ તે બીજા દરજ્જાનો નાગરિક છે. કાર ચલાવનાર એવું માને છે કે રસ્તા પર પહેલો અને આખરી હક તેમનો જ છે. સાઈકલબાજ તરીકે તમે કારની ઝડપ 'ઓછી' કરવાનું પાપ કરો છો. તમે બ્રિટન કે ઈંગ્લેન્ડના કોઈ શહેરોમાં સાઈકલબાજ જો હો, તો “ડેઈલી મેઈલ” જેવા ટેબ્લોઈડ તમને નિયમિત રૂપે 'અસામાજિક', 'અનૈતિક', 'સ્વાર્થી' જેવા વિશેષણોથી નવાજશે. રૂઢીચુસ્ત મત પ્રમાણે સાઈકલ સવારો રસ્તે ચાલતા કાર-સવારો માટે દૂષણ રૂપ છે. આવું ખુલ્લે આમ નહીં તો રોજ-બ-રોજની વાતોમાં છૂપી રીતે સંભળાઈ જાય છે.
જો કે આ સાઈકલબાજો વિશેના પ્રચલિત મતની સામે રાજકારણીઓ અને બીજા જાણીતા ચહેરા સાઈકલનો મહિમા કરતા રહે છે. ડેવિડ કેમરૂન પ્રધાનમંત્રી બન્યા પહેલાં નિયમિત સાઈકલ ચલાવતા, એવું કહેવાય છે. અને લંડનના મેયર બોરિસ જોન્સન આજે પણ સાઈકલનો સતત ઉપયોગ કરે છે. લંડનના પૂર્વ મેયર કેન લિવીંગસ્ટનના પ્રયત્નોથી 'કન્જેશન ચાર્જીંગ' એવા અટપટા વિકલ્પને લોકપ્રિયતા સાંપડેલી કે જેમાં કાર લઈને મધ્ય લંડનમાં પ્રવેશવા માટે ફી ભરવી પડે. જયારે બોરિસ જોન્સન 'જાહેર સાઈકલ સેવા' કે જેમાં લંડનમાં વિવિધ સ્થળોએથી સાઈકલ ભાડે લઈ શકાય અને પોતાના ગંતવ્ય સ્થાને નિર્ધારિત જગ્યાએ મૂકી શકાય તેવા, નવો જ અભિગમ લઈને આવ્યા છે, જેને 'બોરિસ બાઈક'ના હુલામણા નામે ઓળખવામાં અાવે છે. તે સિવાય વિવિધ શહેર સુધરાઈઓ પોતાના રસ મુજબ, સાઈકલના પ્રચાર-પ્રસાર માટે કામ કરે છે. એકંદરે સાઈકલના પ્રચાર-પ્રસારનું કામ ઘણું થાય છે. છતાં પણ બ્રિટનનાં શહેરોમાં સાઈકલનો ટ્રાફિક સરેરાશ ૨%થી પણ ઓછો છે. કારની સંખ્યા અને સુવિધાઓ વધતી જાય છે.
બ્રિટનના શહેરોમાં એક સાઈકલબાજ હોવાના રોજના અનુભવ પણ બહુ અલગ છે. કાર ચલાવનાર તમને વ્યવસ્થિત 'જોઈ શકે' તે માટે સાઈકલબાજો ચમકતાં કપડાં પહેરે, લાઈટ લગાવે, જાત-જાતના લટકણિયા અને 'નમૂના' જેવો દેખાવ ધારણ કર્યા પછી જ રસ્તા પર નીકળે છે. આ આખી 'હું અહીં છું. મને મહેરબાની કરીને જુઅો' વાળી હાલતી-ચાલતી વિનંતી પછી પણ સાઈકલ સેર તે બીજા વાહનોના પ્રમાણમાં અઘરું છે, ખતરનાક છે. આ કાર-સાઈકલ વચ્ચેનો સંઘર્ષ વર્ગ-સંઘર્ષથી ઓછો નથી.  વળી, આ તો રોજ-બ-રોજની ભજવાતી ઘટના છે. સાઈકલબાજોના મેળાવડા યોજાય છે, સાઈકલ સેરના કાર્યક્રમો બને છે અને અકસ્ત્માત જેવી ઘટનાઅો વખતે સાઈકલબાજોને કાયદાકીય સહાય પણ મળે છે. આ બધું હોવા છતાં  સાઈકલ-સંસ્કૃિત ગૌણ સંસ્કૃિત છે. સાઈકલસવાર બીજાં દરજ્જાનાં વાહન પર બીજા દરજ્જાનો નાગરિક છે તે વાત અડધો કિલોમિટર સાઈકલ ચલાવવાથી સમજાઈ જાય છે. પણ એક વાત નક્કી છે, આવતીકાલની આવનારી વાહન-વ્યવહારની ક્રાંતિમાં સાઈકલનું સ્થાન મોખરે રહેવાનું છે.
આખરી ખ્યાલ :આ લોકો સ્વર્ગને લીંપીને પાર્કિંગની જગ્યા બનાવે છે, કંઈક ગુમાવ્યા પછી જ તેનું સાચું મૂલ્ય સમજાય છે ... (અમેરિકન સંગીતકાર જોની મીચેલનાં એક ગીત 'બીગ યલો ટેક્સી'નું મુખડું).

Saturday, November 27, 2010

એ વેઈવેઈના સૂરજમુખીના કરોડો બીજ

 (તસવીર સૌજન્ય: બીબીસી)
ફોટોગ્રાફર, મૂર્તિકાર, ચિત્રકાર, સ્થપતિ, સિરેમિકના જાણકાર, એન્ટીકના જાણકાર, કલાકૃતિ સંગ્રાહક, લેખક, બ્લોગર, લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના ચળવળકાર જેવી અનેક ઓળખ ધરાવનાર ચાઇનીઝ કલાકાર એ વેઈવેઈ આજના સમયની એક અનોખી પ્રતિભા છે. વેઈવેઈની કળા જલદ છે, અણીયારી છે અને બહુ જ વિચાર પ્રેરક છે. ચીનમાં લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના હક માટે સંઘર્ષ કરતા લોકોમાં વેઇવેઇનુ સ્થાન અનન્ય છે. કારણ, તે વિરોધ મૌલિકતા અને સર્જનાત્મકતાથી કરે છે, પોતાની કળા દ્વારા. વેઇવેઇના કળા જીવનને જોડતી કડીઓ તેમની વેબ સાઈટ પરની આ કડી પર જોઈ શકાશે.

મારો એક આર્કીટેક્ટ  મિત્ર એઈ વેઈવેઈ સાથે કામ કરી ચુક્યો છે. નવેમ્બર, ૨૦૦૭માં બીજીંગમાં હું તેને મળવા એની ઓફિસ/સ્ટુડીઓમાં ગયો. મારી જાણકારી ત્યારે વેઇવેઇના સ્થપતિ હોવા સુધી સીમિત હતી. આ મુલાકાતમાં મને ખબર પડી કે વેઈવેઈ ૨૦૦૮ના ઓલિમ્પિક માટે 'બર્ડ્સ નેસ્ટ' નામનું વિશાળ અને મુખ્ય સ્ટેડીયમ હર્ત્ઝોગ અને દી મ્યુરોન નામના વિશ્વપ્રખ્યાત સ્થપતિઓ સાથે ડીઝાઈન કરી રહ્યો છે. ધીરે ધીરે ખબર પડતી ગઈ કે એઈ વેઈવેઈ નામનો વ્યક્તિ તે તાલીમ પામેલ સ્થપતિ નથી પણ કળાકાર છે અને કળા જગતમાં તેનું કામ અલગ જ સ્થાન ધરાવે છે. ત્યાર બાદ જુદા-જુદા સમાચાર માધ્યમો દ્વારા એઈ વેઇવેઇના  કામ સાથે પરિચય થતો રહ્યો. મારી પેલી નાની મુલાકાત વિશે મને પાછળથી ભાન થયું કે આપણે જેમાં ડૂબકી મારેલી તે પવિત્ર પાણી હતા!
તાજેતરમાં લંડન પ્રખ્યાત ટેટ મોડર્નમાં વેઈવેઈના નવા જ કામનું અનોખું પ્રદર્શન લાગેલું છે - સૂરજમુખીના કરોડો બીજ. સૂરજમુખીના લગભગ દસ કરોડ સિરામિકના બનેલા બીજ તે ચીનના એક આખા ગામની, ૧૫૦૦ વ્યક્તિઓની બે વર્ષની મહેનત છે. સિરામિકના આ બીજ સૂરજમુખીના સાચા બીજ હોવાનો આભાસ ઉભો કરે છે અને વેઇવેઇએ ટેટ મોડર્નના આખા ટર્બાઈન હૉલમાં આ બીજ પાથરી મૂક્યા છે. પ્રદર્શન જોવા આવનાર લોકો આ બીજ પર બેસે છે, તેમને ધ્યાનથી જોવે છે, તેમના ફોટા પડે છે, બાળકો તેની સાથે રમે છે, કોઈ ચર્ચા કરે છે તો કોઈ નાક ચઢાવીને ચાલી જાય છે. ટૂંકમાં, કળાનું એવું સ્વરૂપ કે જેને અડી શકાય, પકડી શકાય, તેની સાથે રમી શકાય અને પછી તરત જ એવો પ્રશ્ન થાય કે આવું કેમ? આ માણસ શું આપણને શું બતાવવા માંગે છે? આ બીજની પાછળ શું છુપાયું છે? કોઈ મજાક તો નથી ને? કેમ સૂરજમુખીના બીજ અને તે પણ આટલા બધા? સીરામીકનો ઉપયોગ કેમ? આવા ઘણા સાહજીક પ્રશ્નો થાય. 

જવાબો જો કે શોધી શકાય તેમ છે. માઓની કીર્તિ જયારે સૂરજની જેમ પ્રવર્તમાન હતી ત્યારે ચીનના નાગરીકો સૂરજમુખીની જેમ તેમ સૂર્ય ઢળે તેમ ઢળતા. આ દર્શાવતા જુના પોસ્ટર પણ છે. આ પ્રદર્શિત સૂરજમુખીના બીજ હજી સૂરજમુખી થયા નથી. અત્યારે તો તે બીજ છે અને તેમની આવતીકાલ આવવાની બાકી છે. આ બીજમાં શક્યતા છે, સ્વપ્ન છે. તેમની સંખ્યા ઘણી મોટી છે, જેમ માનવજાતમાં દરેક પાંચમી વ્યક્તિ ચીનની છે તેમ. ચીનને મોટી સંખ્યા સાથે પણ સંબંધ છે અને સિરામિક સાથે પણ. હજારો વર્ષ જુનો સિરામિક ઉદ્યોગ ચીનની પરંપરાગત કળામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે અને આ કળા ચીનની કલાની આંતર-રાષ્ટ્રીય પ્રતિનિધિ ગણાય છે. આપણે સીરામીકને 'ચીનાઈ માટી' જ તો કહીએ છીએ. બીજું કે આ સૂરજમુખીના બીજના પ્રોજેક્ટે અનેક લોકોને રોજગાર પણ આપ્યો છે તે વળી વેઈવેઈની કળાનો માનવીય ચહેરો છે. આ કરોડો બીજનું પ્રદર્શન, તેમની સંખ્યા, સીરામીકનો ઉપયોગ, તેમની એકરૂપતા અને આખરે તો તેમનું મૌન ઘણું કહી જાય છે. વેઈવેઈની કલાને બીજી અનેક રીતે મૂલવી શકાય છે અને સમજી શકાય તેમ છે. દુનિયાની મહાન કળાઓ હમેશા એકથી વધુ અર્થઘટનો જગાડતી હોય છે. બીજી કોઈ વ્યક્તિના મારાથી જુદા અર્થઘટન હોઈ શકે છે. એક અર્થઘટન એવું પણ છે કે પશ્ચિમના દેશોમાં ચીનની કળા તરીકે વેચાતા સિરામિકના વાસણો અને મૂર્તિઓનો અને તેમના થોકબંધ ઉત્પાદનનો આ એક ઉપહાસ છે, પ્રતિધ્વની છે.

૨૦૦૮નાં વર્ષમાં ચીનના સેઝુઆન પ્રાંતમાં ભયાનક ભૂકંપ આવે છે તેમાં સરકારી આંકડા પ્રમાણે લગભગ સિત્તેર હજાર લોકો મૃત્યુ પામે છે, સાડા ત્રણ લાખ લોકો ઘાયલ થાય છે અને દસેક લાખ લોકો ઘર ગુમાવે છે. સૌથી દર્દનાક વાત એ છે કે સરકારી સ્કૂલો કે જેમના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયેલો, તેમાં દટાઈને હજારો બાળકો મૃત્યુ પામે છે. વેઈવેઈ મૃત્યુ પામેલા બાળકોની સાચી સંખ્યા અંગે અને બાંધકામમાં થયેલી ગોબાચારી અંગે તપાસ કરે છે અને તે અંગે એક બ્લોગ શરુ કરે છે. આ બ્લોગ દ્વારા સ્થાનિક લોકો પોતે જાણતા હોય તેવી મૃત વ્યક્તિઓ વિષે માહિતી આપી શકે તેવી વ્યવસ્થા છે. પાંચેક હજાર લોકોનું લીસ્ટ થાય ત્યાં સુધીમાં તેનો બ્લોગ બંધ કરી દેવામાં આવે છે. સેઝુઆનમાં પોલીસ વેઈવેઈ પર હુમલો કરીને તેને બેરહેમીથી મારે છે. આખરે, સારવાર લીધા બાદ વેઈવેઈ જર્મનીના મ્યુનિક શહેરમાં કળા કેન્દ્રના મકાનના સામેના ભાગ પર તેની નવી કળાકૃતિ રજૂ કરે છે. જે બાળકોના નવ હજાર દફતરોથી બનેલી હોય છે અને તે ચીનની લીપીમાં એક વાક્ય રજૂ કરે છે  - 'તે સાત વર્ષ સુધી આ દુનિયામાં બહુ ખુશીથી જીવી હતી.'

જયારે કલાકારનો મુકાબલો એવી વિશાળ સત્તા અને સામ્રાજ્ય સાથે થાય જ્યાં નગારખાનામાં થતા અવાજ વચ્ચે જીવવું અઘરું થઇ પડ્યું હોય અને પીપૂડી વગાડનાર માત્રને સજા થતી હોય ત્યાં કલાકાર શું કરે? કલાકાર 'ચોટદાર' કળા જ કરી શકે કે જે અવાજ કરે તેના પડઘા પડતા જ રહે. વેઈવેઇના કિસ્સામાં પણ કઈ એવું જ બન્યું છે. તેનો બ્લોગ બંધ થયો તો ટ્વીટર શરુ થયું. તે બંધ થયું તો બીજું કંઈ, નવું કંઈ. માધ્યમો બદલાતા ગયા પણ અવાજ અને મિજાજ બદલાયો નહિ. આ માણસે ફોટોગ્રાફીથી મૂર્તીકામ અને ભીંતકળા, ચિત્રકામથી સિરેમિક, સ્થાપત્યથી લેખન સુધીનું બધું જ કર્યું. વિડીઓગ્રાફી અને ફિલ્મ-મેકિંગ કરીને બધા જ માધ્યમોને ઉખેળ્યા. આ જ કલાકારોનો મિજાજ દર્શાવે છે. લિયોનાર્ડો દ વિન્સી શું ન હતો? તેને વિજ્ઞાની, ફિલસૂફ કે કલાકાર કહેવાથી પણ તેની ઓળખ પૂરી થતી નથી. આજે કળા જગતમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને પોતાનો સંદેશ, પોતાની કળા જગત સુધી પહોચાડવી તે રાહ બતાવનાર કલાકાર તરીકે વેઈવેઈ અગ્રગણ્ય છે.

સી.એન.એન.ના ફરીદ ઝકરિયાએ જયારે ચીનના પ્રિમીઅર વેન જિઆબાઓને પ્રશ્ન પૂછેલો કે શું ચીનમાં ક્યારેય વ્યક્તિગત સ્વાતંત્ર્યમાં છૂટ-છાટ મળશે કે? ત્યારે તેમને તેનો બહુ જ સકારાત્મક જવાબ આપેલો. જો કે, જયારે આ જ ઇન્ટર્વ્યૂ ચીનના સરકારી ટીવીમાં પ્રસારિત થયો ત્યારે આ સવાલ જેવા બીજા સવાલો પણ સેન્સર થઇ ગયેલા. જો ચીનના શાસકે વિદેશમાં આપેલો ઈન્ટરવ્યૂ સેન્સર થઇ શકતો હોય, તો સામાન્ય માણસ માટે રોજ-બરોજમાં કેટલું સહન કરવાનું આવતું હશે? આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત અને ચીનમાં લોકશાહી માટે ચળવળ ચલાવતા લુ ઝીઓબોને ચીનની સરકારે જેલમાં પૂરી રાખ્યા છે. છેલ્લા સમાચાર મુજબ, નવેમ્બર મહિનાની શરૂઆતમાં વેઇવેઇનો શાંઘાઈમાં બનાવેલો સ્ટુડીઓ 'ગેર કાયદેસર' જાહેર કરીને તોડી પાડવામાં આવ્યો છે. વેઈવેઈ આ તોડફોડની 'ઉજવણી' કરવા ચાહે છે પણ તેને નજરકેદ કરવામાં આવે છે. આખરે તેના પ્રસંશકો અને મિત્રો આ 'ઉજવણી' વેઈવેઈની ગેરહાજરીમાં પૂરી કરે છે. આં, વેઈવેઈની કળા એક ચળવળ બની ચૂકી છે. વેઇવેઇના અનેક વિડીઓ અહી જોઈ શકાશે.
(નોધ: ચીની ભાષાના નામોની જોડણી/ઉચ્ચારો ખોટા હોઈ શકે છે.)

Monday, November 15, 2010

ભારતની પહેલી ફિલ્મ પરની ફિલ્મ - હરીશ્ચન્દ્રચી ફેક્ટરી

કોઈક વખત એવી ફિલ્મ જોવા મળે કે જેમાં એક સીધી-સાદી વાર્તા કહેવાયેલી હોય - ખોટા ઉપદેશ ન હોય, કલાત્મક બનવાનો પ્રયત્ન ન હોય, દર્શકોને બનાવવાનો પ્રયત્ન ન હોય, કંઇક વેચવાનો પ્રયત્ન ન હોય, સાદી વાનગી પર મસાલાનો વઘાર ન હોય. ફિલ્મ તેની વાર્તાને ઈમાનદારીથી વળગી રહે અને સહજતાથી આખી વાર્તા કહેવાઈ જાય. આવી ફિલ્મો મળવી મુશ્કેલ છે અને બહુ વખતે હાથ લાગતી હોય છે. 'હરીશ્ચન્દ્રચી ફેક્ટરી (૨૦૦૯)' કંઇક આવી જ મરાઠી ફિલ્મ છે. ક્યાંકથી બાતમી મળી કે આ ફિલ્મ જોઈ લેવાની એટલે જોઈ લીધી - અંગ્રેજી સબ-ટાઈટલ સાથે.

ફિલ્મનું કથાનક લગભગ સો વર્ષ પહેલાનું છે અને વાર્તા મજાની છે. ધુંડીરાજ ફાળકે નામના ભેજાગેપ માણસને ફિલ્મ બનાવવાનું ભૂત વળગે છે અને તે સમાજથી સામા પ્રવાહે તરીને અને તેની પત્ની તેમજ બાળકોના અદમ્ય સહકારથી  ફિલ્મ બનાવે છે તેની આ કથા છે. આ ફિલ્મ તે 'રાજા હરિશ્ચન્દ્ર' નામની ફાળકેએ ૧૯૧૩માં બનાવેલી ભારતની પહેલી ફીચર ફિલ્મ. વીસમી સદીની શરૂઆતમાં ભારતીય શહેરોમાં મનોરંજન માટે બહાર ફરવા જવું તે દારૂ-જુગારની પ્રવૃત્તિ જેવું ગણાતું. ફિલ્મ-નાટક જેવા મનોરંજન તો અંગ્રેજ અને બીજી પ્રગતિશીલ કોમો પારસી, બહોરા વગેરેમાં જ પ્રચલિત હતા. ભારતમાં અંગ્રેજ-રાજમાં પહેલી વાર, કશાય અનુભવ વગર ફિલ્મ બનાવવાનું માથા પર લેવું અને તેને ભારે તકલીફ વેઠીને પાર પાડવું તે સાહસ માટે જ હવે આપણે ધુંડીરાજ ફાળકેને 'દાદાસાહેબ' તરીકે સન્માનીએ છીએ. 

સમાજમાં નવો ચીલો ચાતરનારને કોઈ ગાંડા ગણે, કોઈ હસી કાઢે, કોઈ સમજાવે ને કોઈ સહાનુભુતિ ઢોળે. છેવટે શાંતિથી જીવવા ન દે. બધા લોકો એક સરખા ગાયોના ધણની જેમ એક બીજાની પાછળ ચાલ્યા કરે તો કઈ વાંધો નહિ પણ કઈ નવું કામ નહિ કરવાનું અને સમાજની પ્રણાલીઓને પર પ્રશ્નાર્થ નહિ લગાડવાનો. ધુંડીરાજ ફાળકેને તેના સગા-વહાલા 'હરિશ્ચન્દ્ર' કહીને બોલાવતા અને મશ્કરી કરતા. પોતાના પ્રિન્ટીંગ પ્રેસના ભાગીદારોથી છુટા પડતા ફાળકેએ તેમને વચન આપેલું કે તે આ ધંધામાં પાછા નહિ ફરે. અને ફાળકે એ ધંધામાં પાછા ન ફર્યા, લોકોએ સમજાવ્યા અને નાણા ધીર્યા તો પણ. તેમણે પોતાની નવી ફેક્ટરી ચાલુ કરી - ફિલ્મ બનાવવાની ફેક્ટરી. તેમણે ફિલ્મ સર્જક તરીકે ૧૯ વર્ષના ગાળામાં ૯૫ ફીચર ફિલ્મો અને ૨૬ શોર્ટ ફિલ્મો બનાવી. ૧૯૩૨ પછી બોલતી ફિલ્મનો જમાનો આવતા ફાળકે નિવૃત્ત થઈને નાસિક જતા રહ્યા. 

આ ફિલ્મએ ફાળકેના પહેલી ફિલ્મ (રાજા હરિશ્ચંદ્ર) બનાવવાના પ્રયત્નોનું નિરૂપણ કરે છે. ફાળકેના તેમની પત્ની સરસ્વતી અને બાળકો સાથેના સંબંધો સરસ દર્શાવાયા છે. ઘણે અંશે ભારતની પહેલી ફીચર ફિલ્મ 'ગૃહ ઉદ્યોગ' હતી અને તેમાં દાદાસાહેબ જેટલો જ તેમના પરિવારનો ફાળો છે. 'ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ' નામની ફિલ્મ જોઇને ફાળકેને ભારતીય પૌરાણિક ફિલ્મ બનાવવાનો વિચાર આવેલો. આ સાથે-સાથે ભારતમાં ફિલ્મ બનાવી શકાય તે સાબિત કરવાની ધૂન પણ જરૂર હશે. ફાળકેએ નોખી માટીના બનેલા હશે એ ચોક્કસ. ફિલ્મ સર્જક તરીકે તેમને રશિયન ફિલ્મ-સર્જક આઈઝેનસ્તાઈન (બેટલશીપ પોટેમકિન, ૧૯૨૫) જેવા મહાન ન કહી શકાય પણ ભારતીય ફિલ્મ જગતને પહેલા ડગલા માંડતા કરવામાં તેમનો ફાળો અનન્ય છે. 

એ સમયે મુંબઈમાં ગોખલે અને ટીળકના નામ બોલાતા હતા પણ ફિલ્મમાં રાજકીય ઘટનાક્રમ કે ફાળકેની દેશ-દાઝ વગેરેની બહુ મહત્વ નથી આપ્યું. વળી, હળવી ફિલ્મ બનાવવા માટે ઘણી ઘટનાઓનું સરળીકરણ થતું હોય છે, જે આ ફિલ્મમાં પણ બન્યું હોય તેવું લાગે છે. જેમકે ફાળકેએ  ફિલ્મ-સર્જન શીખવા માટે કરેલા લંડન પ્રવાસમાં રંગ-ભેદના કે બીજા માઠા અનુભવો ન થયા હોય તે શક્ય નથી. આવા અનેક વાંધા-વચકા કાઢી શકાય પણ એકંદરે ફિલ્મ સરસ બની છે, સરળ છે અને ઝડપથી ગળે ઉતારી જાય તેવી છે. જોઈ નાખો ત્યારે! 
(રાજા હરિશ્ચંદ્ર, ૧૯૧૩નુ એક દ્રશ્ય)